Opinion Magazine
Number of visits: 9456943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૯) 

સુમન શાહ|Opinion - Literature|21 September 2024

સુમન શાહ

વર્તુળ : ૨ : જીવનસ્વીકૃતિ વિશે પ્રશ્ન

જીવન-સ્વીકૃતિ વિશે પ્રશ્ન કરતી કર્નલ સ્પોટ્સ કે પરાકોટિ-રૂપ રચનાઓ આ છે : ‘કર્ણ-કૃષ્ણ’, ‘યુધિષ્ઠિર’, ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’. 

આ વર્તુળની કાવ્યસૃષ્ટિ અનેકાનેક પરિવર્તનોની સૃષ્ટિ છે : 

જેમ કે – ૧ : કવિતા અહીં મુખ્યત્વે પોતાને જોતી થઈ છે, પોતાને શોધતી થઈ છે. કવિ પણ પોતાની શોધવૃત્તિને વશ થયા છે. 

જેમ કે – ૨ : કાવ્યની રૂપનિર્મિતિને વિશે સ્વીકૃતિનો પ્રશ્ન વિસ્તર્યો છે. રૂપ ઉમાશંકરમાં એવી પાળ છે જેને આપણે વસ્તુની સત્તાને વશ રહેવાની પ્રામાણિકતા કહી શકીએ. એટલે એમની સૃષ્ટિમાં રૂપના ઉન્મેષો કે રૂપના ઉલ્લાસોની અતિશયતા નથી. પરન્તુ, આ બીજા વર્તુળમાં, આપણે જોઈ શકીશું કે જીવનસ્વીકૃતિ વિશેનો પ્રશ્ન અનેક વખતે કાવ્યની રૂપનિર્મિતિ વિશે ક્રાન્તિકર બની ગયો છે. 

જેમ કે – ૩ : એમ લાગે કે, તત્કાલીન વિશ્વયુદ્ધ કવિને પ્રાચીન મહાભારત-યુદ્ધની ઘટનાઓ અને પાત્રસૃષ્ટિમાં ખૅંચી જાય છે. અને, ઉમાશંકર ‘મહાપ્રસ્થાન’ લખે છે. મહાન સંઘર્ષમૂર્તિઓ કર્ણ અને યુધિષ્ઠિરમાં કવિને મનુષ્યનું ચિરકાલીન ગૌરવ જ ભળાયું છે, તેમછતાં, એ ગૌરવની ભાત કરુણ ભાસી છે. ઉમાશંકરની કાવ્યસૃષ્ટિમાં આલેખાયેલો મનુષ્ય, આમ, પ્રાચીન અને સનાતનનું સાતત્ય પામે છે, વધુ ને વધુ વિશદ અને પારદર્શક લાગે છે. આમ, એમના ચિન્તનને “મહાભારત”-નો પુટ ચડ્યો, પરિણામે, ઊર્મિકવિતાનો નહીં પણ કથનકવિતાનો તેમ જ નાટ્ય કવિતાનો મનોરથ જાગ્યો. 

એટલું જ નહીં, સમુચિત કાવ્યપ્રકારની અનિવાર્યતા ય સમજાઈ, અને આપણે જોઈ શકીએ છીએ કે ઉમાશંકર પદ્યનાટકની શોધમાં પરોવાયા છે. આપણે જોઈ શકીએ છીએ કે કવિ કાવ્યમાધ્યમ વિશે વધુ સભાન થયા છે, છન્દોલય વિશે સાશંક બન્યા છે. એ સભાનતા પદ્યનાટકને વિશે જાણે કે મ્હૉરી – ‘વનવેલી’ જેવું નાટ્યપદ્ય એ સભાનતાનું પરિણામ છે. “પ્રાચીના” અને “મહાપ્રસ્થાન”-માં એમણે નાટ્યકવિતાને માટેના, પદ્યનાટકને માટેના, ઉચિત માધ્યમની શોધ માટે જે પ્રશસ્ય પ્રયાસ કર્યો, એ પુરુષાર્થ એમની કવિ-કારકિર્દીની મોટી ઘટના છે. 

જેમ કે – ૪ : ખણ્ડકાવ્ય અને સૉનેટ કાવ્યપ્રકારોથી એમની કવિતા નાટ્યકવિતાની દિશામાં સન્ક્રાન્ત થઈ છે. એ સન્ક્રાન્તિમાં કારણભૂત ધક્કો તો પેલી શ્રદ્ધા-શંકાથી ઉદ્ભવ્યો છે, અને એ ધક્કો વધુ બળવાન બન્યો છે ૧૯૫૬-માં, જ્યારે એમને લાગ્યું હતું કે પોતે સરજેલો કાવ્યનાયક જ નહીં, પણ પુરા કવિતા પણ છિન્નભિન્ન થઈ ગઈ છે. છેલ્લે તો, જુઓ ને, ‘ક્યાં છે કવિતા?’ જેવો માર્મિક પ્રશ્ન પણ જાગ્યો ! 

જેમ કે – ૫ : વિભૂતિમત્-ને વિશેની શ્રદ્ધા પણ નથી રહી. ૧૯૩૯-ના ડિસેમ્બરમાં ઉમાશંકરે ‘બીજું વિશ્વયુદ્ધ’ કાવ્ય લખ્યું હતું. રચનાની આબોહવા “મહાભારત”-ની છે, પણ એમાં પ્રશ્ન ઊપસ્યો છે, લુપ્તપ્રાય થઈ રહેલી વિભૂતિ વિશે – ‘વિભૂતિનો અંશવિશેષ જેહ પ્રકાશતો માર્ગશીર્ષ ગણાયો, / ક્યાં, તે ક્યાં? ઓ જ્યોતિ, અપ્રાપ્ય, દિવ્ય!’. વિશ્વયુદ્ધને કારણે કવિસંવિદમાં વેદના ખળભળી ઊઠી છે – ‘આ ભૂતસૃષ્ટિ આથડે અંધકારે’. (૩૪૪). નાયકને એ, માનવજાતની ‘અઘોર આત્મહત્યા’ લાગે છે, ‘પૃથ્વીની નિર્મનુષ્યા થવાની પ્રતિજ્ઞા’ દીસે છે. 

ઉમાશંકર જોશી

એ પ્રતિજ્ઞા કરુણ અને ભયપ્રદ  એટલા માટે છે કે એ યુદ્ધમાાં કોઈ કૃષ્ણ જ નથી! શસ્ત્રસંન્યાસ ‘ઇચ્છા વ્હોણો’ થયો છે, ત્યારે દિગ્દર્શન કરનાર કોઈ નથી. વિભૂતિમત્ કૃષ્ણની અનુપસ્થિતિમાં એ ઘોર પ્રણાશથી વિશ્વશાન્તિ બીજી વાર ભારે અશક્ય ભાસી રહી છે, અને એની તીવ્ર પ્રતીતિ કવિને થઈ ચૂકી છે. “પ્રાચીના”-ની ‘ઓગણીસમા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’ રચનાઓમાં એ પ્રણાશ આલેખાયો છે -બન્ને કૃતિઓ ૧૯૪૨-૪૩માં પ્રગટી આવી છે, એ સૂચક છે. 

જેમ કે – ૬ : બે વિશ્વયુદ્ધો પછીનો ઉત્તરકાળ ઉમાશંકરની સમગ્ર કવિતાનો સર્જનકાળ છે. એનો એમની કવિસંવિદ પર ભારે પ્રભાવ રહ્યો છે. 

પહેલા યુદ્ધોત્તરકાળમાં, વિશ્વશાન્તિ અને વસુધૈવ કુટુમ્બકમ્-ના ભાવનાલોકની કવિતા જનમી. બીજામાં, આત્માનાં ખંડેર -નું યથાર્થ અને તેની સમ્પ્રજ્ઞતા, અને એમ વિ-ભાવનાલકોની કવિતા જનમી. પહેલામાં, હિન્દ-સ્વાતન્ત્ર્યને લક્ષ્ય કરતો રાષ્ટ્રપ્રેમ માનવતાના વ્યાપક અને સંશુદ્ધ રૂપે કાવ્યમાં પરિણમ્યો; બીજામાં, સ્વાતન્ત્ર્યોત્તર ભારતની ભૂમિકાએ વિશ્વમનુષ્ય માટેનો પ્રેમ, યુદ્ધોત્તર સભ્યતાથી દમિત અને વિક્ષુબ્ધ મનુષ્ય માટેનો પ્રેમ, કાવ્યમાં પરિણમ્યો. 

પરન્તુ છેવટે, ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’-માંના વિશ્વમાનવીની આ વિશ્વમનુષ્ય આછી ‘નૅગેટિવ’ પણ નથી એવું કરુણ ભાન જાગે છે, અને કાવ્યસૃષ્ટિ બદલાય છે. એ ભાન આ બીજા વર્તુળની કવિતામાં ઉત્ક્રાન્ત થયું છે. 

ટૂંકમાં, કાવ્યસર્જનની લગભગ બધી પૂર્વ-પરમ્પરાનો બહુશ: લોપ થયો છે અને નિતાન્ત સ્વકીય અને સર્વથા અધિકૃત પરમ્પરાના જન્મની ભૂમિકા રચાઈ છે.

૮

આ વર્તુળની કાવ્યસૃષ્ટિ અનેકાનેક પરિવર્તનોની સૃષ્ટિ છે એ ખરું, પણ એમાં કેન્દ્રસ્થ હોય તો તે છે, કાવ્યમાધ્યની શોધ : 

બ.ક. ઠાકોરના ‘અગેય પ્રવાહી પદ્યરચના’ વિભાવનો સુભગ સાર ઉમાશંકરની ઓછા દૃઢબન્ધવાળી અક્ષરમેળ કૃતિઓમાં અને એમની પરમ્પરિત માત્રિક પદ્યરચનાઓમાં અનુભવાય છે. ‘વિશ્વશાન્તિ’-માં ય પ્રવાહી પદ્યરચનાનો પક્ષપાત જણાય છે. એમાં, શિખરિણી, મન્દાક્રાન્તા કે પૃથ્વીની જેમ જ એમણે અનુષ્ટુભ અને મિશ્રોપજાતિ જેવા ઓછા દઢબન્ધવાળા તેમ જ બોલચાલના વળોટ ધરાવતા હળવા છન્દ પ્રયોજ્યા છે. એ પછી, એ સુભગ સાર ગદ્યના સીમાડાઓને અડી આવતી ‘વનવેલી’-બદ્ધ રચનાઓમાં અનુભવાય છે. પાત્રોની ભાવદશાની ચરમ ક્ષણો વખતે એ માધ્યમ પૂરેપુરું નમનીય અને કાર્યક્ષમ નીવડે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે ઉમાશંકરીય પદ્યરચના દૃઢબન્ધ અક્ષરમેળથી બદલાઈને, દાખલા રૂપે એમના શિખરિણીથી મિશ્રોપજાતિમાં થઈને વનવેલીમાં અને છેલ્લે, અછાન્દસમાં ઠરે છે.

ગુજરાતી કાવ્યમાધ્યમનો ઇતિહાસ પણ આ જ રૂપે છન્દના દૃઢબન્ધથી છૂટીને અનેક વારાફેરા પછી બન્ધનમુક્ત અછાન્દસમાં ઠર્યો છે. 

લેખનો અને વક્તવ્યોનું ઉમાશંકરનું કાવ્યમય ગદ્ય મને વિશદ, નિશિત અને પ્રાસાદિક અનુભવાયું છે. એ એમની કેટલીક અછાન્દસ પંક્તિઓમાં કાવ્યોપકારક ‘ફન્કશન’ માટે, આપણને થાય કે, તેઓ અજાણતાં જ નથી પ્રગટાવી ગયા ને!

‘કર્ણ–કૃષ્ણ‘ —

મોટે ભાગે, મિશ્રોપજાતિએ ઠીક ઠીક કામ આપ્યું છે, પરન્તુ ‘કર્ણ-કૃષ્ણ’-માં, કવિ એને પોતાના લક્ષ્ય વિશે પળોટી શક્યા નથી, એમ મને લાગ્યું છે. એનાં ઘણાં કારણો છે. એક તો એ કે રચનાની પ્રકૃતિ સંવાદોમાં વ્હૅંચાયેલા કથનકાવ્યની જ રહી છે, સંવાદતત્ત્વ વિકસ્યું નથી. કેટલાંક પ્રસંગકાવ્યોમાં ઉમાશંકરે અગાઉ પ્રયોજેલો મિશ્રોપજાતિ કથનને માટેની સમર્પકતા અહીં નથી છોડતો, અને તેથી કથન – નૅરેશન – સવિશેષે થયું છે, સરખામણીએ આલેખન – ડિસ્ક્રિપ્શન – ઓછું. જેમ કે, કર્ણની દીર્ઘ ઉક્તિઓ સંવાદતત્ત્વને દમે છે, બોલચાલની ગતિવિધિને અવકાશ નથી આપતી; છન્દોલયની એકવિધતા તૂટતી નથી, વિવિધતા પ્રગટતી નથી. નાટ્યત્વને બદલે સૂરની – ટોનની – એકવિધતા જ ઘુંટાય છે.  

તેમછતાં, હું ભારપૃ્વક કહું કે મિશ્રોપજાતિની હળવી પ્રવાહીતાને કારણે અહીં વાગ્મિતા પ્રગટી છે, જેને હું નાટ્ય માટે જરૂરી ગણું છું. બહુ ઓછી વ્યક્તિઓએ નૉંધ્યું હશે કે ઉમાશંકર પોતાના છન્દને કે લયને થોઓડી વાગ્મિતાથી પઠતા હોય છે, ત્યારે વાગ્મિતા ચાર્જ થઈ હોય છે. ગુજરાતી વિવેચનાએ વાગ્મિતા-તત્ત્વને હમેશાં શંકાની નજરે જોયું છે – જાણે કે એથી શિષ્ટતા નંદવાઈ જવાની હોય! નાટક બાબતે તો એની કેટલી બધી અનિવાર્યતા છે, એ વિશે પણ ખાસ વિચારાયું નથી. 

પ્રસંગકાવ્યોમાંનો એ જ મિશ્રોપજાતિ અહીં પાત્રવ્યક્તિની વાણીમાં રહેલા કાકુઓ, આગ્રહો, પ્રશ્નોની ઝીણવટો, ભાવકેન્દ્રો અને ભાવગતિ પ્રગટાવવામાં ખાસ્સો ઉપકારક નીવડ્યો છે. જેમ કે, ‘ના, કૃષ્ણ, ના, હોય ના એવી વાર્તા / આજે હવે જીવન અસ્તવેળા.’ (૨૫૦), એ પંક્તિથી શરૂ થયેલી દીર્ઘ ઉક્તિને હું એ ઉપકારકતાનું નિદર્શન ગણું છું.

જેઓ “પ્રાચીના’-ની રચનાઓમાં ચાલુ કાવ્યત્વ ભાળે છે અને નાટ્યત્વ જોઈ શકતા નથી, તેઓને આવી ઉક્તિઓનો આદર્શ નાટ્યપાઠ શો હોઈ શકે, તેની ખબર જ નથી. બોલચાલની ભાષાના લયની શોધમાં વાગ્મિતા-તત્ત્વોનો ફાળો ઘણો બધો હોય છે, અને તે ઉમાશંકરના પ્રવાહી વનવેલી વડે વધુ ને વધુ સિદ્ધ થયો વરતાય છે. 

પદ્યનાટકને માટેના ઉચિત માધ્યમની ચર્ચા આપણે ત્યાં રેઢિયાળ રહી છે. બોલચાલ અને ભાવની ઉત્કટતા અને એ બે ધ્રુવો વચ્ચેની નમનીયતા, એથી વિશેષ આપણે વિચાર્યું જ નથી. એક માધ્યમ તરીકે લય ચાલવો જોઈએ એ બરાબર, પણ એ એક ‘સ્પીચ-ઍક્ટ’ છે એ તથ્ય વીસરી જઈએ, તે ન પાલવે! 

કૃતિ કાવ્ય બને, પદ્યનાટ્યકૃતિ નમનીય રહે, એ બરાબર; કાવ્યના પદ્યને જુદા જ હેતુએ જોતરવાનું હોય છે એ ય બરાબર; પણ એનો મૂળ સમ્બન્ધ પાત્રની વ્યક્તિમત્તા તેમ જ નાટ્ય-અન્તર્ગત ભાવસ્થિતિ સાથે સવિશેષ હોય છે, એ હકીકત પર ભાર મુકાવો જોઈએ. એટલે, ‘સ્પીચ-ઍક્ટ’-ને શક્ય બનાવનારાં ‘સ્પોકન-લૅન્ગ્વેજ’નાં બધાં જ તત્ત્વો લય-સંલગ્ન છતાં લય-ઉપરાન્તનાં છે – જેમાં, મૌન, પૉઝ કે વાગ્ભ્રંશની અવસ્થાઓનો પણ સમાવેશ થતો હોય છે. એ સૂક્ષ્મ વાગ્મિતા-તત્ત્વોને સ્વીકારીએ તો ઉમાશંકરની આ લય-શોધને જરા જુદી રીતે પ્રમાણવી જોઈશે. 

એટલે જ જાણે ‘યુધિષ્ઠિર’, એ બીજા કર્નલ સ્પોટમાં, પ્રારમ્ભની ઉક્તિમાં, યુધિષ્ઠિેર ‘બતાવશો ઋષિવર, ક્યાં છે મારાં બંધુજનો? ક્યાં છે કર્ણ? ક્યાં છે કૃષ્ણા?’ એમ પ્રશ્નોપચય રચે છે. એ વડે યુધિષ્ઠિરની અધીરાઇ અને વિહ્વળતા આપણને બરાબર પ્હૉંચે છે, યુધિષ્ઠિર સાથે આપણો અનુબન્ધ ઊભો થાય છે. એની ભાવસ્થિતિ દર્શાવતું નિર્ણયવિધાન કે ‘આ મારે મન સ્વર્ગ નથી’ સાથે આપણે તરત જોડાઈ જઈએ છીએ. જોઈ શકાશે કે પ્રશ્નોપચયમાં જે કંઈ વાગ્મિતા છે તે અહીં કાર્યક્ષમ નીવડી છે. 

પદ્યવાહન ભલે ‘બ્લૅન્ક વર્સ’-નું હોય, ભલે માઇકેલ મધુસૂદન દત્તના બંગાળી ‘પયાર’ છન્દનું હોય, અધિકારી શ્રોતા સાથે અનુબન્ધ નહીં રચી શકે તો માધ્યમ તરીકેની પોતાની સિદ્ધિને અધ્ધર રાખશે. 

પદ્યનાટકના વાહને ભાષાની ભભકથી, અતિ સાહિત્યિકતાથી, અને કૃત્રિમતાથી બચવાનું હોય છે. ઉક્ત અનુબન્ધ અને પારદર્શકતા તેમ જ સદ્યોવેદિતાને કારણે આપણને સમજાય છે કે માધ્યમ લેખે એ ‘ઉચિત’ છે. દૃઢબન્ધ વૃત્તો કે છન્દો એ ન કરી શકે; એટલે, એને ‘પ્રવાહી’ બનાવવાનો યોગ્ય વિચાર જેને આવ્યો એ બ.ક.ઠા.-ના આપણે ઋણી છીએ. 

ગદ્યનાટકમાં કાવ્યત્વની જરૂર પડી હોય તો તેનો ઇલાજ પદ્યરચનાથી, એવા પૃથક પ્રયત્નથી, થઈ શકે છે. સંસ્કૃતકવિનાટ્યકારોને એ હસ્તામલક હતું, પણ આપણા જમાનાનું પદ્યનાટક કાવ્યસિદ્ધ પદ્યમાં શક્ય નથી, સિવાય કે કોઈ એવો અળવીતરો પ્રયાસ કરી જાણે. પદ્યને પદ્ય તરીકે સમધારણ વહેતું રાખવું, બોલચાલ સદૃશ રાખવું, હમેશાં નાટ્ય-તરફી રહેવું, એ પદ્યનાટ્યકારની મહત્ત્વાકાંક્ષા બલકે જરૂરત હોય છે. વિરોધ કાવ્યકૃતિ કે ગદ્યકૃતિ સાધી આપનારા માધ્યમ સામે નથી, પણ પોતાની રીઢી સર્જકતા સામે છે, જેનું એણે કાળજીથી ઊફરા જઈને નિરસન કરવાનું હોય છે. 

“મહાપ્રસ્થાન”-માંની વનવેલીની ચારેય રચનાઓમાં ઉક્ત પ્રશ્નતત્ત્વની ઉપકારકતા જોઈ શકાશે. ‘યુધિષ્ઠિર’-માંનો આ બીજો પ્રશ્નોપચય જુઓ :

‘અરે કોણ? દુર્યોધન?…નારદ! હે મુનિશ્રેષ્ઠ, / આ હું શું દેખું છું? છે આ સ્વર્ગ કે તમારું? કે હું / ભ્રાન્તિમાં ભમું છું ભ્રાતૃવિયોગે ને દેખું છું આ / દુર્ભગ દુર્દિવાસ્વપ્ન, વીણાપાણિ?’. (૫૮૧).

બીજી પંક્તિમાંના ‘હું’ પરનો અને ‘આ સ્વર્ગમાંના ‘આ’ પરનો ભાર એના વ્યંગભર્યા કાકુમાં કેવો સરસ ફેલાય છે! ‘કે હું ભ્રાન્તિમાં ભમું છું ભ્રાતૃવિયોગે…’-થી એ ઉક્તિનો અવરોહ જે ગતિએ વહે છે, તેમાં વ્યથાને પ્રસરવાનો જે અવકાશ રચાય છે, અને છેલ્લે પ્રશ્નવિરામ પાસે એ સંવેદન તીક્ષ્ણ અને સ્ફુરાયમાન આંદોલન લાગે છે, તેનું મહત્ત્વ છે.

‘હસું? હા, હસીશ જો હું હસી શકું તેની સાથે’ -થી શરૂ થતી યુધિષ્ઠિરની એક બીજી ઉક્તિમાં પણ ‘જેણે જેણે’-થી આરોહ રચાયો છે, અને ‘તેની સાથે કેમે કર્યું હસવાને, બોલવાને’-થી જે અવરોહ રચાયો છે, તેનું મહત્ત્વ છે. ‘કૃપાળુ’ પાસે શમીને અટકીને એ ઉક્તિ ‘મન મારું માને નહિ’ પાસે વિરામ લે છે, તેમાં યુધિષ્ઠિરનું સ્થિરબુદ્ધિ મન આસ્વાદ્ય બની રહે છે, તેનું મહત્ત્વ છે. (૫૮૨).

તો, પાપની પરિણતિ પ્રમાણતા યુધિષ્ઠિરની દીર્ઘ ઉક્તિ દર્શાવે છે કે આ જાતનાં વાગ્મિતા-તત્ત્વો વનવેલી-પ્રણિત બોલચાલના એ લયને માત્રપાઠ્ય નહીં, પરન્તુ નાટ્ય કહેવા પ્રેરે તેવાં સમર્થ છે. (૫૮૭).

મારા આ સમર્થનોને કાળજીપૂર્વકના પૃથક્કરણથી વધુ પામી શકાશે.

સમજી શકાશે કે મારી દલીલ અહીં ‘પરફૉર્મિન્ગ આર્ટ્સ’-ની દિશામાં ચાલે છે. ઉમાશંકર સ્વયં પદ્યવાહનના પાઠ્યત્વ પર ભાર મૂકે છે ત્યારે એમના ચિત્તમાં જાણ્યે-અજાણ્યે માત્ર પઠન નહીં જ હોય, એમ મારું માનવું છે. એક પરફૉર્મન્સ રૂપે નાટ્યનો નટ જો પદ્યમાં વ્યક્ત થવાનો ઇરાદો સેવે, તો એણે મુદ્રિત કલાના તકલાદીપણાને ઓળખી લેવું જોઈશે.

વીસમી સદીમાં, અનિવાર્ય બનેલા ‘રીવાઇવલિઝમ’-ની એક ઘટના ‘રીસાઇટલ પોએટ્રી’ હતી. આ સંદર્ભે વર્ડઝ્વર્થ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પોતાની ઊર્મિકવિતા વડે જરા જુદી રીતે મથ્યા હતા. ટી.ઍસ. એલિયટ વીસમી સદીના પૂર્વાર્ધમાં એથી પણ જુદી રીતે પોતાની નાટ્યકવિતા વડે એ અંગે મથ્યા હતા. કવિ વળી વિવેચક એલિયટનું અધ્યયન કરનાર જોઈ શકે છે કે એમણે ‘કવિતાનો ત્રીજો અવાજ’ પ્રગટાવતા પદ્યનાટ્યકારને મુખ્યત્વે ‘સ્પીચ-ઇન્વેન્ટિન્ગ’ ગણ્યો છે. એ કશીક વાક્ શોધતો હોય છે; એટલું જ નહીં, પદ્યના એ નાટ્યાત્મક, અર્ધ-નાટ્યાત્મક, અ-નાટ્યાત્મક એવાં ત્રિવિધ રૂપોની સમ્મુખ રહીને પોતાની શોધ ચરિતાર્થ કરતો હોય છે. (જુઓ, એલિયટનાં પદ્યનાટકો, ‘ધ મર્ડર ઈન ધ કૅથેડ્રલ’, ‘ફૅમિલિ રીયુનિયન’, ‘કૉકટેઇલ પાર્ટી’ તેમ જ લેખ, ‘થ્રી વૉઇસિસ ઑફ પોએટ્રી’. મારી “કવિવિવેચક ટી.ઍસ. એલિયટ” પુસ્તિકામાં પણ આછાપાતળા ઉલ્લેખો છે, એમ યાદ આવે છે.)

આમ, પ્રવાહી વનવેલી જે પદ્યરચના પ્રગટાવે છે, તે મુક્ત અને નમનીય માધ્યમ છે, એ ખરું, પણ ઉમાશંકરે એને નાટ્યપદ્ય બનાવી જાણ્યું છે, મુક્તિનો એમણે ઉપકારક વાગ્મિતા-તત્ત્વોથી યોગ રચીને તેનો બરાબર ઉપયોગ કર્યો છે. અન્યથા, કોઈપણ લય તત્ત્વત: નિયમોનું પરિણામ હોય છે, પણ હમેશાં રિક્ત હોય છે. વધુ સ્પષ્ટતાથી જરા જુદી રીતે કહીએ તો ઉમાશંકરે વનવેલી જેવા ‘ફ્રી વર્સ’-નું ‘ડ્રામેટિક સ્પીચ’-માં રૂપાન્તર કરી લીધું છે. “મહાભિનિષ્ક્રમણ”-માંની વનવેલીબદ્ધ બધી જ કૃતિઓને ‘યુધિષ્ઠિર’ કર્નલ સ્પોટની આસપાસ ગોઠવી શકાય, તો આ વાતની પ્રતીતિ થાય, એમાં કોઈ શક નથી. 

આમાંની કોઈ રચના પદ્યનાટક નથી થઈ તેનાં કારણો, આ સિદ્ધ પદ્યવાહન સિવાયનાં, બીજાં છે. નમનીય શોધનું પરિણામ (એલિયટ-કથિત) ‘ત્રીજો અવાજ’ કે ‘સ્પીચ-ઇન્વેશન’ પણ બરાબર, તે છતાં, એવા અવાજથી જ પદ્યનાટક રચાઈ જતું નથી. સિદ્ધ પદ્યકારને હમેશાં સુજ્ઞ નાટ્યકારની અનિવાર્યતા રહે છે, અને કવિ હોય તે નાટ્યકાર થઈ જ શકે એવું હમેશાં નથી હોતું. તેમછતાં, ઉમાશંકરે આટલી તૈયારી કરી એ ઓછી નથી. પદ્યનાટક માટે અનિવાર્ય ગણાય એવી આપણી પાસે સમૃદ્ધ નાટ્યપરમ્પરા નથી એ સંદર્ભે આ તૈયારી ગનીમત ગણાય.

(ક્રમશ:)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાગઝ કી યે મહક, યે નશા રૂઠને કો હૈ; યે આખરી સદી હૈ કિતાબોં સે ઈશ્ક કી

સોનલ પરીખ|Opinion - Opinion|20 September 2024

તમે કહો છો કે તમને વરસાદ ગમે છે, પણ તમે છત્રી ખોલો છો. તમે કહો છો કે તમને સૂર્ય ગમે છે, પણ તમે છાંયો શોધો છો. તમે કહો છો કે તમને પવન ગમે છે પણ તમે બારીઓ બંધ રાખો છો. એટલે જ હું ડરી જાઉં છું જ્યારે તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો.

— શેક્સપિયર

સોનલ પરીખ

‘હમ સબ રંગમંચ કી કઠપૂતલિયાં હૈં જિનકી દોર ઉપરવાલે કે હાથમેં હૈ, કૌન, કબ કૈસે ઉઠેગા કોઈ નહીં જાનતા’ ફિલ્મ આનંદના આ પ્રસિદ્ધ સંવાદનું મૂળ શેક્સપિયરના આ વાક્યમાં હોઈ શકે – ‘ઑલ ધ વર્લ્ડ ઈઝ અ સ્ટેજ એન્ડ ઑલ ધ મેન એન્ડ વિમેન મેરલિ પ્લેયર્સ. ધે હેવ ધેર એક્ઝિટ્સ એન્ડ ધેર એન્ટ્રીઝ એન્ડ વન મેન ઇન હિઝ ટાઈમ પ્લેઝ મેની પાર્ટ્સ.’ આ તેમના એક નાટકનો સંવાદ છે.

હૃદયમાં ઊતરી જાય એવી બીજી એક વાત શેક્સપિયરે કરી છે – ‘તમે કહો છો કે તમને વરસાદ ગમે છે, પણ તમે છત્રી ખોલો છો. તમે કહો છો કે તમને સૂર્ય ગમે છે, પણ તમે છાંયો શોધો છો. તમે કહો છો કે તમને પવન ગમે છે પણ તમે બારીઓ બંધ રાખો છો. એટલે જ હું ડરી જાઉં છું જ્યારે તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો.’

આ શેક્સપિયરનો જન્મ ૧૫૬૪ની ૨૬મી એપ્રિલે. ૧૯૧૬માં બાવન વર્ષની ઉંમરે તેનું નિધન થયું એ તારીખ હતી ૨૩ એપ્રિલ. એ જ વર્ષની ૨૨ એપ્રિલે પ્રસિદ્ધ સ્પેનિશ નવલકથા ‘ડોન કિહોટે’ના લેખક સર્વાન્ટિસનું પણ નિધન થયું હતું. આ ત્રણ દિવસની સ્મૃતિમાં ૧૯૯૫થી યુનેસ્કો તરફથી લેખન, વાંચન અને પ્રકાશનાં પર્વ તરીકે આંતરરાષ્ટ્રીય પુસ્તકદિન ઉજવવામાં આવે છે. સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ કિંગ્ડમમાં એની ઉજવણી શરૂ થઈ હતી, આજે વિશ્વના ૧૦૦થી વધારે રાષ્ટ્રો પુસ્તકદિન ઊજવે છે. બીજી એપ્રિલે હેન્સ એન્ડરસનના માનમાં આંતરરાષ્ટ્રીય બાલપુસ્તકદિન ઉજવાય છે.

સદીઓ પહેલાના આ વિદેશી સર્જકોને દુનિયા આજે પણ શા માટે પ્રેમપૂર્વક યાદ કરે છે? વિક્ટર હ્યુગોનું ‘લા મિઝરેબલ’, ફ્યોદોર દોસ્તોવ્યસ્કીનું ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’, લિયો ટૉલ્સ્ટૉયનું ‘વૉર એન્ડ પીસ’, મેક્સિમ ગોર્કીનું ‘મધર’, ચાર્લ્સ ડિકિન્સનું ‘ટેલ ઑફ ટુ સિટીઝ’, હેરિયટ સ્ટોનું ‘અંકલ ટોમ્સ કેબિન’ કે હાર્પર લીનું ‘ટુ કિલ અ મોકિંગબર્ડ’ જેવાં પુસ્તકો યાદ આવે ત્યારે આદર અને પ્રેરણાથી કયા પુસ્તકપ્રેમીનું હૃદય નથી નમતું? લખાતાં અને વંચાતાં પુસ્તકોનો એક જુદો જ મહિમા છે, કરિશ્મા છે. આજે ભલે ઈન્ટરનેટ અને ઈ-બુક્સનો યુગ છે, છતાં પુસ્તકોની દુનિયા આજે પણ આબાદ છે. બદલાતા સમય સાથે સર્જન, વાચન અને પ્રકાશનની તરાહોમાં અનેક પરિવર્તનો આવે છે. અમુક આપણને ગમે, ફાવે; અમુક ન ગમે, ન પચે. છતાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ દુનિયાના દરેક ખૂણે વધતાઓછા પ્રમાણમાં જીવંત રહ્યો છે.

આમ છતાં પુસ્તક ભૂલાતું જે છે એ પણ હકીકત છે. બદલાતી જીવનશૈલી, પલટાતી માનસિકતા, ભૌતિક પ્રાપ્તિઓનું વધેલું મહત્ત્વ અને ટેકનોલોજીની હરણફાળને લીધે હાથમાં આવી ગયેલા સોશ્યલ મીડિયાનો ખજાનો. પરિણામે પુસ્તક આજે હાંસિયામાં ધકેલાઇ ગયું છે, ઉપેક્ષાનો ભોગ બન્યું છે. એથી જ ગુલઝાર ‘કિતાબેં ઝાંકતી હૈ બંધ દરવાજોં કે શીશોં સે’ જેવી સંવેદનશીલ નજમ લખે છે તો સઉદ ઉસ્માની ‘કાગઝ કી યે મહક, યે નશા રૂઠને કો હૈ; યે આખરી સદી હૈ કિતાબોં સે ઈશ્ક કી’ જેવો ગમગીન શેર કહે છે.

પુસ્તકો નથી લખાતાં, નથી છપાતાં, નથી વંચાતાં એવું પણ નથી. પણ યુગ ઉતાવળનો છે. સારા, શાલીન સર્જકો ખૂણામાં રહી જાય અને ચાલાક, લોકોને પટાવી દેતી પ્રચારપ્રયુક્તિઓમાં ઉસ્તાદ લેખકો લોકપ્રિય બની જાય એવું બને છે. આવું બને છે કારણ કે ઘણુંબધું મેળવી લેવાની લ્હાયમાં દોડતા મોટાભાગના લોકો ઝાઝું વિચાર્યા વિના જે સામે આવે તેને ગટગટાવી જાય છે, કે પછી વાંચતાં જ નથી. વિશ્વ પુસ્તક દિન આપણને આપણા એક ખોવાયેલા, ભુલાયેલા, ક્યાંક મુકાઈ ગયેલા શાંત ઉમદા મિત્રની યાદ આપે છે. પુસ્તક આપણો સૌથી ટકાઉ, સૌથી વિશ્વાસુ મિત્ર છે અને શ્રેષ્ઠ માર્ગદર્શક પણ છે. હંમેશાં સાથ આપે છે, આનંદ આપે છે, ધૈર્ય શીખવે છે અને સાચો માર્ગ બતાવે છે. તે તમને તમરી ખુરશી પર જ વિશ્વભરની સહેલ કરાવે છે.

જીવન જો આરાધ્ય દેવ હોય તો કોઠે કોઠે દીવા પ્રગટાવી તેની પૂજા કરતાં આપણને પુસ્તક શીખવે છે. દરેક માણસમાં વિચારવાની ક્ષમતા જરૂર છે પણ દરેક માણસ વિચાર કરે છે તેવું હોતું નથી. આપણામાંના મોટાભાગનામાં સ્વતંત્ર વિચારશક્તિનો સારો એવો અભાવ હોય છે. ઘણીવાર એ અભાવનો આપણને ખ્યાલ પણ આવતો નથી અને અમૂલ્ય જીવન ગાડરિયા પ્રવાહમાં વહ્યે જાય છે. બીજી તરફ ન વિચારવાનું વિચારી વિચારીને આપણે એટલા થાકી જઈએ છીએ કે ક્યારેક સકાયાટ્રિસ્ટનાં બારણાં ખખડાવવાની નોબત આવે છે. વાંચનની ટેવ વિચારોને ખીલવવામાં, કેળવવામાં ઘણી મદદરૂપ થાય છે. એવું નથી કે જે ન વાંચે તે વિચારી ન શકે, પણ એવા લોકો બહુ ઓછા હોય છે.

લેખન એક પવિત્ર જવાબદારી છે. લેખકની નજર અર્જુનની જેમ પોતાની કૃતિને સર્વાંગસંપૂર્ણ અને અર્થપૂર્ણ બનાવવા પર એકાગ્ર હોવી જોઈએ, નહીં કે વાચકોની વાહવાહ કે ઈનામ-ઍવોર્ડ પર. સર્જનમાં તાકાત હોય તો તે ટકે જ છે. પંખી ચણ શોધી કાઢે તેમ શોખીનો સારું વાંચન શોધી લે જ છે. અસ્તિત્વમાં ખળભળાટ ન જગાડે તેવા પુસ્તકની કિંમત તેણે અભેરાઈ પર રોકેલી જગા જેટલી પણ હોતી નથી.

જે વાંચે છે, તે મૃત્યુ પહેલા હજારો જિંદગી જીવે છે. જે નથી વાંચતો, તે તેની એક જિંદગી પણ પૂરી નથી જીવતો. પણ શું વાંચવું ને કેવી રીતે વાંચવું તે પણ એક કૌશલ માંગી લે છે. બધા વાંચે છે તે જ પુસ્તકો વાંચશો તો બધા વિચારે છે તેવું જ વિચારશો. નવા વિચારો જોઈતા હશે તો મહેનત કરવી પડશે, શોધવું પડશે. સુરેશ દલાલ કહેતા કે જેટલું છપાય છે તે બધું જ વાંચવા બેસીએ તો આંધળા થઈ જઈએ. પોલો કોએલો કહે છે કે અમુક બારણાં બંધ કરતાં શીખો – અભિમાન, ઉપેક્ષા, અણઆવડત કે આક્રમકતાના કારણથી નહીં, એટલા માટે કે તે તમને ક્યાં ય નથી લઈ જતાં. આ વાત પુસ્તકો માટે પણ સાચી છે. વાંચન માટે પણ કક્ષા અને કેળવણી જોઈએ. પુસ્તકોના ઢગ વચ્ચેથી પોતાને ઉપયોગી, આનંદદાયક અને પ્રેરક પુસ્તક શોધી કાઢવું એ એક કળા છે. તે શોધ્યા પછી તેને વાંચવું એ પછી જુદી કળા છે. પુસ્તકપ્રેમી માટે વાંચન અઢળક અને સમય ઓછો તેવી કાયમની સ્થિતિ હોય છે તેથી ઝડપથી વાંચવાનું પ્રયત્નપૂર્વક પણ શીખી જવા જેવું છે. ઝડપથી વાંચવું અને ગબડાવવું તેમાં પાછો ફેર છે. યોગ્ય મુદ્દા પર અટકતા પણ આવડવું જોઈએ અને વાંચ્યા પછી શું ભૂલી જવું તે પણ સમજાવું જોઈએ. નહીં તો પછી રમેશ પારેખની પેલી પંક્તિ જેવું થાય : એક પુસ્તકમાં છે, એક મસ્તકમાં છે, અંધારું એમ બે વાર છે દોસ્તો’

જેમ્સ ફ્લેચર કહે છે, ‘કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પત્ર બનાવવાનું છે.’ પુસ્તકો સજાવટ માટે નથી બન્યાં, પણ પુસ્તકો ભરેલી છાજલીથી વધુ આકર્ષક સજાવટ બીજી કોઈ હોતી નથી. સાચું જ છે કે ‘બુક્સ આર ધ એરોપ્લેન એન્ડ ટ્રેન એન્ડ ધ રોડ. ધે આર ધ ડેસ્ટિનેશન એન્ડ ધ જર્ની. ધે આર હોમ.

સારું પુસ્તક તમને અહેસાસ કરાવે છે કે તમે માનો છો તે કરતાં તમે વધુ બુદ્ધિમાન, બહાદુર અને શક્તિશાળી છો. કોઈએ કહ્યું છે, ‘સુખ એટલે ખુલ્લી બારી, કૉફીનો કપ અને એક પુસ્તક.’ આવું સુખ આપણને સૌને મળો.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 એપ્રિલ  2024

Loading

हैदराबाद का विलय: मुक्ति या राजतंत्र से लोकतंत्र की ओर यात्रा?

राम पुनियानी|Opinion - Opinion|20 September 2024

राम पुनियानी

सत्रह सितंबर 1948 को हैदराबाद रियासत का भारत में विलय हुआ. हालांकि हैदराबाद को भारत का हिस्सा बनाने की कार्यवाही को पुलिस एक्शन कहा जाता है लेकिन वास्तव में यह काम भारतीय सेना ने किया था. इसे आपरेशन पोलो का नाम दिया गया था और इसे जनरल चौधरी के नेतृत्व में अंजाम दिया गया. इसकी याद में भाजपा इस दिन को हैदराबाद मुक्ति दिवस के नाम से मनाती है, वहीं कांग्रेस के नेतृत्व वाली तेलंगाना सरकार इसे प्रजा पालन दिवस (लोकतंत्र के आगाज़ के दिन) के रूप में याद करती है. भाजपा नेता किशन रेड्डी ने कहा है कि इसे हैदराबाद मुक्ति दिवस के रूप में न मनाना उन लोगों का अपमान है जिन्होंने सैन्य कार्यवाही के जरिए हुए हैदरबाद के विलय के संघर्ष में अपने जीवन का बलिदान दिया था.

कुछ अन्य लोग कहते हैं कि नेहरू और पटेल के इस्लामोफोबिया के चलते हैदराबाद को बलपूर्वक भारत में शामिल किया गया. इनमें से अधिकांश बातें या तो एकपक्षीय हैं या पूर्वाग्रहपूर्ण हैं. क्या एक मुस्लिम शासक वाली रियासत को मुस्लिम राज्य (हैदराबाद) कहना उचित है, जबकि वहां हिंदुओं का बहुमत था. इसी तरह, क्या मुस्लिम-बहुल और हिंदू शासक वाले राज्य (कश्मीर) को हिंदू रियासत कहना ठीक होगा?

हालांकि कई अध्येता हैदराबाद और कश्मीर के भारत के विलय को धार्मिक नज़रिए से देखते हैं. लेकिन इसकी मुख्य वजहों में से एक थी भौगोलिक और दूसरी थी राजशाही से लोकतंत्र की ओर यात्रा. कश्मीर में यह किस हद तक हासिल किया जा सका, यह शंकास्पद है क्योंकि इस इलाके में पड़ोसी पाकिस्तान की दखलअंदाजी एक बड़ा मुद्दा है. पाकिस्तान एक मुस्लिम राष्ट्र बनाना चाहता था और मानता था कि मुस्लिम-बहुल होने के कारण कश्मीर का विलय जिन्ना के ‘द्विराष्ट्र सिद्वांत’ के अनुरूप पाकिस्तान में होना चाहिए. द्विराष्ट्र सिद्धांत के प्रतिपादक सावरकर थे.

तो फिर आखिर क्यों नेहरू ने कश्मीर को भारत में शामिल करवाने में रूचि दिखाई? क्या इसके पीछे सिर्फ भौगोलिक विस्तारवाद था या इसका उद्देश्य सामंतवाद और राजशाही के खिलाफ वहां चल रहे लोकतांत्रिक आंदोलन का समर्थन करना था? शेख अब्दुल्ला ने अपने लोकतांत्रिक नजरिए के चलते अपनी मुस्लिम कान्फ्रेंस का नाम बदलकर नेशनल कान्फ्रेंस किया. वे धर्मनिरपेक्षता के पैरोकार थे और गाँधी और नेहरु के धर्मनिरपेक्ष-लोकतान्त्रिक मूल्यों के समर्थक थे. पाकिस्तानी सेना के आक्रमण, जिसे कबायलियों का हमला बताया गया, को पर्दे के पीछे से अमरीका और ब्रिटेन द्वारा शह दिए जाने से समस्या और जटिल हो गई.

इसके अलावा सार्वभौमिकता का मसला भी था. राजा-नवाब और कई अन्य लोग भी रियासतों पर उनके शासकों के धर्म के आधार पर लेबल चस्पा करते थे. भारतीय राष्ट्रवादी मानते थे कि सार्वभौमिकता जनता में निहित होती है न कि शासकों में. हैदराबाद के भारतीय संघ में विलय के जटिल मसले को इसी पृष्ठभूमि में देखा जाना चाहिए.

भारत के स्वतंत्र होने पर उस समय मौजूद 600 से अधिक रियासतों को विकल्प दिया गया था कि वे या तो अपनी रियासत का भारत या पाकिस्तान में विलय कर लें, या फिर स्वतंत्र रहें. अंग्रेजी राज में इन रियासतों को कुछ हद तक स्वायत्ता हासिल थी, लेकिन अब उनके सामने असमंजस की स्थिति थी. उनमें से अधिकतरहे शासक आजाद बने रहना चाहते थे. लार्ड माउंटबेटन ने उन्हें सलाह दी कि उन्हें अपनी रियासत का उस देश में विलय करना चाहिए जो भौगोलिक दृष्टि से उनकी रियासत के निकट हो. ज्यादातर रियासतों का विलय, सरदार पटेल की निगरानी में किआ जा रहा था और माउंटबेटन ने रियासतों के राजाओं-नवाबों को रक्षा, संचार और विदेशी मामलों को छोड़कर ज्यादातर अन्य मामलों में अपेक्षाकृत अधिक स्वायत्ता देने का वायदा किया था. इसके बदले में उन्हें यह आश्वासन दिया गया था कि वे उनकी अकूत संपत्ति और धन के स्वामी बने रहेंगे. अंततः अधिकांश रियासतों ने भारत का हिस्सा बनने का फैसला किया. त्रावणकोर के हिंदू शासक भी काफी हिचकिचाहट के बाद भारत का हिस्सा बनने के लिए राजी हुए. कश्मीर के राजा हरिसिंह ने अपनी रियासत का भारत में विलय करने से इंकार कर दिया और हैदराबाद के निजाम भी इसके लिए राजी नहीं हुए.

जैसा कि ऊपर बताया गया है, भारतीय नेता मानते थे कि सार्वभौमिकता राजाओं में नहीं वरन् जनता में निहित है. इन राजाओें में से अधिकांश अंग्रेजों के प्रति वफादार थे और काफी ऐशोआराम की जिंदगी बसर कर रहे थे. जूनागढ़ को सैन्य कार्यवाही के माध्यम से भारत में शामिल किया गया और इसके बाद हुए जनमत संग्रह में जनता ने इस निर्णय की पुष्टि की. हैदरबाद के निजाम के पास प्रचुर संपदा थी और वे या तो स्वतंत्र रहना चाहते थे या अपनी रियासत का पाकिस्तान में विलय करना चाहते थे. पाकिस्तान में विलय के इरादे की वजह धार्मिक न होकर यह थी कि मोहम्मद अली जिन्ना ने उनके अधिकारों में किसी भी प्रकार की कमी न करने का वायदा किया था.

भारत कई कारणों से हैदराबाद का भारत में विलय करवाने का इच्छुक था. लेकिन इस्लामोफोबिया इसका कारण नहीं था. इसका सबसे प्रमुख कारण था हैदराबाद रियासत की भौगोलिक स्थिति, जो भारत के लगभग मध्य में था.. चारों ओर से भारत से घिरा एक स्वतंत्र देश या एक ऐसा राज्य जो पाकिस्तान का हिस्सा होता, एक स्थायी समस्या बन जाता. नेहरू-पटेल की नजरों में भी यही बात सबसे महत्वपूर्ण थी. निजाम के साथ नवंबर 1947 में एक स्टैंडस्टिल (यथास्थिति) समझौते पर हस्ताक्षर किए गए, जो अंतिम निर्णय होने तक प्रभावी रहता. विचार यह था कि इस समय का उपयोग हैदराबाद के प्रशासन का लोकतांत्रिकरण करने में किया जाए ताकि समझौता वार्ताएं करने में आसानी हो. निजाम ने इस समय का उपयोग रजाकार नामक एक अनियमित सैन्यबल में नई भर्तियाँ कर अपनी सैन्य शक्ति में वृद्धि करने में किया, जिसका नेतृत्व अरब मूल के मेजर जनरल एसए ईएल एड्रोस के हाथ में था जो हैदराबाद राज्य के सैन्यबल के कमांडर इन चीफ थे.

इस बीच कांग्रेस ने राज्य के प्रशासन के लोकतात्रीकरण की मांग करते हुए सत्याग्रह प्रारंभ कर दिया. करीब 20,000 सत्याग्रहियों को जेलों में ठूंस दिया गया. राज्य की प्रताड़ना और रजाकारों के अत्याचारों से बचने के लिए कई लोग रियासत छोड़कर भाग गए. कम्युनिस्टों ने भी खेतिहर भूमि के पुनर्वितरण और ज़मींदारों के खिलाफ व रजाकारों के अत्याचारों से जनता की रक्षा करने के लिए दलम् (समूहों) का गठन किया. निजाम समझौता वार्ताओं को लंबा खींचने का प्रयास कर रहे थे और रजाकारों के जुल्म बढ़ते जा रहे थे. निजाम विरोधी संघर्ष को रियासत के कुछ मुसलमानों का और सारे देश के बहुत से मुसलमानों का समर्थन हासिल था.

पटेल ने सुहारवर्दी को लिखा, ‘‘हैदराबाद के सवाल पर भारतीय मुसलमान खुलकर हमारा साथ दे रहे हैं और इसका देश में अच्छा असर हो रहा है”. इस पृष्ठभूमि में सैन्य कार्यवाही प्रारंभ की गई, जिसमें, एक रिपोर्ट के मुताबिक, करीब 40,000 लोगों ने अपनी जान गंवाई.

हम इतिहास के वे हिस्से चुन सकते हैं जो हमारी मर्जी का नैरेटिव निर्मित करने में सहायक हो. कई अध्येताओं के नैरेटिव धर्म-केन्द्रित है और वे यह साबित करना चाहते हैं कि हैदराबाद का विलय भारतीय नेतृत्व के इस्लामोफोबिया का नतीजा था. इस पूरे मामले के मुख्य पहलुओं पर विचार करते समय सारी जटिलताओं को ध्यान में रखा जाना चाहिए. पहला पहलू है भौगोलिक कारण, जो भविष्य की समस्याओं से बचने की दृष्टि से महत्वपूर्ण था. और दूसरा है लोकतांत्रीकरण और जमींदारी प्रथा के खिलाफ कम्युनिस्टों द्वारा गठित स्थानीय दलम. इस मसले पर नेहरू और पटेल की एकपक्षीय और पक्षपातपूर्ण आलोचना के पीछे उनकी छवि बिगड़ने की कोशिश है.

11 सितम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/merger-of-hyderabad-liberation-or-journey-from-monarchy-to-democracy-article-by-ram-puniyani

Loading

...102030...427428429430...440450460...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved