Opinion Magazine
Number of visits: 9557617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રણમાં રેલ ને ભૂખમરાની રેલમછેલ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 October 2024

તને મેં ઝંખી છે –

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

                                                          – સુન્દરમ્

રવીન્દ્ર પારેખ

આ દોઢ પંક્તિમાં પ્રેમીની ઉત્કટ ઝંખના એ રીતે વ્યક્ત થાય છે કે તે યુગોથી ધીખેલા સહરાની તરસથી પ્રેમિકાને ચાહે છે. હું પણ એટલી જ ઉત્કટતાથી આ કાવ્ય ભણાવતો હતો, પણ તેનાં પર પાણી ફરી વળ્યું છે. રણમાં રેલ આવે? તમે કહેશો કે ન આવે, પણ આવી ને તે નાનાં મોટાં રણમાં નહીં, સહરાનાં રણમાં ! હવે રણ જ ભીનું હોય તો પ્રેમી તરસ્યો ક્યાંથી રહે? રણ વિષેની મારી ધારણા જ ખોટી પડી હોય ત્યાં પ્રેમ વિશે તો ધારવાનું જ શું રહ્યું? જો કે, પત્નીને પ્રેમ સાથે ભાગ્યે જ બને છે એટલે એને વિષે ધારવામાં વાંધો નહીં. (બીજાની હોય તો ખાસ) પત્નીનું અદકેરું મૂલ્ય છે. તમે નહીં માનો, પણ હું સાચું કહું છું. પત્ની છે તો પતિ પતે છે, નહીં તો પતવાનું તેને કારણ જ કયું છે? તમે પત્નીનું મૂલ્ય જાણવા પાછા પુરાવા માંગશો, તો દાખલો આપું –

એક ગામમાં એક યુવક રહેતો હતો. બધી વાતે, ખાસ તો પત્નીની વાતે પણ, સુખી હતો ને બીજાને સગવડ પ્રમાણે દુ:ખી કરતો રહેતો હતો. સારો ધંધો હતો ને માબાપ, ભાઈ-બહેન સાથે રહેતો હતો, પણ ઉપરવાળાથી કોઈનું સુખ બહુ જોવાતું નથી એટલે તે પાર્ટ ટાઈમ દુ:ખ બધાંને જ આપતો રહે છે. આ યુવક પણ લાગમાં આવ્યો ને એક દિવસ તેનો એકનો એક બાપ એકાએક જ ગુજરી ગયો. યુવકને માથે તો આભ તૂટી પડ્યું. ગામનાં વડીલો તેને મળવા આવ્યા ને યુવકને આશ્વસ્ત કરતાં બોલ્યાં કે દીકરા, આમ દુ:ખી ન થા. બાપ ગયો તો શું થયું, અમે પણ તારા બાપ જેવા જ છીએને ! અમને બાપ માનજે. યુવકે મન મનાવ્યું ને ધંધે લાગ્યો. થોડા દિવસમાં બૂમ પડી કે બહેનને સાપ કરડયો છે. યુવક ઘરે પહોંચ્યો તો બહેનનાં મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં. બહેનનાં અણધાર્યાં મોતથી યુવક બહુ દુ:ખી થયો. ગામની થોડી યુવતીઓ આવી ને બોલી કે ભાઈ, બનવા કાળ બની ગયું ને કુદરત આગળ કોનું કૈં ચાલ્યું છે? બહેન નથી તો અમને બહેન ગણજે. દુ:ખનું ઓસડ દા’ડા એ ન્યાયે યુવક જેમ તેમ સ્વસ્થ થયો. વરસેક ગયું ને એક દિવસ પત્ની હાર્ટ એટેકથી ગુજરી ગઈ. યુવકે બહુ રાહ જોઈ, પણ આટલી મહિલાઓ છતાં કોઈ કહેવા ન આવી કે અમને તારી …

હવે તો સમજાયુંને પત્નીનું મહત્ત્વ ! જો કે, રાવણને સમજાયું ન હતું. મંદોદરી જેવી સુંદર રાણી હતી, પણ રાવણ સીતાના મોહમાં ખેંચાયો હતો, છતાં અશોકવાટિકામાં તેણે આંગળી ય અડાડી ન હતી. તે બળજબરી કરી શકતો હતો, પણ તેણે તેવું ન કર્યું. તે મહાજ્ઞાની ને પંડિત હતો. રાવણ યુદ્ધમાં હણાયો ત્યારે રામ, લક્ષ્મણને જ્ઞાન લેવા રાવણની પાસે મોકલે છે ને આપણે દશેરાએ રાવણ દહનનો કાર્યક્રમ કરીએ છીએ. આ દહન રાવણનું નથી, અહંકારનું છે. મનુષ્ય માત્રમાં રહેલા અહંકારનું દહન થવું જોઈએ, પણ આપણે તો અહંકાર સામે જ હોય એમ તેનું જ દહન કરીએ છીએ !

આ વખતના દશેરામાં જાહેર દહન કે હવન થાય એવી તકો ઓછી જ હતી, તે એટલે કે વરને સાદ ન પડે એટલો વરસાદ, નોરતાના છેલ્લા દિવસોમાં આવ્યો ને વરસાદને કારણે માઇક ચાલતાં ન હતાં એટલે આરતી કે થાળ કેટલાકે જેમ તેમ ગાયો. આરતીમાં જ થાળ ભળી ગયો હોય તેમ ઘણાં ‘જયો જયો મા જગદંબે !’ ગાતાં હતાં કે ‘જમો જમો મા જગદંબે !’ તે સમજાતું ન હતું. દશેરો પણ પલળતો ને પલાળતો આવ્યો. આષાઢમાં ન આવે એટલો વરસાદ આસોમાં આવ્યો. નોરતાના ઓરતા ઘણાંના અધૂરા રહ્યા. માતાજીને તો વદા કર્યાં, પણ રાવણ દહન હવાઈ ગયું. કુંભકર્ણ ઊંઘમાં વળી ગયો કે વરસાદમાં કે આપણાં પર હસતો હતો તેથી, પણ બેવડ વળી ગયો હતો, તો મેઘનાદ, મેઘના નાદ સાથે વગર દહને જ પટકાયો હતો. રાવણના દસ દસ માથાં, વરસાદમાં કયું ઢાંકવું ને કયું રહેવા દેવું એની પંચાત હતી. ક્યાંક તો રાવણે રેઇનકોટ પહેરીને જ દહનની તૈયારીઓ કરી લીધી હતી. એટલો પલળ્યો કે રાવણ ઘણી જગ્યાએ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ફૂટ્યો. ક્યાંક તો એટલો વરસાદ પડ્યો કે રાવણનું દહન કરવું કે જળમાં વિસર્જન કરવું તેની સમસ્યા થઈ પડી. પેટની જરા પણ દયા ખાધા વગર હવાયેલાં તો હવાયેલાં પણ કરોડોનાં ફાફડા-જલેબી દશેરામાં ઘણાં એ હોજરીમાં ઠાંસ્યાં. પછી ઘણાંને મોડે સુધી હવાઈઓ ફૂટી હોય તો નવાઈ નહીં !

હવે જ્યાં આટલું ખવાતું હોય, કરોડોની ઘારી ચંદની પડવે માત્ર સુરત જ ઝાપટી જતું હોય ત્યાં ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’માં ભારતનો નંબર 127 દેશોમાં 105મો બતાવાય તો ગધેડાને ય તાવ આવે કે નહીં? આવ્યો. તેમાં આશ્વાસન એવું અપાયું કે ગયે વર્ષે એ ક્રમ 111મો હતો, તે 105 પર આવ્યો છે. આવો ક્રમ, ચક્રમ નક્કી કરે છે કે વિક્રમ, તે ખબર નથી, પણ એ નમૂનાઓ છે કોણ તે નથી સમજાતું. ભારતમાં ભૂખમરો છે કે સુખમરો, એ નક્કી કરવાનો હક તેમને આપ્યો કોણે? ચાલો 105મો ક્રમ આપ્યો તો ધૂળ નાખી, ઉપરથી આપણો જીવ બાળવા એ નમૂનાઓ કહેતાં ફરે છે કે એ ઇન્ડેક્સમાં અનુક્રમે નેપાળ 68, શ્રીલંકા 56 અને બાંગ્લાદેશ 86માં નંબરે છે. એટલું સારું કર્યું કે પાકિસ્તાનને 109માં નંબરે મૂક્યું. આવું નક્કી કરવામાં કોઇ લૉજિક મને તો દેખાતું નથી. એમ કહેવાયું કે હંગર ઇન્ડેક્સમાં નેપાળ, શ્રીલંકા કે બાંગ્લાદેશ, ભારત કરતાં આગળ છે, તે હોય જ ને ! એ દેશો છે કેટલા? છાબડી જેવા એ દેશો પોતાના લોકોને ખવડાવે એમાં કૈં ધાડ મારવાની નથી. ત્રણે દેશો ભેગા કરો તો ભારતને ઘૂંટણીયે આવે એમ પણ નથી. એ ગમે એટલા આગળ હોય તો પણ ભારતની 142 કરોડની વસ્તીને આંબી શકે એમ છે? એ ભૂખ્યા ઇન્ડેક્સને ખબર છે કે બીજા દેશની વસ્તી જેટલા 81.35 કરોડ લોકોને કોરોના કાળથી ભારત મફત અનાજ આપે છે ને છેલ્લી જાહેરાત મુજબ 2028 સુધી ભૂલ્યા વગર મફત ખવડાવવાનું છે?

ગુજરાતનાં ગાંધીનગરમાં, માત્ર આસો સુદ નોમને દિવસે રૂપાલના પલ્લી મેળામાં 25 કરોડથી વધુનું સવા ચાર લાખ કિલો ઘી 14 લાખથી વધુ ભક્તો ધૂળમાં મેળવી દે છે, એ લકઝરી, હંગર ઇન્ડેક્સને પરવડે એમ છે? તિરૂપતિમાં રોજના ત્રણ લાખ લાડુ પ્રસાદમાં જ વેચાય છે એ હંગર ઇન્ડેક્સ નક્કી કરનાર સાહેબો જાણે છે? અરે ! મધ્યાહ્ન ભોજન યોજનામાં રોજ લાખો બાળકો સ્કૂલોમાં ભણે કે ન ભણે, પણ જમે છે. આવો જમણવાર કોઈ દેશ રોજ કરી શકે એમ છે? કોઈ દેશમાં વર્ષો સુધી ચાલતી મફત અનાજની આવી સદાવ્રતની યોજના છે? તો, ભારતમાં ભૂખમરો છે એવું કેવી રીતે કહેવાય? આપણે તો રેલ હોય કે દુકાળ, રેલમછેલમાં જ માનીએ છીએ.

મારા બૂટમાં કાંકરી હોય તો મને ખૂંચે ને તે મારે જ કાઢવી પડે, એ કોઈ બીજો કેવી રીતે કાઢે? આપણને આપણી કાંકરીની પરવા નથી, પણ પારકાને એવું છે કે એ કાંકરી કાઢવાનું ને કાંકરીચાળો કરવાનું જાણે છે. એને ચિંતા નથી, પણ એટલી જાણકારી છે કે કાંકરી ન હોય તો ય લલચાવીને આપણી પાસે નવા બૂટ લેવડાવે ને આપણે એટલા ઇન્ટેલિજન્ટ પણ ખરા કે તે લઈએ પણ ખરા …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑક્ટોબર 2024

Loading

હું કહું તેમ કરો

નીતા રામૈયા|Poetry|13 October 2024

આપણાં પ્રથમ અને પ્રખર નારીવાદી કવિ નીતા રામૈયાને અલવિદા ! સ્મૃતિ સલામ !

°

હું કહું તેમ કરો

ક્યારે ય નહીં તો આજે તો કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર

તમારી આંખની ધારે ધાર કાઢતા આ શબ્દોને

વાંચ્યા પછી

હું કહું તેમ કરો.

ક્યારે ય નહીં તો આજે આ પાના ઉપર

ડાકણનું પુંલિંગ કરો

ડાકઘર આસપાસ હોય તો ભલે રહ્યું

કણ એક માટે પરસેવો પાડો પણ

ગમે તેમ કરીને ડાકણનું પુંલિંગ કરો

એક લાજવાબ ઘર વિશે જવાબ આપો : વેશ્યાઘર

તે સ્ત્રીનું ઘર કે પુરુષનું ઘર કે બંનેનું ઘર કાયદાનાં થોથાં ઉથલાવવાનું માંડી વાળો

વેશ્યા જો સ્ત્રી હોય તો તેની પાસે જનાર પુરુષને કોઈ નામ આપો

દામ આપીને કામ પતાવતા આ કામ–પંથીઓ માટે

આ કરવા જેવું કામ છે

ગૃહિણી અને ગૃહપતિનું કાર્યક્ષેત્ર નક્કી કરો છાપું વાંચ્યા પછી ચાના પ્યાલામાં વાવાઝોડું જોતા પુરુષને

કૂકરમાં ભેગી થતી વરાળનું રહસ્ય સમજાવો અને સમજાવો તેને કે સ્ત્રીનું મગજ ક્યારેક ક્યારેક કૂકર જેવું બની જાય

જો હૈયાની વરાળ ઠાલવવા જેવું પાત્ર તેને ન મળે તો

આ પાત્ર એટલે કેવું પાત્ર તેની વ્યાખ્યા આપો

પુરુષનું મંગળ ઇચ્છતી સ્ત્રી

તેના નામનું સૂત્ર ગળે વીંટતી હોય તો

સ્ત્રીનું મંગળ ઇચ્છતા પુરુષના ગળામાં કયું સૂત્ર શોભે તેની સવિસ્તર ચર્ચા કરીને બંધબેસતો ઉત્તર આપો

ક્યારે ય નહીં

તો આજે તો આટલું કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર.

***

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈઝરાયેલ – પૅલૅસ્ટાઈન સંઘર્ષનું એક વર્ષ

સંકલન : રૂપાલી બર્ક|Opinion - Opinion|13 October 2024

રૂપાલી બર્ક

૮ ઑક્ટોબરે આ કારમા સંઘર્ષનું એક વર્ષ પૂરું થયું. ૨ ઑક્ટોબર ગાંધી જયંતીનો દિવસ.  ‘ગાઝા એકોક્તિઓ’ના ત્રીજા હપ્તાના ચાલુ અનુવાદ થકી આ પ્રદેશના હિંસક માહોલની અનુભૂતિ કરી રહી છું અને શાંતિની પ્રાર્થના કરી રહી છું એવામાં એક મિત્રએ ગયા વર્ષે પ્રસિદ્ધ થયેલો નીચે મુકેલો લેખ મોકલ્યો જેનો અનુવાદ અને મારા પ્રિય પૅલૅસ્ટિનયન-અમૅરીકી કવિ ફૅડી જુડાહના હૃદયના તાર ઝંઝોળી નાખે એવા કાવ્યનો અનુવાદ રજૂ કરું છું.

(વિસ્તૃત લેખ indianexpress.com પર વાંચવા મળશે. દૈનિક દ્વારા જ સંક્ષિપ્ત લેખ નીચે મુજબ છે.)

°°°

શા માટે ગાંધીજી પૅલૅસ્ટાઈનમાં યહૂદી રાજ્યની તરફેણમાં નહોતા? / અર્જુન સેનગુપ્તા, નવી દિલ્હી, ઑક્ટૉબર ૧૦, ૨૦૨૪ (‘ઇન્ડિયન ઍક્સપ્રૅસ’)

અનુવાદ : રૂપાલી બર્ક

“જે અર્થમાં ઇંગ્લૅન્ડ અંગ્રેજોનું છે અથવા ફ્રાંસ ફ્રૅંચ પ્રજાનું છે તે રીતે પૅલૅસ્ટાઈન આરબોનું છે,” એમ મહાત્મા ગાંધીએ ‘હરિજન’માં નવેમ્બર ૨૬, ૧૯૩૮ના રોજ લખેલું.

ગાંધીજીનો લેખ, ‘The Jews’ વર્ષોથી ગહન ચર્ચાનો વિષય રહ્યો છે. અમુકે એને ગાંધીજીના ભોળપણનો પુરાવો ગણાવ્યો છે તો બીજાઓેએ પરિણામની પરવાહ કર્યા વિના અહિંસા પરત્વે ગાંધીજીની ઊંડી પ્રતિબદ્ધતા તરીકે એને મુલવ્યો છે.

‘હરિજન’ ગાંધીજીએ શરૂ કરેલું સાપ્તાહિક સામયિક હતું જેમાં વિવિધ વિષયો પર ગાંધીજી એમના વિચારો વ્યક્ત કરતા.

યહૂદીઓ માટેની ગાંધીજીની સહાનુભૂતિ

પોતાના ધર્મને લીધે યહૂદી લોકોની ઐતિહાસિક સતામણી અંગે ગાંધીજી અત્યંત સભાન હતા અને એમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અનુભવતા હતા.

“મારી સહાનુભૂતિ સમગ્રપણે યહૂદીઓ પ્રત્યે છે … તેઓ ખ્રિસ્તી ધર્મના અછૂતો રહ્યા છે. ખ્રિસ્તીઓ દ્વારા એમની સાથેના વ્યવહાર અને હિન્દુઓ દ્વારા અછૂતો સાથેના વ્યવહારમાં ખૂબ સામ્ય છે. બન્ને કિસ્સાઓમાં સામા પક્ષ સાથે અમાનવીય વ્યવહારને વાજબી ઠેરવવા ધાર્મિક સંમતિનું કારણ દર્શાવવામાં આવે છે,” ગાંધીજીએ ‘The Jews’માં લખ્યું છે.

ગાંધીજીએ એમ પણ લખ્યું કે “જર્મનોના હાથે યહૂદીઓની સતામણીનો ઇતિહાસમાં જોટો નથી”, અને તે વખતે (૧૯૩૯માં બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પૂર્વે) ઍડૉલ્ફ હિટલરને પ્રસન્ન કરવાની બ્રિટનની નીતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

“માનવતાના નામમાં અને માનવતા માટે જો કોઈ યુદ્ધને વાજબી ઠેરવવું હોય તો એક આખા સમુદાય વિરુદ્ધ ક્રૂર સતામણીને નિવારવા માટે જર્મની વિરુદ્ધ યુદ્ધ વાજબી ગણાશે,” એમ ગાંધીએ લખ્યું છે.

આરબો માટે ચિંતા

આમ છતાં, મહાત્મા ગાંધીએ પૅલૅસ્ટાઈનમાં ‘ઝાયોનિસ્ટ સ્ટેટ’ની (જેની યોજના બની રહી હતી) તરફેણમાં ન હતા. “આરબો પર યહૂદી આધિપત્ય ખોટું અને અમાનવીય છે. યહૂદીઓને આંશીક કે સંપૂર્ણ પૅલૅસ્ટાઈન પોતાના રાષ્ટ્રીય વતન તરીકે પરત આપવા માટે ગૌરવશાળી આરબોને ઓછા આંકવા માનવતા વિરુદ્ધ ગુનો બને”, ગાંધીજીએ નોંધ્યું છે.

ગાંધીજીનો વિરોધ બે સૈધાંતિક માન્યતાઓ પર આધારિત હતો. પ્રથમ, પૅલૅસ્ટાઈન આરબ પૅલૅસ્ટિનિયનોનું વતન હતું અને બ્રિટને સક્રિય રીતે શક્ય બનાવેલી યહૂદીઓની વસાહત મૂળભૂત રીતે હિંસક હતી.

“ધાર્મિક કૃત્ય (યહૂદીઓનું પૅલૅસ્ટાઈનમાં પાછા ફરવું) બેયોનૅટ કે બોંબની સહાય વિના શક્ય ના બને,” ગાંધીજીએ લખ્યું. એમના મુજબ યહૂદીઓ પૅલૅસ્ટાઈનમાં “આરબોના સદ્ભાવ”થી જ વસાહટ કરી શકે અને તે માટે એમણે “બ્રિટિશ બેયોનૅટ”ને ત્યજવી પડે.

બીજુ, ગાંધીજીને લાગતું કે યહૂદી વતનનો ખ્યાલ વિશ્વમાં અન્ય ઠેકાણે વધુ મહત્ત્વના હકો માટેની એમની લડાઈથી સાવ વિરુદ્ધ હતો.

“જો યહૂદીઓનું પૅલૅસ્ટાઈન સિવાય કોઈ વતન નથી તો શું વિશ્વના અન્ય ભાગોમાં જ્યાં એ વસેલા છે ત્યાંથી એમની હકાલપટ્ટી થાય એ એમને માન્ય હશે?” ગાંધીજીએ લખ્યું અને વધુમાં ઉમેર્યું રાષ્ટ્રીય વતન માટેના યહૂદી દાવાથી “જર્મનો દ્વારા યહૂદીઓની હકાલપટ્ટીને ઊંડુ સમર્થન મળે છે.”

ભારતની વિદેશ નીતિ

મહાત્મા ગાંધીની માફક આરબ દેશોના નેતાઓ અને સામ્રાજયવાદ વિરોધીઓ પૅલૅસ્ટાઈનના બ્રિટિશ વહીવટથી અને ૧૯૧૭ના બૅલફોર ડૅક્લરેશન મુજબ બ્રિટિશ મૅન્ડેટમાં દર્શાવેલ યહૂદીઓને વતનના વચનથી ભયભીત હતા.

બ્રિટિશ લેખક આર્થર કૉસ્લરે, જે પોતે યહૂદી હતા, ડૅક્લરેશન વિશે લખેલું, “એક રાષ્ટ્રે ગંભીરતાપૂર્વક બીજા રાષ્ટ્રને ત્રીજાના દેશનું વચન આપ્યું.”

ગાંધીજીના અભિપ્રાયનો નહેરુ પર ઊંડો પ્રભાવ પડ્યો અને એના લીધે તથા નહેરુની પોતાના સામ્રાજ્યવાદ વિરોધી મતને આભારી દશકો સુધી ભારતની વિદેશ નીતિ ઘડાતી રહી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની નવેમ્બર ૧૯૪૭ની સામાન્ય બેઠકમાં પસાર કરાયેલા ઠરાવ ૧૮૧ (૧૧)નો વિરોધ કર્યો કારણ કે એમાં મૅન્ડૅટરી પૅલૅસ્ટાઈનને યહૂદીઓ અને આરબો વચ્ચે વહેંચવાનું આવતું હતું.

ભારતે ૧૯૫૦માં ઈઝરાયેલને સમર્થન નહોતું આપ્યું. ૧૯૯૨માં પી.વી. નરસિંહમા રાવ વડા પ્રધાન હતા તે દરમ્યાન ભારતે ઈઝરાયેલ સાથે ઔપચારિક રાજનૈતિક સંબંધો સ્થાપ્યા.

*

અનુકરણ / ફૅડી જુડાહ

મૂળ અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

મારી દીકરી

એની બાયસીકલના હૅન્ડલ વચ્ચે રહેતા

કરોળિયાને હાનિ ના પહોંચાડી

કરોળિયો આપમેળે જતો ના રહ્યો ત્યાં સુધી

બે અઠવાડિયા એણે રાહ જોઈ.

 

જો તું એનું જાળું ખેંચી કાઢે

તો એને ખ્યાલ આવી જશે કે

આ સ્થળને ઘર કહેવાય નહીં

વળી તને સાયકલ ફેરવવા મળશે

મેં દીકરીને કહ્યું.

 

દીકરી બોલી, આ જ રીતે

બીજા નિરાશ્રિત બની જાય છે, ખરું ને?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...482483484485...490500510...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved