Opinion Magazine
Number of visits: 9557198
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિભાજીત ભારતની ભૂગોળને એક નકશે મુકનાર પ્રથમ માનવી – ફ્રાન્સિસ બુકાનન

લેખન સંકલન – યાત્રી બક્ષી|Opinion - Opinion|5 November 2024

કેડી કંડારનારા – ૮

ભારત ભૂમિની પ્રાકૃતિક સંપદા વિવિધ રાજ-રજવાડા-સામ્રાજ્યો વચ્ચે વહેંચાઈ ગયેલી હતી. આ વહેંચાઈ ગયેલા વૈભવ ને વેચવા એક વેપારી કંપની બ્રિટિશ રાજની છત્રછાયામાં વિધિવત સર્વેક્ષણો કરાવી રહી હતી. આપણે જોયું કે હજુ ૧૬મી-૧૭મી સદી સુધી જે કોઈ પશ્ચિમી જગતથી ભારત આવતા તેઓ ભલે આધિપત્ય જમાવતા પરંતુ સ્થાનિક માનવ સંપદા ને માત્ર નોકરશાહી ઢબે નહિ જ્ઞાનના ભંડાર તરીકે જોઈ શકતા. મલબારના પ્રકૃતિ વૈભવના દસ્તાવેજમાં તે પ્રતિબિંબ થાય છે. બીજી તરફ ભારતના રાજા-વજીરો-વેપારીઓમાં આ બાબતે સદંતર ઉદાસીનતા જોવા મળે છે-ક્યાં ય સખાવતોથી પ્રાકૃતિક સંપદા અને માનવ ઉપ્લબ્ધિઓને સાચવવા તરફની નોંધપાત્ર પહેલ જોવા મળતી નથી. કદાચ ક્યાંક દસ્તાવેજો હશે તો પણ તે વ્યક્તિગત સ્તરે પ્રાંતીય ભાષામાં નોંધ રૂપે ચોક્કસ હશે, પરંતુ પશ્ચિમી દુનિયાથી પ્રવેશેલા વેપારી કંપનીઓના જાણકારોને પોતે કામે રાખી પોતાની ભૂમિ વિશે અભ્યાસો વિશ્વ સમક્ષ મુકવાની ચેષ્ટા કોઈ ભારતીય રાજા કે શહેનશાહની દેખાતી નથી. જો કોઈ દસ્તાવેજ રૂપે હોય તો જરૂર તેને પ્રકાશમાં લાવવી જોઈએ.

ફ્રાન્સિસ બુકાનન

આવે સમયે યુરોપ ખંડ માં એકછત્રીય સત્તા જમાવી બેઠેલા બ્રિટિશ રાજ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વિધિવત સમગ્ર ભારતીય દ્વીપકલ્પ – જંબુદ્વિપની પ્રાકૃતિક સંપદા ઉપર અભ્યાસો શરૂ કરે છે. જેમાં સૌથી મહત્ત્વનું નામ આવે છે – ફ્રાન્સિસ બુકાનન – હેમિલ્ટન. આગળના લેખમાં એક વિદેશીના અણમોલ યોગદાનને જાણ્યું, આજે તેવા જ બીજા ‘બુકાનન – હેમિલ્ટન’ વિષે જાણીશું.

ક્યારેક જેમ સંઘર્ષમય બાળપણ અને જીવન સારી એવી માહિતી આપે છે તેમ સરળ અને સુખી બાળપણ ક્યારેક પ્રતિભાઓને સહાનુભૂતિ અને વાર્તાનું પાત્ર ત્યારે જ બનાવે છે છે જ્યારે તેની કોઇ ઉપલબ્ધિ અનિવાર્યપણે ઉલ્લેખનીય હોય. ૧૭૬૨માં જન્મેલા ફ્રાન્સિસ બુકાનનનું એ કૈક એવું જ છે.

ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટન તરીકે ઓળખાતા, એક સ્કોટિશ સર્જન, સર્વેયર અને વનસ્પતિશાસ્ત્રી હતા જેમણે ભારતમાં એમની ફરજ દરમયાન ભૂગોળશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. બુકાનન એક વ્યવસ્થિત પરિવાર, ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષિત કારકિર્દી ધરાવનાર અભ્યાસુ હતા. તેઓનું જીવન સરળ અને સતત પ્રગતિ ધરાવતું રહ્યું. ૧૭૮૩માં તેઓ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી મેડિસિનમાં અનુસ્નાતક થયા. અહીં એમનો થિસીસ ફેબ્રિસ ઈન્ટરમિટન્સ (મલેરિયા) પર હતો. તેઓ એડિનબર્ગમાં જહોન હોપ નીચે વનસ્પતિશાસ્ત્ર પણ ભણેલા કે જેઓ લિનિયસ પદ્ધતિથી વનસ્પતિશાસ્ત્ર ભણાવતા.

ત્યાર બાદ મર્ચન્ટ નેવીમાં એશિયાની સફર ખેડતા જહાજોમાં એક ચિકિત્સક સર્જન તરીકે સેવા આપી તેઓ બંગાળ પ્રેસિડેન્સીની તબીબી સેવામાં જોડાયા. તેઓ ઇન્સ્ટિટ્યૂશન ફોર પ્રમોટીંગ ધ નેચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના અધિક્ષક પણ હતા. અગાઉ નિમણૂક કરાયેલ સર્જનની બદલી તરીકે બર્માના અવા કિંગડમમાં રાજકીય મિશન માટે સર્જન નેચરલિસ્ટ તરીકે બુકાનનની તાલીમ આદર્શ હતી. અવા મિશન સી હોર્સ પર સફર કરીને કલકત્તા પાછા ફરતા પહેલા આંદામાન ટાપુઓ, પેગુ અને અવામાંથી પસાર થયું હતું. બુકાનનને બંગાળ મેડિકલ સર્વિસમાં ૧૮૯૪થી ૧૮૧૫ સુધી ફરજ બજાવવા મળી.

આ દરમ્યાન ૧૭૯૯માં, ટીપુ સુલતાનની હાર અને મૈસૂરના પતન થતા ભારતનો ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે મજબૂત ટક્કર આપતો આખરી સુલતાન અને સલ્તનત ઢેર થયા. અને બ્રિટિશ રાજ સમગ્ર ભારતનું દોહન કરવા સક્રિય થયું. આ સમયે બુકાનનને દક્ષિણ ભારતનું સર્વેક્ષણ કરવાનું કહેવામાં આવ્યું. પરિણામે મદ્રાસથી મૈસૂર, કેનેરા અને મલબાર(૧૮૦૭)ના પ્રદેશોમાંથી પ્રવાસ થયો. અંતિમ મૈસૂર યુદ્ધ પછી દક્ષિણ ભારતમાં તેમની ફરજની શરૂઆત બોટેનિકલ, કૃષિ અને પ્રાણીશાસ્ત્રીય માહિતી તેમ જ તેમના વિસ્તારમાં જોવા મળતી માટી અને કુદરતી સંસાધનો વિશેની જાણકારી એકત્ર કરવાના આદેશ સાથે કરી હતી.

બુકાનને તેના પ્રથમ સર્વેક્ષણમાં ‘શોધેલી વસ્તુઓમાંથી એક કેરળમાં મળી આવતી ‘લેટેરાઇટ સોઇલ’ હતી. બુકાનનને તેને “માટી” અથવા “માટી – જણાવી નોંધ્યું કે આ નરમ લાલ માટી જે હવા અને ગરમીના સંપર્કમાં આવવાથી સખત બને છે તે મકાન નિર્માણના હેતુઓ માટે આદર્શ છે, જે આ વિસ્તારમાં લાંબા સમયથી જાણીતી છે,: પરંતુ સૌ પ્રથમ વિશ્વ સમક્ષ એક માટીની લાક્ષણિકતા રેકોર્ડ કરવામાં આવી હતી અને તેને નામ આપવામાં આવ્યું હતું.

તેમણે બે સર્વેક્ષણો હાથ ધર્યા, પહેલો ૧૮૦૦માં મૈસૂરનો અને બીજો બંગાળનો ૧૮૦૭-૧૪માં. ૧૮૦૩થી ૧૮૦૪ સુધી, તેઓ કલકત્તામાં ભારતના ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીના સર્જન હતા, જ્યાં તેમણે એક પ્રાણી સંગ્રહાલયનું પણ આયોજન કર્યું હતું જે ભવિષ્યમાં કલકત્તા આલીપોર પ્રાણી સંગ્રહાલય બનવાનું હતું. ૧૮૦૪માં, તેઓ બેરકપુર ખાતે વેલેસ્લી દ્વારા સ્થાપિત ભારતના પ્રાકૃતિક ઇતિહાસને પ્રોત્સાહન આપવા માટેની સંસ્થાના પ્રભારી હતા. ૧૮૦૭થી ૧૮૧૪ સુધી, બંગાળ સરકારની સૂચનાઓ હેઠળ, તેમણે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારક્ષેત્રમાંના વિસ્તારોનું વ્યાપક સર્વેક્ષણ કર્યું. તેને ટોપોગ્રાફી, ઇતિહાસ, પ્રાચીન વસ્તુઓ, રહેવાસીઓની સ્થિતિ, ધર્મ, કુદરતી ઉત્પાદન ખાસ કરીને મત્સ્યોધોગ, જંગલો, ખાણો, કૃષિ – શાકભાજી, ઓજારો, ખાતર, પૂર, ઘરેલું પ્રાણીઓ, વાડ વિશે વિગતો નોંધવાનું કહેવામાં આવ્યું હતું. સર્વેમાં ખેતરો, અને જમીનની મિલકત, લલિત અને સામાન્ય કળા અને વાણિજ્ય, નિકાસ અને આયાત, વજન અને માપ અને માલસામાનની અવરજવર, વગેરે તમામ પાસાઓનો સમાવેશ થતો હતો. આ સર્વેમાં તેમની સાથે એક કુશળ વનસ્પતિ કલેક્ટર પણ હતા. યુનાઈટેડ કિંગડમની મુખ્ય લાઇબ્રેરીઓમાં સાચવેલ ગ્રંથોની શ્રેણીમાં, ભારતીય માછલીની પ્રજાતિઓ પર તેમણે કરેલ એક મહત્ત્વપૂર્ણ કાર્યનો સમાવેશ થાય છે, આ પ્રજાતિ ગંગા નદી અને તેની શાખાઓમાં જોવા મળે છે (૧૮૨૨), જે ૧૦૦થી વધુ પ્રજાતિઓનું વર્ણન કરે છે જેને અગાઉ વૈજ્ઞાનિક રીતે માન્યતા ન હતી. તેમણે આ પ્રદેશમાં ઘણા નવા છોડ પણ એકત્ર કર્યા અને તેનું વર્ણન કર્યું. ભારતીય અને નેપાળી, છોડ અને પ્રાણીઓનાં પાણીના રંગોની શ્રેણી એકત્રિત કરી, જે કદાચ ભારતીય કલાકારો દ્વારા દોરવામાં આવેલાં ચિત્રોમાં વપરાયા હતા. જે હવે લંડનની લિનિઅન સોસાયટીની લાઈબ્રેરીમાં છે.

૧૮૦૭થી ફ્રાન્સિસ બુકાનને ઉત્તર બંગાળ અને બિહારમાં અભ્યાસ પ્રવાસ હાથ ધરીને તેમના સૌથી યાદગાર સાહસની શરૂઆત કરી. તેમણે આ પ્રદેશના સર્વેક્ષણમાં સાત વર્ષ ગાળ્યાં. તેમના અહેવાલો આંકડાકીય, ભૌગોલિક અને વંશીય વર્ણનોના ઘણા ભાગોમાં ચાલ્યા, જેની હસ્તપ્રતો હવે બ્રિટિશ લાઈબ્રેરીના ઓરિએન્ટલ વિભાગમાં સચવાયેલી છે. તેમના અહેવાલોના કેટલાક ભાગો મરણોત્તર છાપવામાં આવ્યા છે. તેમણે બર્મા, ચટગાંવ, આંદામાન ટાપુ, નેપાળ અને ઉત્તર બંગાળ અને બિહારની શોધખોળ કરી અને આ વિસ્તારોની વનસ્પતિશાસ્ત્ર, ભૂગોળ, કૃષિ, અર્થતંત્ર, સામાજિક માહિતી અને સંસ્કૃતિનો વિગતવાર સર્વે કર્યો. આ સર્વેને આધારે ‘એન એકાઉન્ટ ઓફ ધ કિંગડમ ઓફ નેપાળ (૧૮૧૯)’ પણ તેમણે લખ્યું.

૧૮૦૭માં પૂર્વ ભારતના સર્વેક્ષણ માટે કોર્ટ ઓફ ડિરેકટર્સ દ્વારા બુકાનનને આપવામાં આવેલા નિર્દેશો ઉપર આદરેલા તેમના સઘન પ્રયાસો એક સુસંયોજિત, સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અને જિજ્ઞાસા મૂલ્ય સાથે હાથ ધરેલા અભ્યાસો તરીકે દેખાશે. બુકાનનને ટોપોગ્રાફી અને પ્રાકૃતિક સંસાધનો, મેદાનો, માટી, પર્વતો, નદીઓ, બંદરો, નગરો અને હવામાન સાથેના પેટાવિભાગો વિશે જાણ કરવા કહેવામાં આવ્યું હતું. આ તમામ તથ્યો સ્વતંત્ર ભારત દેશ માટે તે સમયના ભારતની ભૂભૌગોલિક પરિસ્થિતિ વિશેનો વિશાળ વૈજ્ઞાનિક ડેટાબેઝ પૂરો પડે છે. ૧૮૦૯ અને ૧૮૧૩ની વચ્ચે ફ્રાન્સિસ બુકાનનનું સર્વેક્ષણ કાર્ય ઓગણીસમી સદીની શરૂઆતમાં બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસના સૌથી વિગતવાર માહિતી સ્રોતોમાંના એક છે. તેઓ ૧૮૧૪માં કલકત્તા બોટેનિકલ ગાર્ડનના સુપરિન્ટેન્ડેન્ટ બન્યા, પરંતુ તેમની ખરાબ તબિયતને કારણે તેમને ૧૮૧૫માં બ્રિટન પાછા ફરવું પડ્યું.

બુકાનનએ ભારતમાં વનસ્પતિશાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ સંશોધન માટે વીસ વર્ષ સમર્પિત કર્યાં, અને તેમના આ કાર્યને કારણે ભારતીય વનસ્પતિશાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ પર સંખ્યાબંધ પેપર્સ અને પુસ્તકો પ્રકાશિત થયા. ત્યારબાદ ઇંગ્લેન્ડ પાછા ફર્યા પછી, તે તેનો મોટાભાગનો સમય વનસ્પતિશાસ્ત્ર પર વિતાવે છે. ૧૮૨૦માં તેણે તેના મિત્ર, જેમ્સ સ્મિથને લખ્યું હતું કે “મને વિજ્ઞાન માટે સૌથી વધુ ઉપયોગી લાગે છે તે કામ હોર્ટસ માલાબેરિકસ અને ફ્લોરા એમ્બોઇનેસિસ પર કોમેન્ટ્રી પ્રકાશિત કરવાનું છે” આ બંને ભારતમાં કાર્યરત યુરોપિયનોની અગાઉની પેઢીના વનસ્પતિશાસ્ત્રીઓનાં કામ છે.

જીવવિજ્ઞાનની શાખાઓમાં પ્રજાતિની શોધ કરનારનું સત્તાવાર નામ સંક્ષેપમાં નોંધવામાં આવે છે. આ રીતે ઘણી શોધમાં બુકાનનનું સંક્ષેપમાં નામ બુચ. હેમ. તરીકે જોવા મળે છે. તેમણે વર્ણવેલ છોડ અને પ્રાણીઓ પર તે લાગુ કરવામાં આવે છે, જો કે આજે સામાન્ય રીતે એકથિઓલોજીમાં (માછલીઓનું વિજ્ઞાન) જોવા મળે છે અને ‘ફિશબેઝ’ દ્વારા “હેમિલ્ટન, ૧૮૨૨” પસંદ કરવામાં આવે છે. હેમિલ્ટોન તેમનું ભારત છોડ્યા બાદ નું ઉપનામ હતું.

તેમના માનમાં જે ટેક્સન નામ આપવામાં આવ્યું છે તેમાંના કેટલાક જોઈએ તો સરિસૃપ શ્રેણીમાં – ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટનનું સ્મરણ દક્ષિણ એશિયાઈ કાચબાની એક પ્રજાતિના વૈજ્ઞાનિક નામ જીઓક્લેમીસ હેમિલ્ટોની (બ્લેક પોન્ડ ટર્ટલ – કાળા તળાવના કાચબા) તથા માછલીઓમાં થ્રીસા હેમિલ્ટોની, બર્મીઝ ગોબીએલ ટેનીયોઇડ્સ બુકાનન (ડે. ૧૮૭૩) નોટ્રોપિસ બુકાનન મીક (૧૮૯૬) સાઇલોરહિન્ચસ હેમિલ્ટોની કોનવે, ડિટ્ટમેર, જેઝીસેક અને એચ.એચ. એનજી, મુલેટ ક્રેનિમુગીલ બુકાનન (બ્લીકર ૧૮૫૩) મુલેટ સિકામુગીલ હેમિલ્ટોની (ફ્રાન્સિસ ડે ૧૮૭૦) રામા રામા – રામા બુકાનિન (બ્લીકેર ૧૮૬૩), બ્રહ્મપુત્રાની અતિવિશિષ્ટ માત્ર બ્રહ્મપુત્રામાં જ જોવા મળતી માછલી વગેરેનો સમાવેશ થાય છે. આમ લગભગ ૭૦ ટેક્સાના નામ ફ્રાન્સિસ બુકાનન સાથે જોડાયા છે.

બુકાનન પ્રાકૃતિક ઇતિહાસની બહાર વ્યાપક રુચિઓ ધરાવતા હતા. તેમણે તેમની મુલાકાત લીધેલી જમીનો અને લોકો વિશે માહિતીના વિશાળ સમૂહને એકત્ર કરવા માટે નિરીક્ષણ અને ઝીણવટભરી રેકોર્ડિંગ માટેની આગવી જન્મગત પ્રતિભાનો ઉપયોગ કર્યો હતો. જો કે, આમાંની મોટાભાગની માહિતી તેમના સર્વે અહેવાલો, જર્નલો અને અન્ય હસ્તપ્રતોમાં અપ્રકાશિત રહી છે, અને તેથી આ ક્ષેત્રો માટે જ્ઞાનના નિર્માણમાં તેમની ભૂમિકાની ઓછી પ્રશંસા કરવામાં આવી છે. આતુર અને સક્ષમ વનસ્પતિશાસ્ત્રી હોવા છતાં, કમનસીબે તેમની બહુવિધ વનસ્પતિશાસ્ત્રીય શોધો ખાસ પ્રચલિત નથી. આ વિષય પરની તેમની મોટાભાગની સામગ્રી આર્કાઇવલ સંગ્રહોમાં અપ્રકાશિત છે. આમાં તેના મૂળ રેકોર્ડ્સ અને કાર્યકારી નોંધોનો પણ સમાવેશ થાય છે. વિશેષ તો ક્ષેત્રીય સ્તરેથી એકત્ર કરવામાં આવેલી ’અઢળક માહિતીની નોંધો’ને સુવ્યવસ્થિત કરવાની પોતાની આગવી પદ્ધતિ અને તેના પ્રકાશન માટે કરવામાં આવેલી ગોઠવણો માટેની ’આંકડાકીય’ કોષ્ટકોનો ડેટા બેઝ ઊભો કરવાની પદ્ધતિઓ દર્શાવે છે. આ પણ એક અલગ વિષય તરીકે બહાર લાવવાની જરૂર છે કારણ કે તે સમયે ડેટા કમ્પાઇલેશન માટે કમ્પ્યુટર્સ નહોતા. નેપાળના છોડને વર્ગીકૃત કરવા માટે જૂસીયુની પ્રાકૃતિક પ્રણાલી સાથેના તેમના પ્રયોગો અને યુરોપ અને જાપાન સાથે નેપાળી વનસ્પતિના જૈવ-ભૌગોલિક જોડાણોની તેમની માન્યતા – બ્રિટન અને ભારતમાં તેમના સાથી દેશવાસીઓ એ બંને કરતાં આગળ છે તે નોંધપાત્ર છે. ફ્રાન્સિસ બુકાનનનું જીવન એક જીવનચરિત્રકારના ધ્યાનની રાહ જોઈ રહ્યું છે જે તેની ઘણી રુચિઓ, પ્રવૃત્તિઓ અને પ્રભાવોને ન્યાય આપી શકે છે.

પૂર્વગ્રહોથી દૂર રહી પૃથ્વી પર વિલસતી પારાવાર કુદરત ને સુગ્રથિત રીતે દસ્તાવેજીત કરનારા તરીકે કોઈ પણ માનવી ને જોઈએ ત્યારે આ તમામ કેડી કંડારનારાઓનું મહામૂલું યોગદાન સમજી શકાય છે.

paryavaran.santri@gmail.com
(સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો)
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 01 ઑક્ટોબર 2024; પૃ. 10 – 11 તેમ જ 23

Loading

વિનોબાજીની ફોટોબાયોગ્રાફી અને ગૌતમ બજાજ

સોનલ પરીખ|Gandhiana|5 November 2024

વર્ષ હતું ૧૯૫૧. વિનોબાજી ભૂદાનયાત્રા શરૂ કરવાના હતા. ૧૩ વર્ષનો એક કિશોર એમાં જોડાયો. એની માએ એને એક બોક્સ કેમેરા અને બે રોલ આપીને કહ્યું કે પદયાત્રા દરમ્યાન અગત્યનું જે કંઈ બને તેની તસવીરો લેતો રહેજે. એ વખતે કેમેરો ૧૯ રૂપિયાનો આવતો. રોલની કિંમત સવા બે રૂપિયા. સોનું ૧૦૦ રૂપિયે તોલો આવતું એ જમાનાની વાત.

૧,૩૫૦ કિલોમીટરની પદયાત્રા કરી અઢી મહિને દિલ્હી પહોંચ્યા. માના એક પરિચિતે રોલ ધોવડાવી આપ્યા અને ૨૦૦ રૂપિયાની કિંમતનો આગ્ફા ૩.૬ ફોલ્ડિંગ કેમેરો પણ અપાવ્યો. કિશોરને હતું કે થોડા મહિનામાં બધું પૂરું થશે, પણ પદયાત્રા ૧૩ વર્ષ ચાલી. પદયાત્રા પૂરી થઈ ત્યારે આ કિશોર ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. ત્યાર પછી એ જર્મની ભણવા ગયો. નાના ભાઈ અશોકે બધી બચત ખર્ચી પહેલા રોલિફ્લેક્સ કેમેરા અને પછી ૩૫ એમ.એમ. અશાઈ પેન્ટેક અપાવ્યો.

આ કિશોરનું નામ ગૌતમ બજાજ. એનાં માનું નામ અનસૂયા બજાજ. ગાંધીજી જેમને પોતાના પાંચમા પુત્ર કહેતા એ જમનાલાલ બજાજના પરિવારના અને સર્વોદય અગ્રણી રાધાકૃષ્ણ બજાજ તેના પિતા. ગૌતમ બજાજ પછી વિનોબાજીની સાથે જ રહી ગયા અને વિનોબાજીના જીવનના પડાવોને કચકડે મઢતા ગયા. વિનોબાજી ફોટોગ્રાફના વિરોધી, પણ ગૌતમભાઈને ફોટા પાડવા દે. વિનોબાજીનાં કાર્ય અને કાર્યક્રમોને એમણે ફોટોગ્રાફ દ્વારા જે રીતે જીવંત રાખ્યા છે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ઉપરાંત તેમણે વિનોબાજીનાં ભાષણોને પણ સંગ્રહિત કર્યા. વિનોબાજીએ સાધના કરવા માગતી સ્ત્રીઓ માટે પવનારમાં બ્રહ્મવિદ્યામંદિર આશ્રમ સ્થાપ્યો ત્યારે એના સંચાલક તરીકે

ગૌતમ બજાજ વિનોબાજી જોડે

ગૌતમભાઈને મૂક્યા. ગાંધી-પ્રેરિત રચનાત્મક કામોમાં ક્રાંતિ લાવવાની ગૌતમભાઈને હોંશ હતી. ખૂબ કામ પણ કર્યું અને એવોર્ડો-સન્માનો મેળવ્યાં. વિનોબાજી સ્ત્રી માટે ‘મહિલા’ શબ્દ વાપરતા. ગૌતમભાઈ જીવનભર શિક્ષણ દ્વારા સ્ત્રી-સશક્તિકરણના હિમાયતી રહ્યા. સ્ત્રી શીખે તો એ પોતે, એનાં બાળકો, એનો પરિવાર, સમાજ અને વિશ્વ બધાં ઊંચાં આવે. આજે ગૌતમ બજાજ જીવનના લગભગ સાડાઆઠ દાયકા વટાવી ચૂક્યા છે. હજુ પવનારનો આશ્રમ સંભાળે છે. એમના અવિરત કર્મના ફળ રૂપે પરમધામ પ્રકાશન દ્વારા ‘ફોટોબાયોગ્રાફી ઑફ આચાર્ય વિનોબા ભાવે’ નામનું સુંદર પુસ્તક પ્રગટ થયું છે. તો વાત કરીએ આ પુસ્તકની, વિનોબાજીની અને તેમની અદ્ભુત ભૂદાનયાત્રાની.

વિનોબાજીનો જન્મ ૧૮૯૫માં. ગાંધીજી કરતાં ૨૬ વર્ષ નાના. બ્રહ્મજિજ્ઞાસુ વિનોબાજી હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિની શોધમાં હતા. આ શોધ એમને ગાંધીજી સુધી લઈ ગઈ. ૧૯૧૬માં ૨૧ વર્ષની ઉંમરે સાબરમતી આશ્રમમાં જોડાયા. ૧૯૨૧માં ગાંધીજીએ એમને વર્ધા આશ્રમ સંભાળવા મોકલ્યા. પછીથી પવનાર એમની કર્મભૂમિ બન્યું. ગાંધીજીનાં બધાં રચનાત્મક કામો હાથ ધરી તપોમય જીવન જીવ્યા. અધ્યયન અને અધ્યાપનના ફળસ્વરૂપે ‘ઉપનિષદોનો અભ્યાસ’, ‘ગીતા પ્રવચનો’, ‘ગીતા-પદાર્થ-કોશ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’, ‘સ્વરાજ્ય-શાસ્ત્ર’ વગેરે સાહિત્યનું નિર્માણ થયું. ગીતામાંથી શંકરાચાર્યે જ્ઞાનયોગ, જ્ઞાનદેવે ભક્તિયોગ, તિલક મહારાજે કર્મયોગ તો વિનોબાએ એ ત્રણેયના સમન્વયરૂપ સામ્યયોગ આપ્યો. કહેતા, ‘મને ધ્યાનમાર્ગ બહુ આકર્ષતો. પણ ગીતાએ મને કર્મમાર્ગ તરફ આકર્ષિત કર્યો. ગાંધીજીએ આ બંનેને એક કરવાનું શીખવ્યું.’

એમનાં કામો આધ્યાત્મિક, બૌદ્ધિક અને રચનાત્મક રહ્યાં, જેના ટોચકળશરૂપ હતું ૧૯૫૧માં આરંભેલું ભૂદાનકાર્ય. અઢારમી એપ્રિલે પ્રથમ ૧૦૦ એકર જમીન ગરીબોમાં વહેંચવા દાનમાં મળી અને બીજા દિવસથી ભૂદાનયજ્ઞ આંદોલન માટે વિનોબાની પદયાત્રા શરૂ થઈ. પહેલા વર્ષે એકલા ચાલ્યા – ‘ટાગોર કહેતા, “ઓ રે અભાગી, એકલો જા ને રે” હું કહું છું, “ઓ રે સુભાગી, એકલો જા ને.” એ વર્ષે એમને એક લાખ એકર જમીન મળી હતી. ૧૩ વર્ષની પદયાત્રાના પરિણામે ૫૦ લાખ એકર જમીન મળી, તેમાંની ૩૨ લાખ એકર જમીનનું ગરીબોમાં વિતરણ થયું. પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા થઈ શકે એટલી લાંબી એ પદયાત્રા થઈ. ‘ચાલું છું તેથી લોકો સુધી પહોંચું છું. લોકો વિશ્વાસ કરે છે. ખૂલે છે. તેમનામાંનો એક ગણે છે.’ વરસાદ હોય કે આગઝરતી લૂ કે બરફ – એમના પગને કશું અટકાવી ન શકતું.

વિનોબાજી કહેતા, ‘વિચારોના ઊંડા અને ગહન અભ્યાસ વિના કશું સિદ્ધ થતું નથી.’ પદયાત્રાઓને લીધે ગાંધીવિચારનો એક સુવ્યવસ્થિત પિંડ બંધાયો. ચંબલના બહારવટિયાઓનું હૃદય-પરિવર્તન થયું. એમણે વિનોબાજીને ચરણે શસ્ત્રસમર્પણ કરી સ્વેચ્છાએ સજા ભોગવી. ‘ડાકુઓના પરિવર્તને મને બદલી નાખ્યો છે. હું વધારે કોમળ બન્યો છું.’ ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા. દેશના જુદા જુદા ભાગોમાં છ આશ્રમોની રચના થઈ. ‘હું ભૂદાન કે ગ્રામદાન કે આશ્રમો વગેરે માટે કામ કરતો નથી. હું જે કરું છું તે આત્મસાક્ષાત્કાર અને ઈશ્વરસાક્ષાત્કાર માટે કરું છું.’

જૂન ૧૯૬૬માં વિનોબાએ સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશવાની જાહેરાત કરી. પચાસ વર્ષ પૂર્વે, આ જ દિવસે એ ગાંધીજીને પહેલવહેલા મળેલા. એમના આદેશ પ્રમાણે ૫૦ વર્ષ સુધી આચરેલો કર્મયોગ ગાંધીજીને સમર્પિત કરી એ સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશ્યા. તે પછી ચાર વર્ષે જૂન ૧૯૭૦ના દિવસે ‘સૂક્ષ્મતર કર્મયોગ’નો આરંભ થયો. ઑક્ટોબર ૧૯૭૦માં વિનોબાએ ક્ષેત્રસંન્યાસનો નિર્ણય કર્યો. નવેમ્બર ૧૯૮૨માં તેમને હૃદયરોગનો હુમલો થયો. ખૂબ કાળજીભરી સારવારથી ચાર દિવસ પછી તેમની તબિયતમાં સુધારો થયો અને ડૉક્ટરોએ તેમને ભયમુક્ત જાહેર કર્યા. પણ તે જ દિવસથી વિનોબાએ દવા, પાણી, ખોરાક લેવાનું બંધ કર્યું. અગિયાર દિવસ બાદ તદ્દન સહજ રીતે એમનું નિધન થયું.

ગાંધીજીએ એક વખત એમના સાથી એન્ડ્રુઝને કહેલું કે વિનોબા આશ્રમનાં દુર્લભ રત્નોમાંના એક છે. ૧૯૪૦માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી ત્યારે પહેલા સત્યાગ્રહી તરીકે વિનોબાજીને પસંદ કર્યા – ‘બીજા કામોમાંથી મુક્ત થઈ શકો તો આવો. વ્યક્તિગત સત્યાગ્રહ કરવા ધાર્યું છે.’ તરત વિનોબાએ સંદેશ મોકલ્યો.’ ‘તમારું તેડું એટલે યમદૂતનું તેડું. આવું છું.’ અને વિનોબાજી તરત પહોંચી ગયા. આવો એમનો સંબંધ હતો.

‘ફોટોબાયોગ્રાફી ઑફ આચાર્ય વિનોબા ભાવે’ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં અનેક દુર્લભ ફોટોગ્રાફ છે. આ તમામ ફોટોગ્રાફ સાથે વિનોબાજીના શબ્દોમાં જ એને લગતા વિચારો કે અનુભવો મુકેલા છે. તેનું સંકલન બ્રહ્મવિદ્યામંદિરનાં વિદ્વાન સાધિકા ઉષાબહેને કર્યું છે.

પુસ્તકમાંના મોટા ભાગના ફોટોગ્રાફ ૧૯૫૧-૫૨ વચ્ચેના છે. કોઈને નેગેટિવ આપી હોય કે રોલ ધોવા આપ્યા હોય એવી અમુક અગત્યની તસવીરો ખોવાઈ પણ ગઈ. પછી નેગેટિવ કોઈને ન આપતા. ફિલ્મ ડેવલપ કરી માને મોકલી આપે. મા સાચવી રાખતાં. થોડા ફોટા કનુ ગાંધી અને મોહન પરીખ પાસેથી મેળવ્યા. ત્રણ વિભાગમાં ફોટા વહેંચ્યા છે : બાળપણ, ભૂદાનયાત્રા, બ્રહ્મવિદ્યામંદિર.

વિનોબાજીનો મંત્ર હતો ‘જય જગત’. આ મંત્ર એમને ૧૯૫૭માં કર્ણાટકમાં મળેલો. ૧૯૪૦માં આપણે બોલતા હતા, “જય હિંદ” હવે બોલવાનું છે “જય જગત” કોઈ એક દેશ માટે ગર્વ ન કરો. કોઈ એક ધર્મને ન અનુસરો. કોઈ એક જ્ઞાતિમાં ન રહો. આખું વિશ્વ તમારા અભ્યાસ માટે વિસ્તરેલું છે. ઉત્તમ વિચારોને અપનાવો અને વહેતા મૂકો. વિશ્વમાં પ્રવર્તતી વિવિધતાઓને આદરથી જોવી અને સંવાદિતા-સહયોગ વડે એક વૈશ્વિક દૃષ્ટિ વિકસાવવી એ આપણી શોધ, આપણી તરસ હોવી જોઈએ.’ ‘જે ગાય ચારે છે પણ દૂધ નથી પામતો, વાડીમાં કામ કરે છે પણ ફળ ચાખ્યાં નથી, ખેતરમાં મજૂરી કરે છે પણ ભૂખ્યો રહે છે, જેના માથે છાપરું નથી, જેના પગ નીચે પોતાની જમીન નથી એ અભાગી મારો ઈશ્વર છે.’ ‘મુક્ત મન આકાશ જેવું હોય છે. એમાં બધું જ સમાઈ જાય, છતાં એ ખાલી હોય, દરેકને જગ્યા આપે છતાં પોતે અસ્પર્શ્ય રહે.’

સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 01 ઑક્ટોબર 2024; પૃ. 18 તેમ જ 19

Loading

સંસ્કાર

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|5 November 2024

વરંડાના હીંચકા પર બેઠી બેઠી નેહા વિચારી રહી હતી કે, ઉમેશની બદલીને કારણે આ અંતરિયાળ ગામડામાં આવવું પડ્યું. બાકી આવા દિવસોમાં સાસરી કે પિયરનું કોઈ સ્વજન તો મારી પાસે હોવું જોઈએ ને? એ ઘણીવાર ઉમેશને ફરિયાદ કરતી, તમે તો સવારે વહેલા ઘરેથી નીકળી જાવ તે છેક રાત્રે નવ-સાડા નવે આવો. આખો દિવસ એકલી એકલી શું કરું? જેની સાથે બે વાત કરી શકાય એવું ય કોઈ અહીં નથી!

 હું સમજું છું, પણ હમણાં જ બદલી થઈ છે એટલે બધું નવેસરથી સમજવું પડે એમ છે. મોડું તો થઈ જ જશે. તારે જમીને સૂઈ જવું. મારી પાસે ડુપ્લીકેટ ચાવી તો છે જ.

અચાનક ઝાંપાનો દરવાજો ખખડ્યો ને સાથે જ અવાજ આવ્યો, આવું કે? ઘણા દિવસથી વિચારતી હતી કે, આ નવાં રહેવા આવ્યાં છે તે કંઈ કામકાજ હોય તો પૂછું. નેહા આશ્ચર્યથી સિત્તેરેકની લાગતી અજાણી સ્ત્રીને જોઈ રહી. ગોળમટોળ ચહેરો, હોઠો પર હાસ્ય ને પ્રેમ નીતરતી આંખો. શરીર પર એક્કે સૌભાગ્યનું ચિહ્ન નહીં.

આવોને આજી, પણ મેં તમને ઓળખ્યાં નહીં.

ક્યાંથી ઓળખે? આ ગામમાં તમે નવાં છો. બોલતાં આમંત્રણની રાહ જોયા વિના આજી નેહાની બાજુમાં હીંચકા પર ગોઠવાયાં.

હું તમારે માટે પાણી લાવું. નેહા ઊભી થવા જતી હતી પણ આજીએ હાથ પકડીને એને બેસાડી દીધી. એમના સ્પર્શમાં એવું કંઈક હતું કે, એકી ઝાટકે વચ્ચેથી અજાણપણાની દીવાલ ખસી ગઈ. નેહાનાં ઉપસેલા ઉદર તરફ જોઈ એમણે પૂછ્યું, કેટલામો ચાલે છે? સાતમો પૂરો થવાની તૈયારીમાં છે. હવે એકદમ સાચવજે. હમણાં ફટાક કરતી ઊભી થઈને, એમ નહીં, હળવેથી ઊઠ-બેસ કરવાની. કંઈપણ ખાવા-પીવાની ઈચ્છા થાય તો કહેજે. અહીંયા ભલે તારું બીજું કોઈ ન હોય, આ આજી તો છે હં!

નેહાને માથે હાથ ફેરવતાં આજી એવી રીતે બોલ્યાં કે, એનું મન ભરાઈ આવ્યું. આંખમાં આવેલાં આંસું છુપાવતાં એણે કહ્યું, ચા પીને જજો હં! મારી પણ મૂકું જ છું. ના રે બાઈ, મારે ચા નથી પીવી. પીને જ આવી છું. ચાલ ત્યારે હું જાઉં. રાત્રે ઉમેશ આવ્યો ત્યારે નેહા એટલી ખુશ હતી કે, એને ભેટી પડી.

શું વાત છે? આજે આટલી બધી મહેરબાની કેમ?

નેહાએ આજીની વાત કરી એ સાંભળીને ઉમેશને રાહત થઈ. ‘ચાલો, કોઈ તો નેહાને જોવા વાળું મળ્યું!’

થોડા પરિચય પછી આજીએ એક વખત ઉમેશને સપાટામાં લીધો,

બેજીવ સોતી પત્ની ઘરમાં એકલી હોય ત્યારે તમારે વહેલા આવી જવું જોઈએ જમાઈરાજ! કામ તો કાયમનું છે.

નેહાને નવાઈ લાગતી કે, હજી ગઈકાલ સુધી જેની સાથે કંઈ ઓળખાણ નહોતી એ સ્ત્રી આજે ઘરના સભ્ય જેવી શી રીતે થઈ ગઈ? આજી જ્યારે આવે ત્યારે એને માટે ખાટું અથાણું, કે તાજો બનાવેલો નાસ્તો લઈને આવતાં. નેહા પણ એ ડબ્બામાં ઘરમાં જે હોય એ મૂકીને એમના હાથમાં આપતી, આજી, આજે પૂરણપોળી બનાવી છે, ખાઈને કહેજો, કેવી બની છે?

આજી, મેં પહેલીવાર જ મારે હાથે ગુલાબજાંબુ બનાવ્યાં છે. ડબ્બામાં આપું કે, અહીં જ ખાશો?

દર વખતે એમનો એક જ જવાબ હોય, ના રે બેટા, હવે આ ઉંમરે પચતું નથી. ભારે વસ્તુ હું ખાઈ જ નથી શકતી. આજ સુધી આજીએ નેહાનાં ઘરનું ખાવાનું તો દૂર, પણ એના ગોળાનું પાણી પણ નહોતું પીધું. સોફા પર આડા પડ્યાં પડ્યાં નેહાને વિચાર આવ્યો, ‘મારા આવ્યા પહેલાં જ આજીને મારી જાત વિશે ખબર પડી ગઈ લાગે છે. ભલે ઉમેશ સાથે લગ્ન થયાં પણ આ ‘નીચી જાતિ’નું લેબલ મારો પીછો છોડતું નથી. બીજા બધાં કરતાં હું આજીને જુદાં માનતી હતી પણ એ પણ એવાં જ નીકળ્યાં.

બેટા, કેમ આજે કટાણે સૂતી છે? તબિયત તો બરાબર છે ને? કહેતાં આજી આવ્યાં ત્યારે નેહાનાં મનમાં વિચારોનું ઘમસાણ મચેલું હતું.

આજી, તમે મારા ઘરનું ખાવા-પીવાનું કેમ ટાળો છો એ હું આજે મોડી મોડી પણ સમજી છું. જો તમે મારાથી અભડાઈ જતાં હો તો મહેરબાની કરીને હવેથી મારે ઉંબરો ન ચડશો. આજી સ્તબ્ધ થઈ ગયાં. આભડછેટ? ને તારી? અરે દીકરા, આખી જિંદગી જેણે પોતે જ વિધવા હોવાની આભડછેટ અને તિરસ્કાર વેઠ્યાં હોય એ તારાથી શું અભડાવાની? નેહાને ઉતાવળ કરવા બદલ પસ્તાવો થયો. એટલે? એણે પૂછ્યું.

આઠ વરસની હતી ત્યારે બાપે પરણાવી દીધી અને હજી તો વર કોને કહેવાય એ સમજું એ પહેલાં કપાળેથી કંકુ ભુંસાયું. ત્યારથી બધા માટે હું અભાગણી ને અપશુકનિયાળ થઈ ગઈ. વિધવા થઈ પછી મારી સગી માએ પણ મારા શરીરે હાથ નથી ફેરવ્યો. કોઈ સ્ત્રીએ પોતાનું બાળક મારા ખોળામાં આજ દિવસ સુધી નથી મૂક્યું. મને હતું કે, હું તારાં સંતાનને નવડાવીશ, માલીશ કરીશ, રમાડીશ ને જીવનમાં પહેલી વાર ખરેખરી આજી હોવાનો લહાવો લઈશ. માવતર દીકરીના ઘરનું ખાય-પીએ તો એનું અહિત થાય એવા સંસ્કાર પડ્યા હોવાને કારણે જ હું … એમની આંખો ચોધાર વહેવા લાગી. નેહા જોરથી એમને વીંટળાઈ વળી અને કહેવા લાગી, આ નાદાન દીકરીને માફ નહીં કરો, આજી? મારી મુરખાઈને લીધે મેં તમને દુભવ્યાં પણ અત્યારથી કહી રાખું છું કે, મારાં બાળકનું બધું તમારે જ કરવાનું છે. મને તો કશું આવડતું નથી.

અરે છોડ મને! આટલી જોરથી ભેટે છે તે આ ઘરડી બાઈ પડશે ને હાડકાં ભાંગશે તો તારી સુવાવડ કોણ કરશે? બેઉ એકમેકનો હાથ પકડીને હીંચકા પર બેઠાં ત્યારે આજી બોલ્યાં, કોઈ આપણને બાથમાં લે ત્યારે કેટલું સુખ મળે એ આજે પહેલી વાર મને ખબર પડી. ચાલ, ત્યારે જાઉં? ને હા, કાલે ફરી પાછી ગુલાબજાંબુ બનાવજે. આપણે સાથે બેસીને ખાશું.

પછી જોરથી હસીને કહ્યું, પેલા સંસ્કાર ગયા તેલ લેવા. બરાબરને?

(સરિતા પવારની મરાઠી વાર્તાને આધારે)        
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 01 ઑક્ટોબર 2024; પૃ. 24

Loading

...102030...457458459460...470480490...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved