Opinion Magazine
Number of visits: 9520454
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વતનને પત્ર

ભરત શાં. શાહ|Diaspora - Language|26 April 2009

‘યે દોષ હૈ ઓર કિસીકા’

છેલ્લાં ચાલીશેક વર્ષથી “સદાકાળ ગુજરાત”માં રહીને ગુજરાત, તેની પ્રજા, સંસ્કૃતિ, તથા ભાષા બાબત નિરીક્ષણ કરવાની તથા તેના પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નોમાં ભાગ લેવાની તક મળી છે, તેના પરિણામે આ પત્ર લખું છું. એકાંતરે વર્ષે ભારતની મુલાકાત લેવાથી, તથા અમેરિકા આવતા મહાનુભાવોના પરિચયથી તેમાં થોડો ઉમેરો થયો છે.

પ્રથમ, સારા સમાચાર. ગુજરાતની સંસ્કૃતિને આપણી આવતી પેઢીએ સરસ રીતે પચાવી છે, અને તેના હાથમાં તે સલામત હોવાની ખાત્રી છે. પૈસા વિનાના માણસની કિંમત નથી, તે તો તેમને ગળથૂથીમાંથી જ સમજાઇ ગયું છે. દરિયો ખેડવો, સારી રીતે ભણવું, સારી ડિગ્રી (અને કોઈની સારી દીકરી) મેળવવી, ભેળપૂરી ખાવાં, દાંડિયા કૂટવા, એ સર્વ કળાઓ, તથા “રણમાં જે જીતે તે શૂર” જેવા મૂળભૂત સિધ્ધાંતો તેમણે આત્મસાત્ કર્યા છે, તેથી માતૃભાષાના ભૂરને તે નજીક પણ આવવા નથી દેતાં.

પુસ્તકો ખરીદવાં એ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે, તે વાતની તેમને ખબર છે. બીજાની ભાષા શીખવાનું ભયાવહ છે, અને આપણી ભાષામાં તો વળી શીખવાનું જ શું હોય? તેમાં ય, એક વખત લગ્ન થઇ ગયા પછી? ચોપડી એક વાર વંચાઇ જાય પછી તેનું શું કરવાનું, તે ગહન પ્રશ્નના જવાબના અભાવે, ચોપડી વાંચવી જ નહીં એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ પણ તે ધરાવે છે.

હવે બીજા બધા સમાચાર. ભારતનો ભૂતકાળ અને તેનો ભવિષ્યકાળ તો ભવ્ય છે જ. વર્તમાનમાં તેની ભ્રમણાઓ, તથા ભાષાઓની થઇ રહેલી બેશરમ અને બેફામ વિડંબના પણ અજોડ છે. ભારતના બંધારણમાં સ્વીકારાયેલી ભાષાઓમાંથી, માત્ર અંગ્રેજીનો જ ચડતો સિતારો છે. બહુ વખણાયેલા હિંદી ચલચિત્ર “બ્લેક”નું નામ જ નહીં, તેના મોટા ભાગના સંવાદો પણ અંગ્રેજીમાં જ છે. તેને અંગ્રેજી નહીં, પણ હિંદી સબટાઇટલોની જરુર છે. અમિતાભ બચ્ચન રાની મુકરજીને “પાની” (પાણી)ને બદલે water લખતાં શીખવાડે છે.

બાવાનાં બે ય બગડે, તેની સાબિતી રૂપે હિંદી સીરીયલોનાં નામમાં કોઈક ગૂઢ નિયમાનુસાર છેવટનો અક્ષર બેવડાવવામાં આવે છે, જેમ કે Dulhann, Naginn, etc. The Maximum City નવલકથાના લેખક શ્રી. સુકેતુ મહેતા, ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક લેખમાં જણાવે છે કે હિંદી ચલચિત્રોની પટકથાઓ પહેલાં અંગ્રેજીમાં લખવામાં આવે છે, અને પછીથી તેનું હિંદીમાં ભાષાંતર કરાય છે.

ગઈ સાલ ન્યૂ યૉર્કમાં ભારતીય વિદ્યા ભવનના ઉપક્રમે યોજાયેલ એક પરિસંવાદમાં ભારતથી આવેલા, દસ-બાર ભાષાઓના ૨૦-૨૫ સાહિત્યકારો એક જ મંચ ઉપર એકઠા થયા હતા. મહેનત, અયોજન, વગેરે પ્રશંસનીય હતાં. સૌ પોતપોતાની ભાષાના સાહિત્યની કૃતિઓ તે તે ભાષામાં રજૂ કરી ગયા, અમારે જૈનોમાં કેટલાક શ્રાવકો મરેલા વાંદાને નવકાર સંભળાવે છે તેમ. એક ક્રૌંચવધથી દ્રવી ઉઠેલા કવિના એ વંશજોના પેટનું water પણ, ચૌદ ચૌદ ભાષાઓનો ખરખરો થઇ જવા બેઠો છે તેનાથી પણ ના હાલી ઉઠ્યું.

આમાં ગુજરાતનો તો ક્યાં વાંક કાઢવો? ટેલિવિઝન, હોલીવુડમાંથી આવતી સિરીયલો અને ચલચિત્રો, અમેરિકન અને યુરોપિયન ફૅશનનો પ્રપાત, અંગ્રેજી માધ્યમની શાળાઓનું એકચક્રી રાજ્ય, પીઝા હટ અને મૅક્ડોનાલ્ડની વ્યાપકતા, કોકાકોલાની નાગચૂડ, એ સૌનો વાંક કાઢવાનું વધારે સહેલું પડે – જો આપણી વિચારશક્તિને કોરે મૂકી દઇએ તો. અમેરિકા અને યુરોપમાં તો આબધું પહેલેથી જ છે. છતાં પણ અહીં સ્પૅનિશ, હિબ્રુ, ફ્રૅંચ, રશિયન, જર્મન, ગ્રીક, એ બધી ભાષાઓ ભૂગર્ભમાં નથી જતી રહી. અરે, રાણીનું અંગ્રેજી પણ યથાવત જ વપરાય છે.

આપણા પોતાના જ, પ્રમાણમાં ઓછું ભણેલા, પણ સાહસિક ગુજરાતી વેપારીઓ આફ્રિકામાં વસ્યા અને સફળ થયા, છતાં ય આપણી ભાષા અને સંસ્કૃતિ તેમણે ત્યાં સલામત રાખી. પછીથી તેઓ ઇંગ્લૅન્ડમાં આવ્યા, તો ત્યાં પણ તેમણે તે જાળવણી ચાલુ રાખી. ઇંગ્લૅન્ડમાં ગુજરાતી શીખવાય છે, અને તેની પરીક્ષાઓ પણ લેવાતી હતી. અમેરિકામાં વધારે ભણેલો વર્ગ આવ્યો, અને પ્રમાણમાં જલ્દીથી અને સારી એવી સફળતાને વર્યો. કેટલીક પાઠશાળાઓને બાદ કરીએ તો કોઈ એક નિશ્ચિત અભ્યાસક્રમ અનુસાર, વ્યવસ્થિત રીતે ગુજરાતી શીખવવામાં આવતું નથી. થોડી ધાર્મિક સંસ્થાઓ આ કામ કરવા મથે છે, પણ નિષ્ઠા અને ઉત્સાહ, આવડતની ખોટ પૂરવા માટે અસમર્થ જ રહે છે. સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અપાય છે, પરંતુ ખરેખર કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી શીખ્યા તેની કોઈ મોજણી થઇ નથી.

ઇંગ્લૅન્ડમાં તૈયાર થયેલ તે ઉપરાંત અમેરિકામાંથી પણ, આ લેખના અને અન્ય લેખકો દ્વારા લખાયેલાં બે-ત્રણ ગુજરાતી શીખવા-શિખવવા માટેનાં પુસ્તકો ઉપલબ્ધ છે, અને તેમનું વેચાણ સારું એવું થયું છે. તેમ છતાં પણ, ગુજરાતીમાં અછડતી પારંગતતા પણ મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ ભાગ્યે જ જોવા મળે છે. વર્ગોમાં અપાતું ગુજરાતીનું શીક્ષણ નિરસ અને વૈવિધ્યહીન હોવાની ફરિયાદ કે બહાનું સામાન્ય રીતે સાંભળવા મળે છે. સાધનસંપન્ન માબાપ, તેજસ્વી વિદ્યાર્થીઓ, અને માતૃભાષાના કક્કા જેવો સરળ વિષય, એનાથી વધારે સારા સંયોગો કયા હોઇ શકે? તે છતાં પણ આટલું, દેખીતી રીતે આસાન કામ પણ થઇ નથી શકતું. તો શું ભણેલાં માબાપ હોવાં તે એક શાપ છે?

અમેરિકામાં અનેકાનેક ગુજરાતી સામાજિક, ધાર્મિક, સાહિત્યિક સંસ્થાઓ, અને કૉલેજોનાં વિદ્યાર્થી મંડળો છે, પણ ગુજરાતી શીખવવાના એકમાત્ર હેતુસર સ્થપાયેલી કોઈ સંસ્થા નથી. સામાન્ય રીતે તો રવિવારની સવારની બેઠકમાં ભાષા, ધર્મ, નૃત્ય, સંગીત, બધું સાથે જ શીખવાડાય છે. બાકીના સમયમાં જમણવાર, અનંદમેળા, ક્રિયાકાંડ, સન્માન સમારંભો, ઇત્યાદિ ચાલે છે. અસંખ્ય ગુજરાતીઓ ઉભાં ચઢાણે તનતોડ મહેનત કરી રહ્યા છે, તે અલબત્ત ધન્યવાદને પાત્ર જ છે.

ઢગલાબંધ ગુજરાતી વર્તમાનપત્રો, સામયિકો, કે ટેલિવિઝનની ચૅનલોમાંથી કોઈએ પણ ગંભીર રીતે શીક્ષણને પ્રાધાન્ય આપવાનું ગનીમત નથી માન્યું. કારણ સ્પષ્ટ જ છે, તેમાં પૈસા બનાવવાની તક નથી. ઢીંગલા-ઢીંગલી પરણાવવામાં ઝાકઝમાળ છે, જાહેરાતો છે, અને પૈસા છે. “શું શાં” ના તો હવે ચાર પૈસા પણ કોઈ આપવા તૈયાર નથી. વળી આપણા ભવિષ્ય કરતાં સાપ્તાહિક ભવિષ્ય વધારે આશાજનક છે. સાત દિવસમાં બધાં દુ:ખો દૂર કરી આપનારા પંડિતો, સાધુઓ, બાવાઓ, યોગીઓ, કોઈ ભાષાશીક્ષણના પ્રશ્નને અડવા તૈયાર નથી, તે તેમની અપાર કૃપા છે.

અહીંની ગુજરાતી સાહિત્ય એકેડેમી (Gujarati Literary Academy of North America), કે જેનું સુકાન સંભાળવાની તક મને પણ મળી હતી, તેણે પણ આ દિશામાં અગ્રેસર થવાનું યોગ્ય નથી માન્યું, એટલું જ નહીં, તેના કાર્યક્રમોમાં, વક્તાઓ અને બાળકો બંનેની દયા ખાઇને, બાળકોને લાવવાની પણ મનાઇ કરીને બેવડું પૂણ્ય ઉપાર્જન કર્યું છે. જ્યારે જ્યારે બાળકોને માટે ખાસં શ્રી. “દર્શક” તથા અન્ય મહાનુભાવોનાં અંગ્રેજીમાં પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પણ બાળકો તેમની સદંતર ગેરહાજરીથી ઝળકી ઉઠ્યાં છે. વિદ્યાવ્યાસંગના સદંતર અભાવની આપણી પ્રણાલિકા આત્મસાત્ થયેલી જોઈને અમારી આંખે ઝળઝળિયાં આવી ગયાં છે.

“અમર પ્રેમ” ચિત્રનું ગીત છે:

માના તૂફાં કે આગે, નહીં ચલતા જોર કિસી કા
મોજોં કા દોષ નહીં હૈ, યે દોષ હૈ ઓર કિસી કા.

આમ તો “ઓર કિસી કા” એ “અપના ખુદ કા”નો વિરોધી પ્રયોગ છે, પરંતુ અહીં તે સમાનાર્થમાં છે. બીજાની તરફ ચીંધેલી એક આંગળી કરતાં, આપણા પોતાના તરફ દર્શાવતી બીજી ત્રણ આંગળીઓ તરફ ધ્યાન આપીએ તો આપણે “જા બિલ્લી, કુત્તેકો માર” જેવા ઊંટવૈદામાંથી ઊગરી જઈશું. પહેલાં કેટલાંક મિથ્યા મંતવ્યો (Myths)ને દૂર કરીએ:

ગુજરાતી શીખવાની જરૂર જ હવે શી છે?

તેમાં “જરૂર”ની અવશ્યકતા જ નથી. ગુજરાતી આપણી માતૃભાષા છે, અને ભાષા વિના સંસ્કાર, ધર્મ, કે બીજો કોઈ વારસો આપવાનું શક્ય જ નથી. માતૃભાષા શીખવી એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે.
બાળકના માથે કેટલી ભાષાઓ લાદવી?

લાદવાની જરૂર નથી. તેનો એ શીખવાનો અધિકાર છે, અને એ શીખવવાની આપણી ફરજ છે, તેથી ઊલટું નહીં. બાળકો ત્રણ કે ચાર ભાષાઓ આસાનીથી સંભાળી શકે છે, જો તે સ્વાભાવિક રીતે શીખવાય તો.
ગુજરાતી ભાષા તો અંગ્રેજીના પ્રમાણમાં કેટલી બધી અઘરી છે?

જેટલી આસાનીથી અંગ્રેજી બાળક અંગ્રેજી, અને ચીનનું બાળક ચીનની ભાષા શીખી શકે છે, તેટલી જ આસાનીથી ગુજરાતી બાળક ગુજરાતી શીખી શકે છે. પ્રત્યેક ભાષાને અલબત્ત પોતપોતાની આગવી વિલક્ષણતાઓ અને વિચિત્રતાઓ હોય છે. અંગ્રેજી ભાષાની જોડણી અત્યંત અનિયમિત છે, અને તેના ઉચ્ચારો તો જરા પણ સરળ નથી.

ગુજરાતી શીખવવાનું તો અમને પણ અઘરું પડે છે!

ઉત્તર ભારતની બધી જ ભાષાઓની એ દશા છે (દક્ષિણની મને ખબર નથી), કારણ કે આપણે જ એ ભાષાઓ ભૂલતાં જઈએ છીએ. વપરાશનો અભાવ તેનું મુખ્ય કારણ છે. અને, માફ કરજો, પણ સંસ્કૃત ભાષાનું આપણું અજ્ઞાન એ બીજું કારણ છે. સંસ્કૃત આવડતું ન હોવાથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ તૂટી જાય છે, અને નિરર્થક શબ્દોનો ભાર લાગવા માંડે છે. થોડા ઘણા પણ બંધ બેસતા અંગ્રેજી શબ્દો વાપરવા માંડવાનું સહેલું લાગવા માંડે છે. પછી તો અંગ્રેજી વધુ ને વધુ સહેલું, અને સંસ્કૃત તથા અન્ય ભાષાઓ વધુ ને વધુ દૂષ્કર લાગવા માંડે છે. બીજી બાજુ, સંસ્કૃતથી ભારો ભાર લદાયેલી ભાષાથી પણ શબ્દ અને અર્થનો વિચ્છેદ થાય છે.

બાળકોને ગુજરાતી શીખવા માટે નથી રસ, કે નથી સમય.

આ અતિ પ્રચલિત સમસ્યા છે. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણાં “બાળકો” હવે ૨૦-૨૫ વર્ષથી પણ વધારે મોટી ઉંમરનાં થયાં છે. કોઈ કોઈ તો પરણી પણ ગયાં છે. ગીતામાં કહ્યું છે તે થોડા ફેરફાર સાથે કહીએ તો समस्त कर्ममखिलं लग्ने परिसमाप्यते (છોકરાં પરણી જાય એટલે ગંગા નાહ્યા). કેટલાંક તો સારી પદવી ધરાવે છે, અને પોતાની માલિકીના આવાસોમાં રહે છે. તેથી બંને પક્ષે રસની ઓટ આવે તે સ્વાભાવિક છે. આપણાં બાળકો કૉમ્પ્યૂટર સાથે તેની ભાષાઓ, જેમ કે Pascal, Cobol, C++, ઇત્યાદિમાં વાત કરે છે, પણ તેમની મા સાથે અંગ્રેજીમાં વાત કરે છે, જો માને તે આવડતું હોય તો. નહીં તો પછી “નવ ગુણ”ની આરાધના શરૂ થાય છે. દાદાજી અને દાદીમાની દૂર્દશાની તો વાત જ ન કરશો. તેમને તો ધૂંધળી આંખોથી છતી સંતતિએ નખ્ખોદ જતું જોવાનો વારો આવ્યો છે.

બાળકોની વય, બુદ્ધિ, અને તેમના ઉછેરનું વાતાવરણ ધ્યાનમાં લઇને, તેમને શરમમાં નાખ્યા વિના ગુજરાતી શીખવવું જોઈએ. આપણે જે રીતે ભણેલાં, તે “કમળનો ક” ઘૂંટાવવાને બદલે તેમને “કારનો ક” શીખવીએ, મોટરકારનું ચિત્ર દોર્યા વગર! તદુપરાંત, માંડ એ બે શબ્દ ગુજરાતીના શીખે કે તરત આપણે તેને મહેમાનો આગળ પ્રદર્શનમાં મૂકીએ, તેની મજાક કરીએ, નિષ્ઠૂરતાપૂર્વક તેની “ભૂલો” સુધારીએ, કે તેને અગણિત પૂજાઓ કે કથાઓમાં ઘસડી જઈએ, તો તેનો રસ ઉડી જાય છે, અને તે  જાતજાતનાં બહાનાં કાઢવા લાગે છે.

પણ તમને નથી લાગતું કે આ બાળકોની “માતૃભાષા” અંગ્રેજી જ છે?

આ કડવો ઘૂંટડો ગળવો આકરો, પણ સાથે જ અત્યંત આવશ્યક છે. કમ સે કમ તેમની “અવેજીની માતૃભાષા” (surrogate mother tongue) તો અંગ્રેજી છે જ. તેની માતૃભાષા એ આપણી પણ વ્યવહારની ભાષા છે. તેથી આપણે અંગ્રેજી સારી રીતે શીખવું જોઈએ, જરૂર પડે તો બાળકની મદદથી.આપણે ગુજરાતી ભૂલતા જઈએ છીએ, પણ આપણું અંગ્રેજી કંગાળ જ રહ્યું છે. અંગ્રેજી અખબાર વાંચીએ, કે અંગ્રેજીમાં ઇ-મેઇલ લખીએ, એટલું જ પર્યાપ્ત નથી. અંગ્રેજીમાં વિપૂલ સાહિત્ય છે. તેવું જ ફ્રૅંચ, જર્મન, ગ્રીક, અને લૅટીનનું પણ છે. ભારતથી આવેલાં આપણાં માબાપ, ભાઇ-બહેનો, તથા આપણી મૉટેલ વગેરેમાં કામ કરતા માણસોને પણ અંગ્રેજી શીખવીએ. તો જ આપણે આપણાં બાળકોને અર્ધા રસ્તે મળી શકીશું.

હવે આપણે ભાષાના પ્રશ્નના મૂળમાં પાછા આવીએ. નાતજાત, વર્ણ, અને ધર્મના આંતરિક વિખવાદોના અંતે ભારતમાં અંગ્રેજી રાજ્ય આવ્યું. ભાષાના આધારે રાજ્યોની રચના કરવાના ખતરનાક અખતરા પછી આખા ભારત ઉપર અંગ્રેજીનું સામ્રાજ્ય છવાઇ ગયું. ભારતીય નાગરિકમાંથી વટલાઇને હું અમેરિકન નાગરિક થયો, તેથી મને एकोऽहं बहु स्याम् (હું એક છું, તેમાંથી અનેક થાઉં) એ સૂત્ર કરતાં, E pluribus unum (આપણે અનેકમાંથી એક થઇએ) એ સૂત્ર વધારે ગમે છે.

અહીં અમેરિકામાં અમે જોઈએ છીએ કે કોઈ કોઈ વાર બગીચામાં ઘરની એકદમ નજીક ઉગેલ વૃક્ષ મોટું થતાં તેનાં મૂળિયાં ભીંતમાં તિરાડો પાડીને ઘરના પાયામાં અને ભોંયરામાં પ્રવેશે છે. તે ઝાડ કપાવી નાખીએ તે પછી પણ તેનાં મૂળિયાં તો ઘરમાં ફેલાતાં જ રહે છે. ઝાડ કાપી નાખવાથી તેની જડ ન નીકળી જાય. ગુલામીનું પણ કંઇક એવું જ છે. ગાંધીજી અને બીજા નેતાઓએ આપણી ગુલામી બહારથી દૂર કરી, પણ તેનાં મૂળિયાં આઝાદી પછી પણ આપણા લોકમાનસમાં ઊંડાં ને ઊંડાં ઊતરતાં જ રહ્યાં છે. આપણે ગુલામીમાંથી બહાર નીકળ્યા, પણ ગુલામી આપણા મનમાં ઘર કરી ગઈ છે, અને તે આપણા પાયા હચમચાવે છે. ગાંધીજીએ “પાયાની કેળવણી”નો આગ્રહ કદાચ એટલા માટે જ રાખ્યો હશે.

આપણે આપણો દેશ, આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું ગૌરવ, અમેરિકનો કે યુરોપિયનોના બદલે, આપણા પોતાના મનમાં ઠસાવીએ, સંસ્કૃત અને અંગ્રેજી શીખીએ, અને શિયાળને ત્યાં ઊછરેલા સિંહબાળની જેમ એક વાર કેશવાળી ખંખેરી, મસ્તક ઊંચું કરી, એક ત્રાડ પાડીને વિશ્વમાં માનભેર સ્થાન લઇએ, અથવા તો પછી માત્ર પેટિયું રળીને “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાન” (ગુજરાત નહીં) કરીને સંતોષ માનીએ.

(સદ્દભાવ : “ઓપિનિયન”, ૨૬ એપ્રિલ ૨૦૦૯)

Loading

માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?

કેયૂર કોટક|Diaspora - Language|8 January 2009

ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.

આ પંચશીલ સૂત્રોના પ્રણેતા વિપુલ કલ્યાણી એટલે ગુજરાતી માતૃભાષાના જતન માટે જીવતા અને જીવવાની પ્રેરણા આપતા વિદેશમાં વસતા સવાયા ગુજરાતી. વિલાયતની 'ગુજરાત સાહિત્ય અકાદમી'ના મહામંત્રી વિપુલ કલ્યાણી બ્રિટનમાં ગુજરાતી માસિક સામયિક 'ઓપિનિયન'ના તંત્રી છે. 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી પ્રકાશ ન શાહના ઘરે તેમની સાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય પર થયેલી વાતચીતઃ

પંચશીલ સૂત્ર…

પાકિસ્તાનમાં 1980ના દાયકામાં મોહમ્મદ પીલાણી ગુજરાતી સામયિક 'મેમણ ન્યૂઝ' ચલાવતા હતા। તેઓ આર્થિક રીતે સદ્ધર હતા. સામયિકનું સંપાદકીય કામકાજ અન્ય કોઈ વ્યક્તિ સંભાળે પણ પીલાણને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ. તેઓ ક્યારેક-ક્યારેક સામયિકમાં લેખ પણ લખતા. એક વખત તેમણે તેમના લેખમાં 'ગુજરાતી વાંચીએ', 'ગુજરાતી સાંભળીએ' અને 'ગુજરાતી લખીએ' આ ત્રણ સૂત્રો આપ્યાં. મને તે ખૂબ પસંદ પડી ગયા. પણ તેમાં અમે થોડો સુધારો કર્યો. પીલાણી સાહેબના સૂત્રોમાં બીજા લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ રાખવાનું કહેવામાં આવતું પણ તેમાં વ્યક્તિએ પોતે ગુજરાતી ભાષા માટે કશું કરવાનું નહોતું. એટલે અમે તેમાં 'ગુજરાતી બોલીએ', 'ગુજરાતી જીવીએ'-એમ બે સૂત્ર જોડી દીધા. આ રીતે આ પંચશીલ સૂત્રનો જન્મ થયો.

મળી મળી મને માતૃભાષા ગુજરાતી…

ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, આપણા વારસાની ભાષા છે। મારા બાપદાદાનું વતન જામનગર પણ મારો પ્રાથમિક અભ્યાસ જામખંભાળિયામાં. તે સમયે મારા શિક્ષક કાંતિભાઈ અને હેડમાસ્ટર એમ પી ભટ્ટે ગુજરાતી ભાષા પ્રત્યે મારી પ્રીત બાંધી. તમને કયા વિષયમાં રસ પડશે તેનો સૌથી મોટો આધાર તમારા પ્રાથમિક શિક્ષકો પર છે અને મને શિક્ષકો હંમેશા ઉત્તમ મળ્યાં છે. મેં ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો અભ્યાસ પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં મેરુ પર્વતની તળેટીમાં અરુસામાં કર્યો. ત્યાં મને રણજીત દેસાઈ અને બાલકૃષ્ણ દેસાઈ જેવા શિક્ષકો મળ્યાં જેમણે ગુજરાતી ભાષા પ્રત્યેના મારા પ્રેમમાં વૃદ્ધિ કરી. અત્યારે હું ગુજરાતી ભાષા પ્રત્યે જે કાંઈ ફરજ અદા કરું છું તે આ શિક્ષકોની દેણગી છે.

માતૃભાષા એટલે આત્મવિશ્વાસ…

કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત અભ્યાસો પરથી સાબિત પણ થઈ છે.

ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાના માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપીયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે.

વીસમી સદીમાં ગુજરાતના ત્રણ જાણીતા સાક્ષર મહામાનવ ગાંધી, મોહમ્મદ અલી ઝીણા અને ટોચના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પોતાનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો. આ ત્રણેયનું ગુજરાતી આલા દરજ્જાનું. અલબત્તા ઝીણાને પાછળથી ગુજરાતીનો મહાવરો છૂટી ગયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે, આ ત્રણેયનો પાયો માતૃભાષા ગુજરાતી હતો તેમ છતાં તેઓ અંગ્રેજીનાં સારામાં સારા જાણકાર હતા.

મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે। માતૃભાષા આપણો વારસો છે અને તે આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.

ગુજરાતી ભાષાનું ભવિષ્ય…

ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે કોઈ પણ ધારણા બાંધવી મુશ્કેલ છે, પણ તેનો આધાર ચોક્કસ વર્તમાન સ્થિતિ અને સંજોગો પર છે અને હાલની સ્થિતિ સારી નથી તે હકીકત છે। આપણે આપણી જ મા (માતૃભાષા)થી દૂર થઈ રહ્યાં છીએ. ગુજરાતમાં જ વસતા ગુજરાતીઓમાં અંગ્રેજી પ્રત્યેનો મોહ વધતો જાય છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા વેપારીઓ હવે હિસાબના ચોપડા પણ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખે છે. ગુજરાત સરકારનો વ્યવહાર સુદ્ધાં અંગ્રેજીમાં થાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમારે અંગ્રેજી શીખવું ન જોઇએ. પણ મને નિરંજન ભગતનો એક વિચાર અત્યંત પસંદ છે જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઉતારવો જોઇએઃ 'માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી'

ગુજરાત સરકારઃ ન દિશા, ન દૃષ્ટિ…..

ગુજરાત સરકારને તો અંગ્રેજીનું ઘેલું લાગ્યું હોય તેવું લાગે છે. આ સરકાર પાસે માતૃભાષાના સંવર્ધન માટે ન તો કોઈ દિશા છે ન કોઈ દૃષ્ટિ. હકીકતમાં રાજ્ય સરકારે વારસાની ભાષાના સંવર્ધન માટે યોગ્ય કદમ લેવા જોઇએ. તેના માટે ગુજરાતી સાક્ષરોને પ્રોત્સાહન આપવું જોઇએ.

વૈશ્વિકરણ અને પ્રાદેશિક ભાષાઓ…..

વૈશ્વિકરણે છેવાડાના માણસનો દાટ વાળ દીધો છે. તેમાં સામાન્ય માણસની કોઈ ચિંતા નથી. ચિંતા છે ધનિકો અને ઉદ્યોગપતિઓની. આપણે વાત ભાષાની કરીએ તો વૈશ્વિકરણે પ્રાદેશિક ભાષાના મૂળિયા હચમચાવી દીધા છે. કોઈ પણ ભાષાના મૂળમાં રોજગારી અને અર્થતંત્ર હોય છે. વૈશ્વિકરણમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધતું જાય છે. રોજગારી અને અર્થતંત્ર અંગ્રેજી આધારિત છે. એટલે સ્વાભાવિક રીતે લોકોનો ઝુકાવ તેની તરફ વધી રહ્યો છે. પણ તેનો ભાગ માતૃભાષાઓ બની રહી છે. અધૂરામાં પૂરું આ માતૃભાષાઓને સરકાર અને અર્થતંત્રનું પીઠબળ રહ્યું નથી એટલે પડતાં પર પાટું. ગુજરાતની યુનિવર્સિટીઓ પણ અમેરિકન યુનિવર્સિટીઓનું આંધળું અનુકરણ કરી રહી છે અને ધનિકો તથા બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ)ના સંતાનોની બની ગઈ છે.

બ્રિટનમાં ગુજરાતી ભાષા…..

કેન્દ્ર સબળ હશે તો પરિઘે કામ થશે। ગુજરાતમાં વસતા ગુજરાતીઓ પોતાની માતૃભાષાનું કેવું જતન કરે છે તેને આધારે વિદેશમાં ગુજરાતી ભાષાની દશા અને દિશા નક્કી થશે. બ્રિટનમાં પહેલી ગુજરાતી પ્રાથમિક શાળાની શરૂઆત વર્ષ 1964માં થઈ હતી. તે પછી 1990ના દાયકા સુધી ગુજરાતી શાળાઓની સંખ્યા વધતી જતી હતી. ત્યાં સુધી આ શાળાઓમાં એકાદ લાખ ગુજરાતીઓએ ગુજરાતી ભાષામાં જ શિક્ષણ લીધું હતું. પણ ધીમેધીમે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ત્યાં વસતા ગુજરાતીઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે.

બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી…..

બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની શરૂઆત 12મી ફેબ્રુઆરી, 1977ના દિવસે થઈ હતી। તેને હવે ત્રણ દાયકા પૂરાં થઈ ગયા છે. અકાદમી અંતર્ગત ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નિયમિતપણે કાર્યક્રમો યોજે છે. અમારી પાસે 60થી 70 કવિ-લેખકો છે જેમાં દીપક બારડોલીકર, અદમ ટંકારવી, યોગેશ પટેલ, બળવંત નાયક અત્યંત પ્રતિભાશાળી છે.

વર્તમાન ગુજરાતી સાહિત્ય…..

સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ બંનેમાં વાંચન ઘટ્યું હોય તેવું મને લાગે છે। સર્જકોમાં જોઇએ તેવી સજ્જતા વર્તાતી નથી। તેની પાછળ શિક્ષણનું કથળતું જતું સ્તર જવાબદાર છે. એક સમયે લોકશિક્ષકો અને મહાજનો ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપતાં હતા. લોકો સુધી ગુજરાતી સાહિત્યને પહોંચાડવાનું એક મિશન હતું, એક દૃષ્ટિ હતી, સમજણ હતી. આજે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પડકાર વધી રહ્યો છે. ગુજરાતી ભાષા માટે મિશનની ભાવના સાથે ગણ્યાં-ગાંઠ્યાં માણસો કામ કરે છે અને જે લોકો કમિશનથી કામ કરે છે તે પણ પોતાના કાર્ય પ્રત્યે વફાદાર નથી.

મહેન્દ્ર મેઘાણીઃ આશાનો દીપ…..

ગુજરાતી ભાષાના અંધકારમય ભવિષ્યમાં મહેન્દ્ર મેઘાણી આશાનો દીપ છે। તે ઠેરઠેર અત્યંત સફળ પુસ્તકમેળા યોજી ગુજરાતી ભાષાનો દીપ પ્રજ્જવલિત રાખવાનો ઉત્તમ પ્રયાસ કરી રહ્યાં છે. તેમના પુસ્તકમેળામાં ગુજરાતી ભાષામાં જ પ્રસિદ્ધ થયેલા પુસ્તકોનું વેચાણ થતું જોઇએ ત્યારે ગુજરાતી સાહિત્યની ચિંતા થોડી હળવી થઈ જાય છે.

મનપસંદ ગુજરાતી સાહિત્યકારો…..

ગાંધીજી, મનુભાઈ પંચોળી, ર। વ. દેસાઈ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ઉમાશંકર જોશી, ન્હાનાલાલ. મનુભાઈ પંચોળીની તમામ કૃતિઓ અને ઉમાશંકર જોશીની કવિતા બહુ ગમે. કવિતામાં ઊંડો રસ છે. દુઃખ છે કે અત્યારે કવિતા બનતી જ નથી.

સમકાલીન મનપસંદ ગુજરાતી સર્જકો…..ગુજરાતી ડાયસ્પોરાના વલ્લભી નાઢા, દીપક બારડોલીકર, કૃષ્ણ આદિત્ય વગેરે। ઉપરાંત પન્ના નાયક અને રાજેન્દ્ર પટેલના સર્જનો પણ વાંચવા ગમે છે. મનોજ જોશીના સર્જનો મીઠા લાગે છે.

ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિનો વિરોધ કરનારા…..

ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીએ ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિઓમાં દલિતવર્ગ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ થયો હોવાથી તેને અભ્યાસક્રમમાંથી દૂર કરી છે તેવું સાંભળ્યું ત્યારે ખરેખર દુઃખ થાય છે। આ મહાન સાહિત્યકારોનું સાહિત્ય તત્કાલિન સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. સાહિત્યકારો સમાજની સુંદરતા અને તેના બિભત્સ ચિત્રની સાચા સ્વરૂપે રજૂઆત કરી છે. મને તો આ વિવાદની ફિલસૂફી સમજાતી નથી. મને એવું લાગે છે કે આ વિરોધ નબળા કેળવણીકારોની ખોટી કૂદાકૂદ છે. હકીકતમાં આ કૃતિઓને અભ્યાસક્રમમાંથી દૂર કરવાને બદલે તેમાંથી સારું કે નરસું શું ગ્રહણ કરવું તેનો નિર્ણય યુવાન વિદ્યાર્થીઓ પર છોડી દેવો જોઇએ.

ગાંધીજીના લખાણોના કોપીરાઈટ અને તેની સાથે ચેડાં થવાની શક્યતા…

'ગાંધીકથા'નો દીપ પ્રજ્જવલિત કરતાં નારાયણ દેસાઈએ ગાંધીજીના લખાણોનો વ્યાવસાયિક ઉદ્દેશ માટે જ ઉપયોગ થવાના જોખમ પર એક-બે દિવસ પહેલાં જ ચિંતા વ્યક્ત કરી છે। થોડા દિવસ પહેલાં જાણીતા ઇતિહાસકાર રીઝવાન કાદરીએ ગાંધીજીની આત્મકથામાં નવજીવન પ્રકાશને ફેરફાર કર્યા હોવાની ફરિયાદ કરી છે। ગાંધીજીના કોપીરાઇટ હવે પૂર્ણ થઈ ગયા છે અને કોઈ પણ પ્રકાશક તેને પ્રકાશિત કરવા સ્વતંત્ર હોવાથી 'ગાંધીજીના અક્ષરદેહ' સાથે ચેડાં થવાની ચિંતા વધારે છે। થોડા વર્ષ પહેલાં તેની સાથે ચેડાં પણ થયા છે। કેન્દ્ર સરકારે ગાંધીજીના અક્ષરદેહનું હિંદી અને અંગ્રેજીમાં પુનર્મુદ્રણ કર્યું ત્યારે તેમાંથી અમુક ભાગ દૂર કરવાની ફરિયાદો થઈ હતી. તે સમયે સરકારે નારાયણ દેસાઈ સહિત અગ્રણી ગાંધીજનોની એક સમિતિ રચી હતી. પણ તે પછી કંઈ થયું નહોતું. ખરેખર સરકારે આ અક્ષરદેહને મૂળ સ્વરૂપે ફરી પ્રકાશિત કરી પોતાની ભૂલ સુધારી લેવી જોઇએ.

સાહિત્ય સમાજનું દર્પણ…..

સાહિત્ય સમાજનું દર્પણ છે. સાહિત્યકારો સમાજની વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે. સાહિત્ય અને સમાજ વચ્ચે બહુ મોટો અને ગાઢ સંબંધ છે. સમાજને સુસંગત રાખવાની જવાબદારી સાહિત્યકારોની છે અને તેમાંથી રામાયણ અને મહાભારત જેવા આદિગ્રંથોનું સર્જન થયું છે.

(સદ્દભાવ : કેયૂર કોટકનો બ્લોગ, ગુરૂવાર, ૮ જાન્યુઆરી ૨૦૦)

Loading

પિંડને પાંખ દઈ દીધી અને –

રાજેન્દ્ર શુક્લ|Poetry|10 December 2008

પિંડને પાખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,

એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !

કેદૂના જે હતા તે કઢાપા ગયા, આખરે આંખ ઊઘડી ગઈ એવું કે –

છો ભરણ આકરા, આકરી બળતરા,  દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !

કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,

સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી !

કોઇ કે’તુ ભલે, કંઈ અધુરું ન’તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,

ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,

પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !

Loading

...102030...4,1934,1944,1954,196

Search by

Opinion

  • કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે
  • જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ – આરુષિ અને મેઘાની વાર્તા
  • દલિત સાહિત્ય અંગે પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન
  • ટ્રમ્પ, ગુલામીનો ઇતિહાસ, ભેરપ્પા અને ‘આવરણ’ 
  • બાવલાનાં પરાક્રમો 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved