
![]()

![]()
પ્રાચીન કાળમાં, ઇજિપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ચુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે વેલીની માટીની ટીકડીઓ પર લખેલી લિપિ વાપરીને, મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો. પણ આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં, જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ, (અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો, ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું.
અક્ષરો એ ભાષાનાં વસ્ત્રો છે, આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું, એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહીં મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલતા હતા, પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.
ચક્ર અને અગ્નિની શોધ જેટલી જ મહત્ત્વની શોધ મૂળાક્ષરોની છે. અક્ષરોને સહેલાઈથી તદ્દન જુદી ભાષામાં અપનાવી શકાય છે કારણ કે મૂળાક્ષરોનો મૂળ અવાજ બદલ્યા વગર, એ જ અવાજ અને અક્ષરને, નવી ભાષામાં થોડા ફેરફાર કરી અપનાવવાં સહેલાં છે. આઝરબેજાન, તર્કીમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન − આ ત્રણ દેશો, સેંકડો વર્ષથી અરબી લિપિ વાપરતા હતા, પણ ૧૯૪૦ પછી, સોવિયેટ યુનિયનના નિયંત્રણ હેઠળ સિરાલીક લિપિ વાપરવાનો કાયદો આવ્યો, અને હવે, સ્વાતંત્ર મળ્યા બાદ, રોમન લિપિના અક્ષરોમાં એ જ ભાષા હવે લખાય છે ! ત્રણે ય દેશો ભાષાને બદલ્યા વગર, ફક્ત લિપિ બદલી શક્યા, એ મૂળાક્ષારોની કમાલ છે.
ચીન દેશની લિપિને લોગોગ્રામ કહેવાય છે, જેમાં એક ચિન્હ એક અક્ષર નહીં, પણ એક શબ્દ છે. એટલે એક ચિન્હ ફક્ત એ શબ્દ માટે જ વાપરી શકાય. ચીની ભાષામાં સાદા દૈનંદિન વ્યવહાર માટે, ૬,૦૦૦ ચિન્હો કંઠસ્થ કરવા પડે છે. અને પ્રભુત્વ મેળવી વિદ્વાન બનવા માટે, ૩૦ થી ૪૦,૦૦૦ ચિન્હોને આત્મસાત્ કરવા પડે છે.
જો ગુજરાતી ભાષાને ચીની લિપિમાં લખવી હોય, તો કેટલું અઘરું કામ થાય, એનો વિચાર કરીએ. આપણે ગુજરાતીમાં કમળનો “ક” બોલીને શીખીએ છીએ, પણ એને બદલે જો આપણે કલમના ચિત્રને જ “ક” કહીએ, તો એ "ક" લખવા માટે ચીની ભાષામાં કમળનું ચિત્ર દોરવું પડશે; અને એ ચિત્રથી ફક્ત "ક" જ લખી શકાશે. જયારે અક્ષરોમાંથી શબ્દો અને નવા અર્થો ઘણી સહેલાઈથી અને સરળતાથી બની શકે છે. બહુ થોડા અક્ષરો વાપરીને, અનેક શબ્દો, ઘણી સરળતાથી બનાવી શકાય છે.
અંગ્રેજી અક્ષરોથી સહેલાઈથી ગુજરાતી લખી શકાય – અક્ષરોના અવાજનો ઉપયોગ કરીને – gujarati lipi n avadati hoy to pan gujaratima lakhi shakay –
તો ચાલો, આપણે એ તપાસીએ કે ક્યારે, કઈ જગ્યાએ, કેવી રીતે અક્ષરોનો જન્મ થયો અને બોલવાનું શરૂ કર્યું .

એક અગ્રેજી પુરાતત્વ નિષ્ણાત ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરતા હતા, ત્યારે એમને એક પત્થરની શિલા નજરમાં આવી, જેના પર લીસોટા મારેલા હતા. ભાષાતજ્જ્ઞ ન હોવાને લીધે, એમણે શિલાના ફોટા લીધા અને એ વિભાગનું વર્ણન લખી, બધા દસ્તાવેજ સાથે, પથ્થરની શિલા લંડન મ્યુિઝયમને આપ્યા. શિલાનું કાર્બન ડેટિંગ કરવાથી ખબર પડી કે આ શિલા લગભગ ૪000 વર્ષ જૂની હતી.
ઘણાં વરસો બાદ, જ્યારે અમેરિકાની યેલ યુનિવર્સિટીના બે ભાષાતજ્જ્ઞ સંશોધકો લંડન મ્યુિઝયમ ગયા હતા, ત્યારે તેમણે આ બધા દસ્તાવેજો અને શિલા જોયાં. બાદ અમેરિકા આવીને ફોટા અને દસ્તાવેજોનો અભ્યાસ શરૂ કર્યો. વધુ સંશોધન કરતાં એમના ધ્યાનમાં આવ્યું કે જે લીસોટા જેવું દેખાય છે, તે દુનિયાના પહેલા ચાર મૂળાક્ષરો છે. એમણે યેલ યુનિવર્સીટી પાસેથી બે વર્ષની રજા લઈને ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં જવાનું નક્કી કર્યું.
ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં, ઇજિપ્તમાં ૪૫૦૦ વર્ષો પહેલાં સમ્રાટ ફેરોનું સામ્રાજ્ય હતું. અને બધા દસ્તાવેજોનું લખાણ હાઇરોગ્લીફ લિપિમાં થતું. આ લિપિને શીખવાનો અને લખવાનો અધિકાર ફક્ત પંડિતો અને ઉચ્ચ વર્ગના લોકોને જ હતો. દરેક અક્ષરને ચિત્ર દ્વારા ચિન્હ આપવામાં આવતું. અનેક ચિન્હો ભેગા કરવાથી શબ્દ અને વાક્યો બનતા. તે લખવાનું કામ બહુ અઘરું હતું. સામાન્ય પ્રજાને હાઈરોગ્લીફ લિપિ શીખવાની મનાઈ હતી. એટલે એક બીજા સાથે વહેવાર ફક્ત બોલીને જ થઈ શકતો.
આ સમસ્યાને લીધે, સામાન્ય નાગરિકોએ (સિમેટીક લોકો) મૂળાક્ષરોની શોધ કરી. અા દુનિયાની પહેલી બારાખડી હતી. જુદા જુદા પથ્થરોના લીસોટાઓનો અભ્યાસ કરતાં સંશોધકોને કુલ ૨૬ અક્ષરો મળ્યા. આ સંશોધનથી એ પણ સમજાયું કે આ ફક્ત લીસોટા ન હતા, પણ સંદેશ હતા. ઇજિપ્તનું લશ્કર આ રસ્તાનો ઉપયોગ કરતું, ત્યારે એક બીજાને સંદેશા આ રીતે લખવામાં આવતા.
આવી રીતે, ફક્ત આ ૨૬ અક્ષરોનો જ ઉપયોગ કરી, અક્ષરોની માત્ર જગ્યા બદલીને, નવા શબ્દો બનાવવાની કલ્પના અદ્દભુત જ ગણાય. દુનિયાના દરેક ખૂણામાં (ચીન, જાપાન અને કોરિયા સિવાય) આનો સ્વીકાર થવાનું કારણ એટલું જ કે આ અક્ષરોને કોઈ ચિન્હ નથી. વિશ્વના જુદા જુદા ભાગના લોકોએ, પોતાની ભાષાના અવાજ આપીને, આ લિપિને પોતાની ભાષા લખવા માટે શરૂઆત કરી.
આ શોધ કોઈ વિદ્વાન માણસે નહિ પણ, ઇ. પૂર્વ ૧૮૦૦માં, ઇજિપ્તના લશ્કરમાં કામ કરતા સૈનિકો અને અન્ય સામાન્ય પ્રજાજનોએ કરેલો છે. દુનિયાની આ પ્રથમ લેખિત બારાખડી હતી.
ઇતિહાસ જણાવે છે કે ઘણી વખત, સંશોધન અને શોધ, નિષ્ણાત વિદ્વાન નહિ પણ શોખ ખાતર અભ્યાસ કરનારા સામાન્ય નાગરિકો કરતા આવ્યા છે.
જરાક અાડ વાતે જોઈ, સંસ્કૃત ભાષાનો દાખલો લઈએ. ૧૮મી સદીમાં જજ તરીકે કલકત્તા આવેલા ડો. જોન્સે સંસ્કૃતનો અભ્યાસ કરી, વેદોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી, આખી દુનિયાને ભારતનો પ્રાચીન ઇતિહાસ અને એની ભવ્યતા બતાવી આપી. અંગ્રેજો ભારતીયોને જંગલી, અભણ અને અસભ્ય ગણાતા હતા, પણ ભારતના પ્રાચીન ધર્મગ્રંથોનું વાચન કરીને એમને ખબર પડી કે પશ્ચિમના ઇતિહાસ જેટલો જ પ્રભાવશાળી ભારતનો પ્રાચીન ઇતિહાસ પણ છે. ગ્રીક, લેટિન, ઈરાની વગેરે ભાષાનો પણ એમને શોખ હતો. તેના પરથી એમના ધ્યાનમાં આવ્યું કે આ બધી ભાષાઓમાં ઘણા શબ્દોના અર્થમાં સામ્ય છે. એમણે જ ઇન્ડો-યુરોપિયન ભાષાનો સિદ્ધાંત સાબિત કર્યો. બીજું ઉદાહરણ એટલે ૧૮૩૭માં, ભારતમાં પુરાતત્વના નિષ્ણાત તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી પ્રીન્સેપ આવેલા. એમણે બ્રાહ્મી લિપિનો અભ્યાસ કરી, અક્ષરોને અર્થ આપ્યો.
વારુ, બારાખડી રૂપે અક્ષરોને ઉપયોગમાં લઈ, શબ્દ બનાવવાની શરૂઆત પણ આ જ સમયમાં થઈ. અક્ષરોને જુદી જુદી જગ્યાએ મુકીને, નવા શબ્દો બનાવી, શબ્દોને અર્થ આપવાની એક અદ્દભુત કલ્પના હતી. તે વખતના સોનેરી ત્રિકોણમાં (અત્યારનું ઇઝરાઈલ, સીરિયા, લેબેનાન, જોર્ડન વગેરે ભાગ – આ ભાગને સોનેરી ત્રિકોણ કહેવાનું કારણ કે આજના રણ પ્રદેશથી તદ્દન જુદો ઘટ્ટ જંગલવાળો આ પ્રદેશ એ વખતમાં હતો.) સિમેટીક લોકો પછી – ફોનીશિયન લોકો – જે બહુ સમૃદ્ધ વેપારી હતા, એમણે આ લિપિને પોતાની ભાષામાં અપનાવી. ત્યાર પછી, બીજા દેશના લોકોએ પણ, જે લોકો સમૃદ્ધ છે, એ જે લિપિ વાપરે છે, એ લિપિ ખરેખર ઘણી સારી હશે, એમ માની દરેક દેશે પોતપોતાની ભાષામાં આ લિપિ અપનાવી. હજારો વર્ષોમાં મૂળાક્ષરોના આકાર બદલાતા ગયા. કોઈ કોઈ દેશોએ પોતાની ભાષાના ઉચ્ચારો પ્રમાણે થોડા નવા અક્ષરો બારાખડીમાં ઉમેર્યા.
ફોનેશિયન લોકોના વંશજો આજે પણ લેબેનાનમાં રહે છે એ ડી.એન.એ. પરથી સિદ્ધ થયું છે.
આમાંથી જ જ્યુઈશ (યહૂદી) લોકોએ હિબ્રુ, ગ્રીક લોકોએ ગ્રીક, રોમન લોકોએ રોમન બારાખડી, અને અનેક સદીઓ પછી, આમાંથી જ આજની અગ્રેજી બારાખડી અને લિપિ બની. ભારત ખંડમાં બ્રાહ્મી લિપિ તૈયાર થઈ, જેમાંથી પાલી, દેવનાગરી, ગુજરાતી, વગેરે લિપિઓનો જન્મ થયો. આપણી ગુજરાતી લિપિ અને અંગ્રેજી લિપિ બંનેનું પિયર એક જ ગામમાં ઇજિપ્તમાં હશે, એવું કોઈના સ્વપ્ને પણ આવવું અશક્ય લાગે છે.
ભારતનું દુર્ભાગ્ય એ છે કે પ્રાચીન વેદકાલીન સંસ્કૃતિનું લેખિત સાહિત્યનું મૂળ લખાણ ઉપલબ્ધ નથી. આવું થવાના ઘણાં કારણો છે. વેદોને શ્રુતિ અને સ્મૃિત કહેવામાં આવે છે. વેદો લખાયા નથી, સંભળાયા છે. એને કંઠસ્થ કરવામાં આવ્યા અને એનું વારંવાર રટણ કરી, તેને કંઠસ્થ અને આત્મસાત કરવામાં આવ્યા. આનું કારણ કદાચ લખવા માટે લિપિનો અભાવ પણ હોઈ શકે.
બીજું કારણ એટલે બહુ જ થોડા ચિન્હો, જે કદાચ લિપિ હોઈ શકે, એવા મોહન-જો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી મળ્યા છે. ઘણા વિદ્વાનોએ આ લિપિનો અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે અસફળ રહ્યો છે. આ સંસ્કૃિત એક મોટું રહસ્ય છે. સમ્રાટ અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં, બ્રાહ્મી લિપિમાં જ લખાયા છે. સમ્રાટ અશોકે બુદ્ધ ધર્મ સ્વીકાર્યા પહેલાનું વેદિક કે હિંદુ ધર્મનું કોઈ પણ લખાણ ઉપલબ્ધ નથી, એ પણ એક મોટું રહસ્ય છે. ઈંદસ વેલીની લિપિમાંથી બ્રાહ્મી લિપિ બની હોય, એ શક્ય લાગતું નથી. કારણ કે એ લિપિમાં અને સમ્રાટ અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ વચ્ચે ૧૫૦૦ વર્ષનો સમય વીતેલો છે. મૂળાક્ષરો વિષે અત્યાર સુધી જે સંશોધન થયું છે એના પરથી એવું લાગે છે કે કદાચ ભારત ખંડમાં મૂળાક્ષરોથી લખવાની શરૂઆત લગભગ ઈ પૂર્વ ૪૦૦થી પ્રાકૃત ભાષામાં શરૂ થઈ.
સંસ્કૃત ભાષાનો વિરોધાભાસ એ છે કે સંસ્કૃત ભાષામાંથી બનેલી પ્રાકૃત ભાષાના િલખિત દસ્તાવેજો સંસ્કૃત ભાષામાં લખેલા દસ્તાવેજો કરતાં પહેલાં લખાયાં. આનું કારણ એ છે કે બ્રાહ્મી મૂળાક્ષરો જયારે ભારત સુધી પહોચ્યા, ત્યારે સંસ્કૃતનું સ્થાન પ્રાકૃત ભાષાએ લીધું હતું. બ્રાહ્મી લિપિ આવી તે પહેલાં ઇસ્વીસન પૂર્વે ૧૫૦૦થી વેદિક સંસ્કૃત ભાષા બોલાતી હતી, પણ લિપિના અભાવે કંઠસ્થ કરી બોલવાની પ્રણાલિકા ચાલુ થઈ.
વિચાર કરો, મિત્રો, કે જો ઈંડસ વેલીની લિપિ, જે ઇસ્વીસન પૂર્વ 3૦૦૦ વર્ષ જૂની છે, તેનો નાશ થયો ન હોત, અથવા ભારતમાં પણ લિપિની શરૂઆત જ્યુઈશ લોકોની હિબ્રુની જેમ ઇસ્વીસન પૂર્વ ૧૦૦૦થી થઈ હોત, તો ભારતનું કેટલું સુભાગ્ય હોત કે સંસ્કૃત ભાષાના બધા મહાગ્રંથો આજે આપણને સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ હોત. ધર્મના નામે કેટલા યુદ્ધો થયા છે, અને થતા રહે છે; પણ વિચાર કરો તો ખબર પડશે કે જ્યુઈશ લોકોની લિપિ હિબ્રુ, મુસ્લિમ લોકોના કુરાનની લિપિ અરબી કે ઉર્દૂ, ખ્રિસ્ટી લોકોના બાઈબલની લિપિ અરમૈક કે ભારતના ગ્રંથોની લિપિ બ્રાહ્મી, આ બધાનું મૂળ એક જ સેમેટિક મૂળાક્ષરો છે.
આ લેખ લખવામાં ડેવિડ સાક્સના પુસ્તક ‘Letter Perfect’નો આધાર લીધેલો છે, અને ઉપરાંત, મેં મારું સ્વતંત્ર સંશોધન પણ કરેલું છે. ભાષાના ઉગમનો અને પ્રસારનો કોઠો આપ્યો છે તે સાક્સના પુસ્તકમાંથી સાભાર લીધેલો છે.
e.mail : joshi117@yahoo.com
![]()
આજે સમાચાર વાંચ્યા કે ભારતમાં પૂરતા જાજરૂના અભાવે, વહેલી સવારે અને રાત્રે બહાર જવાને કારણે, બળાત્કારના બનાવો વધુ બને છે.
તરત વિચાર આવ્યો, ચાલો ભારત જઈએ. ત્યાં ઘેરે ઘેર અને જાહેરમાં સ્વચ્છ જાજરૂ-બાથરૂમ બનાવવાનો ‘ધંધો’ શરૂ કરીએ. ગુજરાતીઓને આર્થિક ફાયદો થશે, અને બળાત્કારના બનાવો ઓછા થશે. જો કે આપણે અહીંથી જવાની જરૂર નથી. બળાત્કારના ગુનેગારોને જાજરૂ બાંધવાની સજા કરીને એમની પાસે જ એ કામ કરાવી શકાય. ભારતમાં આજની તારીખે અર્ધો બીલિયન લોકો પાસે જાજરૂની સગવડ નથી. આ હકીકત માન્યામાં ન આવે કેમ કે આપણે તો હવે ચન્દ્ર પર પ્રયાણ કર્યું છે, અણુ શસ્ત્રો બનાવ્યાં છે, અને એટલી આર્થિક પ્રગતિ કરી છે કે દુનિયાના ધનાઢ્ય દેશો ભારતના વિકાસથી ડરે છે.
બિહારમાં ગયે વર્ષે ૮૭૦ બળાત્કારના કિસ્સા નોંધાયા, નોંધ્યા વિનાના બનાવો બન્યા હશે તે તો જુદા. પોલિસ દ્વારા બહાર આવેલી હકીકત પ્રમાણે, તેમાંનાં ઘણા કિસ્સાઓમાં કન્યાઓ અને બહેનોને મોડી રાત્રે કે વહેલી સવારે વસતિથી દૂર જાજરૂ જવું પડે, એનો ગેરલાભ ઉઠાવીને આ હિચકારું કૃત્ય આચરવાની શક્યતા વધે છે. જો ઘરમાં જાજરૂ હોત, તો ૪૦૦ જેટલી બહેનો આ યાતનામાંથી બચી શકી હોત. બિહારમાં ૮૫% ઘરોમાં જાજરૂની પૂરતી સગવડનો અભાવ છે. એવું જ બીજાં રાજ્યોમાં પણ હશે. જોવાનું એ છે કે બિહારમાં ૪૫% લોકો સગવડ માટે, ૪% લોકો પ્રાઈવસી માટે જાજરૂ હોવા જોઈએ તેમ ઇચ્છે છે, જયારે માત્ર ૧% લોકો સ્વાસ્થ્ય માટે ઘેરે ઘેર જાજરૂ હોવા જરૂરી છે એમ માને છે. ત્યાંની સરકાર ૨૦૨૨ સુધીમાં ૧૦ મીલિયન ઘરોમાં જાજરૂ આપવા માંગે છે. તેમને આપણા તરફથી અનેક શુભેચ્છાઓ.
આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પીવાના પાણી, તેના નિકાલ અને જાજરૂ-બાથરૂમની વ્યવસ્થા પશ્ચિમના દેશોમાં ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીની શરૂઆતમાં કરવામાં આવી. પછી જ તેઓએ અવકાશમાં જવાનું અને અણુશસ્ત્રો બનવવાનું પગલું ભર્યું. ભારત સ્વતંત્ર થયું ત્યારે તેના સૂત્રધારોએ વિચાર્યું કે હાય આપણે એ દોડમાં પાછળ રહી ગયા, એટલે પૂછડેથી વિકાસની શરૂઆત કરી.
ચાલો કાઈં નહીં, આ બળાત્કારના પ્રશ્નના નિવારણ નિમિત્તે પણ જો દરેક ઘરને જાજરૂ બાંધવાની ફરજ પાડવામાં આવશે, અને તેને માટે સ્થાનિક સરકારો મદદ કરશે, તો એક કાંકરે બે પક્ષી મરશે અને સરવાળે તમામ લોકોને ફાયદો જ ફાયદો થશે. પછી વિદેશી પ્રવાસીઓને ભારતના કોઈ પણ હવાઈ અડ્ડે ઉતરીને શહેરમાં જતાં, મળ-મૂત્ર વિસર્જન કરતા લોકો દ્રષ્ટિમાન નહીં થાય, અને ત્યારે આપણે ‘જુઓ અમે કેવો સુંદર વિકાસ સાધ્યો છે!’ એમ ગૌરવ પૂર્વક કહી શકીશું.
e.mail : 71abuch@gmail.com
![]()

