Opinion Magazine
Number of visits: 9457017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દક્ષા મડિયા

અમિતાભ મડિયા|Profile|29 July 2024

દક્ષા મડિયા
(23 જુલાઈ 1932 – 25 મે 2024)

દક્ષાબહેનનાં દાદી મહાલક્ષ્મીબહેને અમદાવાદમાં મહિલામંડળની સ્થાપનાની પહેલ કરીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા પ્રયત્નો કર્યા હતા. આ મંડળમાં ૧૯૨૮માં જવાહરલાલ નહેરુ મહેમાન તરીકે પધાર્યા હતા. દક્ષાબહેનના પિતા દેવપ્રસાદ મહેતા વકીલ હતા અને નાની ઉંમરે તેમનું અવસાન થયું ત્યારે દક્ષાબહેન માતા લીલાવતીબહેનની કૂખમાં ગર્ભરૂપે હતાં, સાલ હતી ૧૯૩૨. મહાલક્ષ્મીબહેને વિધવા પુત્રવધૂ લીલાવતીબહેનને ક્રૂર હિંદુ ક્રિયાકાંડોમાંથી બચાવી લીધાં; વાળ ઉતરાવવા, ચૂડલા ભાંગવા, કાળો સાડલો પહેરવો, ખૂણો પાળવો આદિ અનિષ્ટોમાંથી ઉગારી લીધાં. મહાલક્ષ્મીબહેનની આર્થિક સ્થિતિ પૈસેટકે ઘણી સુખી હતી. દક્ષાબહેનનો ઉછેર બે મોટી બહેનો જ્યોતિર્બાળા (બચુબહેન) અને ઉષાબહેન સાથે ભર્યાભાદર્યા બહોળા સંયુક્ત કુટુંબમાં થયો, જ્યાં અનેક પિતરાઈ ભાઈબહેનો હતાં. તેમાં દક્ષાબહેનનાં ભાનુફોઈબાનાં સંતાનો પ્રેમિલાબહેન, પ્રબોધચંદ્ર અને જ્યોત્સ્નાબહેન પણ ખરાં. જ્યોત્સ્નાબહેન આગળ જતાં ઉમાશંકર જોશીને પરણ્યાં. આમ, આ ત્રણે જણાનો ઉછેર મોસાળમાં એટલે કે દક્ષાબહેનનાં દાદીને ત્યાં થયો હતો.

દક્ષાબહેનનો શાલેય અભ્યાસ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાંથી પૂરો થયો. દક્ષાબહેનને ગાયનનો ખાસ શોખ હતો. રસિકલાલ છોટાલાલ પરીખ લિખિત નાટક ‘મેનાં ગુર્જરી’ની ભજવણી એકસોથી પણ વધુ વાર થઈ, જેમાંની એક ભજવણી વડા પ્રધાન નહેરુની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં થઈ. આ તમામ ભજવણીઓમાં અભિનેત્રીને પાર્શ્વકંઠ આપનાર પડદા પાછળનાં ગાયિકા દક્ષાબહેન હતાં. જો કે, ગાયન માટે શાસ્ત્રીય તાલીમ તેમણે કદી લીધી નહોતી.

લગ્ન થતાં પહેલાં હાઈસ્કૂલ–કૉલેજનો અભ્યાસકાળ દરમિયાન નવલકથા–નવલિકાના વાચનનો શોખ કેળવેલો, ક.મા. મનુશી, ર.વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, અને ચુનીલાલ મડિયાની અનેક કૃતિઓ વાંચી હતી, અને મડિયા સાથે લગ્નનો વિચારસુધ્ધાં પ્રગટે તે પહેલાં મડિયા તેમના પ્રિય ગુજરાતી સાહિત્યકાર થઈ ચૂકેલા. ગુજરાતી અનુવાદો મારફતે શરદબાબુનું સમગ્ર કથાસાહિત્ય વાંચેલું. એકવીસ-બાવીસ વરસની ઉંમરે મોહનભાઈ પટેલની નિશ્રામાં બંગાળી ભાષા શીખીને ટાગોરને બંગાળીમાં વાંચતાં. દક્ષાબહેને મને કહેલું કે, “પ્રોફેસર નિરંજન ભગતની પણ પહેલાં હું બંગાળી શીખી ગઈ હતી.” એ વર્ષોમાં જ બનેવી ઉમાશંકર જોશીને તેમનાં બે સંશોધન પુસ્તકો ‘પુરાણોમાં ગુજરાત’ અને ‘અખો એક અધ્યયન’ની સૂચિ (ઇન્ડેક્સ) બનાવી આપી હતી. ઉમાશંકર જોશીએ મને કહેલું કે, “મારી એકમાત્ર નવલકથા ‘પારકાં જણ્યાં’ને તારાં મમ્મી અને માશીઓ સિવાય બીજા કોઈએ એપ્રિસિયેટ કરી નથી!”

તમન્ના હતી ડૉક્ટર બનવાની, પરંતુ મેટ્રિક પરીક્ષામાં માર્ક્સ ઓછા પડવાથી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો નહીં. અમદાવાદની ગુજરાત કૉલેજ(મુંબઈ યુનિવર્સિટી)માંથી કેમિસ્ટ્રી-બૉટની સાથે બી.એસસી.નો અભ્યાસ પૂરો કર્યો. એ પછી અમદાવાદની માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન મોહનભાઈ પટેલ હેઠળ મદદનીશ લાઇબ્રેરિયન તરીકે ત્રણચાર વર્ષ (લગ્ન થયાં ત્યાં સુધી) કામ કર્યું. આ દરમિયાન ઉમાશંકર જોશીને ઘરે ચુનીલાલ મડિયા સાથે પરિચય થયો અને અંતે પરસ્પર સંમતિથી લગ્ન નક્કી થયાં. લગ્ન વેળા દક્ષાબહેનની ઉંમર ચોવીસ વર્ષ અને મડિયાની ઉંમર ચોત્રીસ વર્ષ હતી.

દક્ષાબહેન

લગ્નની તારીખ લીલાવતીબહેને નક્કી કરી હતી. અમદાવાદ ખાતે પિયરમાં માતા લીલાબહેનને ઘેર(એલિસબ્રિજની શાંતિસદન સોસાયટી)માં લગ્ન લેવાયાં. એ વેળા પજુસણ ચાલતા હોવાથી મડિયાના જૈન પરિવારમાંથી કોઈ પધાર્યું નહીં (મડિયાનાં માતાપિતા ઘણા સમય અગાઉ અવસાન પામ્યાં હતાં). વરપક્ષના આગેવાન બન્યા ઉમાશંકર જોશી. એમની આગેવાનીમાં એમના નિવાસસ્થાન ચોક્સી નિવાસ ખાતેથી જાન નીકળી. જાનૈયા હતા સ્નેહરશ્મિ, રસિકલાલ છોટાલાલ પરીખ, જયંતિ દલાલ, નિરંજન ભગત, પન્નાલાલ પટેલ, પુષ્કર ચંદરવાકર, પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર આદિ સાહિત્યકારો અને ઉમાશંકરના નાના ભાઈ દેવેન્દ્રભાઈ. લગ્નની ફોટોગ્રાફી ઉમાશંકર જોશીએ કરી, અદ્યતન જર્મન કેમેરા લાઈકાથી.

મુંબઈમાં લગ્નજીવનમાં બાર વર્ષ વીત્યાં. પહેલાં મલબાર હીલ ખાતે ગવર્નરના બંગલાની બાજુમાં એક મકાન ભાડે રાખ્યું હતું. બે વર્ષ પછી એ જ લત્તામાં વીલ્ડરનેસ રોડ પર ચંદ્રલોક ફ્લેટ ખરીદ્યો. ત્રણ સંતાનો અપૂર્વ, પૂરવી અને અમિતાભના જન્મથી પરિવાર ભર્યોભર્યો બન્યો. મડિયા જાહેર સાંસ્કૃતિક જીવનની વ્યક્તિ હોવાને કારણે દક્ષાબહેન માત્ર મુંબઈમાં રહેતાં નહીં, પરંતુ દેશવિદેશની અનેક વિરલ વિભૂતિઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યાં. ઘણીવાર ઘરમાં બહારગામથી આવેલા મહેમાનો ઉતારો કરે. દક્ષાબહેને તેમને સાઉન્ડ ઑફ મ્યૂઝિક, માય ફેર લેડી અને તીસરી કસમ જેવી ફિલ્મો બતાવવા સિનેમા થિયેટરમાં લઈ જાય. મડિયાના સામયિક ‘રુચિ’ની ક્લેરિકલ જવાબદારી દક્ષાબહેન નિભાવતાં.

ઉમાશંકર જોશી મડિયાને ‘મડિયા ધ મધર’ કહેતા, પણ એ જવાબદારી દક્ષાબહેનને હિસ્સે પણ આવી હતી. ગુલાબદાસ બ્રોકર ઘર બહારનું ખાણું ખાતા નહીં, તેથી મેળાવડામાં બ્રોકર માટેની ભોજનવ્યવસ્થા કરવા માટે દક્ષાબહેન ઘરે રાંધેલું ટિફિન મડિયા સાથે મોકલતા. ચંદ્રલોકમાં ઘરકામમાં મદદ માટે એક બહેન ગંગાબહેન રાખેલાં. મુંબઈ છોડ્યા પછી પણ ગંગાબહેન સાથેનો ઘરોબો ગંગાબહેનના અવસાન સુધી રહ્યો.

૧૯૬૮ના અંતમાં મડિયાના છેતાળીસ વર્ષની ઉંમરે થયેલા અકાળ અવસાન પછી ૧૯૬૯માં બાળકો સાથે અમદાવાદ જઈ માતા લીલાબહેન સાથે વસવાટ શરૂ કર્યો. મુંબઈની ન્યૂ એરા સ્કૂલમાં ભણતાં ત્રણે બાળકો અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહારમાં ગોઠવાયાં. અહીં બહેન ઉષા અને બનેવી ભાનુ ત્રિવેદી અને પિતરાઈ ભાઈ શાંતિપ્રસાદ મહેતાનું સાંન્નિધ્ય સાંપડ્યું; ઉપરાંત, ઉમાશંકર જોશીનું સાંન્નિધ્ય તો ખરું જ. ૧૯૬૯-૭૧ બે વર્ષ ‘સંદેશ’માં લીલાબહેન પટેલ સાથે ‘સ્ત્રી’ સામયિકમાં કામ કર્યું. બાળકો મોટાં થતાં જતાં હતાં અને ખર્ચા વધતા હતા, આવક ક્ષીણ થતી જતી હતી અને મોંઘવારી વધતી જતી હતી.

૧૯૭૭માં નવજીવન ટ્રસ્ટમાં જોડાયાં. શરૂઆતમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં છપાતા ગ્રંથોનું પ્રૂફરીડિંગ કરતાં. પછીથી ગાંધીજીનાં લખાણોનાં વિદેશી ભાષાઓમાં અનુવાદ, પ્રકાશન અને કૉપીરાઇટ બાબતે વિદેશી અનુવાદકો–પ્રકાશકો સાથેની વાટાઘાટનો કૉરસ્પૉન્ડન્સ દક્ષાબહેન સંભાળતાં. ૧૯૯૪માં નવજીવનમાંથી નિવૃત્ત થયાં તે પછી પણ ૨૦૦૩ સુધી દક્ષાબહેને એની ઑફિસે જઈ માનદ્દ ધોરણે સેવા કરી. એ પછી નવજીવન દક્ષાબહેનને ઘરે કામ મોકલતું, એ પ્રથા ૨૦૧૫ સુધી ચાલુ રહી. નવભારતમાં પુનર્મુદ્રિત થતાં મડિયાનાં પુસ્તકોનાં પ્રૂફ ચકાસવાનો આગ્રહ દક્ષાબહેને છેક સુધી રાખ્યો. નવજીવનમાં સુશીલા નાયરના સંગાથમાં ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઓવ્ મહાત્મા ગાંધી’ના કેટલાક ગ્રંથોનાં પ્રૂફની જવાબદારી નિભાવી. ગ્રંથ ‘પટેલ એ લાઇફ’ની એક્નૉલેજમેન્ટ નોંધમાં લેખક રાજમોહન ગાંધીએ દક્ષાબહેનનો આભાર માન્યો છે. નવજીવનમાં જોડાયાં, એ પહેલાંનાં સાતઆઠ વરસોમાં અમદાવાદ નિવાસ વેળા તોલ્સ્તોયકૃત નવલકથાઓ ‘વૉર ઍન્ડ પીસ’ અને એના ‘કેરેનીના’, બોરીસ પાસ્તરનાકકૃત નવલકથા ‘ડૉક્ટર ઝિવાગો’, તથા ચૅખોવકૃત નવલિકાઓના અંગ્રેજી અનુવાદ વાંચ્યા. નૅશનલ બુક ટ્રસ્ટ ઑવ ઇન્ડિયાને એક અસમિયા નવલકથાનો હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ કરી આપ્યો. એ વર્ષોમાં ઘર સગાંવહાલાંથી ભર્યું ભર્યું રહેતું. લગભગ દર અઠવાડિયે પ્રોફેસર નિરંજન ભગત ઘરે આવે અને ઊંચા સાદે જાહેરજીવનની અને રાજકીય ચર્ચાઓ જામે, જેમાં ઉષાબહેન, ભાનુભાઈ અને જો અમદાવાદમાં હોય તો ઉમાશંકર જોશી અને દેવેન્દ્રભાઈ પણ ભાગ લે. તેમનાં સંતાનો તથા અમે બાળકો તો ખરાં જ! દક્ષાબહેનનું પિયરનું લાડકું નામ ‘બેબી’ હતું. લગ્ન અગાઉ મડિયાએ લખેલા પ્રેમપત્રોમાં સંબોધન ‘બેબી’ને કર્યું છે. નિરંજન ભગત દક્ષાબહેનને ‘બેબીબહેન’ કહીને સંબોધતા.

એક નિવૃત્ત ન્યાયાધીશે અંગ્રેજીમાં લખેલું એક કાયદાકીય લખાણ દક્ષાબહેનને પ્રૂફરીડિંગ માટે મોકલાવેલું. વાંચીને દક્ષાબહેને એ મતલબનું સૂચન કર્યું હતું કે, જે રીતે વાક્યરચના કરી છે તેમાંથી આ પ્રકારે અર્થ નીકળે છે, જે લખાણના સમગ્ર સૂર સાથે સુસંગત નથી. એ અર્થ તમને અભિપ્રેત છે કે નહીં, તે નક્કી કરીને આ વાક્યરચના જેમની તેમ રાખશો અથવા આ પ્રમાણે બદલશો. દક્ષાબહેને કાઢેલી ક્વેરીથી ન્યાયાધીશ દંગ રહી ગયા, અને કહ્યું કે, “દક્ષાબહેને એ ક્વેરી ના કાઢી હોત તો છબરડો થાત!” દક્ષાબહેન કહેતાં કે, “પ્રૂફરીડરે લખાણ મારફતે લખનારના મનોગતમાં ઊંડા ઊતરી લખાણ બાબતે સૂચન કરવાનાં હોય. પ્રૂફરીડિંગ એટલે માત્ર જોડણી અને વાક્યરચના તપાસવી એમ નહીં, કમ્પોઝ થયેલું મેટર મૂળ મેટર સાથે સરખાવી જોવું તેમ નહીં.” દક્ષાબહેને પ્રોફેશનલ (વ્યાવસાયિક) મહિલા હતાં.

બાળપણથી નૃત્ય અને ગાયનનો શોખ. પાંચ વર્ષનાં દક્ષાબહેને કરેલું નૃત્ય ‘હું તો નાનું નટબાળ’ ઉમાશંકર જોશીને ૧૯૭૦માં પણ યાદ હતું (લેખ ‘મડિયારાજા’, ગ્રંથ ‘મડિયાનું મનોરાજ્ય’). અમદાવાદ આવીને વસ્યા પછી સમર્થેશ્વર ફ્લૅટ્સમાં તેમણે વર્ષો સુધી નવરાત્રી પર ગવડાવેલા ગરબા હજી મને યાદ છે, અફસોસ છે કે તેમનું રેકૉર્ડિંગ થઈ શક્યું નહીં. ઘરમાં ઘરકામ કરતી વેળા ગરબા કે ફિલ્મી ગીતો ગણગણતાં રહેતાં. આશા ભોંસલે તેમની પ્રિય ગાયિકા હતી. એમનો ગાવાનો શોખ અને સંગીતની સૂઝ અપૂર્વ અને પૂરવીમાં ઊતરી આવ્યાં. એ બંનેએ સી.એન. વિદ્યાવિહારમાં ભણતી વેળા શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી. પૂરવીને કુમુદિની લાખિયા હેઠળ કથ્થક નૃત્યની અને અપૂર્વને ઉમેશભાઈ ઉસ્તાદ પાસે તબલાંવાદનની તાલીમ અપાવી. મારી કલાસાધનામાં એ પ્રેરણાસ્રોત હતા. એમ ત્રણે ભાઈબહેન એમને માનાર્થે બહુવચનથી ‘મમ્મી’ સંબોધતાં.

૨૦૧૯માં પડી ગયાં અને થાપાની સર્જરી કરાવી પછી શારીરિક રીતે ક્ષીણ થતાં ગયાં. ૨૦૨૪ની 25 મેએ બાણું વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ પામ્યાં. મડિયાના અવસાન પછી પંચાવન વર્ષ જીવ્યાં.

છેલ્લી ઘડી સુધી જીવનરસ ઉત્કટ હતો, સ્મૃતિ અકબંધ હતી, દિમાગ સતેજ હતું. આ ચાર વર્ષમાં પણ સમાચારો વિગતવાર વાંચે, પોતાના રાજકીય વલણ સ્પષ્ટ કરે. ફેસબુક પર પોસ્ટ મૂકે, પ્રતિભાવ આપે. વોટ્સએપ પર રાજકીય ચર્ચાઓ કરે. છેલ્લાં પાંચ વરસમાં ચુનીલાલ મડિયાની તમામ તેર નવલકથાઓનું પુનર્વાચન કર્યું, નારાયણ ગંગોપાધ્યાય કૃત નવલકથા બંગાળી ‘ઝંઝાનિલ’નું તથા શરદબાબુની કેટલીક નવલકથાઓનું પણ. મને કહેલું, “એકૅડેમિશિયન્સ મડિયાનો મહિમા કરવા બાબતે ઊણા ઊતર્યા છે.” આ છેલ્લાં પાંચ વરસોમાં એમેઝોન પ્રાઇમ અને યુટ્યૂબ પર જૂની-નવી અનેક ફિલ્મો જોઈ. શાહરુખ અને આમીર ખાન તેમના પ્રિય અભિનેતાઓ હતા. વિદેશી ફિલ્મો પણ પસંદ હતી, ‘ઇમોર્ટલ બીલવીડ’, ‘અમાડિયસ’, ‘ઓલીવર’ – મ્યુઝિકલ, ‘હ્યુગો’. મારા સહવાસમાં રહીને દક્ષાબહેનને પણ બીથોવન અને મોત્સાર્ટ સાંભળવાનો ચસ્કો લાગ્યો હતો.

પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઈ, ગોરો વાન, લાંબો ચહેરો. યુવાનીમાં ઘેરા કથ્થઈ વાળ પગની પાની વળોટીને ભોંય સુધી વિસ્તરે. બંગાળી ઢબે કલકત્તી, મહેશ્વરી, ચંદેરી, અને મરાઠી સાડીઓ પહેરે. અજાણ્યા લોકો પહેલી નજરે માની નહોતા શકતા કે દક્ષાબહેન ગુજરાતી છે. માત્ર છત્રીસ વર્ષની ઉંમરે વિધવા થઈને આર્થિક વિટંબણાઓ સામે ઝઝૂમીને ત્રણ બાળસંતાનોને ઉછેર્યાં, એ સિદ્ધિનો તેમને સંતોષ હતો.

જો કે, ૨૦૨૪ના માર્ચમાં દક્ષાબહેને મને કહ્યું હતું, “મડિયાના સાન્નિધ્યમાં જો તમે ત્રણેય સંતાનો ઊછર્યાં હોત, તો તમારું વ્યક્તિત્વ કંઈક જુદું જ હોત!” ૨૦૨૨માં કહ્યું હતું, “મને ઘણી વાર વિચાર આવતો કે મડિયા જ્યાં હશે ત્યાંથી જાણી શકતા હશે કે હું ક્યાં છું? હું કઈ હાલતમાં છું? હું શું કરું છું?”

અંદરખાને આસ્થા ધરાવતાં હશે પણ ક્રિયાકાંડ અને વિધિઓમાં જરા ય માનતાં નહોતાં. ખુદ્દારી તો તેમને ગળથૂથીમાં મળી હતી. નવજીવનમાં કામ કરતાં ત્યારે એક સહકાર્યકરે તેમને પૂછેલું, “મડિયાના અવસાન પછી તમને કેટલા રૂપિયાની થેલી મળી હતી?” દક્ષાબહેને જવાબ આપેલો, “એક રૂપિયાની નહીં! ઊલટાનું, મડિયાએ પોતાને મળેલા નગદ સોનાના બે સુવર્ણ ચંદ્રકો ૧૯૬૨માં ભીડમાં મુકાયેલી ભારત સરકારને અર્પણ કર્યા હતા.”

0-0-0

સૌજન્ય : “નવનીત – સમર્પણ”; જુલાઈ 2024; પૃ. 121-126
છબિ સૌજન્ય : અમીતાભ મડિયા

Loading

શિક્ષણનો સાર્વત્રિક સર્વનાશ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 July 2024

રવીન્દ્ર પારેખ

ભારતે અનેક ક્ષેત્રે વિકાસ કર્યો હશે એની ના નથી, પણ શિક્ષણમાં તો તેનો શતમુખી વિનિપાત જ થયો છે. શિક્ષણમાં જેટલાં આડંબર, અહંકાર અને અજ્ઞાન છે એટલાં બીજા કોઈ ક્ષેત્રમાં નથી. દુ:ખદ એ છે કે આ અધ:પતનને બધાં જ શિક્ષણ મંત્રીઓ કોઈ સિદ્ધિની જેમ છાવરે છે. ભૂલો કબૂલ ન કરવાનો મંત્રીઓ જન્મસિદ્ધ અધિકાર માનતા હોય તેમ સામા આક્ષેપો કરીને રાજી રહે છે. મૂળ હેતુ એ છે કે શિક્ષણમાં કોઈ સરકારે એવો રસ દાખવવો જ નહીં કે પ્રજા શિક્ષિત થઈને સામે શિંગડાં કરે. અત્યારની સરકારોને પાળેલી પ્રજા ખપે છે. સરકાર એવો દેખાવ કરે છે કે શિક્ષણની આભા ઊભી થાય, પણ કોઈ ‘શિક્ષિત’ ન થઈ જાય એ પણ જુએ છે. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી શિક્ષણનાં કારખાનાં ધમધમે છે, ડિગ્રી લઈને વિદ્યાર્થીઓ બહાર પડે છે, પણ તેમનું કૈં ઊપજે નહીં, એ સ્થિતિ છે. શિક્ષિત કે અશિક્ષિત વચ્ચે કોઈ અંતર ન રહે એટલો પ્રભાવ અત્યારે શિક્ષણનો છે. જતે દિવસે સર્ટિફિકેટ કરતાં કોઈ ચીંથરું વધારે ઉપયોગી થાય એમ બને.

બિહારનું સોનપુર પહેલજા ગામ ડિગ્રીની ફેક્ટરી ગણાય છે. અહીંની 100 જણાંની ટોળકી અભણ લોકોને શિક્ષિત કરી દે છે. કોઈ અભણ ગામમાં જાય તો બે હજાર રૂપિયામાં ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ લઈને પાછો ફરે છે. જુદી જુદી ડિગ્રીઓના ભાવ નક્કી થયેલા છે. કમાલ તો એ છે કે આ નકલી સર્ટિફિકેટનો કાગળ જે તે યુનિવર્સિટીનો જ હોય છે. એ સંજોગોમાં એ નક્કી કરવાનું મુશ્કેલ છે કે આનું કનેક્શન પેપર છાપનારી કંપની સાથે છે કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી સાથે? માર્કશીટ હોય કે એડમિટકાર્ડ, બધું એટલું પરફેક્ટ છે કે યુનિવર્સિટીનાં અસલી સર્ટિફિકેટ્સ નકલી લાગે, તે એ હદે કે વોટરમાર્ક પણ ચુકાયો નથી. આ હદે કામ થતાં હોય તો સવાલ થાય કે બે હજારમાં ડિગ્રી મળી જતી હોય તો યુનિવર્સિટી કે કોલેજમાં વર્ષો કાઢીને, હજારો-લાખોનું આંધણ કરવાની જરૂર ખરી? આ સર્ટિફિકેટથી નોકરી કદાચ ન મળે, પણ એ તો યુનિવર્સિટીનાં અસલ પ્રમાણપત્રથી પણ મળે જ એની ખાતરી ક્યાં છે?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ 2024ની નીટ-યુ.જી.ની પરીક્ષાનું આયોજન એવી રીતે કર્યું કે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડી ને એક તબક્કે તો નીટ રદ્દ થાય એવી સ્થિતિ આવી. દેશ આખામાંથી લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, પણ સિન્સિયર વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થાય એટલી ગરબડ આ પરીક્ષાઓમાં થઈ. પેપર ફૂટ્યાં, લાખો રૂપિયા લઈને એજન્સીઓએ પરીક્ષાના જવાબો લખાવવાની, કારણ વગર ગ્રેસ માર્કસ આપવાની એવી એવી ઘટનાઓ ઘટી કે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનાં પરિણામો નવેસરથી તૈયાર કરાવીને જાહેર કરાવવાં પડ્યાં. પરિણામ એવું બદલાયું કે 720માંથી 720 માર્કસ લાવનાર 61 જણાં હતાં, તે ઘટીને 17 થઈ ગયાં. ટોપર્સમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ…ના વિદ્યાર્થીઓ છે. પૂરા માર્કસ લાવનાર ગુજરાતમાંથી 4 હતા, તેમાંનો એક પણ નવાં પરિણામોમાં ટક્યો નથી અને 4.2 લાખ વિદ્યાર્થીઓના રેન્ક બદલાયા છે. અગાઉ 67 વિદ્યાર્થીઓ પહેલે નંબરે હતા, પણ 6 વિદ્યાર્થીઓને ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા, સંખ્યા 61 પર આવી, તેમાં પણ 44 વિદ્યાર્થીને ફિઝિક્સમાં ખોટા પ્રશ્નને કારણે ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા આંકડો 17 પર આવી ગયો. આ પરીક્ષા 14 આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સહિત 571 શહેરના 4,750 કેન્દ્રો પર લેવાઈ હતી.

નીટ જેવી જ જાહેર પરીક્ષા યુ.પી.એસ.સી.ની થાય છે. એમાં ગેરરીતિ રોકવા નવી ટેકનિકોને કામે લગાડવાની વાત છે. ડમી ઉમેદવારને પકડવા આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એ ઉપરાંત ફેશિયલ રેકગ્નિઝન અને AI ટેકનિકથી સજ્જ કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. ટ્રેઈની IAS પૂજા ખેડકર વિવાદ અને નીટમાં થયેલી બબાલ વચ્ચે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. ઉમેદવારને બદલે કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા આપતો જણાય તો તેને રોકવા કયુ.આર. કોડથી સજ્જ એડમિટ કાર્ડ અને રિયલ ટાઈમ એટેન્ડન્સના અમલીકરણની તૈયારી છે. યુ.પી.એસ.સી. 24 પરીક્ષાઓનું આયોજન કરે છે અને આશરે 26 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપે છે. એમને આ નવી પદ્ધતિથી ચકાસવાનું કેટલું શક્ય છે એ નથી ખબર, પણ યુ.પી.એસ.સી.ના ઉમેદવારો  IAS અને IPS જેવી કક્ષાએ પહોંચવા આ પરીક્ષા આપે છે, એમને કોઈ એથિક્સ જ નહીં નડતું હોય કે આટલે પહોંચ્યા પછી ડમી ઉમેદવાર બેસાડવો પડે કે પરીક્ષામાં નકલ કરવી પડે કે અન્ય કોઈ ગેરરીતિઓ કરવી પડે? યુ.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પણ નકલ થાય એ કેવું? ને નકલ થાય જ છે એમાં શંકા નથી. એટલે જ તો ઉત્તર પ્રદેશ સેવા આયોગે નકલ કરાવનારને અને નકલ કરનારને એક કરોડ રૂપિયા સુધીનો દંડ અને અથવા આજીવન કારાવાસની સજા ફરમાવવાનું નક્કી કર્યું છે. વધારે શરમજનક તો એ છે કે શુદ્ધ નિષ્ઠાથી ને પવિત્રતા જાળવીને પરીક્ષા આપનારે પણ પોતાના કોઈ વાંકગુના વગર જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.

સાચું તો એ છે કે અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારના એટલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલે છે કે દેશમાં ક્યાં ય સચ્ચાઈ અને સાત્ત્વિકતા બચી જ નથી એમ લાગે. આ પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો તો થાય છે, પણ પરિણામો ઉત્તરોત્તર વરવાં જ હાથ લાગે છે. પ્રાથમિક શિક્ષણથી જ અમુક પ્રકારની ઉપેક્ષા શરૂ થઈ જાય છે. તેમાં ગુજરાત નફ્ફટ અને નિર્લજ્જ છે. શિક્ષણનો પાયામાંથી જ સર્વનાશ કરવાના સરકારે સોગંદ ખાધાં હોય, તેમ બધી જ કરકસર શિક્ષણમાં થાય છે. સ્કૂલ છે, પણ પૂરતા વર્ગો નથી, છે તે બિસ્માર હાલતમાં છે. પૂરતા શિક્ષકો નથી અને લગભગ રોજ તુક્કાઓ પરિપત્રો રૂપે આચાર્યોને ધકેલાતા હોય છે. સરકારને રસ માત્ર ડેટા પૂરતો જ છે, કાગળ પર બધું બરાબર કરવાની કારકૂની કોશિશો ચાલતી રહે છે, પણ વર્ગશિક્ષણ શિક્ષકો વગર ખોરંભે ચડે એની જરા જેટલી પણ ચિંતા શિક્ષણ વિભાગને નથી. ઉત્સવનું ઉજવણું થાય છે, પણ શિક્ષણનું ઉઠમણું થાય એની નાનમ કોઈને નથી. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલીને નચિંત થઈ જાય છે, પણ તે સ્કૂલમાં ભણે છે કે શિક્ષક વગર અટવાતું રહે છે એની કાળજી લેવાતી નથી. 42,000 શિક્ષકોની કારમી ઘટ વચ્ચે શિક્ષક સજ્જતા તાલીમને વાંધો આવતો નથી. પ્રવેશોત્સવ ખરેખર તો વેશોત્સવ અને ગુણોત્સવ, અવગુણોત્સવ જ વધારે છે. પ્રવેશોત્સવ તો રાજકારણીઓની સ્તુતિનો જ ઉપક્રમ છે. હમણાં સક્ષમ શાળાનો વેશ ભજવાયો જેમાં આચાર્ય અને શિક્ષકને ફોર્મ ભરાવીને ઉત્તમ દેખાવ થઈ રહ્યો છે એવું ચિત્ર ઉપસાવવાનું કહેવાયું ને એ બે દિવસ દરમિયાન આચાર્ય અને શિક્ષક વગર વર્ગશિક્ષણ કેટલું સક્ષમ રહ્યું હશે તે નથી ખબર. આ આખો ઉપક્રમ જ શૈક્ષણિક ભાટાઈથી વિશેષ કૈં નથી. એમાં ઉપર સુધી રાજકીય આરતીઓ જ ઊતરે છે. ખરેખર તો ઊપરીઓ તાલીમો દ્વારા ફોટા, વીડિયો અને અહેવાલ બહાર પડાવીને સરકારનું ગુણસંકીર્તન જ કરતાં રહે છે. તમામ ક્ષેત્રે દેખાડા એ રાજરોગથી બદતર છે. પ્રાથમિક શિક્ષકોનો ઘાટ ‘સબ કી જોરુ’ જેવો છે. કોઈ તેને વસ્તી ગણતરી માટે વાપરે છે, તો કોઈ તેને રસી માટે મોકલે છે. કોઈ પરિપત્રોના જવાબ લખવા આગ્રહ કરે છે, તો કોઈ બે-ચાર વર્ગ સાથે કરાવીને ભણાવવાનું કહે છે. એમાં વાંચન, ગણન, લેખનનું ખરેખર કેટલું કામ થાય છે તે પ્રશ્ન જ છે. સહ અભ્યાસ પ્રવૃત્તિઓ જરૂરી છે, પણ તેનો અતિરેક તે શિક્ષણ નથી એ દરેક રાજકીય અધિકારીઓએ સમજી લેવાનું રહે.

આમાં સરકારની ભૂમિકા નફો કરતા વેપારીની છે. ગમ્મત તો એ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરતાં પહેલાં સરકાર શિક્ષકો પર કાપ મૂકવાનું વિચારે છે. એક બાજુ તે 24,700 શિક્ષકોની કાયમી ભરતીની વાત કરે છે, પણ તેની જાહેરાત આપવા પહેલાં, તે જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વસ્તીનો દર ઘટી રહ્યો છે, એ સ્થિતિમાં આવતાં પંદર વર્ષમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં શિક્ષકોની જરૂર ખાસી ઘટી જશે. સરકારને એમ હશે કે આવનારાં વર્ષોમાં વિદ્યાર્થીઓ પણ નહીં રહે એ સ્થિતિમાં કાયમી નિમણૂક કરીને જાત પર બોજ શું કામ વધારવો? વળી લોકો ખાનગી સ્કૂલો તરફ વળી રહ્યા છે, એ સ્થિતિમાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તો 35 વર્ષ માટે તેઓને એમ જ પાળવા-પોષવાના થાય. એવું કરવું કે કેમ એ તેની મૂંઝવણ છે. સરકાર, સરકારી સ્કૂલો બંધ કરવાની ફિરાકમાં છે, એ સાથે જ જ્ઞાન સહાયકો સસ્તા પડે ને કોન્ટ્રાક્ટ પર હોય અને તે રિન્યૂ થાય એટલે પણ વફાદારીથી કામ કરે. આમ તો જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો નથી, એટલે એમનું પરફોર્મન્સ કેવું છે ને એમને લીધે શિક્ષણ ખરેખર કેટલું પ્રભાવી થયું છે એ કહેવું વહેલું છે, પણ સરકારનું વિશફૂલ થિંકિંગ એવું છે કે 35 વર્ષ તો તે જ સત્તા પર રહેવાની છે ને એની ચોખ્ખી દાનત કાયમી શિક્ષકોને પગાર અને નિવૃત્તિનાં લાભો આપવાની નથી જ, એટલે કાયમી નિમણૂકનું કહ્યું છે ખરું, પણ તે કાયમી શિક્ષકો રાખશે જ ને રાખશે તો તે વાયદો પાળશે જ એની ખાતરી નથી. એની સામે સરકારના મંત્રીઓ, અધિકારીઓમાંથી કેટલા પેન્શન લેવાના છે તેની પ્રમાણિક જાહેરાત થવી જોઈએ. એવું તો નથી ને કે પોતે પેન્શન લેવું છે ને શિક્ષકોને જ આપવું નથી? સરકારમાં કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓ, જ્ઞાન સહાયક કર્મચારીઓ કે જ્ઞાન સહાયક અધિકારીઓ નથી, તો શિક્ષકો જ જ્ઞાન સહાયક કેમ તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. આ બધું પ્રજાના અઢળક ટેક્સમાંથી થાય છે ને છતાં સરકાર નફાના દાખલા ગણે છે એ બેશરમીનો નાદાર નમૂનો છે.

ખબર નથી, પરીક્ષાઓ પાસ કરીને, કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો ક્યાં સુધી છેતરાશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જુલાઈ 2024

Loading

સંસ્કૃતિ અને પ્રાચીન વિદ્યાનું જતન કર્યું કોણે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2024

રમેશ ઓઝા

ઉત્તર પ્રદેશ સરકારના પક્ષપાતી અને બેશરમ કહી શકાય એવા આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો છે. સરકારનો આદેશ એવો હતો કે કાવડયાત્રા કરનારા કાવડિયાઓના માર્ગમાં આવતી હોટેલોની બહાર મોટા અક્ષરમાં લખેલું એક બોર્ડ મૂકવું જરૂરી છે કે આ હોટલનો માલિક કોણ છે અને તેને કોણ ચલાવે છે. અહીં પહેલાં બતાવી દઉં કે જેમ અમરનાથ યાત્રાનો કે પંઢરપુરની દિંડીનો માર્ગ નિશ્ચિત હોય છે એમ કાવડિયાઓનો હોતો નથી. ચારે બાજુએથી તેઓ પોતાને સુગમ પડતા માર્ગે ચાલે છે. બીજું, અમરનાથની યાત્રા કરવાવાળાઓનું લક્ષ કેવળ અમરનાથ હોય છે કે દિંડી માત્ર અને માત્ર પંઢરપુર જતી હોય છે. કાવડિયાઓનું એવું હોતું નથી. કોઈ કાશી જાય, કોઈ ઓમકારેશ્વર જાય, કોઈ મહાકાલેશ્વર જાય અને કોઈ વૈજનાથધામ જાય. આ સિવાય પણ બીજા અનેક સ્થળે. આનો અર્થ એ થયો કે સમગ્ર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,  મધ્ય પ્રદેશ અને બિહારમાં કોઈ સ્થળે મુસલમાનો મુક્ત રીતે ભોજનાલય ન ચાલાવી શકે. કાવડિયાઓ તેમની હોટેલમાં જાય નહીં.

અહીં પહેલો સવાલ તો એ ઉપસ્થિત થાય છે કે આ લોકો પાસે મુસલમાનોને સતાવવા સિવાય, તેમને નુકસાન પહોંચાડવા સિવાય, તેમની પાસેથી કશુક છીનવી લેવા સિવાય હિંદુરાષ્ટ્રનો કોઈ એજન્ડા જ નથી? દસ વરસમાં મુસલમાનો પાસેથી છીનવી લેવાનું કામ તો ઘણું કર્યું છે, હિંદુઓને આપ્યું છે શું? અયોધ્યામાં રામમંદિર, મફતમાં તીર્થયાત્રા અને સ્ટેશનો તેમ જ શહેરોનાં નામમાં પરિવર્તન. અલ્હાબાદની જગ્યાએ પ્રયાગરાજ અને રાજી થાવ. આનાથી પેટ ભરાવાનું છે? આનાથી તમારાં સંતાનનું ભવિષ્ય સુરક્ષિત થવાનું છે?

એકવાર ફુરસદે એક કામ કરો. સંસ્કૃત તો હિંદુઓની દેવભાષા છે. ઈંટરનેટ પર જઇને આઝાદી પછી સ્થાપાયેલી સંસ્કૃત કોલેજો, વિશ્વવિદ્યાલયો અને શોધસંસ્થાનોની યાદી બનાવો. એ કોણે શરૂ કરી, કોણ સ્થાપકો હતા, સરકારી સંસ્થા હોય તો તેની સ્થાપના કયા પક્ષની સરકારે કરી હતી, કોણ કોણ વિદ્વાનો હતા વગેરે પોતાને સગે હાથે અને સગે દિમાગે તપાસી જુઓ. અને એ પછી આ લોકોએ આ પ્રકારનું કામ કેટલું કર્યું એ તપાસી જુઓ. તમને પોતાને જમા-ઉધારનો ખ્યાલ આવી જશે. કોણ નાદાર છે અને કોણ નક્કર છે તેનો ખ્યાલ આવી જશે.

એમ. પતંજલિ શાસ્ત્રીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેઓ ૧૯૫૧-૫૪નાં વર્ષોમાં ભારતના બીજા મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને સંસ્કૃતના પંડિત હતા. મહામહોપાધ્યાયની કક્ષાના. તેમને સંસ્કૃત અને ભારતીય વિદ્યાઓના પ્રચાર-પ્રસારમાં ખૂબ રસ હતો. સોમનાથમાં મંદિર બંધાયું એ પછી ડૉ. રાજેન્દ્રપ્રસાદ, કનૈયાલાલ મુનશી અને બીજાઓએ મળીને સંસ્કૃત વિશ્વપરિષદની સ્થાપના કરી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદ ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતા, કનૈયાલાલ મુનશી કેન્દ્રીય પ્રધાન હતા અને પતંજલિ શાસ્ત્રી દેશના (સર્વોચ્ચ અદાલતના) મુખ્ય ન્યાયમૂર્તિ હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તો દેશમાં સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓનો પ્રચાર-પ્રસાર કેમ કરાય અને તેના માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપતી એક માર્ગદર્શિકા સંસ્કૃત વિશ્વ પરિષદ વતી તૈયાર કરી હતી અને કનૈયાલાલ મુનશીએ કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન મૌલાના આઝાદને અને દેશભરની રાજ્ય સરકારોને તે મોકલી હતી. આ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સંપૂર્ણાનંદ જેવા મુખ્ય પ્રધાનો અને સી.પી.એન. સિંહ જેવા રાજ્યપાલો જેવા બીજા પણ અનેક કૉંગ્રેસીઓ સંસ્કૃત વિશ્વ પરિષદ સાથે જોડાયેલા હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તૈયાર કરેલી માર્ગદર્શિકાને અનુસરીને ભારતનાં કેટલાંક રાજ્યોમાં સંસ્કૃત માટે શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ હતી. કુરુક્ષેત્ર યુનિવર્સિટી આનું એક ઉદાહરણ છે.

અત્યારની પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી અને કોણે કરી હતી એ જાણો છો? આવી જ રીતે અત્યારે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી તરીકે ઓળખાતી રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી એ જાણો છો? પહેલી ૧૯૬૨માં જવાહરલાલ નેહરુએ અને બીજી ઇન્દિરા ગાંધીએ ૧૯૭૦ની સાલમાં. કોઈને ય જવાહરલાલ નેહરુએ કે ઇન્દિરા ગાંધીએ રોક્યા નહોતા, બલકે તેઓ પોતે તેમાં રસ લેતા હતા, કારણ કે તેઓ અભણ નહોતા. લઘુતા ગ્રંથિથી પીડિત નહોતા. આ સિવાય જેઓ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના મહાઅભિયાનમાં જોડાયા હતા એમાંથી કોઈ મુસ્લિમદ્વેષ્ટા નહોતા. કોઈ કોમવાદી નહોતા. બીજાનું બુરું એ ઈચ્છે જેનામાં પોતાનું ભલું કરવાની ત્રેવડ ન હોય.

હજુ એક ઉદાહરણ આપું, કારણ કે એ મનુસ્મૃતિ વિશેનું છે. ૧૯૭૨માં ભારતીય વિદ્યા ભવને નવ સંસ્કૃત ટીકાઓ સાથે મનુસ્મૃતિનું પ્રકાશન કરવાનું કામ હાથ ધર્યું હતું અને તેના સંપાદક હતા, મહામહોપાધ્યાય જયંતકૃષ્ણ હ. દવે. તેઓ મનુસ્મૃતિના પહેલા ખંડની પ્રસ્તાવનામાં લખે છે: “ભારત સરકારના શિક્ષણ ખાતાના સંસ્કૃત બોર્ડની ઈચ્છા હતી કે મનુસ્મૃતિની ઉપલબ્ધ તમામ મહત્ત્વપૂર્ણ ટીકાઓ સાથે મનુસ્મૃતિની સંપૂર્ણ વિસ્તૃત આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે જેથી સુગમતાથી એક જ સ્થળે મનુસ્મૃતિનો અભ્યાસ થઈ શકે. આ સંપાદકને આ કાર્ય સોંપવામાં આવ્યું અને ભારતીય વિદ્યા ભવન દ્વારા ભારત સરકારની ઉદાર આર્થિક સહાયથી મનુસ્મૃતિ પ્રકાશિત થઈ રહી છે.” કોણ હતું ૧૯૭૨ની સાલમાં વડા પ્રધાન? ઇન્દિરા ગાંધી. અને શિક્ષણ પ્રધાન? એસ. નરુલ હસન. એક મુસ્લિમ. જેમને મનુસ્મૃતિ વહાલી છે એમને તો એ પણ ખબર નહીં હોય કે ભારતમાં સ્મૃતિસાહિત્યમાં કોની કોની સ્મૃતિ ઉપલબ્ધ છે અને તેના પર કોણે કોણે ટીકાઓ લખી છે.

માટે યોગી આદિત્યનાથ માત્ર આવું જ કશુંક કરી શકે. બહુ બહુ તો મુસલમાનોના ઘર પર બુલડોઝર ચલાવી જાણે. જેના દ્વારા મુસલમાનો તો છોડો હિંદુઓનું ભલું થાય એવું રચનાત્મક કામ કરવાનું કોઈ ગજું આ લોકો નથી ધરાવતા. એ બધું “હિંદુધર્મવિરોધી”, “ધર્મદ્રોહી”, દેશદ્રોહી “સેક્યુલરિયા”ઓ કરી ગયા જેને બરબાદ કરવાનું કામ તેઓ કરી રહ્યા છે. સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓના જતન અને સંવર્ધન માટે પહેલાં અંગ્રેજોએ સ્થાપેલી અને આઝાદી પછી કૉંગ્રેસીઓએ સ્થાપેલી શિક્ષણ સંસ્થાનોની આજની સ્થિતિ પર નજર નાખી જુઓ. તેઓ સંસ્કૃત યુનિવર્સિટીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફેરવી રહ્યા છે કે જેથી તેને કેન્દ્ર સરકાર નિયંત્રિત કરી શકે. એમાં કોણ બેઠા છે એ જોઈ જુઓ. દિવસમાં એક પાનું વાંચતા હાંફી જાય એવા “વિદ્વાનો”ને ત્યાં બેસાડવામાં આવ્યા છે. ત્યાં શું કામ થઈ રહ્યું છે એ તપાસી જુઓ. પશ્ચિમમાં બેઠેલા ગૈર હિંદુ વિદ્વાનો જેટલું કામ કરે છે તેની સામે આ લોકો ચરકવા જેટલું પણ કામ નથી કરી શકતા. કૂવામાં હોય તો હવાડામાં આવે ને! જ્યાં વિચારવાની અને શંકા કરવાની મનાઈ હોય ત્યાં કદાપિ વિદ્વતા હોય!

ટૂંકમાં જે વિષયો તેમને વહાલા છે એ વિષયો પર મુસલમાનો માટે દ્વેષ નહીં ધરાવતા સેક્યુલર વિદ્વાનોએ નક્કર કામ કર્યાં છે અને કરે છે. ૧૭૮૪માં સર વિલિયમ જોન્સે કોલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી અને ૧૭૯૧માં જોનાથન ડંકને બનારસમાં ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજ(આજે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી)ની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધીમાં અઢીસો વરસમાં ભારતીય પ્રાચીન ભાષાઓ અને વિદ્યાઓના સંવર્ધન માટે ઉદારમતવાદી સેક્યુલર વિદ્વાનોએ જેટલાં કામ કર્યાં છે એનો એક ટકો કામ પણ હિંદુહિતનો ઝંડો લઈને ફરનારાઓ નથી કરી શક્યા.

જગતમાં હિંદુઓ ગર્વ સાથે માથું ઊંચું કરી શકે એવા રચનાત્મક કામો કરવાનું તેમનું ગજું પણ નથી અને તેમને તેમાં રસ પણ નથી. મુસલમાનોને સતાવો અને હિંદુઓના એક વર્ગને રાજી કરો. પરપીડનમાં આનંદ અનુભવનારા લોકો દરેક સમાજમાં હોય જ છે. એમાં માથે તવાઈ છે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સહિત કેટલાક લોકો યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી હટાવવા માગે છે. ઓછામાં પૂરું વિધાસભાની દસ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે જેમાંથી પાંચ બેઠકોમાં ૨૦૨૨ની ચૂંટણીમાં પરાજય થયો હતો. યોગી માટે આકરાં ચઢાણ છે અને પક્ષમાં તેમની સામે બળવો થઈ રહ્યો છે. નબળો નર નારી પર શૂરો એના જેવું છે.

સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારના વકીલોને હસતા હસતા સવાલ કર્યો હતો કે રાંધનારા,  પીરસનારા, સાફ કરનારા, અનાજ ઉગાડનારા, ખરીદનારા, વેચનારા, સપ્લાય કરનારા એમ પવિત્ર હિંદુઓ કોના કોનાથી બચશે? અને એક સવાલ જજોએ નથી કર્યો પણ લોકો કરે છે. પવિત્ર હિંદુઓએ હવેથી અમરનાથની યાત્રાએ તો ન જ જવું જોઈએ. ત્યાં ડોળી ઊંચકનારાઓ અને ઘોડાવાળાઓ અપવાદ વિના મુસલમાન છે.

એક હિંદુ એ છે જે રાતના દીવા બાળીને અને આંખો ફોડીને હિંદુઓની (ભારતની) મહાન પરંપરાના ઉજ્વળ પતાકા જગતમાં લહેરાવે છે અને બીજા હિંદુ એ છે જે ભડકા કરીને હિંદુને જગતમાં બદનામ કરે છે. અને હા, મુસલમાનો વિના દેશ અધૂરો છે એમ હજુ મહિના પહેલા કહેનારા અત્યારે ચૂપ છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 જુલાઈ 2024

Loading

...102030...482483484485...490500510...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved