Opinion Magazine
Number of visits: 9457020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂક્ષ્મ વિજ્ઞાન

મનુબહેન ગાંધી|Gandhiana|14 September 2024

તા. ૩-૧-૪૭, શુક્રવાર, ચંડીપુર.

આજે રાતે બાપુજી બહુ વહેલા ઊઠ્યા હતા. સવાત્રણ વાગે ઊઠ્યા. દાતણ કરતાં કરતાં અમુક પ્રસંગને આધારે મને કહે : 

“મારું માનસશાસ્ત્ર વિજ્ઞાન એ છે કે, કંઈ પણ કામ આપણે કરીએ અને તેનું પરિણામ આપણે ધારીએ એવું ન આવે એટલે સમજવું કે એ દોષ આપણો છે. એનો આપણે સૂક્ષ્મતાથી વિચાર કરવો કે આમ કેમ ન થયું ? એનો જવાબ તારા મન પાસે શાંત ચિત્તે માગ. તને જવાબ મળ્યા વગર નહીં રહે. જો આટલી વિચારક તું થઈ શકે તો મારું કામ કેટલું દીપે ? તારે માટે આ બધું કપરું કામ છે, પણ પ્રયત્ન કરીશ તો બહુ સહેલું છે. 

બાપુ નોઆખાલીમાં

આપણે સહુ આપણા દોષ જોતાં જે દિવસથી થઈ જઈશું તે દિવસે આપણને આમ લડાઈઝગડામાં – ખૂનામરકીમાં પડવાનું નહિ સૂઝે; કેવળ દુનિયાનું ભલું શામાં છે એ જ સૂઝશે. આજે આપણાં મગજ નવરાં પડયાં છે. એકબીજાનો વાંક એકબીજા પર ઢોળીએ છીએ, એમ કહેવાનો મારો આશય નથી; પણ એ સ્વાભાવિકતાથી થઈ જાય છે. જેમ અગ્નિને અજાણ્યે હાથ અડશે તો ફટ લઈ લેશું; એમાં વિચાર કરવાની જરૂર નથી પડતી કે લઉં કે નહિ. તેમ અત્યારે જે અમાનુષી કામ ચાલી રહ્યું છે તે તો હવે જાણે કે સ્વાભાવિક થઈ ગયું ન હોય, એવું બની ગયું છે. પણ આની પાછળ એ વિચારવું જોઇએ કે શા માટે એક પણ હિંદુ એક પણ મુસલમાનને મારે કે એક પણ મુસલમાન એક પણ હિંદુને મારે ? 

આ તોફાનની જવાબદારી મારી દૃષ્ટિએ આખા હિન્દુસ્તાનની છે. દરેક હિંદી વિચારતો થઈ જાય કે મારું હૃદય કઈ તરફ છે ? શુદ્ધ છે કે અશુદ્ધ? પ્રત્યેક હિંદીને મારો ભાઈ માનું છું કે નહિ? જો એક પણ હિંદુ એમ ઈચ્છે કે મુસલમાન મરે તો સારું ખરું, અથવા એક પણ મુસલમાન એમ ઇચ્છે કે હિંદુ મરે તો સારું ખરું – પછી ભલે પોતે પ્રત્યક્ષ છરીઓ ન ભોંકતો હોય ! – પણ મનમાં એકબીજા એકબીજાનું બૂરું ઈચ્છે, તો હું કહું છું કે છૂરા ભોંકીને જે મારનાર છે તેના કરતાં આવા હલકા વિચારના જે છે તે વધુ ક્રૂર અને ઘાતકી છે, કેમ કે તેનું મન ગંદું બને છે. અને એ ગંદકીના વાતાવરણમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે રજકણો હોય છે તેને ફેલાવે છે. જેમ એક ઘરમાં કોઈક જાતની ગંદકી હોય –

એક ટી.બી. થયેલ માણસ હોય, કોઈ જાણતું ન હોય કે આ માણસને ખરેખર ટી.બી. થયો છે, અને કદાચ શરૂઆતમાં એ માણસેય ન જાણતો હોય કે મને ક્ષય જેવો રોગ છે. એ ગમે ત્યાં થૂંકે અને ગંદકી કરે. ધીમે ધીમે એની ઉપર માખી બેસે અને બીજે જંતુઓ ફેલાય. તારા શરીરમાં રોગની સામે લડનારાં જે જંતુઓ છે તે ઓછાં હોય છતાં ય તું સાજીસારી હો, પણ તારા ભાણા પર આ માખીઓ ક્યારે આવીને બેસી ગઈ હોય અને આ ઝેરી જંતુઓ ફેલાઈ ગયાં હોય તે તું પણ ન જાણતી હોય. પરંતુ તારા નબળા શરીરમાં આ ઝેરી ખોરાક જાય એટલે ક્ષયની ભોગી તું બનવાની જ.

જેવું આ સૂક્ષ્મ વિજ્ઞાન છે તેવું જ મનનું વિજ્ઞાન મારી દૃષ્ટિએ છે. આપણમાં કહેવત છે કે ‘મન ચંગા તો ઘેર ગંગા.’ આ મનને, વિચારોને, તું બારીકાઈથી તપાસજે. આ હું ઠપકારૂપે નથી કહેતો, પણ આપણા વિચારો શું રૂપ લે છે તે બતાવવાનો મારો પ્રયત્ન છે.”

દાતણ કરતાં કરતાં બાપુજીએ એક નાનકડી વાત પરથી આખા દેશના વાતાવરણમાં પણ આપણું મન, ઈચ્છા, કેટલો ભાગ ભજવે છે અથવા પ્રત્યેક માણસની જેવી ઇચ્છા, તેવું તેનું કાર્ય બને છે, તે વિષેની પોતાની વિચારમાળા મને કહી. અત્યારે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય આવી ગયું છે, તેમાં બાપુજી દેશના પ્રત્યેક માણસના મનને વધુ જવાબદાર ગણે છે, તે સહેલાઈથી સાવ ગળે ઊતરે તેવી વાતો દાખલા સહિત કહી. 

બાપુજી તો આવી નાનકડી ગણાતી ભૂલો-કદાચ સામાન્યતઃ એને ભૂલો પણ ન કહી શકીએ તેવા પ્રસંગને પહાડ જેવી બનાવે છે. બાપુજી હંમેશાં કહે છે કે માણસે આગળ વધવું હોય તો પોતાની નાનકડી સરખી ભૂલને પણ પહાડ જેવડી બનાવી તેને સુધારી લેવી, જેથી ફરી કદી ય એવી ભૂલો ન જ થાય, આ વાત સાવ સાચી છે.

એ જ રીતે હિંદુસ્તાન અત્યારે નબળું છે. તેમાં રોગોની સામે લડનારાં જંતુ – વિચારક, નિ:સ્વાર્થી, સેવાભાવી, કુસંપ ન થાય તેવું ઈચ્છનારા બહુ ઓછા થઈ ગયા છે. અને મનસા, વાચા, કર્મણા જેવું ઇચ્છીએ કે કરીએ તેવું થાય છે.

‘બાપુનાં સંભારણાં’
સૌજન્ય નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બકવાસ એ જ મુખવાસ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 September 2024

રવીન્દ્ર પારેખ

થોડી ગમ્મતથી શરૂઆત કરીએ. આમ તો એકલી હૈયાવરાળ નીકળે એટલો ત્રાસ રોજ થાય છે એટલે આપણા જ મંત્રીઓ, સાંસદો, વિધાનસભ્યો, કોર્પોરેટરો ઠેર ઠેર બફાટ કરીને દેશવાસીઓને કરમુક્ત મનોરંજન પૂરું પાડતા રહે છે, જેથી દેશ, વાસી થતો અટકે. દેશવાસીઓ તાજા જ રહે એટલે વરસાદ વરસતો રહે છે. વરસાદ આવે છે તેથી આગાહી થાય છે કે આગાહી થાય છે તેથી વરસાદ વરસે છે તેની ખબર પડતી નથી. વરસાદ અને વડોદરાને આ વખતે એવો મેળ પડ્યો કે ઘણાનાં મનમેળ તૂટી ગયા. લોકો તો પાણીમાં રહ્યાં જ, પણ પાણી પણ લોકોમાં રહ્યું. તે એ હદે કે કોઈ ખાવાનું આપવા આવે તો લોકો કહેતા કે ફૂડપેકેટ નથી જોઈતાં, પહેલાં પાણી કાઢો. લોકોએ તંત્રોની ઝાટકણી કાઢી. જો કે, લોકો હવે જાણી ગયા છે કે આવામાં તંત્રોની પોલ જ નથી ખૂલતી, પણ તંત્રો હોય છે જ પોલ ખૂલે એટલે. એટલું સારું છે કે આટલું બધું પાણી ગેરકાયદે ઘરમાં ઘૂસાડવા બદલ કોર્પોરેશને વધારાનો પાણી વેરો ન નાખ્યો, પણ સ્થાયી સમિતિના અધ્યક્ષે બળાપો તો કાઢ્યો જ કે પૂર અંગે તંત્ર પર આક્ષેપ કરવા કરતાં લોકો ઘરમાં તરાપા, દોરડાં, રબર ટ્યૂબ રાખે. એમને કેમ કહેવું કે લોકોએ આટલું બધું પાણી તો ઘરમાં રાખ્યું, હવે તરાપા, હોડી પણ એમણે જ રાખવાના? આ બરાબર છે? ટૂંકમાં, સ્થાયી સમિતિ અસ્થાયી છે તેની જાહેરાત, જાહેરખબર વગર જ થઈ ગઈ !

પાણીની બીજી એક કહાણી પણ જોઈએ. જબલપુરથી હજરત નિઝામુદ્દીન જતી ટ્રેન નંબર 22181 ‘ગોંડવાના એક્સપ્રેસ’ના એસી થ્રી કોચમાંથી વરસાદ જોવાની મઝા પડે, પણ 9 સપ્ટેમ્બરે જબલપુરથી બપોરે 3.16 કલાકે નીકળીને ટ્રેન દમોહ પહોંચી કે એવો વરસાદ શરૂ થયો કે પાણી કોચમાં વરસવા લાગ્યું. તે એટલું વધ્યું કે અંદરબહાર બહુ ફેર જ ન રહ્યો. ચાલુ ટ્રેનમાં ઝરણાંનો અનુભવ થવાથી યાત્રીઓનો સામાન તરબોળ થઈ ગયો ને ફરિયાદો થઈ તો રેલવે એ ડોલ પકડાવી દીધી. એટલું સારું છે કે એમ ન કહ્યું કે સામાનની સાથે ડોલ, દોરડું, રબરની ટ્યૂબ સાથે લાવતાં શું થાય છે? આમ તો આપણે ત્રીજા નંબરની ઈકોનોમી થવા જઈ રહ્યા છીએ ત્યારે એસી થ્રી કોચમાં યાત્રીઓને ધાબળા, ઓશીકાં અપાય છે તેમ રેઇન કોટ પણ અપાય તો નવાઈ નહીં !

એમ લાગે છે કે ટ્રેનમાં હવે મુસાફરી કરવાનું અઘરું બનતું જાય છે. આમ તો ટ્રેનમાં બધી જ જાતિ, કોમનાં લોકો મુસાફરી કરે છે. તો ચાલતી ટ્રેન સામે રોડાં ન નાખવા જોઈએ. રોડાં તો ઠીક છે, રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક, એલ.પી.જી. ગેસ સિલિન્ડર, ઝાડનાં થડ, લોખંડ વગેરે નંખાય છે. એ નાખનારાઓ બાળકો છે, પણ નખાવનારા બાળકો નથી. તેમનો સીધો ઇરાદો ટ્રેનને ઉથલાવવાનો છે. આ આકસ્મિક નથી. યોજના પૂર્વકનું કાવતરું છે. એ કાનપુર, અજમેર જેવામાં સાથે સાથે બને છે. ક્યાંક સિલિન્ડર તો ક્યાંક સિમેટના બ્લોક ટ્રેક પર મુકાય છે. સુરતમાં, ભરૂચમાં ને ગુજરાત બહાર ઝારખંડ જેમ અન્યત્ર પણ કેટલાંક બાળકોએ ગણેશ મૂર્તિઓને ખંડિત કરવાને ઇરાદે પથ્થરો નાખ્યા કે ક્યાંક ઈસ્લામિક ઝંડા રોપવા બાબતે તનાવ પણ ઊભો થયો. ઉપદ્રવ કરવા હવે બાળકોને આગળ કરાય છે, જેથી પકડાય તો બાળકો છે, એમ કહીને સહાનુભૂતિ ઉઘરાવી શકાય ને કોઈ કસૂરવાર ઠરે તો પણ, તેને સજા ઓછી થાય ને કાવતરું પાર પડે તે જુદું. કોઈ છે જે ઈચ્છે છે કે કોમી તનાવ વધે. સુરતમાં તો પોલીસે કાર્યવાહી કરી ને પચીસથી વધુ ઉપદ્રવીઓને કોર્ટમાં રજૂ કર્યા, તો, સાથે જ દબાણવાળા વિસ્તારમાં બુલડોઝર પણ ફેરવ્યું. સુરત અત્યાર સુધી કોમી ઉપદ્રવોથી બચેલું છે. અહીં ગણેશ વિસર્જન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વર્ષોથી સંપન્ન થાય છે, એમ જ તાજિયાંનું જૂલૂસ પણ રંગેચંગે પાર પડે છે, તો કોણ શાંતિમાં પલિતો ચાંપવા ઉત્સુક છે? સૌ જાણે છે કે કોમી આગમાં આંસુ અને લોહી સિવાય કૈં જ હાથમાં આવતું નથી, તો મહેરબાની કરીને ઉજવણાંને ઉઠમણાંમાં ન ફેરવો.

આમ તો ગણેશની મૂર્તિઓમાં અનેક વૈવિધ્ય જોવા મળે છે, પણ મુંબઇમાં ગણપતિ ગજાનન મહારાજ મૂષક સાથે વૃક્ષારોપણ કરતાં બતાવાયા છે. શું થાય, આપણું વૃક્ષારોપણ કાગળ પર જ રહેતું હોય તો ભગવાને જ ઝાડ રોપવાં પડે કે બીજું કૈં? આ પછી પણ આપણે કૈં શીખીશું જ એની ગેરંટી તો ગણપતિ દાદા પણ આપે એમ નથી. વડા પ્રધાન ગેરંટી આપવામાં મોખરે છે, એટલે એ ભારતમાં હોય તો આપે પણ ખરા. આમ તો શીખવું જ હવે કોઈને જરૂરી નથી લાગતું. એક વીડિયો જોયો જેમાં હોસ્પિટલનું બોર્ડ દેખાય છે ને તેના ડૉક્ટર એડવોકેટ છે એવું બતાવાયું છે. કદાચ કોર્ટમાં હવે ડોકટરો કેસ લડતા હશે. બોર્ડમાં એડવોકેટ એવું લખેલું જ છે તો એડવોકેટ હોય પણ ખરા.

ખરેખર તો હવે બાળક જન્મે એ સાથે જ તેને જોઈતી ડિગ્રી આપી દેવી જોઈએ, જેથી ભણવાની ઝંઝટ જ ન રહે. આ ભણવું, વાંચવું, પરીક્ષાઓ આપવી એની કોઈ જરૂર જ હવે લાગતી નથી. નીટની પરીક્ષામાં લાખો રૂપિયામાં દાહોદમાં ચોરી કરાવીને મેડિકલમાં પ્રવેશ અપાવવાનું કૌભાંડ હજી ધૂણ્યા કરે છે, પણ બિહારમાં તો વિદ્યાર્થીઓ સ્વાવલંબી નીકળ્યા. બિહારના ભોજપુરમાં મંગળવારે પી.જી. વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી. કેમ, તો કે પરીક્ષામાં ચોરી કરવાની છૂટ ન અપાઈ. સોમવારે ચોરી ન કરવા દેતાં મહિલા કક્ષ નિરીક્ષકને માર મારવામાં આવ્યો. આ બનાવ મહારાજા કોલેજમાં બન્યો. આમાં બીજી કોલેજ સંડોવાઈ તે એચ.ડી. જૈન કોલેજ. કોલેજના વિદ્યાર્થીઓ ચોરી કરવા દેવાના મામલે એક મત હતા. કુલપતિ પ્રો. શૈલેન્દ્રકુમાર ચતુર્વેદીએ સ્પષ્ટતા પણ કરી કે પરીક્ષા રદ્દ થવાની નથી, પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નકલ કરવા માટે મોબાઈલ લઈને બેસવાનો આગ્રહ રાખતા જ રહ્યા. મહારાજા કોલેજના વિદ્યાર્થીઓએ તો કોલેજ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ને કોલેજનો ગેટ પણ તોડી નાખ્યો, તો એચ.ડી. જૈન કોલેજના વિદ્યાર્થીઓએ મોબાઈલ નહીં, તો પરીક્ષા નહીં-ની માંગ સાથે ત્રણ કલાક સુધી ધમાલ મચાવી. છેને કમાલ ! એક સમયે ભણવા માટે આંદોલનો થતાં હતાં, હવે પરીક્ષામાં ચોરી કરવા દેવા થાય છે.

બિહારમાં પી.જી.ના વિદ્યાર્થીઓએ ચોરી કરવી છે, પણ શિક્ષકો કરવા નથી દેતા, જ્યારે ગુજરાતમાં શિક્ષકો આપવામાં જ અખાડા થાય છે. કાયમી શિક્ષકો મૂકવાની વાત તો દૂર રહી, કરાર આધારિત શિક્ષકો આપવામાં પણ સરકાર ધાંધિયા કરે છે. આ આજનું નથી, જૂનો રોગ છે. આપણો શિક્ષણ વિભાગ શિક્ષકો પાસે ભણ્યો હશે કે એ બધા એકલવ્યના વંશજો જ છે? જૂનમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થઈ જાય, પણ ટર્મ પૂરી થવા આવે તો ય શિક્ષકોનું ઠેકાણું પડતું નથી. કોઈ વાર ચોપડાનાં ઠેકાણાં ન હોય, કોઈ વાર બૂટમોજાંની ખેંચ હોય, પણ શિક્ષકોનો દુકાળ તો કાયમી છે, તે પણ શિક્ષકો હોવા છતાં ! દર વર્ષે સત્ર શરૂ થવાનું નક્કી છે, પણ સમયસર શિક્ષકો ફાળવવામાં સરકારનો હાથ કાયમ તંગ રહે છે. આટલો કંગાળ શિક્ષણ વિભાગ ગુજરાત સિવાય બીજે ક્યાં ય નથી. ઉત્તર પ્રદેશના બહુરાઈચમાં વરુનો ઉપદ્રવ વધ્યો છે, પણ એ તો ચોપગું પ્રાણી છે, પણ આપણા વિસ્તારોમાં તો બેપગાં ફરે છે ને તેનો તો કોઈ પાર જ નથી !

તમે માનો કે ન માનો, પણ આપણા મંત્રીઓ કલ્પી ન શકાય એટલા ઇન્ટેલિજન્ટ હોય છે. મધ્ય પ્રદેશમાં પણ શિક્ષણ મંત્રી છે. ઇન્દરસિંહ પરમાર. એમણે સાબિત કરી દીધું છે કે આપણે કેવળ ભોટ છીએ. અમેરિકા કોલંબસે 1492માં શોધ્યો એવું ગોખી ગોખીને મરી ગયા, પણ એ ખોટું હતું. ધરાર ખોટું હતું. ઇન્દરસિંહ પરમારે છેક હમણાં કોથળામાંથી બિલાડું કાઢતાં કહ્યું કે અમેરિકા તો ભારતીયોએ શોધ્યો હતો. સાહેબનું માનવું છે કે અમેરિકા કોલંબસે શોધ્યો એવું ખોટું ભણાવવામાં આવી રહ્યું છે. અમેરિકા કયા ભારતીય કે ભારતીયોએ શોધ્યો હતો એનો ફોડ તો સાહેબે પાડ્યો નથી, પણ શિક્ષણ મંત્રી કહે તો સવા વીસ. બને કે બધા ભારતીયોએ અમેરિકા ખંડ એક સાથે શોધ્યો હોય. સાહેબ એટલાથી ઝાલ્યા ઝલાય એમ ન હતું, એમણે તો એમ પણ કહ્યું કે સ્થિર સૂર્યનો સિદ્ધાંત વૈજ્ઞાનિક નિકોલસ કોપરનિકસે નહીં, પણ ભારતના ઋષિઓએ આપ્યો હતો. ઇન્દરસિંહ પરમાર હજી તો શિક્ષણ મંત્રી છે અને એ છે ત્યાં સુધીમા વિજ્ઞાન અનેક રીતે ખોટું પડવાના જોખમો છે. બને કે બધી જ શોધ ભારતને નામે ચડે. આ બધું દિલ્હીને દેખાય છે કે એ જોવાનું હોય તે જ જુએ છે?

અત્યારે તો કાઁગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ‘ભારતીયોએ શોધેલા’ અમેરિકાના પ્રવાસે છે, ત્યારે એમને દેશમાં કોઈ બોલવા જ ન દેતું હોય તેમ ત્યાં ભારતના વડા પ્રધાન વિષે બખાળા કાઢતાં અટકતા નથી. ભા.જ.પી. નેતાઓ કે મંત્રીઓ પણ એ બાબતે જરા ય પાછળ નથી. શાસક પક્ષ અને વિપક્ષોનું કામ જ પરસ્પર આરોપો, પ્રત્યારોપો મૂકવા સિવાય ખાસ કૈં રહ્યું નથી. ચૂંટાઈને આવ્યા પછી સાંસદો બીજું કૈં કરે કે ના કરે, પણ કૂથલી કરીને દેશસેવા તો કરી જ લે છે. ભલે પછી પુલો તૂટતાં હોય, અનેક રસ્તાઓની વરસાદમાં પથારી ફરી ગઈ હોય કે આતંકવાદીઓ હુમલો કરી એકલદોકલ જવાનને ગોળીએ દેતા હોય કે મણિપુર ભડકે બળતું હોય, નેતાઓની ચામડી બચતી હોય તો જખ મારે છે દુનિયા …        

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 સપ્ટેમ્બર 2024

Loading

ચાલ મૂળાક્ષરો તને શીખવી દઉં

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|13 September 2024

સૌ પ્રથમ તું ‘ક’ ને પછી બોલ ખડિયા, 

ને ગણિતનો ‘ગ’ ભૂલવા ભૂલ દરિયા. 

પાંખડું વાળ તો જ આકાર મળશે, 

બાર-બારો ‘ઘ’ ધારવા ફોલ પડિયા.

ચાલ મૂળાક્ષરો તને શીખવી દઉં, 

વેંતભરનો ‘ચ’ બોલવા આલ ફદિયા.

ગુણ ગાવા વગોવણી-કુથલી કર,

કાગવાણી ‘છ’ડાવવા ઢોલ બજિયા. 

પાંચમા ધોરણે પડ્યા માર્ક ઓછા,

જંપવા દે ‘જ’ જોખવા તોલ સળિયા.

અમદાવાદ
e.mail : addave68@gmail.com

Loading

...102030...434435436437...440450460...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved