Opinion Magazine
Number of visits: 9456948
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 August 2024

ચંદુ મહેરિયા

૨૦૨૩માં રાજસ્થાનની કાઁગ્રેસ સરકારે ગિગ વર્કર્સના કલ્યાણ અને રજિસ્ટ્રેશન અંગેનો કાયદો ઘડ્યો હતો. દેશના લાખો ગિગ વર્કર્સને લગતો કાયદો ઘડનારું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. હવે તેના પગલે કર્ણાટકની કાઁગ્રેસ સરકારે ગિગ વર્કર્સ સંબંધી અધિનિયમનો મુસદ્દો તૈયાર કરી, જાહેર ચર્ચા માટે મુક્યો છે. તેલંગાણા સરકાર પણ આવો કાયદો ઘડવાની છે. કાઁગ્રેસે તેની રાજવટના રાજ્યોમાં કાયદો ઘડી રાષ્ટ્રીય કક્ષાએ પણ ગિગ વર્કર્સ સંબંધી કાયદો બનાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. તેને કારણે ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સ ચર્ચામાં છે.

આપણે સ્માર્ટ ફોનથી કોઈ એપ મારફત ઓર્ડર કરીએ અને ગણતરીની મિનિટોમાં બહાર જવા કેબ ઘરના આંગણે આવી જાય કે કોઈ ઘરે જમવાનું અને બીજી ચીજો આપી જાય તો આ વ્યવસ્થા પર આપણે વારી જઈએ છીએ. પરંતુ આ વ્યવસ્થાની કરોડરજ્જુ સમા કામદારો-કર્મચારીઓની હાલત અંગે સાવ બેખબર હોઈએ છીએ. ગિગ ઈકોનોમી મુક્ત બજાર પ્રણાલી છે અને તે આર્થિક ઉદારીકરણની ઉપજ છે. કેબ ડ્રાઈવર, ડિલિવરી કરનારા વ્યક્તિઓ, સોફ્ટવેરની કામગીરી સાથે સંકળાયેલા લોકો, વ્યવસાયી સેવાઓ, સમૂહસેવાઓ, વકીલ, પત્રકાર, ફોટોગ્રાફર, લેખક, વેબ ડિઝાઈનર અને એવાં બીજાં કામો સાથે સંકળાયેલા લોકો ગિગ વર્કર્સના રૂપાળા નામે ઓળખાય છે.

ગિગ વર્કરની કોઈ ચોક્કસ વ્યાખ્યા હજુ ઘડાઈ નથી, પરંતુ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ના અધ્યાય ૧, ખંડ-૨(૩૫)માં તેની અધૂરી અને અસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં ગિગ વર્કરને એક વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તે એક એવી કાર્ય વ્યવસ્થાનો ભાગ છે જેમાં તે મજૂર-માલિક સંબંધોથી પર રહીને પોતાની રોજી મેળવે છે. એક અર્થમાં ગિગ શ્રમિકો અસંગઠિત શ્રમિકોનું વિસ્તરણ છે. અંશકાલીન, સ્વનિયોજિત કે એકાધિક કામ કે નોકરી કરનાર વ્યક્તિ ગિગ શ્રમિક ગણાય છે. તેના કામના કલાકો, કામનું પ્રમાણ અને રોજી સાવ અનિશ્ચિત હોય છે. તે કોઈ કંપની કે સંસ્થાના હાજરીપત્રક પર નથી હોતા અને પગારપત્રક પર પણ નથી હોતા. પરંતુ તે કંપની કે સંસ્થાનું કામ કરે છે. કહેવા ખાતર તો તેઓ પોતાના જ માલિક છે. મનમરજીનું કામ મન પસંદ સમયે કરે છે અને રિસેષ કે રજા માટે કોઈની પરવાનગી લેવાની હોતી નથી, પરંતુ વાસ્તવિકતા જુદી છે. કહેવાતા માલિક સાથેનો તેનો સંબંધ ટૂંકા ગાળાનો અને કામ પૂરતો જ હોય છે.

ગિગ વર્કર્સ માત્ર ભારત પૂરતા સીમિત નથી. આખી દુનિયામાં છે. મૂડીવાદી અમેરિકામાં  લગભગ સાડા છ કરોડ ગિગ વર્કર્સ છે. હવે પછીના પાંચેક વરસોમાં અમેરિકામાં કામ કરનારાઓમાંથી અડધોઅડધ ગિગ વર્કર્સ હશે. ૨૦૨૩માં વિશ્વ આખાના અર્થતંત્રમાં ગિગ ઈકોનોમીનું  પ્રદાન ૪૫.૫ કરોડ ડોલરનું હતું.

હાલમાં ભારતમાં અંદાજિત ૭૭ લાખથી ૧.૫ કરોડ ગિગ વર્કર્સ છે. આ દાયકાના અંતે તે વધીને ૨.૪ કરોડ થવાની ધારણા છે. સૌથી ઓછા ૧ લાખ ગિગ વર્કર્સ શિક્ષણમાં અને સૌથી વધુ ૨૬.૬ લાખ રિટેઈલ ટ્રેડ એન્ડ સેલ્સમાં કામ કરે છે. ૧૩ લાખ ટ્રાન્સપોર્ટેશન, ૬.૩ લાખ ફાયનાન્સ અને ઈન્સ્યુરન્સમાં અને ૬.૨ લાખ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામ કરી રોજી મેળવે છે. નીતિ આયોગના અહેવાલમાં ૨૦૧૯-૨૦માં ૪૭ ટકા ગિગ શ્રમિકો મધ્યમ કૌશલ્યના રોજગારમાં, ૩૧ ટકા નિમ્ન કૌશલ્યમાં અને માત્ર ૨૨ ટકા જ ઉચ્ચ કૌશલ્યની નોકરીઓમાં હતા. ૨૦૨૦-૨૧માં દેશના ટોટલ વર્કફોર્સમાં ૧.૫ ટકા અને બિનકૃષિમાં ૨.૬ ટકા ગિગ વર્કર્સ હતા.

અસંગઠિત ક્ષેત્રનો વિસ્તાર મનાતા ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે. માર્ચ ૨૦૨૪માં જાહેર થયેલા ગિગવર્કર્સ અંગેના બે સર્વેક્ષણોમાં પણ આ બાબત ઉજાગર થઈ છે. ‘જનપહેલ’ નામક સ્વૈચ્છિક સંસ્થાએ ૩૨ શહેરોના પાંચ હજાર ગિગવર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સનો અભ્યાસ કર્યો હતો. ઇન્ડિયન ફેડરેશન ઓફ એપબેસ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સે દેશના આઠ મોટા શહેરોના ૫૩૦૨ કેબ ડ્રાયવરો અને ૫૦૨૮ ડિલિવરી મેનનું સર્વેક્ષણ કર્યું હતું. પ્રથમ સર્વેક્ષણ હેઠળના કામદારોમાંથી ૮૫ ટકા, ૩૦થી ૫૦ વરસના જ્યારે બીજા સર્વેક્ષણના ૭૮ ટકા, ૨૧ થી ૪૦ વરસના હતા. બંને સર્વેક્ષણના તારણોમાં કામના કલાકો, કામનો પ્રકાર અને માસિક આવકની વિગતો ચિંતાજનક છે. ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સના ૫૭ ટકા ૨થી ૫ વરસથી અને ૧૬ ટકા ૫ કરતાં વધુ વરસોથી કામ કરતા હતા. મતલબ કે કામની કોઈ ખાતરી કે સલામતી નહોતી. નોકરીની અસાલમતીનું કારણ ૮૭ ટકાના મતે ઓછા સમયમાં સેવા પૂરી પાડવી તે છે. અગાઉની તુલનામાં હવે તેમની સંખ્યા વધી છે પણ આવક ઘટી છે. ૧/૩ કેબ ડ્રાઈવર ૧૪ કલાક, ૬૦ ટકા ૧૨ કલાક અને ૮૩ ટકા ૧૦ કલાકથી વધુ કામ કરે છે. અહીં પણ જ્ઞાતિગત અસમાનતા જોવા મળી છે. બિનઅનામત વર્ગના માત્ર ૧૬ ટકાની સરખામણીએ દલિત-આદિવાસી ૬૦ ટકા કેબ ડ્રાઈવરો ૧૪ કલાકથી વધુ કામ કરે છે. ૪૩ ટકાને રોજના રૂ.૫૦૦ અને મહિને રૂ.૧૫,૦૦૦ રોજી મળે છે. ૩૪ ટકા માસિક ૧૦ હજારથી ઓછું કમાય છે. કંપનીઓ અનુચિત, મનફાવતું અને અસ્પષ્ટ કમિશન લેતી હોવાની અને ગ્રાહકો દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ લગભગ બધાની હતી.

ગિગ વર્કસને અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળતું કાયદાકીય રક્ષણ મળતું નથી. કેમ કે શ્રમિક કાયદાઓમાં તેમનો સમાવેશા કરવામાં આવ્યો નથી. ગિગ વર્કર્સને લઘુતમ વેતન, પેન્શનરી લાભો, આરોગ્યની સેવાઓ, સવેતન અઠવાડિક કે અન્ય રજાઓ મળતી નથી. રાજસ્થાન અને અન્ય કાઁગ્રેસશાસિત રાજ્યોના ગિગ વર્કસને લગતા કાયદા પણ તેમના અધિકારોના બદલે કલ્યાણને લગતા વધુ છે. રાજસ્થાન અને કર્ણાટકના કાયદામાં પ્લેટફોર્મ આધારિત ગિગ વર્કર્સનો જ સમાવેશ થાય છે. જે લોકો ઓનલાઈન અલ્ગોરિથમ મેચિંગ પ્લેટફોર્મ કે એપનો ઉપયોગ કરે છે તે પ્લેટ આધારિત ગિગ વર્કર્સ છે પરંતુ તેનો ઉપયોગ ન કરનાર કે તેની બહાર રહીને કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઘણી મોટી છે. તેમનો સમાવેશ કાયદામાં થયો નથી. ગિગ વર્કર્સને કર્ણાટકનો પ્રસ્તાવિત કાયદો નબળો લાગે છે તો તેમના માલિકોના સંગઠનને કાયદો જરા ય સ્વીકાર્ય નથી.

જ્યારે દેશ અને દુનિયામાં ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સમાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે ગિગ વર્કર્સને અસંગઠિત શ્રમિકોને મળતા હક અને લાભ મળવા જોઈએ. લઘુતમ વેતન, કામના નિર્ધારિત કલાકો, પારદર્શી અને નિષ્પક્ષ ચુકવણાની વ્યવસ્થા, કલ્યાણ બોર્ડ અને કલ્યાણ કોષની રચના જેવા પગલાં લેવા જોઈએ. આગામી યુનિયન બજેટને માત્ર આવકવેરાની મુક્તિ મર્યાદાની સંકુચિત નજરે સારા કે નરસા તરીકે મુલવવાને બદલે ગિગ સહિતના અસંગઠિત શ્રમિકોના હિતની દૃષ્ટિએ મુલવવું જોઈએ. જેમની પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમના માટે તો ગિગ વર્કર્સ બનવું પણ મુશ્કેલ છે. એટલે ડિજિટલ ડિવાઈડના દૃષ્ટિકોણથી પણ આ બાબતને ચકાસવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

યુવાનો જેટલી વિસ્ફોટક ચીજ બીજી એકેય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|1 August 2024

રમેશ ઓઝા

દેશમાં શિક્ષણના ક્ષેત્રમાં જે ઘટનાઓ બની રહી છે તેને એક સાથે જોવી જોઈએ. તેના દ્વારા એક આખું ચિત્ર તમારી સમક્ષ ઊભુ થશે અને તેની ગંભીરતાનો ખ્યાલ આવશે.

૧. આજકાલ કોઈ એવી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં હોય જેનાં પેપર ફૂટતાં ન હોય.

૨. પૂજા ખેડકર નામની પૂનાની છોકરીએ વિકલાંગનું સર્ટિફીકેટ ખરીદવા સહિત દરેક પ્રકારના ગોરખધંધા કરીને દેશની સનદી સેવામાં નોકરી મેળવી હતી.

૩. દેશમાં કોચિંગ ક્લાસોનો રાફડો ફાટ્યો છે અને તે પ્રવેશથી લઈને પાસ કરી આપવા સુધીની દરેક પ્રકારની સેવા આપે છે.

૪. રાજસ્થાનમાં કોટા નામનું શહેર શિક્ષણનું મોટું માર્કેટ બની ગયું છે અને ત્યાં એવી ગળાકાપ હરીફાઈ ચાલે છે કે હવે તેના વિષે ફિલ્મો અને વેબ સિરીઝ બનવા લાગી છે.

૫. એવો ભાગ્યે જ કોઈ દિવસ જતો હશે જ્યારે દેશમાં કોઈને કોઈ સ્થળે કોઈ વિદ્યાર્થીએ નિષ્ફળતાનાં કારણે, અથવા નિષ્ફળતાના ડરને કારણે કે પછી તેની સાથે કોચિંગ ક્લાસવાળાઓએ કે નોકરી અપાવનારા દલાલોએ કરેલી છેતરપિંડીનાં કારણે આત્મહત્યા ન કરી હોય. વિદ્યાર્થીની આત્મહત્યા એ હવે ન્યુઝ નથી રહ્યા.

૬. દિલ્હીમાં ભોંયતળિયે ચાલતા એક કોચિંગ ક્લાસમાં વરસાદનાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓનાં મોત.

૭. ભારતના વિદ્યાર્થીઓ જગતના એવા એવા દેશોમાં ભણવા જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય! અત્યારે બંગલાદેશમાં અનામત વિરોધી આંદોલન ચાલી રહ્યું છે એટલે બંગલાદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પાછા ફરી રહ્યા છે. તસ્વીરો જોઈ હશે. ભારતના વિદ્યાર્થીઓ જ્યાં કંગાળ શૈક્ષણિક સ્તર છે એવા દેશોમાં ભણવા જાય છે.

૮. શિક્ષણ એટલું મોંઘુ છે કે મા-બાપોને જમીન-જાયદાદ વેચવી પડે છે અથવા ગીરવે મૂકવી પડે છે અને તે ક્યારે ય છોડાવી શકતા નથી.

૯. સંપન્ન પરિવારનાં બાળકો વિદેશ ભણવા જઈ રહ્યા છે અને ત્યાં જ વસવાનો પ્રયાસ કરે છે. ભારતનું નાગરિકત્વ છોડવાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ગયા વરસે ૨,૨૫,૬૨૦ લોકોએ દેશનું નાગરિકત્વ છોડ્યું હતું.

૧૦. શિક્ષણનું વ્યવસાયીકરણ તો ક્યારનું થઈ રહ્યું છે અને હવે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

૧૧. દેશમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે જેમાં મધ્યમવર્ગનું સંતાન ભણી શકે એમ નથી.

૧૨. સરકારી કે સરકારી અનુદાન દ્વારા ચાલતી દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દુત્વવાદીઓને બેસાડવામાં આવ્યા છે જેમનું બૌદ્ધિક સ્તર તેજસ્વી વિદ્યાર્થીઓ કરતાં પણ ઓછું છે. તેઓ હજુ દ્વાપર અને ત્રેતાયુગમાંથી બહાર નથી આવ્યા.

૧૩. આજકાલ મીડિયામાં તમને વિકાસ દિવ્યકીર્તિ સર, અવધ ઓઝા સર અને બીજા સરોની મુલાકાત જોવા મળતી હશે. આનું કારણ એ છે કે મીડિયાને આજે સૌથી વધુ આવક આ સરલોકો પાસેથી થાય છે, એટલે તેમની ખુશામત કરવી પડે છે.

૧૪. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દેશમાં ભણવાની ઉંમર વીતી ગઈ હોય એવા ૧૯.૯ ટકા યુવાનો હજુ આજે પણ અશિક્ષિત છે. જે ૮૧.૧ ટકા વિદ્યાર્થીઓ ભણેલા છે એમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી પહોંચ્યા હોય એવા કેટલા? ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના છેલ્લામાં છેલ્લા અહેવાલ મુજબ ૨૮.૪ ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી પહોંચે છે. બાકીના વિદ્યાર્થીઓ કોલેજ સુધી પહોંચતા જ નથી. આનો અર્થ એ થયો કે દેશના લગભગ ૮૦ ટકા યુવાનો હજુ શિક્ષણની બજારમાં ગ્રાહક તરીકે આવ્યા જ નથી. કલ્પના કરો કે જો પ્રત્યેક યુવા શિક્ષણની બજારમાં પ્રવેશતો હોત તો શૈક્ષણિક વ્યવસ્થાનું શું થાત!

૧૫. પણ ચિંતા કરવાની જરૂર નથી, આપણે વિશ્વગુરુ છીએ. દુનિયા આપણા પગ ચૂમવાની છે, ચૂમવાની છે શું, ચૂમવા લાગી છે. અને દેશના શિક્ષણ પ્રધાને ગયા અઠવાડિયે લોકસભામાં કહ્યું હતું કે કોઈ પેપર ફૂટ્યાં જ નથી. ૨૦૨૦ના જૂન મહિનામાં વડા પ્રધાને જેમ દેશને કહ્યું હતું કે ચીને ભારતમાં પ્રવેશ કર્યો જ નથી. આપણને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં અમૃતકાલ ચાલી રહ્યો છે.

પહેલી ૧૪ વાસ્તવિકતા છે અને પંદરમી પ્રતિક્રિયા છે, પ્રતિસાદ છે.

આ બધાં બિંદુઓને જોડશો તો શું નજરે પડે છે?

૧. આઝાદીના ૭૭ વરસ પછી પણ આપણે પોણા ભાગના યુવાઓને તેમને મળવું જોઈતું શિક્ષણ આપી શકતા નથી. તેઓ ઉચ્ચ શિક્ષણની કલ્પના પણ કરી શકે એમ નથી.

૨. દેશના માત્ર ચોથા ભાગના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એમ છે અને મેળવવા માગે છે, પરંતુ તેમને પણ આપણે ઉચ્ચ શિક્ષણ આપી શકતા નથી. અને આપીએ છીએ તો તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે તેમને એવા પછાત દેશોમાં ભણવા જવું પડે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય.

૩. સમસ્યા માગ અને પૂરવઠાની છે. જેટલી માગ છે એટલી બેઠકો નથી એટલે શિક્ષણનું વ્યવસાયીકરણ થયું છે અને અછતના માર્કેટમાં જોવા મળતી દરેક પ્રકારની ગેરરીતિઓ અહીં પણ જોવા મળી રહી છે.

૪. શિક્ષણ સ્પર્ધાત્મક બની ગયું છે એટલે યુવાનોની અંદર હતાશા વધી રહી છે. આર્થિક રીતે પરિવારો અને ભાવનાત્મક રીતે યુવાનો ભાંગી રહ્યા છે. આ એક દિવસ વ્યાપક અરાજકતા અને હિંસાનું કારણ બની શકે એમ છે.

૫. ગાંડી સ્પર્ધા એટલા માટે ચાલી રહી છે કે દરેક યુવાન નોકરી કરવા માગે છે અને નોકરી નથી. આખો દેશ કેવી રીતે નોકરિયાત બની શકે? પણ આ માટે નોકરી મેળવવા માગતો ઈચ્છુક જવાબદાર નથી, શાસકો જવાબદાર છે. શિક્ષણને સ્પર્ધા સાથે અને સ્પર્ધાને નોકરી સાથે જોડી દીધાં છે. જીવન નિર્વહનના બીજાં માધ્યમોની પ્રતિષ્ઠા જ નથી. અને હવે આ આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સના યુગમાં હજુ નોકરી ઘટવાની છે.

જો ઉપર કહ્યાં એ બિંદુઓને જોડશો તો સ્થિતિ ઉપર કહી એવી નજરે પડે છે.

હવે વિચારો કે તમે જો શાસક હો તો તમે શું કરો અને એ તરફ પણ નજર કરો કે આત્યારના આપણા શાસકો શું કરી રહ્યા છે.

પહેલા પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો છે અને બીજા પ્રશ્નનો જવાબ સામે છે. તેઓ નિશ્ચિંત છે. એટલા નિશ્ચિંત કે આપણને અકળામણ થાય. કદાચ તેઓ એમ માને છે કે પોતાને વિશ્વગુરુ જાહેર કરી દીધા એટલે ભણતરની દુનિયામાં પ્રવેશવા માગનારાઓ ઘરે જતા રહેશે. હવે ભણવાની શી જરૂર છે, આપણે તો આખા વિશ્વના ગુરુ છીએ.

તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે અને યુવાનો જેટલી વિસ્ફોટક ચીજ બીજી એકેય નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2024

Loading

કાવડ યાત્રા હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણની રાજનીતિ તરફ ધકેલાશે … તો એનું પરિણામ વિપરીત આવી શકે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 July 2024

કાવડ યાત્રા : ગંગા જમના તહેજીબ વચ્ચે હિન્દુ–મુસ્લિમ રાજનીતિ

પ્રકાશ ન. શાહ

સર્વોચ્ચ અદાલતે કાવડ યાત્રાના માર્ગ પર દુકાનદારનાં નામ મોટે અક્ષરે પ્રદર્શિત કરવાના ઉત્તર પ્રદેશ સરકારના હુકમ બાબતે મનાઈ ફરમાવી તે પછીના કલાકોમાં આ લખી રહ્યો છું. મૂળે 2022થી વિધાનસભા ટિકિટના મુમુક્ષુ રહેલા યશવીર મહારાજની આ માંગ હતી.

પૂર્વે પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણીથી એ પંકાયેલા છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યે સરસ કહ્યું કે આવો કોઈ આદેશ જારી કરવો હોય તો આગોતરી જાણ કરી સૌને વિશ્વાસમાં લઈને કરવો જોઈએ. આ તો એવું લાગે છે કે વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ વાટે મત ખંખેરવાની જાણે કે પેરવી ન હોય …

ઈન્ટ્રોની લાયમાં ચાલુ સમાચારની આટલી જિકર કરી. જો કે, મને બાંધવો ગમ્યો હોત એવો મુખડો આ નથી. વિવાદાસ્પદ હુકમ સામે મહુઆ મોઈત્રા, આકાર પટેલ અને અપૂર્વાનંદે સુપ્રીમની દેવડીએ ધા નાખી તે ઠીક જ થયું. પણ મૃણાલ પાંડેએ આ દિવસોમાં કરેલી નુક્તેચીની મને ઠીક લાગે છે. એમણે કહ્યું છે કે આખી વાતને લેફ્ટ લિબરલ સેક્યુલર ઢાંચામાં નહીં જોતાં પ્રજાજીવનની પરંપરા અને આસ્થાના વ્યાપક સંદર્ભમાં જોવી જોઈએ. સામસામા કોમી કુંડાળામાં ન જોતાં ગંગા-જમુના દોઆબમાં વિકસેલી મીલીજૂલી સંસ્કૃતિને સમજીને આપણે કામ લેવું જોઈએ. સેક્યુલર વલણ ખોટું નથી, પણ મૃણાલ પાંડેને એક સહૃદય સંસ્કૃતિકર્મીને નાતે એ અપૂરતું લાગે છે.

આ વ્યાપક સંદર્ભમાં જરીક તવારીખની છાનબીન કરું છું તો શું જોઉં છું? નોંધાયેલ ઇતિહાસમાં ઉપલબ્ધ માહિતી મુજબ 19મી સદીના આરંભથી કાવડ યાત્રાની હાજરી સતત વરતાતી રહી છે. આજે આપણે જેને દિલ્હી-હરદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ 58 તરીકે ઓળખીએ છીએ, મુખ્યત્વે તેના પર અને અન્યત્ર પણ હર શ્રાવણ મહિને (જુલાઈ-ઓગસ્ટમાં) હરદ્વાર, ગોમુખ, ગંગોત્રીથી કાવડમાં ગંગાજળ લઈ યાત્રીઓ નીકળી પડે છે અને એનાથી શિવને અભિષિક્ત કરી જીવનની સાર્થકતા અનુભવે છે.

શિવને ગંગાજળે અભિષિક્ત કરવાની આ પ્રણાલી પાછળ રામાયણ, મહાભારત અને બીજા પરંપરાગત સ્રોતોમાં પડેલી સમુદ્રમંથન અગર અમૃતમંથનની કથાનું નિમિત્ત રહેલું છે. મંથનમાં અમૃત પૂર્વે વિષ પ્રાપ્ત થયું તે વખતે શિવે સૌની દાઝ જાણી પોતે વિષપાન કર્યું અને એ નીલકંઠ ઓળખ પામ્યા. પણ વિષે એમને જે દાહ આપ્યો એનું શું. એ દાહના શમન સારુ સ્તો આ ગંગાભિષેક!

ભારતવર્ષની સાંસ્કૃતિક તવારીખમાં સાગરમંથનનું ચોક્કસ મહત્ત્વ રહેલું છે. આપણાં દેવસ્થાનોમાં તમને એનું અંકન જોવા મળશે. જો કે, નવાઈ પમાડે એ રીતે સમુદ્રમંથન ઘટનાનું સર્વાધિક સુવિશાળ અંકન સુદૂર અંગકોરવાટ(કંબોડિયા)માં જોવા મળે છે. નવા સંસદભવનમાં 76 ફૂટનું જે સમુદ્રમંથન-અંકન છે તે અંગકોરવાટથી પ્રેરિત છે. એમ તો, ગુજરાતમાં ઘરઆંગણે વડનગરના હાટકેશ મંદિરમાં પણ તમને તે અંકિત થયેલું જોવા મળશે. એમાં અસુરો પર્શિયન અસર તળે પશુમુખ જણાય છે. અભ્યાસીઓ આની પાછળ મુઘલ કાળનો સંસ્કાર જુએ છે.

પણ વાત આપણે કાવડ યાત્રાની કરતા હતા. જાણકારો કહે છે કે 1980નો દાયકો પૂરો થતે થતે આ યાત્રામાં ભાગ લેવાનું સહસા વધતું ચાલુ છે. આ વર્ષે લગભગ ત્રણેક કરોડ યાત્રીઓ જોડાશે અને સહેજે એકાદ હજાર કરોડ રૂપિયાનો આર્થિક વહેવાર એમની આવનજાવન થકી થશે એવો અંદાજ છે.

પ્રો. વિકાસ સિંહે યાત્રામાનસ અને એનાં પરિમાણો તેમ જ એની પાછળનાં પરિબળોનો અચ્છો અભ્યાસ કર્યો છે. સાથે ચાલ્યા પણ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રેસનું એમનું જે પુસ્તક છે એનું શીર્ષક છે : ‘અપરાઈઝિંગ ઓફ ધ ફુલ્સ : પિલ્ગ્રિમેજ એઝ મોરલ પ્રોટેસ્ટ ઈન કોન્ટેમ્પરરી ઇન્ડિયા.’ અહીં ‘ફુલ્સ’નો પ્રયોગ યાત્રીઓ એકબીજાને શિવસંભારણે ‘ભોલે’ તરીકે સંબોધે છે તે અર્થમાં સમજવાનો છે.

યાત્રામાં જે યુવજન સામેલ થાય છે એમનો ઠીક ઠીક હિસ્સો કથિત અગ્રવર્ગનો નહીં એવો છે. અહીં જોડાવાથી, વૈશ્વિકીકરણ-ઉદારીકરણના માર ને ભાર વચ્ચે, એમને કંઈક સામાજિક સધિયારો અનુભવાય છે અને પોતે પણ કંઈક કરી રહ્યા છે એવો ભાવ જાગે છે. મેં વિકાસ સિંહનો જાડો સાર જ માત્ર આપ્યો છે, તે પણ અતિસરલીકૃત. પણ એમનું કહેવું સરવાળે એમ છે કે આમ જોડાવું એમને અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. દેખીતી રીતે જ, આ કિસ્સો કોઈ ધાર્મિક કટ્ટરવાદ અગર ફંડામેન્ટલિઝમનો નથી. પણ જો આને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણની રાજનીતિ ભણી ધકેલાય તો આવતી કાલે તે વિપરીત પરિણામી બની શકે અને ચૂંટણી ટિકિટના મુમુક્ષુ યશવીર મહારાજા સારુ ખાણદાણ પણ બની શકે.

અહીં થોડુંક દેવદત્ત પટ્ટનાયકની સાખે. પટ્ટનાયક અચ્છા પુરાકલ્પવિદ છે, અને ઠીક અર્થઘટન કરી આપનાર તરીકે એમની ખ્યાતિ પણ છે. એમણે સમુદ્રમંથનની વિભાવના સ્પષ્ટ કરવા સારુ ‘મંથન’ એ પ્રયોગ પર સવિશેષ ભાર મૂક્યો છે. મંથનની જે પ્રક્રિયા છે એમાં બે બાજુ સામસામે શક્તિ લડાવતી નથી. બે ય બાજુએથી વારાફરતી જોર લગાવાય છે. બે સ્પર્ધી નથી, શત્રુ નથી, સહયોગી છે.

ઊલટ પક્ષે, પટ્ટનાયક કહેશે, માનો કે રસ્સીખેંચ ચાલી રહી છે. અહીં બે બાજુએથી એકસાથે સામસામું જોર થાય છે. તો, રસ્સીખેંચ અને મંથન વચ્ચેનો આ ગુણાત્મક ભેદ છે.

યશવીર મહારાજ ને બીજાનું રાજકારણ રસ્સીખેંચનું છે. ‘ફુલ્સ મોરલ પ્રોટેસ્ટ’વાળું જે પરિબળ છે તેને જો મંથનમહિમા ન સમજાય તો?

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 જુલાઈ 2024

Loading

...102030...480481482483...490500510...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved