Opinion Magazine
Number of visits: 9664854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિલ ડ્યુરાં : અનોખું દામ્પત્ય, અનોખું જીવન, અનોખું ચિંતન’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 November 2024

પુસ્તક નિર્દેશ  

અસાધારણ ગ્રંથરાશિ રચનારા ઇતિહાસકાર અને તત્ત્વવેત્તા વિલ ડ્યુરાં(Will Durant)નો આજે જન્મ દિવસ છે.                         

એંશી વર્ષ પાર કરી ચૂકેલા સક્રિય સાહિત્ય રસિક  ઑટોમોબાઇલ એન્જિનિયર નિરંજન શાહનું વિલ ડ્યુરાં (5 નવેમ્બર 1885 – 7 નવેમ્બર 1981) પરનું પુસ્તક ગુજરાતીમાં થયેલું એક ખૂબ મૂલ્યવાન કામ છે. 

‘વિચારવલોણું’ની વિચારસમૃદ્ધ પ્રકાશનશ્રેણી હેઠળ બાસઠ પાનાનું આ પુસ્તક ઑક્ટોબર 2021માં પ્રસિદ્ધ થયું છે, અને સંભવત: અત્યાર સુધી તે એકમાત્ર છે. 

નિરંજનભાઈને ડ્યુરાં વિશે લખવાની પ્રેરણા આ જ્ઞાનસાધકના The Pleasures of Philosophyના વાચનથી થઈ. તેઓ લખે છે : ‘ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં આ પુસ્તક હાથમાં આવ્યું ત્યારથી માંડીને આજ સુધી વખતોવખત એનો વાચન ઉપરાંત કેટલા ય લેખો લખવા માટે, કેટલા ય વિષયોની ચર્ચામાં વિષયોની વધુ સમજ  કેળવવા માટે, વ્યક્તિગત જીવન તેમ જ વૈશ્વિક પ્રવાહોનું આપણા સ્તરેથી ઉપયોગ કર્યો છે. પુસ્તકના સંમોહનમાંથી હજુ છૂટી શકાયું નથી.’ 

વિલ ડ્યુરાંનું નામ The Story of Civilization નામની ગ્રંથશ્રેણીનો પર્યાય છે. વિશ્વનો આ ઇતિહાસ ડ્યુરાંએ ‘ભગવદ્દગોમંડલ’ના કદના અગિયાર ખંડોમાં લખ્યો જે 1934થી લઈને ચાર દાયકા દરમિયાન પ્રસિદ્ધ થયો છે. દરેક ખંડ એક હજાર જેટલા પાનાંનો છે. સાતમા ખંડથી સહલેખક તરીકે વિલનાં પત્ની એરિયલ (મે 1898 – 25 નવેમ્બર 1981) છે. 

એરિયલ બે સંતાનોનાં માતા હોવાં ઉપરાંત વિલના સચિવ, સંશોધન સહાયક અને સહલેખક પણ હતાં. ગત કાળના સંશોધન માટે એરિયલ અને વિલે ભારત સહિત દુનિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. 

તેમનો જીવનપ્રવાસ પણ દુનિયાની દૃષ્ટાન્તરૂપ દામ્પત્યકથાઓમાં સ્થાન પામે છે. એરિયલે સવા ચારસો પાનાંમાં લખેલી આત્મકથાનું નામ પણ A Dual Autobiography (1978) છે.

વિલને આખરી માંદગીમાં હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ એરિયલે ખાવાનું છોડી દીધું અને જીવનસાથીના અગિયાર જ દિવસ પહેલાં દેહ છોડ્યો. 

વિલ-એરિયલ વિશે કૉલેજના પહેલાં વર્ષમાં કોઈક મરાઠી લખાણમાં પહેલવહેલું વાંચ્યું. પછી વિલનું ખૂબ જાણીતું પુસ્તક The Pleasures of Philosophy જોવા મળ્યું. 

ત્યાર બાદ ઘણું કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ(જેમાં ભણ્યો)ની લાઇબ્રેરીમાં Civilizationના ખંડો જોવા મળ્યા. સાત-આઠ વર્ષ પહેલાં આદરણીય જયંત મેઘાણીએ આખી ગ્રંથશ્રેણી અમૂલ્ય ભેટ તરીકે આપી છે. 

આ ગ્રંથો વાંચવાની ક્ષમતા તો મારી પાસે ભાગ્યે જ છે. પણ તેના રચનારા વિશે જાણવાનું કુતૂહલ હંમેશાં રહ્યું છે. ઇન્ટરનેટ પહેલાંના જમાનામાં પણ મારા કોઈ વિશેષ પ્રયત્નો ન હતા. જીવનચરિત્ર લખાયું નથી એટલું જાણવા મળ્યું. પછી ઘણાં વર્ષે એક ગ્રંથાલયમાંથી Dual Autobiography મળી, અધૂરીપધૂરી વંચાઈ, જે પૂરી કરવી રહી. 

ત્યાર બાદ ઘણાં વર્ષે અચાનક નિરંજન શાહની પુસ્તિકા વિશે ઘણું કરીને ‘ભૂમિપુત્ર’માં રજનીભાઈ દવેના પુસ્તક-નોંધોના વિભાગમાં વાંચવા મળ્યું. તેના થોડા સમય બાદ મુનિભાઈ દવેના ઘરે જઈને આ પુસ્તક મેળવી લાવ્યો ત્યારે ખૂબ આનંદ થયો.

‘વિલ ડ્યુરાં: અનોખું દામ્પત્ય, અનોખું જીવન, અનોખું ચિંતન’ પુસ્તિકા નિરંજન શાહે ‘સંક્ષિપ્ત પરિચય’ તરીકે લખી છે. એમાં એમના જીવન વિશેની માહિતીનો રસપ્રદ સ્રોત ડ્યુરાંનું પોતાનું Transition (1927) નામનું 352 પાનાંનુ પુસ્તક છે. લેખકે પેટાશીર્ષકમાં તેને A Mental Autobiography ગણાવ્યું છે. તેમાં તેમના જીવનના પહેલાં ચાળીસ વર્ષનો આલેખ નવલકથાના આછાં આવરણ હેઠળ મળે છે. તેનો સાર નિરંજનભાઈએ અઢાર પાનાંમાં આપ્યો છે. 

પુસ્તકના બીજા હિસ્સામાં તેમણે વિલના ‘ઊંડાણભર્યા ચિંતનના નમૂનારૂપે’ The Plesures of Philosphy ના ‘બે અગત્યના પ્રકરણનો સારાનુવાદ’ મૂક્યો છે. 

ડ્યુરાંના ચોવીસ પ્રકરણોમાંથી Reconstruction of Charater નામનું સત્તર પાનાનું બારમું  પ્રકરણ ‘ચારિત્ર્યનું પુન:નિર્માણ’ નામે ચોવીસેક પાનાંમાં આવે છે. About Childhood : A Confession નામનું ચૌદેક પાનાંનું અગિયારમું પ્રકરણ ‘બાળકો વિશે – એક કબૂલાત’ તરીકે લગભગ તેટલાં જ પાનાંમાં મળે છે. 

નિરંજનભાઈએ સારલેખન મહેનત અને સમજથી કર્યું છે. એનો એક દાખલો Elements of Characters મથાળું ધરાવતાં કોષ્ટકમાં તેમણે યોજેલા ગુજરાતી શબ્દો છે. જેમ કે, વૃત્તિઓ (instincts), પલાયન (flight), પરિગ્રહ (acquisition), જાતીય સંકોચ (blushing), બાળસંભાળ (parental care) વાત્સલ્ય (parental love).

આ પ્રકરણમાં દરેક વૃત્તિ સાથે જોડાયેલી લાગણી વિશેનો એક ફકરો છે, જેને નિરંજનભાઈએ એ જ સ્વરૂપે ગુજરાતીમાં મૂકવાને બદલે કોષ્ટક તરીકે મૂકીને વધુ વાચનીય બનાવ્યો છે. ધોરણસરના સંક્ષેપના આવા દાખલા અગિયારમાં પ્રકરણમાંથી પણ આપી શકાય. 

અલબત્ત, નીવડેલા સંપાદક ગદ્યને વધુ વાચનીય બનાવી શકે. જો કે, દેખિતી રીતે ટેક્નોલોજિ જેમનું વ્યવસાયક્ષેત્ર છે તેવા નિરંજનભાઈની આવા પડકારરૂપ કામ માટેની રુચિ અને તેની પાછળનો તેમનો વ્યાસંગ આદરપાત્ર છે. 

ડ્યુરાંનાં છવ્વીસ પુસ્તકોની યાદી પણ અહીં મળે છે. પહેલાં પરિશિષ્ટ તરીકે વિલ ડ્યુરાંના નેવુંમા જન્મદિને ‘ધ ન્યુયૉર્ક ટાઇમ્સે’ આ જ્ઞાનવૃદ્ધ ઉમા-મહેશ્વરની રૂબરૂ મુલાકાતને આધારે પ્રસિદ્ધ કરેલો  લેખ ગુજરાતીમાં રજૂ થયો છે. 

બીજું પરિશિષ્ટ વધુ મહત્ત્વનું છે. તેનું મથાળું છે ‘The Case for Indiaનું પૂરોવચન : લેખકના શબ્દોમાં’. ડ્યુરાંનું The Case for India નામનું પુસ્તક 1932માં તેમણે ઇતિહાસલેખન માટેના સ્વાધ્યાયના ભાગ રૂપે ભારતની જે મુલાકાત લીધી તેને આધારે લખાયું. 

ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ પ્રવાસમાં બારેક શહેરો અને કેટલાક પ્રદેશોની દૃશ્યાવલિઓએ ડ્યુરાંને સમજાયું કે બ્રિટિશ શાસકોએ ભારતને અત્યંત દારૂણ હાલતમાં ધકેલ્યો છે. 

આઘાતથી હચમચી ઊઠેલા ડ્યુરાંએ અંગ્રેજોએ કરેલી ભારતની દુર્દશા વિરુદ્ધ અને લોકશાહી સ્વાતંત્ર્ય માટેની તેની જરૂરિયાતની તરફેણમાં પોતાની વાત દુનિયામાં સમક્ષ મૂકવા માટે The Case for India નામનું દોઢસો પાનાનું પુસ્તક લખ્યું. 

તેના માટે તેમણે ભારતનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને તેનાં સામજિક આર્થિક પાસાંનો અભ્યાસ કર્યો. તે  પુસ્તકમાં કરવામાં  વિષયના  વિવરણ  ઉપરાંત તેની સંખ્યાબંધ વિસ્તૃત નોંધોમાં પણ મળે છે. 

આ પુસ્તક મહેન્દ્ર ચોટલિયા ‘એક  મુકદ્દમો : ભારતની તરફેણમાં’ નામે આપણે ત્યાં લાવ્યા છે. તેનું પ્રકાશન ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘે (અમૂલ-GMFF) 2008માં કર્યું છે. અનુવાદકને ધન્યવાદ આપવાની સાથે આ પુસ્તક વિશે પણ ક્યારેક લખવાનું મનમાં રાખ્યું છે. 

જ્ઞાનની દુનિયાના એક શિખર સમા ડ્યુરાં દંપતીનો વાચનીય પરિચય આપતું પુસ્તક ગુજરાતી ભાષાને આપવા બદલ નિરંજન શાહને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.         

[આભાર : મુનિ દવે]

5 નવેમ્બર 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

અરુણ ભટ્ટ અને મીરાં ભટ્ટ|Profile|6 November 2024

અરુણભાઈ ભટ્ટ

મારે તો મારા સમગ્ર જીવન પર મારા પિતાનો કેવો પ્રભાવ પડ્યો, તેમનું જીવન મારી નજર સમક્ષ કેવા સ્વરૂપે ઉપસ્થિત થયું, તેમના જીવનનાં કયાં પાસાંઓ મારા ચિત્ત-તંત્ર ઉપર અમીટ અંકાઈ ગયાં, કયા પ્રસંગો આજે પણ હું અબઘડીનાં તાજાં જ હોય તેમ અનુભવું છું, અને એમના પ્રત્યક્ષ જીવને જ અમારું કઈ રીતે ઘડતર કર્યું તે બધું લખવું છે. આમ છતાં હું જાણું છું કે આ તો એક પ્રયાસ માત્ર રહેવાનો છે.

હું મારી જાતને ભાગ્યવાન સમજું છું કે ઉત્તમ માતા-પિતા મળ્યાં. પિતાજીનું સમગ્ર જીવન પોતે જ એક ક્રાંતિકારી પ્રેરણા સમું હતું. પારસના સ્પર્શથી લોઢું સોનું બની જતું તો નથી જોયું પણ સદ્દપુરુષોના તપસ્યામય જીવનમાંથી ટપકેલા શબ્દના સ્પર્શથી થતો વિસ્ફોટ જોયો છે અને થોડો અનુભવ્યો પણ છે. બાપુજીનું જીવન પણ એ શબ્દ-બાણથી વીંધાયેલું, વીંધાઈને પરિવર્તિત થયેલું જીવન હતું.

મારા બાપુજીનો જીવન-સાર માત્ર ત્રણ શબ્દોમાં જ રજૂ કરવો હોય તો હું સત્યાગ્રહ, નિર્ભયતા અને રામનામમાં રજૂ કરું. એમણે જીવનભરમાં કેટલા સત્યાગ્રહો કર્યા તેનો કોઈ હિસાબ જ નથી. પોતાની જાત તેમ જ પરિવારજનો સામેના સત્યાગ્રહથી માંડીને રાષ્ટ્રીયકક્ષા સુધીના સંખ્યાબંધ સત્યાગ્રહોનો અખંડ પ્રવાહ જ જાણે એમનું જીવન બની ગયું હતું. ‘સત્યાગ્રહી’એ એમનું સ્થાયી વિશેષણ બની ગયું હતું. ગુલામી, ગરીબી, શોષણ, અન્યાય, બળાત્કાર, જુગાર, શરાબ, કાળાબજાર, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી વગેરે અનિષ્ટો સામે સીધી ટક્કર તેઓ લેતા.

અમારે મન એમનું સ્થાન હંમેશાં મોતના મુખમાં જ રહેતું. સીધી મોત સાથે જ બાથ ભીડવાનું એમને ફાવતું. છુટપુટિયામાં, સુરસુરિયામાં એમને રસ જ ન હતો. નાનપણમાં અમે અનેક વખત એમના મોઢે મસ્તીલા મિજાજમાં બોલાતું એક વાક્ય સાંભળતા, ‘બંદો કાં મેડીએ ને કાં બેડીએ.’

મારાં બા પણ બાપુજી સાથે સ્વરાજય આંદોલનમાં જોડાયેલાં હતાં. જો કે એમનો પિંડ ઘણો સૌમ્ય હતો. એમની ભાષા પણ અહિંસક હતી. એમનાં હૃદયમાં અમ બાળકોની સવિશેષ ચિંતા રહેતી. છતાં એમણે પણ બાપુજીનાં સાર્વજનિક કાર્યોમાં પૂરેપૂરો સાથ આપ્યો. મારાં બાને જેલમાંથી એટલા માટે મુક્ત કરવામાં આવેલાં કારણ કે મારો જન્મ થવાનો હતો. પણ જેલમાં પ્રસૂતિ માટેની કોઈ વ્યવસ્થા નહોતી તેથી તેમને મુક્ત કરવાં પડેલાં. આ યોગ હું કદી ભૂલી શક્યો નથી. ‘ગર્ભાવસ્થાથી જ અમને સ્વાતંત્ર્ય’ મળેલું હતું. ગર્ભશ્રીમંત તો ઘણા જોયા છે પણ અમારી સ્વતંત્રતા તો જન્મસિદ્ધ હતી. સ્વરાજ્ય આંદોલનના એ તીવ્ર કાર્યક્રમોના વાતાવરણમાં અમારું બાળપણ વીત્યું. તે વખતના દૃશ્યો આજે પણ નજર સામે તરવરે છે.

મને યાદ છે એક પ્રસંગ. હું ખૂબ નાનો હતો. ગામડામાં ગરીબ ખેડૂતોની જમીન કોઈ દરબારે છીનવી લીધેલી. ઉપરાંત ખેડૂતોને સારી પેઠે મારેલા. બાપુજી પાસે ફરિયાદ આવી. બાપુજી બીજે જ દિવસે તે ગામે જવા નીકળ્યા. હું પણ સાથે જવા તૈયાર થઈ ગયો. પહોંચ્યા સીધા દરબારની ડેલીએ જઈને અટકયા. ‘આવો આવો, આત્મારામભાઈ, ધન ઘડી ધન ભાગ અમારાં, અમારે આંગણે આપ ! એલા ઢોલિયો ઢાળો.’ કહીને દરબારે સ્વાગત કર્યું. ફટાફટ ઢોલિયા ઢળાઈ ગયા. ગાદી-તકિયા પથરાઈ ગયા. ‘લો, બિરાજો, આત્મારામભાઈ!’ માટલાનું ઠંડું પાણી આવી ગયું. દરબારે કહ્યું કે, ‘આજે રોટલા ભેળા જમીએ. રોટલા વગર તો નહિ જવા દઈએ.’ ઉત્તરમાં બાપુજી કહે કે, ‘ઈ વાતો પછી, પહેલાં તો તમે આ કોળીઓની જમીન લઈ લીધી છે ઈ પાછી આપી દ્યો અને આ લોકોને માર્યા છે તે બદલ …’

‘અમારે આંગણે આપ આવો એટલે આપ જે કહો તે અમારે કરવાનું જ હોય. પણ આપે અમારી વાતે ય સાંભળવી તો જોઈએ જ. બસ એક વાર આપ અમારી વાત સાંભળી લો અને પછી આપ જે નિર્ણય આપો તે અમારે કબૂલ મંજૂર. આપ કહો તે પહેલાં કોરા કાગળે અમે સહીઓ કરી આપીએ. આવો, આપણે મેડી ઉપર બેસીએ. બધી વાતો બધાની વચ્ચે ન થાય.’

દરબાર, તેમના બે-ત્રણ સાગરીતો અને બાપુજી ડાયરામાંથી ઊભા થયા અને ઉપરની મેડીએ જઈને બેઠા. હું અને અમારી સાથે આવેલા બીજા એક ભાઈ ગામ લોકો વચ્ચે નીચે જ બેઠા. ઉપર ગુફતેગો શરૂ થઈ. થોડીવાર તો અમારું ધ્યાન ઉપર જ મંડાયેલું રહ્યું પણ છાની વાતડિયુંનો એક પણ શબ્દ કોઈને કાને ન પડ્યો. પંદરેક મિનિટ થઈ હશે ત્યાં તો ઉપરથી અચાનક વીજળીના કડાકા જેવો તીક્ષ્ણ અવાજ સંભળાયો : ‘દરબાર, ઈ ઘર બીજા, શું તમે મને ખરીદી લેવા માંગો છો ?’ મેડી ઉપરની ગોઠડી વીંખાઈ ગઈ. ધમધમ પગ પછાડતો જુવાન આખી ડેલીને ધણ-ધણાવીને દાદરો ઊતરી ગયો.

‘આત્મારામભાઈ, તમે સમજ્યા નહીં. આપની ગેરસમજ થઈ છે. અમે આપને શું નથી ઓળખતા? આ તો એમ કે અમારે આંગણે પહેલી વાર બાબાભાઈ આવ્યા છે એટલે એમના હાથમાં અમારે કંઈ મૂકવું જોઈએ.’ બાજી સુધારવાનો દરબારે પ્રયત્ન કર્યો પણ તેનો કઈ અર્થ નહોતો. નીચે ઊતરતાં જ બાપુજી કહે, ‘ચાલો, ભાઈ ચાલો. દરબાર મને લાંચ આપવા ઈચ્છે છે. હવે તો ગામસભામાં જ બધી વાતો કરીએ.’

બીજી એક  યાદ આવે છે – બા બાપુજી બંને જેલમાં હતા. મારા મોટાભાઈ અનિલભાઈ અને હું બહાર હતા. જેલમાં બાપુજીની તબિયત બગડેલી. પણ આવા જોખમી માણસને જેલમાંથી છોડવા કરતાં જેલમાં જ રાખીને બીજી વિશેષ સગવડો આપવી રાજ્યને ડહાપણભરી લાગતી હતી. એ સગવડોમાં એક એ પણ હતી કે જેલમાં જ બાપુજી સાથે મારાં બા અને અમે બંને ભાઈઓ સાથે રહી શકીએ તેવી વિશેષ ગોઠવણ કરી આપવામાં આવી. બે રૂમ અને વરંડાવાળી જગ્યા અમને ત્યાં મળી. અમે બંને ભાઈઓ ભણતા હતા, એટલે જેલમાંથી નાહી-ધોઈ-જમીને દફતર લઈને નિશાળે ભણવા જતા અને નિશાળેથી ભણીને પાછા જેલમાં એટલે કે અમારા ઘરે આવી જતા. આ વ્યવસ્થાના શરૂઆતના દિવસો હતા તે વખતે એક નાનકડો પ્રસંગ બન્યો. અમે નિશાળેથી પાછા આવ્યા, પણ જેલની અંદરનો બીજો દરવાજો ખોલે તે પહેલાં અમારાં દફ્તરોને અનુલક્ષીને સંત્રી કહે, ‘આમાં શું છે? બતાવો.’ અનિલભાઈ કહે, ‘શું કામ? શું અમે કંઈ ચોરબોર છીએ ? નહીં બતાવીએ. જાઓ થાય તે કરી લો.’ એમ કહીને અમે અમારાં દફ્તરો પાછાં ખેંચ્યાં. સંત્રી સાથેની અમારી રકઝક અંદર બેઠેલા જેલરના ધ્યાનમાં આવી એટલે તેઓ બહાર આવ્યા. વાત સમજી લીધા પછી પેલા ચોકીદારને કહે, ‘જવા દે આ છોકરાઓને, એમના થેલાઓ તપાસવાના નહીં.’ તરત જ અંદરનો દરવાજો ખૂલી ગયો! જાણે મોટો વિજય થયો હોય તેમ અમે તો કૂદતા, ઊછળતા બા-બાપુજી પાસે પહોંચી ગયા. ભારે ગર્વ અને અધીરાઈ સાથે બાપુજીને વાત કરી સંભળાવી. મને યાદ છે – ત્યારે બાપુજીની આંખમાં શાબાશીનો પ્રકાશ છવાઈ ગયેલો!

વેકેશનમાં અમારે અમારા નાનાને ત્યાં નવલખી જવું હતું. તેઓ ત્યાં પોર્ટ ઓફિસર હતા. રાજકોટથી નવલખી ટ્રેઇનમાં જવાનું ગોઠવાયેલું. મારાં નાના ભાઈ-બહેન મહેન્દ્ર અને કુમુદ પણ સાથે હતાં. અમે ત્રણ જણાં રાજકોટ જેમને ઘરે ઊતરેલાં તેમના હાથમાં રેલવે મિનિસ્ટ્રી હતી. હવે રેલવે મિનિસ્ટરના ઘરનાં સભ્યો ટ્રેઇનમાં મુસાફરી કરવાનાં હોય ત્યારે તેમની વ્યવસ્થા-સગવડ આતિથ્યમાં રેલવે તંત્ર કસર રહેવા દે જ નહિ! અમને સ્ટેશને પહોંચાડવા માટે મોટર આવી, સ્ટેશન માસ્ટર જાતે સ્વાગત કરે, પહેલા વર્ગની મુસાફરી … બધું ટીપટોપ! રજાના દિવસો નવલખી ગાળીને જ્યારે અમે ભાવનગરના ઘેર ગયાં ત્યારે બાપુજીને અમે આ વાત કરી. બાપુજીને લાગ્યું કે અમે ટિકિટ વગર જ મુસાફરી કરી હોય. આ સાંભળીને બાપુજીને ખૂબ દુ:ખ થયું. ‘તું હવે નાનો નથી. તારે ટિકિટ લીધા બાબતની ખાત્રી કરી લેવી જોઈતી હતીને !’ મને લઈ સીધા રેલવે સ્ટેશને ગયા. ભાવનગરથી નવલખીની પહેલા વર્ગની બે ટિકિટો ખરીદી. મારી આખી અને મહેન્દ્ર-કુમુદની અડધી અડધી. મને બતાવી અને પછી ફાડી નાખી. અમે મુસાફરી કરી હતી રાજકોટથી નવલખીની; ટિકિટ લીધી ભાવનગરથી નવલખીની. દંડ પણ જાતે જ નક્કી કરી લીધો. હું તો ઊંડો ઉતરી ગયો !

બાપુજી સ્વભાવે સત્યાગ્રહી હતા એટલે આગ્રહી પણ હતા. પરંતુ તેમના આગ્રહનો બોજ અમને ભાઈ-બહેનોને લાગ્યો નથી, બલકે એમની નિષ્ઠાનો જ સ્પર્શ અમે હંમેશાં અનુભવ્યો છે. અમારા નાનપણથી જ અમે પૂર્ણ સ્વાતંત્ર્યનો અનુભવ કર્યો છે. ‘મને આ બરાબર લાગતું નથી છતાં તમારે જે કરવું હોય તેમ કરો’ની બહુ જ અનાગ્રહી ભૂમિકા. આગ્રહ બધો સત્યને જ સમર્પિત થઈ ગયેલો. તેથી વ્યાવહારિક બાબતોમાં અનાગ્રહનું બળવત્તર તત્ત્વ જ કામ કરતું. આગ્રહમાં બળ માનવામાં આવે છે, પણ અનાગ્રહ તો વધુ બળવાન છે – તે વાત અમને મોટા થયા પછી સમજાઈ.  અમને આગ્રહ અને અનાગ્રહ બંનેના લાભો મળ્યા. ડગલે ને પગલે અમારે આગ્રહના ખડકો સાથે અથડાવાનું આવ્યું હોત તો અમારા સૌમાં જબરી પ્રતિક્રિયા આવી હોત, પણ તેવું અમારા કોઈના જીવનમાં ન થયું. અમે સૌ સ્વતંત્ર રીતે વૈચારિક નિર્ણય કરી શકીએ તેવા થયા ત્યાર પછી બાપુજીની વિચાર-પદ્ધતિ કે તેમની કાર્યશૈલી બાબત અમારા મતભેદો જરૂર રહ્યા, તેમ છતાં અમારા સૌનાં ચિત્ત પર તેમની સો ટચની નકકર ખણખણતી નિષ્ઠાનો પ્રભાવ જ મુખ્યરૂપે રહ્યો.

બાપુજી જીવનભર એકલવીર પ્રવાસી જ રહ્યા, છતાં ‘આખો ય પંથ અમે જોયું ન કોઈ, છતાં કોઈ હતું, સાથે ને સાથે’નો અનુભવ એમને અને અમને પણ થતો ગયો! અને વાત પણ સાચી છે કે તે વિના આટલું સાહસ અને આટલી નિશ્ચિતતા ક્યાંથી આવત? ‘રામ રાખે તેમ રહીએ’ની ભાવના તેમના જીવનમાં અખંડ વહેતી અમે જોયેલી. એમનું નામ – સ્મરણ ચાલ્યા કરતું. સત-સાહિત્ય પઠન અને હરિનામ સ્મરણ એ એમની આંતર-ઉર્જા હતી!

(૧૯૯૧માં પ્રકાશિત ‘મારા પિતા’, સંપાદક – પુ.ગ. માવળંકર-માંથી સારવીને)

•

મારી મુગ્ધાવસ્થા

જુગતરામકાકા પાસે કેળવણી લેવા ગયો તો ઘણું શીખવા મળ્યું. બીજું બધું તો ઘણું સારું, પણ સવારની પ્રાર્થના માટે હું ઊઠતો નહીં. જુ’કાકા પાસે ફરિયાદ ગઈ. કાકાએ કહ્યું, આજથી મારી સાથે સૂવાનું.

સૂતો ય ખરો પણ જેવો પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે બિસ્તરો લઈ બીજે જઈને સૂઈ જવાનું ! પછી તો મને ઘંટ પાસે સૂવાડ્યો, પ્રાર્થનાના સ્થળે સૂવડાયો, પણ જેવી બધાની આંખો બંધ થાય એટલે હું બીજે જઈને સૂઈ જાઉં. મને વહેલો ઊઠાડવામાં એ સફળ ન થયા. પણ વિનોબા પાસે આવીને વહેલો ઊઠવા માંડ્યો!

હું સેવાગ્રામમાં ઉત્તર બુનિયાદી તાલીમ માટે થોડાં વર્ષ રહ્યો. ત્યારે વિનોબાજીને જોયા હતા. ૧૯૫૩માં ભૂદાનયાત્રા વખતે બાબા પાસે આવ્યો. આવ્યો તે આવ્યો! પાછો ગયો જ નહિ! હું પાછો જવા માંગતો જ ન’તો! બસ, હું તો તેમની પાસે જ રહેવા માંગુ છું. હું તો એમ કહેવા માગું છું કે હું એમની પાસે નથી ગયો પણ એ મારી પાસે આવ્યા. એમના આવવાથી મારા જીવનની દિશા નક્કી થઈ ગઈ ! એને હું ઈશ્વર પરની સૌથી મોટી કૃપા માનું છું કે હું બાબા પાસે પહોંચ્યો ! મને લાગે છે કે મારા ભવિષ્યના બધા જન્મારા પૂરા થઈ ગયા. બાબા ઉપર હું એકદમ મુગ્ધ છું, આજે પણ એ જ મુગ્ધાવસ્થામાં રહું છું.

મારું માનવું છે કે બાબાની સૌથી મોટી વિશેષતા એમની મૌલિકતા છે. એ ભલે ગાંધીજીની વાત કરે છે. પણ ભૂદાન, ગ્રામદાન, સર્વોદયપાત્ર વગેરે કાર્યક્રમ એમની મૌલિક દેણ છે. જનતા જડ બનીને સૂતી રહે છે, લોકશક્તિ જગાડવી સહેલી નથી. બાબા પાસે મેં એકવાર વાત મૂકી કે, ‘આજના શિક્ષણમાં કોઈ દમ નથી.’ મને એમ કે બાબા આજના શિક્ષણની જોરદાર ટીકા કરશે. પણ મારી વાત શાંતિથી સાંભળ્યા પછી તેમણે લોખંડની બે પેટીઓ તરફ ઈશારો કરીને કહ્યું, ‘એમાં વેદ, ઉપનિષદ, શબ્દકોષ છે. બાબાનો એકે ય દિવસ અધ્યયન વિનાનો નથી હોતો, તું પણ અધ્યયન કર !’

આજકાલ મને કાંઈ સાંભળવા, બોલવા, વાંચવાની ઈચ્છા જ થતી નથી (૨૦૨૦ના મે માસની આસપાસ અરુણભાઈ વિનોબાજીના પવનાર ખાતેના આશ્રમમાં રહેવા ગયેલા). ઈશાવાસ્થ ઉપનિષદમાં ‘विद्यां च अविद्यां च’ આવે છે. જે વિદ્યામાં ડૂબેલો રહે છે તે ઘોર અંધકારમાં જાય છે. બસ અંદર ‘રામહરિ’ ચાલ્યા કરે છે. કોઈ સાથે વાત કરું છું તો ‘રામ-હરિ’ બોલું છું, એવું લાગે છે. કોઈ બહેને પૂછયું કે, ‘આ વખતે આપ મૌન કેમ છો?’ હું કહું છું, ‘હું ભીતરમાં ડૂબેલો રહું છું.’ કોઈએ પૂછ્યું, ‘તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે?’ મેં કહ્યું, ‘એવું તો ન કહેવાય પણ જે ઈશ્વરમાં ડૂબેલા રહેતા તેવા બાબામાં હું હંમેશાં ડૂબેલો રહું છું !’

(‘मैत्री’ના જુલાઈ, ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત ‘मेरी मुग्धावस्था’માંથી સારવીને)

                                       – અરુણ ભટ્ટ

•

અમારું  સહજીવન

મીરાંબહેન – અરુણભાઈ ભટ્ટ

ભલે હું અમારા લગ્નને ‘સ્વયં-વરણ’ કહું, પરંતુ મારા અંતરતરનું એમના માટેનું સંબોધન છે – દેવદત્ત! મારા માટે એ દેવના દીધેલ છે. દેવાધિદેવ તરફથી થતી ઉપલબ્ધિને આપણે ‘પ્રસાદી’ કહેતા હોઈએ છીએ, અને ‘પ્રસાદી’ના રંગ-રૂપ-સ્વાદની કદી આલોચના ન થઈ શકે.

એકંદરે મને એમના વ્યક્તિત્વમાં સહજ સ્વીકારની ભૂમિકા જ કામ કરતી દેખાઈ છે. છૂટકો ન હોય,  ત્યાં જ નકારો સાંભળવા મળે. બાકી સમગ્ર જીવનાકાશમાં ‘ૐ-ૐ’નો હકારાત્મક ધ્વનિ જ સાંભળવા મળે! એમની સહજવૃતિ સદાય છેલ્લે રહેવાની. કોઈને હડસેલો મારીને આગળ થઈ જવાનું તો સ્વપ્ને ય ન સૂઝે. વિનોબા પદયાત્રામાં પણ ક્યારેક સરસ ચર્ચા ચાલતી હોય, ત્યારે મારી નજર એમને આમતેમ શોધે! પણ બાબા સાથે થઈ જવાની હોડ ચાલતી હોય, ત્યાં એમના દર્શન કેવા?

પિતા આત્મારામભાઈથી સાવ વિપરીત એમનો અભિગમ. પણ અનાગ્રહ એટલે પાછી મૂલ્યોમાં ઢીલાશ નહીં! ગાંધીજીના ત્રણે ય વાંદરાને એ ય પાળી રાખે! રખે ને, કશું અજુગતું થતું-થતું બચી જાય, તો પણ અંતરપટ આખ્ખું વિનોબા સમક્ષ ખુલ્લુંખમ! એની મોટી છત્રછાયા! એકવાર કાર્યકરોના નિર્વાહ અંગે વિનોબા સમક્ષ સંવાદ ચાલ્યો, ત્યારે વચ્ચે અરુણ કહે, ‘બાબા, મને પોતાને મારા માટે માંગતા કદી સંકોચ નથી થતો. જરૂર પડે હું મિત્રોને નિ:સંકોચ કહી શકું છું!’

ગળ્યું ખૂબ ભાવે, પોતાના રસાસ્વાદના બચાવમાં ભગવાન શ્રીકૃષ્ણનો ભગવદ્ગીતા કથિત સધિયારો મેળવી લે, ‘આહાર કેવો હોવો જોઈએ?’ તો ભગવાન કહે, ‘રસાળ, સ્નિગ્ધ અને મધુર!’ આ ગીતાભક્તે ત્રિગુણી વાનગી શોધી કાઢી! બંગાળના રસગુલ્લાં! કપડાનાં રંગની પણ પસંદગી – ના પસંદગી! ભડકામણા રંગનું હું કે અમી કાંઈ પહેરીએ તો કોમેન્ટ્સ આવે અને કપડાં બદલાવે છૂટકો થાય! પરંતુ ‘અંતિમ પર્વ’માં ન કોઈ આગ્રહ, ન કોઈ પસંદગી, ન કોઈ ના-પસંદગી ! પહેલાં અમુક જ રંગના ઝભ્ભા જોઈએ, હવે જે હોય તેનાથી ચાલ્યું જાય.

સુવા અંગેની સૂગ તો એવી કે અડખે-પડખે કશું પણ નડે તે ન ચાલે! એક વાર ગમ્મત થઈ. મુંબઈમાં દેવનારના કતલખાને ગોરક્ષા માટેના સત્યાગ્રહ વખતે પોલીસે સૌ સત્યાગ્રહીઓને એક રાત પોલીસ-કસ્ટડીમાં રાખવાની સજા કરી. પચાસ-સાઠ સત્યાગ્રહીઓને એક મોટા ઓરડામાં હકડેઠઠ ભરી દીધા. ખટારાના બળદોની જેમ સ્તો ! રાત પડી, બધા સત્યાગ્રહીઓ તો અડખે-પડખે કાયા લંબાવી ઊંઘી ગયા! પણ આ ‘ટચ મી નોટ’નું શું થયું એ જાણવામાં અમને ખૂબ રસ! ‘શું વળી, આખી રાત ટૂંટિયું વાળીને બેસી રહ્યો!’ મચ્છરનો ગણગણાટ પણ ન ચાલે. પ્રવાસમાં, એક જોડી કપડાં ઓછાં લઈ જાય, પણ મચ્છરદાની તો સાથે હોય જ! રૂમમાં કોઈ વડીલ પણ મચ્છરદાની વગર સૂતા હોય તો આંખ આડા કાન કરે! પણ ‘માણસ નામે નબળું પ્રાણી, એને એની ઊંઘ બહુ વહાલી!’ જોઈએ તો એક ટંક ભૂખ્યા રાખો, પણ નિંદર તજે એ બીજા! વડોદરામાં સંગીતના કાર્યક્રમ તો છાશવારે યોજાય, પણ નવ વાગ્યા પછી પથારીમાં પડી જવું એ જ સાંસ્કૃતિક કાર્યક્રમ!

અરુણભાઈ – મીરાંબહેન

ભજન તો એમની રગોમાં રક્તની જેમ વહે. મકરંદભાઈને ઘણી હોંશ હતી કે ભજન-વિદ્યાપીઠ ઊભી કરવામાં અરુણ સમય આપે! પરંતુ સ્વધર્મ સર્વોદય-કાર્યનો હતો. એટલે એ તો શક્ય ન બન્યું. મકરંદભાઈને હૃદય પર પહેલો હુમલો આવ્યો ત્યારે મુંબઈની હોસ્પિટલમાં અરુણ કુન્દનિકાબહેનની મદદાર્થે પહોંચી ગયા. પંદરેક દિવસ રહ્યા હશે. ત્યાર પછી કુન્દનિકાબહેનનો પત્ર આવ્યો, અરુણભાઈના વ્યક્તિત્વનો નવો પરિચય થયો. તદ્દન સહજ અને નિરાડંબરી! નિ:સંકોચ ગમે તે કામ સોંપી શકાય. એ પોતે તો બોજો ન જ અનુભવે, આપણને પણ બોજો અનુભવવા ન દે!

તમામ પ્રકારનાં કામો કરી છૂટવાની દાનત. રસોઈ તો ઠીક, કપડાં-વાસણ-સફાઈ બધું કરે! અમારું સહજીવન બે મિત્રો જેવું. તમામ મોરચે એ સાથે ને સાથે! મિત્રો તો મજાકમાં કહે, ‘ભલે બાળકોને પેદા કર્યા મીરાબહેને, પણ ઊછેરીને મોટા કરવામાં બૃહદ્દ ભાગ ભજવ્યો અરુણભાઈએ!’ મારી બીજી સુવાવડ વખતે ખડે પગે એમણે મારી ચાલીસ દિવસ સેવા કરી. ખબર કાઢવા આવતા મહેમાનો સહજ પ્રશ્ન પૂછે, ‘સુવાવડ માટે કોણ આવ્યું છે ?’ બાપુજી એટલી જ સહજતાથી કહે, ‘અરુણ છે ને!’ અમારું સહજીવન યથાર્થમાં બે મિત્રોનું સહજીવન બની શક્યું એનું મહદ્દ શ્રેય અરુણને ફાળે જાય છે. શું ઘરકામ કે શું બાળકોનો ઉછેર – તમામ પારંપરિક મોરચે એમનું સહજ અને નિરાડંબરી વ્યક્તિત્વ જ પ્રગટ થતું રહ્યું. એક તબક્કે તો, મારે સર્વોદયનાં કામ માટે ત્રણેક મહિના સુદૂર બિહાર – આસામ જવાનું થયું ત્યારે કાલુંઘેલું બોલતાં શીખતો થયેલો અનિકેત અરુણને જ ‘મા’ કહીને બોલાવતો !

મુખ્ય ચીજ જીવન! જીવનમાં ન ઊતરી હોય તેવી કોઈ ડહાપણ ડાહી વાતો નહીં! માત્ર પારિવારિક સંબંધોમાં જ નહીં, સામાજિક ક્ષેત્રે પણ કોઈ મજૂરોને ટોપલા ઉપાડતાં કે ઈંટો સરકાવતાં જુએ તો એ જોડાઈ જાય. એક તો, કોઈ વોલીબોલ ખેલતું હોય અથવા તો રાસ રમતું હોય તો એમના પગ ઝાલ્યા ના રહે, બીજું કોઈ શ્રમિકને પરસેવે રેબઝેબ થતો કોદાળી લઈને ખોદતો જુએ તો એ વાર્યા વરે નહીં. સૌની સાથે હળવા-ભળવામાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય. છતાં ય એમની મૂળભૂત પ્રકૃતિમાં એક પ્રકારની અસંગવૃત્તિ દેખાય! ઘણી વિકટ પરિસ્થિતિમાં અને ઘણા દિલદાર સંબંધોમાં પણ એક પ્રકારની તટસ્થતાનો અણસાર સાંપડે! સૌના સંગમાં રાજી રાજી તો ખરા, પરંતુ સહેલાઈથી કોઈના સંગનો રંગ ન લાગે. પોતાની અસ્મિતા અકબંધ રાખે! વિરહ-વેદના શું એ ન જાણે ! છતાં ય કાળજી-નિસ્બત પૂરેપૂરા ! મૃત્યુના સમાચારથી હાલી ન ઊઠે, બલકે કશુંક સારું થયાનો ભાવ અનુભવે! આવા માણસને શું કહેવો? રાગી – અનુરાગી કે વૈરાગી?  બીજા માટે કરી છૂટવામાં સહેજ પણ ખામી ન રાખે, પરંતુ જેવા out of sight એવા out of mind! એમને કશું ચોંટી, વળગી ન શકે. હાજરાહજૂર માણસ ભગવાન જેવો! પણ જાય પછી પડછાયાને પોતાના સુધી લંબાવા ન દે !

જોવું-જાણવું, હરવું-ફરવું ગમે, ખૂબ ગમે. પણ એના માટેના પ્રયત્નોમાં આંગળી પણ ઊંચી ન કરે! સામે આવે તે સોનાથી પણ વધારે, પણ કશાની ય પાછળ પડી જવાની ઘેલછા નહીં! એટલે જ એ મહિનાઓ સુધી એકનું એક ગીત ગાતા રહ્યા કે ‘સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું!’ મમત નહીં, મમત્વ પણ નહીં, ગામડે બેસીને સર્વોદયનું કામ કરવાની ઊંડી લગન, પણ મારા વલણમાં નગરવાસ સહજ જણાયો, તો કદી ય એની રાવ-ફરિયાદ નહીં ! ‘રામ રાખે તેમ રહીએ’નો અભિગમ! આગ્રહ-અભિનિવેશ નહીં! હા, નજર સામે કશું ખોટું આચરાતું જુએ તો સત્યાગ્રહી પિતાનો પુત્ર સિંહની જેમ ગર્જી ઊઠે !

બાળપણથી જ ભગવાનની મૂર્તિના પાઠ-પૂજા-આરતી વગેરેના કાંઈ સંસ્કાર નહીં, ઘરની હવામાં જ ગાંધી વ્યાપી રહેલો,  છતાં મન થાય ત્યારે મંદિરે જઈ આવે. કહે, ‘ઈશ્વરે મારી કશી જ લાયકાત ન હોવા છતાં ઘણું બધું આપ્યું છે, એની કૃપા હું કેમ ભૂલી શકું?’

આમે ય, સ્વભાવમાં ક્યારેક આગ્રહ, મમત, ધાર્યું કરવાની વૃત્તિ હતી જ નહીં, પરંતુ હવે તો જો પહેનાવે, સો હી પહનૂંની વૃત્તિ છે, કશા ય પ્રયાસ વગર અમારું સહજીવન ‘મિલે સૂર મેરા તુમ્હારા ! તો સૂર બને હમારા !’ જેવું થઈ ગયું છે.

(૨૦૧૬માં પ્રકાશિત ‘મિલે સૂર મેરા તુમ્હારા’માંથી)

•

પતિ ‘પતાવન’ અરુણભાઈ

એક વાર અમે ચૌદ જણા સાબરમતી આશ્રમમાં ગોરક્ષાર્થ એકવીસ દિવસના ઉપવાસ પર બેઠાં. અરુણભાઈ બે-ચાર દિવસ માટે આવેલા. એક સાંજે પ્રાર્થનાનો સમય થવા આવ્યો હતો પણ છાવણીની છોકરીઓ હજુ વાસણોમાંથી પરવારી નહોતી. સહજ ભાવે અરુણે ત્યાં પહોંચીને મદદ માટે હાથ લંબાવ્યો, પણ સૌ બહેનો ‘ના-ના-ના’ કહીને ચિત્કારી ઊઠી. છતાં અરુણે તો પરાણે વાસણો માંજવાનું ચાલુ જ રાખ્યું. એ સહન ન થતાં બેત્રણ જણે ખેંચીને વાસણ લઈ લીધા અને બોલી, ‘તમને વાસણ માંજવા દઈએ તો લોક અમને એમ ન કહે કે ‘છોડિયું બધી મરી પરવારી હતી કે ભાઈને વાસણ માંજવા પડયાં ..’ ત્યારે ફરી હાથમાં વાસણ ખેંચી લેતાં અરુણે કહ્યું, જો તમને કોઈ આવું કહેને તો એમને કહેજો કે છોડિયું બધી તો પહેલાં પણ જીવતી હતી અને હજુ આજે પણ જીવે છે, પરંતુ પુરુષો બધાં મરી પરવાર્યા હતા, તેમાંથી એક ભાઈ પાછો જીવતો થયો છે!’

બહારનો સમાજ પતિપણું સચવાઈ રહે તે માટે ઘણી ચિંતા રાખે, પણ એને કોઈ ગાંઠે તો વાત બને ને! ઊલટું એક વાર ગામડાના એક છોકરાએ નવો પાઠ ભણાવ્યો, તે જ ગાંઠે બંધાઈ ગયો. એકવાર શાળામાં વાર્તા કહેવા ગયા. શરૂની પ્રાર્થનામાં એક છોકરો પોતાની આંખો સજ્જડ ભીડી, ધૂન આ રીતે ઝીલે – “રઘુપતિ રાઘવ રાજારામ, પતિ ‘પતાવન’ સીતારામ!” ધ્યાન ગયું પછી તો હસવું હાથમાં ન રહે, પણ પ્રાર્થના પછી અરુણભાઈએ કહ્યું, “અત્યારે સુધી અમે ધૂન ગાતાં કે, પતિત-પાવન સીતારામ! રામજી પતિતોને પણ પાવન કરે છે. પરંતુ આજે તમારી શાળાના આ નાનકડા બાળે નવો અર્થ સમજાવ્યો કે, રામજી ‘પતિ-પતાવન’ હતા, એટલે કે પોતાનું પતિપણું, માલિકીપણું, સ્વામિત્વ એમણે પતાવી દીધું હતું. સમાજનું પતિત્વ પણ પતાવી શકે એવા છે આ રામજી!”

     – મીરા ભટ્ટ

(“અખંડ આનંદ”, સપ્ટેમ્બર, ૨૦૦૩માંથી સારવીને)

સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 16 ઑક્ટોબર 2024; પૃ. 12-15 તેમ જ 23

Loading

ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોની ભૂમિકા ..

હિદાયત પરમાર|Opinion - Opinion|6 November 2024

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણને મળેલી આઝાદી લાંબા સંઘર્ષનું પરિણામ હતું, જેમાં વિવિધતામાં એકતાના પ્રતિક એવા આપણા ભારતના તમામ વર્ગ અને સમુદાયોનાં પુરુષો અને મહિલાઓનાં યોગદાન અને બલિદાન સામેલ હતાં. ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ભારતીય મુસ્લિમોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યા વિના આ આઝાદીની ચળવળ અધૂરી રહેશે, જે દસ્તાવેજો અને પુસ્તકોનાં સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે જ.

અંગ્રેજો સામેની ભૂમિકામાં અઢારમી સદીના મધ્યમાં પલાસી(પ્લાસી)-ના યુદ્ધ સાથે ૨૩ જૂન, ૧૭૫૭માં શરૂ થયેલ બળવો. તે વખતના નવાબ સિરાજ-ઉદ-દૌલા કે જેમણે પ્રથમ ભારતીય શાસકોને જાગૃત કર્યા અને બ્રિટિશરો વિરુદ્ધ બ્યુગલ ફૂંક્યું. તેમ છતાં, તેઓ તે યુદ્ધ હારી ગયા અને ૨૪ વર્ષની નાની ઉંમરે તેમને ફાંસી આપવામાં આવી. ૧૭૮૦થી ૧૭૯૦ના દાયકામાં મૈસૂરના શાસક હૈદર અલી અને તેમના પુત્ર ‘મૈસૂરના વાઘ’ ટીપુ સુલતાન દ્વારા અઢારમી સદીમાં ભારતમાં અંગ્રેજો સામે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવ્યું. ૧૭૯૯માં ચોથા એંગ્લો-મૈસૂર યુદ્ધ દરમિયાન લોર્ડ વેલેસ્લી દ્વારા ટીપુ સુલતાનની ષડ્યંત્ર થકી હત્યા કરવામાં આવી હતી.

મુહંમદ અશફાકઉલ્લાહ ખાન

શાહજહાંપુરના મુહંમદ અશફાકઉલ્લાહ ખાન જેમણે કાકોરી (લખનૌ) ખાતે બ્રિટિશ તિજોરી લૂંટવાનું કાવતરું રચ્યું અને લૂંટ કરી સરકારી વહીવટને અપંગ બનાવી દીધું અને તેમને ફાંસી આપતાં પહેલાં તેમની છેલ્લી ઈચ્છા પૂછતાં તેમણે કહેલ કે : કોઈ જ ઈચ્છા બાકી રહી નથી, બસ, કોઈક મારા કફનમાં મારી માતૃભૂમિની થોડી માટી મૂકી દે, એ જ અંતિમ ઈચ્છા.

અબ્દુલ ગફાર ખાન

‘સરહદના ગાંધી’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સેનાનીઓમાંના એક હતા અને પોતે ‘સરહદના ગાંધી’નું બિરુદ મેળવી મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા હતા. અબ્દુલ ગફ્ફાર ખાન ગાંધીને મળ્યા અને ૧૯૧૯માં રોલેટ એક્ટ આંદોલન દરમિયાન રાજકારણમાં જોડાયા, જે આંદોલને રાજકીય અસંતુષ્ટોને અજમાયશ વિના ધરપકડ કરવાની મંજૂરી આપી. પછીનાં વર્ષોમાં તેઓ ખિલાફત ચળવળમાં જોડાયા.

એ જ રીતે, ગદ્દર પાર્ટીના બરકતુલ્લાહ અને સૈયદ રહેમત શાહે ભારતીય આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. તે વખતના એક બહુ મોટા ઉદ્યોગપતિ એવા ઉમર સુભાની, બોમ્બેના કરોડપતિ, જેમણે, ગાંધીજીને કાઁગ્રેસના ખર્ચ માટે એક કોરો ચેક રજૂ કર્યો હતો અને આખરે આઝાદી માટે લડતાં લડતાં પોતાના જીવનનું બલિદાન આપ્યું. મૌલાના હસરત મોહાનીએ પોતાની કવિતાઓ થકી યુવાન હ્રદયોમાં સ્વતંત્રતાનો ઉત્સાહ ભર્યો હતો.

છેલ્લા મુઘલ બાદશાહ, બહાદુર શાહ ઝફર, ભારતીય સ્વતંત્રતા માટે મજબૂતાઈથી લડનારા રાજવી હતા, જે લડત ૧૮૫૭ની સ્વતંત્રતા સંગ્રામ તરફ દોરી ગઈ. મુસ્લિમોએ આઝાદીની લડત માટે મસ્જિદોનો ઉપયોગ કર્યો. જ્યારે એક ઈમામ ઉત્તર પ્રદેશની એક મસ્જિદમાં ભારતીય સ્વતંત્રતા વિશે સંબોધન કરી રહ્યા હતા, ત્યારે બ્રિટિશ આર્મીએ તે મસ્જિદમાં રહેલા તમામ મુસ્લિમો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

મૌલાના અબ્દુલ કલામ આઝાદ

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક, જેમનું નામ સ્વતંત્રતાની લડતમાં અગ્રેસર લેવાય છે એવા મૌલાના અબુલ કલામ આઝાદ કે જો માત્ર ૧૬ વર્ષની નાની વયે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. ભારત આઝાદ થયા પછી પણ રાષ્ટ્ર માટે તેમની સેવા બંધ નહોતી થઈ, અવિરત તેમણે તેમના છેલ્લા શ્વાસ સુધી ભારતની સેવા ચાલુ રાખી હતી.

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના બખ્ત ખાને, ૧૮૫૭ના બળવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. અનુભવી આર્મીમેન તરીકે, બખ્ત ખાને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સુબેદાર તરીકે સેવા આપી હતી. પછીથી બખ્ત ખાને બળવાખોર દળોની કમાન સંભાળી. તેમની મજબૂત અને શક્તિશાળી આ બળવા પ્રવૃત્તિઓએ બ્રિટિશ શાસકોને આ માણસનો શિકાર કરવા માટે પ્રેરિત કર્યા. ૧૮૫૯ના મે મહિનામાં બ્રિટિશરોએ તેમને ગોળી મારી દીધી હતી.

કેરળના મુહંમદ અબ્દુર રહીમે મીઠા સત્યાગ્રહની જેમ જ ત્યાં સત્યાગ્રહ કરેલ અને તેમને સાત  મહિનાની સખત કેદની સજા ફટકારાઈ હતી. તેમણે મુસ્લિમ લીગ પાર્ટીના બે રાષ્ટ્રના સિદ્ધાંત વિરુદ્ધ મુસ્લિમ જનતાને એકત્રિત કરી ૨૩ નવેમ્બર ૧૯૪૫ના રોજ કોડિયાથુર ખાતે જાહેર સભાને સંબોધ્યા બાદ તરત જ અંતિમ શ્વાસ લીધા હતા.

ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદથી પ્રેરિત, અબ્બાસ અલી શિક્ષણ પૂર્ણ કર્યા પછી કિશોરાવસ્થામાં જ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. તેઓ ઇન્ડિયન નેશનલ આર્મી (આઈ.એન.એ.) / ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાયા અને ત્યારબાદ કોર્ટ-માર્શલ કરવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.

સૈયદ મુહંમદ શરફુદ્દીન કાદરી ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ આંદોલન દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. તેમણે દરેક સંઘર્ષમાં મહાત્મા ગાંધીને ભરપૂર ટેકો આપ્યો હતો અને મહાત્મા ગાંધી સાથે એક જ જેલમાં કેદ રહ્યા હતા.

જ્યારે હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ દરરોજ જેલમાં જઈ રહ્યા હતા, ત્યારે આસીફ અલી આગળ આવ્યા અને તેમને જેલોમાંથી બહાર કાઢવા માટે કાનૂની લડાઈઓ લડી હતી. તેઓ જવાહરલાલ નેહરુ સાથે જેલમાં પણ ગયા હતા. તેમણે ‘ભારત છોડો ચળવળ’માં ભાગ લીધો હતો અને ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા. ૧ એપ્રિલ ૧૯૫૩ના રોજ, આસીફ અલીનું ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપતી વખતે બર્ન(સ્વિટ્ઝરલેન્ડ)માં અવસાન થયું. ૧૯૮૯માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

મૌલાના મઝહરુલ હક

સૈફુદ્દીન કિચલૂ

૨૨ ડિસેમ્બર ૧૮૮૬ના રોજ બિહારના પટના જિલ્લામાં જન્મેલા, મૌલાના મઝહરુલ હક ૧૮૯૭ના દુકાળ દરમિયાન તેમના સામાજિક-સેવાકીય કાર્યો માટે જાણીતા બન્યા હતા. તેમણે અસહકાર અને ખિલાફત ચળવળો અને ચંપારણ સત્યાગ્રહને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જાન્યુઆરી ૧૯૩૦માં તેમનું અવસાન થયું તે પહેલાં તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની બધી મિલકત દાનમાં આપી દીધી હતી. તેમના સન્માનમાં, એપ્રિલ ૧૯૮૮માં, પટના ખાતે અરબી અને પર્શિયન (ફારસી) યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જલિયાંવાલા બાગના હીરો તરીકે ઓળખાતા ડો. સૈફુદ્દીન કિચલૂએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન રોલેટ એક્ટનો વિરોધ કરીને ૩૦ માર્ચ, ૧૯૧૯ના રોજ ઐતિહાસિક જલિયાંવાલા બાગમાં જાહેર સભા યોજી હતી. ત્યાં તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસકોની નિંદા કરતું વ્યાખ્યાન આપ્યું. બ્રિટિશ સરકારે ડો. કિચલુને ચર્ચા માટે આમંત્રિત કર્યા, પરંતુ તેમને એ બહાને કસ્ટડીમાં લીધા અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

મગફૂર એહમદ એઝાઝી બિહારના રાજકીય કાર્યકર્તા રહ્યા હતા. મહાત્મા ગાંધીના અનુયાયી બનવા બી.એન. કોલેજ, પટનાનો અભ્યાસ છોડી દીધો અને ૧૯૨૧માં અસહકાર આંદોલનમાં જોડાયા. ત્યાં તેમણે સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો, જેમાં વિદેશી કપડાં સળગાવવા અને બહિષ્કાર, મીઠાનો કાયદો તોડવો, વ્યક્તિગત સત્યાગ્રહ, સાયમન કમિશન વિરોધ અને ભારત છોડો સામેલ છે. યુસુફ મહેર અલી ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા હતા. તેઓ નેશનલ મિલિશિયા, બોમ્બે યુથ લીગ અને કાઁગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સ્થાપક હતા અને અનેક ખેડૂત અને ટ્રેડ યુનિયન ચળવળોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

જે.પી. અને લોહિયા જોડે મહેર અલી

મહેર અલીએ “સાયમન ગો બેક” અને “ભારત છોડો”નો આવિષ્કાર કર્યો હતો અને બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી સ્વતંત્રતા મેળવવા માટે ભારતના છેલ્લા રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે મહાત્મા ગાંધી સાથે ભારત છોડો આંદોલનનો ભાગ બન્યા હતા. તેઓ ભૂગર્ભમાં ચાલતી ચળવળોના સહભાગી રહ્યા હતા અને ભારત છોડો આંદોલનમાં મોખરે હતા. હૈદરાબાદના રહેવાસી આબિદ હસન સફરાની, જેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના વિશ્વાસુ સહાયક, આઈ.એન.એ.ના મેજર અને પછીથી, સ્વતંત્ર ભારતના પ્રારંભિક રાજદ્વારીઓમાંના એક હતા. તેમણે ‘જય હિન્દ’ના નારાનો આવિષ્કાર કર્યો હતો.

અસહકાર આંદોલન અને સ્વદેશી ચળવળમાં જબરદસ્ત મુસ્લિમ ભાગીદારી જોવા મળી હતી. જનાબ સબુસિદ્દીક, જે તે સમયના સુગર-કિંગ હતા તેમણે અંગ્રેજ હુકુમતના બહિષ્કારના સ્વરૂપ તરીકે પોતાનો વ્યવસાય છોડી દીધો. ખોજા અને મેમણ સમુદાયો તે સમયના સૌથી મોટા બિઝનેસ હાઉસની માલિકી ધરાવતા હતા અને તેમના આ બહિષ્કારને ટેકો આપવા માટે તેમના ભંડારવાળા ઉદ્યોગોથી અલગ થઈ ગયા હતા !

મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એટલા જ સક્રિય હતા. મૌલાના આઝાદને ઘણી વખત વસાહતી શક્તિઓ દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં અંગ્રેજો સામે તેમની કલમનો ઉપયોગ ચાલુ રહ્યો હતો. હકીકતમાં, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને કારણે જાહેરમાં શહીદ થનાર પ્રથમ પત્રકાર પણ મુસ્લિમ હતા – તે હતા મૌલાના બાકર.

ભારતીય રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ મુસ્લિમ મહિલાઓની હૃદયપૂર્વકની સેવાઓના ઉલ્લેખ વિના પણ અધૂરો જ રહેશે. એક અંદાજ મુજબ લગભગ ૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો. ઓગણીસમી સદીની શરૂઆતથી જ મુસ્લિમ ક્રાંતિકારીઓનું યોગદાન જોઇ શકાય છે. ૧૮૫૭-૫૮ દરમિયાન દિલ્હીમાં ફાંસી આપવામાં આવેલા મુસ્લિમોની સંખ્યા ૨૭,૦૦૦ આસપાસ હતી. આ બળવા દરમિયાન અસગરી બેગમ (કાઝી અબ્દુર રહીમના માતા, થાના ભવનના ક્રાંતિકારી, મુઝફ્ફરનગર) બ્રિટિશરો સામે લડ્યાં હતાં અને હાર્યાં ત્યારે તેણીને જીવતા સળગાવી દેવામાં આવ્યાં હતાં.

૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો, એમાંથી એક અવધના ક્રાંતિકારી રાણી બેગમ હઝરત મહલ, આઝાદીના પ્રથમ યુદ્ધના નાયિકા રહ્યાં હતાં, જેમણે બ્રિટિશ શાસક સર હેનરી લોરેન્સને ગોળી મારી હતી અને ૩૦ જૂન,૧૮૫૭ના રોજ ચિન્હાટ ખાતે નિર્ણાયક યુદ્ધમાં બ્રિટિશ સેનાને હરાવી હતી. સેંકડો મહિલાઓ કે જેમણે બ્રિટિશ રાજ સામે તેમના પારિવારિક પુરુષો (પતિ, ભાઈ, પિતા) સાથે રહી આઝાદીની લડાઈ લડી હતી. અબાદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીનાં માતા), અમજદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીનાં પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીનાં પત્ની), બેગમ સકીના લુકમાની (ડો. લુકમાનીના પત્ની અને બદરૂદ્દીન તૈયબજીનાં પુત્રી), નિશાત-ઉન-નિસા (બેગમ,હસરત મોહાની), સાદત બાનો કિચલૂ (ડો. સૈફુદ્દીન કિચલૂનાં પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આઝાદનાં પત્ની), મેહર તાજ (ખાન અબ્દુલ ગફ્ફાર ખાનનાં પુત્રી), ઝુબૈદા બેગમ દાઉદી (શફી દાઉદીનાં પત્ની, બિહારના પ્રતિષ્ઠિત રાષ્ટ્રવાદી ) અને અન્ય ઘણાંબધાં હતાં, યાદી લાંબી છે.

અરુણા અસફ અલી સ્વતંત્રતા ચળવળના ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે જાણીતાં છે. તેણી ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાં ભારતીય ધ્વજ ફરકાવવા માટે જાણીતાં છે. ૧૯૩૨માં, તેઓ રાજકીય કેદીઓ સાથેના દુર્વ્યવહાર સામે તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતાં. આવી અન્ય ઘણી, અસંખ્ય બહાદુર વ્યક્તિઓ કે જેમણે દેશના તમામ લોકો સાથે મળીને નાત-જાત-ધર્મ જોયા વગર એકતા સાથે પોતાના રાષ્ટ્ર માટે લડ્યા.

“જય હિન્દ” “ભારત છોડો” “સાયમન પાછો જા” “ઇન્કિલાબ જિંદાબાદ” “સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ” “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા” જેવા પ્રખ્યાત દેશભક્તિના સૂત્રો સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વપરાતા હતા. સ્વતંત્રતા સંગ્રામના આ નારાઓ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા રચવામાં આવ્યા હતા.

[પાલનપુર]
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 16 ઑક્ટોબર 2024; પૃ. 18-19

Loading

...102030...499500501502...510520530...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved