Opinion Magazine
Number of visits: 9457069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉઘાડા કરીને કમાવવાનો માર્ગ શોધ્યો છે હિન્ડનબર્ગે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2024

રમેશ ઓઝા

હિન્ડનબર્ગ કોણ છે અને શું કરે છે એનું રહસ્ય શોધી કાઢવા માટે બી.જે.પી.ના આઈ.ટી. સેલના લોકોની અને વિચક્ષણ દેશભક્તોની જહેમતની જરૂર નથી. હિન્ડનબર્ગે પોતે જ તેની વેબસાઈટ પર કહ્યું છે કે, તે “… specialises in forensic financial research…” ફોરેન્સિકનો અર્થ તો તમે જાણો છો. ગુનેગાર અને ગુનાના સ્વરૂપને પકડવા માટે પોલીસ ફોરેન્સિક તપાસ કરતી હોય છે. હિન્ડનબર્ગ પોતાના વિષે કહે છે કે તે એવા લોકોને શોધે છે (કહો કે શિકાર કરે છે) જેનો સિતારો અચાનક ચમક્યો હોય, જેણે સફળતામાં હરણફાળ ભરી હોય, જે શાસકો સાથે મધુર સંબંધ કરાવતા હોય, પ્રશાસનમાં અને વિશેષ કરીને વ્યવસાયિક તેમ જ નાણાંકીય નિયમન વ્યવસ્થામાં વગ ધરાવતા હોય અને પોતાના હિતમાં તેનો ઉપયોગ કરતા હોય. ટૂંકમાં જે શાસકોના બગલબચ્ચા હોય અથવા શાસકો તેના બગલબચ્ચા હોય. દેખીતી રીતે આવા લોકોનું પાથરણ મેલું જ હોવાનું અને એ મેલ શોધવાનું કામ હિન્ડનબર્ગ કરે છે.

પણ શા માટે આવું કામ કરે છે? જો તમે એમ ધારતા હોય કે એ જાહેર હિત ખાતર સત્યને શોધી કાઢવા માટે આ બધું કરે છે તો તમારી ધારણા ખોટી છે. આ કામ પત્રકારોનું છે, કેન્દ્ર સરકારનાં નાણાંખાતાનું છે, ધંધાકીય પવૃત્તિનું નિયમન કરનારી (જેમ કે સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા – સેબી) એજન્સીઓનું છે. પત્રકારનું કામ સત્યને ઉજાગર કરવાનું છે અને બીજાનું કામ સામાન્ય નાગરિકનાં હિતોનું રક્ષણ કરવાનું છે. પણ આજકાલ પત્રકારત્વ અને નિયમન કરનારી એજન્સીઓની સ્થિતિ કેવી છે એ તમે ક્યાં નથી જાણતા. એ બન્ને ઉપર કહ્યા એવા ઠગ માટે કામ કરે છે. એક ઠગનું પાપ છૂપાવે છે અને બીજા ઠગને મદદ કરે છે. માટે હિન્ડનબર્ગે નવો માર્ગ શોધી કાઢ્યો છે અને એ માર્ગ છે, ઉઘાડાં કરીને કમાવાનો. આ જગતમાં અનેક પ્રકારનાં ધંધા વિકસ્યા છે જેમાં હિન્ડનબર્ગે આ ધંધો પકડ્યો છે. આજની દુનિયામાં આજના આ ક્રોની કેપિટાલીઝમના યુગમાં ઠગ શોધવા મુશ્કેલ નથી.

હિન્ડનબર્ગ ઉપર કહ્યું એ રીત અપનાવીને શિકાર શોધે છે. એની બારીકમાં બારીક વિગતો શોધે છે અને તેની છણાવટ કરે છે. એને જ્યારે ખાતરી થાય કે તેની (એટકે કે શિકારની) પોતાના બળ આધારિત ખરી કિંમત માત્ર ચાર આનાની છે અને ભાઈબંધ શાસકો, શાસકીય વ્યવસ્થા, નિયમન તંત્ર અને મીડિયાને મેનેજ કરીને પોતાની કિંમત એક રૂપિયાની કે તેનાથી પણ વધારે હોવાની હવા બનાવી છે ત્યારે હિન્ડનબર્ગ ફૂગાને ફોડે છે. એ પ્રમાણો સાથે સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે આ કંપનીના શેરની પોતાની વાસ્તવિક કિંમત ચાર આના છે, પણ માર્કેટમાં તેનો ભાવ રૂપિયો છે તો એનો અર્થ એ થયો કે ૭૫ ટકા ભાવ ફૂગાવેલો ભાવ છે. એ બહારથી ખરીદેલી અને ઉપજાવી કાઢેલી તાકાત છે તેની પોતાની તાકાત નથી. અને પછી હિન્ડનબર્ગ એ કંપનીના શેર ૭૫ પૈસામાં માર્કેટમાં વેચે છે. આને શોર્ટ સેલિંગ કહેવામાં આવે છે. શેર બજારમાં શોર્ટ સેલિંગ કોઈ નવી વાત નથી, હિન્ડનબર્ગનું શોર્ટ સેલિંગ અલગ પ્રકારનું છે. તે એ ટાર્ગેટ કરેલી કંપનીને પડકાર ફેંકે છે કે માર્કેટમાં ભાવ ટકાવી બતાવે એટલું જ નહીં જો અહેવાલ ખોટો હોય તો નુકસાન ભરપાઈનો હિન્ડનબર્ગ સામે અદાલતમાં જઇને દાવો કરી શકે છે. આવો પડકાર હિન્ડનબર્ગે ૨૪મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અદાણી જૂથ સામે ફેંક્યો હતો અને તેના શેરમાં શોર્ટ સેલિંગ કર્યું હતું.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. અદાણીના શેરમાં ગાબડું પડ્યું હતું, અદાણી જૂથના શેરોમાં થયેલા કડાકાને પરિણામે કંપનીની માર્કેટ કિંમતમાં ૧૫૩ અબજ ડોલરનો ઘટાડો થયો હતો, કંપનીએ માર્કેટમાં આવી રહેલા આઈ.પી.ઓ. (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) મુલતવી રાખવો પડ્યો હતો અને હિન્ડનબર્ગે શોર્ટ સેલિંગ દ્વારા ૪૦ લાખ ડોલરની કમાણી કરી હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં નરેન્દ્ર મોદી કઈ રીતે અદાણી જૂથને મદદ કરી રહ્યા છે એની પ્રમાણો સાથે વિગતો આપીને જોરદાર ભાષણ કર્યું હતું અને તેનું વેર વાળવા સરકારે સૂરતની અદાલતના ચુકાદાનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ કર્યું હતું. વડોદરાની અદાલતે રાતોરાત ઉતાવળે આપેલો ચુકાદો અને સ્પીકરે એટલી જ ત્વરાએ સભ્યપદ રદ્દ કરવાનો લીધેલો નિર્ણય હજુ તાજી ઘટના છે.

લોકસભામાં ત્યારે ભા.જ.પ.ની પોતાની અને શાસક મોરચાની પ્રચંડ તાકાત હતી એટલે વિરોધ પક્ષો સરકારને વધારે ઝૂકાવી શક્યા નહોતા. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો હતો અને સર્વોચ્ચ અદાલતે બીજી માર્ચ ૨૦૨૩ના રોજ શેર બજારનું નિયમન કરનારી ‘સેબી’ને આદેશ આપ્યો હતો કે બે મહિનાની અંદર આ મામલાની તપાસ કરીને અહેવાલ રજૂ કરે. ભારતમાં ન્યાયતંત્રનો ઉપયોગ માફક ન આવે એવી ચીજને લટકાવવા માટે કરવામાં આવે છે તો જગજાહેર છે અને આવું જ બન્યું.

હવે હિન્ડનબર્ગે કહ્યું છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે જે ‘સેબી’ને તપાસ કરવાનું કહ્યું છે એ ‘સેબી’નાં અધ્યક્ષ માધવી પૂરી બૂચે અને તેમનાં પતિ ધવલ બૂચે અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું હતું અને એ રીતે લાભાર્થી હતાં. હવે માધવી પૂરી આ વાતનો સ્વીકાર તો કરે છે, પણ પછી બચાવ કરે છે કે તેઓ ‘સેબી’ના અધ્યક્ષ બન્યાં એ પહેલાંની આ વાત છે. આ બચાવ લૂલો છે, કારણ કે હિન્ડનબર્ગ પણ કહે છે કે તેઓ ‘સેબી’નાં અધ્યક્ષ બન્યાં એ પહેલાંની આ ઘટના છે, પરંતુ એ એ સમયની ઘટના છે જ્યારે માધવી પૂરી બૂચ ‘સેબી’નાં સભ્ય હતાં અને ‘સેબી’માં દરેક સભ્ય એક સરખો દરજ્જો (વન એમંગ ઇકવલ) ધરાવે છે. બીજું સર્વોચ્ચ અદાલતે જ્યારે ‘સેબી’ને તપાસ કરવાનું કહ્યું ત્યારે નૈતિક ધોરણને અનુસરીને માધવી પૂરીએ સર્વોચ્ચ અદાલતને જાણ કરવી જોઈતી હતી તેમનો અદાણી સાથે સંબંધ હતો એટલે તેઓ આ તપાસમાં ભાગ નહીં લે. આ તો સર્વસામાન્ય નૈતિક રિવાજ છે. જજો પણ આવી સ્થિતિમાં કેસ નથી સાંભળતા અને પોતાને અંગ્રેજીમાં કહીએ તો રેસ્ક્યુ કરે છે. માધવી પૂરીએ આ કરવું જોઈતું હતું.

હવે સ્થિતિ પલટાઈ ગઈ છે. હવે લોકસભામાં બી.જે.પી. પાસે બહુમતી નથી અને શાસક મોરચો પણ પાતળી બહુમતી ધરાવે છે. વિરોધ પક્ષો યોગ્ય રીતે જ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા અદાણી જૂથનું કામકાજ, તેની રીતરસમ અને ‘સેબી’ની ભૂમિકા વિષે તપાસ કરવાનો આગ્રહ કરે છે. આવી તપાસ ૧૯૯૨માં હર્ષદ મહેતા કૌભાંડ વખતે, ૨૦૦૨માં કેતન પારેખ કૌભાંડ વખતે અને ૨૦૧૧માં ૨જી સ્પેક્ટ્રમ કૌંભાંડ વખતે રચવામાં આવી હતી. આ કોઈ નવી વાત નથી. ૨૦૧૧માં તો બી.જે.પી.એ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવામાં આવે એવી માગણી કરીને સંસદનું આખું સત્ર રોળી નાખ્યું હતું અને કાઁગ્રેસ સરકારને ઝુકાવી હતી.

કાયદા મુજબ જો સંસદીય સમિતિ રચાશે તો તેની અધ્યક્ષતા સંખ્યાબળના આધારે બી.જે.પી. કરશે. સમિતિમાં શાસક પક્ષના અને શાસક મોરચાના સૌથી વધુ સભ્યો હશે. વિરોધ પક્ષો સમિતિમાં લઘુમતીમાં હશે, પણ એ છતાં ય સરકાર સમિતિ રચતા અને તપાસ કરાવતા ડરે છે. ડરનું કારણ એ છે કે સમિતિને દરેક ફાઈલ જોવાનો અધિકાર છે. દરેક સંબંધિત વ્યક્તિની જુબાની લેવાનો અધિકાર ધરાવે છે. જો આમ બને તો બધાં જ રહસ્યો બહાર આવી જાય. વિરોધ પક્ષોના સભ્યોને ફાઈલો અને દસ્તાવેજો જોતાં રોકી શકાતા નથી. અઘરા પ્રશ્નો પૂછતા રોકી શકાતા નથી. બસ આટલું પૂરતું છે, પછી સંસદીય સમિતિ બહુમતીના જોરે ગમે એટલી લીપાપોતી કરે. કદાચ એ પણ બહાર આવે કે માધવી પૂરી બૂચને ‘સેબી’માં અદાણીની રખેવાળી કરવા મુકવામાં આવ્યાં હતાં અને તેઓ સોંપેલું કામ કરતાં હતાં.

પણ શા માટે નરેન્દ્ર મોદીની સરકાર તપાસ નકારીને અદાણીને બચાવવા માગે છે? આ એ અદાણી છે જેની સામે વડા પ્રધાને પોતે હજુ બે મહિના પહેલાં આરોપ કર્યો હતો કે અદાણી એ કાઁગ્રેસને ટેમ્પો ભરીને ચૂંટણી લડવા રોકડા પૈસા આપ્યા હતા. અદાણીએ (અને મૂકેશ અંબાણીએ) કાઁગ્રેસને ટેમ્પો ભરીને પૈસા આપ્યા એને કારણે બી.જે.પી.એ લોકસભામાં બહુમતી ગુમાવી હતી અને કાઁગ્રેસની તાકાત બેવડાઈ હતી. વડા પ્રધાને મૂકેશ અંબાણીના ઘરે લગ્નમાં હાજરી આપી હતી અને હવે અદાણીને બચાવવા માગે છે.

શું તમે કારણ નથી જાણતા?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2024

Loading

નિર્ભયા મરી ગઈ છે…

નારણ મકવાણા|Poetry|17 August 2024

અકથ શબ્દો 

ગુંગળાઇ મોઢામાં રહ્યાં, 

ફાટી ગયેલી ચીસ

હવાનાં ભારેપણામાં ઓગળી ગઈ,

હાથ બિચારા ઝાંવા મારતા રહ્યાં, 

આંખો આંધળી થઈ ગઈ,

પગના બે ફાડચા કરી નાખ્યાં,

ગુપ્તાંગ ચીરાતું રહ્યું,

વાસનાનો એરુ ડંખ મારતો ગયો, 

નરાધમ, નપાવટ, વહસી બની 

ચામડી ચૂંથતો રહ્યો,

ઓશિયાળી કાળી રાત

મૂંગીમસ થઇ તરફડિયાં મારતા

ઓળાં જોઈ રહી,

સમય પર બળાત્કાર થતો ગયો, 

છતાં ચાલતો રહ્યો,

કોઈ ભણતર કામ ના આવ્યું,

ચીરહરણ થતું ગયું પણ

કોઈ જોવાવાળું ના મળ્યું, 

સિરિયલની જેમ ગીત વાગતું રહ્યું, 

યદા યદા હી ધર્મસ્ય ….

એ રાત રંગમહેલમાં ન હતી, 

હોસ્પિટલમાં હતી,

ચપ્પાના ઘા વડે

કૂમળી કાકડીને કચુંબર કરી નાખી,

શું થશે એનો ઈલાજ???

આપણે કેવાં નપાણિયા થઈ ગયા છીએ 

કે કોર્ટ ન્યાય આપશે, અપાવશે …

શું બધું સંવિધાન પર છોડવું ઉચિત છે, 

ગુનેગાર છાકટા થઇ ફરે છે, 

આખલા થઈ આળોટે છે,

આપણે શું આવું ભોગવ્યા કરવાનું, 

જોયાં કરવાનું,

દેશમાં અચ્છે દિન આવશે, 

સોનાનો સૂરજ ઊગશે,

ખિન્ન થઈ જાય છે મન,

સુન્ન થઈ ગયા છે વિચારો, 

કોનાં પર ભરોસો મૂકવો?

સભા કરો

નારા લગાવો

મીણબત્તીઓ સળગાવો

પણ ….

જેનો આત્મા મરી જાય 

એના શરીરનો દીપ ફરી કદી નહીં પ્રગટે, 

ઓમ શાંતિ .. શાંતિ .. શાંતિ …. 

૧૬/૦૮/૨૦૨૪

Loading

ચલ મન મુંબઈ નગરી—261

દીપક મહેતા|Opinion - Opinion|17 August 2024

૧૯૪૭ના કોઈ કેલેન્ડરમાં ૧૫ ઓગસ્ટની રજા કેમ નહોતી બતાવાઈ?      

માનશો? આપણા દેશમાં ૧૯૪૭માં જેટલાં કેલેન્ડર છપાયેલાં તેમાંના એક્કે કેલેન્ડરમાં ૧૫મી ઓગસ્ટનો દિવસ લાલ અક્ષરમાં છપાયો નહોતો. એટલે કે એ દિવસે સ્વતંત્રતા દિવસની રજા છે એમ કોઈ કેલેન્ડરે બતાવ્યું નહોતું! કેમ એમ? એ જાણવા જરા ભૂતકાળમાં નજર દોડાવવી પડશે. 

બીજા વિશ્વયુદ્ધ પછી ગ્રેટ બ્રિટન ગ્રેટ રહ્યું નહોતું. તેની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ હતી. બીજી બાજુ ગાંધીજીની આગેવાની હેઠળ આઝાદી માટેની લડત વધુ ને વધુ જોર પકડતી જતી હતી. લેબર પાર્ટીના વડા પ્રધાન ક્લેમન એટલી સમજી ગયા કે હવે હિન્દુસ્તાન એ બ્રિટનને ગળે બંધાયેલું ઘંટીનું પડ બની ગયું છે. એટલે તેમણે જાહેરાત કરી કે ૧૯૪૮ના જૂન મહિનાના અંત પહેલાં હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવામાં આવશે. બ્રિટનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને ૨૧મી ફેબ્રુઆરી ૧૯૪૭ના દિવસે વાઈસરોય અને ગવર્નર જનરલનો હોદ્દો સંભાળ્યો. હિન્દુસ્તાનનું વિભાજન અને હિન્દુસ્તાન અને પાકિસ્તાનની આઝાદીનું કામ તેમને ખાસ સોંપાયું હતું. અહીં આવીને તેમને જણાયું કે ૧૯૪૮ના જૂન સુધી પણ હિન્દુસ્તાનને સાચવવાનું કામ લગભગ અશક્ય છે. એટલે તેમણે આઝાદી માટેનો દિવસ વહેલો નક્કી કર્યો : ૧૫ ઓગસ્ટ ૧૯૪૭. એટલે કે સ્વતંત્રતા દિવસ માટેની આ તારીખ તેમણે પસંદ કરી હતી. પણ આ તારીખ જ કેમ? કારણ ૧૯૪૫ના ઓગસ્ટની ૧૫મી તારીખે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારી હતી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. તેમની ભલામણ સ્વીકારીને બ્રિટનની પાર્લામેન્ટે ‘ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, ૧૯૪૭’ મંજૂર કર્યો અને તેમાં ૧૫મી ઓગસ્ટની તારીખ સ્વીકારવામાં આવી. ૧૯૪૭ના જુલાઈની ૧૮મી તારીખે બ્રિટનના રાજવીએ આ એક્ટને મંજૂરી આપી. એટલે કે ૧૫મી ઓગસ્ટની તારીખ ઔપચારિક રીતે નક્કી થઈ તે છેક ૧૯૪૭ના જુલાઈમાં. અને હિન્દુસ્તાનની સરકારે આ તારીખની સત્તાવાર જાહેરાત કરી તે તો છેક જુલાઈની ૨૯મી તારીખે. અને આ જાહેરાતમાં જ ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫ અને ૧૬મી તારીખે રજા જાહેર કરવામાં આવી. કોઈ પણ વરસનાં કેલેન્ડર તો આગલા વરસના ડિસેમ્બર પહેલાં છપાઈ જાય. એટલે તેમાં ૧૫મી ઓગસ્ટનો દિવસ લાલ શાહીમાં કઈ રીતે છપાયો હોય?

૧૯૪૭નાં કેલેન્ડરોમાં ૧૫મી ઓગસ્ટની રજા બતાવાઈ નહોતી

૧૯૪૭ના ઓગસ્ટની ૧૪મી તારીખે રાતના અગિયાર વાગે હિન્દુસ્તાનની બંધારણ સભાની ખાસ બેઠક મળી. અધ્યક્ષસ્થાને હતા ડો. રાજેન્દ્રપ્રસાદ. આ બેઠકમાં રાતે ૧૨ વાગવામાં થોડી મિનિટ બાકી હતી ત્યારે દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પોતાનું ઐતિહાસિક ભાષણ શરૂ કર્યું, જે પછીથી ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ તરીકે ઓળખાય છે. ઓલ ઇન્ડિયા રેડિયોએ એ ભાષણ ‘લાઈવ બ્રોડકાસ્ટ’ કરેલું, જે લાખો લોકોએ સાંભળેલું. ફિલ્મ્સ ડિવિઝનના અઠવાડિક ન્યૂસ રીલમાં એ સમાવી લેવામાં આવ્યું, ત્યારે કેટલાયે દિવસો સુધી મુંબઈમાં એકેએક થિયેટરનો દરેકે દરેક શો હાઉસ ફૂલ જતો હતો. કારણ પિક્ચર ભલે ગમે તે હોય, લોકો પંડિતજીનું ભાષણ સાંભળવા માટે જ પિક્ચર જોવા જતા. 

દેશને આઝાદી મળી તે દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યો અસ્તિત્વમાં નહોતાં. તેને બદલે હતું બોમ્બે સ્ટેટ, જેમાં આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા મોટા પ્રદેશોનો સમાવેશ થતો હતો. આ રાજ્યનું પાટનગર હતું મુંબઈ. એ વખતે જુદાં જુદાં રાજ્યોની સરકારના વડા ચીફ મિનિસ્ટર તરીકે નહિ પણ પ્રાઈમ મિનિસ્ટર તરીકે ઓળખાતા હતા. એ વખતે કેટલાંક રાજ્યોમાં હિન્દી ગવર્નરોની નિમણૂક થઈ ચૂકી હતી. પણ બોમ્બે સ્ટેટમાં તો અંગ્રેજ ગવર્નર હતા, સર જોન કોલવિલ. તેવી જ રીતે દેશને આઝાદી મળી તે દિવસે બોમ્બે ગવર્નમેન્ટના ચીફ સેક્રેટરી હતા સર ઈવોન હોપ-ટાઉન્ટન. એટલે પહેલા આઝાદી દિવસની ઉજવણી અંગેના બધા જ સરકારી પરિપત્ર આ અંગ્રેજ અમલદારની સહી નીચે પ્રગટ થયા હતા! તેમાં પહેલું હુકમનામું હતું રાજ્યની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ અંગેનું. પ્રાથમિક શાળાના એકેએક વિદ્યાર્થીને આ પ્રસંગે મીઠાઈ વહેંચવાનું સ્કૂલોને જણાવાયું હતું. તે માટે સરકારે માથા દીઠ વધુમાં વધુ છ આના (આજના ૩૭ પૈસા) સુધી ખરચ કરવાની પરવાનગી સ્કૂલોને આપી હતી! વળી દરેક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવા પણ જણાવાયું હતું. 

૧૯૪૭ના ઓગસ્ટની પાંચમી તારીખે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી ખાદીના બનેલા રાષ્ટ્રધ્વજ વાપરવા. પણ બહુ ઓછા સમયમાં બધા જ ઝંડા ખાદીના બનાવવાનું શક્ય નથી, એટલે બીજાં કાપડના બનેલા ધ્વજ પણ વાપરી શકાશે. ખાદીના બનેલા ધ્વજ મેળવવા માટે કાઁગ્રેસના સ્થાનિક સભ્યોની મદદ લેવાની સૂચના પણ કલેકટરોને અપાઈ હતી. સરકારે દરેક કલેકટરને જે ઝંડા મોકલ્યા તે ખાદીના નહોતા. 

આઝાદી દિવસની પરેડ રાજ્યનાં મુખ્ય મથકોએ અને બીજાં શહેરોમાં સાંજે છ વાગ્યે યોજવાનું નક્કી કરાયું હતું. તેમાં વધુમાં વધુ લોકો ભાગ લે તેવા પ્રયત્નો કરવા કલેકટરો અને બીજા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. છેક ૧૧મી ઓગસ્ટે એક પરિપત્ર બહાર પાડીને ચીફ સેક્રેટરીએ સ્પષ્ટતા કરી હતી કે સ્વાતંત્ર્ય દિવસની કોઈ પણ ઉજવણી દરમ્યાન કે તેને અંતે ‘ગોડ સેવ ધ કિંગ’ ગાવા કે વગાડવાનું નથી. તેને બદલે ‘વંદે માતરમ્’ ગાઈ કે વગાડી શકાશે. એ વખતે રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ની પસંદગી થઈ નહોતી એટલે આમ કરવામાં આવેલું. 

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – પરેડમાં નેવી બેન્ડ ફ્લોરા ફાઉન્ટન પાસે

નવમી ઓગસ્ટે કરેલી જાહેરાતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની વિગતો જણાવવામાં આવી હતી. આ જાહેરાત બોમ્બે કાસલથી ‘પોલિટિકલ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ’ દ્વારા કરવામાં આવી હતી. તેમાં નીચેના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો:

ગુરુવાર, ૧૪ ઓગસ્ટ, રાતે બાર વાગ્યે પ્રાર્થના, ધ્વજારોહણ, અને સેક્રેટરીએટ ખાતે રોશની. શુક્રવાર, ૧૫ ઓગસ્ટ : બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે હોમ ગાર્ડઝ દ્વારા કવાયત અને માનનીય વડા પ્રધાન દ્વારા તેમને નવા ધ્વજની સોંપણી. બપોરે સાડા બાર : ઓલ ઇન્ડિયા રેડિયો પરથી બોમ્બે સ્ટેટના પ્રાઈમ મિનિસ્ટરનું ભાષણ. સાંજે ૬ વાગ્યે : ઓવલ મેદાન ખાતે ધ્વજારોહણ, ધ્વજ-વંદન અને લશ્કરી દળો દ્વારા પરેડ.

આ ઉપરાંત બીજા એક અલગ પરિપત્ર દ્વારા લશ્કરને કેટલીક સૂચના આપવામાં આવી હતી. ગવર્નર્સ હાઉસ (આજનું રાજભવન), ગિરગામ ચોપાટી અને શિવાજી પાર્ક ખાતે આતશબાજીની ગોઠવણી કરવા લશ્કરને જણાવાયું હતું. ૧૫મીની સાંજે મુંબઈના બારામાં રહેલાં રોયલ ઇન્ડિયન નેવીનાં બધાં જહાજો પર ત્રિરંગી રોશની કરીને ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ અપાયો હતો. આ જહાજો પરથી પણ આતશબાજી કરવામાં આવી હતી. 

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસના એક અખબારનું પહેલું પાનું

૧૯૪૭ના ઓગસ્ટની ૧૦મીથી૧૭મી સુધી દેશનાં બધાં છાપાંના પહેલા પાના પર આઝાદી દિવસ અંગેના જ સમાચાર છપાયા હતા. એ જમાનામાં છાપામાં ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા જ છપાતા, અને તે પણ બહુ ઓછા. પણ લગભગ દરેક છાપાએ આ દિવસો દરમ્યાન સ્વતંત્રતા દિવસ અંગેના બે-ચાર ફોટા તો છાપ્યા જ હતા. પણ સૌથી વધુ નોંધપાત્ર હતો તે તો લોકોનો ઉત્સાહ. ૧૪મીની મધરાતે લોકોએ કોઈનાયે કહ્યા વિના થાળીઓ વગાડી હતી, લોકો ઢોલ-ત્રાંસા, લેઝીમના તાલે અડધી રાત સુધી રસ્તાઓ પર નાચ્યા હતા, રાતે બાર વાગે મીઠાઈ વહેંચી હતી અને એકબીજાને – સાવ અજાણ્યાને પણ – મુબારકબાદી આપી હતી. અને લાંબા વખત સુધી લોકોના દિલોદિમાગમાં પંડિત નેહરુના શબ્દો ગુંજતા રહ્યા હતા :

आधी रात के समय, जब दुनिया सो रही होगी, भारत जीवन और स्वतंत्रता के साथ जागेगा। एक क्षण आएगा, जो इतिहास में बहुत कम आता है, जब हम पुराने से नए की ओर कदम बढ़ाएंगे, जब एक युग का अंत होगा, और जब एक राष्ट्र की आत्मा, जो लंबे समय से दमित थी, को अभिव्यक्ति मिलेगी.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 ઓગસ્ટ 2024

Loading

...102030...466467468469...480490500...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved