Opinion Magazine
Number of visits: 9557173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તો કૃષ્ણ ચંદરને કેટલા ય રાજદ્રોહના કેસમાં ફિટ કરી દીધા હોત !

રમેશ સવાણી|Opinion - Opinion|25 November 2024

કૃષ્ણ ચંદર

કૃષ્ણ ચંદરના (23 નવેમ્બર 1914 – 08 માર્ચ 1977) ઉર્દૂ સાહિત્યમાં વિવિધતા, આનંદ, રોમાંસ, વાસ્તવિકતા, વિદ્રોહ, રમૂજ અને વ્યંગનો સમાવેશ જોવા મળે છે. તેમના વિષયો લોકોના જીવન અને તેની સમસ્યાઓ આસપાસ ફરે છે. તેમનું સાહિત્ય એટલે કવિનું હૃદય અને ચિત્રકારનું બ્રશ ! તેમણે વાર્તાઓ અને નવલકથાઓ દ્વારા પ્રગતિશીલ સાહિત્યની પહેલ કરી અને તેને વિશ્વના મંચ પર લાવ્યા. તેમણે ડઝનેક નવલકથાઓ અને 500થી વધુ ટૂંકી વાર્તાઓ લખી. તેમની કૃતિઓ વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. 

કૃષ્ણ ચંદરનો જન્મ રાજસ્થાનના ભરતપુર શહેરમાં થયો હતો. તેમણે લાહોરની ફોરમન ક્રિશ્ચિયન કોલેજમાં એડમિશન લીધું. તે જ સમયે, તેઓ ભગતસિંહના સાથીદારોને મળ્યા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેમની ધરપકડ કરવામાં આવી અને બે મહિના સુધી લાહોરના કિલ્લામાં નજરકેદ રાખવામાં આવ્યા. તેમણે અંગ્રેજીમાં M.A અને પછી L.LB કર્યું. પરંતુ તેમની અભિરુચિ સાહિત્ય તરફ હતી. 

તેમની પ્રથમ નવલકથા ‘શિકસ્ત’ 1943માં પ્રકાશિત થઈ હતી. 1939માં, અહેમદ શાહ બુખારી (પતરસ), ઓલ ઇન્ડિયા રેડિયોના ડેપ્યુટી ડાયરેક્ટર હતા, તેમણે કૃષ્ણ ચંદરને ઓલ ઇન્ડિયા રેડિયો, લાહોરમાં પ્રોગ્રામ સહાયકની નોકરી આપી. તેમણે ત્રણ વર્ષ સુધી લાહોર, દિલ્હી અને લખનૌમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. તેઓ રેડિયોની નોકરીથી સંતુષ્ટ ન હતા. તે સમયે, પુણેની શાલીમાર ફિલ્મ કંપનીના નિર્માતા/નિર્દેશક ઝેડ. અહેમદે તેમની એક વાર્તા વાંચી અને તેમને ટેલિફોન કરીને તેમની ફિલ્મ કંપની માટે સંવાદો લખવા આમંત્રણ આપ્યું. કૃષ્ણ ચંદર રેડિયોની નોકરી છોડીને પુણે ચાલ્યા ગયા. પુણેનો સમય કૃષ્ણ ચંદરના જીવનમાં યાદગાર અને રંગીન સમય હતો. અહીં તેમણે ‘અન્નદાતા’ અને ‘મોબી’ વાર્તાઓ લખી હતી.

કૃષ્ણ ચંદર 1946માં પુણેથી બોમ્બે ચાલ્યા ગયા જ્યાં તેમને 1,500 રૂપિયાના માસિક પગારે બોમ્બે ટોકીઝમાં નોકરી મળી. તે કંપનીમાં એક વર્ષ કામ કર્યા પછી, તેમણે નોકરી છોડી દીધી અને ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક બની ગયા. તેમની પ્રથમ ફિલ્મ ‘સરાય કે બહાર’ તેમના એક રેડિયો નાટક પર આધારિત હતી. તેમના ભાઈ મહેન્દ્રનાથ તેમાં હીરો હતા. આ ફિલ્મ નિષ્ફળ ગઈ. ત્યારબાદ તેમણે ‘રાખ’ ફિલ્મ બનાવી જે ક્યારે ય રિલીઝ ન થઈ. ફિલ્મોની નિષ્ફળતાના પરિણામે, કૃષ્ણ ચંદર જમીન પર આવી ગયા. તેમના પર દેવાનો ભારે બોજ હતો અને તેની ચૂકવણીની કોઈ શક્યતા નહોતી. તેમણે પોતાની કાર વેચી, નોકરોને કાઢી મૂક્યા અને બોમ્બેમાં પોતાનો પગ જમાવવા માટે નવો સંઘર્ષ શરૂ કર્યો. કૃષ્ણ ચંદરે લગભગ બે ડઝન ફિલ્મો માટે વાર્તાઓ અને સંવાદો લખ્યા.

1966માં, કૃષ્ણ ચંદરને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં પંદર દિવસ માટે સોવિયત સંઘની મુલાકાત લેવાનું આમંત્રણ પણ સામેલ હતું. કૃષ્ણ ચંદરે સલમા સિદ્દીકી સાથે રશિયાની મુલાકાત લીધી હતી. 1973માં, ફિલ્મ્સ વિભાગે તેમના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને તેમના જીવન પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને આ કામ તેમના ભાઈ મહેન્દ્રનાથને સોંપવામાં આવ્યું. 1969માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

કૃષ્ણ ચંદર હાર્ટ પેશન્ટ હતા. તેમને 5 માર્ચ 1977ના રોજ, ચોથો હાર્ટ એટેક આવ્યો, અને 8 માર્ચે તેમનું અવસાન થયું. તેમણે ઉર્દૂ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. 2019માં, ICSE બોર્ડે એમની વાર્તા ‘જામુન કા પેડ’ ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી એમ કહી હટાવી દીધી હતી કે આ વાર્તા દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી ! વાસ્તવમાં આ વાર્તા સરકારી વ્યવસ્થાની પોલ ઉઘાડી પાડતી હતી ! ‘જામુન કા પેડ’ વાર્તામાં સચિવાલય પરિસરમાં એક માણસ જાંબુના ઝાડ નીચે દબાયેલો હોય છે. તેને કાઢવાને બદલે તેની ફાઈલ એક વિભાગથી બીજા વિભાગમાં ફરતી રહે છે. છેવટે તેની ફાઈલ ખૂલે છે ત્યારે તે માણસનો જીવ જતો રહે છે. બેજવાબદાર નોકરશાહી કેટલી અક્ષમ / ભ્રષ્ટ / સંવેદનહીન / અમાનવીય છે તેના પર વ્યંગ છે. આજે કૃષ્ણ ચંદર લખતા હોત તો ન જાણે કેટલા ય રાજદ્રોહના કેસમાં ફિટ કરી દીધા હોત ! આદરાંજલિ !

[સૌજન્ય : હિદાયત પરમાર]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રજા ક્દાચ સત્તા પરિવર્તન નથી ઇચ્છતી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 November 2024

રવીન્દ્ર પારેખ

મહારાષ્ટ્ર અને ઝારખંડનાં ચૂંટણી પરિણામો એમ સૂચવે છે કે જ્યાં જે છે તે સત્તા પર ટકી રહે. મહારાષ્ટ્રમાં યુતિ સરકાર હતી તો તે ત્યાં જ રહે એવું પરિણામોએ સૂચવ્યું છે. એ ખરું કે ભા.જ.પ.ને સૌથી વધુ સીટો મળી છે, એટલે મુખ્ય મંત્રી ઘણું ખરું તેનો જ આવે (દેવેન્દ્ર ફડણવીસ?) એમ બને ને એમાં અજિત પાવર (એન.સી.પી.) કે એકનાથ શિંદે(શિવસેના)નું પણ બહુ ન ઊપજે એવી સ્થિતિ છે. ટૂંકમાં, મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવશે. એ જ રીતે ઝારખંડમાં ભા.જ.પ.નું ખાસ ઉપજ્યું નથી ને ત્યાં ‘ઇન્ડિયા’ ગઠબંધનનો પ્રભાવ રહેતા હેમંત સોરેનની સરકાર બનવાના યોગ છે. મહારાષ્ટ્રમાં ભા.જ.પ.નાં સૂત્રો – બટેંગે તો કટેંગે – કે – એક હૈ તો સેફ હૈ – હિન્દુત્વ સંદર્ભે ચાલ્યાં છે, પણ એનો પ્રભાવ ઝારખંડમાં પડ્યો નથી, ત્યાં બટેંગે તો બચેંગે-નો મહિમા હોય તો નવાઈ નહીં ! એટલે, એક જ પક્ષના સૂત્રો એક રાજ્યમાં ચાલે તે બીજા રાજ્યમાં પણ ચાલે જ એવું જરૂરી નથી. બંને રાજ્યોમાં વિપક્ષનું ખાસ ઉપજ્યું નથી, એટલું જ નહીં, સ્થિતિ વધુ દયનીય એટલે પણ છે કે કાઁગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એન.સી.પી. (શરદ પવાર) મળીને પણ કંગાળ દેખાવથી બચી શક્યા નથી, તો ભા.જ.પ.ને ઝારખંડમાં ઘૂસણખોરોનો મુદ્દો ફળ્યો નથી, તે એટલે કે કેન્દ્ર પાસે ઘૂસણખોરીનો મુદ્દો હોય, પણ ઘૂસણખોરી રોકવાનો કોઈ ઉકેલ જ ન હોય તો ન ચાલે. હવે અલ્પસંખ્યક, આરક્ષણ અને સંવિધાનના મુદ્દાઓ ધારી અસર ઉપજાવે એમ નથી, એટલે આગામી ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ જીત માટે જુદા મુદ્દા શોધવાના રહે. 

લાગે છે તો એવું પણ કે હાલનું પ્રજા માનસ બહુ મોટાં રાજકીય પરિવર્તનોની તરફેણમાં નથી. પેટાચૂંટણીનાં પરિણામો પણ જે રાજ્યમાં જેની સરકાર છે એના જ સભ્યોને ઈચ્છે છે. પ્રિયંકા ગાંધીની જીત એ રીતે સૂચક છે. રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીને વધુ સફળતા મળી છે એ પણ નોંધનીય છે. એમ પણ લાગે છે કે નેતાઓનો જેલવાસ પ્રજાને બહુ કઠતો નથી. એવું ન હોત તો હેમંત સોરેનની વાપસી જીતનું કારણ બની ન હોત. રહી વાત કાઁગ્રેસની, તો તે એવી સ્થિતિમાં નથી કે સ્વતંત્ર પક્ષ તરીકે વધુ કૌવત દાખવી શકે. અત્યારે તો ઇન્ડિયા ગઠબંધન તરીકે જ તેણે આગળ વધવાનું રહે છે. એ ખરું કે લોકસભાની ચૂંટણી પછી ભા.જ.પે. સરકાર રચવા નાયડુ અને નીતીશનો ખભો લેવો પડ્યો ને એટલો પ્રભાવ તો વિપક્ષોનો રહ્યો જ, પણ અત્યારે વિપક્ષોનો એવો પ્રભાવ નથી કે કેન્દ્રમાં કે મહારાષ્ટ્ર કે યુ.પી. જેવામાં સત્તા સુધી પહોંચી શકાય. દેખીતું છે કે મહારાષ્ટ્રમાં જેટલું મનોબળ ભા.જ.પ.નું વધ્યું છે, એટલું ઝારખંડમાં કાઁગ્રેસનું વધ્યું નથી. વિપક્ષો એટલું આશ્વાસન લઈ શકે કે ઝારખંડમાં ભા.જ.પ.ની કારી ફાવી નથી. ખરેખર તો વિપક્ષોએ આત્મચિંતન-મંથન-મનન કરવાની જરૂર છે. 

લોકસભાની છેલ્લી ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને 48માંથી 30 સીટ મળી હતી, જ્યારે ભા.જ.પ.ને માત્ર 9 સીટ જ મળી હતી. એ વાતે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કાઁગ્રેસી નેતાઓ એમ ધારતા હતા કે એ જ રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી જવાશે. એમાં વિશ્વાસ કરતાં વધુ પડતો ‘વિશ્વાસ’ કેન્દ્રમાં હતો, બીજી બાજુએ ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મતભેદ ભૂલીને પાયાનું કામ કર્યું ને મરાઠી ઉપરાંત નાની જાતિઓને મતદાન મથક સુધી લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એથી મતદાનની 2019ની ટકાવારી 61.1 ટકાથી વધીને 2024માં 66 ટકા સુધી આવી. તેણે મહારાષ્ટ્રમાં ભા.જ.પ.ને એ સ્થિતિએ મૂક્યો કે તે મહાયુતિની સરકાર રચી શકે.

મહારાષ્ટ્ર અને ઝારખંડનાં ચૂંટણી પરિણામો કેટલીક એવી બાબતો પર પણ પ્રકાશ ફેંકે છે જે એકબીજાથી વિપરીત હોય. જેમ કે એન.સી.પી.ના શરદ પવારનો કેન્દ્ર અને રાજ્ય સુધી વ્યાપક પ્રભાવ હતો, એ હવે ઓસર્યો છે અને એમના જ સાથી-સંબંધી અજિત પવારનો પ્રભાવ મહારાષ્ટ્રમાં વધ્યો છે. એ જ રીતે શિવસેનાના બાળઠાકરેનો પ્રભાવ ઉદ્ધવ ઠાકરે જાળવી શક્યા નથી, પણ તે જ પક્ષના સાથી એકનાથ શિંદેનો પ્રભાવ મુખ્ય મંત્રી બનવા સુધી વિસ્તર્યો છે. એથી ઊલટું, ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેન ઝારખંડના મુખ્ય મંત્રી બન્યા, તો તેમના દીકરા હેમંત સોરેન જે.એમ.એમ.નો પ્રભાવ જાળવીને મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહે એવી તકો ઊભી થઈ છે. 

આ વખતે મહાયુતિની શિંદે સરકારે જૂન 2024માં ‘માઝી લાડકી બહિન’ યોજના શરૂ કરી, જેમાં વાર્ષિક 2.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારની મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. જુલાઈથી ઓકટોબર સુધીમાં 2.34 કરોડ મહિલાઓએ એનો લાભ લીધો છે. ગરીબી રેખાની નીચે જેટલી મહિલાઓ છે, તેનાથી અઢી ગણી મહિલાઓનાં ખાતામાં 7,500 રૂપિયા જમા થઈ ગયા છે. 2.34 કરોડનો આંકડો કુલ મહિલા મતદારોથી અડધો છે. વધારામાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એવો વાયદો પણ કર્યો છે કે મહાયુતિ સત્તામાં આવશે તો આ યોજના હેઠળ દર મહિને 2,100 રૂપિયા આપવામાં આવશે. એક તરફ 7 લાખ કરોડનું દેવું છે ને બીજી તરફ 2.34 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને 2,100 રૂપિયા ઉમેરાતા રહે તો આ કેટલું ટકશે એ સવાલ છે. 

આમ તો 2019માં રાહુલ ગાંધીએ ઘોષણા પત્રમાં સૌથી વધુ ગરીબ 5 કરોડ પરિવારોનાં ખાતાંમાં વર્ષે 72,000 રૂપિયા નાખવાની વાત કરેલી. એ પછી 2024માં 72,000નો આંકડો 1,00,000 કરવાની વાત પણ મહાલક્ષ્મી યોજના હેઠળ રાહુલ ગાંધીએ કરી. આ યોજનાની ટીકા થઈ, પણ પછી ભા.જ.પે. એવી જ યોજના અમલમાં મૂકી, તો એને માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી. આ યોજનાથી કાઁગ્રેસને તો લાભ ન થયો, પણ ભા.જ.પ.ને થયો ને તે પાર્ટી ચૂંટણીમાં જીત સુધી પહોંચી. કયા દેશમાં આવી લહાણી થતી હશે તે નથી ખબર, પણ ભારતમાં તો થાય જ છે તે હકીકત છે. જતે દિવસે બેકાર યુવકો, વૃદ્ધો, ઓછું કમાતા પુરુષો કે અત્યંત ગરીબ પુરુષો અમારે માટે પણ ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરો, નહીં તો મત નહીં આપીએ, એવી હઠ પકડે તો સરકારો એવું કરી શકશે કે મહિલાઓના મતો પર જ જીત હાંસલ કરશે તે વિચારવાનું રહે. 

મૂળે તો ‘માઝી લાડકી બહિન’ યોજના મધ્ય પ્રદેશની ‘લાડલી બહેન’ યોજનાનું જ મરાઠીકરણ છે. એ જ રીતે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલાં ‘મૈયા સન્માન યોજના’ શરૂ કરી. આ યોજના અંતર્ગત દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવતા હતા. ભા.જ.પે. 2,100ની લાલચ આપી, તો હેમંત સોરેને 2,500 આપવાનો વાયદો જ ન કર્યો, પહેલો હપ્તો છૂટો પણ કરી દીધો. એ ઉપરાંત મફત વીજળી, ખેડૂતોની લોન માફી, OPS જેવી યોજનાઓએ પણ તેની અસર દેખાડી. બાકી હતું તે હેમંત સોરેનની ધરપકડે પૂરું કર્યું. ઝારખંડ આંદોલનનો હેતુ તો અલગ આદિવાસી રાજ્યનો હતો. જે.એમ.એમ.એ ચૂંટણીમાં હેમંતની ધરપકડને અસ્મિતાનો મુદ્દો બનાવ્યો. એથી હેમંત અને જે.એમ.એમ. બંને મજબૂત થયા. ED અને CBIની કાર્યવાહીની વિપરીત અસરો એ પડી કે આવી કાર્યવાહીથી, સરકાર અને આદિવાસી નેતૃત્વને નબળાં પાડવાનું કાવતરું થઈ રહ્યું છે એવી હવા બંધાઈ. આ બધું હેમંત સોરેન અને જે.એમ.એમ.ને વિજયી બનાવવામાં કારગત નીવડ્યું. એથી મહિલા મતદારો ઉપરાંત અન્ય મતદારોએ પણ જે.એમ.એમ. અને ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મત નાખ્યા.     

એ પણ છે કે પ્રજા ચતુર અને મતલબી થઈ છે. તે જાણે છે કે ચૂંટણીના વાયદાઓથી તેનો દા’ડો વળે એમ નથી. તે એ પણ જાણે છે કે વાયદાઓ તો ન પાળવા માટે જ હોય છે. મતદારો હવે તરતનો, સીધો લાભ શોધે છે. લાભ આપો ને મત લો – એ તેનું રોકડું ગણિત છે. એટલે અમે આટલા આપીશું-નો વાયદો નહીં, ખાતામાં જમા કરો, પછી મત નાખીશું – એ પ્રજાએ પક્ષોને ભણાવેલો પાઠ છે. સીધી વાત એટલી છે કે રાજકીય પક્ષોએ ખાતામાં જમા આપ્યા છે તો વોટિંગ મશીનમાં મત પડ્યા છે. પ્રજા હવે છેતરાવામાં માનતી નથી. તે છેતરી શકે, પણ છેતરાય એવી રહી નથી. મહિલાઓને દર મહિને ખાતામાં રકમ જમા થઈ છે, તો મતદાનની ટકાવારી પણ વધી છે. એવો સવાલ થાય કે 81 કરોડ લોકોને મફત અનાજની ટેવ પડે કે ખાતામાં રકમ જમા લઈને મત આપે, એમાં પ્રજા નૈતિક રીતે ઠીક કરી રહી છે? તો સામો સવાલ એ પણ થાય કે પ્રજાને મફતની ટેવ પાડીને પક્ષોએ જે રાજકીય હેતુઓ પાર પાડ્યા છે, તેમાં નૈતિકતા છે? સાચું તો એ છે કે અનૈતિકતા જ ભારતીય રાજનીતિનું વ્યાવર્તક લક્ષણ છે. નથી પક્ષોને નૈતિકતા જોડે લેવાદેવા કે નથી હક વગરનું લેવામાં પ્રજાને કોઈ સંકોચ ! 

હા, શુદ્ધતાના, સચ્ચાઈના, સાત્ત્વિકતાના માપદંડો જરૂર બદલાયા છે. 

અત્યારે તો જેમ અગાઉનું બદલાયું છે, એમ જ ભવિષ્યમાં આજનું પણ બદલાશે એવી આશા રાખવા સિવાય બીજો ઈલાજ નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 નવેમ્બર 2024

Loading

શું પ્રતીકો હકીકતનો પર્યાય બની શકે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2024

રમેશ ઓઝા

આ વાચાળતા અને પ્રતીકોનો યુગ છે એટલે જો તમે કોઈ કામ ન કરી શકતા હોય કે કામ ન કરવા માગતા હોય તો વાચાળ બનો. મોટી મોટી વાતો કરો, લોકોને આંજી દો, વાયદાઓ કરો. આ ઉપરાંત પ્રતીકોનો પણ લોકોને પોરસાવવા માટે ઉપયોગ કરી શકાય છે. નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કેટલા વાચાળ હતા એ તો તમે જાણો છો, બંધારણીય આદર્શોની મોટીમોટી વાતો કરતા હતા, પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે જેટલું ખમીર બતાવવું જોઈતું હતું એટલું તેઓ બતાવી શક્યા નહોતા. તેમણે પ્રતીકનો પણ ઉપયોગ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ગ્રંથાલયમાં ન્યાયની દેવીની મૂર્તિ મૂકાવી છે જે પ્રચલિત મૂર્તિ કરતાં અલગ છે. ધનંજય ચન્દ્રચૂડે ન્યાયની દેવીની અંખ પરની પટ્ટી ખોલી નાખી છે અને હાથમાં તલવારની જગ્યાએ બંધારણની પ્રત છે. માત્ર ત્રાજવું કાયમ છે.

ત્રાજવું તોળીને ન્યાય આપવાનું પ્રતીક છે. ન કોઈને વધારે કે ન કોઈને ઓછું. ન્યાયની દેવીની પ્રચલિત મૂર્તિની આંખ પર પટ્ટી એટલા માટે બાંધવામાં આવતી કે તે ન્યાય કરતી વખતે એ જોતી નથી કે સામે રાજા છે કે રંક. ધનિક છે કે નિર્ધન. ધર્મગુરુ છે કે નાસ્તિક. વાદી કે પ્રતિવાદી કોણ છે એ બાબતે ન્યાયની દેવી સ્વૈચ્છિક અંધાપો પાળે છે. હાથમાં તલવાર એમ સૂચવે છે કે ન્યાયતંત્ર નિર્બળ નથી, સશક્ત છે. તેનાં હાથ લાંબા છે અને તેનાથી કોઈ બચી શકે નહીં. નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે નિવૃત્ત થતાં પહેલાં સર્વોચ્ચ અદાલતમાં જે મૂર્તિ મૂકાવી છે તેની આંખની પટ્ટી હટાવી દીધી છે અને હાથમાં તલવારની જગ્યાએ બંધારણની પ્રત છે. આ સિવાય દેવીને મુગટ પહેરાવવામાં આવ્યો છે જે સર્વોપરિતાનું પ્રતીક છે.

હવે પહેલો સવાલ ઉપસ્થિત થાય છે, ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ અને તેમના બંધુ જજોએ પ્રતીકોમાં કરેલાં પરિવર્તનોનો અને તેનાં સૂચિતાર્થો વિષે અને બીજો સવાલ ઉપસ્થિત થાય છે કે શું પ્રતીકો હકીકતનો પર્યાય બની શકે? જેમ મહાન વાતો મહાન કૃતિનો પર્યાય નથી બની શકતી એમ પ્રતીકો હકીકતનો પર્યાય નથી બની શકતાં. એને માટે ખરાં ઉતરવું પડે. ખુદવફાઇ જોઈએ અને જીગરમાં જોર જોઈએ. દાયકાઓથી માગણી થતી આવી છે કે સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં ન્યાયમૂર્તિ હંસ રાજ ખન્નાની પૂરા કદની પ્રતિમા સ્થાપવામાં આવે. કોણ હતા આ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્ના અને શા માટે તેમની પ્રતિમા મૂકવાનો આગ્રહ કરવામાં આવે છે? તેઓ ડૉ આંબેડકર, બી.એન. રાવ, કે.એચ.એમ. સિરવાઈ જેવા મહાન કાયદાવીદ્દ વિદ્વાન નહોતા, આઈવર જેનીન્ગ્સ કે ગ્રીન્વીલે ઓસ્ટીનની માફક વિશ્વદેશોનાં બંધારણોનો કોઈ તુલનાત્મક અભ્યાસ તેમણે નહોતો કર્યો, તેઓ કે. સુબ્બા રાવ કે પી.બી. ગજેન્દ્રગડકર કે કૃષ્ણા ઐયર જેવું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ નહોતા ધરાવતા, અને તેઓ ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ જેવા સારા વક્તા પણ નહોતા. આમ છતાં ય તેમની પ્રતિમા અને એ પણ સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં મૂકવાની માગણી થતી રહે છે.

શા માટે? કારણ કે તેઓ ન્યાયની દેવી (જૂની કે નવી) જે ગુણોની પ્રતીકાત્મક શીખ આપે છે અને બંધારણને જેવા ન્યાયમૂર્તિ અપેક્ષિત છે એવા ન્યાયમૂર્તિ હતા. વિદ્વાન નહોતા, પ્રામાણિક હતા. વાચાળ નહોતા, જીગરવાળા હતા. સમય અને સંજોગોને વફાદાર નહોતા, ભારતનાં બંધારણને, કાયદાના રાજને અને ભારતનાં નાગરિકને વફાદાર હતા. મહત્ત્વાકાંક્ષી નહોતા, પણ ન્યાયની ખુરશીનું મહત્ત્વ સમજતા હતા. ઈમરજન્સીમાં જ્યારે ભલભલા જજો પાણીમાં બેસી ગયા ત્યારે તેમણે બંધારણની લાજ રાખી હતી. સરકારની વિરુદ્ધ ગયા હતા અને તેની કિંમત પણ ચૂકવી હતી. તેમને સુપરસીડ કરવામાં આવ્યા હતા અને સ્વમાન ખાતર તેમણે રાજીનામું આપ્યું હતું. એ સમયે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયની દેવીનું પૂતળું નહોતું અને દેવીના હાથમાં બંધારણ નહોતું. માટે કૃતિ બોલે છે, મહાન વાતો અને પ્રતીકો નહીં. મને ખાતરી છે કે આજે નહીં તો કાલે, ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની પ્રતિમા સર્વોચ્ચ અદાલતમાં સ્થાપાશે.

હવે નવી મૂર્તિમાં કરવામાં આવેલા પરિવર્તનો અને તેનાં સૂચિતાર્થોની વાત. ન્યાયતંત્રની સર્વોપરિતા સિદ્ધ કરવા માટે ન્યાયની દેવીને માથે મુગટ પહેરાવવામાં આવ્યો છે. આપણને અને બંધારણ ઘડનારાઓને ન્યાયતંત્રની સર્વોપરિતા અભિપ્રેત હતી કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્વાયત્તતા? લોકતંત્રમાં દરેક પાંખ એક સરખું મહત્ત્વ ધરાવે છે જેમાં સર્વોપરી કોઈ નથી. બીજું, સાચી શક્તિ સર્વોપરિતામાં રહેલી છે કે સ્વતંત્રતામાં? શાસકો સર્વોપરી છે પણ ધનપતિઓના ગુલામ છે. વળી શક્તિ અને સત્તામાં પણ ફરક છે. બંધારણના ઘડવૈયાઓએ સ્વતંત્ર ન્યાયતંત્રની અપેક્ષા રાખી હતી, સર્વોપરી નહીં. આવાં ખોટાં અર્થઘટનોના કારણે આપણને એવો અનુભવ થઈ રહ્યો છે કે જ્યારે કેન્દ્રમાં સરકાર નિર્બળ હોય ત્યારે ન્યાયતંત્ર છાતી પર ચડી બેસે છે અને સરકાર સબળ હોય ત્યારે પાણીમાં બેસી જાય છે. ઇન્દિરા ગાંધીનાં વર્ષોમાં અને અત્યારનાં વર્ષોમાં સમાનતા જોવા મળશે. આવો અનર્થ ટાળવો હોય તો દેશને સ્વતંત્ર ન્યાયતંત્રની જરૂર છે, સર્વોપરી નહીં.

મૂર્તિનું અનાવરણ કરતી વખતે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કહ્યું હતું કે ન્યાયતંત્રની આંખ ઉઘાડી હોય છે અને હોવી જોઈએ. તેમની વાત સાચી છે, ન્યાયાધીશો સ્વર્ગમાંથી ઉતરીને અદાલત ખંડમાં નથી બેસતા. તેઓ પણ સમાજની અંદર જીવે છે. છાપા વાંચે છે, ટી.વી. ચેનલ જુએ છે અને સોશ્યલ મીડિયા પર નજર હોય છે. દેશમાં અને સમાજમાં શું ચાલી રહ્યું છે તેની તેમને જાણ હોય છે. આ વાત પત્રકારોને લાગુ પડે, અધિકારીઓને લાગુ પડે, સામાન્ય નાગરિકને લાગુ પડે અને બીજા કોઈને પણ લાગુ પડે. દરેકને જ્યારે નિર્ણય લેવાનો આવે અને એમાં પણ અંગત કરતાં વ્યાપક હિતનો નિર્ણય લેવાનો આવે કે અભિપ્રાય બનાવવાનો કે આપવાનો વખત આવે ત્યારે તેણે કઈ ચીજનું ધ્યાન રાખવું જોઈએ? મારો જવાબ છે ત્રણ : અંતરાત્મા, બંધારણ અને નાગરિકનું વ્યક્તિગત કે સામૂહિક હિત. શું બની રહ્યું છે એ સમજવા માટે આંખ ખુલ્લી રાખવી જોઈએ અને મારા નિર્ણય કે અભિપ્રાયથી કોને કેટલું નુકસાન થશે અને કોણ નારાજ કે રાજી થશે એ બાબતે આંખ બંધ રાખવી જોઈએ. ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની આંખ ખુલ્લી પણ હતી અને બંધ પણ હતી. એ.ડી.એમ. જબલપુર કેસમાં એચ.આર. ખન્નાની સાથેના બાકીના ચાર જજો (ન્યાયમૂર્તિ એ.એન. રે, ન્યાયમૂર્તિ એચ.એમ. બેગ, ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી અને ન્યાયમૂર્તિ વી.વાય. ચન્દ્રચૂડ)ની આંખ માત્ર ખુલ્લી હતી અને તેમણે સરકારની તરફેણમાં અને બંધારણ તેમ જ નાગરિકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો.

અને છેલ્લી વાત. તલવાર વધારે તાકાતવર કે બંધારણ? બન્નેમાંથી કોઈ નહીં જો ચલાવનારામાં આવડત અને જીગર ન હોય તો. ગાંધીજી કહેતા કે જીગર કાળજામાં છે, શસ્સ્ત્રોમાં નથી. માટે મોટી મોટી વાતો અને પ્રતીકો નક્કર કૃતિની જગ્યા ન લઈ શકે.   

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 24 નવેમ્બર 2024

Loading

...102030...434435436437...440450460...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved