Opinion Magazine
Number of visits: 9557234
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોબા સન્મુખની એ ધન્ય ઘડી

જ્યોતિભાઈ દેસાઈ|Gandhiana|3 October 2024

જ્યોતિભાઈ દેસાઈ

ગાંધીજીની હાકલ સાંભળીને ગામડામાં જઈને રચનાત્મક કામ કરવાનો નિર્ણય મેં ૧૯૪૪ની સાલમાં જ કરી લીધો હતો. હજુ તો મેં કૉલેજમાં ભણવાની શરૂઆત જ કરી હતી. મુંબઈમાં જ્યાં અમે રહેતા હતા, ખાર-સાંતાક્રુઝ વિસ્તાર – ત્યાંનો તે વખતનો માહોલ રાષ્ટ્રીયતાથી ભર્યો-ભર્યો હતો. સ્વરાજ્યની ચેતના તેમ જ સ્ફૂર્તિ એક ભાવનાશીલ તેમ જ વિચારશીલ વર્ગમાં વ્યાપ્ત હતાં. તેથી મારા આ નિર્ણયને પોષણ મળતું રહ્યું અને મારો ઉત્સાહ પણ વધતો રહ્યો.

મંથન ચાલી રહ્યું હતું, સાથે સાથે ગાંધી-વિનોબાના વિચારોનું અધ્યયન પણ કરી રહ્યો હતો. તેવામાં વિનોબાજીની એક મહત્ત્વની સૂચના વાંચવા મળી. તેમના વિધાનના મૂળ શબ્દો તો યાદ નથી પરંતુ તેનો ભાવાર્થ આવો હતો, “દરેકના નસીબમાં લક્ષ્મણ જેવું સદ્ભાગ્ય પ્રાપ્ત કરવાનું તો શક્ય નથી હોતું. રામ અને સીતામાતાની પ્રત્યક્ષ સેવા કરવાનું સદ્ભાગ્ય લક્ષ્મણને મળ્યું હતું, સંજોગો એવા સરસ ઊભા થયા તેના માટે. પરંતુ ભરત જેવું ભાગ્ય તો આપણે બધા જ મેળવી શકીએ તેમ છીએ ! તેમણે રાજસિંહાસન પર ભગવાન રામચંદ્રની પાદુકાનું જ સ્થાપન કરી દીધું અને તેમાંથી પ્રેરણા તેમ જ આદેશ મેળવતા મેળવતા આખું જીવન જીવ્યા” –

આ વાંચતાં જ આ વાત હૃદયમાં વસી ગઈ. એ બાબત ધ્યાનમાં આવી ગઈ કે બાપુના બતાવેલા માર્ગ પર ચાલવા માટે તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની જરૂર નથી. પરિણામે આગળના જીવનમાં ક્યાં, કેમ, કેવી રીતે શું કરવાનું છે તે બધું સ્પષ્ટ થતું ગયું. આમ, ગામમાં જઈને વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં નઈતાલીમના પ્રયોગ કરવામાં જીવન વીત્યું. અને તેનું સમાધાન પણ હૃદયમાં છે.

વિનોબાજી

બાપુના અવસાનના તરત બાદ વિનોબાજીના ‘શ્રાદ્ધ કે તેરહ દિન’-નાં જે પ્રવચન થયાં, તે વાંચીને ચિત્તને ઘણી સ્વસ્થતા મળી. ગાંધીજીની વિદાય બાદ લગભગ એક વર્ષ સુધી વિનોબાજી આખા દેશમાં ફર્યા. તે દરમિયાન તેઓ મુંબઈ પણ આવેલા. બોરીવલીના કોરા કેન્દ્રમાં તેમનો રાતવાસો હતો. પ્રવચન બાદ તેમને એક પ્રશ્ન પૂછવાનું સાહસ મેં કર્યું હતું. તે વખતે ‘હરિજનબંધુ’માં કિશોરલાલભાઈએ ‘ગુર્જર નાગરી’નો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાતી અને દેવનાગરી લિપિમાં માત્ર નવ અક્ષર જુદા છે. તેમનું સૂચન હતું કે આ નવ અક્ષર ગુજરાતીમાં લખતી વખતે જો આપણે દેવનાગરી લિપિમાં લખીએ તો આખા દેશના વધુમાં વધુ લોકો ગુજરાતી સહેલાઈથી વાંચી શકશે.

કિશોરલાલભાઈની આ વાતનો હું પ્રચારક જ બની ગયો હતો. મેં બાબાને પૂછ્યું, “તમે કિશોરલાલભાઈની લિપિ-સુધારની વાતનો પ્રચાર કેમ નથી કરતા ?” બાબાએ તે વખતે આનો શું જવાબ આપ્યો તે હમણા તો યાદ નથી, પરંતુ તેમણે આ વાત તરફ બહુ ધ્યાન ન આપ્યું. એ બરાબર યાદ છે. પણ હું ક્યાં પોતાની વાત છોડું તેવો હતો ! મેં તો બાબાને એક પત્ર લખ્યો અને પોતાની વાત દોહરાવી.

આના પરિણામે એક અસાધારણ ઘટના બની ગઈ. તા. ૩-૧૧-૯૪ના દિવસે પરંધામ આશ્રમ પવનારથી લખાયેલો એક પોસ્ટકાર્ડ મારી પાસે આવ્યો. જેમાં સુંદર અક્ષરોથી લખેલો વિનોબાજીનો વિસ્તૃત જવાબ હતો ! હું તો આનંદાશ્ચર્યથી ચકિત-સ્તબ્ધ થઈ ગયો. ગાંધીજીએ જેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કરેલા તેવા મહાપુરુષની મારા જેવા નાચીઝ યુવકની સાધારણસી પૃચ્છાના જવાબમાં ‘શ્રી જ્યોતિન્દ્ર’ કરીને પત્ર આવે એ તો મારા સ્વપ્નમાં પણ ન હતું. પરંતુ આ તો વિનોબા હતા ને ! તેમણે પત્રમાં લખ્યું હતું કે, “ગુર્જર-નાગરીને ગુર્જર-લિપિના સુધારા તરીકે હું પસંદ કરું છું. પરંતુ નાગરીના સુધારા માટે મારી એક યોજના છે જેને મેં ‘લોકનાગરી’ નામ આપ્યું છે. અને ‘લોકનાગરી લિપિ’ નામની નાનકડી પુસ્તિકા મરાઠીમાં પ્રકાશિત કરી છે. એ લિપિમાં એક આખું માસિક પત્ર ‘સેવક’ પણ પ્રકાશિત કરું છું. તમે જો થોડી ઘણી મરાઠી જાણતા હો તો હું તમને એ વાંચવાની ભલામણ કરું છું. તેનું વાર્ષિક મૂલ્ય રૂપિયા ત્રણ છે અને તે ગોપુરી, વર્ધાથી પ્રકાશિત થાય છે.

“હવે તમને પ્રશ્ન થશે કે લોકનાગરીનો નમૂનો હું ‘સર્વોદય’ હિંદી માસિકમાં કેમ નથી આપતો ? તેનો જવાબ એટલો જ છે કે પહેલાં હું વિચારોનો પ્રચાર-પ્રસાર ઇચ્છું છું; તેના પછી લિપિ-સુધાર જેવી વાતો પર વિચાર કરીશું …. મારે પોતાના સુધાર કોઈ પણ રીતે લોકો પર લાદવા નથી.”

– વિનોબા

‘પોકેટ મની’ તરીકે મને મારાં મા દર મહિને છ રૂપિયા આપતાં હતાં. જેમાંના મોટા ભાગના પૈસા આમ પણ હું પુસ્તકો ખરીદવા જ વાપરતો હતો. તો સહેલાઈથી અને ખુશ થઈને મેં ‘સેવક’નું લવાજમ મોકલી આપ્યું. ‘સેવક’ દ્વારા મેં ઘણું પ્રાપ્ત કર્યું. મુખ્યત: તેમાંથી વિનોબાજીના વિચારો અપનાવવાની પ્રેરણા તેમ જ ઉત્સાહ મળ્યાં. જીવનમાં સાદગી આવી. આમ, જીવનના અલગ અલગ મોડ પર પૂ. બાબા પાસેથી પ્રેરણા મળતી જ રહી અને જીવવા માટેની શક્તિ પણ મળતી રહી.

એક વાર વેડછીમાં ગાંધીવિદ્યાપીઠની સ્થાપના બાદ પવનાર આશ્રમ જવાનું થયું. બાલભાઈએ પૂ. બાબાને લખીને આપ્યું કે આ વેડછીથી આવ્યા છે. બાબા અમારી સામે જોઈને બોલ્યા,

“વિષ્ણુ-સહસ્રનામની જેમ મારું પણ એક વિષ્ણુ-સહસ્રનામ છે, જેમાં દેશ અને વિશ્વભરના બધા સાથી કાર્યકરો તેમ જ મિત્રોનાં નામ છે. તેમને હું હંમેશ યાદ કરું છું. તેમના પર અભિધ્યાન પણ કરું છું. એ યાદીમાં જુગતરામભાઈનું નામ પણ છે. સત્યાગ્રહ (સાબરમતી) આશ્રમથી તેમનો અને અમારો સાથ છે.”

મારા સાથી મિત્ર મીનુભાઈ કકલિયાએ કહ્યું, “જુગતરામકાકાની પ્રેરણાથી જ ગાંધીવિદ્યાપીઠ શરૂ કર્યું છે. આ જ્યોતિભાઈ તેના આચાર્ય છે. શિક્ષકોને તેઓ નઈ તાલીમનું પ્રશિક્ષણ આપી રહ્યા છે.

હવે બાબાએ સીધું મારી સામે જોયું ને બોલ્યા, “અરે ભાઈ, નોકરીઓ તો છે નહીં, હજારો બેકાર ફરી રહ્યા છે. કોઈને નોકરી મળે તો માનો કે લોટરી લાગી ગઈ ! આવા નોકર પેદા કરવા એ આપણું કામ નથી. જુઓ, નઈતાલીમનું કામ કરવા માંગતા હો તો તમારા વિદ્યાલયની સામે બોર્ડ લગાડો અને તેના પર લખો કે, “અહીં સર્ટિફીકેટ મળશે નહીં. માત્ર સારા શિક્ષક બનવા માંગતા હોય તેવા મિત્રોને મદદ કરવામાં આવશે.” શું આવું કરવાની હિંમત છે, તમારામાં ? – અને પછી તેઓ પાતાની મસ્તીથી હસવા લાગ્યા.

વિનોબાજી

પૂ. બાબાનો મસ્તીભર્યો એ ચહેરો અને આંખોની ચમક આજે પણ આંખોની સામે છે. તેમની એ અપેક્ષા સુધી તો અમે નહીં પહોંચી શક્યા, પરંતુ અમારો પ્રયત્ન જરૂર એવો રહ્યો કે અમારા વિદ્યાલયમાં શિક્ષણ લેનાર ભાઈ-બહેન નોકરી માટે નહીં પરંતુ સાચા આદર્શ શિક્ષક બનવા પ્રયત્નશીલ રહે.

૧૯૭૨ના ઑક્ટોબરમાં હિંદુસ્તાની તાલીમી સંઘ તરફથી શ્રીમન્નારાયણજીએ રાષ્ટ્રીય શિક્ષા-સંમેલનનું આયોજન સેવાગ્રામમાં કર્યું હતું. સંમેલનમાં ગાંધી-વિનોબા વિચારમાં માનવાવાળા તેમ જ તે રીતે કામ કરનારાઓની સંખ્યા મર્યાદિત હતી. મોટાભાગના પ્રોફેસર્સ, યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ વગેરે હતા. સંમેલનનું ઉદ્ઘાટન તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ કર્યું. એ સંમેલનની એક બેઠક વિનોબાજી પાસે પવનારમાં કરવામાં આવે તેવું વિચારવામાં આવ્યું. આવેલા મહાનુભાવોને વિનોબાજીનો કેટલો પરિચય હશે, તે એક સવાલ જ હતો. ખાસ કોઈ જિજ્ઞાસા, ઉત્કંઠા તેમનામાં જોવા મળતી ન હતી. કદાચ એમને લાગતું હશે કે આ જુનવાણી ગાંધીવાદી ડોસો સ્વાવલંબન, ચરખો ચલાવવો વગેરે સિવાય બીજી શું વાત કરશે ?

બાબાએ હંમેશની જેમ પોતાની કુટીની સામે પ્રાર્થના-સ્થળ પર બેસીને બોલવાનું શરૂ કર્યું. તે વખતે તેમને જે સૂઝતું જતું હતું તે તેઓ ‘લાઉડ થીંકીંગ’ સ્વરૂપે દિલ ખોલીને બોલી રહ્યા હતા. આચાર્યોની એક સહજ ગોષ્ઠી કરવાનો પોતાનો મનસૂબો પણ તેમણે વ્યક્ત કર્યો.

પહેલાં તો ‘હું તમારા જેવો શિક્ષિત નથી, મેટ્રિક પછી ફેટ્રિક સુધી જ પહોંચ્યો છું’…. એવી નમ્રભાવે પ્રસ્તાવના કરી. પછી અભણ પ્રોફેટ(મોહંમદ સાહેબ)ની વાત કરતા એક તડાકો જ લગાવ્યો : “શિક્ષિત લોકોની એ પરિસ્થિતિ છે કે તેમના અને ભગવાન વચ્ચે એક ‘પડદો’ ઊભો થઈ જાય છે. પુસ્તક દીવાલ બની જાય છે – સૃષ્ટિ અને વ્યક્તિ (પોતાની) વચ્ચે. તેથી આજ સુધી જેટલું ‘લર્નિંગ’ થયું છે તેને ભૂલી જવાની, તેનું ‘અનલર્નિંગ’ કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ; જેથી સાફ, સ્વચ્છ દૃષ્ટિ પ્રાપ્ત થાય.”

ત્યારબાદ ‘યોગ-ઉદ્યોગ-સહયોગ’ વાળું સર્વોત્તમ, દિશાસૂચક, નઈતાલીમના ઇતિહાસમાં એક સીમાસ્તંભરૂપ ગણાય એવું તેમનું પ્રખ્યાત વ્યાખ્યાન થયું. શિક્ષણનું એક ઉપનિષદ જ જાણે પ્રગટ થયું ! અંતમાં ગુણદર્શન, ગુણગ્રહણની વાત મૂકતાં તેમણે અસમના મહાપુરુષ સંત માધવદેવને ટાંક્યા –

अधमे केवले दोष लवय

मध्यमे गुणदोष लवे करिया विचार

उत्तमे केवले गुण लवय

उत्तमोत्तमे अल्प गुण करय विस्तार !

જે અધમ છે, તે સામેવાળાના માત્ર દોષ જુએ છે, મધ્યમ બુદ્ધિનો મનુષ્ય ગુણ-દોષ બંને જોઈને વિચાર-વિવેક કરે છે. ઉત્તમ વ્યક્તિ માત્ર ગુણ ગ્રહણ કરે છે, જ્યારે કે ઉત્તમોત્તમ જે છે, તે કોઈનામાં નાનકડો પણ ગુણ જુવે તો તેને મોટો કરીને જુવે છે. આટલું કહીને બાપુ સાથે થયેલી પોતાની વાત સંભળાવી. વિનોબાજીએ પૂછ્યું, “બાપુ, આપ તો સત્યનિષ્ઠ છો, તો પછી પોતાના દોષ વધારીને અને સામી વ્યક્તિના ઘટાડીને જોવાનું કેમ કહી શકો ? ગણિતમાં વધારવાનું- ચઢાવવાનું નથી હોતું.”

બાપુએ કહ્યું, “તારી વાત સાચી છે, પરંતુ વિચારવાની વાત એ છે કે આ ‘સ્કેલ’ વધારવાની વાત છે. પોતાનો દોષ માણસને હંમેશાં નાનો દેખાય છે. તેથી તેને વધારીને જોવાથી પ્રોપર પર્સ્પેક્ટીવ-યથાર્થ દર્શન આવે છે. તેવી જ રીતે બીજાનો ગુણ, જે આપણને નાનો દેખાય છે, તેને વધારીને જોવાનું કહ્યું છે.”

આ સંવાદ સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાંથી અનાયાસ આંસુ વહેવા લાગ્યાં. ધન્ય ઘડી હતી એ ! જીવન જીવવાની એક ચાવી તેમણે પકડાવી દીધી હતી. મજાની વાત તો એ હતી કે બાપુએ આ મહાન ‘ગણિતશાસ્ત્રી’ને ગણિતની પરિભાષામાં જ જવાબ આપ્યો હતો !

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2024; પૃ. 08-09

Loading

સત્યની શોધ અને સત્યનું સમર્થન એ જ સાચો ધર્મ …

સોનલ પરીખ|Opinion - Opinion|3 October 2024

ધર્મ સ્થપાય છે ત્યારે તેનું સત્ય જુદું હોય છે. માનવસ્વભાવના પાપે ધર્મો શ્રદ્ધા અને સાધનાના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. તેને કટ્ટર અને અંધ ભક્તોના મોટા સમૂહનો ટેકો પણ મળે છે. સડો વધી જાય પછી એ જ માનવસ્વભાવના પુણ્યે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે ધર્મોમાં દેખાય છે.

યાદ રાખીએ કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી

‘મહારાજ’ ફિલ્મના વિવાદોના જામેલા માહોલમાં એક નવલકથા વિષે લખવાનું મન થાય છે – ‘દા વિન્ચી કોડ’.

આપણે જાણીએ છીએ કે સૌરભ શાહની ‘મહારાજ’ નવલકથાના મૂળમાં પત્રકાર કરસનદાસ મૂળજી પર જદુનાથ મહારાજે કરેલા કેસ અને એના ઔતિહાસિક ચુકાદાની વાત એટલે કે એક સત્યઘટના છે. ડેન બ્રાઉનની ‘દા વિન્ચી કોડ’માં ખ્રિસ્તી ધર્મનાં ઐતિહાસિક સત્યો વણાયાં હોવા છતાં તેનો ઘટનાક્રમ પૂર્ણપણે કાલ્પનિક છે. એટલે એ રીતે બંનેને સરખાવી ન શકાય, પણ મદોન્મત્ત ધર્મસત્તાધીશોની દુષ્ટતા સામે બંનેએ પોતપોતાની રીતે લાલ આંખ કરી છે એટલું નોંધવું જોઈએ.

‘દા વિન્ચી કોડ’(2003)ના લેખક પર ઇતિહાસ અને ધર્મ સાથે ચેડાં કર્યાનો આક્ષેપ હોવા છતાં ત્રણ વર્ષ પછી તેના પરથી ફિલ્મ બની અને જબરો વકરો કમાઈ. છ વર્ષમાં વિશ્વની 44 ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને 12 વર્ષમાં કુલ 80 મિલિયન નકલો વેચાઈ. તેના મુખ્ય પાત્રને ફરી લઇ લેખકે બીજી બે નવલકથાઓ લખી, ‘એન્જલ્સ એન્ડ ડેમન્સ’ (2009) અને ‘ઇન્ફર્નો’ (2016). એના પરથી પણ ફિલ્મો બની.

પેરિસના વિખ્યાત લૂવ્ર મ્યુઝિયમમાં, તેના જૈફ સંરક્ષક સોનિયેરના ખૂનની ઘટનાથી ‘દા વિન્ચી કોડ’ નવલકથા શરૂ થાય છે. ખૂની સિલાસ એક ધર્માંધ, કટ્ટર ખ્રિસ્તી છે. પોતાને અમાનુષી શારીરિક કષ્ટ આપતો રહે છે અને રહસ્યમય ‘ટીચર’ના હુકમથી હોલી ગ્રેઇલ માટે હત્યાઓ કરે છે. હોલી ગ્રેઇલ એટલે ગુપ્ત શક્તિઓ ધરાવતું પથ્થરનું પાત્ર. શિષ્યો સાથે લીધેલા છેલ્લા ભોજન વખતે ઇસુએ આ પાત્ર વાપર્યુ હતું અને ક્રૂસારોહણ પછી ઇસુનું લોહી એમાં ઝીલવામાં આવ્યું હતું.

સિલાસને ખોટી માહિતી આપી મરતાં પહેલા સોનિયેર પોતાને પ્રસિદ્ધ ચિત્રકાર અને માનવશરીર-રચનાના અભ્યાસી લિયોનાર્દો દ વિન્ચીના ‘વિટ્રુવિયન મેન’ના આકારે ગોઠવે છે, શરીર પર  લોહીથી પંચકોણ તારો દોરે છે અને સાંકેતિક સંદેશ મૂકે છે. ફ્રેંચ પોલીસને અમેરિકાના પ્રોફેસર રોબર્ટ લેન્ગડન પર શંકા છે. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસી લેન્ગડન અત્યારે પેરિસમાં વ્યાખ્યાનો આપવા આવ્યો છે. વ્યાખ્યાનોમાં કહે છે કે ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે નારીપૂજા થતી, એને બંધ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્ર, અત્યાચાર અને કત્લેઆમ થયાં, અંતે ધર્મનું રૂપ બદલાયું, નવા પ્રવાહે જૂનાં પ્રતીકો અને તથ્યોને ‘શેતાની’ ગણાવ્યાં – જેમ કે પાંચ બાજુઓવાળો તારો શેતાનનું પ્રતીક મનાય છે, પણ ખરેખર તો એ નારીપૂજાનું પ્રતીક છે વગેરે. પોલીસ અધિકારી સોનિયેરના સંદેશા ઉકેલવાને બહાને લેન્ગડનને ઘટનાસ્થળે લઇ આવે છે અને એના પર નજર રાખે છે. સોફી નેવ્યુ નામની ક્રિપ્ટોગ્રાફર (સંકેત-વિજ્ઞાન જાણનાર) લેન્ગડનને ત્યાંથી ભાગવા પ્રેરે છે. સોફી મરનાર સોનિયેરની પૌત્રી છે – દાદા સાથે ઘણા વખતથી સંપર્કમાં નહોતી, પણ દાદાએ જે સંકેત-સંદેશ તેના માટે મૂક્યો હતો, તેમાં લેન્ગડનનો ઉલ્લેખ હતો, તેથી લેન્ગડનને છોડાવવામાં તેને રસ હતો.

સોફી અને લેન્ગડન સોનિયેરના સંકેત મુજબ એક અજબ બેન્કના વૉલ્ટમાંથી એક નળાકાર ક્રિપ્ટેક્સ મેળવે છે – ક્રિપ્ટેક્સ એટલે ખાસ પ્રકારનું બૉક્સ, જેમાં ગુપ્ત દસ્તાવેજો છુપાવી શકાય. પાસવર્ડથી એ ખૂલે, પણ જોર કરીને ખોલવા જાઓ તો અંદરનો વિનેગર લીક થઈ દસ્તાવેજોનો નાશ કરે. નવલકથા કહે છે કે આ ક્રિપ્ટેક્સ પ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીની શોધ હતી.

પાસવર્ડ શોધવા બંને ટિબિંગની મદદ લે છે. ટિબિંગ એક તિહાસકાર છે, જેણે હોલી ગ્રેઈલ વિષે ખૂબ સંશોધન કર્યું છે. એ કહે છે કે ખ્રિસ્તી ધર્મના ભૂંસી નાખવામાં આવેલા તબક્કાનાં રહસ્યોના દસ્તાવેજો બ્રિટનમાં ક્યાંક છુપાવાયા છે. લિયોનાર્દો દ વિન્ચી આ રહસ્યો જાણતો અને પોતાનાં ચિત્રોમાં એના સંકેતો મૂકતો. આ સંકેતો પાછળથી નવા રંગ લગાડીને છુપાવી દેવાયા હતા. ‘મોનાલીસા’, ‘મેડોના ઓન ધ રોક્સ’ અને ‘ધ લાસ્ટ સપર’માં આવી ગુપ્ત સાબિતીઓ છે. ટિબિંગ કહે છે કે હોલી ગ્રેઇલનો ખરો અર્થ પવિત્ર નારીત્વ એવો છે અને એ મેરી મેગ્ડલિન છે. ‘ધ લાસ્ટ સપર’ ચિત્રમાં વિન્ચીએ મેરીને બતાવી છે. મેરી ઇસુની પત્ની હતી, ક્રૂસારોહણ વખતે હાજર હતી અને ખિસ્તી ધર્મના પ્રારંભકાળનું બહુ સશક્ત વ્યક્તિત્વ હતી. પાછળથી એને ઇસુની વેશ્યા શિષ્યા ખપાવી દેવામાં આવી હતી. ઇસુ અને મેરીના વંશજો હજી આ પૃથ્વી પર હયાત છે.

સિલાસથી બચવા ત્રણે ટિબિંગના પ્રાઇવેટ વિમાનમાં ભાગે છે. ક્રિપ્ટેક્સ ખૂલે છે, પણ એમાંથી બીજું ક્રિપ્ટેક્સ નીકળે છે જેને ખોલવા તેમને ન્યૂટનની કબર છે તે વિન્સમિન્સટર ચર્ચ, લંડનમાં જવાનું છે. વિમાનમાં સોફી કહે છે કે તેણે દાદાને એક વિચિત્ર ક્રિયાકાંડમાં એક સ્ત્રી સાથે જોયા હતા તેથી તે એમને છોડી ગઈ હતી, ત્યારે લેન્ગડન કહે છે કે એ એક પવિત્ર વિધિ હતો.

વિન્સમિન્સટર ચર્ચમાં પણ સિલાસ પહોંચે છે. ત્યાં ખબર પડે છે કે ‘ટીચર’ એ બીજું કોઈ નહીં, ટિબિંગ જ છે. તેને હોલી ગ્રેઇલ અને બીજી સાબિતીઓ વડે વેટિકન(કેથલિક હેડક્વાર્ટર)ને કબજે કરવું છે. દરમ્યાન ફ્રેંચ પોલીસ અધિકારી આવી પહોંચે છે, અથડામણમાં સિલાસ માર્યો જાય છે.

બીજા ક્રિપ્ટેક્સના સંદેશ મુજબ સોફી અને લેન્ગડન રોઝલિન દેવળમાં જાય છે. ત્યાં સોફીને તેનો મૃત મનાતો ભાઈ અને દાદી મળે છે. દાદી ચર્ચની અધિષ્ઠાતા છે અને તે સોફી અને તેના ભાઈને કહે છે કે તમે બંને ઈસુના વંશજો છો. સલામતી ખાતર તમારી ઓળખ છુપાવવામાં આવી હતી. ત્રીજા સંદેશનો અર્થ એ નીકળે છે કે હોલી ગ્રેઇલ લૂવ્ર મ્યુઝિયમના પિરામિડ નીચે દફન છે. લેન્ગડનને ત્યાં મેરી મેગ્ડલિનની પથ્થરની કબર મળે છે … વાર્તાની આ રૂપરેખા ખબર હોય તો પણ શૈલી અને સુંદર વર્ણનોને લીધે ‘દા વિન્ચી કોડ’ અશ્વિની ભટ્ટની નવલકથાઓની જેમ જકડી રાખે છે. વિન્ચીનાં ચિત્રો અને ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસનો ઈન્ટરનેટ પરથી તાળો મેળવતાં જવાની જુદી મઝા આવે છે.

દરેક ધર્મની જેમ ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં પણ વિરોધ અને વિદ્રોહ બંને રહ્યા છે. એનો લોહિયાળ ઇતિહાસ ઈસ્વીસનના પહેલા 500 વર્ષના રોમન સામ્રાજ્યકાળ સુધી લંબાય છે. હાર્વર્ડ સ્કૉલર કારેન કિંગનું સંશોધન કહે છે કે ઇસુ સ્ત્રીઓનો આદર કરતા અને સ્ત્રી-પુરુષ સંબંધને પવિત્ર ગણતા. ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે સ્ત્રીઓ આગળપડતી હતી. પછીથી તેમને દબાવી દેવામાં આવી. ન દબાઈ તેવી લાખો સ્ત્રીઓને ડાકણ ગણાવી ખતમ કરવામાં આવી. વિશ્વ પુરુષનું છે, ધર્મ પુરુષનો છે ને બંને જગ્યાએ સ્ત્રીનું સ્થાન ઉતરતું છે એ ઠોકી બેસાડવામાં આવ્યું. 1895માં આવા લેખોનું એક પુસ્તક બહાર પડ્યું હતું, ‘ધ વુમન્સ બાઇબલ’. સોળમી સદીમાં સૂર્યમાળાઓ વિષે સંશોધન કરનાર ગિયોનાર્દો બ્રુનોને ખ્રિસ્તી ધર્મસિદ્ધાંતોનું ખંડન કરવાનો આક્ષેપ મૂકી જીવતો બાળી મૂકવામાં આવ્યો હતો. 18મી સદીની ક્રાંતિઓ દરમ્યાન વૉલ્ટેર, રુસો, થોમસ પેઈન જેવા અનેક મોટાં માથાંઓએ તત્કાલીન ખ્રિસ્તી ધર્મની આલોચના કરી હતી. ત્યાર પછી આવેલા લિબરાલિઝમ અને કોમ્યુનિઝમના દેવતાઓ કાર્લ માર્કસ, જોન સ્ટુઅર્ટ મિલ્સ, નિત્ઝે વગેરેએ પણ ખ્રિસ્તી ધર્મને જૂનવાણી, બિનલોકશાહી અને એક પ્રકારની ગુલામીને ઉત્તેજન આપનાર કહ્યો હતો.

ધર્મ સ્થપાય તો છે સત્યના પાયા પર. પણ માનવસ્વભાવના પાપે અને કટ્ટર અંધભક્તોના મોટા સમૂહના ટેકે ઝડપથી ધર્મો સત્યના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. એક હદ પછી એ જ માનવસ્વભાવના પુણ્યે અને જાગૃત બુદ્ધિનિષ્ઠ શ્રદ્ધાળુઓની મહેનત વડે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે જગતના બધા ધર્મોમાં દેખાય છે.

આપણે તો એટલું યાદ રાખવાનું કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 જૂન  2024

Loading

શા માટે રાહુલ ગાંધી આર.એસ.એસ. ઉપર સીધો પ્રહાર કરે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 October 2024

ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે

રમેશ ઓઝા

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પ્રચારમાં અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારમાં એક ફરક છે. એ ફરક રાહુલ ગાંધીના પક્ષે છે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની, ભા.જ.પ.ની અને સરકારની ટીકા કરતા. હાથમાં બંધારણની નકલ બતાવીને કહેતા કે નરેન્દ્ર મોદીની સરકારને આ બંધારણ સ્વીકાર્ય નથી, તેઓ તેને બદલવા માગે છે અને અનામતની જોગવાઈને ખતમ કરવા માગે છે. બીજી બાજુ ભારતનું બંધારણ સશક્તો સામે અશક્તોને રક્ષણ આપે છે. તેઓ નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે શ્રીમંત તરફી છે અને ખાસ કરીને બે ઉદ્યોગગૃહોને મદદ કરે છે એમ પણ કહેતા.

આ વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની ટીકા ઓછી કરે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધુ કરે છે. નિશાના પર સીધો સંઘ છે. તેઓ કહે છે કે લડાઈ વિચારોની છે અને એટલે ખરી લડાઈ સંઘ અને કાઁગ્રેસ વચ્ચે છે. કાઁગ્રેસની કલ્પનાનું ભારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્વીકાર્ય નથી અને સંઘની કલ્પનાનું ભારત કાઁગ્રેસને સ્વીકાર્ય નથી. ભા.જ.પ. તો સંઘનું એક પ્યાદું છે. તેઓ કહે છે કે સંઘર્ષ સત્તા માટેનો નથી, પણ ભારત વિષેની કલ્પના માટેનો છે. એ પછી તેઓ કહે છે કે સહિયારા લોકતાંત્રિક ભારતમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું અને દરેક વર્ગના વંચિતોનું અથવા ગરીબોનું કલ્યાણ છે. સંઘની કલ્પનાના ભારતમાં સવર્ણ હિંદુઓની સરસાઈ હશે. તે રાજ કરશે. રાહુલ ગાંધી વિનાયક દામોદર સાવરકરનું પણ નામ લે છે.

રાહુલ ગાંધીએ પહેલી વખત શબ્દો ચોર્યા વિના કહ્યું છે કે કાઁગ્રેસની અંદર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને માનસિકતા ધરાવનારા લોકો છે. તેમનો ઈશારો હિમાચલ પ્રદેશના કેબીનેટ પ્રધાન વિક્રમાદિત્ય સિંહ તરફ હતો. તેમણે યોગી આદિત્યનાથને અનુસરીને

રાહુલ ગાંધી

અને તેમનો હવાલો આપીને કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં પણ હોટલ પર હોટલના માલિકનું નામ હોવું જોઈએ. રાહુલ ગાંધીએ તેમને દિલ્હી બોલાવીને ઠપકો આપ્યો હતો. આવું જ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વાનું. તેઓ યોગી આદિત્યનાથ કરતાં પણ વધારે આકરા હિન્દુત્વવાદી વિચારો ધરાવે છે. હેમંત બિસ્વા પહેલાં કાઁગ્રેસમાં હતા. મુખ્ય પ્રધાન બનવા મળ્યું નહીં એટલે તેઓ બી.જે.પી.માં ગયા હતા. હિંદુ માનસિકતા ધરાવતા લોકો કાઁગ્રેસમાં હોય એ કોઈ નવી વાત નથી. ગાંધીજીના જમાનાથી આવું જોવા મળી રહ્યું છે. તેઓ કાઁગ્રેસમાં રહીને સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.

બીજી બાજુ નરેન્દ્ર મોદી એ જ વાત કરે છે જે લોકસભાની ચૂંટણીમાં કરતા હતા. રાહુલ ગાંધી અને કાઁગ્રેસ પર આક્ષેપો કરીને સીધા પ્રહારો કરે છે. ભ્રષ્ટાચાર, વંશવાદ વગેરે. હિંદુઓને ડરાવે છે. તેઓ નથી વિકાસની વાત કરતા કે નથી તેમની કે હરિયાણાની સરકારની સિદ્ધિઓની વાત કરતા. ભવિષ્ય વિષે સપનાં બતાવવાનું તો તેમણે બંધ જ કરી દીધું છે. રહી વાત રાહુલ ગાંધી દ્વારા ઉપસ્થિત કરાતી ભારત વિશેની કલ્પનાની તો તેનો તો તેઓ કોઈ ઉલ્લેખ જ નથી કરતા. નથી સંઘની કલ્પનાના ભારતનો બચાવ કરતા, કે નથી કાઁગ્રેસની કલ્પનાના ભારતનો સ્વીકાર કે અસ્વીકાર કરતા.

શા માટે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને લગભગ બાજુએ રાખીને સીધો સંઘ ઉપર પ્રહાર કરે છે? અને બીજો સવાલ એ કે આમ કરવું કાઁગ્રેસ માટે હિતકારી છે? કે પછી નુકસાન થઈ શકે? ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે કાઁગ્રેસનો કોઈ નેતા આર.એસ.એસ.નો ખુલ્લીને વિરોધ કરતો હોય કે નિંદા કરતો હોય.

મને એમ લાગે છે કે રાહુલ ગાંધીની રણનીતિ યોગ્ય દિશાની છે. હિન્દુત્વના જે સમર્થકો છે એ પહેલાં પણ જન સંઘ/બી.જે.પી.ની સાથે હતા અને ભવિષ્યમાં પણ બી.જે.પી.ની સાથે રહેવાના છે. જે લોકો એમ માનતા હતા કે ભારત હિંદુઓની બહુમતી ધરાવનારો દેશ છે એટલે હિંદુઓનું થોડુંક સાંસ્કૃતિક વર્ચસ હોવું જોઈએ, પણ એ સાથે કોઈ કોમ સાથે ભેદભાવ ન કરવો જોઈએ, કોઈને હેરાન ન કરવા જોઈએ અને દેશનો વિકાસ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એ લોકો હવે દૂર જઈ રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભા.જ.પ.ના નેતાઓ હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના રાખી શકતા નથી અથવા રાખતા નથી એટલે વિચારનારા હિંદુઓને સમજાવા લાગ્યું છે કે સંઘની કલ્પનાનું હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓનું માથાભારેપણું. મુસલમાનોને હેરાન કરવાનું, ધોલધપાટ કરવાનું સુખ મેળવો અને ભા.જ.પ.ને મત આપતા રહો. જેમને આવું માથાભારે હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી એ લોકો હિંદુવાદી હોવા છતાં કે હિંદુ હોવા માટે ગર્વ લેતા હોવા છતાં સંઘને સમર્થન કરતા નથી.

તેઓ સમર્થન કરતા બંધ થઈ ગયા છે કે થઈ રહ્યા છે એનું બીજું પણ એક કારણ છે. દસ વરસમાં તેમને સમજાવા લાગ્યું છે કે આ દેશમાં એટલી બધી વિવિધતા છે કે તેનાથી બચી શકાય એમ નથી. સાથે રહેવું એ નિયતિ છે. મુસલમાનો દેશનું કશું બગાડી શકે એમ નથી, તેમની એટલી શક્તિ જ નથી. જે કહેવામાં આવે છે એ પ્રચાર છે. ઊલટું લડાઈ હિંદુઓ વચ્ચે ચાલી રહી છે અને એક હિંદુ બીજા હિંદુ સાથે લડે છે. પરિવારોમાં ઝઘડો પ્રવેશ્યો છે. ટૂંકમાં દેશમાં પાકું ધ્રુવીકરણ થઈ ગયું છે એટલે હવે હિંદુઓની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. જે ત્યાં છે એ પાછા આવવાના નથી, પછી ભલે દેશનું ગમે તે થાય. બીજી બાજુ જેણે હિન્દુત્વનો સ્વાદ ચાખી લીધો છે એ લોકો હવે પુનર્વિચાર કરતા થયા છે.

આ સ્થિતિમાં કાઁગ્રેસની કલ્પનાનું ભારત એ હિંદુઓને તો સ્વીકાર્ય છે જ જે ઉદારમતવાદી છે. એ હિંદુઓને પણ અનુભવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જે હાંસિયામાં છે. જેમ કે દલિતો આદિવાસીઓ વગેરે. એ હિંદુઓને પણ હવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જેમણે હિંદુઓના રાજનો સ્વાદ ચાખી લીધો છે. આ સિવાય લઘુમતી કોમને કાઁગ્રેસની કલ્પનાનું ભારત સ્વીકાર્ય હોય એ તો સ્વાભાવિક છે. જો મોટી સંખ્યામાં હિંદુઓ પાછા ફરતા હોય તો તેમની સમક્ષ વિકાસલક્ષી સ્વસ્થ અને સહિયારા ભારતની કલ્પના શા માટે ન રાખવી! આમાં રતીભાર પણ નુકસાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો ૧૯૮૭માં શરૂ થયેલો હિંદુ બેકલેશનો યુગ સાડા ત્રણ દાયકા પછી પૂરો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ જાણે છે અને સમજી વિચારીને નરેન્દ્ર મોદીની જગ્યાએ સંઘ પર હુમલા કરે છે.

રાહુલ ગાંધી આર.એસ.એસ.ને પણ ભીત સરસો ધકેલે છે. જે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે એ તો માથાભારે હિંદુ રાષ્ટ્રનો થઈ રહ્યો છે. આનાથી જુદા રાષ્ટ્રની જો કોઈ કલ્પના તમારા મનમાં હોય તો કહી બતાવો, એમાં શું હશે અને શું નહીં હોય? તેમણે કહેવું પડશે કે તેઓ કેવા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરે છે? સંઘ હિંદુઓનું પ્રતિનિધિત્વ નથી કરતો, ખાસ પ્રકારના હિંદુઓનું કરે છે એમ રાહુલ ગાંધીએ લોકસભામાં પણ કહ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પહેલીવાર વિચારધારાને લઈને ભીંસ અનુભવી રહ્યો છે. જ્યારે હિંદુતવવાદી શાસકોનું શાસન નજર સામે હોય ત્યાં બોલવું શું?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2024

Loading

...102030...498499500501...510520530...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved