Opinion Magazine
Number of visits: 9457067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાય ક્યાં મળે ? કોણ આપે ? કોને મળે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2024

રમેશ ઓઝા

બંગલાદેશમાં શેખ હસીનાના પતન પછી હિંદુઓને સતાવવામાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં હિંદુઓને મારવાની, તેમનાં ઘર તેમ જ ઉદ્યોગધંધાની તોડફોડ કરવાની, આગ લગાડવાની, મંદિરોને તોડવાની કે નુકસાન પહોંચાડવાની અનેક ઘટનાઓ બની છે. આનું એક કારણ બંગલાદેશમાં એવી એક સર્વસાધારણ સમજ છે કે હિંદુઓ શેખ હસીનાના સમર્થક છે અને બીજું કારણ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાનું છે. મોકો મળ્યો છે તો હિંદુઓને ઉખેડીને ફેંકી દો, તેની સંપત્તિ લૂંટી લો અથવા ડરાવીને મફતના ભાવમાં મિલકત પડાવી લો. કોમી અથડામણો જ્યાં થતી હોય છે ત્યાં લઘુમતી કોમ સાથે આવું બનતું હોય છે. ઘણીવાર તો કોમી અથડામણો લઘુમતી કોમને આર્થિક નુકસાન પહોંચાડીને આર્થિક લાભ લેવા માટે જ કરવામાં આવે છે.

આવું માત્ર ભારતીય ઉપખંડમાં જ નથી થતું, જગત આખામાં થાય છે, આ મહિનાના પ્રારંભમાં બ્રિટનમાં પણ આવું બન્યું હતું. બ્રિટનમાં અંગ્રેજોની વાંશિક સર્વોપરિતામાં માનનારા કેટલાક બહુમતી રાષ્ટ્રવાદી અંગ્રેજોએ, ખાસ કરીને મુસલમાનો અને અન્ય વસાહતીઓ સામે ખોટી અફવા ઉડાડીને ન્યાય માટેના આંદોલનનાં નામે તેમનાં ઘર-બાર લૂંટ્યા હતાં. જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય ત્યાં જલદી આવી પ્રવૃત્તિ રોકવામાં આવે છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંગાળ હોય ત્યાં સ્થિતિ અંકુશમાં આવતા સમય લાગે છે. કેટલીકવાર તો શાસકો પોતે અને પોલીસ સહિતનું આખેઆખું તંત્ર જ લઘુમતી કોમના લોકોને સતાવે છે અને લૂંટે છે. પશ્ચિમના લોકશાહી દેશોમાં હજુ આવી સ્થિતિ પેદા નથી થઈ, પણ નહીં જ થાય એની કોઈ ખાતરી નથી. માર્કસવાદીઓ તો કહે છે કે કોમવાદ, વંશવાદ વગેરે પણ મૂડીવાદી શોષણનું એક સાધન છે. તેઓ પોતાના હિતમાં આર્થિક સમીકરણોની ફેરબદલી માટે અથડામણોનો લાભ લે છે. માટે સાંકડી વિચારધારા આધારિત રાજકારણ કરનારાઓ મૂડીવાદને અને મૂડીવાદીઓને પોષે છે. હકીકતમાં એકબીજાને પોષે છે.

ખેર, આપણે બંગલાદેશ પાછા ફરીએ. એમાં કોઈ શંકા નથી કે બંગલાદેશમાં હિંદુઓ શેખ મુજીબુર રહેમાનના સમયથી અવામી લીગના સમર્થક છે. લઘુમતી કોમ હંમેશાં ઉપલબ્ધ રાજકીય પક્ષોમાં જે સૌથી વધુ ઉદારમતવાદી હોય અને જેની સત્તા સુધી પહોંચવાની ક્ષમતા હોય તેને મત આપે. બ્રિટનમાં મોટાભાગના હિંદુઓ અને વસાહતીઓ મજૂર પક્ષને મત આપે છે અને અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે એ આ જ કારણે. બંગલાદેશમાં અવામી લીગ બંગલા અસ્મિતાનું રાજકારણ કરે છે, ઇસ્લામના નામે નથી કરતી એટલે અવામી લીગને સમર્થન આપવામાં હિંદુઓને સલામતી નજરે પડે છે. બંગલાદેશના હિંદુઓ બંગાળી છે અને બંગાળી અસ્મિતાના ભાગીદાર છે. સામે પક્ષે બંગલાદેશમાં વસતા બિહારી મુસલમાનો બેગમ ખાલેદા ઝીયાના બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને અને અન્ય ઇસ્લામવાદી પક્ષોને સમર્થન આપે છે કારણ કે મુસલમાન હોવાપણામાં તેઓ ભાગીદાર છે. બંગલાદેશમાં બે મુખ્ય પક્ષોમાંથી એક પક્ષ બંગલા અસ્મિતાના નામે રાજકારણ કરે છે અને બીજો પક્ષ ઇસ્લામના નામે રાજકારણ કરે છે. એક પક્ષ એ લોકોને બહાર રાખે છે જે બંગાળી નથી અથવા બંગાળી અસ્મિતાને ઇસ્લામની તુલનામાં દ્વિતીય અસ્મિતા માનનારા ઇસ્લામવાદી મુસલમાનો છે અને બીજો પક્ષ એ લોકોને બહાર રાખે છે જેઓ ઇસ્લામની તુલનામાં બંગાળી હોવાપણાને સર્વોપરી માને છે.

પણ એ પછી શું બંગલાદેશમાં હિંદુઓને, બૌદ્ધ ચકમાઓને, ભારતનાં ઇશાન રાજ્યોની સરહદે વસતા અને ખ્રિસ્તી કે બીજા ધર્મ પાળતા ગારો, ખાસી અને એના જેવી બીજી ડઝનબંધ જનજાતિઓની પ્રજાને અવામી લીગ દ્વારા ન્યાય મળ્યો છે ખરો? શું બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા બિહારી મુસલમાનો અને બર્માથી આવેલા રોહિંગ્યા શરણાર્થી મુસલમાનોને ન્યાય મળ્યો છે ખરો? ના નથી મળ્યો. બન્ને બાજુના લોકોને થોડી રાહત મળે છે એટલું જ. એટલે તો બંગલાદેશમાં બંગલાદેશની આઝાદી પછી પણ હિંદુઓની વસ્તીમાં દિવસોદિવસ ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧માં બંગલાદેશની સ્થાપના થઈ ત્યારે બંગલાદેશમાં હિન્દુઓની વસ્તી કુલ વસ્તીમાં ૨૦ ટકા હતી જે અત્યારે આઠ ટકા છે. શેખ હસીના પંદર વરસથી રાજ કરતાં હતાં એ છતાં. બિહારી મુસલમાનો માટે જવા માટે કોઈ માર્ગ નથી એટલે બિચારા બંગલાદેશમાં શરણાર્થીઓ માટેના કેમ્પમાં સબડે છે. ઢાકામાં આવેલ જીનીવા કેમ્પમાં પચાસ વરસથી બિહારી મુસલમાનો આઠ ફૂટ બાય આઠ ફૂટની પતરાંની રૂમમાં રહે છે. આવું જ બર્માથી આવેલા રોહિંગ્યા મુસલમાનોનું. બંગલાદેશ તેને પોતાને ત્યાં સમાવવા રાજી નથી, રોહિંગ્યાઓ મુસલમાન હોવા છતાં. ઇસ્લામમાં ઉમ્માહ (વૈશ્વિક મુસ્લિમ બંધુતા) એક રોમાંચક કલ્પના માત્ર છે.

તો ન્યાય ક્યાં મળે? કોણ આપે? નથી ભાષા અને સંસ્કૃતિના રક્ષકો ન્યાય આપતા કે નથી ધર્મના રક્ષકો ન્યાય આપતા. બન્ને પોતપોતાના સમર્થકોને અન્યાય કરે છે અથવા આંખ આડા કાન કરીને અન્યાય થવા દે છે. ન્યાય તો જ મળે જો રાજ્ય પક્ષપાતરહિત માત્ર અને માત્ર નાગરિક તરીકેની ઓળખ પર આધારિત હોય, અન્ય કોઈ પણ પ્રકારની ઓળખ આધારિત ન હોય. એ બંધારણીય હોય અને એ મુજબની રાજ્ય રચના થઈ હોય.

એ પછી પણ સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં રહેલી પ્રજાઓને ન્યાય મળતો નથી તો સાંકડી ઓળખ આધારિત રાજ્યોમાં ન્યાય મળે એ તો શક્ય જ નથી. જ્યાં પોતાના જ લોકોને રાષ્ટ્રવાદના નામે અન્યાય કરવામાં જેને સંકોચ ન થતો હોય ત્યાં “બીજાઓ”ને ન્યાય મળે એ તો શક્ય જ નથી. તેઓ વારંવાર પેદા થતી કે પેદા કરવામાં આવતી અરાજકતાનો લાભ લઈને પોતાનાં હિતમાં આર્થિક સમીકરણો બદલતા રહે છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 ઑગસ્ટ 2024 

 

Loading

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૩)

સુમન શાહ|Opinion - Literature|18 August 2024

સુમન શાહ

ગોપીને જાણે પહેલી વાર પોતાની જાત સામે જોવાની ફુરસદ મળી, તે એણે એની બહેનીને કહ્યું, ‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું … તેમછતાં, એ ‘મારામાં શું દીઠું ?’ રચનામાં, આત્મસ્તુતિનો નહીં પણ કૃષ્ણસ્તુતિનો જ પ્રકાર ઊપસ્યો છે.

કૃષ્ણ આગળ પોતાની કોઇ વિસાત નથી તેની એને જાણ છે. એટલે સરસાઇનો પ્રશ્ન નથી પણ વાત જુદી છે. એ રીતે કે ‘વારે વારે સામું જુએ … વગર બોલાવ્યો વ્હાલો બેડલું ચડાવે … વઢું ને તરછોડું તો ય રીસ ન લાવે … દૂરથી દેખીને મને દોડ્યો આવે દોટે … પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે … એકલડી દેખી ત્યાં મુને પાવલેરે લાગે … રંક થઇને કાંઇ કાંઇ મારી પાસે માગે … જ્યાં જ્યાં જાતી ત્યાં ત્યાં એ આડો આવી ઢૂંકે … બહેની દયાનો પ્રીતમ મારો કેડો નવ મૂકે …’

વગેરે બધી ઘેઘૂર રમણાથી ગોપી મૂંઝાઇ મરી છે. એ બધી લીલાનું રહસ્ય શું? ક્યાં? રહસ્ય પોતામાં તો નથી, કેમ કે પોતામાં દેખવા સરખું કંઇ નથી તેની એને જાણ છે. એટલે ‘હું શું જાણું’ કહીને વિમાસ્યા કરે છે, તો, મુજમાં શું દીઠું પૂછીને કૃષ્ણની પ્રકાર પ્રકારની હરકતો જણાવે છે. પરન્તુ એમ પરોક્ષપણે અને સરવાળે તો કૃષ્ણપ્રેમનો જ મહિમા આગળ કરે છે, કૃષ્ણના જ ગૌરવનું ગાણું ગાય છે.

કવિની ગોપીનો સઘળો આત્મભાવ છેલ્લે આ રીતે કૃષ્ણમાં જઇ ઠરે છે. એના એવા ઠરણમાં એની ભક્તિની અવધિ આવી રહે છે. પોતે સમગ્રતયા કૃષ્ણમાં લય-વિલય પામી રહે એ એની જીવન-આકાંક્ષા છે. ખરેખર તો એ નિષ્ઠાએ કરીને એ અનન્યાશ્રયી છે. પરન્તુ તે સાથે તે કૃષ્ણને ય એવા જ જોવા ઝંખે છે.

એ ઝંખના ન તોષાતાં, ગોપીમાં દ્વેષ, રોષ  કે ચીડ પ્રગટે છે. ‘હવે હું નહીં બોલું’-માં, સખીને કહે છે : ‘હાવાં હું સખી ! નહીં બોલું રે નંદકુંવરની સંગે …’, કેમ કે, ‘મુને ‘શશીવદની’ કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.’ શશીવદની એટલે તો ચન્દ્રના જેવા મુખવાળી. પણ એ વખાણ માનુનીને ખપ્યાં નહીં. એણે તર્ક કર્યો કે ‘ચંદ્રબિંબમાં લાંછન છે, વળી રાહુ ગળે ખટ માસે રે; પક્ષે વધે ને પક્ષે ઘટે, કળાપૂરણ નિત્ય તે નવ પ્રકાશે’ – એવા શશી સાથે પોતાને સરખાવાય શી રીતે? મને શશીવદની ભલે કહે છે, બાકી, મારા લગી પૂગવાનો શ્રમ પણ શું કામ લે?

કેમ કે, ‘શશીમુખ સરખું સુખ’, તો એમની પાસે જ છે! – એમના ‘વામ ચરણમાં ઇંદુ અચળ છે, શીદ રહે અન્યની આશે?’ એટલે કહી દીધું ‘કોટિ પ્રકારે હું નહીં આવું એવા પુરુષની અડાસે.’ જો કે દેખાઇ આવે છે કે આ રીસમાં એટલું બધું બળ નથી.

આવું જ એક રૂસણું આ, કે ‘શ્યામ રંગ સમીપે ન જાવું, મારે શ્યામ રંગ સમીપે ન જાવું …’ કૃષ્ણ એને કપટી લાગ્યા હશે. તે સમજી લીધું કે, ‘જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.’ એટલે, એવી વસ્તુઓની યાદી બનાવી : કસ્તૂરીકેરી બિંદી, કાજળ, કોકિલાનો શબ્દ, શકુન ગણાતી કાગવાણી, નીલાંબર, કાળી કંચુકી, જમનાનાં નીર, મરકતમણિ, મેઘ, જાંબુ-વ્યંતાક .. .એકેયને પોતે અડશે નહીં કે અપનાવે નહીં. પણ આ ‘નીમ’ તો મુખે લીધેલો, મનનો એને કશો સહકાર હતો નહીં! એટલે કબૂલે છે કે ‘દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે ‘પલક ના નિભાવું’!

આમ, કોઇપણ પ્રકારે કરાર નથી વળતો એટલે દયારામની ગોપી અનેક રચનાઓમાં આપણને જાતભાતની રીતે સાચી કે ખોટી પણ છંછેડાયેલી જોવા મળે છે. કૃષ્ણ અન્ય નારીઓ વિશે, અરે કુબ્જા જેવી કુબ્જા વિશે ઢળે, એ એનાથી વેઠાતું નથી. કૃષ્ણની વાંસળી જેવી નિર્જીવ ચીજ પણ એને વૅરણ લાગે છે, શૉક્ય લાગે છે. પોતે ખોટી એટલા માટે કે નિયમ, ટેક, રૂસણું કે રોષ પણ છેવટે તો કૃષ્ણને પામવાને માટેનાં એણે ઘડી કાઢેલાં નિમિત્ત હતાં!

ઇર્ષા અને રોષની મારી, ‘રંગીલા! રંગભેર ક્યાં રમી આવ્યા? લાલ! કોની માળા ચોરી લાવ્યા? – રંગીલા!’ એમ પૂછે છે, છતાં એ કરડાકી ખાસ ટકી શકી નથી : ‘તમારી વાટ હું નિતનિત જોતી, મુખડું જોઇ મન મ્હોતી, હવે મુને શીદ મૂકો છો રોતી ? … વ્હાલા મૂકો બાળપણાનો ચાળો, તમ વીણ બીજો પદારથ ઠાલો, હવે મુને અંગહૃદય શીદ બાળો ?’ અને એણે પેટછૂટી વાત કરી દીધી : ‘મારે મ્હોલે પધારોને વનમાળી !’ એની જાણ બહાર એનો રોષ વિનન્તીવચનમાં ફેરવાઇ ગયો. અને પરિણામ? અતિ સુન્દર આવ્યું : ‘વાયક સુણી પ્રભુ થાય પરસન, ઉલટ્યું અબળા ઉપર મન, દયાના પ્રભુએ દીધું આલિંગન …’

‘નાડ જુઓ’ રચના પણ આવા એક સુખદાયી અન્તને વર્ણવે છે. તીવ્ર વિરહવેદના અનુભવતી ગોપીને સંજોગે કૃષ્ણ મળી ગયા હોય છે. એટલે પોતાની અવસ્થા અંગે એ એમને જ પૂછે છે, ‘મારા તનમાં કંઇ ચેટક કે કંઇ રોગ? કેમ ગળે છે મારી જાતડી જી? … વ્હાલા! એ મુને ન્હોતો પહેલો રોગ, હવડાં પ્રગટ્યો દિન દસબારમાં જી … નિદ્રા ના’વે, ભાવે નહીં કંઇ ભોગ, ક્યહું પડે નહિ કળ મનવિચારમાં જી … તેમાં એક અચરજ સૂણજો આજ, મુજને તો કાંઇ કારણ ના જડે જી … નાડ જુઓ કે નયણે પારખો જી … સુઘડશિરોમણિ છો તમે રસિયારાય! મારા સમ જો ના ભાખો જી’.

ગોપીનાં એવાં વચન સાંભળીને સુન્દરશ્યામે ‘કર સાહી નાડી જોઇ નારીતણી જી …’ પરિણામે, એની કેવીક દેહદશા થઇ? ‘કૃષ્ણ અડ્યે કર પ્રગટ્યો પૂરણ કામ … થયું રોમાંચિત, થરથર કંપે કાય … અતિ આતુર મનમુખથી નવ કહેવાય – સમઝી અંક ભરી અલબેલડે જી … ઇચ્છ્યું સુખ આપ્યું, અધરામૃત પાન રસિયે, કાંઇ મણા રાખી નહીં જી … દયાપ્રીતમે આપ્યું જીવતદાન વ્રેહવેદના નાસી ગઇ કહીં જી!’

આપણા ધ્યાનમાં તરત આવે છે કે રચના ‘જી-જી’-ના ગરજાળ લહેકાથી કેવી તો સરસ રચાઇ આવી છે.

‘પનઘટ પર’, ‘મુજને અડશો મા!’ કે ‘ડહાપણ રાખો જી!’ જેવી રચનાઓમાં, કૃષ્ણ અને ગોપી વચ્ચેના નાના-મોટા ખટમધુર સંવાદોની ભાત જોવા મળે છે. ‘પનઘટ પર’ નાનકડી રચના છે, ‘મારા વહાલાજી હો’ ટેકથી સમ્પન્ન થયેલી છે. કાંઠે ઊભેલા ક્હાનજીને ગોપી વીનવે કે ‘ભાઇ મને ઘડૂલો ચડાવ’. ક્હાનજી ભારે મશ્કરીમાં કહે કે ‘હું તુંને ઘડૂલો ચડાવું રે લોલ, થાય મારા ઘર કેરી નાર’, ને ગોપી એને રોકડું પરખાવે કે ‘તુજ સરખા ગોવાળિયા રે લોલ, તે તો મારા બાપના ગુલામ’, અને ક્હાનજી એવો જ ઉત્તર વાળે કે ‘તુજસરખી ગોવાલણી રે લોલ, તે તો મારા પગની પેજાર.’

બન્નેની વાણી મોંફાટ અને તોછડી લાગે. છતાં રચનાને જો એના ‘રે લોલ’-ના લહેકા સાથે ગાવામાં આવે તો એની પાછળનો બેયનો અલ્લડ મિજાજ, વળી, એકમેકના પ્રેમની પરસ્પરને કાયમથી મળેલી ઘોર પ્રતીતિ, વગેરે આન્તરસત્યોનો અહેસાસ થાય.

(ક્રમશ:)
(18 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાંગ્લાદેશના હિંદુઓઃ અફવા અને હકીકતોની વચ્ચે ભારત સરકારે રાજદ્વારી માર્ગ અપનાવવાની જરૂર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 August 2024

ભારત સરકાર જે આટલા લાંબા સમયથી શેખ હસીનાને ટેકો આપતી આવી છે, તેણે અત્યારે બાંગ્લાદેશનું સુકાન સંભાળનાર બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક સરકારનો વિશ્વાસ જીતવો પડશે.

ચિરંતના ભટ્ટ

બાંગ્લાદેશ હજી ભડકે બળી રહ્યું છે, આ આગનો અંત ક્યારે અને કેવો આવશે એની કોઇ સ્પષ્ટતા નથી. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યો ત્યારથી ત્યાં રહેતા હિંદુઓનો નર સંહાર થઇ રહ્યો છે, ચિત્તગોંગ જેવા સ્થળોએ હિંદુઓની દુકાનો એ રીતે લૂંટવામાં આવી રહી છે જાણે ત્યાં કોઇ કાયદો વ્યવસ્થા છે જ નહીં. હિંદુ અભિનેતા હોય કે હિંદુ ક્રિકેટર હોય – હુમલા, ઘર બાળવાના બનાવો, હિંદુઓની દુકાનો બાળવાની ઘટનાઓ સતત સમચાર બનીને પ્રસરી રહી છે. હિંદુ મહિલાઓ સાથે થતા બળાત્કાર, તેમની હત્યાઓ, તેમના અપહરણ જેવી ઘટનાઓના સમાચાર પણ સતત આપણને મળી રહ્યા છે. કાળજું કંપી ઊઠે એવી ઘટનાઓ છે પણ તેમાં તથ્ય કેટલું છે? એક સમયે જે બાંગ્લાદેશના નાગરિકો એક થઇને સરકારની સામે પડ્યા હતા તેણે હવે આ કોમવાદી જંગાલિયતનું સ્વરૂપ કેવી રીતે લઇ લીધું હશે? 15મી ઑગસ્ટે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી સંબોધન કરતા બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ અને લધુમતીની રક્ષા થવી જ જોઇએની વાત કરી હતી. વળી બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર સંભાળનારા મહંમદ યુનૂસે પણ આ પહેલાં પોતે હિંદુઓ અને લધુમતીઓની રક્ષા કરશેનો મુદ્દો ટાંક્યો હતો.  બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની સુરક્ષાની ચિંતા કરતા વડા પ્રધાન અને વિદેશ મંત્રી પણ આ નરસંહાર અને બળાત્કાર વિશે હજી કંઇ બોલી નથી રહ્યા તેનું શું કારણ હશે? પણ ખરેખર બાંગ્લાદેશમાં હિંદુઓને મામલે શું સ્થિતિ છે? ત્યાંથી શું હિંદુઓનો રીતસર સફાયો કરાઇ રહ્યો છે? લધુમતી બાંગ્લાદેશમાં ડરના ઓથાર હેઠળ જીવી રહી છે? બાંગ્લાદેશની વચગાળાની સરકાર સંજોગોને કાબૂમાં લાવવા માટે સક્ષમ છે ખરી? ભારત સરકાર ત્યાં વસનારા હિંદુઓ માટે કંઇ કરી શકે એમ છે? આ સવાલો બાંગ્લાદેશની પરિસ્થિતિની આસપાસ ચકરાવા લે તે સ્વાભાવિક છે.

શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં વિરોધીઓએ તો પોલીસને પણ ડાબે હાથે લીધી કારણ કે એ પોલીસે જ સરકારને કહ્યે વિરોધીઓને કાબૂમાં લેવા ભારે દમન કર્યું અને હિંસક વલણ અપનાવ્યું હતું. આવામી લીગના નેતાઓના ઘેરાવ, તેમની પર હુમલા જ નહીં પણ અમુક કિસ્સાઓમાં તો નેતાઓને મોતને ઘાટ પણ ઉતારવામાં આવ્યા. વળી ત્યાં સૈન્ય એટલું સબળું નથી કે બાંગ્લાદેશના ખૂણે ખૂણે પહોંચી જઇ પરિસ્થિતિ સંભાળી શકે. સત્તાની ગેરહાજરીમાં તકવાદીઓએ હિંદુઓ અને લધુમતીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. કહેનારા તો એમ પણ કહે છે કે જેમ આવામી લીગના નેતાઓ પર હુમલા થયા એમ હિંદુ નેતાઓને પણ નિશાન બનાવાયા. હિંદુ નેતાની હત્યા થઇ, એક હિંદુ સંગીતકારના ઘરને રાખ કરી દેવાયું. બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને તેમની ધાર્મિક ઓળખને કારણે જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશના મીડિયાના અહેવાલો અનુસાર ત્યાં અત્યારે એકેય એવો વિસ્તાર નથી જ્યાં કોમવાદી હુમલા ન થતા હોય. ભારત સરકાર કે બાંગ્લાદેશ સરકાર એ ચોખવટ નથી કરી રહી કે કેટલા હિંદુઓ માર્યા ગયા છે, કેટલા ઘાયલ થયા છે કારણ કે કદાચ તેમને માટે પણ આ સ્પષ્ટ આંકડો મેળવવો શક્ય નહીં હોય.

બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાવનારા ટોળાં એટલા મોટાં છે કે એમ કહેવું કે આ ટોળાંમાં કોણ કયા પક્ષનું હશે મુશ્કેલ નહીં અશક્ય છે. કટ્ટરવાદી પક્ષ જેમ કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામી પર તો કોમવાદી હુમલાના આરોપ છે જ પણ સાથે કેટલાક લોકો આવામી લીગ પર પણ આવા હુમલાનો આક્ષેપ લગાડે છે. આમ કહેવામાં તેમનો તર્ક છે કે આવામી લીગ હિંદુઓનું દમન કરીને એમ સાબિત કરવા માગે છે કે જ્યાં સુધી શેખ હસીના ત્યાં હતાં ત્યાં સુધી લઘુમતી સુરક્ષિત હતી. આવામાં બાંગ્લાદેશનું સૈન્ય એક માત્ર ત્યાં વસતા હિંદુઓને બચાવે છે, તેમને સુરક્ષા પૂરી પાડે છે પણ છતાં ય આર્મી માટે બધે પહોંચી વળવું મુશ્કેલ છે. એક હિંદુને ઘરે થયેલા હુમલામાં જ્યારે આર્મીની મદદ માંગવામાં આવી ત્યારે આર્મી સાથે બી.એન.પી. અને જમાતના કાર્યકરોએ પણ ત્યાં પહોંચી મદદ કરી. બાંગ્લાદેશમાં રહેનારા હિંદુઓની હાલત ખૂબ જ ખરાબ છે, પણ સોશ્યલ મીડિયા પર આવનારા દરેક વીડિયોને માની લેવાની જરૂર નથી, કારણ કે ધ્રુવીકરણ કરનારાઓને અત્યારે લોકોની લાગણીઓ સાથે રમવાની મજા આવી ગઇ છે. હિંદુ ક્રિકેટરનું ઘર બાળવાના સમાચાર ખોટા છે – એ મુસલમાન ક્રિકેટર મશર્ફે મુર્તઝાનું ઘર હતું (તે આવામી લીગ સાથે જોડાયેલા ક્રિકેટર છે) તો એક ભડકે બળતા રેસ્ટોરાંને હિંદુ મંદિર કહીને પણ વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. ફેક ન્યૂઝને કારણે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની સ્થિતિ છે એના કરતાં બદતર બતાડાઇ છે. ભારતમાં થયેલું અપહરણ, બેંગલુરુમાં થયેલા માસ-રેપ અને એક મુસલમાન પરિવારની કતલને બાંગ્લાદેશમાં થયેલી હિંદુઓ સાથેની ઘટના તરીકે સોશ્યલ મીડિયા પર ચલાવવામાં આવ્યા અને લોકોએ માની લીધા. આવામી લીગના સભ્ય એવા એક સ્થળના મેયરને તળાવમાં પથ્થર મારીને મારવાના પ્રયાસને પણ હિંદુ પરિવારની સ્ત્રીઓના હુમલા તરીકે ખપાવવાનો પ્રયાસ કરાયો. બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવનારાઓ કરતાં વધારે જોખમી છે આ ડિજિટલ આતંકવાદીઓ જેની ખોટી માહિતીને પગલે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની હાલત છે એના કરતાં વધુ બદતર બનાવી દેશે. જો ખરેખર બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત આટલી ખરાબ હોત તો કેન્દ્ર સરકાર – ખાસ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એસ. જયશંકર ચૂપચાપ બેસી ન રહેત. સોશ્યલ મીડિયા પર ચાલનારી બાબતને ડિપ્લોમેટિક જુઠ્ઠાણું બનાવીને ચલાવવાની ભૂલ તો કેન્દ્ર સરકાર કોઇ કાળે નહીં કરે. સરકારને ટેકો આપનારા જમણેરીઓનો આગ ફેલાવવાનો ઉત્સાહ તેમને ભારે પડી શકે છે એ કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે. ભારતમાં બદલાની આગને ઉગ્ર કરવાની દાનતને કારણકે કટ્ટરવાદીઓ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ વિશે જે કહે તે માની ન લેવામાં જ સાર છે. વળી ભારત સરકાર જે આટલા લાંબા સમયથી શેખ હસીનાને ટેકો આપતી આવી છે તેણે અત્યારે બાંગ્લાદેશનું સુકાન સંભાળનાર બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક સરકારનો વિશ્વાસ જીતવો પડશે, એટલું જ નહીં તેમને ટેકો પણ આપવો પડશે.

અત્યારે મોહંમદ યુનૂસે જે સભ્યોની ટીમ બનાવીને બાંગ્લાદેશની સરકાર ચલાવવાનું નક્કી કર્યું છે તેમાં હિંદુ સલાહકાર પણ છે અને આદિવાસી સલાહકાર પણ છે. તેઓ ચિવટપૂર્વક લોકતાંત્રિક અને બિનસાંપ્રદાયિક રીતે પરિસ્થિતિ સંભાળવા માગે છે. મહમંદ યુનૂસે પોતાના વક્તવ્યમાં હિંસા અટકાવવા અને ખાસ કરીને હિંદુઓ સહિતની અન્ય લધુમતિઓને હાનિ ન પહોંચે એ માટે તાકીદ કરી છે.  આ ચોક્કસ એક હકારાત્મક બાબત છે પણ નક્કર લોકશાહી, કાયદો અને વ્યવસ્થા વિના બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સરળ નથી. વળી ભૂતકાળમાં વેસ્ટેડ પ્રોપર્ટી એક્ટ જેવા કાયદાઓને કારણે હિંદુઓ ત્યાં હેરાન પણ થયા છે. નવી સરકારે તટસ્થતાથી ધરમૂળથી બદલાવ કરવા પડશે. એક સમયે બાંગ્લાદેશની વસ્તીનો 30 ટકા હિસ્સો હિંદુઓ હતા અને હવે તે માત્ર 8 ટકા છે.

બાય ધી વેઃ

ભારતે શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલી દેવા જોઇએ. એમને માટે તો હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ છે તો પોતાનાં કર્મોનાં ફળ એમણે ભોગવવાં જ જોઇએ. ભારત તેમને લાંબો સમય આશરો આપશે તો ભારત-બાંગ્લાદેશના સંબંધો પર અસર પડવાની પૂરી શક્યતા છે. ત્યાંના હિંદુઓ કંઇ ભારત આવી જઇને અહીં ભળી જાય તો ચાલે એમ શક્ય નથી. આ કંઇ એવો વખત નથી કે સાકર જેમ દૂધમાં ભળી ગઇ વાળી વાર્તાની માફક બધું પાર પડી જાય. આપણો દેશમાં ઘણા પ્રશ્નો છે, સંકુલ સંજોગો છે અને તેમાં વસ્તીનો પ્રશ્ન સૌથી મોટો છે.  આ સંજોગોમાં ભારતે પાકિસ્તાન અને ચીનના પ્રભાવ સામે ટકી જઇ બાંગ્લાદેશના હિંદુઓને ત્યાંની વચગાળાની સરકાર સાચવી લે તે રીતે રાજદ્વારી સંબંધો વિકસાવવાની જરૂર છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2024

Loading

...102030...465466467468...480490500...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved