Opinion Magazine
Number of visits: 9456927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (10)

દીપક મહેતા|Opinion - Opinion|16 July 2024

૧૦

ગુજરાત બહાર ફાર્બસ રાસમાળાના લેખક તરીકે વધુ જાણીતા થયા છે, પણ રાસમાળા એ તેમનું પહેલું પુસ્તક નહોતું. તેમનું પહેલું પુસ્તક હતું દલપતરામના ભૂત નિબંધનો અંગ્રેજી અનુવાદ. (આ પુસ્તકના મુખપૃષ્ઠ પર મૂળ લેખકનું નામ ‘Dalpatram Daya’ એમ છાપ્યું છે તે જોઈ થોડી નવાઈ લાગે. કારણ ગુજરાતી રીતરિવાજથી ફાર્બસ સારી પેઠે પરિચિત હતા, અને એટલે દલપતરામના પિતાના નામ પછી ‘ભાઈ’ ન ઉમેરે તે નવાઈ કહેવાય. મૂળ ગુજરાતી ભૂત નિબંધ ૧૮૫૦માં પ્રગટ થયો હતો. (પહેલી આવૃત્તિની નકલ જોવા મળી નથી.) ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના થઇ ત્યારે તેના જે ઉદ્દેશો જાહેર કરવામાં આવ્યા હતા તેમાંનો એક ઉદ્દેશ ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાનો હતો. મુંબઈમાં કેપ્ટન જર્વિસના વડપણ હેઠળ ચાલતી નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક્સ સોસાયટી પણ ગુજરાતી, મરાઠી, વગેરે ભાષાઓમાં પાઠ્ય પુસ્તકો પ્રગટ કરતી હતી. આ માટે તે જાહેરાત આપીને હસ્તપ્રતો મગાવતી હતી અને તેમાંથી જે છાપવા લાયક જણાય તેને ‘ઇનામ’ આપતી હતી. (આમ કરવા પાછળનો હેતુ કદાચ સ્થાનિક પરંપરા સાથે અનુસંધાન જાળવવાનો હતો.) આ પદ્ધતિને અનુસરીને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’એ પણ પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. ૧૮૪૯ના જૂન મહિનાની તેરમી તારીખે મળેલી સોસાયટીની બેઠકમાં ‘ભૂતપ્રેતનો વહેમ મનમાં પેસે છે તે શું હશે અને તેને કાઢવાને વાસ્તે શા શા ઉપાય કરે છે તે વિશેનો નિબંધ રચાવવાને’ તથા આવેલા નિબંધોમાંથી જે સૌથી સરસ લાગે તેને રૂ. ૧૫૦નું ‘ઇનામ’ આપવાનું ઠરાવાયું હતું. નિબંધો મોકલવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, એટલે કે ૧૮૪૯ના ડિસેમ્બરના અંત સુધીમાં નિબંધ મોકલવાના હતા. આ જાહેરાત થઇ ત્યારે દલપતરામ ફાર્બસને ત્યાં નોકરી કરતા હતા. એક દિવસ ફાર્બસે તેમને પૂછ્યું કે તમે આ નિબંધ હરીફાઈમાં ભાગ લેવાના છો કે નહિ? ત્યારે દલપતરામે જવાબ આપ્યો કે ઇનામની રકમ બહુ ઓછી છે એટલે નિબંધ લખવાની મહેનત કરવાનું મન થતું નથી. આ સાંભળીને ફાર્બસે કહ્યું કે ઇનામ મેળવવા ખાતર નહિ, પણ ગુજરાતના લોકોને વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા પણ તમારે આ નિબંધ લખવો જોઈએ. એટલે પછી દલપતરામે ભૂત નિબંધ લખીને હરીફાઈમાં મોકલ્યો અને તે પસંદ થયો તથા તેને ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ મળ્યું. ફાર્બસ આ નિબંધથી સારા એવા પ્રભાવિત થયા હતા. સોસાયટીના બીજા વર્ષના અહેવાલમાં આ શબ્દો જોવા મળે છે જે મોટે ભાગે ફાર્બસે જ લખ્યા હતા. 

દલપતરામના ‘ભૂત નિબંધના ફાર્બસે કરેલા અનુવાદનું મુખપૃષ્ઠ

“પહેલી જ કૃતિ ભૂત નિબંધની સારી એવી પ્રશંસા થઇ છે. તેની ભાષામાં શુદ્ધિ અને જોમ રહેલાં છે એટલા ખાતર જ નહિ. પણ તેમાં દર્શાવાયેલા સ્વતંત્ર મત અને વિચારો તથા પૂર્વગ્રહોના વિરોધને કારણે પણ તે પ્રશંસ્ય બન્યો છે. દેશમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા મથનારાઓમાં આ ગુણો આજે બહુ ઓછામાં જોવા મળે છે, અને તેથી વધુ મૂલ્યવાન બની રહે છે.”૧૮  

ફાર્બસને આ નિબંધ એટલો ગમી ગયો હતો કે તેમણે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાયેલા એ પુસ્તકની પ્રસ્તાવનામાં ‘દેશી’ ભાષાઓને પ્રોત્સાહન આપવાની જોરદાર હિમાયત ફાર્બસ કરે છે. તેઓ કહે છે : 

હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષાનો બને તેટલો વ્યાપક પ્રસાર થાય તે ઇચ્છનીય છે જ, પણ એનો અર્થ એવો નથી કે ‘દેશી’ ભાષાઓના વિકાસ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવવું જોઈએ. હકીકતમાં આનાથી ઊલટું જ બનતું જોવા મળે છે. આ માટેની સર્વસામાન્ય દલીલો જવા દઈએ. પણ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓનો અનુભવ પણ એ જ વાતની સાબિતી આપે છે કે અંગ્રેજી અને ‘દેશી’ ભાષાના સાહિત્યનો અભ્યાસ, બંને સાથોસાથ ચાલવા જોઈએ.૧૯    

હિન્દુસ્તાનના, અને ખાસ કરીને ગુજરાતના લોકોના મનમાંથી ભૂતપ્રેત અંગેની માન્યતાઓ દૂર કરવા ફાર્બસ આતુર છે, પણ આવી માન્યતાઓ ધરાવવા માટે તેઓ ‘દેશી’ લોકોની ટીકા કરતા નથી. કારણ તેમના પોતાના દેશમાં નજીકના ભૂતકાળમાં આ અંગે જે સ્થિતિ હતી તેનાથી તેઓ પૂરેપૂરા વાકેફ છે. તેઓ કહે છે :

જેને વિષે આ નિબંધમાં લખવામાં આવ્યું છે તેવા વહેમની વાતોનો અને તેનાં પરિણામોનો આપણને ગ્રેટ બ્રિટનમાં પણ નજીકના ભૂતકાળમાં અનુભવ ક્યાં નહોતો થયો? આજથી સોએક વર્ષ પહેલાંના સ્કોટિશ લોકો અંગેના આંકડાકીય અહેવાલ પરથી જાણવા મળે છે કે એ લોકો ભૂતપ્રેત, ડાકણ, પરીઓ વગેરેમાં દૃઢપણે માનતા હતા.૨૦   

ભૂત નિબંધના લેખક દલપતરામ વિષે ફાર્બસે લખ્યું છે :

તેઓ સ્થાનિક સાહિત્યના, પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે ‘દેશી’ ભાષાઓમાં લખાયેલું હોય, ઉત્સાહી અભ્યાસી છે. તેમની બુદ્ધિ પરિપક્વ છે અને તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણ શક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ  છે, અને તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.૨૧  

અહીં એ હકીકત પણ નોંધવી જોઈએ કે ફાર્બસે કરેલો ભૂત નિબંધનો આ અનુવાદ એ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ છે.   

ડબ્લિન યુનિવર્સિટી મેગેઝીન : લિટરરી એન્ડ પોલિટીકલ જર્નલે તેના (પુસ્તક ૩૭) જાન્યુઆરીથી જૂન ૧૮૫૧ના અંકમાં ભૂત નિબંધના અનુવાદનું અવલોકન પ્રગટ કર્યું હતું. અલબત્ત, આ અવલોકન તેણે હિન્દુસ્તાનના કોઈક સામયિકમાંથી પુનર્મુદ્રિત કર્યું હતું. એ સામયિકનું કે અવલોકન લખનારનું નામ આ જર્નલમાં આપ્યું નથી. 

આ પુસ્તક અંગે અવલોકનકાર લખે છે :

“ગુજરાતના હિંદુઓમાં પ્રચલિત એવા ભૂતપ્રેત અંગેના ખ્યાલો અને વહેમોની વિચિત્ર વિગતો અહીં આપવામાં આવી છે. જેમને માત્ર ઉપરછલ્લી બાબતોમાં જ રસ છે, અથવા જેઓ માત્ર મનોરંજન માટે જ વાંચે છે તેમને આ વાતો મામૂલી લાગે તેમ બને. પણ જે વિચારશીલ વાચકો છે તે તો આ વાતોનું મહત્ત્વ સ્વીકાર્યા વગર રહેશે નહિ. માણસ જાત સામે જે કેટલીક અસ્પષ્ટ છતાં ખૂબ મહત્ત્વની સમસ્યાઓ રહેલી છે તેમાંની એક ભૂતપ્રેત અંગેની સમસ્યા છે. એટલે એ અંગે જેટલી પણ વધારે વિગતો મળે તે આ સમસ્યા અંગેની આપણી જાણકારીમાં વધારો કરી શકે તેમ છે.”૨૨ 

આ પુસ્તક વાંચવાથી કોને કોને ફાયદો થાય તેમ છે તે જણાવ્યા પછી અવલોકનકાર કહે છે : 

“ભૂત નિબંધના પ્રકાશનથી આ વિષય અંગેની ઘણી બધી ભરોસાપાત્ર વિગતો આપણને મળી છે. સત્યની ખોજમાં આ વિગતો ઉપયોગી થાય તેવી છે. અને તેથી આ પુસ્તક વાચવા જેવું બની રહે છે.૨૩ 

ભૂત નિબંધના આ અંગ્રેજી અનુવાદમાં લખાણની વચ્ચે વચ્ચે કેટલીક આકૃતિઓ મૂકી છે. (આ સાથે તેમાંથી બે નમૂના આપ્યા છે.) મૂળ ગુજરાતી પુસ્તકની પહેલી આવૃત્તિમાં પણ તે હોવી જોઈએ. પણ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’એ મધુસૂદન પારેખ સંપાદિત ‘દલપત ગ્રંથાવાલી’ના પાંચમા ભાગમાં ભૂત નિબંધ છાપ્યો છે તેમાં બધી આકૃતિઓ કાઢી નાખી છે. આમ કરવા પાછળનું કારણ તો સંપાદક કે પ્રકાશક જ જાણે. 

ભૂત નિબંધના અંગ્રેજી અનુવાદમાં લખાણની વચ્ચે મૂકેલી આકૃતિઓમાંની બે

અહીં ભૂત નિબંધ અંગેની બીજી એક-બે વાત પણ નોંધી લઈએ. પહેલી તો એ કે તેના નામમાં ભલે ‘નિબંધ’ હોય, આ કૃતિ તે કોઈ રીતે આજે આપણે જેને નિબંધ કહીએ છીએ તે પ્રકારની નથી જ નથી. તે વખતે હજી હાથે લખેલી પોથીઓ પ્રચારમાં હતી. એટલે જો ‘હસ્તપ્રત’ મગાવવામાં આવે તો કેટલાકના મનમાં ગેરસમજ થવાની શક્યતા હતી. આથી મુંબઈમાં જ્યારે કેપ્ટન જર્વિસે છાપવા માટે પાઠ્ય પુસ્તકો મગાવવાનું શરૂ કર્યું ત્યારે ‘હસ્તપ્રત’ શબ્દ ન વાપરતાં ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપર્યા. પણ તેમને અભિપ્રેત તો પુસ્તકની ‘હસ્તપ્રત’ જ હતી. મુંબઈની રીતને અનુસરીને અમદાવાદની સોસાયટીએ પણ જ્યારે લખાણ મગાવવાનું શરૂ કર્યું ત્યારે તેને માટે ‘હસ્તપ્રત’ શબ્દ ન વાપરતાં ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું. આથી જ તો અમદાવાદની સોસાયટીની જુદી જુદી હરીફાઈઓ માટે લખાયેલા ‘નિબંધો’માં પદ્યમાં લખાયેલી કૃતિઓ પણ જોવા મળે છે, તો ‘કડવા કણબી વિષે નિબંધ’ ગદ્ય અને પદ્ય, બંનેમાં લખાયેલો છે. એટલે ભૂત નિબંધ હકીકતમાં કથાપ્રધાન ગદ્ય લખાણ છે, નિબંધ નહિ. 

બીજી વાત એ નોંધવી જોઈએ કે કવિ નાનાલાલે ‘કવીશ્વર દલપતરામ’માં એવી છાપ ઊભી કરી કે ‘ભૂત નિબંધ’ એ અર્વાચીન ગુજરાતી ગદ્યની પુસ્તક રૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. નાનાલાલ કહે છે : “ભૂત નિબંધ એટલે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની ગ્રંથ પ્રકાશન માળાનો પ્રથમ મણકો. અર્વાચીન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ, લોક પ્રસિદ્ધિ પામેલો દલપતરામનો પહેલો સાહિત્યવિજય … અર્વાચીન ગુજરાતીનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ તે ઇસવી સન ૧૮૪૯માં લખાયેલો દલપતરામનો ભૂત નિબંધ.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, પૂર્વાર્ધ, પા. ૩૧-૩૨. બીજી આવૃત્તિ, ૨૦૦૦) આપણા ભાષા-સાહિત્યના ઇતિહાસ કે વિવેચન લખનારાઓમાંથી કેટલાકે કવિ નાનાલાલની આ વાત ઝાઝી પડપૂછ કર્યા વગર સ્વીકારી લીધી છે અને દલપતરામને અર્વાચીન ગુજરાતી ગદ્યના પ્રારંભકનું માન આપી દીધું છે. પણ હકીકતમાં આ વાત સાચી નથી. ગુજરાતી ગદ્યમાં છપાયેલી કૃતિઓ દલપતરામના જન્મ પહેલાંથી, છેક ૧૮૧૫થી જોવા મળે છે. ભૂત નિબંધમાં જે વાતો છે તેમાંની ઘણી આજે કાલગ્રસ્ત થઇ ચૂકી છે. આજે આ કૃતિ મુખ્યત્વે ઐતિહાસિક મહત્ત્વ જ ધરાવે છે – તેના લેખક અને પ્રકાશક, બંનેના પ્રથમ પુસ્તક તરીકે.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (9)

Opinion - Opinion|15 July 2024

૯

ફાર્બસે સ્થાપેલી ‘ગુજરાતી સભા’ની કાર્યવાહક સમિતિની બેઠક ઘેરા શોકના વાતાવરણમાં ૧૮૬૫ના ઓક્ટોબરની નવમી તારીખે મળી હતી. શોક ઠરાવ પસાર થયા પછી બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેન્રી ન્યૂટન, આઈ.સી.એસ.ની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી થઇ હતી. ત્યાર બાદ અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજીએ ઠરાવ રજૂ કર્યો હતો કે ફાર્બસસાહેબની સ્મૃતિને કાયમ માટે જાળવી રાખવાના હેતુથી હવે પછી આ સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવું. ડો. ધીરજરામ દલપતરામે આ ઠરાવને ટેકો આપ્યા પછી તે સર્વાનુમતે પસાર થયો હતો. અને તે દિવસથી એ સંસ્થા ‘ફાર્બસ ગુજરાતી સભા’ બની હતી. 

૯ ઓક્ટોબર ૧૮૬૫ના રોજ મળેલી બેઠકની હસ્તલિખિત નોંધ

શેર સટ્ટાને રવાડે ન ચડવા ફાર્બસે દલપતરામને સમજાવ્યા હતા. છતાં દલપતરામે તેમની સલાહ ન માની અને એ રવાડે ચડીને આર્થિક રીતે પાયમાલ થયા. ત્યારે ફાર્બસે એમને બચાવી લીધા હતા. તેની વિગતો આપણે અગાઉ જોઈ છે. ફાર્બસ પોતે શેર બજારથી પૂરેપૂરા દૂર રહ્યા હતા, છતાં એમના અવસાન પછી એમના કુટુંબને માથે મોટું આર્થિક સંકટ આવી પડ્યું. કારણ ફાર્બસે પોતાની બધી જ બચત બોમ્બે બેન્કના શેરોમાં રોકી હતી. પણ કપાસની નિકાસ બંધ થઇ અને શેર બજાર ગગડી ગયું ત્યારે ઘણી બેંકો ફડચામાં ગઈ. તેમાં બોમ્બે બેન્કનો પણ સમાવેશ થતો હતો. આથી રાતોરાત ફાર્બસની બધી મૂડી સાફ થઇ ગઈ હતી. ફાર્બસના અવસાન પછી સ્વદેશ પાછા જવા માટેના પૈસા પણ તેમનાં પત્ની પાસે રહ્યા નહોતા. તેમને મદદરૂપ થવાના આશયથી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ ૨,૫૦૦ રૂપિયામાં ફાર્બસનાં પત્ની પાસેથી ‘રાસમાળા’ના ગુજરાતી અનુવાદના હક્ક ખરીદી લીધા હતા. ફાર્બસે એકઠી કરેલી ઘણી બધી હસ્તપ્રતો પણ આ સંસ્થાએ ખરીદી હતી. પછીથી રણછોડભાઈ ઉદયરામે કરેલો ‘રાસમાળા’નો અનુવાદ આ સભાએ પ્રગટ કર્યો હતો. હસ્તપ્રતોમાંની ઘણીખરી આજ સુધી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાં સંગ્રહાઈ છે.

૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા અને એટલે તેઓ ફાર્બસને સારી રીતે જાણી શક્યા હતા. ફાર્બસના અવસાન પછી દલપતરામે તેમને અંજલિ આપતી એક લેખમાળા લખી હતી જે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઇ હતી. તેમાં ફાર્બસ વિશેની ઘણી નાની-મોટી વાતો દલપતરામે નોંધી છે. દલપતરામ નોંધે છે કે તેમની પાસેથી ફાર્બસે ગુજરાતી શીખવાનું શરૂ કર્યું ત્યારે પહેલાં ગદ્ય નહિ પણ પદ્યથી શરૂઆત કરી હતી. દલપતરામ કવિતા વાંચે, પછી તેના દરેક શબ્દનો અર્થ ફાર્બસ પૂછે અને સમાનાર્થી અંગ્રેજી શબ્દ નોટબૂકમાં નોંધતા જાય. રોજના બે કલાક આ રીતે ફાર્બસ ગુજરાતી શીખતા. દલપતરામ કહે છે કે ફાર્બસને ખ્રિસ્તી ધર્મમાં પૂરી શ્રદ્ધા હતી, પણ તેઓ ધર્માન્તરમાં નહોતા માનતા. વળી દલપતરામ અને ફાર્બસ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધને કારણે વચમાં થોડો વખત એવી અફવા પણ ઉડેલી કે ફાર્બસ ખ્રિસ્તી ધર્મ ત્યાગીને સ્વામિનારાયણ પંથમાં ભળવાના છે. દલપતરામ કહે છે કે ફાર્બસને આ પંથ વિષે જાણવામાં રસ પડ્યો હતો અને આચાર્ય અયોધ્યાપ્રસાદ મહારાજ સાથે તેમને પત્ર વ્યવહાર પણ થયો હતો, પણ તેની પાછળ કેવળ તેમની જિજ્ઞાસા કામ કરી રહી હતી.

ફાર્બસ સુરતમાં હતા ત્યારે એક વખત ત્યાંના નવાબે તેમને અને દલપતરામને એક મિજબાનીમાં આવવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે દલપતરામે તેમાં પોતે નહિ આવે એમ ફાર્બસને કહ્યું. કારણ પૂછતાં દલપતરામે કહ્યું કે આવી મિજબાનીઓમાં નાચ-મુજરા થતા હોય છે અને તે કરનારી સ્ત્રીઓ મોટે ભાગે વેશ્યાઓ હોય છે. ત્યારે ફાર્બસે કહ્યું કે આ વાતની મને ખબર નહોતી એટલે આજ સુધી હું આવી મિજબાનીઓમાં ગયો છું, પણ આજથી હવે નહિ જાઉં. થોડા દિવસ પછી સુરતના નગરશેઠ આત્મારામ ભૂખણ તેમના ઘરના લગ્ન સમારંભનું આમંત્રણ આપવા આવ્યા. ત્યારે ફાર્બસે તેમને મોઢામોઢ પૂછ્યું કે શું ત્યાં નાચ-મુજરા થવાના છે? તો હું નહિ આવું. આત્મારામ ભૂખણે કહ્યું કે અમારા કુટુંબમાં આવા નાચ-મુજરા ન કરવાની પરંપરા છે. આ સાંભળી ફાર્બસે કહ્યું કે તો હું આવીશ.

સુરતથી ફાર્બસની બદલી થઇ ત્યારે દલપતરામ થોડો વખત સુરત રોકાયા હતા. પોતાની કેટલીક બિનજરૂરી ઘરવખરી વેચી નાખવાનું કામ ફાર્બસે દલપતરામને સોંપેલું. નવાબના જમાઈએ આ ઘરવખરી એક હજાર રૂપિયામાં ખરીદી લેવાની તૈયારી બતાવી. દલપતરામે બધી ઘરવખરી તેને આપી દીધી અને ફાર્બસને એ અંગે જણાવ્યું. ત્યારે ફાર્બસે તેમને લખ્યું કે નવાબનો જમાઈ સારી ચાલચલગતનો માણસ નથી એટલે તે કબૂલેલી રકમ આપે એવી આશા રાખવી વ્યર્થ છે. દલપતરામે નવાબના જમાઈને વારંવાર પૈસા ચૂકવવા કહ્યું, પણ તેણે એક પાઈ પણ આપી નહિ. ત્યારે તેની ઉપર ખટલો માંડવાની મંજૂરી દલપતરામે ફાર્બસ પાસે માંગી. ત્યારે ફાર્બસે કહ્યું કે ખટલો માંડવા કરતાં હું એટલા પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. પણ હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ લેજો.

ફાર્બસે સુરત છોડ્યું ત્યારે દલપતરામ સુરતમાં જ રોકાયેલા તેનું કારણ એ હતું કે ત્યારે દલપતરામનાં પત્ની સગર્ભા હતાં. થોડા મહિના પછી ફાર્બસ ઘોઘા ગયા ત્યારે તેમણે દલપતરામને ત્યાં મળવા બોલાવ્યા. એ વખતે સુરત-ઘોઘા વચ્ચે વહાણ ચાલતાં. વહાણ ઘોઘા પહોંચ્યું ત્યારે દલપતરામે જોયું કે ફાર્બસ કાંઠે ઊભા રહી આતુરતાપૂર્વક તેમની રાહ જોઈ રહ્યા હતા. દલપતરામ કહે છે ત્યારે ત્યાં મારો એક મિત્ર મારી રાહ જોઈ રહ્યો હતો, મારો ઉપરી-અધિકારી નહિ. ફાર્બસ અને તેમનાં પત્ની દલપતરામનાં બાળકો પર પણ ખૂબ પ્રેમ રાખતાં. બાળકો પણ તેમને ‘સાહેબકાકા’ અને ‘મઢમકાકી’ કહી બોલાવતાં. એ બંને દલપતરામનાં બાળકોને અવારનવાર ખાવા માટે ફળ અને સૂકો મેવો આપતા.

ફાર્બસે દોરેલું ચિત્ર

એક વાર ફાર્બસ પાટણ ગયા ત્યારે ત્યાંની ઐતિહાસિક ઇમારતો જોવા ગયેલા, અને ત્યારે તેમણે બે ભાટ છોકરાઓને સાથે રાખેલા. વનરાજ ચાવડાની મૂર્તિ જોવા ગયા ત્યારે ફાર્બસ તેનો ફોટો લેવા જતા હતા ત્યારે પેલા છોકરાઓએ કહ્યું કે અહીં ફોટા લેવાની મનાઈ છે. આ સાંભળી તે જ વખતે ફાર્બસે એ મૂર્તિનું રેખાંકન દોરી લીધું હતું. પછીથી તેને આધારે તૈયાર કરેલું ચિત્ર તેમણે રાસમાળાના પહેલા ભાગમાં છાપ્યું છે. આ મુલાકાત દરમ્યાન ફાર્બસને એક ભાટનો મેળાપ થયો. તેની પાસે ઘણી જૂની હસ્તપ્રતો હતી. ફાર્બસ એ વખતે ‘રત્નમાળા’ નામની કૃતિની હસ્તપ્રતની શોધમાં હતા. પેલા ભાટ પાસે એ હસ્તપ્રત હતી. પણ તેણે કહ્યું કે અગાઉ મેં ગાયકવાડને એક હસ્તપ્રત આપેલી ત્યારે તેમણે તેના બદલામાં મને એક ગામ બક્ષિસમાં આપેલું. મેં સાંભળ્યું છે કે આપ તો ગાયકવાડ કરતાં પણ મોટા રાજવી છો. તો હું આ હસ્તપ્રત આપું તો એના બદલામાં આપ મને શું આપશો? ત્યારે ફાર્બસે કહ્યું કે જો મારી પાસે ગાયકવાડ કરતાં વધુ સત્તા અને સમૃદ્ધિ હોય તો હું સરકારની નોકરી શા માટે કરું? આ સાંભળી પેલા ભાટે પોતાની પાસેની હસ્તપ્રત બતાવવાની પણ ના પાડી દીધી. આવે વખતે ફાર્બસ સરકારી અફસર તરીકેનો રૂઆબ ક્યારે ય ન બતાવતા.

ફાર્બસ જ્યારે અમદાવાદના અસિસ્ટન્ટ કલેકટર હતા ત્યારે વિરમગામના કેટલાક વેપારીઓ એક ફરિયાદ લઈને આવ્યા. તેમનું કહેવું હતું કે ગામની પાસે એક તળાવ હતું. તેમાંનાં માછલાં પકડવાં નહિ એવો ચાલ ઘણા વખતથી ચાલતો હતો. પણ હવે કેટલાક માછીમારો ત્યાં માછલાં પકડવા આવતા હતા. આ સાંભળી ફાર્બસે પૂછ્યું: ‘એ તળાવમાં દેડકા, બતક, સાપ વગેરે પણ હશે, નહિ?’ ‘એ તો હોય જ ને!’ ‘તો એ બધાં શું ખાય છે?’ ‘બીજું શું ખાય, માછલાં.’ ‘તો તેમની સામે તમે ક્યારે ય ફરિયાદ કરી છે?’ ‘પણ એ તો એમનો ખોરાક છે. એ ન ખાય તો બીજું ખાય શું?’ આ સાંભળી ફાર્બસે કહ્યું. ‘તો માછીમારોનો ખોરાક પણ માછલાં છે. એટલે તેમને તમે કઈ રીતે રોકી શકો? જો માછલાં મારવાથી પાપ લાગતું હશે તો એની સજા ભગવાન તેમને કરશે. માછીમારોને તેમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો.’ વેપારીઓને સમજાયું કે તેમની વાત ખોટી હતી, એટલે તેમણે ફરિયાદ પાછી ખેંચી લીધી.

\ફાર્બસ મુંબઈમાં હતા ત્યારે દલપતરામ એક વાર તેમને મળવા ગયા હતા. ફાર્બસ તેમના નવ વર્ષના દીકરાને ભણવા માટે ઇંગ્લન્ડ મોકલતા હતા. તેને વળાવવા ફાર્બસ સ્ટીમર ઉપર ગયા ત્યારે સાથે દલપતરામને પણ લેતા ગયા. ફાર્બસે આખી સ્ટીમરમાં દલપતરામને ફેરવીને બધું બતાવ્યું, સમજાવ્યું. બીજા કેટલાક બ્રિટિશ અમલદારો પણ સ્ટીમર પર આવ્યા હતા તેમની સાથે ફાર્બસે દલપતરામની ઓળખાણ કરાવી. પાછા ફરતાં ફાર્બસ બોલ્યા કે મને પણ સ્વદેશ પાછા જવાનું બહુ મન થાય છે. પણ પછી તરત ઉમેર્યું કે આ દેશમાંનું મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું આવો વિચાર પણ નહિ કરું.

૧૮૬૩ના નવેમ્બરમાં ફાર્બસે મુંબઈથી કાગળ લખી દલપતરામ પાસેથી તેમનો ફોટો મગાવ્યો. દલપતરામે જવાબમાં લખ્યું કે મારી પાસે મારો એક પણ ફોટો નથી, અને અમદાવાદમાં એક પણ ફોટોગ્રાફર નથી કે જેની પાસે પડાવીને હું મારો ફોટો મોકલી શકું. એટલે ફાર્બસે મુંબઈથી હરિશ્ચન્દ્ર ચિન્તામણ નામના જાણીતા ફોટોગ્રાફરને ખાસ અમદાવાદ મોકલ્યા. તેમનો ઉતારો જેસિંગભાઈ હઠીસિંહભાઈને ત્યાં હતો. એટલે જેસિંગભાઈએ તેમની પાસેથી ફોટોગ્રાફીની કળા શીખી લીધી. ત્યાં સુધી – એટલે કે ૧૮૬૩ સુધી – અમદાવાદમાં ફોટોગ્રાફીની જાણકારી કોઈને નહોતી.

૧૮૬૨માં ફાર્બસની બદલી મુંબઈ થઇ તે પછી એક વાર, ૧૮૬૪માં, તેઓ છૂપા વેશે અમદાવાદની મુલાકાતે ગયા હતા. અમદાવાદ કેવું અને કેટલું બદલાયું છે, પોતે સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ કેવુંક કામ કરે છે, વગેરે જાણવાની અને કેટલાક જૂના મિત્રોને મળવાની તેમને ઈચ્છા હતી. ત્યાં સુધીમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે સીધો ટ્રેન વ્યવહાર શરૂ થઇ ગયો હતો એટલે ૧૮૬૪ના ડિસેમ્બરની ૨૬મી તારીખે (૧૮૪૮માં આ જ તારીખે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના થઇ હતી) ફાર્બસ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા અને મંચેરજી સોરાબજીને ઘરે રહ્યા. પોતે અમદાવાદ આવ્યા છે એ વાત જાહેર ન કરવાની ફાર્બસે ખાસ સૂચના આપી હતી. માત્ર કેટલાક નજીકના મિત્રોને જ મળવા બોલાવ્યા હતા.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

રાજકીય પક્ષો પોતાના રોટલા શેકે છે એમાં સામાન્ય માણસોના રોટલા શેકાતા નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 July 2024

રવીન્દ્ર પારેખ

રાજકીય પક્ષો ને વિપક્ષો માટે સામસામે બાંયો ચડાવવા સિવાય કોઈ કામ જ રહ્યું ન હોય એમ સૌ સંસદમાં અને સંસદની બહાર વર્તે છે. એન.ડી.એ.ની સરકાર તાજી જ શરૂ થઈ, ત્યારે 25 જૂન, 1975ને દિવસે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરેલી, તે ઘટનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ને પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યાદ કરેલી. એની અસરો ઓસરે તે પહેલાં તેને વધુ યાદ રાખવા ને રખાવવા વડા પ્રધાને દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું ઠરાવ્યું છે. એ માટે ગૃહ મંત્રાલયે 11 જુલાઈએ રાજપત્ર જાહેર કર્યો છે. આ દિવસ ઉજવવાનું એટલે નક્કી થયું કે કટોકટી પછી તત્કાલીન સરકારે સત્તાનો દુરુપયોગ કરીને લોકોને રંજાડયા હતા. પ્રજાને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે, એટલે સત્તાના દુરુપયોગનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે 25 જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું સરકારે જાહેર કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એ યાદ અપાવ્યું કે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આપખુદી માનસિકતાને લીધે કટોકટી જાહેર કરીને લાખો લોકોને, કોઈ કેસ ચલાવ્યા વગર જ સીધા સળિયા પાછળ ધકેલી દીધા હતા. વળી મીડિયાનો અવાજ પણ દબાવી દેવાયો હતો. આ કટોકટી 21 મહિના રહી હતી. બંધારણીય હત્યા દિવસ એ કાળાં કરતૂતોને યાદ કરાવશે ને એવા સમયમાં પણ લોકોનાં યોગદાનને યાદ કરાશે ને એ સુનિશ્ચિત કરાશે કે ભવિષ્યમાં કોઈ સત્તાનો દુરુપયોગ ન કરી શકે કે તાનાશાહીને પ્રોત્સાહિત ન કરે. એ અંગેની પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી હોવા છતાં સરકારનો હેતુ કાઁગ્રેસને કઠેરામાં ઊભી કરીને પ્રાયશ્ચિત કરાવવાનો છે. એ સાથે જ કાઁગ્રેસમાં વિશ્વાસ ધરાવતા સહયોગી દળોને અસ્વસ્થ કરવાનો પણ છે, કારણ રા.જ.દ., સ.પા., ઝારખંડ મુક્તિ મોરચા જેવા ઘણા પક્ષોના નેતાઓ કટોકટી વખતે જેલમાં ધકેલાયા હતા. એ નેતાઓને કટોકટી યાદ અપાવીને એ યાદ અપાવવાનો હેતુ પણ છે કે જેણે જુલમ ગુજાર્યો હતો, એના જ ખોળે બેસવા જેવું તો નથી થયુંને?

દેખીતું છે કે કાઁગ્રેસને આ બધું ન ગમે. એણે પણ પલટવાર કરવામાં કૈં બાકી રાખ્યું નથી. કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડા પ્રધાનને રોકડું પરખાવ્યું છે કે સંવિધાન હત્યા દિવસ જાહેર તો કર્યો છે, પણ તમારી સરકાર તો છેલ્લાં 10 વર્ષથી રોજ જ સંવિધાનની હત્યા કરી રહી છે. દેશના ગરીબો, વંચિતોનું આત્મસન્માન દાવ પર લગાવ્યું છે. સંવિધાનની વાતો તમને શોભતી નથી. ભા.જ.પ. અને સંઘ તો સંવિધાનને ભોગે મનુસ્મૃતિ દાખલ કરવા માંગે છે. ‘બંધારણ’ સાથે ‘હત્યા’ શબ્દ વાપરીને ભા.જ.પે. આંબેડકરનું પણ અપમાન કર્યું છે. વાત એકલા ખડગેથી તો ક્યારે ય પૂરી થતી નથી, સાથે અન્ય નેતાઓ પણ જોડાય જ છે. કાઁગ્રેસના મહામંત્રી જયરામ રમેશે એવી પ્રતિક્રિયા આપી કે સંવિધાન હત્યા દિવસ વડા પ્રધાનનો સમાચારોમાં રહેવાનો નુસખો માત્ર છે. તાજેતરમાં લોકોએ ચૂંટણીમાં જે રીતે વડા પ્રધાનને રાજકીય અને નૈતિક હાર આપી તો 4 જૂનને ‘મોદી મુક્તિ દિવસ’ તરીકે ઉજવશે? એ જ રીતે 8 નવેમ્બરે નોટબંધી લાગુ કરેલી તે દિવસને લોકોએ ‘આજીવિકા હત્યા દિવસ’ તરીકે ઉજવવો જોઈએ. એ સાથે જ અન્ય કાઁગ્રેસી નેતાઓએ પણ બંધારણ હત્યા દિવસની આકરી ટીકા કરી છે.

એક બાબત બહુ સ્પષ્ટ છે કે કટોકટી કોઈ પણ રીતે આવકાર્ય કે બચાવ યોગ્ય ઘટના નથી, નથી ને નથી જ ! એ સમયના કેટલાક કાઁગ્રેસી નેતાઓએ પણ તેનો વિરોધ કરેલો. 1975ની એ ઘટનાને અત્યારે યાદ કરવાનો કોઈ અર્થ ખરો? જો ભા.જ.પ. સ્વતંત્ર રીતે સરકાર બનાવી શકે એવી બહુમતીમાં હોત, તો ‘બંધારણ હત્યા દિવસ’ સુધી વિચારવાનું તેને બન્યું હોત, ખરું? ભા.જ.પે. એટલું સમજી લેવાની જરૂર છે કે જેટલું કાઁગ્રેસને નજરમાં રાખીને વિચારાય છે, એટલી કાઁગ્રેસ વધુ મજબૂત બનતી આવે છે. તાજેતરમાં આવેલ પેટા ચૂંટણીનાં પરિણામો પણ એ જ સૂચવે છે કે ભા.જ.પે. અયોધ્યા જ નહીં, બદ્રીનાથ પણ ગુમાવ્યું છે. 7 રાજ્યોની 13 સીટોમાંથી ભા.જ.પ.ને બે જ મળી છે તે સૂચક છે.

એન.ડી.એ.ની આ વખતની સરકાર કાઁગ્રેસને સંભળાવવામાંથી જ ઊંચી નથી આવતી. ભા.જ.પ. અને કાઁગ્રેસ વચ્ચે જાણે ટેબલ ટેનિસ ચાલે છે. અહીંથી ભા.જ.પ. સ્ટ્રોક મારે છે તો સામેથી કાઁગ્રેસ જવાબ આપે છે. રાજકારણ આવી નબળી ટેબલ ટેનિસથી આગળ જતું જ નથી, તો સવાલ થાય કે કોઈ રચનાત્મક કામ સરકારે કે વિપક્ષે કરવાના રહે છે કે આમ આરોપો-પ્રત્યારોપોમાં જ ટર્મ પૂરી કરવાની છે? ભા.જ.પ.ના જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બહુ માર્મિક રીતે કહ્યું છે કે 2014માં કાઁગ્રેસની ભૂલોને કારણે તેણે જવું પડ્યું. આપણે પણ કાઁગ્રેસે કરી એ જ ભૂલો કરવાની હોય તો એનામાં ને આપણામાં ફરક શો રહે છે? નથી લાગતું કે કાઁગ્રેસની ટીકા કરવાથી વિશેષ કોઈ એજન્ડા સરકાર પાસે રહ્યો હોય !

એની સામે મોંઘવારી, બેકારીના પ્રશ્નો વકરતા જ જાય છે ને એ જાણે કે સરકારનું કામ જ ન હોય એમ સરકાર એનાથી સાવ અલિપ્ત રહીને જ વર્તે છે. આ બરાબર નથી. રાજકીય પક્ષો પોતાના રોટલા શેકવામાં એટલા મશગૂલ છે કે સામાન્ય માણસો રોટલા શેકી નથી શકતા એ તરફ કોઈનું ધ્યાન જ જતું નથી. બેકારી, મોંઘવારીને કારણે થતી આત્મહત્યાને નજરઅંદાજ કરવાનું કોઈ પણ સરકારને પરવડવું ન જોઈએ. મોંઘવારી અંગેના તાજા જ જાહેર થયેલા આંકડાઓ જોઈએ તો લોકજીવન કેવું ભીંસમાં મુકાયું છે એનો ખ્યાલ આવશે. ગયા જૂન દરમિયાન શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને જતાં રિટેલ ફુગાવો 5.08 ટકાએ પહોંચ્યો છે, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ છે. ગયા જાન્યુઆરી મહિનાથી કન્ઝ્યુમર પ્રાઇસ ઇંડેક્સ (CPI) નીચલા સ્તરે હતો, તેમાં જૂનમાં ઉછાળ આવ્યો છે. સરકારે રિઝર્વ બેન્કને CPI ફુગાવો 2 ટકાના માર્જિન સાથે 4 ટકા રાખવાનો નિર્દેશ કર્યો છે, પણ શાકભાજીમાં 29.32 ટકા અને કઠોળમાં 16.07 ટકા ફુગાવો નોંધાયો હોય તો એ કેટલું શક્ય છે, તે તો સમય જ કહેશે. હકીકત એ છે કે જુલાઈ દરમિયાન કાંદા, બટાકા અને ટામેટાના ભાવ વધે જ છે ને હજી વધે એમ લાગે છે, ત્યારે રિટેલ મોંઘવારી દર 5 ટકાથી પણ વધે એમ છે. એ સ્થિતિમાં મોંઘવારી દર 4 ટકા પર લાવવાનું RBI માટે માથાનો દુખાવો બને એમ છે.

આ વધતા ભાવોને કારણે સાધારણ માણસ મોંઘી શાકભાજી લઈ લે એટલાથી પતતું નથી, એ કોઈ હોટેલમાં જાય તો ત્યાં પણ વધુ ભાવ ચૂકવીને તેણે તો ખંખેરાવાનું જ થાય છે. બારમી જૂને 33 રૂપિયે કિલો મળતાં ટામેટાં, બારમી જુલાઈએ 65 રૂપિયે વેચાયાં છે. આમાં વરસાદ પણ ભાગ ભજવે છે. માલ માર્કેટમાં ન પહોંચતાં શાકભાજીની અછત ઊભી થાય છે ને એને લીધે ભાવ વધે છે. કેટલાક ગઠિયાઓ માલ સંઘરી રાખે છે ને અછત ઊભી થવા દે છે ને વધુ ભાવ મેળવવા મોડેથી માલ બજારમાં મૂકે છે. આ બોજ પણ સાધારણ માણસને માથે જ પડે છે. એ જ રીતે બટાકા, કાંદા પણ સાધારણ માણસને તો વેતરતાં જ રહ્યાં છે ને બાકી, હોય તેમ હોટેલો પણ તે પ્રમાણે ભાવ વધારે છે ને તેનો બોજ ગ્રાહક પર જ પડે છે. સામાન્ય રીતે ત્રીસના કિલો વેચાતાં ટામેટાં નેવું રૂપિયે દિલ્હીમાં વેચાયાં છે ને કોઈ પગાર 300 ટકાની ઝડપે વધતો નથી એ હકીકત છે. એવે વખતે સાધારણ માણસની ચામડી છોલાતી જ રહે છે, તે દેશની તમામ સરકારોને દેખાવું જોઈએ, પણ કમભાગ્યે એ તરફ સરકારો ન જોવા ટેવાયેલી છે. પછી લોકો નથી જોતાં તો અયોધ્યા, બદ્રીનાથ ગુમાવવાનું થાય છે. સરકારે ભૂતકાળના ભ્રમમાં રહેવા જેવું નથી. લોકોને ઓછા આંકવાનું કોઈ પણ સરકારને ભારે પડી શકે એ રીતે લોકોની કોઠાસૂઝ અત્યારે સક્રિય છે. કોઈ પણ સરકાર લોકોની અવગણના કરવાથી સફળ થાય એ શક્ય જ નથી ને આટલી અનુભવી સરકાર એ ન સમજે એ સમજાય એવું નથી.

એટલું છે કે જે સરકાર સમજતી નથી એને પછી પ્રજા સમજાવી દે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 જુલાઈ 2024

Loading

...102030...499500501502...510520530...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved