(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.
(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.
(શાર્દૂલવિક્રીડિત)
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીને અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.
(અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.
(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !
(જન્મકાળ : 26 જાન્યુઅારી 1874 – 09 જૂન 1900)
![]()


બળવંત જાની સંપાદિત ‘વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો’માંથી પસાર થતાં તાજી હવાની લેહરખીની અનુભૂતિ થાય છે. વિવેચકોના મતે, સુરેશ જોષી પછીનું અાપણું નિબંધસર્જન સંકીર્ણ, બીબાંઢાળ, ચીલાચાલુ, બંધિયાર રહ્યું છે. વિચારપ્રધાન નિબંધોમાં છીછરું, ઉપરચોટિયું ચિંતન અાછકલી – ચબરાકિયા શૈલીમાં નિરૂપિત થાય છે. એ વાંચી પ્રતિભાવરૂપે ભાવકને બહુબહુ તો ગલગલિયાં થાય. એમાંથી કોઈ અર્થબોધ કે મૂલ્યબોધ થતો નથી. પ્રવાસનિબંધો સ્થળવર્ણન અને જાણીતી વ્યક્તિઅોના બડાઈખોર નામોલ્લેખ [name – dropping] સુધી સીમિત રહે છે. ચરિત્રમૂલક નિબંધોમાં બહુધા વ્યક્તિના જીવનની સ્થૂળ વિગતો અને સિધ્ધિઅોની યાદી મળે છે. મુખ્યપ્રવાહના સમકાલીન નિબંધસાહિત્ય વિશે એ મહદ્દઅંશે સત્ત્વહીન [stale], રૂઢ [trite] અને ઊતરી ગયેલું, જીર્ણ [hackneyed] છે, એવું અણગમતું તારણ નીકળે છે. અને તેથી જ અાવા સ્થગિત વાતાવરણમાં સમચલન અને નવોન્મેષ પ્રકટાવતા વિપુલ કલ્યાણીના નિબંધો નોંધપાત્ર અને સીમાચિહ્નરૂપ બને છે. અા નિબંધો અાપણા નિબંધસર્જનમાં અપૂર્વ મુદ્રા ઉપસાવે છે, નોખી ભાત પાડે છે અને એને નવું પરિમાણ બક્ષે છે.
વિપુલ કલ્યાણીના નિબંધોમાં સર્જકની ડાયસ્પોરિક ચેતનાનો સંસ્પર્શ અનુભવાય છે. અાની નોંધ લેતાં સંપાદક બળવંત જાની કહે છે : લેખક જે સત્ય ઉદ્દઘાટિત કરે છે તે ડાયસ્પોરા વ્યક્તિની ભીતરની સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિ સંપન્નતા દર્શાવે છે. અા નિબંધોમાં લેખકનાં દૃષ્ટિબિંદુ તપાસતાં અાપણને પ્રતીતિ થાય છે કે, સ્વસ્થતા અને તાટસ્થ્યના માપદંડ ઉપર તે ખરાં ઊતરે છે. જે મુદ્દો પ્રસ્તુત થાય તેમાં લેખકની પોતીકી પતીજ છે, અર્થઘટનમાં જાતવફાઈ અને સત્યનિષ્ઠા, મૂલ્યાંકનમાં પક્ષપાતરહિત સમદર્શિતા. વૈચારિક મુદ્દાને લોકપ્રિય ખૂણેથી [angle] રજૂ કરી જનસાધારણની વાહવાહની [playing to the gallery] અહીં ખેવના નથી કે તથ્યને મારીમચડી કોઈ બડેખાંને રીઝવવાનાં ઝાવાં નથી.