Opinion Magazine
Number of visits: 9456928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસદમાં ચર્ચાનું ધોરણ ગરિમાપૂર્ણ હોય એ અપેક્ષિત છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 August 2024

રવીન્દ્ર પારેખ

સદનમાં અધ્યક્ષ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. એ વડા પ્રધાન કે અન્ય મંત્રીઓ કરતાં પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એ પોતાનું ગૌરવ જાળવે ને કોઇની સામે ન ઝૂકે એ મતલબની ટકોર થોડા વખત પર વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને કરી હતી. એ જ રીતે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભાના અધ્યક્ષ છે. એમણે પણ હોદ્દાનું મહત્ત્વ ઓછું ન અંકાય એની કાળજી લેવાની રહે. બીજી મહત્ત્વની વાત એ કે સંસદની આખી ગતિવિધિ દુનિયા જુએ છે ને તેની સારી માઠી અસરો પણ ઝીલે છે, એ સ્થિતિમાં સંસદ એ રીતે ન વર્તી શકે કે દેશે કોઈ વાતે શરમ અનુભવવી પડે. આમ છતાં શાસકો કે વિપક્ષો ક્યારેક વિવેક ચૂકે છે તે ઠીક નથી.

1 ઓગસ્ટે રાજસ્થાનના ભા.જ.પ.ના સાંસદ ઘનશ્યામ તિવારીએ કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે વિષે રાજ્યસભામાં અયોગ્ય ટિપ્પણી કરી. ખડગેના પરિવારવાદ વિષે તિવારીએ નિવેદન આપવાની સાથે ખડગેના નામ અંગે સંસ્કૃતમાં વિવાદાસ્પદ વિધાન પણ કર્યું. વિપક્ષોએ તેનો સખત વાંધો ઉઠાવ્યો અને ઘનશ્યામ તિવારી એ અંગે માફી માંગે એવો આગ્રહ રાખ્યો. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કાઁગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તિવારીની ટિપ્પણીથી વ્યથિત થયા અને દુ:ખી થઈને બોલ્યા કે આવાં વાતાવરણમાં હું જીવી શકતો નથી. આ મામલે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સંસદગૃહમાં કેબિનમાં તિવારી અને ખડગેને બોલાવીને તેમની વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી જોઈ. આશ્ચર્યજનક રીતે ઘનશ્યામ તિવારીએ કેબિનમાં ખડગેની પ્રશંસા કરી ને એવી સ્પષ્ટતા પણ કરી કે સંસ્કૃતમાં તેમણે જે કહ્યું તેમાં પણ ખડગેની તો પ્રશંસા જ હતી. જો કે, ખડગેએ એવો આગ્રહ રાખ્યો કે ઘનશ્યામ તિવારીએ માફી માંગવાની તૈયારી બતાવી જ છે તો તેમણે માફી રાજ્યસભામાં માંગવી જોઈએ અને તેમણે કહેલા શબ્દો રેકોર્ડ પરથી હટાવવા જોઈએ. સભાપતિ ધનખડે એમ કરવાની ખાતરી આપી, પણ પછી એમ થયું નહીં. એ સંદર્ભે સભાપતિએ વિપક્ષોને બોલવા દીધા ન હતા, ન તો તિવારી પાસે માફી મંગાવવાનો ખડગને અપાયેલો વાયદો પણ એમણે પાળ્યો. કાઁગ્રેસ સહિતના વિપક્ષોએ એ મુદ્દે હોબાળો કર્યો કે ઘનશ્યામ તિવારીએ કેબિનમાં માફી માંગવાની તૈયારી બતાવી હતી, તો ગૃહમાં તેઓ માફી કેમ માંગતા નથી? તિવારીએ હાઉસમાં જો ખડગેનું અપમાન કર્યું હોય તો તેમણે માફી હાઉસમાં જ માંગવી જોઈએ. વાતને અઠવાડિયું વીતી ગયું તો પણ સભાપતિએ એની કાળજી ન લીધી. આ મામલે વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો, એટલું જ નહીં, ખડગેએ પણ ઊભા થઈને સભાપતિનું ધ્યાન દોર્યું, પણ પરિણામ શૂન્ય જ રહ્યું.

આ રીતે સભાપતિ ધનખડેએ વિપક્ષની વાત કાને ધરી નહીં. તેમણે ખાતર પર દિવેલ કરતાં હોય તેમ ગૃહને જણાવ્યું કે તિવારી અને ખડગે સિનિયર નેતાઓ છે. બંનેને પાંચેક દાયકાઓનો અનુભવ છે. બંનેએ મારી કેબિનમાં જે તે મુદ્દે ચર્ચા કરી લીધી છે ને હવે આ વાત આગળ વધારવાની કોઈ જરૂર જણાતી નથી. વધારામાં ઘનશ્યામ તિવારીની વાતનો બચાવ કરતાં તેમણે ઉમેર્યું કે તેમના કહેવાનો હેતુ સારો હતો. બેત્રણ સાંસદોએ એ અંગે સભાગૃહમાં પોતાની વાત રજૂ કરવા ચાહી, પણ સભાપતિએ તેમને અનુમતિ ન આપી.

આ મામલે ધનખડે સિનિયર સ.પા. સાંસદ જયા અમિતાભ બચ્ચનને છેલ્લે બોલવાની મંજૂરી આપી. જયા બચ્ચને પોતાની વાત મૂકતાં કહ્યું કે હું અભિનેત્રી છું અને ચહેરાના હાવભાવ કે વાતોનો ટોન પકડી શકું છું. મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. અમે સ્કૂલનાં બાળકો હોઈએ એ રીતે તમે અમારી સાથે વર્તો છો. આ વાતે સભાપતિ છેડાઈ પડ્યા હતા ને જયા બચ્ચનને તેમણે બોલવા ન દઈને બેસાડી દીધા હતા. ધનખડે જયા બચ્ચનને સંભળાવ્યું પણ ખરું કે તમે એકટર હશો, તો તમને ખ્યાલ હશે જ કે એકટર તો ડિરેક્ટરનો ઓબ્જેક્ટ છે. મતલબ કે ડિરેક્ટર કહે તેમ એક્ટરે કરવાનું હોય છે. એમ કહીને ધનખડે પોતાને સાંસદોની ઉપર ગણાવ્યા. વાત વધી પડતાં વિપક્ષોએ વોકઆઉટ કર્યો. વાત આટલેથી અટકી નહીં, વિપક્ષી સાંસદોએ એક જૂટ થઈને વાત એ રીતે મૂકી કે ધનખડ વિરુદ્ધ એક મત ઊભો થઈ શકે. જયા બચ્ચને કહ્યું કે સભાપતિ પણ ગૃહના સભ્ય જ છે. તેમનું આવું વર્તન યોગ્ય નથી. જ્યા બચ્ચનની સાથે સોનિયા ગાંધી સહિત સૌ વિપક્ષી સભ્યોએ સભાપતિના ટોનની ટીકા કરી. તેઓ ચાલુ સભામાં પણ વિપક્ષી સાંસદોને ટોકે છે. સિનિયર સાંસદો બોલતા હોય ત્યારે સભાપતિ વચ્ચે વચ્ચે ટિપ્પણીઓ કરતાં હોય છે, એવું ઘણાં નેતાઓએ સોશિયલ મીડિયામાં નોંધ્યું પણ છે. ભા.જ.પે. આ મામલે એમ કહ્યું કે વિપક્ષોનું વર્તન બરાબર નથી. સભાપતિ ધનખડની સાથે ભા.જ.પ.ના સાંસદો સહિત આખો દેશ છે. રાજ્યસભાના સત્તાપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ જે.પી. નડ્ડાએ વિપક્ષની ટીકા કરીને આખા મામલાને ધનખડના અપમાન સાથે જોડ્યો હતો.

મૂળ મુદ્દો તિવારી અને ખડગેનો હતો, તે જયા બચ્ચન અને ધનખડના મતમતાંતર પર આવી ગયો હતો. વિપક્ષો આ મામલે એટલા છંછેડાયા છે કે તેઓ ધનખડની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનું વિચારે છે ને જયા બચ્ચન તો ધનખડ પાસેથી માફી મંગાવવાનું મન પણ બનાવી ચૂક્યાં છે. એ ખરું કે સભાપતિ ધનખડે એમની કેબિનમાં ઘનશ્યામ તિવારી પાસે સંસદમાં માફી મંગાવવાનો વાયદો ખડગેની હાજરીમાં કરેલો, એ ગૃહમાં કબૂલ કરાવવાની વાત આવી તો સભાપતિએ તિવારીનો હેતુ સારો હતો એમ કહીને માફી મંગાવવાનું ટાળ્યું એ ઠીક ન હતું. ખડગેએ પોતે એવો આગ્રહ રાખ્યો હોય કે તિવારી માફી માંગવાના મતના હોય તો તેમણે ગૃહમાં જ માફી માંગવી જોઈએ. એ વાત ધનખડે વિસારે પાડી એ બરાબર ન થયું. એમ કરીને સભાપતિએ પોતે જ પોતાના બોલનું મહત્ત્વ ઓછું આંક્યું. બિલકુલ એ જ રીતે જયા બચ્ચનનો ધનખડ પાસે માફી મંગાવવાનો આગ્રહ પણ ઠીક નથી. ગમે તેમ તો ય ધનખડ રાજ્યસભાના સભાપતિ છે ને એમની પાસે જાહેરમા માફી મંગાવવાનું વિપક્ષી સભ્યોને શોભવું ન જોઈએ. ધનખડ સભાપતિ છે, એટલું જ નહીં, તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે ને સંસદમાં તેમની ગરિમા જળવાય એ જરૂરી છે. આ પછી પણ વિપક્ષ હોદ્દા પરથી ધનખડને હટાવવાનુ મન બનાવી જ લે છે તો, ઉપરાષ્ટ્રપતિને હટાવવાની વિપક્ષોની આવી પહેલ દેશના સંસદીય ઇતિહાસમાં પહેલી ઘટના હશે.

સૂત્રોના મતે શુક્રવારે રાજ્યસભામાં વિપક્ષી સભ્યો ધનખડથી ખાસા નારાજ હતા. વિપક્ષી દળોના 87 સભ્યોએ ઉપરાષ્ટ્રપતિને હટાવવાના પ્રસ્તાવ પર સહીઓ કરી દીધી છે. આ રીતે હટાવવાની વાત વિપક્ષી સભ્યોએ ગૃહના નેતા જે.પી. નડ્ડાને અનૌપચારિક રીતે જણાવી પણ છે. ધનખડ અને વિપક્ષ વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલ્યો આવે છે. ગુરુવારે પણ ધનખડ અરાજક વ્યવહારથી ખિન્ન થઈ ગૃહમાંથી ચાલ્યા ગયા હતા. વિપક્ષ ધનખડ સામે મહાભિયોગ લાવવા કેટલો સક્ષમ છે એ હજી નક્કી નથી. સૂત્રોના કહેવા મુજબ સહી કરવાનો સિલસિલો આગળ ચાલે એમ બને. જો કે શુક્રવારે પ્રસ્તાવને વિધિવત જમા કરાવવા બે સહીઓ જ પર્યાપ્ત છે. પરંતુ વિપક્ષ પણ બતાવી દેવાના મૂડમાં છે. શુક્રવારે લોકસભા કે રાજ્યસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ રાજ્યસભાના અધ્યક્ષ છે. તેમને હટાવવા માટે રાજ્યસભામાં બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાવવાનો રહે. એ પ્રસ્તાવ લોકસભામાં પસાર કરાવવાનો રહે ને એ માટે ઓછમાં ઓછી 14 દિવસની નોટિસ આપવી પડે. બંધારણના અનુચ્છેદ 67(બી) પ્રમાણે ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોની બહુમતી અને સંમતિથી પસાર કરાયેલ પ્રસ્તાવ થકી હોદ્દા પરથી દૂર કરી શકાય છે.

રાજ્યસભામાં હાલ 225 સભ્યો છે. ભાજપના 86 સભ્ય સહિત શાસક એન.ડી.એ.ના 101 સભ્ય છે. એટલે કે બહુમતીથી 12 બેઠક દૂર છે. વિપક્ષ ઇન્ડિયા બ્લોકના 87 સભ્યો છે.એટલે ઇન્ડિયા બ્લોક પણ બહુમતીથી 26 બેઠકો દૂર છે. આ સ્થિતિમાં વાય.એસ.આર.પી.સી.ના 11, બી.જ.દ.ના 8 અને અન્ના દ્રુમકના 4 સભ્યોને મેળવીને 23 સભ્યો પ્રસ્તાવ પસાર કરાવી શકે. એન.ડી.એ. પાસે 293 સભ્યો છે અને લોકસભામાં 236 સભ્યો છે. બહુમતી 272 પર છે. વિપક્ષ અન્ય 14 સભ્યોને મનાવી લે તો પણ દરખાસ્ત પસાર કરાવવાનું સહેલું નથી. ખરેખર તો વિપક્ષે મહાભિયોગનો આખો વિચાર પડતો મૂકવા જેવો છે. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના સંબંધોમાં કડવાશ વધે એ યોગ્ય નથી. જયા બચ્ચને પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે. ઘડીકમાં તેમને જયા અમિતાભ બચ્ચન જેવા આધિકારિક નામે સંબોધિત કરાય તો ચિડાય છે ને બીજી તરફ એ નામનું ગૌરવ પણ અનુભવે છે. અત્યારને તબક્કે વિપક્ષ ધનખડને હટાવવાને મામલે કેટલો ગંભીર છે તે કહેવાનું મુશ્કેલ છે. એક વાત સ્પષ્ટ છે કે શાસક પક્ષ કે વિપક્ષ સદનમાં એક બીજા પર આરોપ લગાવવામાંથી જ ઊંચા નથી આવતા. એ બધાંનું સીધું પ્રસારણ પણ થાય છે. એ જોનારી પ્રજામાં કેવો મેસેજ દેશ વિદેશમાં જતો હશે તે સમજી શકાય એમ છે.

એટલું સ્પષ્ટ છે કે શાસક પક્ષ કે વિપક્ષ સદનમાં ગરિમાપૂર્ણ વ્યવહાર કરે તો તેમણે કૈં ગુમાવવાનું નથી, પણ સામસામાં દાંતીયા કરવાથી તો કોઈ ઉકેલ આવે એમ નથી, એટલું જ નહીં, સમભાવથી જે મળશે તે ચિરંજીવ હશે, યાદગાર હશે એ દરેકે સમજી લેવાનું રહે. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઑગસ્ટ 2024

Loading

પુસ્તક નિર્દેશ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|11 August 2024

‘કરસનદાસ મૂળજી : જીવન–નોંધ’, લેખકો : મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક, અણમોલ પ્રકાશન – 9426068186 – પાનાં 48, રૂ.60/-  

ઝુજારુ પત્રકાર કરસનદાસ મૂળજી (1832-1871) ઓગણીસમી સદીમાં સમાજ સુધારણાના વીર યોદ્ધા હતા. તેમણે સામાજિક દૂષણો અને ધાર્મિક પાખંડો સામે સંઘર્ષ ચલાવ્યો. તેમનાં સાધન હતાં તેમણે ખુદ સ્થાપેલું  ‘સત્ય પ્રકાશ’ સાપ્તાહિક, નિબંધો અને જાહેર ભાષણો.

કરસનદાસના જમાનામાં વ્યાપક નિરક્ષરતા, જાતિપ્રથા,સ્ત્રીઓ પર અત્યાચાર, બાળલગ્નો, દહેજ,વિધવાવિવાહ પ્રતિબંધ અને પરદેશગમન નિષેધ,અતિખર્ચાળ લગ્નો, પ્રેતભોજન, ધર્મગુરુઓની લંપટતા અને ભ્રષ્ટાચાર જેવાં અનેક દૂષણોથી સમાજ ખદબદતો હતો.

અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણપ્રવૃત્તિને કારણે આવેલી જાગૃતિથી સામાજિક દૂષણોના વિરોધમાં અને સુધારાની તરફેણમાં એક લડત પૂરબહારમાં હતી. તેમાં કરસનદાસ ‘પહેલા વર્ગનો જોધ્ધો’ તરીકે પોંખાયા.

કરસનદાસની સહુથી મોટી લડાઈ ચાલી તે ‘સત્ય પ્રકાશ’માં તેમણે પોતાના વૈષ્ણવ સંપ્રદાયમાં ચાલતા દુરાચારને ખુલ્લા પાડતા લેખોની ‘અનરાધાર બાણવર્ષા’ કરી તે બાબતે.

સંપ્રદાયના જદુનાથ મહારાજે તેમની સામે બદનક્ષીનો મુકદ્દમો માંડ્યો. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતા થયેલા આ મુકદ્દમામાં અંગ્રેજ સરકારની વડી અદાલતે કરસનદાસને નિર્દોષ જાહેર કર્યા. ‘મહારાજ’ નામનું નવું  ફિલ્મ કરસનદાસ પરનું બાયોપિક છે.

પુસ્તિકામાં કરસનદાસના ઘડતર તેમ જ આરંભથી જ તેમણે આદરેલા પ્રબુદ્ધ કર્તુત્વની સંતર્પક માહિતી સાથે એમના આંદોલિત સમયનો આલેખ પણ મળે છે.

વલ્લભ સંપ્રદાયની ભૂમિકા સહિત લાયબલ કેસ વિશે એક અલગ પ્રકરણ છે. લેખક-અનુવાદક, જાહેર વક્તા અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ કરસનદાસના કૃતિશીલ અંતિમ દાયકા વિશે છેલ્લું પ્રકરણ છે.

બે પરિશિષ્ટો તરીકે કરસનદાસનો જીવનક્રમ અને ઓગણીસમી સદીના ગુજરાતની સાંસ્કૃતિક સાલવારી મળે છે.

સઘન રીતે લખાયેલી મોનોગ્રાફ પ્રકારની આ અભ્યાસ-પુસ્તિકા આવા પ્રકારનું લેખન કેવી રીતે થાય તેનો પદાર્થપાઠ છે. તેમાં ઊંડાણ અને વાચનીયતાનો સુમેળ છે. અહીં સંખ્યાબંધ એવી ઝીણી ઝીણી વિગતો છે કે જે મેળવતાં ખૂબ ગ્રંથશ્રમ પડ્યો હોય.

કરસનદાસની સાર્ધ શતાબ્દી નિમિત્તે 25 જુલાઈ 1983ના રોજ પહેલી વાર આવેલી આ પુસ્તિકાનું પુન:પ્રકાશન 04 ઑગસ્ટે પ્રખર બૌદ્ધિક અચ્યુત યાજ્ઞિકના પહેલા સ્મૃતિદિને થયું છે. મકરન્દ મહેતા ઇતિહાસ સંશોધનમાં અત્યારે પણ સક્રિય છે. 

આપણા સમયયના બે પ્રબુદ્ધ ઇતિહાસકારોએ લખેલી આ પુસ્તિકા ગુજરાતીનું શકવર્તી પ્રકાશન છે. કરસનદાસ વિશે, ખાસ તો તેમના પ્રદાનની સરખામણીએ ઘણું ઓછું કામ થયું છે. 

સમાજનો એક વર્ગ પારોઠના પગલાં માંડી રહ્યો છે. અપવાદો બાદ કરતાં પત્રકારિતા રાજ્ય-ધર્મ-સંપત્તિના સકંજામાં ફસાયેલી છે. આવા સંજોગોમાં સુધારાના ભેખધારી પત્રકારનું જીવનકાર્ય ખૂબ પ્રસ્તુત બને છે.

*****

‘પૂના કરાર : ઇતિહાસ,અસર અને ઉકેલ’, લેખક : મયૂર વાઢેર, મુખ્ય વિક્રેતા : બ્લુ બુદ્ધા પબ્લિકેશન – 8511610404 – પાનાં 176, રૂ.150/- 

ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1930માં સાંસ્થાનિક સ્વરાજમાં ભારતના દલિત સમુદાયો માટે અલગ મતાધિકારની માગણી કરી. તેમનો ઉદ્દેશ આ દેશમાં સદીઓથી અન્યાય વેઠી રહેલાં સમગ્ર દલિતવર્ગનું રાજકીય સશક્તિકરણ કરવાનો હતો.

અલગ મતવિસ્તારની નીતિ દ્વારા અનુસૂચિત જાતિઓ માટે ત્રણ ધ્યેયો સાધી શકાય તેમ હતાં : સત્તામાં પ્રતિનિધિત્વ, સત્તામાં ભાગીદારી અને સત્તા પર નિયંત્રણ. અંગ્રેજ સરકારે બાબાસાહેબની માગણી માન્ય રાખી, પણ ગાંધીજીએ તેના વિરોધમાં 20 સપ્ટેમ્બર 1932થી આમરણ ઉપવાસ શરૂ કર્યા.

ગાંધીજીના જીવનના જોખમને ધ્યાનમાં લઈને માનવતાના ધોરણે બાબાસાહેબે નમતું જોખ્યું, અને અલગ મતાધિકારને બદલે અનામત બેઠકોનો સ્વીકાર કર્યો. તેને લગતો જે કરાર 24 સપ્ટેમ્બરના દિવસે થયો તેને ઇતિહાસમાં પૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીની ભૂમિકા પરત્વે આ કરાર હંમેશાં વિવાદાસ્પદ રહ્યો છે. 

પ્રસ્તુત પુસ્તકનો આરંભ ડૉ. આંબેડકરની શિક્ષણયાત્રા અને તેમના જાહેરજીવનમાં પ્રવેશની વિગતવાર માહિતી સાથે થાય છે. ત્યાર બાદ પૂના કરારના ઇતિહાસ અંગેના પ્રકરણો છે, જેની શરૂઆત સાઉથબરો સમિતિ સમક્ષ આંબેડકરની રજૂઆતથી થાય છે.

સાઉથબરો કમિટી બ્રિટિશ સંસદે ભારતના લોકોના મતાધિકાર માટેનો અહેવાલ તૈયાર કરવા રચી હતી, જેમાં બાબાસાહેબે દલિતોના અલગ અને અસરકારક રાજકીય પ્રતિનિધિત્વની માગણી કરી. તે માગને તેમણે બંને ગોળમેજી પરિષદોમાં સબળપણે દોહરાવી.

બે પરિષદોના વચગાળામાં આંબેડકર અને ગાંધી વચ્ચે આ મુદ્દે થયેલી મુલાકાતનું કોઈ પરિણામ ન આવ્યું. ઑગસ્ટ 1932માં અંગ્રેજ સરકારે કમ્યુનલ અવૉર્ડ જાહેર કર્યો જેમાં દલિતોના મતાધિકારની સ્વીકૃતિ હતી.

પૂના કરારનો આ ઇતિહાસ અનેક વિગતો સાથે આઠ પ્રકરણોનાં પચાસેક પાનાંમાં આપ્યા બાદ લેખક ગાંધીજીની ઉપવાસની જાહેરાત અને તેને પગલે તેમનો અંગ્રેજ સરકાર તેમ જ બાબાસાહેબ સાથેનો પત્રવ્યવહાર આપણી સમક્ષ રજૂ કરે છે.

બારમું પ્રકરણ પૂના કરાર માટેની વાટાઘાટોની બધી વિગતો આપે છે. તે પછીના પ્રકરણમાં પૂના કરારનો દસ્તાવેજ વાંચવા મળે છે, જેમાં ગાંધેજીએ સહી કરી નથી. અડગ લડવૈયા બાબાસાહેબે પોતાની માગણી માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા જે અંગેના ચાર પ્રકરણો વિશેષ નોંધપાત્ર છે.

વાચનીય પ્રકરણો છે ‘વ્યાકુળ ગાંધીનો વલોપાત’, ‘પૂના કરાર અંગે ડૉ. આંબેડકરનું ચિંતન અને સમકાલીન મીડિયા’ અને ‘પૂના કરારનો પ્રકોપ’ છે. અંગ્રેજી-ગુજરાતી સ્રોતોની સત્તર પાનાંની સંદર્ભ સૂચિમાં લેખકે દરેક હકીકત અને વિધાનને આધાર આપ્યો છે.

વ્યવસાયે શિક્ષક અને યુવા દલિત અભ્યાસીનું આ પુસ્તક તેમની પાસે વધુ પુસ્તકોની અપેક્ષા જન્માવે છે. 

‌‌—————————————-

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98987 62263

11  ઓગસ્ટ 2024
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ઑગસ્ટ 2024
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પતન તાનાશાહીની અનિવાર્ય નિયતિ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 August 2024

રમેશ ઓઝા

ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શેખ હસીના વાજેદના પક્ષે એક પછી એક ચોથી વાર પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે તેમણે અને બીજા કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર છ મહિનામાં તેમણે વડાં પ્રધાનપદ તો ગુમાવવું પડશે, પણ દેશ છોડીને પણ નાસવું પડશે. સમયનો ખેલ અદ્ભુત છે, પણ આ ખેલ તેમણે પોતે પોતાના માટે રચ્યો હતો એટલે દયા ખાવાની જરૂર નથી. આવું જ બે વરસ પહેલાં, ૨૦૨૨ના જુલાઈ મહિનામાં શ્રીલંકામાં બન્યું હતું. ત્યાંથી પણ રાજપક્સે બંધુઓએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું અને તેમના માટે પણ કોઈએ દયા નહોતી ખાધી. વાવો તે લણો!

શું હસીના વાજેદનું પતન અનામત વિરોધી આંદોલનના કારણે થયું છે? ના, બંગલાદેશની સર્વોચ્ચ અદાલતે ૨૭મી જુલાઈએ કુલ ૫૬ ટકાની અનામતની જોગવાઈને ઘટાડીને સાત ટકાની કરી નાખી હતી અને એ પછી આંદોલન શાંત પડવા લાગ્યું હતું. સંપૂર્ણપણે શાંત પડી પણ જાત જો આંદોલનકારીઓને રઝાકાર, દેશદ્રોહી, બંગલા અસ્મિતાના દુશ્મન, ઇસ્લામવાદી, ત્રાસવાદી, વિદેશી એજન્ટ વગેરે શબ્દો દ્વારા નવાજ્યા ન હોત. આ સિવાય શેખ હસીનાના પક્ષ અવામી લીગના છાત્ર સંગઠનના ગુંડાઓ આંદોલનકારીઓને રસ્તા પર મારતા હતા, ગાળો દેતા હતા અને પોલીસ પક્ષપાત કરતી હતી અને કુલ મળીને તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આને કારણે રોષ ભભૂક્યો હતો અને મેડમને જીવ બચાવવા દેશ છોડીને નાસવું પડ્યું હતું.

ટૂંકમાં અનામત તો એક બહાનું હતું, એક નિમિત્ત કારણ માત્ર હતું, મૂળ કારણ તો શેખ હસીના વાજેદની તાનાશાહી હતું. ૨૦૦૯માં ૧૪ પક્ષોનો મોરચો રચીને તેમણે લોકશાહી માર્ગે સત્તા મેળવી હતી, પરંતુ એ પછી તેમણે ધીરેધીરે પહેલાં પોતાના જ મોરચાના સાથી પક્ષોને અને એ પછી વિરોધ પક્ષોને ખતમ કરીને તાનાશાહીનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે બંગલાદેશને લગભગ વિરોધપક્ષમુક્ત કરી નાખ્યું હતું. ૨૦૧૪ની ચૂંટણી ઠીકઠીક પ્રમાણમાં એકપક્ષીય હતી, ૨૦૧૯ની ચૂંટણી ૨૦૧૪ કરતાં વધારે એકપક્ષીય હતી અને ૨૦૨૪ની ચૂંટણી તો સાવ જ એકપક્ષીય હતી. એ પછી તેઓ બંગલાદેશને વિરોધમુક્ત કરવા માંડ્યાં હતાં. પોતાનો પક્ષ, ચૂંટણીપંચ, ન્યાયતંત્ર, એકંદરે વહીવટીતંત્ર, મીડિયા, યુનિવર્સિટીઓ, શિક્ષણસંસ્થાઓ પર કબજો જમાવ્યો હતો. બધાં તેમનાં ગુલામ હતા. કોઈએ અવાજ નહીં ઉઠાવવાનો. બંગલાદેશમાં જે વિસ્ફોટ થયો તેનું મૂળ કારણ શેખ હસીના વાજેદની તાનાશાહી હતું, અનામત તો નિમિત્ત કારણ હતું.

શેખ હસીના વાઝેદ

આ સિવાય બંગલાદેશ મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા લોકોનાં ત્રીજી પેઢીનાં સંતાનો માટે  સરકારી નોકરીમાં ત્રીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે એવી જોગવાઈ વાહિયાત હતી. ત્રીસ ટકા એ કોઈ મામુલી પ્રમાણ નથી અને એ પણ ત્રીજી પેઢી માટે! તેની પાછળનો ઈરાદો શેખ હસીનાના બંગલા અસ્મિતાના રાજકારણનું સમર્થન કરનારાઓને લાભ આપવાનો હતો અને તેના વિરોધીઓને લાભથી વંચિત રાખીને દંડવાનો હતો. તેમને જાણ હતી કે આ જોગવાઈ ન્યાયસંગત તો નથી, તર્કસંગત પણ નથી એટલે તેમણે ૨૦૧૮ની સાલમાં વિદ્યાર્થીઓએ જ્યારે આંદોલન કર્યું ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના ૩૦ ટકા અનામતની જોગવાઈ રદ કરી નાખી હતી. આની પાછળનું કારણ ૨૦૧૯ની ચૂંટણી જીતવાનું હતું. એકવાર ચૂંટણી જીત્યા પછી રસ્તા ક્યાં ઓછા છે! ૨૦૧૯ અને એ પછી ૨૦૨૪ની ચૂંટણી જીત્યા પછી અનુકૂળતા નજરે પડી ત્યારે તેમના એક સમર્થકે અનામતની જોગવાઈને રદ્દ કરવાના સરકારના આદેશને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો. બધું જ પટકથા મુજબ હતું. વડી અદાલતના જજે એકાદ-બે સુનાવણી કરી ન કરી અને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી બહાલ કરી આપી. અનામતની જોગવાઈ પાછી પણ આવે અને એ પણ ન્યાયતંત્ર દ્વારા એટલે કોઈને કશું કહેવાનું રહે નહીં.

આની પાછળનો ઈરાદો સમર્થકોને સરકારમાં ઉપરથી નીચે સુધી સર્વત્ર ગોઠવવાનો અને વિરોધીઓને બહાર રાખવાનો હતો. લોકોને મેસેજ જવો જોઈએ કે શેખ હસીના વાજેદ બંગલાદેશનો વર્તમાન છે અને આપણું ભવિષ્ય છે. શેખ હસીના એટલે બંગલાદેશ અને બંગલાદેશ એટલે શેખ હસીના. સામે હસીનાના પ્રતિસ્પર્ધી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝીયાને લગભગ ખતમ કરી નાખ્યાં છે. તેમના પર મુકદમા ચલાવવામાં આવ્યા, જેલની સજા કરવામાં આવી એમ દરેક રીતે તેમને સતાવવામાં આવી રહ્યાં છે. ૨૦૧૪થી બેગમ ખાલેદા ઝીયા કાં જેલમાં છે અથવા તેમનાં મકાનમાં નજરકેદ છે. આજે સ્થિતિ એવી છે કે બંગલાદેશમાં થયેલી ક્રાંતિનો અને આવી રહેલાં પરિવર્તનનો લાભ ખાલેદા ઝીયા લઈ શકશે એમ લાગતું નથી. રાજકીય રીતે જ નહીં, શારીરિક અને માનસિક રીતે પણ તેમને ખતમ કરી નાખવામાં આવ્યાં છે.

આ બધું જ બંગલા અસ્મિતાનાં નામે કરવામાં આવતું હતું. બંગાળી પ્રજા મહાન છે, કારણ કે બંગાળી સંસ્કૃતિ મહાન છે, બાંગ્લા ભાષા મહાન છે. સામે પક્ષે ઇસ્લામની વાત કરનારાઓએ ઇસ્લામના નામે બંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બનાવી દીધું હતું અને બંગલા અસ્મિતાને હાંસિયામાં ધકેલી દીધી હતી. બંગલાદેશના વતની હોવા છતાં જેઓ ઇસ્લામવાદીઓ છે એ હકીકતમાં ગદ્દાર છે. બંગલાદેશના ગુનેગાર છે અને ગુનેગારોને માફ કરવાના ન હોય. જો તેઓ પાછા સત્તામાં આવશે તો બંગાળી ભાષા અને સંસ્કૃતિનું શું થશે એનો વિચાર કર્યો છે? એક હું છું જે તમારી રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવું છું. વાચકોને કદાચ અત્યારે વિસ્મરણ થઈ ગયું હશે, પણ બંગબંધુ તરીકે ઓળખાતા અને બંગલાદેશને મુક્તિ અપાવનારા, શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન પણ તાનાશાહીના માર્ગે ગયા હતા એટલે તેમની હત્યા થઈ હતી.

ડરાવો, પોરસાવો અને બાંયધારી આપો. શ્રીલંકામાં પણ આ જ જોવા મળ્યું હતું. હું છું એટલે તમે તમિલોથી સુરક્ષિત છો. મેં તેમને તેમની જગ્યા બતાવી આપી છે. માટે મારી આંગળી પકડો, મારી આંગળી નિર્ભયતાની ગેરંટી આપે છે. સમસ્યા એ છે કે આંગળી પકડનારાને ભૂખ પણ લાગે છે. તે બે આંખ અને બે કાન પણ ધરાવે છે. ભલે થોડી મંદ, પણ બુદ્ધિ પણ ધરાવે છે. એક દિવસ એ જાગે છે અને જાગે છે ત્યારે સમૂહમાં જાગે છે.

શેખ હસીનાએ દેશમાં જે પ્રકારનો શૂન્યાવકાશ પેદા કર્યો છે એ જોતાં લાગતું નથી કે કમ સે કમ એક દાયકા સુધી બંગલાદેશમાં સ્થિતિ થાળે પડશે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 ઑગસ્ટ 2024

Loading

...102030...470471472473...480490500...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved