Opinion Magazine
Number of visits: 9665052
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત વિદ્વતા અને અધ્યયનશીલતાનો નક્કર પુરાવો એટલે શૈલજા પાઈક

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 October 2024

ચંદુ મહેરિયા

“મૈકઆર્થર ફાઉન્ડેશને મારી ઘણાં વરસોની મહેનત અને મારાં કામની અસરને માન્યતા આપી છે. જ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં દલિત અધ્યયનોએ જે યોગદાન આપ્યું છે અને જેમાં દલિત મહિલા વિદ્વાનના રૂપમાં મારી મહેનત પણ સામેલ છે; તેને મળેલું આ સન્માન છે.”

૨૦૨૪ની મૈકઆર્થર ફાઉન્ડેશનની આઠ લાખ અમેરિકી ડોલર કે પોણા સાત કરોડ રૂપિયાની ‘જીનિયસ ગ્રાન્ટ’થી નવજાયાં ત્યારનો; ઇન્ડો અમેરિકન દલિત મહિલા ઇતિહાસકાર શૈલજા પાઈક્નો, આ તત્કાલ પ્રતિભાવ હતો. મહારાષ્ટ્રના એક નાના ગામના દલિત પરિવારમાં જન્મેલાં, યરવડાની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલાં અને આજે અમેરિકાના ઓહિયો સ્ટેટની સિનસિનાટી યુનિવર્સિટીનાં પ્રાધ્યાપક અને સંશોધક ડો. શૈલજા પાઈકની સફર ભારે દિલચસ્પ અને પ્રેરણાદાયી છે. ૧૯૮૧માં સ્થપાયેલ મૈક આર્થર ફાઉન્ડેશનની આ ‘જીનિયસ ગ્રાન્ટ’ અમેરિકાના ફળદ્રુપ ભેજાંઓને મળે છે. તેમની પંગતમાં પોતાનો પાટલો મંડાવનાર શૈલજા પાઈક પહેલાં દલિત મહિલા છે. ઘરઆંગણે ભારતમાં દલિતોની યોગ્યતા અને ગુણવત્તા સામે સવાલો ઊઠે છે ત્યારે શૈલજા દલિત વિદ્વતા, અધ્યયનશીલતા, ગુણવત્તા અને યોગ્યતાનો નક્કર પુરાવો છે.

પચાસ વરસનાં શૈલજા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના મૂળ વતની છે. પાહેગાંવમાં એમનો જન્મ. ૧૯૯૦માં તેમના કુટુંબે પુણેમાં સ્થળાંતર કર્યું હતું. યરવડાની સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટી તેમનું નવું સરનામું બન્યું. દિવસે મજૂરી કરતા પિતા દેવરામ નાઈટ સ્કૂલમાં ભણીને કૃષિ સ્નાતક થયા હતા. ગામના એ પહેલા ગ્રેજ્યુએટ. શૈલજા સહિતની ચારેય દીકરીઓને ભણાવવાની તેમને ભારે હોંશ. એટલે ઝૂંપડામાં રહીને પણ તેમણે દીકરીઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી. માતા સરિતાએ તેમને જિંદગીની કઠોર વાસ્તવિકતાઓ અને અભાવોથી અળગી કરી અભ્યાસરત રાખી. શૈલજાએ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી ૧૯૯૪માં આર્ટસમાં ગ્રેજ્યુએશન અને ૧૯૯૬માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

શૈલેજા પાઈક

૨૦૦૫માં એમોરી ફેલોશિપ હેઠળ શૈલજા ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયાં અને નવાં જીવનનાં દ્વાર ખૂલ્યાં. ૨૦૦૭માં અમેરિકાની વારવિક યુનિવર્સિટીમાંથી તેમણે પીએચ.ડી. કર્યું. ઘણા તેજસ્વી દલિત યુવાઓની જેમ શૈલજા પણ આઈ.એ.એસ. અધિકારી બનવા માંગતાં હતાં. તે માટે યુ.પી.એસ.સી.ની એકઝામ પણ આપી હતી. પરંતુ પિતાના અવસાનથી કુટુંબની જવાબદારી માથે આવતાં તેમણે અધ્યાપનનો વ્યવસાય સ્વીકારવો પડ્યો. જે આજે તેમને સિદ્ધિઓના ઉચ્ચ શિખરે લઈ ગયો છે. ૨૦૧૦માં શૈલજા સિનસિનાટી યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં તે પહેલાં તેમણે યેલ અને બીજી યુનિવર્સિટીઓમાં પણ ભણાવ્યું અને પચીસેક વરસોથી લેખન-સંશોધન કરી રહ્યાં છે.

શૈલજાને મૈકઆર્થર ફેલોશિપ આપવાનું કારણ, દલિત મહિલાઓના બહુઆયામી અનુભવો પર તેમના ફોક્સથી તેઓ જ્ઞાતિ અને ભેદભાવોનું કાયમીરૂપ અને આભડછેટ ચાલુ રાખવા પાછળની શક્તિઓને સ્પષ્ટ કરે છે તે છે, તેમ ફાઉન્ડેશને જણાવી ઉમેર્યું છે કે શૈલજાએ જ્ઞાતિ, લિંગ અને કામુકતાના આંતરસંબંધો પર ગહન અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન દલિત મહિલાઓના જીવિત અનુભવોમાં અભૂતપૂર્વ અંતદૃષ્ટિ પ્રદાન કરે છે. શૈલજાએ જીવનના શરૂઆતના બે દાયકા મહારાષ્ટ્રના યરવડાની ઝૂંપડપટ્ટીમાં પસાર કર્યાં છે. તેના જાત અનુભવોએ પણ તેમને આ અભ્યાસ માટે પ્રેરિત કર્યાં છે. જાહેર જાજરૂ અને પાણીનો અભાવ તેમનો રોજનો અનુભવ હતો. દાદી સાથે કથિત ઉચ્ચ વર્ણના લોકને ત્યાં જવાનું થયું, ત્યારે ભોંય પર બેસવાનું કે સ્કૂલમાં પટાવાળો દલિત વિદ્યાર્થીઓની કશીક નોંધણી માટે આવ્યો ત્યારે વર્ગમાં બધાની વચ્ચે ઊભા થવાનું અપમાન પણ તેમણે વેઠ્યું છે. કચરો, ગંદકી અને તેમાં રખડતા ભૂંડ તેમના રોજિંદો જીવનનો હિસ્સો હતાં.

“દલિત વુમન્સ એજ્યુકેશન ઈન મોડર્ન ઇન્ડિયા : ડબલ ડિસ્ક્રિમિનેશન” નામક શૈલજાનું પ્રથમ સંશોધન પુસ્તક ૨૦૧૪માં પ્રગટ થયું હતું. દલિતથી અદકી દલિત એવી દલિત મહિલાઓને શિક્ષણ માટે લિંગ (મહિલા હોવાના) અને જ્ઞાતિ(દલિત હોવાના)ના બેવડા ભેદભાવોનો સામનો કરવો પડે છે તેની વાત આ પુસ્તકમાં છે. ઔપચારિક શિક્ષણ સુધીની દલિત મહિલાઓની પહોંચ, તેની પ્રક્રિયા અને અસરો તેમના સંશોધનનો વિષય છે. શિક્ષણે દલિત મહિલાઓના જીવનમાં કેવા ફેરફારો આણ્યા છે કે તે જાદુની લાકડી બન્યું છે તે પણ દર્શાવ્યું છે. શિક્ષણ થકી જ દલિત મહિલાઓનાં જીવનમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક પરિવર્તન આવ્યું છે. શિક્ષણે તેમને કાચા –ઝૂંપડાંના વસવાટની બહાર કાઢ્યા, રોજગારની નવી તકો આપી અને ભવિષ્ય ઉજળું બનાવ્યું છે, તે મહિલાઓના અનુભવો પરથી તારવ્યું છે. મહાત્મા ફુલે અને બાબાસાહેબ આંબેડકરની કલ્પનાનું શિક્ષણ અને ભારતમાં દલિતોને મળતાં વાસ્તવિક શિક્ષણના સ્વરૂપ વચ્ચેના વિરોધાભાસને પણ શૈલજાએ તપાસ્યું છે.

પિતૃસત્તાત્મક સમાજમાં કોઈ દલિત મહિલા ઇતિહાસકાર કાસ્ટ, જેન્ડર અને સેક્સુઆલિટી પર કામ કરે અને તેની વૈશ્વિક લેવલે નોંધ લેવાય તે સિદ્ધિ અસાધારણ છે. ૨૦૨૧માં પ્રગટ શૈલજા પાઈકના બીજા સંશોધનગ્રંથ “ઘ વલ્ગારિટી ઓફ કાસ્ટ : દલિત્સ, સેક્સુઆલિટી એન્ડ હ્યુમેનિટી ઈન મોડર્ન ઇન્ડિયા”માં લિંગ અને કામુકતા સાથે જોડાઈને જ્ઞાતિ કઈ રીતે મહિલા, ખાસ તો દલિત મહિલા સાથે અત્યાચાર કરે છે તેનો અભ્યાસ કર્યો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રના દલિત મહિલા તમાશા કલાકારોને કેન્દ્રમાં રાખ્યા છે. તમાશા એ મહારાષ્ટ્રના દલિતોની એક પારંપરિક કલા છે. જેમાં ગીત અને નૃત્યનો સમાવેશ થાય છે.  તમાશાના દલિત મહિલા કલાકારો જ્ઞાતિહિંસા અને યૌનહિંસા બંનેનો ભોગ બને છે. કથિત ઉચ્ચ વર્ણના લોકો માટે તમાશાના મહિલા કલાકારો જાહેર વેચાણની વસ્તુ જેવા હોય છે. તેઓ તેમને સ્વચ્છંદી અને ઉપભોગની ચીજ માને છે. ૨૦૦૩થી શૈલજા તમાશા કલાકારો વિષે અધ્યયન કરે છે. જ્ઞાતિ વર્ચસ કામુકતામાં કેવી રીતે કામ કરે છે તેનું સૂક્ષ્મ અધ્યયન તેમણે કર્યું છે.

સાતેક કરોડની આ ફેલોશિપ દલિત મહિલા ઇતિહાસકાર તરીકેના શૈલજાના અત્યાર લગીના કામનો પુરસ્કાર છે. ફેલોશિપ હેઠળ તેમણે કોઈ નવું કામ કરવાનું હોતું નથી. મૈકઆર્થર ફેલોશિપથી જ્ઞાતિવિરોધી, રંગભેદવિરોધી અને પિતૃસત્તાવિરોધી કાર્યોને વધુ મજબૂતી મળશે. ફેલોશિપ દ્વારા ભારતીય અમેરિકી દલિત મહિલા રૂપે શૈલજા અમેરિકાના પ્રતિભાશાળી, સર્જનાત્મક લોકોના ગ્રુપનો ભાગ બન્યાં છે. શૈલજા તેમના આગામી અધ્યયનોમાં સમાજશાસ્ત્ર, ધાર્મિક અધ્યયન, ભૂગોળ, મહિલાઓ અને લિંગ આધારિત અધ્યયન જેવા વિષયો પર ચોવીસ આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સહયોગમાં કામ કરવાનાં છે. દલિતો સંબંધી ઐતિહાસિક દસ્તાવેજોનું મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદનું કામ પણ તેમના અધ્યયનનો હિસ્સો છે. આધુનિક ભારતમાં જ્ઞાતિ વર્ચસ અને માનક કામુકતા તેમના ત્રીજા સંશોધન ગ્રંથનો વિષય છે.

શૈલજાને મળેલું મોટી ધનરાશિ સાથેનું સન્માન દલિતો, ખાસ કરીને દલિત મહિલાઓનાં વિચારો, કાર્યો, ઇતિહાસ અને માનવ અધિકારો માટેની લડાઈના વિશાળ યોગદાનનો ઉત્સવ છે. અન્ય મૈકઆર્થર ફેલો સાથે મળીને સામાજિક ન્યાયના વિષય પર કામ કરવાનો તે અવસર પણ બનશે. ભારતમાં દલિતો પ્રત્યે આચરાતા જ્ઞાતિગત ભેદભાવોનું વૈશ્વિકીકરણ કરવાના પ્રયાસોને આ ફેલોશિપ બળ પૂરું પાડશે તેવી પણ આશા જન્મે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

માણસ આજે (૧૨) 

સુમન શાહ|Opinion - Opinion|30 October 2024

ટ્રમ્પ કહે છે કે કમલા હૅરિસ ફાસિસ્ટ છે, મૅન્ટલિ ઇમ્પૅર્ડ છે. 

કમલા હૅરીસ કહે છે કે ટ્રમ્પે એક વાર કહેલું કે ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓને સજા થવી જોઇએ. ટ્રમ્પને હું જાણું છું.

સર્વોત્તમ કહેવાતા લોકશાહી દેશ યુ.ઍસે.ની ચૂંટણીને માત્ર એક અઠવાડિયાની વાર છે. ત્યારે પ્રમુખપદ જેવા ઉચ્ચ પદના ઉમેદવારો એકબીજા માટે શું બોલે છે, એનું ઉપર્યુક્ત દૃષ્ટાન્ત સ્વયંસ્પષ્ટ છે.

શાળામાં વ્યાખ્યા ગોખેલી કે લોકોનું, લોકો વડે ચલાવાતું, અને લોકો માટેનું શાસન તે લોકશાહી. 

પણ ‘લોકશાહી’ શબ્દને ડીકન્સ્ટ્રક્ટ કરીએ તો જણાશે કે ‘લોક’ સાથે ‘શાહી’ શબ્દ જોડાયેલો છે. લોકશાહોની વર્તણૂકો બાદશાહો જેવી જ હોય છે. લોકશાહીય ગણાતાં રાષ્ટ્રોમાં જ ‘કિન્ગ’ અને ‘કિન્ગડમ’ જીવે છે અને એમના જન્મદિવસો, એમની પુણ્યતિથિઓ, રાજાશાહીમાં ઉજવાતાં હતાં એથી ય ભારે એવા ભભકાથી ઉજવાય છે. 

લોકશાહી પૂર્વે રાજાશાહી હતી, સરમુખત્યારશાહી હતી. કેટલાક રાજાઓ પૂર્વાશ્રમમાં લૂંટારા હતા, કેટલાક સરમુખત્યારો હત્યારા હતા, પ્રજાજનોને અપશબ્દો કે ગાળો દેતાં પણ ખચકાતા ન્હૉતા. હવેના લોકશાહોમાં એ વર્તણૂકોનાં તત્ત્વો નથી એમ નથી કહી શકાતું. 

લોકશાહી લોકને રીપ્રેઝન્ટ કરે છે એમ કહેવું અને સાંભળવું સારું લાગે છે, બાકી એ એક સૂક્તિથી વિશેષ કંઈ નથી. કેમ કે, લોકશાહીનો પ્રાણ ગણાય એ મતદાર બુધી હોય કે અબુધ, નો મૅટર, ફર્ક પડે છે, માત્ર મતસંખ્યાથી. અને, એ સંખ્યા ગુરુતમ સાધારણ પદ્ધતિથી મળેલો માત્ર એક આંકડો હોય છે. અને, હાર-જીતના બે આંકડા વચ્ચે નજીવો ફર્ક હોય છે ત્યારે તો એ બે ઉમેદવારમાં લાયક કોણ કે ન-લાયક કોણ એ વિચારવું વ્યર્થ બલકે હાસ્યાસ્પદ ઠરે છે.   

હકીકતે લોકશાહી કેટલી? ચૂંટણી યોજાય ને વસ્તીના અમુક ટકા લોકો મતદાન કરે એટલી.  

જુઓ, વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ પાર્ટીને જેટલા વફાદાર હોય છે, એટલા લોકને નહીં; અને પાર્ટીને, એમનાથી ઉચ્ચ કોઈ દેખાતું નથી. એમના એ જોડાણમાં લોકશાહી અર્પે એ સ્વાતન્ત્ર્ય કેટલું? વાણી વિચાર કે ભિન્ન મત અથવા અસમ્મતિને કેટલો અવકાશ? 

રાષ્ટ્રહિતની બાબતો પાર્લામૅન્ટમાં જાય એ પહેલાં લેવાતા કીચન-કૅબિટ કે ઇન-કૅમેરા નિર્ણયો સમીક્ષાત્મક હોય છે ખરા? એમાં કશાં વસ્તુલક્ષી ધૉરણો હોય છે ખરાં કે પછી સર્વોચ્ચની મરજી કે પસંદગીને ઓકે કરવામાં આવે છે? સર્વોચ્ચને વફાદાર રહેવું એટલે પાર્ટીને અથવા પાર્ટીને વફાદાર રહેવું એટલે સર્વોચ્ચને. પણ પ્રજા પ્રત્યેની વફાદારીનું શું? આમ, પક્ષીય અને પ્રજાકીય હિત સામસામે આવી જાય છે. ક્યારેક ક્યારેક લોકશાહીના સ્વાંગમાં પ્રજાને ઑથોરિટેરિયન સ્ટેટનો અનુભવ મળે છે. એની વર્તમાન ભારત, યુ.ઍસે. અને યુ.કે.-ના બૌદ્ધિકોએ જે તે પ્રસંગે ટીકાટિપ્પણી કરી છે. 

આપણે ડૅમોક્રેટિક ગણાતાં નેટવર્ક્સને પણ ખાસ તપાસવાં જોઈશે, કેમ કે વિશ્વનાં ૫૦% રાષ્ટ્રોમાં લોકશાહીય શાસન છે.

+ +

આજના માણસના વર્તમાનમાં, યુ્દ્ધખોર રાષ્ટ્રો છે અને યુદ્ધને વારવા-નિવારવાનો ખેલ ખેલતાં લોકશાહી રાષ્ટ્રો છે. ટૅક્નોલૉજિકલ પ્રોગ્રેસ અ-પૂર્વ છે, પણ તેથી અસમાનતા વધી છે, એક ગુપ્ત સામ્રાજ્યવાદ વિકસી રહ્યો છે. આજના માણસના વર્તમાનમાં, સ્ટોરી મિથ ટ્રુથ અન્ટ્રુથ પોસ્ટ-ટ્રુથ અને વિઝડમ વચ્ચેના ભેદ લુપ્ત થઈ ગયા છે. આજના માણસની ચોપાસ ગ્રેટ કે લિટલ સંખ્યાબંધ નૅરેટિવ્ઝની કૂદાકૂદ છે, રંજાડ છે. 

વર્તમાનની આ સર્વ વિષમતા શાને કારણે છે એ સમજવાની ઉતાવળ કરવાને બદલે નિરાંતે મને હરારી જેવા ઇતિહાસવિદ પાસે જવું જરૂરી સમજાય છે.

+ +

હરારી માહિતીસંસારના ‘સ્ટોન એજ’-થી ‘સિલિકોન એજ’ લગીના ઇતિહાસની ભૂમિકાએ જણાવે છે કે માણસનું માહિતી સાથેનું જોડાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે, પરન્તુ સાથોસાથ સત્ય, સચ્ચાઇ કે ડહાપણમાં થવો જોઈતો વધારો નથી થયો. 

કહે છે, વાસ્તવિકતાનો સાવ ચૉક્કસ નકશો ઊભો કરવામાં માહિતીનું કેવુંક રૂપ રચી કાઢવું એ આપણને સરસ આવડે છે, પરન્તુ સંખ્યાબંધ લોકોને માહિતી સાથે જોડવાનું પણ સરસ આવડે છે. નાઝી અને સ્તાલીન વિચારસરણીઓએ સામાજિક જાતિઓ અને વર્ગો વિશે ઢગલાબંધ ભ્રાન્ત વિચારો ફેલાવેલા, પરિણામે, લાખ્ખો લોકોને એમની સાથે યન્ત્રવત જોડાવાની, તાલ સે કદમ કરવાની, ફરજ પડી હતી. પરન્તુ, વિવિધ માહિતી-જાળનો ઇતિહાસ તપાસીએ તો, હરારી કહે છે, સમજાશે કે આદિ કાળથી ઇન્ફર્મેશન ટૅક્નોલૉજીઝની અવનવી શોધો થતી આવી છે, પરન્તુ તેથી વિશ્વનું એવું ચિત્ર નથી મળ્યું કે એવું ઘડતર નથી થયું જેને સચ્ચાઇભર્યુ – ટ્રુથફુલ – કહી શકાય. વિશ્વનું એવું જ ઘડતર ઇન્ટરનેટ અને AI -ના પ્રવર્તમાન યુગમાં પણ થઈ રહ્યું છે.

આમ, ઇતિહાસની ભૂમિકાએ રહીને હરારી વર્તમાનને સમજાવી રહ્યા છે, એની નૉંધ લેવી જોઈશે. 

+ +

ટૅક્નોલૉજીઝની એ પુરાકાલીન શોધોમાંની એક તે, વાર્તાઓ. તે વિશે અનેક દાખલા આપીને એમણે સમજાવ્યું છે કે વાર્તાઓ કેવી રીતોથી શોધાઇ હતી અને તે સાથે લોકો કેવા તો જોડાતા ચાલ્યા હતા : 

હરારી પોતાનાં પુસ્તકો “Sapiens” અને “Homo Deus”-માં રજૂ કરેલા એક વિચારને યાદ કરે છે. એ વિચાર એ કે આપણે મનુષ્યો વિશ્વ પર રાજ કરીએ છીએ તે આપણી flexibility-ને કારણે, નહીં કે ડહાપણને કારણે. Flexibility એટલે લવચિકતા, એકબીજા સાથે સરળતાથી જોડાઇને પૂરા સહકારી થઈ જવાની તત્પરતા. 

હરારી જણાવે છે કે આ લવચિકતા ચિમ્પાન્ઝીઓ અને કીડીઓમાં પણ હોય છે, જો કે એ વડે ચિમ્પાન્ઝીઓએ કે કીડીઓએ સામ્રાજ્યો, ધર્મો કે વેપારધંધા માટેનાં નેટવર્કસ ઊભાં નથી કર્યા; પણ આપણે, માણસે, જરૂર કર્યાં છે. ચિમ્પાન્ઝીઓની સંખ્યા પણ ૨૦-૬૦ જેટલી જોવા મળતી હતી, પ્રસંગોપાત્ત વધીને ૧૫૦-૨૦૦ થતી હતી. આપણે તો અતિ મોટી સંખ્યામાં સહકારી થઈ જઈએ છીએ. હરારી જણાવે છે કે કૅથલિક ચર્ચના ૧.૪ બિલિયન સભ્યો છે, સામ્યવાદી વિચારધારા સાથે ૧.૪ બિલિયન ચીનાઓ જોડાયેલા છે, ગ્લોબલ ટ્રેડ નેટવર્ક્સ ૮ બિલિયન મનુષ્યોને પોતાની સાથે જોડે છે, સંડોવે છે. સમજાય એવું છે કે આ નેટવર્ક્સ વ્યક્તિથી વ્યક્તિને નથી જોડતાં, જોડતાં હોત, તો એનું કદ કદી આટલું મોટું ન થયું હોત.

હરારી Neanderthals અને ancient Homo sapiiens માનવ-પ્રજાતિઓનો નિર્દેશ કરીને જણાવે છે કે દરેક કબીલામાં થોડાક ડઝન સંખ્યાની વ્યક્તિઓ હતી, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સહકાર હતો, વળી, કબીલાઓએ એકમેક સાથે કશા સહકાર પણ જવલ્લે જ ઊભા કરેલા. જો કે એકબીજા સાથે સહકાર સાધવાનું અપૂર્વ સામર્થ્ય તો ‘હોમો સૅપિયન્સ’-ના કબીલાઓએ ૭૦ હજાર વર્ષ પૂર્વે દાખવવા માંડેલું અને તેને પરિણામે, કબીલા કબીલા વચ્ચે વેપારધંધાની તેમ જ કલાપરક પરમ્પરાઓની શરૂઆત થઈ હતી, અને ક્રમે ક્રમે વિશ્વભરમાં પ્રસરી હતી. 

હરારી જણાવે છે કે વિભિન્ન કબીલાઓ વચ્ચેનો એ વ્યાપક સહકાર મનુષ્ય-મસ્તિષ્કની સંરચના અને ભાષિક સામર્થ્યમાં થયેલા ઉત્ક્રાન્તિપરક ફેરફારોને આભારી હતો, અને તેથી, માનવજાતિમાં કાલ્પનિક વાર્તાઓ કહેવાની, તેમાં વિશ્વાસ કરવાની અને તેથી દ્રવીભૂત થવાની ક્ષમતા વિકસી હતી. માનવ માનવ વચ્ચે કડી રચાય એવાં નેટવર્ક્સને સ્થાને માનવ અને વાર્તાઓ વચ્ચે કડી રચાય એવાં નેટવર્ક્સ શરૂ થયાં હતાં. 

પરિણામ એ આવ્યું કે એકબીજાને જાણવા-ઓળખવાની જરૂરત ન રહી; તેઓ બસ, એ વાર્તા જાણી લે, એ પર્યાપ્ત મનાવા લાગ્યું. એ-ની-એ વાર્તા કરોડો લોકો જાણી શકે એવી થવા લાગી. એટલે, વાર્તા જ કેન્દ્રસ્થ કડી બની રહી – સૅન્ટ્રલ કનેક્ટર. એના એટલા બધા આઉટલેટ્સ થયા કે અમર્યાદિત સંખ્યામાં લોકો તે સાથે પ્લગ-ઇન થઈ શકે. હરારી કહે છે, દાખલા તરીકે, “બાઇબલ”-થી જોડાયેલા કૅથલિક ચર્ચના ૧.૪ બિલિયન સભ્યો છે, સામ્યવાદી વિચારધારાની વાર્તાઓથી જોડાયેલા ૧.૪ બિલિયન ચીનાઓ છે, અને ગ્લોબલ ટ્રેડ નેટવર્ક સાથે સંકળાયેલા ૮ બિલિયન સભ્યો છે. તેઓ ચલણી નાણું, કૉર્પોરેશન્સ, અને બ્રાન્ડ્સ કે બ્રાન્ડ નેમ્સ્-ની વાર્તાઓ સાથે જોડાયેલા છે. 

હરારીએ સ્પષ્ટતા નથી કરી પણ મને લાગે છે કે તેમને મન ‘કાલ્પનિક વાર્તાઓ’-નો અર્થ શુદ્ધ સાહિત્યિક કથાઓ તો નથી જ, પણ એવી વાતો છે જે રે-લોલની જેમ ઝિલાયા કરતી હોય છે અને સમાચારની જેમ ગતાનુગતિક રીતે વિકસ્યા કરતી હોય છે. એ જ રીતે, એમણે ‘વિશ્વાસ’-નો અર્થ પણ ‘ભોળો ભરોસો’ કર્યો લાગે છે, નહીં કે ‘શ્રદ્ધા’. કેમ કે, ધર્મ તો શ્રદ્ધાનો વિષય છે, જેની ચર્ચામાં મહદંશે આધ્યાત્મિક દૃષ્ટિ અને સૂઝબૂઝની જરૂરત પડતી હોય છે. ત્રીજું, પ્રજાઓને સામ્યવાદી વિચારસરણીમાં વિશ્વાસ પડે છે, એમ લોકશાહીમાં ય પડે છે. વળી, એના અનુસરણમાં પણ વાર્તાઓની નિર્ણાયક ભૂમિકા હોય છે, તે વિશે હરારીનું શું મન્તવ્ય છે તે યથાસમયે જોઈશું.

= = =

(29Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બુઘો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|30 October 2024

બુઘોએ ચાર-પાંચ વ્યક્તિને અમુલખ શેઠનું સરનામું પૂછ્યું, બધાએ ના પાડી કે તે ઓળખતા નથી. બુઘો વિચારમાં પડી ગ્યો, સાલું, આ તે કેવું, સુખપર ગામમાં તો નાનું છોકરું પણ શેઠને ઓળખતું હતું. આમ વિચારતો હતો, ત્યાં એક ભાઈએ પૂછ્યું, “તમે સુખપર ગામ વાળા અમુલખ શેઠની વાત કરો છો?”

“હા, ભાઈ હું સુખપર વાળા અમુલખ શેઠની વાત કરું છું. તમે મને શેઠશ્રીનું ઘર બતાવશો?”

“હા, ચાલો. મેં જોયું છે.”

“જો સામે રહ્યું એ અમુલખ શેઠનું ઘર છે પણ શેઠ તો આઉટ હાઉસમાં રહે છે.” બુઘો મુંઝાણો, શેઠ આવડો મોટો બંગલો છોડી આઉટ હાઉસમાં કેમ રહેતા હશે? ઠીક છે મોટા માણસની આપણને ખબર ન પડે. બુધાએ આઉટ હાઉસ પહોંચી, બહારથી અવાજ દીઘો, “અમુલખ શેઠશ્રી છે?”

“હા, ભાઈ કોણ છે?”

“હું, સુખપર ગામવાળો, બુધો.” અમુલખ શેઠ, સુખપર ગામનું નામ સાંભળી ઊભા થયા અને આવકાર આપ્યો, “આવો ભાઈ.” બુઘો વિચારમાં પડ્યો. શેઠની ઉંમર છે એ કરતાં વધી ગઈ લાગે છે, જરૂર કંઈક ગડબડ છે.

“શેઠશ્રી, એક સવાલ પૂછવાનું મન થાય છે, પૂછું?”

“હા, પૂછ.”

”શેઠશ્રી, આવડો મોટો બંગલો છોડીને તમે આ આઉટ હાઉસમાં કેમ રહો છો?”

“બુધા, તને ખબર છે કે સુખપર ગામમાં મારો ધીકતો ધંધો હતો. એક દિવસ મને કમત સુજી અને મેં ગામની પેઢી, ધંધો સંકેલી આ શહેરમાં આવ્યો, અહીં પણ મેં ખૂબ કમાણી કરી હતી. પણ એક નબળી પળે મને શેર બજારમાં ઝંપલાવાનું મન થયું. મને શેર બજારમાં ઝાઝી ખબર નહોતી પડતી પણ મિત્રો અને સલાહ સૂચન વાળાના ભરોસે મેં ઝંપલાવ્યું. શેર બજારના ધંધામાં બહુ મોટી ખોટ ગઈ અને મેળવ્યું હતું તે કરતાં પણ વધુ ખોઈ બેઠો. મેં, બંગલો વેચી લેણિયાતનું બધું લેણું તો ચૂકવી દીધું પણ મારે જેની પાસેથી લેવાના હતા એ બધાએ હાથ ઊંચા કરી દીધા, કે સંબંધો કાપી નાખ્યા.”

“પણ બુધા તું શું કામે આવ્યો છે?” બુઘો તો શેઠની વાત સાંભળી હતપ્રદ થઈ ગયો હતો. વિચારમાં પડી ગયો હતો કે સારા માણસો સાથે જ કેમ આવું બનતું હશે? શેઠે ફરી પૂછ્યું, “બુધા શું થયું તને? ક્યાં ખોવાઈ ગયો?” પણ બુધો ભૂતકાળમાં સરી પડ્યો હતો.

વાત, જાણે એમ હતી કે જ્યારે અમુલખ શેઠનો સુખપરમાં ધીકતો ધંધો હતો ત્યારે બુઘો શેઠને ત્યાં છૂટક મજૂરી કામ કરતો હતો. શેઠ માણસ પારખું હતા. તેણે જોયું કે બુધાને જો આર્થિક મદદ મળે તો તે નામ કમાય એવો છે. એક દિવસ શેઠે બુધાને બોલાવ્યો, “લે બુધા, આ પચાસ હજાર રૂપિયા, તું નાના પાયે ધંધો શરૂ કર.” “પણ શેઠશ્રી, મારી પાસે જામીનગીરીમાં આપવાનું કાઈ નથી.” “તારે કશું લખાણ કે જામીનગીરી આપવાની જરૂર નથી, બસ તું ધંધો શરૂ કર.” બુધાએ નાના પાયે શરૂ કરેલ ધંધામાંથી આજે તે નાની તેલની મિલનો માલિક થઈ ગયો હતો. આજે એ અમુલખ શેઠનું ઋણ ચૂકવવા માટે સુખપરથી શહેરમાં શેઠશ્રી પાસે આવ્યો હતો.

બુઘો ઘરેથી નિકળ્યો ત્યારે બે લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. એક લાખ રૂપિયા શેઠને દેવા માટે. શેઠે તો પચાસ હજાર રૂપિયા આપ્યા હતા પણ બુધાએ વિચાર્યું, કે શેઠની મદદથી આજે હું સુખી છું, તો બમણા તો આપવા પડે. શેઠની વાત સાંભળી એણે જે એક લાખ રૂપિયા ખરીદી કરવા વધારે લીધા હતા તે પણ શેઠને આપી દેવાનું નકકી કરી થેલી શેઠના ચરણે ધરી. અમુલખ શેઠે પૂછ્યું, “બુધા, શું છે આ થેલીમાં?”

“શેઠશ્રી, તેમાં રૂપિયા છે.”

“રૂપિયા? કેમ અને શા માટે? મને શું કામ આપવાના છે તારે?”

“કેમ, ભૂલી ગયા, શેઠશ્રી? તમે મને જે રૂપિયા આલ્યા હતા તે.”

“કેટલા છે?”

“બે લાખ.”

“પણ મેં તો તને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને તે તારે ક્યાં પાછા આપવાના હતા.”

“શેઠશ્રી, એ વાત હું કંઈ ના સમજુ, હું રહ્યો અભણ, મને ક્યાં કાંઈ ગણતરી કરતા આવડે છે એટલે આટલા રૂપિયા લાવ્યો છું. બાકી મને કાઈ ખબર ન પડે.”

અમુલખ શેઠે સજળ નયને બુધા સામે જોયું, બુધાની આંખમાં પણ ઝળઝળિયાં હતાં. એણે ભારે અવાજે કહ્યું, “શેઠશ્રી, હું તો બવ નાનો માણસ છું તમને સલાહ તો શું આપું પણ તમે મારો હાથ પકડીને બહાર કાઢ્યો, એમ હું તમારો હાથ તો ન પકડી શકું. શેઠશ્રી તમારી સામે, તમારી આભા સામે, પ્રતિભા સામે મારી કોઈ હેસિયત નથી. પણ મારી આ નાનકડી વાત સ્વીકારો એવી મારી ભાવના છે.”

“બુધા, હું તારી વાત સમજી ગયો. તે નાની વાત કરીને મને ઘણો મોટો સંદેશ આપ્યો છે. તે મારી ચેતનાને જગાડી દીધી છે. બુધા, આજે મને સમજાઈ ગયું કે કરેલું કર્મ ક્યારે ય નિષ્ફળ જતું નથી. એ કોઈને કોઈ સ્વરૂપે પાછું મળે જ છે, જે આજે મને તારા સ્વરૂપમાં પાછું મળ્યું. તારું નામ બુઘો નહીં બુદ્ધિધન હોવું જોઈએ. હું તને આજથી બુઘો નહીં પણ બુદ્ધિધન કહીશ.”

બુધો પણ મનોમન ખુશ થઈ ગયો કે આવડા મોટા શેઠે મારી નાની એવી વાત સ્વિકારી લીધી.

અમુલખ શેઠ મનોમન વિચારતા હતા, ‘હે! પ્રભુ તારી મદદ કરવાની પદ્ધતિ પણ તારી જેવી જ અલગારી છે. તું તારા ભક્તને ક્યારે ક્યાં સ્વરૂપમાં મદદે આવી જાય, એ તારી સિવાય કોઈ ના જાણી શકે!’

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...506507508509...520530540...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved