Opinion Magazine
Number of visits: 9457003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિર્દોષની પીડાનો સત્તાના રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 August 2024

રમેશ ઓઝા

કોલકતા બળાત્કાર અને હત્યા પ્રકરણની વાતે ઊહાપોહ થઈ રહ્યો છે ત્યારે ૨૦૧૨ની નિર્ભયા સાથે બનેલી ઘટના યાદ આવે છે. ત્યારે પણ આવો જ ઊહાપોહ થયો હતો, લોકો રસ્તા પર ઉતર્યા હતા, કેન્ડલ માર્ચ નીકળી હતી, સંસદમાં થોડી વેદના અને વધુ અવસરના રાજકારણને ધ્યાનમાં રાખીને ચર્ચા થઈ હતી, આકારાં પગલાં લેવાની અને આવા નરાધમ ગુનેગારો બીજી વાર આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહીં એવા કાયદા ઘડવાની, કાયદામાં સુધારા કરવાની અને કાયદાના અમલની ચુસ્ત વ્યવસ્થા કરવાની બાયંધરી આપવામાં આવી હતી. આ વાત ૨૦૧૨ની સાલની છે.

૧૨ વરસ પછી ૨૦૨૪ની સાલમાં સર્વોચ્ચ અદાલતે ગ્લાનિગ્રસ્ત અવસ્થામાં કોલકતાની ઘટનાને સામે ચાલીને સાંભળવાનું શરૂ કર્યું છે. સારી વાત છે, સંવેદનશીલતા અને સહાનુભૂતિ માટે આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો આભાર માનવો જોઈએ. પણ વિડંબના જુઓ! નિર્ભયા ઘટના બની એ પછી ૧૨ વરસે સર્વોચ્ચ અદાલતના જજોએ ગુરુવારે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે કોલકતાની પોલીસે અકુદરતી મૃત્યુની ઘટનાની તપાસ કરતી વખતે ભારતીય દંડસંહિતામાં જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તેનું પાલન કર્યું નહોતું. આવી ઘટનાની તપાસ કરવામાં કેવી કેવી ખબરદારી રાખવી જોઈએ એ વિષે એમાં નિર્દેશો આપવામાં આવ્યા છે. વારુ, તો પછી ૧૨ વરસ પહેલાં જે સંકલ્પો કરવામાં આવ્યા હતા તેનું શું થયું? એ શું પ્રજાના રોશને શાંત પાડવા માટેના હતા? શુદ્ધ છેતરપિંડી હતી? એટલી બુદ્ધિ તો બાળક પણ ધરાવે છે કે સંકલ્પ પૂરા કરવા હોય તો એ માટે પ્રયત્ન કરવા પડે. બાર વરસ અને કશું જ નહીં? ફરી એ જ ઘટના અને એ જ વાત જે બાર વરસ પહેલાં બની હતી અને કહેવાઈ હતી? હવે ફરીવાર એ જ સંકલ્પ કરવામાં આવશે જે બાર વરસ પહેલાં કરવામાં આવ્યો હતો.

૧૨ વરસમાં નિર્ભયા જેવી, એટલે કે સ્ત્રી સાથેના દુર્વ્યવહારની એક બે નહીં, પંદર-વીસ ઘટનાઓ બની છે. હું મોટી ઘટનાઓની વાત કરી રહ્યો છું જેના વિષે વાત થઈ હોય, છાપે ચડી હોય. જે નજરમાં ન આવી હોય એવી તો બીજી સેંકડો ઘટનાઓ બની હશે. આમાંની એક ઘટના તો સર્વોચ્ચ અદાલતના પવિત્ર ન્યાયમંદિરમાં બની હતી. ઘટના એપ્રિલ ૨૦૧૯ની છે જ્યારે રાજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. હા, એ જ રાજન ગોગોઈ જેણે સરકારને અનુકૂળ ચુકાદાઓ આપીને રાજ્યસભાની સદસ્યતાનો સોદો કર્યો હતો. અત્યારે તેઓ રાજ્યસભામાં બિરાજે છે અને રાજ્યસભામાં એ મહાશયે સરકારની તરફેણમાં કહ્યું હતું કે બંધારણના મૂળભૂત ઢાંચામાં પરિવર્તન કરવાનો સંસદને અધિકાર છે. દેશનો એક સમયનો મુખ્ય ન્યાયમૂર્તિ બંધારણને વફાદાર નથી, ફાયદા કરાવનારા પક્ષને વફાદાર છે. આવા માણસ પાસેથી ન્યાયની અપેક્ષા રખાય? અને એવું જ બન્યું.

એપ્રિલ ૨૦૧૯ની સાલમાં સર્વોચ્ચ અદાલતમાં નોકરી કરતી એક યુવતીએ ન્યાયમૂર્તિ ગોગોઈ સામે આરોપ કર્યો હતો કે તેઓ તેની સાથે છેડતી કરે છે, નજીક લેવા અભદ્ર પ્રયત્નો કરે છે અને હું જ્યારે પ્રતિસાદ નહોતી આપતી ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈ મને અને મારાં પરિવારને ધમકાવે છે, સતાવે છે. એ સ્ત્રીએ સોગંદનામું કરીને આવા આક્ષેપો કર્યા હતા. કોલકતાની પોલીસે તપાસ કરવામાં દક્ષતા નથી દાખવી, પણ ઢીલ કરી છે એમ કહેનારા ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ ત્યારે પણ સર્વોચ્ચ અદાલતમાં હતા. સર્વોચ્ચ અદાલતમાં તેમની નિયુક્તિ ૨૦૧૬માં થઈ હતી. કહેવાની જરૂર નથી કે કોઈ પ્રકારની તપાસ થઈ નહોતી. વિશાખા જોગવાઈ મુજબ આંતરિક તપાસ પણ થઈ નહોતી. એ સ્ત્રીને એટલી હદે સતાવવામાં આવી હતી કે ડરીને તેણે સર્વોચ્ચ અદાલતની નોકરી છોડી દીધી હતી. અને થોભો, ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ સહિત કોઈ ન્યાયમૂર્તિ ન્યાયના મંદીરમાં ન્યાયનું કાસળ કાઢવામાં આવી રહ્યું છે એ વિષે એક હરફ સુધા બોલ્યા નહોતા. જેણે પોતાની સહાયક તરીકે કામ કરતી સ્ત્રી સાથે કહેવાતો દુર્વ્યવહાર કર્યો હતો એ હજુ વધુ ન્યાયનું કાસળ કાઢીને રાજ્યસભામાં જવાનો હતો. શું એ સ્ત્રી એક તપાસની પણ મોહતાજ નહોતી ચન્દ્રચૂડ સાહેબ? સ્ત્રીની આબરુની કિંમત કોડીની અને એ પણ દેશના સર્વોચ્ચ ન્યાયમંદીરમાં? ખોટી હતી તો દંડ કરવો હતો, પણ આંખ બંધ કરી દેવાની? અકળાવનારી ખામોશી!

આ દેશમાં કાયદાના રાજની સ્થિતિ આવી છે. સર્વોચ્ચ અદાલતમાં કાયદાનું રાજ ન હોય ત્યાં બીજે શું અપેક્ષા રાખવાની! કોલકતા કેસની તપાસ હવે સી.બી.આઈ. કરી રહી છે અને સી.બી.આઈ.ના વકીલે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું છે કે ઘટનાના પાંચમાં દિવસે જ્યારે સી.બી.આઈ.ના હાથમાં કેસ આવ્યો ત્યાં સુધીમાં તો કોલકતાની પોલીસે ઘણું બધું ફેરવી નાખ્યું હતું. સી.બી.આઈ. જે કહે છે એમ જ બન્યું હશે, પણ મુદ્દો એ છે કે આવું હવે પછી નહીં બને અને કોઈ પાપીને છોડવામાં નહીં આવે અને છૂટી પણ નહીં શકે એવું જે ૨૦૧૨માં કહેવામાં આવ્યું હતું એનું શું? એક પક્ષ બીજા પક્ષ પર અને એક એજન્સી બીજી એજન્સી પર આરોપ કરે એવું તો ૨૦૧૨ પહેલાં પણ બનતું હતું. બધું જ એવું ને એવું જ છે, બલકે વણસ્યું છે.

હમણાં મેં કહ્યું કે છેલ્લા બાર વરસમાં બળાત્કારની અને બળાત્કાર પછી હત્યાઓની બારેક ઘટનાઓ બની છે. દરેક વખતે ઊહાપોહ કરનારાઓ બહાર નથી નીકળતા. પહેલવાન છોકરીઓને કેન્દ્રીય પ્રધાન છેડતો હતો, છોકરીઓએ ધરણાં કર્યાં, પણ કોઈનું દિલ દુભાયું નહોતું. ‘કાશ્મીર ફાઈલ્સ’ જોઇને માંહ્યલો વલોવાઈ જાય, પણ પહેલવાન છોકરીઓનાં દર્દથી માંહ્યલો ન વલોવાય પછી ભલે એ છોકરીઓ હિંદુ હોય! કાશ્મીરમાં કઠુઆમાં માત્ર આઠ વરસની મુસ્લિમ બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બને ત્યારે કોઈનો માહ્યલો નહોતો રડ્યો. એ ઘટના ૨૦૧૮માં બની હતી. ૨૦૨૨માં બરાબર ૧૫મી ઓગસ્ટે આઝાદીના દિવસે  બિલ્કીસબાનુ પર બળાત્કાર કરનારા ગુનેગારો(આરોપી નહીં, ગુનો સાબિત થઈ ચુક્યો હોય અને સજા ભોગવતા હોય એવા ગુનેગારો)ને આઝાદ કરવામાં આવ્યા ત્યારે કોઈનો અંતરાત્મા નહોતો દુભાયો. ચાહી કરીને આઝાદીના દિવસે હિંદુ બળાત્કારીઓને આઝાદ કરવામાં આવ્યા. એમ બતાવવા માટે કે દેશમાં હિંદુઓનું રાજ છે જેમાં બળાત્કારી હિંદુ જો તેણે કરેલા ગુનાનો શિકાર મુસ્લિમ હોય તો આઝાદ ફરવાનો અધિકારી છે. આવા તો બીજા એક ડઝન કિસ્સા ટાંકી શકું એમ છું. ઉન્નાવ, હાથરસ વગેરે યાદ હશે.

ક્યારેક અંતરાત્મા દુભાય અને ક્યારેક જરા ય ન દુભાય. ૨૦૧૨માં નિર્ભયાની ઘટનામાં જબરદસ્ત આઘાત લાગ્યો પણ એ પછી એનાં કરતાં પણ બર્બર ઘટનાઓ બની પણ આઘાત ન લાગ્યો. કોલકતાની ઘટના પછી પીડાનો અનુભવ થવા લાગ્યો હતો, પણ મહારાષ્ટ્રમાં બદલાપુરમાં યૌનશોષણની લગભગ એવી જ શરમજનક ઘટના બની એટલે પીડાનું શમન થવા લાગ્યું. પીડાને પાંખ પણ હોય છે. જગાડ્યા પછી પીડા અન્યત્ર પહોંચે તો! બંગાળ અને મહારાષ્ટ્રમાં સરકાર અલગ અલગ પક્ષ કે મોરચાની છે.

તો મુદ્દા બે છે. એક તો નિર્દોષની પીડાનો સત્તાના રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે અને બીજો મુદ્દો એ કે પીડાજનક ઘટના ન બને એ રીતનું કાયદાનું રાજ અમર તપે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. વ્યવસ્થા બદતર થતી જાય છે. સર્વોચ્ચ અદાલતમાં કામ કરતી યુવતીને ન્યાય ન મળે ત્યાં બીજાને ન્યાય મળે એની શું અપેક્ષા રાખવાની! આ તો જરાક સંકડામણ પેદા થાય ત્યારે તેમાંથી છૂટવા કાયદાના રાજ માટે પોકાર કરવો જોઈએ એટલું જ. દસ વરસ પછી કોઈ બીજો મુખ્ય ન્યાયમૂર્તિ ખરખરો કરશે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑગસ્ટ 2024

Loading

સાબરમતી આશ્રમ સ્મારકના મૂકસેવકની વિદાય

કિરણ કાપુરે|Gandhiana|24 August 2024

અમૃતભાઈ મોદી

ગાંધીવારસાના ધરોહરરૂપ ‘સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ’[સાબરમતી આશ્રમ સ્મારક]નું જતન કરનારા અમૃતભાઈ મોદીનું ૨૫ જૂન, ૨૦૨૪ના રોજ ૯૧ વર્ષની વયે અવસાન થયું. અમૃતભાઈ મોદી પાછલાં પચાસ વર્ષથી મંત્રી તરીકે સાબરમતી આશ્રમના સ્મારકની ધુરા સંભાળી રહ્યા હતા. અમૃતભાઈ સાબરમતી આશ્રમ સ્મારકમાં સૌ કોઈને પ્રેમપૂર્વક આવકારતા અને ગાંધીવિચારને છાજે એ રીતે તેમણે તેનું સંચાલન કર્યું હતું. દેશ-વિદેશના પ્રમુખ હોય, મહાનુભાવ કે પછી કોઈ અભ્યાસી; પ્રવાસી હોય કે શહેરના સામાન્યજન અમૃતભાઈ સૌ પ્રત્યે એક સરીખો ભાવ ધરાવતા. તેમનો પ્રેમ સૌ પર વરસતો.

અમૃતભાઈ સાબરમતી આશ્રમ સ્મારકને જસનો તસ સાચવી શક્યા તે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આશ્રમ સ્મારક હવે નવનિર્માણ માટે તૈયાર થઈ રહ્યો છે અને તેમાં આવનારાં પરિવર્તન ગાંધીજીના આશ્રમ સ્મારકના ખ્યાલને છાજે એવાં હોય કે ન હોય; પરંતુ અમૃતભાઈ એ બાબતે ખાસ્સી દૃઢતા રાખી શક્યા કે ગાંધીજીની ધરોહર જેવી છે તેવી રહેવી જોઈએ. સરકારની એક યોજનાથી આશ્રમ નવનિર્માણ પામશે, તે પ્રકારના પ્રસ્તાવ અગાઉ સાબરમતી આશ્રમ સ્મારકના મંત્રી તરીકે તેમની સમક્ષ પણ આવ્યા. હૃદયકુંજ અને પ્રાર્થનાભૂમિને આરસના પથ્થર નાંખવા સુધીના; પણ પ્રસ્તાવ મૂકનારનો અનાદર કર્યા વિના તેમનો ઉત્તર હોય — ‘અહીં તો ધૂળ જ શોભે.’ ગાંધીવિચારને આટલા ઊંડાણથી સમજનારા અત્યારે કોણ મળી શકે? સાદગી અને સરળતાથી ઘણી વાર તેમની દૃઢનિશ્ચયતા ઢંકાઈ જતી અને અમૃતભાઈને ગાંધીવિચારથી વિપરીત કોઈ બદલાવથી બાધ નથી — એવું પણ માની લેવામાં આવતું. એવે વખતે જ તેમની દૃઢતા પ્રગટ થતી અને એવો બદલાવ ટાળી શકાતો. પાંચ દાયકામાં સાબરમતી આશ્રમ સ્મારકમાં બદલાવ આણનારી કેટકેટલી ય ઘટના બની હશે, પણ સાબરમતી આશ્રમ સ્મારક એ જ સ્થિતિમાં રહી શક્યો.

અમૃતભાઈએ પરિવર્તનને આવકાર્યાં જ નહીં, તેવું ય નહોતું. કામકાજને સરળ બનાવતાં કેટલાંક પરિવર્તનો સમય સાથે સાબરમતી આશ્રમમાં થયાં. કાર્યશૈલી બદલાઈ, કમ્પ્યૂટર આવ્યાં અને કેટલુંક નવું બાંધકામ થયું ત્યારે તેમને કાર્ય અર્થે જે સુલભ લાગ્યું તે સ્વીકાર્યું. સાબરમતી આશ્રમના ખ્યાલ મુજબ તેમણે ધીમે ધીમે પરિવર્તન આણ્યાં અને ટાંચાં સાધનોથી સાબરમતી આશ્રમનું અસલ સ્વરૂપ જળવાયેલું તેઓ રાખી શક્યા.

ગાંધીસાહિત્ય અને સ્મારકના વારસાને સુરક્ષિત રાખવાની અમૃતભાઈની સમજ ખાસ્સા અભ્યાસ અને અનુભવ પછી વિકસી હતી. કિશોરવયથી તેમની ગાંધીસાહિત્ય-વાંચનમાં રુચિ કેળવાઈ અને તેઓ રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ વળ્યા. ગાંધીવિચારને અમલી બનાવવા યુવાન વયથી કૉંગ્રેસ સેવાદળ સાથે જોડાયા. ગ્રામસફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવાકાર્યોનો હિસ્સો બન્યા. મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ બે વર્ષ સુધી શિક્ષક તરીકે રહ્યા. સૌરાષ્ટ્ર સેક્રેટરિયેટમાં કારકુન તરીકે ફરજ બજાવી. કારકિર્દી ઘડાઈ રહી હતી, પરંતુ મન સેવાકાર્યોમાં તરફ આકર્ષાતું હતું; એટલે ઑગસ્ટ, ૧૯૫૫ના અરસામાં સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજન દાદા ધર્માધિકારીની સર્વોદય વિચાર શિબિર યોજાઈ, ત્યારે તેમાં સહભાગી થયા. અહીં દ્વારકાદાસ જોશી સાથે પરિચય કેળવાયો અને તેઓ ભૂદાનપ્રવૃત્તિ સાથે જોડાયા. ભૂદાનપ્રવૃત્તિ સાથે સક્રિય રીતે તેમનું જોડાણ ૧૯૭૪ સુધી રહ્યું. સર્વોદય પ્રવૃત્તિના અભિન્ન હિસ્સો બન્યા બાદ તેઓ વર્ષના દસેક મહિના પદયાત્રામાં રહેતા. આ ક્રમ ત્રણ વર્ષ સુધી ચાલ્યો. ભૂદાનમાં સક્રિયતા વેળાએ તેમણે સાંતલપુર, હારીજ, રાધનપુર તાલુકામાં આશરે ૩,૦૦૦ વીઘા જમીન-વહેંચણીનું મહત્ત્વનું કાર્ય કર્યું. આ દરમિયાન રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતલાલ મજમુદાર અને જુગતરામ દવે જેવા ગાંધીજનોના સંપર્કમાં આવ્યા. સર્વોદયની પ્રવૃત્તિમાં સહ મંત્રી અને મંત્રીપદે તેમનું કાર્ય એટલું વિસ્તર્યું કે કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, ધીરેન્દ્રભાઈ મજમુદાર, વિમલાતાઈ જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં મહાનુભાવો સાથે ગુજરાતભરમાં પ્રવાસ કરવાનો તેમને અવસર મળ્યો. બિહાર અને બંગાળની યાત્રા દરમિયાન વિનોબા ભાવે સાથે રહેવાનું બન્યું અને તેમનાં પ્રવચનોને નોંધ્યાં.

અમૃતભાઈનાં જીવન અને કાર્યની નોંધ પત્રકાર-લેખક રમેશ તન્નાએ વિગતે કરી છે. અમૃત મોદીનાં લેખન અને સંપાદનકાર્ય વિશે રમેશભાઈ લખે છે કે, “તેમણે દસ પુસ્તકોનાં અનુવાદ અને સંપાદનનું કામ કર્યું. વિચારપત્ર ‘ભૂમિપુત્ર’માં ત્રણ વર્ષ સહાયક સંપાદક અને ચાર વર્ષ સંપાદક તરીકે સંપાદન કર્યું. ‘ભૂમિપુત્ર’ તથા અન્ય સામયિકોમાં તેમના લેખો અને વાર્તાઓના અનુવાદો છપાતા રહ્યા. ૧૨ વર્ષના લેખન-તપને પરિણામે ૩૦૦ જેટલી વાર્તાઓ અને ૪૦૦ જેટલા લેખોના અનુવાદનો ફાલ નીપજ્યો. તેમણે વિદ્યાર્થીઓ માટે મહર્ષિ વિનોબા અને મોટાઓ માટે યુગપ્રવર્તક વિનોબા એ બે જીવનચરિત્રો લખ્યાં, જેની ૮૦,૦૦૦ નકલ છપાઈ. મરાઠી અને હિંદીમાં તેનો અનુવાદ થયો. અમૃતભાઈએ પાંચ વર્ષ સર્વોદય પ્રેસ સર્વિસ પણ ચલાવી હતી.” આ ઉપરાંત, તેમનાં સંપાદનકાર્યમાં એક વખતે પાંચ-પાંચ સામયિકો હતાં; જેમાં ખાદી ગ્રામોદ્યોગનું મુખપત્ર ‘ગ્રામનિર્માણ’, નશાબંધી વિભાગનું ‘કલ્યાણયાત્રા’, અહિંસા વિચારને કેન્દ્રમાં રાખતું ‘હિંસાવિરોધ’, મહિલાવિષયક ‘સ્ત્રીજીવન’ અને સદ્ વિચાર પરિવારનું ‘સુવિચાર’ હતાં. લેખન-સંપાદન તરીકે જે તેમનાં પુસ્તકો છે તેમાં વાર્તામંજરી, વિદ્યાર્થીઓને ગાંધીજીના પત્રો, મહર્ષિ વિનોબા, વાત્સલ્યમૂર્તિ દાદા, ખુદાઈ ખિદમતગારનો સમાવેશ થાય છે. તેમનું છેલ્લું પુસ્તક ગાંધીજીવન : વિચારઝલક તાજેતરમાં પ્રકાશિત થયું છે.

ગાંધી તથા વિનોબાના વિચારનું ભાથું આચાર અને વિચારમાં બે દાયકા સુધી સારી પેઠે તેમણે પોતાનામાં સિંચ્યું હતું. ૧૯૭૪માં તેઓ સાબરમતી આશ્રમ સ્મારકમાં જોડાયા, ત્યારે તેમની પાસે ગાંધીવારસાને સુરક્ષિત રાખવાની દૃષ્ટિ કેળવાઈ ચૂકી હતી. આ દૃષ્ટિ કેળવાઈ તેમાં આશ્રમના પૂર્વ સંરક્ષક છગનલાલ જોશી, છગનલાલ ગાંધી અને ચંદુલાલ દલાલ સાથેનો સંવાદ પણ તેમને ઉપયોગી રહ્યો. સાબરમતી આશ્રમ સ્મારકમાં આવીને તેઓ મૂકસેવકની જેમ ભળ્યા. આશ્રમની આસપાસના વિવાદોમાં તેમને જ્યારે કડવાં વેણ સાંભળવાનાં આવ્યાં, ત્યારે તેની કોઈ પ્રતિક્રિયા સુધ્ધાં ન આપી. આવું વલણ માત્ર તેમણે નહીં, પણ પરિવારના સભ્યોએ સુધ્ધાં રાખ્યું. આશ્રમ તો સૌનો છે તેવું હંમેશ કહેતા અને આસપાસના લોકો જ્યારે ઉનાળામાં આવીને આશ્રમની ખુલ્લી જગ્યામાં ઊંઘતા, તો તેમને ક્યારે ય અટકાવ્યા નહીં. કોઈ કાર્ય અધૂરું રહ્યું હોય તો દાખલો બેસાડવા નહીં, પણ પોતે એ કરી નાંખવાનું હોય તેમ કરીને કર્યું. એક વખત આશ્રમના ટૉઇલેટ બ્લૉકમાંથી દુર્ગંધ આવતી હતી, તો તેમણે સફાઈ કરી, પણ આ સફાઈ કર્યાની વાત કોઈને ય ન કરી. તેમને મન કોઈ કામ નાનું નહોતું. આવી વિચાર અને કર્મનિષ્ઠા તેમણે રાખી. આશ્રમ ખુલ્લો હોય અને અમૃતભાઈ ત્યાં હાજર ન હોય તેવું ભાગ્યે જ બનતું. આશ્રમ સ્મારકમાં એક સમયે એક આખી નવી પેઢી કામ કરવા માટે પ્રવેશી, ત્યારે તેમને મોકળાશ કરી આપી. કાચા પથ્થરોને તેમણે ઘડ્યા.

આશ્રમ સ્મારકના સંચાલક તરીકેની ભૂમિકાની સમાંતરે તેઓ આજીવન ગાંધીસાહિત્યના અભ્યાસી રહ્યા. સર્વોદય, વિનોબા અને ગાંધીજીવન વિશે જાણવાનું તેઓ ઠેકાણું હતા. ઉંમરના છેલ્લા પડાવ સુધી તેમની સ્મૃતિ અકબંધ રહી હતી. અભ્યાસ અને સંશોધનની સમજ એટલી પાકી કે જેમ્સ હન્ટ, ડેનિસ ડોલ્ટન, ઇ.એસ. રેડ્ડી, થોમસ વેબર, અને એસ.આર. મેહરોત્રા જેવા જાણીતા અભ્યાસીઓ આવ્યા તો તેમને વિગતો પૂરી પાડવાની કે સંદર્ભ જણાવવાની જવાબદારી તેમના શિરે રહેતી. આશ્રમ તરફથી લોકોને શક્ય એટલું આપવાનો પ્રયાસ કર્યો. અને તે માટે એ હદ સુધી જાય કે કોઈ આશ્રમમાંથી પુસ્તક ખરીદે અને જો તેની પાસે રૂપિયા ન હોય તો વિશ્વાસે તેને પુસ્તક આપે. આશ્રમ આવનારાં પ્રવાસીઓ પ્રત્યે પણ તેમનો એટલો જ પ્રેમાળ ભાવ રહ્યો. એક વખત બસમાં આવેલા પ્રવાસીઓની નાહવા — તૈયાર થવાની વ્યવસ્થા ક્યાં ય થાય એવી નહોતી, તો તે માટે તેમણે પોતાની ઑફિસના બાથરૂમનો ઉપયોગ કરવા દીધો. બસમાં આવેલા તમામ પ્રવાસીઓ અમૃતભાઈના ઑફિસના બાથરૂમમાં તૈયાર થયા અને આશ્રમની મુલાકાત લીધી. દૂરસુદૂરથી આશ્રમના પ્રવાસે આવનારાઓ માટે તેઓ કેટલીક પાયાની સુવિધા ઊભી થાય તેવું પણ ઇચ્છતા હતા.

વિશ્વભરના મહાનુભાવો, જાણીતી હસ્તીઓ આશ્રમમાં આવે પરંતુ અમૃતભાઈએ ક્યારે ય સમતા ન ખોઈ. તેઓ હંમેશાં પૃષ્ઠભૂમિમાં રહ્યા, અને કંઈક અંશે સાબરમતી આશ્રમને પણ એ રીતે રાખ્યો. એટલે જ ઘણાં સન્માન, ઇકરામોના હકદાર બની શકે એમ હોવા છતાં આજે તેમના નામે સૌથી વજનદાર સન્માન ‘સાબરમતી આશ્રમ સ્મારક સંરક્ષક’નો રહ્યો. પોતાની એક થેલીમાત્ર તેમની પાસે હંમેશ રહી, જે લઈને તેઓ આવતા. વી.વી.આઈ.પી. મહેમાન આવવાના હોય ત્યારે સાંધેલી ખાદી પહેરવામાં જરા સરખો છોછ ન રાખ્યો. તેઓ સ્પષ્ટ કહેતા કે કોઈએ વણેલું કાપડ છે ને. આવી વ્યક્તિના મનમાં નવાં કપડાં પહેરવાની કે તસવીરો પડાવવાની વાત તો ક્યાંથી આવે? તેમની નીતિ-રીતિ સંભવતઃ આજે કોઈને યોગ્ય ન લાગે, પરંતુ પુરોગામીઓએ સોંપેલું કાર્ય તેમણે આ નીતિ-રીતિથી કરી દાખવ્યું. અમૃતભાઈના કાર્યકાળ દરમિયાન આશ્રમ વિરુદ્ધ માધ્યમોમાં સાચા-ખોટા અહેવાલો સમયાંતરે આવતા રહેતા. પરંતુ તેનાથી વિચલિત થયા વિના તેમણે ખૂણામાં બેસીને પોતાનું કાર્ય કરે રાખ્યું. તેમના સદ્દનસીબે આ પડકારરૂપ જવાબદારી સંભાળી તે દરમિયાન અમૃતભાઈની સાથે ગાંધીમૂલ્યોને વરેલાં ટ્રસ્ટીઓ — શ્રેણિકભાઈ લાલભાઈ, નારાયણ દેસાઈ, કાંતિભાઈ શાહ, દીવાનસાહેબ, કાર્તિકેય સારાભાઈ, હમીદ કુરેશી, અને ઇલાબહેન ભટ્ટ પણ હતાં.

અમૃતભાઈ ગાંધી સંસ્થાઓ, ગાંધી પ્રેમીજનો, સર્વોદય જગત, વિનોબા પરિવાર, વગેરે વચ્ચે સેતુરૂપ હતા. ગાંધીજીનો જીવિત-લિખિત વારસો તેમણે યોગ્ય રીતે સાચવ્યો. મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી નિમિત્તે મહાદેવ દેસાઈના લખાણ-સાહિત્યના વારસાની જાળવણી-સાચવણીની વ્યવસ્થા કરી આપી. ગાંધીસાહિત્યના સર્જન સંદર્ભે નારાયણભાઈ દેસાઈને પણ મૂળભૂત આધારસાહિત્ય અમૃતભાઈએ હાથવગું કરી આપ્યું.

સાબરમતી આશ્રમ સ્મારક ગાંધીજીની ધરોહરમાં કેન્દ્રસમું છે. આશ્રમ સ્મારકની ભૂમિકા હંમેશાં અગત્યની બની રહી છે. આ ભૂમિકામાં અન્ય ગાંધી સંસ્થાઓ સાથેના સંબંધો જાળવવાની વાત સર્વોપરી હતી. એ તેમણે સુપેરે જાળવી. અન્ય સંસ્થાઓ સાથે તેમણે સહભાગિતા રાખી. નવજીવન ટ્રસ્ટના પૂર્વ મૅનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્રભાઈ દેસાઈ સાથે તેમનો આત્મીયતાનો સંબંધ રહ્યો હતો. ગાંધીસાહિત્યના વારસાને સંભાળવાની બંનેની દૃષ્ટિ કંઈક અંશે સમાન રહી અને તે ગાળા દરમિયાન નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમ સ્મારકમાં જે ગાંધીસાહિત્ય સંબંધિત કાર્ય થયું તેમાં તેમની વચ્ચેનો સંવાદ અગત્યનો રહ્યો છે. ગાંધીજીની ધરોહર જાળવી રાખનાર અમૃતભાઈ આ બધું કરી શક્યા તેનું એક કારણ તેમણે વિનોબાને આત્મસાત્ કર્યા હતા. ઉદ્દેશથી ચલિત થવાનો તેમાં કોઈ પ્રશ્ન જ નહોતો અને તેમનું અસ્તિત્વ તેમના કાર્ય થકી હતું. હવે તેઓ નથી તો તેમની સ્મૃતિ ટકી રહે તેવી પણ તેમની ખેવના નહોતી.

[“नवजीवनનો અક્ષરદેહ”ના જુલાઈ, 2024ના અંકમાંથી]
e.mail : kirankapure@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—261

દીપક મહેતા|Opinion - Opinion|24 August 2024

આજે જેનો જન્મ દિવસ છે તે વીર કવિ નર્મદને જણ્યો સુરતે,

પણ જાણ્યો મુંબઈએ       

ખેતર, મેદાનો, ને બાગ, શોભે છે ત્યાં જાગોજાગ,

અનેક ઝાડો, પંખી ઘણાં, રચનામાં હોયે શી મણા?

શ્રીમંતોની વાડી બહુ, ખુલ્લામાં ખૂલે તે સહુ, 

ઝાડ-પાન, ફુવારા, હોજ, વળી બંગલા કેરી મોજ! 

તળાવ મોટું, સુંદર, બહાર, ચાંદનીમાં શોભે સુખકાર. 

પવન લ્હેરથી પાણીમાંહ્ય, લ્હેર મનોહર રમતી થાય.

માનશો? આ વર્ણન કોઈ ગામડાનું નહિ, આપણા મુંબઈ શહેરનું છે! લખાયું હતું ૧૮૬૩ના જૂન મહિનાની ૧૬મી તારીખે. પરળ(પરેલ)ની એક ટેકરી પર ફરવા ગયેલા કવિએ લખ્યું હતું આ વર્ણન. એ કવિ તે નર્મદાશંકર લાલશંકર દવે. ન ઓળખ્યા? ઉર્ફે વીર કવિ, વીર સમાજ સુધારક, વીર પત્રકાર અને બીજું ઘણું બધું એવા વીર નર્મદ. કોણ જાણે કેમ, પણ તેને વિષે લખતાં-બોલતાં ‘તુંકારો’ જ વાપરવાનો આપણે ત્યાં ચાલ છે. એટલે અહીં પણ એમ જ. ૧૮૩૩ના ઓગસ્ટની ૨૪મી તારીખે સુરતમાં જન્મ. આજે તેના જન્મને ૧૯૧ વરસ થયાં. 

કવિ નર્મદ – ૧૮૬૦માં પોતાના કાવ્ય સંગ્રહમાં છાપવા માટે ફોટા પરથી તૈયાર કરાવેલું એનગ્રેવિંગ

નર્મદ ભલે જન્મ્યો સુરતમાં, પણ તેને બોલાવ્યો, માપ્યો, જાણ્યો, નાણ્યો, પોષ્યો અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેને જન્મભૂમિ સુરત માટે અપાર પ્રેમ. પણ કદાચ વધુ ગોઠે મુંબઈમાં. તેની કવિતામાં અને ગદ્ય લખાણોમાં એક નગરવાસીનું ‘સોફેસ્ટિકેશન’ છે તે મુંબઈને પ્રતાપે. 

૧૮૬૬માં પ્રગટ થયેલી આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ કહે છે કે જન્મ પછી દસેક મહિને, મા નવદુર્ગા અને માના કાકા દુર્લભરામ સાથે પોતે પહેલી વાર મુંબઈ આવ્યો. એ વખતે પિતા લાલશંકર કાલબાદેવીના ભગવાન કલાના માળામાં (ચાલમાં) રહેતા હતા. નર્મદ પાંચ વરસનો થયો ત્યારે ભુલેશ્વરની નાના મહેતાની નિશાળે બેસાડ્યો. પછી પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની નિશાળે ગયો. તે અંગે નર્મદ લખે છે : “મને ગુજરાતી અભ્યાસ કરાવ્યાનું માન બાળગોવિંદ મહેતાજીને જ છે. એને જ ત્યાંથી હું એલફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જોન હાર્કનેસની પાસે ગુજરાતીની પરીક્ષા આપવા ગયો હતો.” 

નર્મદે જ્યાં અભ્યાસ કરેલો તે એલ્ફિન્સ્ટન કોલેજના પહેલા પ્રિન્સિપાલ હાર્કનેસ

એક જમાનામાં નેપિયન સી રોડથી રિજ રોડ સુધીના રસ્તા સાથે આ હાર્કનેસનું નામ જોડાયેલું હતું. કારણ તેમનો બંગલો એ રસ્તા પર આવેલો હતો. ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ ત્યારે તેના પહેલવહેલા પ્રિન્સિપાલ હતા આ હાર્કનેસ સાહેબ. વેઇટ અ મિનિટ. તો પછી નર્મદ તેમને એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે કેમ ઓળખાવે છે? કારણ જરા અટપટું છે. મૂળ સંસ્થા બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી. એ સંસ્થા ‘અંગ્રેજી હાઈસ્કૂલ’ ચલાવતી. ૧૮૩૫માં આ સોસાયટીના નેજા નીચે એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ ત્યારે તે પેલી સ્કૂલથી અલગ અને સ્વતંત્ર હતી. પણ પછી કોઈક કારણસર સ્કૂલ અને કોલેજના શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે ખટરાગ થયો. એટલે ૧૮૪૦માં કોલેજને સ્કૂલ સાથે ભેળવી દીધી અને હાર્કનેસ બન્યા બંનેનાં પ્રિન્સિપાલ. ૧૮૪૫માં નામ બદલાયું અને એ સંસ્થા બની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન. પણ પછી ૧૮૫૬ના એપ્રિલની પહેલીથી સ્કૂલ અને કોલેજ છૂટાં પડ્યાં અને અસ્તિત્ત્વમાં આવી સ્વતંત્ર એલ્ફિન્સ્ટન કોલેજ. એટલે ૧૮૪૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે નર્મદ દાખલ થયો ત્યારે એ સંસ્થાનું નામ હતું એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન. અને ૧૮૫૦ના જૂનમાં દાખલ થયો તે એ જ સંસ્થાના  કોલેજના વર્ગમાં. 

જો કે કેટલાંક કૌટુંબિક કારણોને લીધે નર્મદ ઝાઝો વખત કોલેજમાં ભણી ન શક્યો. ૧૮૫૧ના ફેબ્રુઆરીમાં તેણે કોલેજ છોડી. એ પહેલાં તેણે ‘જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ નામની સંસ્થા કેટલાક મિત્રો સાથે મળીને શરૂ કરી હતી. તેમાં તેણે ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વિષય પર ‘મોઢેથી બોલીને’ (એટલે કે લખેલું ભાષણ વાંચીને નહિ) ભાષણ કર્યું. આ તેનું પહેલું જાહેર વ્યાખ્યાન. તેવી જ રીતે નર્મદનું પહેલું પુસ્તક પણ મુંબઈથી ૧૮૫૭ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયું હતું : ‘પિંગળ પ્રવેશ.’ નર્મદના પિતા લાલશંકર સરકારી શિક્ષણ ખાતામાં લહિયા તરીકે કામ કરતા હતા. તેમણે પોતાના અક્ષરમાં આખું પુસ્તક લખી આપ્યું હતું અને નર્મદે શિલા છાપ પદ્ધતિથી તેની ૫૦૦ નકલ છપાવી હતી. 

નર્મદનું છેલ્લું પુસ્તક ‘ધર્મવિચાર’ ૧૮૬૬માં મુંબઈથી પ્રગટ થયું. એ જ વરસે નર્મદનું અવસાન થયું. તેનાં પુસ્તકોની કુલ સંખ્યા એક સોને આંબવા જાય. તેમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં છપાયાં અને પ્રગટ થયા હતા. 

નર્મદે મુંબઈમાં પહેલી નોકરી કરી તે ગોકુળદાસ તેજપાલ વિદ્યાલયમાં. પગાર મહિને ૨૮ રૂપિયા. ૧૮૫૭ના ફેબ્રુઆરીમાં એ નોકરી શરૂ કરી. પણ તે થોડા વખત માટે જ. એ નોકરી છોડીને ૮મી ફેબ્રુઆરીએ નર્મદ સરકારી સેન્ટ્રલ સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર થયો. પગાર રૂપિયા ૪૦. પણ એ નોકરીમાં ય તે ઝાઝું ટક્યો નહિ. કારણ? નર્મદ લખે છે : “મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય. નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.” તે પછીની તેની વાત તો અત્યંત હૃદયસ્પર્શી છે, એટલું જ નહિ, ખૂબ જાણીતી પણ છે. “મેં ઘેર આવી, કલમના સામું જોઈ, આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરી કે ‘હવે હું તારે ખોળે છઉં.” એટલે કે આજીવિકા માટે બધો આધાર લેખન પર રાખવાની પ્રતિજ્ઞા નર્મદે લીધી તે પણ મુંબઈમાં. 

નર્મદનું સાપ્તાહિક ‘ડાંડિયો’ પહેલો અંક, પહેલું પાનું ૧ સપ્ટેમ્બર ૧૮૬૪

નર્મદે શરૂ કરેલા સાપ્તાહિક ‘ડાંડિયો’નું આયુષ્ય બહુ લાંબુ નહિ. પણ તે વખતના મુંબઈ અને ગુજરાતના જાહેર જીવનમાં તેનો દબદબો અને દાબ ઘણો. એ શરૂ કર્યું મુંબઈથી, ૧૮૬૪ના સપ્ટેમ્બરમાં. કમનસીબે તેના બધા અંકો ક્યાં ય સચવાયા નથી. પણ જેટલા બચ્યા છે તેમાંથી નર્મદની એક નીડર પત્રકારની છબી ઉપસે છે. ‘ડાંડિયો’ નામ પાડેલું નર્મદના મિત્ર અને ‘ગુલાબ’ નાટકના લેખક નગીનદાસ મારફતિયાએ, અને ઘણો વખત એ છપાતું નર્મદના મિત્ર અને જાહેર જીવનના અગ્રણી નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં. ૧૮૫૭માં શરૂ થયેલું આ પ્રેસ હજી આજે પણ ચાલુ છે. 

નોકરી ન કરવાની ટેક નર્મદે મુંબઈમાં લીધેલી, તો એ જ ટેક કમને પણ આર્થિક જરૂરિયાતને કારણે તોડીને નોકરી કરવી પડી તે પણ મુંબઈમાં. ૧૮૮૨માં ગોકુળદાસ તેજપાલ ધર્મ ખાતાના સેક્રેટરી બન્યા. ૧૮૮૫માં એ નોકરી છોડી, અને ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે દેહ છોડ્યો તે પણ મુંબઈમાં. નર્મદ જન્મ્યો તાપી નદીને કિનારે આવેલા સુરતમાં. જન્મભૂમિ માટે છેવટ સુધી અપાર પ્રેમ. પણ તેના જીવન અને વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર થયું તે તો મુંબઈમાં. અરબી સમુદ્રના કિનારા નજીક આવેલ સોનાપુરની સ્મશાનભૂમિમાં તેનો ક્ષર દેહ વિલીન થઈ ગયો ત્યારે હવામાં એના શબ્દો ગુંજતા હશે :

“હા ભૈયા, હું તો ચાલ્યો, શંખનાદ હજુ થાયે હો.”

નર્મદ એટલે ૧૯મી સદીના સાહિત્યનો, સમાજ સુધારાની પ્રવૃત્તિનો, પત્રકારત્વનો, જાહેર જીવનનો વિજયી શંખનાદ. એ શંખનાદ ઉદ્ભવ્યો અને શમ્યો તે મુંબઈમાં. 

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 24 ઓગસ્ટ 2024

Loading

...102030...457458459460...470480490...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved