Opinion Magazine
Number of visits: 9557331
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—265

દીપક મહેતા|Opinion - Opinion|21 September 2024

ઇસ બિલ્ડિંગ કી દીવારો કી ઇંટે મેરી મા ને અપને સર પર ઉઠાઈ હૈ

સાહિત્ય સહવાસમાં રહે તો સાહિત્યકારો, પણ ઘરકામ કરવાવાળી કોંડાબાઈને રોજિંદા જીવનમાં કામકાજ અને વાતચીત વધુ થાય તે તો દરેક ઘરની સ્ત્રીઓ સાથે. પોતાની આપવીતી કહેતી વખતે કોંડાબાઈએ મોટે ભાગે તો લોકોની ઉજળી બાજુની જ વાત કરી છે છતાં ક્યારેક હળવેકથી ઓછી ઉજળી બાબતની વાત પણ કરી દે છે. ઘણાં ઘરોમાં બૈરાંઓને અડોશપડોશના લોકોની વાતો જાણવામાં રસ. ઘણી વાર પૂછે : ‘કાલે મોડી રાત સુધી ફલાણાને ત્યાં લાઈટ ચાલુ હતી. શું વાત હતી?’ કોંડાબાઈ જવાબ આપે: ‘ખાસ કશું હતું તો નહિ. કદાચ લાઈટ ઓલવવાનું ભૂલી ગયાં હશે.’ પછી ઉમેરે છે : ‘હું શું કામ કહું કે કાલે રાતે તેમને ત્યાં તો પુ.લ. દેશપાંડે નામના બહુ મોટા લેખક જમવા આવેલા અને મોડે સુધી ખાણીપીણી (હા, પીણી પણ) ચાલતી રહેલી.’ પણ હું નહિ તો બીજું કોઈ ને કોઈ તો મળી જ રહે અને સાચી વાત જાણ્યા પછી બીજે દિવસે હું કામ પર જાઉં ત્યારે મને તરત સાંભળવા મળે : ‘આવો, આવો ઇન્દિરા ગાંધી! તમે તો વાત છુપાવવામાં બહુ પાવરધાં છો!’

લક્ષ્મણ અને કોંડાબાઈ પારઘે

ગંગાધાર ગાડગીળનાં પત્ની પાઈ પાઈનો હિસાબ રાખવાવાળાં. કોંડાબાઈએ તેમને ત્યાં કામ શરૂ કર્યું. બીજે જ મહિને તેમને પૂછ્યું : ‘કોંડા! તેં બેન્કમાં ખાતું ખોલાવ્યું છે કે નહિ?’ ‘અમે તો આખો દિવસ કામ કર્યા પછી માંડ બે ટંકનું ખાવા પામીએ છીએ. પછી ખાતું ખોલાવવાની શી જરૂર?’ ‘દર મહિને તારે થોડી બચત તો કરવી જ જોઈએ. એક કામ ઓછું કર્યું એમ માનજે. ચાલ, મારી સાથે બેન્કમાં, ખાતું ખોલાવવા.’ ખાતું ખોલ્યું. પાસ બુક આપી કોંડાબાઈને. દર મહિને ગાડગીળબાઈ બેન્કમાં જાય ત્યારે કોંડાબાઈ પાસેથી પાસ બુક અને દસ રૂપિયા લેતાં જાય અને તેના ખાતામાં પૈસા ભરી પાસ બુક પાછી આપી દે. એક વખત જોયું તો પાસ બુકમાં બેલન્સ ઝીરો! તરત ઊલટ તપાસ : ‘પૈસા ક્યાં ગયા? કેમ ઉપાડી લીધા?’ ‘મને શી ખબર? તમે આપો એટલે હું તો પાસ બુક પારઘેને આપી દઉં.’ (કોંડાબાઈ પુસ્તકમાં બધે જ પતિનો ઉલ્લેખ તેમની અટક ‘પારઘે’થી જ કરે છે.) કદાચ તેમણે પૈસા ઉપાડ્યા હશે.’ ‘હમણાં ને હમણાં ઘરે જા, અને પૂછ કે બધા પૈસા કેમ ઉપાડી લીધા.’ ઘરે જઈ પૂછ્યું તો જવાબ મળ્યો : ‘મારા એક દોસ્તને બહુ જરૂર હતી, એટલે તેને આપી દીધા!’ તે દિવસથી ગાડગીળબાઈએ કોંડાબાઈની પાસ બુક પણ પોતાની પાસે જ રાખવા માંડી.

કોલોનીનું મહિલા મંડળ

કોંડાબાઈની દીકરી ભીકૂનાં લગન લેવાયાં. કોંડાબાઈ જ્યાં જ્યાં કામ કરતાં ત્યાં ત્યાં ઘરની સ્ત્રીઓ પૂછવા લાગી : ‘દીકરીનાં લગન લીધાં છે તે કાંઈ જોઈતું કરતું હોય તો કહેજે.’ તેમને કોંડાબાઈ જવાબ આપતાં : ‘મને ખબર છે કે અડધી રાતે હું માગીશ તો પણ તમે પૈસા આપશો. પણ ભીકૂનાં લગન માટે મારે કોઈની પાસે એક પાઈ પણ માગવી પડે તેમ નથી. ગાડગીળબાઈએ મારા નામનું ખાતું બેન્કમાં ખોલાવ્યું છે તેમાં જમા થયેલા પૈસામાંથી લગનની બધી જોગવાઈ થઈ રહેશે.’ કોઈનીયે પાસે હાથ લંબાવ્યા વગર દીકરીનાં લગન થઈ ગયા પછી કોલોનીની સ્ત્રીઓ સાંજે મળે ત્યારે એકબીજાને કહેતી : ‘આ કોંડાબાઈ તો બડી ચેપ્ટર નીકળી.’

કોંડાબાઈ ઘરકામ કરતાં ત્યારે પગાર દસ-પંદર રૂપિયા, દિવસનો નહિ, મહિનાનો. દરેક ઘરે દિવસમાં ત્રણ વાર કામ કરવા જવાનું : સવાર, બપોર, સાંજ. તેમાં ય ઘણાં ઘરોમાં તો બે-પાંચ વરસ સુધી પગાર વધારાનું નામ સુધ્ધાં નહિ! તો કેટલાંક ઘરમાં દર વરસે માગ્યા વિના પાંચ રૂપિયાનો વધારો મળે! વધ્યુંઘટ્યું ખાવાનું અને જૂનાં પુરાણાં કપડાં મળે તે જ બોનસ! એક દિવસ પ્રો. બાંદીવડેકર કોલેજમાંથી ઘરે આવ્યા અને પત્નીને પૂછ્યું : ‘આ કોંડાબાઈ તેમના ઘરે રોજ રસોઈ કઈ રીતે કરે છે?’ ‘બીજી કઈ રીતે કરે, ચૂલા પર.’ ‘તો પ્રેશર કૂકર ચૂલા પર મૂકી શકાય ખરું?’ ‘હા, મૂકી તો શકાય.’ બીજે દિવસે પ્રો. બાંદીવડેકર ઘરે આવ્યા ત્યારે નવું નક્કોર કૂકર લેતા આવ્યા અને કોંડાબાઈને આપીને કહે : ‘હવેથી ઘરે રસોઈ આ કૂકરમાં કરજે.’ ‘સાહેબ! તમે આ લાવ્યા એ માટે આભાર. પણ આ કૂકરમાં મારે રાંધવું શું?’ ‘કેમ? દાળ, ભાત, શાક વગેરે.’ ‘સાહેબ! અમારે તો રોજ બંને ટંક જમવામાં જારના રોટલા અને ઠેચા (સૂકી ચટણી) જ હોય. અને તે બેમાંથી એક્કે આ કૂકરમાં રંધાય નહિ.’ સાહેબ સહેજ વિચારમાં પડ્યા. પછી કહે : ‘કોંડાબાઈ! આ કૂકર રાખ તો ખરી! એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તું ય રોજ દાળ-ભાત-રોટલી શાક બનાવીને ઘરનાંને જમાડીશ.

સિદ્ધાર્થ હજી તો ભણતો હતો ત્યારે એક દિવસ આઈને કહે કે ‘મારી સાથે બેંકમાં ચાલ! મારે ત્યાં ખાતું ખોલાવવવું છે.’ મા તો ગભરાઈ. આ છોકરો હજી તો ઇસકોલમાં ભણે છે. એની પાસે પૈસા આવ્યા ક્યાંથી, અને તે ય એટલા કે બેંકમાં ખાતું ખોલાવવું પડે! પૂછ્યું તો દીકરો તો કાંઈ જવાબ ન આપે! કોંડાબાઈ જ્યાં કામ કરતાં ત્યાં પોતાની વિમાસણ જણાવી. એ બહેને કહ્યું : ‘તું નાહકની ચિંતા કરે છે. તું રાનડેસાહેબ(જાણીતા સંગીતકાર અને સંગીતશાસ્ત્રી અશોક રાનડે)ને ત્યાં કામ કરે છે ને, તેમનાં પત્ની ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરે છે. તેઓ એક પ્રોગ્રામ માટે સિદ્ધાર્થને રેડિયો પર લઈ ગયાં હતાં. તેના મહેનતાણાનો ચેક સિદ્ધાર્થને મળ્યો છે. પણ એ જમા કરાવવા બેન્કમાં ખાતું તો હોવું જોઈએ ને! અને હજી સિદ્ધાર્થ પુખ્ત વયનો થયો નથી એટલે એકલો જઈને ખાતું ખોલાવી ન શકે. એટલે તારે તેની સાથે જવું પડશે.’

કોંડાબાઈનું અભિવાદન કરતાં સચિન અને અંજલી તેંદુલકર

સાહિત્ય સહવાસમાં અનેક નામવંત સાહિત્યકારો રહે. તેમાંનાં કેટલાંક નામ મહારાષ્ટ્ર બહાર દેશમાં પણ જાણીતાં. પણ અહીં રહેતા એક જણનું નામ તો આખી દુનિયામાં જાણીતું અને માનીતું. એ નામ તે સચિન તેંદુલકર. તેના પિતા રમેશ તેંદુલકર મરાઠીના જાણીતા લેખક અને અધ્યાપક. ઉષ:કાળ નામના મકાનમાં ચોથે માળે રહે. સચિનનાં મા રજનીતાઈ લગભગ રોજ કોંડાબાઈને પૂછે : ‘તું રોજ કેટલી વહેલી ઊઠીને કામે લાગે છે! હું તને રોજ વહેલી સવારે કામ પર જતી-આવતી જોઉં છું.’ પછી કોંડાબાઈ ઉમેરે છે: ‘એનો અર્થ એ કે રજનીતાઈ તો મારા કરતાં પણ વહેલાં ઊઠતાં હશે.’ પછી તો કોંડાબાઈનો બીજો દીકરો રમેશ અને સચિન ગાઢ દોસ્તો બની ગયા. ક્રિકેટર તરીકે સચિનની સિદ્ધિ-પ્રસિદ્ધિ વધતી ગઈ. તેને એક મદદનીશ રાખવાની જરૂર જણાઈ ત્યારે રમેશ તેંદુલકરે તે કામ માટે રમેશ પારઘે પર પસંદગીનો કળશ ઢોળ્યો.

કોંડાબાઈનો દીકરો સિદ્ધાર્થ અને સચિનનો ભાઈ અજિત ખાસ મિત્રો. સચિન નાનો હતો ત્યારે તેનું ધ્યાન રાખવા એક બાઈ રાખેલી, તેનું નામ લક્ષ્મીબાઈ. સચિન તેની પાસે જ ઊછર્યો એમ કહીએ તો ચાલે. વરસો પછી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું ત્યારે સચિન જાતે ખારની ઝૂંપડીમાં લક્ષ્મીબાઈનાં બાળકોને આશ્વાસન આપવા ગયો હતો. સિદ્ધાર્થનું પહેલું પુસ્તક ‘કોલોની’ પ્રગટ થવાનું હતું ત્યારે સચિને અગાઉથી કહેલું : ‘ભલે હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, તારા કાર્યક્રમમાં હું હાજર રહીશ.’ પણ બન્યું એવું કે કાર્યક્રમને દિવસે જ સચિનને દિલ્હી જવું પડ્યું. ત્યાંનું કામ પત્યું કે તરત ચાર્ટર્ડ ફ્લાઈટની સગવડ કરીને સચિન વખતસર મુંબઈ આવીને કાર્યક્રમમાં હાજર રહ્યો.

*

અને અંતે:

થોડાં વરસ પછી, એક પત્ર.

‘આઈ:

જે કોલોનીમાં વરસો સુધી તેં લોકોનાં કપડાં-વાસણ ધોયાં, ઝાડું-પોતાં કર્યાં, જે કોલોનીનાં મકાન બાંધવા માટે તેં અને બાબાએ લોહીનું પાણી કરી માટીનાં તગારાં માથે ઉપાડ્યાં, આખી જિંદગી બાબાએ કોલોનીનાં નાનાંમોટાં કામ કર્યા, જે કોલોનીનાં મકાન બાંધવા માટે ઈંટ, ચૂનો, સિમેન્ટ ભરેલાં તગારાં માથે મૂકીને તું અને બાબા હજારો વાર દાદર ચડ્યાં-ઊતર્યાં, એ જ કોલોનીમાં, આઈ, આજે મેં ઘર લીધું છે.’

આઈની આંખોમાંથી ગંગા-જમના વહેવા લાગી. ‘શું કહે છે તું, દીકરા! બાપ રે! તું તો ખરો નીકળ્યો! પણ અરેરે! આ દિવસ જોવા તારા બાબા ન રહ્યા! એ હોત તો કેટલા ખુશ થાત!’

સત્યદેવ દૂબે

‘આઈ! તને યાદ છે? આ જ ફુલરાણી બિલ્ડિંગના કોલમનાં લાકડાનાં ખોખાંઓમાં બાબાએ સિમેન્ટ-ચૂનો ભરેલાં. આ જ ફુલરાણીની ભીંતો બાંધવા માટે તેં તગારાં ભરી ભરી ઇંટો ચાર-ચાર માળ સુધી ચડાવેલી, આ જ ફૂલરાણીની કપચીની લાદીઓ બાબાએ બેસાડેલી. એ જ ફુલરાણીનો ૧૦ નંબરનો ફ્લેટ. દાયકાઓ સુધી અહીં પ્રખ્યાત નાટ્યકર્મી સત્યદેવ દૂબે રહ્યા. આજે એ જ ફ્લેટ મેં ખરીદી લીધો છે.’

‘… સત્યદેવ દૂબે દાયકાઓ સુધી એ ફ્લેટમાં રહ્યા, પણ મકાન બંધાયું ત્યારે જેવો હતો તેવો ને તેવો જ ફ્લેટ હતો, વરસો પછી પણ. નહિ ક્યાં ય સમારકામ કે ફેરફાર, નહિ રંગરોગાન, નહિ ઝાઝું રાચરચીલું. હા, ફુલરાણીમાં લોકો રહેવા આવ્યા તે પહેલાં આઈ-બાબા અને અમે બધાં છેલ્લે, આ દસ નંબરના ફ્લેટમાં જ રહેલાં. ત્યારે નહોતાં બારીબારણાં, અને દીવાલોને રંગ પણ લાગ્યો નહોતો. અમારા ઘરનો છેલ્લો ચૂલો ફુલરાણીના આ જ ફ્લેટમાં સળગાવેલો. દૂબેસાહેબે રંગરોગાન કરાવ્યાં જ નહોતાં. એટલે રસોડાની એક ભીંતના નીચેના ભાગ પરનો પીળો ડિસ્ટેમ્પર રંગ મેં હળવેકથી આંગળી વડે ખોતર્યો. તેની પાછળનો ભાગ આજે પણ કાળો થયેલો હતો. મેં તેના પર હળવેકથી હાથ ફેરવ્યો. અમારા ઘરના છેલ્લા ચૂલાની મેશનો એક પોપડો ઉખડીને નીચે પડ્યો. એ પોપડાને હથેળીમાં રાખીને અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં હું બોલ્યો : ‘ભલે ગમે તેટલાં સંકટ આવે, ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, હું આ ફ્લેટ ક્યારે ય છોડીશ નહિ. ક્યૂં કી, ઇસ બિલ્ડિંગ કી દીવારો કી ઇંટે મેરી મા ને અપને સર પર ઉઠાઈ હૈ.’

લિ.

સિદ્ધાર્થ લક્ષ્મણ પારઘે

મુકામ પોસ્ટ ૧૦, ફુલરાણી.

e.mail. : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 સપ્ટેમ્બર 2024

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૯) 

સુમન શાહ|Opinion - Literature|21 September 2024

સુમન શાહ

વર્તુળ : ૨ : જીવનસ્વીકૃતિ વિશે પ્રશ્ન

જીવન-સ્વીકૃતિ વિશે પ્રશ્ન કરતી કર્નલ સ્પોટ્સ કે પરાકોટિ-રૂપ રચનાઓ આ છે : ‘કર્ણ-કૃષ્ણ’, ‘યુધિષ્ઠિર’, ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’. 

આ વર્તુળની કાવ્યસૃષ્ટિ અનેકાનેક પરિવર્તનોની સૃષ્ટિ છે : 

જેમ કે – ૧ : કવિતા અહીં મુખ્યત્વે પોતાને જોતી થઈ છે, પોતાને શોધતી થઈ છે. કવિ પણ પોતાની શોધવૃત્તિને વશ થયા છે. 

જેમ કે – ૨ : કાવ્યની રૂપનિર્મિતિને વિશે સ્વીકૃતિનો પ્રશ્ન વિસ્તર્યો છે. રૂપ ઉમાશંકરમાં એવી પાળ છે જેને આપણે વસ્તુની સત્તાને વશ રહેવાની પ્રામાણિકતા કહી શકીએ. એટલે એમની સૃષ્ટિમાં રૂપના ઉન્મેષો કે રૂપના ઉલ્લાસોની અતિશયતા નથી. પરન્તુ, આ બીજા વર્તુળમાં, આપણે જોઈ શકીશું કે જીવનસ્વીકૃતિ વિશેનો પ્રશ્ન અનેક વખતે કાવ્યની રૂપનિર્મિતિ વિશે ક્રાન્તિકર બની ગયો છે. 

જેમ કે – ૩ : એમ લાગે કે, તત્કાલીન વિશ્વયુદ્ધ કવિને પ્રાચીન મહાભારત-યુદ્ધની ઘટનાઓ અને પાત્રસૃષ્ટિમાં ખૅંચી જાય છે. અને, ઉમાશંકર ‘મહાપ્રસ્થાન’ લખે છે. મહાન સંઘર્ષમૂર્તિઓ કર્ણ અને યુધિષ્ઠિરમાં કવિને મનુષ્યનું ચિરકાલીન ગૌરવ જ ભળાયું છે, તેમછતાં, એ ગૌરવની ભાત કરુણ ભાસી છે. ઉમાશંકરની કાવ્યસૃષ્ટિમાં આલેખાયેલો મનુષ્ય, આમ, પ્રાચીન અને સનાતનનું સાતત્ય પામે છે, વધુ ને વધુ વિશદ અને પારદર્શક લાગે છે. આમ, એમના ચિન્તનને “મહાભારત”-નો પુટ ચડ્યો, પરિણામે, ઊર્મિકવિતાનો નહીં પણ કથનકવિતાનો તેમ જ નાટ્ય કવિતાનો મનોરથ જાગ્યો. 

એટલું જ નહીં, સમુચિત કાવ્યપ્રકારની અનિવાર્યતા ય સમજાઈ, અને આપણે જોઈ શકીએ છીએ કે ઉમાશંકર પદ્યનાટકની શોધમાં પરોવાયા છે. આપણે જોઈ શકીએ છીએ કે કવિ કાવ્યમાધ્યમ વિશે વધુ સભાન થયા છે, છન્દોલય વિશે સાશંક બન્યા છે. એ સભાનતા પદ્યનાટકને વિશે જાણે કે મ્હૉરી – ‘વનવેલી’ જેવું નાટ્યપદ્ય એ સભાનતાનું પરિણામ છે. “પ્રાચીના” અને “મહાપ્રસ્થાન”-માં એમણે નાટ્યકવિતાને માટેના, પદ્યનાટકને માટેના, ઉચિત માધ્યમની શોધ માટે જે પ્રશસ્ય પ્રયાસ કર્યો, એ પુરુષાર્થ એમની કવિ-કારકિર્દીની મોટી ઘટના છે. 

જેમ કે – ૪ : ખણ્ડકાવ્ય અને સૉનેટ કાવ્યપ્રકારોથી એમની કવિતા નાટ્યકવિતાની દિશામાં સન્ક્રાન્ત થઈ છે. એ સન્ક્રાન્તિમાં કારણભૂત ધક્કો તો પેલી શ્રદ્ધા-શંકાથી ઉદ્ભવ્યો છે, અને એ ધક્કો વધુ બળવાન બન્યો છે ૧૯૫૬-માં, જ્યારે એમને લાગ્યું હતું કે પોતે સરજેલો કાવ્યનાયક જ નહીં, પણ પુરા કવિતા પણ છિન્નભિન્ન થઈ ગઈ છે. છેલ્લે તો, જુઓ ને, ‘ક્યાં છે કવિતા?’ જેવો માર્મિક પ્રશ્ન પણ જાગ્યો ! 

જેમ કે – ૫ : વિભૂતિમત્-ને વિશેની શ્રદ્ધા પણ નથી રહી. ૧૯૩૯-ના ડિસેમ્બરમાં ઉમાશંકરે ‘બીજું વિશ્વયુદ્ધ’ કાવ્ય લખ્યું હતું. રચનાની આબોહવા “મહાભારત”-ની છે, પણ એમાં પ્રશ્ન ઊપસ્યો છે, લુપ્તપ્રાય થઈ રહેલી વિભૂતિ વિશે – ‘વિભૂતિનો અંશવિશેષ જેહ પ્રકાશતો માર્ગશીર્ષ ગણાયો, / ક્યાં, તે ક્યાં? ઓ જ્યોતિ, અપ્રાપ્ય, દિવ્ય!’. વિશ્વયુદ્ધને કારણે કવિસંવિદમાં વેદના ખળભળી ઊઠી છે – ‘આ ભૂતસૃષ્ટિ આથડે અંધકારે’. (૩૪૪). નાયકને એ, માનવજાતની ‘અઘોર આત્મહત્યા’ લાગે છે, ‘પૃથ્વીની નિર્મનુષ્યા થવાની પ્રતિજ્ઞા’ દીસે છે. 

ઉમાશંકર જોશી

એ પ્રતિજ્ઞા કરુણ અને ભયપ્રદ  એટલા માટે છે કે એ યુદ્ધમાાં કોઈ કૃષ્ણ જ નથી! શસ્ત્રસંન્યાસ ‘ઇચ્છા વ્હોણો’ થયો છે, ત્યારે દિગ્દર્શન કરનાર કોઈ નથી. વિભૂતિમત્ કૃષ્ણની અનુપસ્થિતિમાં એ ઘોર પ્રણાશથી વિશ્વશાન્તિ બીજી વાર ભારે અશક્ય ભાસી રહી છે, અને એની તીવ્ર પ્રતીતિ કવિને થઈ ચૂકી છે. “પ્રાચીના”-ની ‘ઓગણીસમા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’ રચનાઓમાં એ પ્રણાશ આલેખાયો છે -બન્ને કૃતિઓ ૧૯૪૨-૪૩માં પ્રગટી આવી છે, એ સૂચક છે. 

જેમ કે – ૬ : બે વિશ્વયુદ્ધો પછીનો ઉત્તરકાળ ઉમાશંકરની સમગ્ર કવિતાનો સર્જનકાળ છે. એનો એમની કવિસંવિદ પર ભારે પ્રભાવ રહ્યો છે. 

પહેલા યુદ્ધોત્તરકાળમાં, વિશ્વશાન્તિ અને વસુધૈવ કુટુમ્બકમ્-ના ભાવનાલોકની કવિતા જનમી. બીજામાં, આત્માનાં ખંડેર -નું યથાર્થ અને તેની સમ્પ્રજ્ઞતા, અને એમ વિ-ભાવનાલકોની કવિતા જનમી. પહેલામાં, હિન્દ-સ્વાતન્ત્ર્યને લક્ષ્ય કરતો રાષ્ટ્રપ્રેમ માનવતાના વ્યાપક અને સંશુદ્ધ રૂપે કાવ્યમાં પરિણમ્યો; બીજામાં, સ્વાતન્ત્ર્યોત્તર ભારતની ભૂમિકાએ વિશ્વમનુષ્ય માટેનો પ્રેમ, યુદ્ધોત્તર સભ્યતાથી દમિત અને વિક્ષુબ્ધ મનુષ્ય માટેનો પ્રેમ, કાવ્યમાં પરિણમ્યો. 

પરન્તુ છેવટે, ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’-માંના વિશ્વમાનવીની આ વિશ્વમનુષ્ય આછી ‘નૅગેટિવ’ પણ નથી એવું કરુણ ભાન જાગે છે, અને કાવ્યસૃષ્ટિ બદલાય છે. એ ભાન આ બીજા વર્તુળની કવિતામાં ઉત્ક્રાન્ત થયું છે. 

ટૂંકમાં, કાવ્યસર્જનની લગભગ બધી પૂર્વ-પરમ્પરાનો બહુશ: લોપ થયો છે અને નિતાન્ત સ્વકીય અને સર્વથા અધિકૃત પરમ્પરાના જન્મની ભૂમિકા રચાઈ છે.

૮

આ વર્તુળની કાવ્યસૃષ્ટિ અનેકાનેક પરિવર્તનોની સૃષ્ટિ છે એ ખરું, પણ એમાં કેન્દ્રસ્થ હોય તો તે છે, કાવ્યમાધ્યની શોધ : 

બ.ક. ઠાકોરના ‘અગેય પ્રવાહી પદ્યરચના’ વિભાવનો સુભગ સાર ઉમાશંકરની ઓછા દૃઢબન્ધવાળી અક્ષરમેળ કૃતિઓમાં અને એમની પરમ્પરિત માત્રિક પદ્યરચનાઓમાં અનુભવાય છે. ‘વિશ્વશાન્તિ’-માં ય પ્રવાહી પદ્યરચનાનો પક્ષપાત જણાય છે. એમાં, શિખરિણી, મન્દાક્રાન્તા કે પૃથ્વીની જેમ જ એમણે અનુષ્ટુભ અને મિશ્રોપજાતિ જેવા ઓછા દઢબન્ધવાળા તેમ જ બોલચાલના વળોટ ધરાવતા હળવા છન્દ પ્રયોજ્યા છે. એ પછી, એ સુભગ સાર ગદ્યના સીમાડાઓને અડી આવતી ‘વનવેલી’-બદ્ધ રચનાઓમાં અનુભવાય છે. પાત્રોની ભાવદશાની ચરમ ક્ષણો વખતે એ માધ્યમ પૂરેપુરું નમનીય અને કાર્યક્ષમ નીવડે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે ઉમાશંકરીય પદ્યરચના દૃઢબન્ધ અક્ષરમેળથી બદલાઈને, દાખલા રૂપે એમના શિખરિણીથી મિશ્રોપજાતિમાં થઈને વનવેલીમાં અને છેલ્લે, અછાન્દસમાં ઠરે છે.

ગુજરાતી કાવ્યમાધ્યમનો ઇતિહાસ પણ આ જ રૂપે છન્દના દૃઢબન્ધથી છૂટીને અનેક વારાફેરા પછી બન્ધનમુક્ત અછાન્દસમાં ઠર્યો છે. 

લેખનો અને વક્તવ્યોનું ઉમાશંકરનું કાવ્યમય ગદ્ય મને વિશદ, નિશિત અને પ્રાસાદિક અનુભવાયું છે. એ એમની કેટલીક અછાન્દસ પંક્તિઓમાં કાવ્યોપકારક ‘ફન્કશન’ માટે, આપણને થાય કે, તેઓ અજાણતાં જ નથી પ્રગટાવી ગયા ને!

‘કર્ણ–કૃષ્ણ‘ —

મોટે ભાગે, મિશ્રોપજાતિએ ઠીક ઠીક કામ આપ્યું છે, પરન્તુ ‘કર્ણ-કૃષ્ણ’-માં, કવિ એને પોતાના લક્ષ્ય વિશે પળોટી શક્યા નથી, એમ મને લાગ્યું છે. એનાં ઘણાં કારણો છે. એક તો એ કે રચનાની પ્રકૃતિ સંવાદોમાં વ્હૅંચાયેલા કથનકાવ્યની જ રહી છે, સંવાદતત્ત્વ વિકસ્યું નથી. કેટલાંક પ્રસંગકાવ્યોમાં ઉમાશંકરે અગાઉ પ્રયોજેલો મિશ્રોપજાતિ કથનને માટેની સમર્પકતા અહીં નથી છોડતો, અને તેથી કથન – નૅરેશન – સવિશેષે થયું છે, સરખામણીએ આલેખન – ડિસ્ક્રિપ્શન – ઓછું. જેમ કે, કર્ણની દીર્ઘ ઉક્તિઓ સંવાદતત્ત્વને દમે છે, બોલચાલની ગતિવિધિને અવકાશ નથી આપતી; છન્દોલયની એકવિધતા તૂટતી નથી, વિવિધતા પ્રગટતી નથી. નાટ્યત્વને બદલે સૂરની – ટોનની – એકવિધતા જ ઘુંટાય છે.  

તેમછતાં, હું ભારપૃ્વક કહું કે મિશ્રોપજાતિની હળવી પ્રવાહીતાને કારણે અહીં વાગ્મિતા પ્રગટી છે, જેને હું નાટ્ય માટે જરૂરી ગણું છું. બહુ ઓછી વ્યક્તિઓએ નૉંધ્યું હશે કે ઉમાશંકર પોતાના છન્દને કે લયને થોઓડી વાગ્મિતાથી પઠતા હોય છે, ત્યારે વાગ્મિતા ચાર્જ થઈ હોય છે. ગુજરાતી વિવેચનાએ વાગ્મિતા-તત્ત્વને હમેશાં શંકાની નજરે જોયું છે – જાણે કે એથી શિષ્ટતા નંદવાઈ જવાની હોય! નાટક બાબતે તો એની કેટલી બધી અનિવાર્યતા છે, એ વિશે પણ ખાસ વિચારાયું નથી. 

પ્રસંગકાવ્યોમાંનો એ જ મિશ્રોપજાતિ અહીં પાત્રવ્યક્તિની વાણીમાં રહેલા કાકુઓ, આગ્રહો, પ્રશ્નોની ઝીણવટો, ભાવકેન્દ્રો અને ભાવગતિ પ્રગટાવવામાં ખાસ્સો ઉપકારક નીવડ્યો છે. જેમ કે, ‘ના, કૃષ્ણ, ના, હોય ના એવી વાર્તા / આજે હવે જીવન અસ્તવેળા.’ (૨૫૦), એ પંક્તિથી શરૂ થયેલી દીર્ઘ ઉક્તિને હું એ ઉપકારકતાનું નિદર્શન ગણું છું.

જેઓ “પ્રાચીના’-ની રચનાઓમાં ચાલુ કાવ્યત્વ ભાળે છે અને નાટ્યત્વ જોઈ શકતા નથી, તેઓને આવી ઉક્તિઓનો આદર્શ નાટ્યપાઠ શો હોઈ શકે, તેની ખબર જ નથી. બોલચાલની ભાષાના લયની શોધમાં વાગ્મિતા-તત્ત્વોનો ફાળો ઘણો બધો હોય છે, અને તે ઉમાશંકરના પ્રવાહી વનવેલી વડે વધુ ને વધુ સિદ્ધ થયો વરતાય છે. 

પદ્યનાટકને માટેના ઉચિત માધ્યમની ચર્ચા આપણે ત્યાં રેઢિયાળ રહી છે. બોલચાલ અને ભાવની ઉત્કટતા અને એ બે ધ્રુવો વચ્ચેની નમનીયતા, એથી વિશેષ આપણે વિચાર્યું જ નથી. એક માધ્યમ તરીકે લય ચાલવો જોઈએ એ બરાબર, પણ એ એક ‘સ્પીચ-ઍક્ટ’ છે એ તથ્ય વીસરી જઈએ, તે ન પાલવે! 

કૃતિ કાવ્ય બને, પદ્યનાટ્યકૃતિ નમનીય રહે, એ બરાબર; કાવ્યના પદ્યને જુદા જ હેતુએ જોતરવાનું હોય છે એ ય બરાબર; પણ એનો મૂળ સમ્બન્ધ પાત્રની વ્યક્તિમત્તા તેમ જ નાટ્ય-અન્તર્ગત ભાવસ્થિતિ સાથે સવિશેષ હોય છે, એ હકીકત પર ભાર મુકાવો જોઈએ. એટલે, ‘સ્પીચ-ઍક્ટ’-ને શક્ય બનાવનારાં ‘સ્પોકન-લૅન્ગ્વેજ’નાં બધાં જ તત્ત્વો લય-સંલગ્ન છતાં લય-ઉપરાન્તનાં છે – જેમાં, મૌન, પૉઝ કે વાગ્ભ્રંશની અવસ્થાઓનો પણ સમાવેશ થતો હોય છે. એ સૂક્ષ્મ વાગ્મિતા-તત્ત્વોને સ્વીકારીએ તો ઉમાશંકરની આ લય-શોધને જરા જુદી રીતે પ્રમાણવી જોઈશે. 

એટલે જ જાણે ‘યુધિષ્ઠિર’, એ બીજા કર્નલ સ્પોટમાં, પ્રારમ્ભની ઉક્તિમાં, યુધિષ્ઠિેર ‘બતાવશો ઋષિવર, ક્યાં છે મારાં બંધુજનો? ક્યાં છે કર્ણ? ક્યાં છે કૃષ્ણા?’ એમ પ્રશ્નોપચય રચે છે. એ વડે યુધિષ્ઠિરની અધીરાઇ અને વિહ્વળતા આપણને બરાબર પ્હૉંચે છે, યુધિષ્ઠિર સાથે આપણો અનુબન્ધ ઊભો થાય છે. એની ભાવસ્થિતિ દર્શાવતું નિર્ણયવિધાન કે ‘આ મારે મન સ્વર્ગ નથી’ સાથે આપણે તરત જોડાઈ જઈએ છીએ. જોઈ શકાશે કે પ્રશ્નોપચયમાં જે કંઈ વાગ્મિતા છે તે અહીં કાર્યક્ષમ નીવડી છે. 

પદ્યવાહન ભલે ‘બ્લૅન્ક વર્સ’-નું હોય, ભલે માઇકેલ મધુસૂદન દત્તના બંગાળી ‘પયાર’ છન્દનું હોય, અધિકારી શ્રોતા સાથે અનુબન્ધ નહીં રચી શકે તો માધ્યમ તરીકેની પોતાની સિદ્ધિને અધ્ધર રાખશે. 

પદ્યનાટકના વાહને ભાષાની ભભકથી, અતિ સાહિત્યિકતાથી, અને કૃત્રિમતાથી બચવાનું હોય છે. ઉક્ત અનુબન્ધ અને પારદર્શકતા તેમ જ સદ્યોવેદિતાને કારણે આપણને સમજાય છે કે માધ્યમ લેખે એ ‘ઉચિત’ છે. દૃઢબન્ધ વૃત્તો કે છન્દો એ ન કરી શકે; એટલે, એને ‘પ્રવાહી’ બનાવવાનો યોગ્ય વિચાર જેને આવ્યો એ બ.ક.ઠા.-ના આપણે ઋણી છીએ. 

ગદ્યનાટકમાં કાવ્યત્વની જરૂર પડી હોય તો તેનો ઇલાજ પદ્યરચનાથી, એવા પૃથક પ્રયત્નથી, થઈ શકે છે. સંસ્કૃતકવિનાટ્યકારોને એ હસ્તામલક હતું, પણ આપણા જમાનાનું પદ્યનાટક કાવ્યસિદ્ધ પદ્યમાં શક્ય નથી, સિવાય કે કોઈ એવો અળવીતરો પ્રયાસ કરી જાણે. પદ્યને પદ્ય તરીકે સમધારણ વહેતું રાખવું, બોલચાલ સદૃશ રાખવું, હમેશાં નાટ્ય-તરફી રહેવું, એ પદ્યનાટ્યકારની મહત્ત્વાકાંક્ષા બલકે જરૂરત હોય છે. વિરોધ કાવ્યકૃતિ કે ગદ્યકૃતિ સાધી આપનારા માધ્યમ સામે નથી, પણ પોતાની રીઢી સર્જકતા સામે છે, જેનું એણે કાળજીથી ઊફરા જઈને નિરસન કરવાનું હોય છે. 

“મહાપ્રસ્થાન”-માંની વનવેલીની ચારેય રચનાઓમાં ઉક્ત પ્રશ્નતત્ત્વની ઉપકારકતા જોઈ શકાશે. ‘યુધિષ્ઠિર’-માંનો આ બીજો પ્રશ્નોપચય જુઓ :

‘અરે કોણ? દુર્યોધન?…નારદ! હે મુનિશ્રેષ્ઠ, / આ હું શું દેખું છું? છે આ સ્વર્ગ કે તમારું? કે હું / ભ્રાન્તિમાં ભમું છું ભ્રાતૃવિયોગે ને દેખું છું આ / દુર્ભગ દુર્દિવાસ્વપ્ન, વીણાપાણિ?’. (૫૮૧).

બીજી પંક્તિમાંના ‘હું’ પરનો અને ‘આ સ્વર્ગમાંના ‘આ’ પરનો ભાર એના વ્યંગભર્યા કાકુમાં કેવો સરસ ફેલાય છે! ‘કે હું ભ્રાન્તિમાં ભમું છું ભ્રાતૃવિયોગે…’-થી એ ઉક્તિનો અવરોહ જે ગતિએ વહે છે, તેમાં વ્યથાને પ્રસરવાનો જે અવકાશ રચાય છે, અને છેલ્લે પ્રશ્નવિરામ પાસે એ સંવેદન તીક્ષ્ણ અને સ્ફુરાયમાન આંદોલન લાગે છે, તેનું મહત્ત્વ છે.

‘હસું? હા, હસીશ જો હું હસી શકું તેની સાથે’ -થી શરૂ થતી યુધિષ્ઠિરની એક બીજી ઉક્તિમાં પણ ‘જેણે જેણે’-થી આરોહ રચાયો છે, અને ‘તેની સાથે કેમે કર્યું હસવાને, બોલવાને’-થી જે અવરોહ રચાયો છે, તેનું મહત્ત્વ છે. ‘કૃપાળુ’ પાસે શમીને અટકીને એ ઉક્તિ ‘મન મારું માને નહિ’ પાસે વિરામ લે છે, તેમાં યુધિષ્ઠિરનું સ્થિરબુદ્ધિ મન આસ્વાદ્ય બની રહે છે, તેનું મહત્ત્વ છે. (૫૮૨).

તો, પાપની પરિણતિ પ્રમાણતા યુધિષ્ઠિરની દીર્ઘ ઉક્તિ દર્શાવે છે કે આ જાતનાં વાગ્મિતા-તત્ત્વો વનવેલી-પ્રણિત બોલચાલના એ લયને માત્રપાઠ્ય નહીં, પરન્તુ નાટ્ય કહેવા પ્રેરે તેવાં સમર્થ છે. (૫૮૭).

મારા આ સમર્થનોને કાળજીપૂર્વકના પૃથક્કરણથી વધુ પામી શકાશે.

સમજી શકાશે કે મારી દલીલ અહીં ‘પરફૉર્મિન્ગ આર્ટ્સ’-ની દિશામાં ચાલે છે. ઉમાશંકર સ્વયં પદ્યવાહનના પાઠ્યત્વ પર ભાર મૂકે છે ત્યારે એમના ચિત્તમાં જાણ્યે-અજાણ્યે માત્ર પઠન નહીં જ હોય, એમ મારું માનવું છે. એક પરફૉર્મન્સ રૂપે નાટ્યનો નટ જો પદ્યમાં વ્યક્ત થવાનો ઇરાદો સેવે, તો એણે મુદ્રિત કલાના તકલાદીપણાને ઓળખી લેવું જોઈશે.

વીસમી સદીમાં, અનિવાર્ય બનેલા ‘રીવાઇવલિઝમ’-ની એક ઘટના ‘રીસાઇટલ પોએટ્રી’ હતી. આ સંદર્ભે વર્ડઝ્વર્થ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પોતાની ઊર્મિકવિતા વડે જરા જુદી રીતે મથ્યા હતા. ટી.ઍસ. એલિયટ વીસમી સદીના પૂર્વાર્ધમાં એથી પણ જુદી રીતે પોતાની નાટ્યકવિતા વડે એ અંગે મથ્યા હતા. કવિ વળી વિવેચક એલિયટનું અધ્યયન કરનાર જોઈ શકે છે કે એમણે ‘કવિતાનો ત્રીજો અવાજ’ પ્રગટાવતા પદ્યનાટ્યકારને મુખ્યત્વે ‘સ્પીચ-ઇન્વેન્ટિન્ગ’ ગણ્યો છે. એ કશીક વાક્ શોધતો હોય છે; એટલું જ નહીં, પદ્યના એ નાટ્યાત્મક, અર્ધ-નાટ્યાત્મક, અ-નાટ્યાત્મક એવાં ત્રિવિધ રૂપોની સમ્મુખ રહીને પોતાની શોધ ચરિતાર્થ કરતો હોય છે. (જુઓ, એલિયટનાં પદ્યનાટકો, ‘ધ મર્ડર ઈન ધ કૅથેડ્રલ’, ‘ફૅમિલિ રીયુનિયન’, ‘કૉકટેઇલ પાર્ટી’ તેમ જ લેખ, ‘થ્રી વૉઇસિસ ઑફ પોએટ્રી’. મારી “કવિવિવેચક ટી.ઍસ. એલિયટ” પુસ્તિકામાં પણ આછાપાતળા ઉલ્લેખો છે, એમ યાદ આવે છે.)

આમ, પ્રવાહી વનવેલી જે પદ્યરચના પ્રગટાવે છે, તે મુક્ત અને નમનીય માધ્યમ છે, એ ખરું, પણ ઉમાશંકરે એને નાટ્યપદ્ય બનાવી જાણ્યું છે, મુક્તિનો એમણે ઉપકારક વાગ્મિતા-તત્ત્વોથી યોગ રચીને તેનો બરાબર ઉપયોગ કર્યો છે. અન્યથા, કોઈપણ લય તત્ત્વત: નિયમોનું પરિણામ હોય છે, પણ હમેશાં રિક્ત હોય છે. વધુ સ્પષ્ટતાથી જરા જુદી રીતે કહીએ તો ઉમાશંકરે વનવેલી જેવા ‘ફ્રી વર્સ’-નું ‘ડ્રામેટિક સ્પીચ’-માં રૂપાન્તર કરી લીધું છે. “મહાભિનિષ્ક્રમણ”-માંની વનવેલીબદ્ધ બધી જ કૃતિઓને ‘યુધિષ્ઠિર’ કર્નલ સ્પોટની આસપાસ ગોઠવી શકાય, તો આ વાતની પ્રતીતિ થાય, એમાં કોઈ શક નથી. 

આમાંની કોઈ રચના પદ્યનાટક નથી થઈ તેનાં કારણો, આ સિદ્ધ પદ્યવાહન સિવાયનાં, બીજાં છે. નમનીય શોધનું પરિણામ (એલિયટ-કથિત) ‘ત્રીજો અવાજ’ કે ‘સ્પીચ-ઇન્વેશન’ પણ બરાબર, તે છતાં, એવા અવાજથી જ પદ્યનાટક રચાઈ જતું નથી. સિદ્ધ પદ્યકારને હમેશાં સુજ્ઞ નાટ્યકારની અનિવાર્યતા રહે છે, અને કવિ હોય તે નાટ્યકાર થઈ જ શકે એવું હમેશાં નથી હોતું. તેમછતાં, ઉમાશંકરે આટલી તૈયારી કરી એ ઓછી નથી. પદ્યનાટક માટે અનિવાર્ય ગણાય એવી આપણી પાસે સમૃદ્ધ નાટ્યપરમ્પરા નથી એ સંદર્ભે આ તૈયારી ગનીમત ગણાય.

(ક્રમશ:)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાગઝ કી યે મહક, યે નશા રૂઠને કો હૈ; યે આખરી સદી હૈ કિતાબોં સે ઈશ્ક કી

સોનલ પરીખ|Opinion - Opinion|20 September 2024

તમે કહો છો કે તમને વરસાદ ગમે છે, પણ તમે છત્રી ખોલો છો. તમે કહો છો કે તમને સૂર્ય ગમે છે, પણ તમે છાંયો શોધો છો. તમે કહો છો કે તમને પવન ગમે છે પણ તમે બારીઓ બંધ રાખો છો. એટલે જ હું ડરી જાઉં છું જ્યારે તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો.

— શેક્સપિયર

સોનલ પરીખ

‘હમ સબ રંગમંચ કી કઠપૂતલિયાં હૈં જિનકી દોર ઉપરવાલે કે હાથમેં હૈ, કૌન, કબ કૈસે ઉઠેગા કોઈ નહીં જાનતા’ ફિલ્મ આનંદના આ પ્રસિદ્ધ સંવાદનું મૂળ શેક્સપિયરના આ વાક્યમાં હોઈ શકે – ‘ઑલ ધ વર્લ્ડ ઈઝ અ સ્ટેજ એન્ડ ઑલ ધ મેન એન્ડ વિમેન મેરલિ પ્લેયર્સ. ધે હેવ ધેર એક્ઝિટ્સ એન્ડ ધેર એન્ટ્રીઝ એન્ડ વન મેન ઇન હિઝ ટાઈમ પ્લેઝ મેની પાર્ટ્સ.’ આ તેમના એક નાટકનો સંવાદ છે.

હૃદયમાં ઊતરી જાય એવી બીજી એક વાત શેક્સપિયરે કરી છે – ‘તમે કહો છો કે તમને વરસાદ ગમે છે, પણ તમે છત્રી ખોલો છો. તમે કહો છો કે તમને સૂર્ય ગમે છે, પણ તમે છાંયો શોધો છો. તમે કહો છો કે તમને પવન ગમે છે પણ તમે બારીઓ બંધ રાખો છો. એટલે જ હું ડરી જાઉં છું જ્યારે તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો.’

આ શેક્સપિયરનો જન્મ ૧૫૬૪ની ૨૬મી એપ્રિલે. ૧૯૧૬માં બાવન વર્ષની ઉંમરે તેનું નિધન થયું એ તારીખ હતી ૨૩ એપ્રિલ. એ જ વર્ષની ૨૨ એપ્રિલે પ્રસિદ્ધ સ્પેનિશ નવલકથા ‘ડોન કિહોટે’ના લેખક સર્વાન્ટિસનું પણ નિધન થયું હતું. આ ત્રણ દિવસની સ્મૃતિમાં ૧૯૯૫થી યુનેસ્કો તરફથી લેખન, વાંચન અને પ્રકાશનાં પર્વ તરીકે આંતરરાષ્ટ્રીય પુસ્તકદિન ઉજવવામાં આવે છે. સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ કિંગ્ડમમાં એની ઉજવણી શરૂ થઈ હતી, આજે વિશ્વના ૧૦૦થી વધારે રાષ્ટ્રો પુસ્તકદિન ઊજવે છે. બીજી એપ્રિલે હેન્સ એન્ડરસનના માનમાં આંતરરાષ્ટ્રીય બાલપુસ્તકદિન ઉજવાય છે.

સદીઓ પહેલાના આ વિદેશી સર્જકોને દુનિયા આજે પણ શા માટે પ્રેમપૂર્વક યાદ કરે છે? વિક્ટર હ્યુગોનું ‘લા મિઝરેબલ’, ફ્યોદોર દોસ્તોવ્યસ્કીનું ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’, લિયો ટૉલ્સ્ટૉયનું ‘વૉર એન્ડ પીસ’, મેક્સિમ ગોર્કીનું ‘મધર’, ચાર્લ્સ ડિકિન્સનું ‘ટેલ ઑફ ટુ સિટીઝ’, હેરિયટ સ્ટોનું ‘અંકલ ટોમ્સ કેબિન’ કે હાર્પર લીનું ‘ટુ કિલ અ મોકિંગબર્ડ’ જેવાં પુસ્તકો યાદ આવે ત્યારે આદર અને પ્રેરણાથી કયા પુસ્તકપ્રેમીનું હૃદય નથી નમતું? લખાતાં અને વંચાતાં પુસ્તકોનો એક જુદો જ મહિમા છે, કરિશ્મા છે. આજે ભલે ઈન્ટરનેટ અને ઈ-બુક્સનો યુગ છે, છતાં પુસ્તકોની દુનિયા આજે પણ આબાદ છે. બદલાતા સમય સાથે સર્જન, વાચન અને પ્રકાશનની તરાહોમાં અનેક પરિવર્તનો આવે છે. અમુક આપણને ગમે, ફાવે; અમુક ન ગમે, ન પચે. છતાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ દુનિયાના દરેક ખૂણે વધતાઓછા પ્રમાણમાં જીવંત રહ્યો છે.

આમ છતાં પુસ્તક ભૂલાતું જે છે એ પણ હકીકત છે. બદલાતી જીવનશૈલી, પલટાતી માનસિકતા, ભૌતિક પ્રાપ્તિઓનું વધેલું મહત્ત્વ અને ટેકનોલોજીની હરણફાળને લીધે હાથમાં આવી ગયેલા સોશ્યલ મીડિયાનો ખજાનો. પરિણામે પુસ્તક આજે હાંસિયામાં ધકેલાઇ ગયું છે, ઉપેક્ષાનો ભોગ બન્યું છે. એથી જ ગુલઝાર ‘કિતાબેં ઝાંકતી હૈ બંધ દરવાજોં કે શીશોં સે’ જેવી સંવેદનશીલ નજમ લખે છે તો સઉદ ઉસ્માની ‘કાગઝ કી યે મહક, યે નશા રૂઠને કો હૈ; યે આખરી સદી હૈ કિતાબોં સે ઈશ્ક કી’ જેવો ગમગીન શેર કહે છે.

પુસ્તકો નથી લખાતાં, નથી છપાતાં, નથી વંચાતાં એવું પણ નથી. પણ યુગ ઉતાવળનો છે. સારા, શાલીન સર્જકો ખૂણામાં રહી જાય અને ચાલાક, લોકોને પટાવી દેતી પ્રચારપ્રયુક્તિઓમાં ઉસ્તાદ લેખકો લોકપ્રિય બની જાય એવું બને છે. આવું બને છે કારણ કે ઘણુંબધું મેળવી લેવાની લ્હાયમાં દોડતા મોટાભાગના લોકો ઝાઝું વિચાર્યા વિના જે સામે આવે તેને ગટગટાવી જાય છે, કે પછી વાંચતાં જ નથી. વિશ્વ પુસ્તક દિન આપણને આપણા એક ખોવાયેલા, ભુલાયેલા, ક્યાંક મુકાઈ ગયેલા શાંત ઉમદા મિત્રની યાદ આપે છે. પુસ્તક આપણો સૌથી ટકાઉ, સૌથી વિશ્વાસુ મિત્ર છે અને શ્રેષ્ઠ માર્ગદર્શક પણ છે. હંમેશાં સાથ આપે છે, આનંદ આપે છે, ધૈર્ય શીખવે છે અને સાચો માર્ગ બતાવે છે. તે તમને તમરી ખુરશી પર જ વિશ્વભરની સહેલ કરાવે છે.

જીવન જો આરાધ્ય દેવ હોય તો કોઠે કોઠે દીવા પ્રગટાવી તેની પૂજા કરતાં આપણને પુસ્તક શીખવે છે. દરેક માણસમાં વિચારવાની ક્ષમતા જરૂર છે પણ દરેક માણસ વિચાર કરે છે તેવું હોતું નથી. આપણામાંના મોટાભાગનામાં સ્વતંત્ર વિચારશક્તિનો સારો એવો અભાવ હોય છે. ઘણીવાર એ અભાવનો આપણને ખ્યાલ પણ આવતો નથી અને અમૂલ્ય જીવન ગાડરિયા પ્રવાહમાં વહ્યે જાય છે. બીજી તરફ ન વિચારવાનું વિચારી વિચારીને આપણે એટલા થાકી જઈએ છીએ કે ક્યારેક સકાયાટ્રિસ્ટનાં બારણાં ખખડાવવાની નોબત આવે છે. વાંચનની ટેવ વિચારોને ખીલવવામાં, કેળવવામાં ઘણી મદદરૂપ થાય છે. એવું નથી કે જે ન વાંચે તે વિચારી ન શકે, પણ એવા લોકો બહુ ઓછા હોય છે.

લેખન એક પવિત્ર જવાબદારી છે. લેખકની નજર અર્જુનની જેમ પોતાની કૃતિને સર્વાંગસંપૂર્ણ અને અર્થપૂર્ણ બનાવવા પર એકાગ્ર હોવી જોઈએ, નહીં કે વાચકોની વાહવાહ કે ઈનામ-ઍવોર્ડ પર. સર્જનમાં તાકાત હોય તો તે ટકે જ છે. પંખી ચણ શોધી કાઢે તેમ શોખીનો સારું વાંચન શોધી લે જ છે. અસ્તિત્વમાં ખળભળાટ ન જગાડે તેવા પુસ્તકની કિંમત તેણે અભેરાઈ પર રોકેલી જગા જેટલી પણ હોતી નથી.

જે વાંચે છે, તે મૃત્યુ પહેલા હજારો જિંદગી જીવે છે. જે નથી વાંચતો, તે તેની એક જિંદગી પણ પૂરી નથી જીવતો. પણ શું વાંચવું ને કેવી રીતે વાંચવું તે પણ એક કૌશલ માંગી લે છે. બધા વાંચે છે તે જ પુસ્તકો વાંચશો તો બધા વિચારે છે તેવું જ વિચારશો. નવા વિચારો જોઈતા હશે તો મહેનત કરવી પડશે, શોધવું પડશે. સુરેશ દલાલ કહેતા કે જેટલું છપાય છે તે બધું જ વાંચવા બેસીએ તો આંધળા થઈ જઈએ. પોલો કોએલો કહે છે કે અમુક બારણાં બંધ કરતાં શીખો – અભિમાન, ઉપેક્ષા, અણઆવડત કે આક્રમકતાના કારણથી નહીં, એટલા માટે કે તે તમને ક્યાં ય નથી લઈ જતાં. આ વાત પુસ્તકો માટે પણ સાચી છે. વાંચન માટે પણ કક્ષા અને કેળવણી જોઈએ. પુસ્તકોના ઢગ વચ્ચેથી પોતાને ઉપયોગી, આનંદદાયક અને પ્રેરક પુસ્તક શોધી કાઢવું એ એક કળા છે. તે શોધ્યા પછી તેને વાંચવું એ પછી જુદી કળા છે. પુસ્તકપ્રેમી માટે વાંચન અઢળક અને સમય ઓછો તેવી કાયમની સ્થિતિ હોય છે તેથી ઝડપથી વાંચવાનું પ્રયત્નપૂર્વક પણ શીખી જવા જેવું છે. ઝડપથી વાંચવું અને ગબડાવવું તેમાં પાછો ફેર છે. યોગ્ય મુદ્દા પર અટકતા પણ આવડવું જોઈએ અને વાંચ્યા પછી શું ભૂલી જવું તે પણ સમજાવું જોઈએ. નહીં તો પછી રમેશ પારેખની પેલી પંક્તિ જેવું થાય : એક પુસ્તકમાં છે, એક મસ્તકમાં છે, અંધારું એમ બે વાર છે દોસ્તો’

જેમ્સ ફ્લેચર કહે છે, ‘કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પત્ર બનાવવાનું છે.’ પુસ્તકો સજાવટ માટે નથી બન્યાં, પણ પુસ્તકો ભરેલી છાજલીથી વધુ આકર્ષક સજાવટ બીજી કોઈ હોતી નથી. સાચું જ છે કે ‘બુક્સ આર ધ એરોપ્લેન એન્ડ ટ્રેન એન્ડ ધ રોડ. ધે આર ધ ડેસ્ટિનેશન એન્ડ ધ જર્ની. ધે આર હોમ.

સારું પુસ્તક તમને અહેસાસ કરાવે છે કે તમે માનો છો તે કરતાં તમે વધુ બુદ્ધિમાન, બહાદુર અને શક્તિશાળી છો. કોઈએ કહ્યું છે, ‘સુખ એટલે ખુલ્લી બારી, કૉફીનો કપ અને એક પુસ્તક.’ આવું સુખ આપણને સૌને મળો.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 એપ્રિલ  2024

Loading

...102030...517518519520...530540550...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved