Opinion Magazine
Number of visits: 9774276
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પારિજાતનો પરિસંવાદ

કુમારપાળ દેસાઈ|Profile|7 July 2013

માતૃભાષાનો મરજીવો

એકાણુમાં વર્ષે પણ રતિભાઈ ચંદરયાનો માતૃભાષા ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અડગ અને અણનમ છે. બધિરતાને કારણે કાને સહેજે સાંભળી શકતા નથી. અમુક દિવસના ગાળા બાદ નિયમિત રૂપે ડાયાલિસિસ કરાવવું પડે છે. આંખે પણ પ્રમાણમાં ઓછું જોઈ શકે છે. શરીર આવું જીર્ણ બન્યું છે, પણ એમનો ઉત્સાહ તો એ જ પ્રકારે અદમ્ય છે. ગુજરાતી ભાષાનો શબ્દસાગર ખેડવાના કેટલાય મનોરથ ધરાવે છે. ગુજરાતી લેક્સિકોન માટે ધૂણી ધખાવનાર રતિભાઈ ચંદરયા એ કેટલી ય સંસ્થાઓ એકત્રિત થઈને કરી શકે એવું ભગીરથ કાર્ય એમણે એમની એકનિષ્ઠા, એકાગ્રતા અને અવિરત પુરુષાર્થને આધારે સિદ્ધ કર્યું છે.


જામનગરના હાલાર જિલ્લાના ચંદરિયા પરિવારના આ સ્વજનને કેનિયાની પ્રાથમિક શાળામાં માતૃભાષા ગુજરાતી શીખવા મળી, પરંતુ બીજું વિશ્વયુદ્ધ આવતાં પોતાના માતા-પિતા સાથે ભારત પાછા ફર્યા. અહીં આવી અભ્યાસ વધાર્યો, પરંતુ એમનો સઘળો અભ્યાસ અંગ્રેજીમાં થયો અને ત્યારબાદ વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા ઉદ્યોગોને સંભાળવા માટે ચોવીસ વર્ષની વયે નાઈરોબીમાં પાછા ફર્યા, વ્યવસાયની જવાબદારી સંભાળી, પૂર્વ અને મધ્ય આફ્રિકાના અનેક દેશોમાં ઉદ્યોગોની સ્થાપના કરી. સમયના પ્રવાહને પારખનારા આ કુટુંબે કેનિયામાં વ્યાપારના બદલે ઉદ્યોગોમાં ઝંપલાવ્યું અને પછી આફ્રિકાના બીજા દેશોમાં પોતાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિસ્તાર કર્યો.


એ પછી રતિભાઈ ચંદરયા ૪૩મા વર્ષે લંડનમાં સ્થાયી થયા, ત્યાર બાદ જિનેવા, સિંગાપોર અને બીજા કેટલાંય દેશોમાં વસવાનું બન્યું. પરંતુ આ વસવાટ દરમિયાન હૃદયમાં સતત એક ભાવના હતી અને તે પોતાની માતૃભાષાને માટે કશુંક નક્કર કાર્ય કરવાની. એમનો સ્વભાવ જ એવો કે જે કોઈ કામ હાથમાં લે, તે પૂરું કરીને જંપે. એને માટે જરૂર પડયે તો સામાન્ય માણસને સામે ચાલીને મળવા જાય. સાહિત્યકારોને મળે અને સહુને પોતાની વાત સમજાવે. આખી દુનિયામાં વિસ્તરેલા ઔદ્યોગિક ગૃહોની જવાબદારી સંભાળતા રતિભાઈના હૃદયમાં માતૃભાષા ક્ષણે ક્ષણે ધબકાર લેતી હતી.


સાઇઠમાં વર્ષે ગુજરાતી ટાઇપરાઈટર પર હાથ અજમાવ્યો, પરંતુ એમ કરવા જતાં આંગળાં દુખવાં લાગ્યાં. એવામાં ઈલેક્ટ્રિક ટાઈપરાઈટર આવ્યું અને એમણે વિચાર્યું કે ગુજરાતી ભાષામાં ઈલેક્ટ્રિક ટાઈપરાઈટર સર્જાય, તો કમાલ થઈ જાય. જર્મની અને સ્વીડનની મોટી કંપનીઓ સાથે પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. એ સમયે કોમ્પ્યુટર આવ્યું અને મનમાં એવો વિચાર જાગ્યો કે ગુજરાતીમાં ફોન્ટ બનાવનાર કંપની મળે, તો ગુજરાતીમાં માતૃભાષાની સેવા કરવાની ભાવના સાર્થક થાય.


એમણે શોધ આદરી. ભારતની આઈ.બી.એમ., એપલ મેકિન્ટોસ જેવી કંપનીઓનો સંપર્ક સાધ્યો, પણ આમાં સફળતા મળી નહીં. આ માટે તેઓ ભારતમાં આવ્યા. ટાટા કંપનીએ દેવનાગરી ફોન્ટ બનાવ્યા હતા. તેના નિષ્ણાતોને મળ્યા, પણ ગુજરાતી ફોન્ટ બનાવવામાં કોને રસ હોય? પરંતુ અંતે એક ફ્રેન્ચ મહિલાએ જોડાક્ષરો વિનાના ગુજરાતી ફોન્ટ બનાવી આપ્યા, પણ એ પછી ઘણી મોટી રકમની માગણી કરતાં વાત અધૂરી રહી. એવામાં અમેરિકામાં વસતા નાટયકાર અને નવલકથાકાર મધુ રાયે આવા ફોન્ટ બનાવ્યા હતા અને રતિભાઈ ચંદરયાનું પહેલું કામ પૂરું થયું. એ પછી તો ગુજરાતી સ્પેલ ચેકર માટે પ્રયાસ કર્યો અને ગુજરાતી ભાષાને લેક્સિકોન મળ્યું.


આજે આ ગુજરાતી લેક્સિકોન પર પિસ્તાલીસ લાખથી વધુ શબ્દો મળે છે. અન્ય કોઈપણ ભારતીય ભાષામાં આવો વિરાટ ડિજિટલ કોશ સર્જાયો નથી. અનેક દેશના લોકોને એ જુદા જુદા પ્રકારે ઉપયોગમાં આવે છે. એમાં ગુજરાતી સરસ સ્પેલ ચેકર છે. રોજ પાંચ થી છ હજાર વ્યક્તિઓ ગુજરાતી ભાષામાં શબ્દો મેળવવા માટે લેક્સિકોનનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી બે કરોડ અને ૧૬ લાખથી વધુ વખત આનો ઉપયોગ થયો છે.


લેક્સિકોન એટલે માત્ર શબ્દકોશ નહીં, પણ અનેક વૈવિધ્યસભર કોશોને એણે આવરી લીધા છે. એટલે કે શબ્દકોશ ઉપરાંત ૪૮,૯૦૫ શબ્દો ધરાવતો ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, ૬૫,૧૪૮ શબ્દોવાળો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ, ૩૬, ૧૯૭ શબ્દો ધરાવતો હિંદી-ગુજરાતી શબ્દકોશ જેવાં શબ્દકોશો કોમ્પ્યુટરની એક ક્લીક પર પ્રાપ્ત થાય છે. સંસ્કૃત-ગુજરાતી, ઉર્દૂ-ગુજરાતી, મરાઠી-ગુજરાતી જેવા શબ્દકોશો મૂકાઈ રહ્યા છે, તો સાથે કાયદાકીય શબ્દકોશ અને તબીબી શાસ્ત્રનો શબ્દકોશ પણ મળશે. આજે ગ્લોબલાઇઝેશનના યુગમાં વિશ્વની ભાષાઓ શીખવાની જરૂરી બની છે અને તેથી ગ્લોબલ લેક્સિકનમાં ગુજરાતી-જાપાની અને ગુજરાતી-ચાઈનીઝ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ગુજરાતી-ગુજરાતી શબ્દકોશમાં ૨,૯૩,૦૦૦ કરતાં વધુ શબ્દો છે. ગુજરાતી રૂઢિપ્રયોગ, કહેવતકોશ, વિરુદ્ધાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે મળે છે, તો પક્ષી અને વનસ્પતિ વિષયક શબ્દકોશ પણ અહીં સામેલ છે. વળી દુનિયાના કોઈપણ વિભાગમાંથી કેટલા લોકો ગુજરાતી લેક્સિકોનનો ઉપયોગ કરે છે તે પણ જાણી શકાય તેવી ટેકનોલોજી છે.


જો તમે કોઈ શબ્દ લખો અને જોડણી ખોટી હોય કે શબ્દ ખોટો લખ્યો હોય તો તે પણ જાણી શકાય છે. ઉખાણાં અને સામાન્ય જ્ઞાાનના પ્રશ્નો, ક્રોસવર્ડ અને ક્વિક ક્વીઝ મળે છે એટલે કે ગુજરાતીનો આખોય શબ્દસાગર અહીં એકઠો કરવામાં આવ્યો છે. વળી જનસમૂહમાં પ્રચલિત હોય તેવા શબ્દો પણ શોધવામાં આવ્યા અને ૯૩૦ જેટલા શબ્દોનો લોકકોશ લોકભાગીદારીથી એકઠો કરવામાં આવ્યો છે.


એક જમાનામાં ગુજરાતી શબ્દકોશને માટે ભગવદ્ગોમંડળનો મહિમા હતો. એ ભગવદ્ગોમંડળનું કાર્ય હવે ગુજરાત લેક્સિકન દ્વારા ડિજિટલ ફોર્મમાં કરવામાં આવે છે.


આજના સમયમાં ફેસબૂક, ટ્વીટર, યુટયુબ, ગૂગલ પ્લસ વગેરેનો બહોળો ઉપયોગ થાય છે. એના દ્વારા પણ ગુજરાતી લેક્સિકોન ગુજરાતી ભાષાનો અવિરત પ્રચાર કરે છે. એને વિવિધ મોબાઈલ એપ્લિકેશન આઈફોન, બ્લેકબેરી અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ ધરાવતા ફોનમાં પણ કાર્ય કરી શકશે.


એક માતૃભાષાપ્રેમી ગુજરાતીએ આધુનિક ટેકનોલોજીમાં ગુજરાતી ભાષાના એકેએક શબ્દનો સમાવેશ કર્યો છે. રતિભાઈ ચંદરયાનો ૯૦ વર્ષની વયે પણ માતૃભાષા માટે એ જ લગન, એ જ જુસ્સો અને એ જ ઉત્સાહ જોવા મળે છે. માતૃભાષા ગુજરાતી આજે ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકોન જેવાં કાર્યોથી પોતાનું મસ્તક ગૌરવભેર ઉન્નત રાખે છે.


ક્ષણનો સાક્ષાત્કાર


વિશ્વના મહાનાયકોનો જરા વિચાર કરો. સોક્રેટિસ, અબ્રાહમ લિંકન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે મહાત્મા ગાંધી જેવા મહાનાયકોના જીવન પર દ્રષ્ટિપાત્ કરીએ, તો ખ્યાલ આવશે કે એમણે પોતાના ધ્યેયની સફળતા માટે અવિરત અને અસાધારણ જંગ ખેલ્યો હતો. વિરાટ શિલાને ભાંગવા માટે તમે કરેલો એકસોમો પ્રહાર તેને તોડી નાખે છે, પણ શું તો એનો અર્થ એવો ખરો કે અગાઉ તમે કરેલા નવ્વાણુ પ્રહારો વ્યર્થ ગયા. ના, એવું સહેજે ય નથી. તમારા નવ્વાણુ પ્રહારોને કારણે શિલા અંદરથી એટલી તૂટતી રહી કે એકસોમાં પ્રહારને કારણે એના ટુકડે ટુકડા થઈ ગયા. જો નવ્વાણુ પ્રહાર કર્યા બાદ વ્યક્તિ નિષ્ફળતા ઓઢીને બેસી ગઈ હોત તો ?


સોક્રેટિસ રાજકીય વિરોધ જોઈને ચૂપ થઈ ગયા હોત તો? અબ્રાહમ લિંકન એમની ગરીબી અને વારંવારની નિષ્ફળતાઓના આઘાતથી નિરાશ થઈને માત્ર વકીલાત કરતા રહ્યા હોત તો ? આઈન્સ્ટાઈને વર્ષોનાં વર્ષો સુધી સાપેક્ષવાદના સિદ્ધાંતની શોધમાં ગાળવાને બદલે થોડા જ સમયે સંકેલો કરી લીધો હોત તો ? ગાંધીજીએ દેશની રાજકીય, આધ્યાત્મિક અને આર્થિક ગુલામી જોઈને આઝાદી માટેનું આંદોલન અભરાઈએ ચડાવી દીધું હોત તો ?
આ મહાનાયકોની વિશેષતા જ એ છે કે તેઓ નિરાશા, વિરોધ અને નિષ્ફળતા સામે ઝઝૂમતા રહીને દ્રઢ સંકલ્પ અને પ્રબળ ઈચ્છાશક્તિથી એનો સામનો કરતા રહ્યા. પરિણામે એમણે પહાડ જેવી સમસ્યાઓને પોતાના લોખંડી મનોબળથી પરાજિત કરી.


જેમને ઊંચા શિખર પર બેસવું છે, એણે એની પગદંડીઓ પર આવતી પરેશાનીઓ પાર કરવાની હોય છે. આને માટે અથાગ પ્રયત્નની જરૂર છે અને મહાનાયકોએ પ્રયત્ન કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે વ્યક્તિ જન્મથી મહાનાયક બનતી નથી, પણ સંજોગો સામે સતત ઝઝૂમીને અંતે વિજય હાંસલ કરીને મહાનાયક બને છે.



મનઝરૂખો



કેટલીક વ્યક્તિઓની બિમારી એમના તન-મન પર સવાર થઈ જાય છે, તો કેટલીક વ્યક્તિઓ સ્વયં બિમારી પર સવાર થઈ જાય છે. અમેરિકાના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સેમ ઉન્ટરમેયરને કોલેજકાળથી જ દમ અને અનિદ્રાનો રોગ લાગુ પડયો હોવાથી આખી રાત જાગવું પડતું હતું, પરંતુ એમણે પોતાની આ વ્યાધિને વિશેષતામાં પલટાવી નાખવા માટે પથારીમાં પડખાં ફેરવવાને બદલે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પરિણામે સીટી ઓફ ન્યૂયોર્ક કોલેજના તેજસ્વી વિદ્યાર્થી તરીકે પંકાવા લાગ્યા. એ પછી વકીલાત શરૂ કરી અને દમ અને અનિદ્રાથી થતી અકળામણને ભૂલીને વિચાર્યું કે કુદરત તો એની રીતે મારી કાળજી લેશે, પછી ઓછી ઊંઘની ફિકર શી ?


આથી એમણે સખત કામ કરવા માંડયું અને બીજા યુવાન વકીલો ઉંઘતા હોય, ત્યારે સેમ કાયદાશાસ્ત્રનાં પુસ્તકો વાંચતા હોય! ૨૧ વર્ષની ઉંમરે એ જમાનામાં પંચોતેર હજાર ડોલરની રકમ કમાતા હતા અને ઈ.સ. ૧૯૩૧માં તો એમને અમેરિકાના કાનૂની ઈતિહાસમાં કેસ લડવા માટે દસ લાખ ડોલરની રકમ અને તેય રોકડમાં મળી, જે એક વિક્રમરૂપ હતી.


સેમ અનિદ્રાના વ્યાધિને કારણે અડધી રાત સુધી વાંચતા અને પાછા વહેલી સવારે પાંચ વાગે ઊઠીને લખવાનું શરૃ કરી દેતા. બીજા લોકો હજી પથારીમાંથી ઊઠીને દિનચર્યાનો પ્રારંભ કરે, ત્યારે સેમનું આખા દિવસનું કામ પૂર્ણ થઈ જતું ! જિંદગીમાં એમને ક્યારેય ગાઢ નિદ્રા આવી નહીં, તેમ છતાં ૮૧ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું. જો અનિદ્રાની અકળામણથી અશાંત થઈને સતત ચિંતાતુર રહ્યા હોત, તો આટલું લાબું, સ્વસ્થ અને સફળ જીવન જીવી શક્યા ન હોત.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/parijatno-parisauvad8812

Loading

શાંત વૃક્ષને જોતાં

નંદિતા મુનિ|Poetry|7 July 2013

શાંત વૃક્ષને જોતાં

અહીં ઊભું વૃક્ષ જે
શાંત આમ તો સદા
પણ બધું વિસરી
જોઉં એના ભણી
સ્થિર દૃષ્ટિ કરી, તો લાગતું નર્તવા,
પર્ણમાં બદ્ધ જે પવન, 
એને કરી મોકળો બે ઘડી !

જાણ એ મને ન્હ'તી
કે દૃષ્ટિ મારી થાતી
એક જાદુછડી –
વૃક્ષને નચાવતી,
મને એ વિટપની 
પ્રણયિની  બનાવતી !

http://thismysparklinglife.blogspot.co.uk/2013/07/blog-post_7.html?spref=fb

Loading

સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારાં કામ, આપણી સાથે કાયમ રહેજો ઘટ ઘટ વસતા શ્રીભગવાન

અાશા બૂચ|Opinion - Opinion|3 July 2013

થોડાં અઠવાડિયાં પહેલાં, એક સૈનિકને લંડનના લશ્કરી મથક પાસે જ એક ઝનૂની માણસે મોતને ઘાટ ઉતાર્યો, એ સમાચારથી બ્રિટનની તમામ કોમનું હૈયું હજુ રુદન કરે છે તે સંભળાય છે. આ હિચકારા કૃત્યને વખોડવા દરેક કોમના આગેવાનો જ નહીં, સામાન્ય લોકો પણ આગળ આવ્યા છે, એ કોમી એખલાસની એક શુભ નિશાની છે. ખાસ કરીને ઇસ્લામ ધર્મને અનુસરનારોએ ‘Walk for Peace’નું આયોજન કરીને પોતાનો ધર્મ શાંતિપ્રિય છે એ વાત લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો છે તે સરાહનીય છે.

ખૂન કરનારે ‘અલ્લાહ’ના નામના પોકાર સાથે એક આશાસ્પદ ડ્રમરનો જાન લીધો તેથી એની પાછળના આતંકવાદી સંગઠન અને વ્યક્તિઓની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. તેવે સમયે થોડા દિવસો પહેલાં ગાર્ડિયનમાં Andrew Brown લિખિત ‘Why religion and violence so closely linked?’ નામનો લેખ વાંચ્યાનું સ્મરણ થઈ આવે છે. મને પણ હંમેશ નવાઈ ઉપજે કે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના હિંસક હુમલા અને બે કે તેથી વધુ દેશો વચ્ચેની લડાઈઓ અથવા તો કોઈ એક સરકારની તેની પ્રજા ઉપરના હિંસક અત્યાચારોને અને ધર્મને શી લેવા દેવા હશે, ભલા ?

આમ જુઓ તો ધાર્મિક યુદ્ધો પરાપૂર્વથી થતાં આવ્યાં છે. પણ ૧૯૪૦ના દાયકા પછી તેને નામે થતા આંતરિક ઝઘડાઓ અને યુદ્ધોની સંખ્યા અને તીવ્રતા વધી છે. ધર્મને નામે થતી લડાઈઓ ઉપરાંત એથનિક ક્લેન્સિંગ, આર્થિક અને સંસ્કૃિતક સંઘર્ષો પણ વધ્યા છે. અરે, બુદ્ધ ધર્મ કે જે શાંતિ અને અહિંસાનો સૌથી મોટો પ્રણેતા ગણાય છે, એના અનુયાયીઓની સંખ્યા દુનિયામાં ઘણી ઓછી છે. પરંતુ તેની સરખામણીમાં તેઓ વધુ સંખ્યામાં હિંસક આક્રમણોમાં સંડોવાયેલા જોવા મળે છે. આની પાછળ કયું પરિબળ કામ કરતુ હશે ? શું બુદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં ખામી છે ? તેના અનુયાયીઓ અહિંસાનો બોધ સમજીને અમલમાં મૂકી નથી શકતા એ કારણ હશે ? કે પછી જ્યાં બુદ્ધ ધર્મનું પાલન થાય છે તે દેશના રાજ્યકર્તાઓની બે ધર્મો વચ્ચે વૈમનસ્યનાં વાવેતર કરવાની નીતિ જવાબદાર હશે ?

ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ધર્મનો પ્રચાર પ્રસાર કરવા રાજ્યકર્તાઓએ હિંસક માર્ગ અપનાવીને લડાઈઓ કરી, જેને માટે ધર્મને આગળ ધર્યો, અને એ વાત બાઇબલના જમાના જેટલી જૂની છે. ખરી ધાર્મિક પ્રજા એવું જ ઇચ્છતી હશે કે મારો ધર્મ જો અનુસરવા લાયક હોય તો બીજા આપ મેળે તેમાં ભળે. પરંતુ સત્તા ભૂખ્યા રાજાઓએ ધર્મગુરુઓના આશીર્વાદ લઈને રણભૂમિ તરફ પ્રયાણ કરવાની પ્રણાલિ ઊભી કરી, જેથી એમને ધર્મનું ઓઠું મળી રહ્યું. ખરું જોતાં રાજકીય મહત્ત્વાકાંક્ષા, સરહદી ઝઘડા અને અર્થકારણમાં પેઠેલી બજારુ વૃત્તિને ધર્મ સાથે સ્નાન સૂતકનો ય સંબંધ નહીં, તો આજના આક્રમણોને ધર્મ પ્રેરિત કેમ માનવામાં આવે છે ? મારા દેશ કે સંસ્કૃિત ઉપર બીજા દેશની સરકાર કે વ્યાપારી નીતિ ખતરો પેદા કરતી લાગે, તો મારો ધર્મ મને એવા લોકો અને સરકાર સામે કેવી રીતે રક્ષણ મેળવવું એ માર્ગ બતાવે કે આત્મઘાતી હુમલાઓ કરીને મારા જ દેશના કે અન્ય દેશની વ્યક્તિઓ કે સમૂહોનો નાશ કરવાનું ચીંધે ? પ્રજા અને સરકાર વચ્ચેના કે બે દેશો વચ્ચેના સંઘર્ષો વાટાઘાટોથી હલ ન થાય એવી દલીલો રાજકીય વર્તુળોમાં પ્રચલિત છે – એ કહેનાર કોણ છે ? રાજકારણીઓ, કે જેમની સત્તા લડાઈમાં વિજયી થવાથી ટકી રહે છે અને લડાઈ સંબંધી ઉદ્યોગો ચલાવનારા કે જેની રોજી રોટી અન્યના સંહાર પર નભે છે.

કોઈ પણ દેશની આંતરિક બાબતો વિષે કે બે દેશો વચ્ચે સરહદી મુદ્દાઓ પર પ્રશ્નો ઊભા થાય, ત્યારે પ્રજા અને સરકારી તંત્ર અથવા બે દેશોની સરકારો સંઘર્ષની સ્થિતિ સુધી ન પહોંચી જાય, એ માટે બેમાંથી એક પક્ષે અથવા બંને પક્ષે થોડું થોડું જતું કરવું જરૂરી છે. અને તો જ પ્રશ્નોનો બંને પક્ષે લાભદાયી ઉકેલ આવે, નહીં તો બંને અથવા બેમાંથી એક પક્ષ હારે અને પરિણામે હારેલ પક્ષ બદલો લેવા કે પોતાની માગ પૂરી કરવા હિંસક માર્ગ અપનાવે.

આજકાલ ધર્મના પ્રચાર કે દેશની સીમાઓના વિસ્તારને કારણે યુદ્ધો નથી ખેલાતાં પણ ‘War on terror’ એ એક નવું કારણ અપાઈ રહું છે. મેઘનાદ દેસાઈએ આ ‘વોર ઓન ટેરર’ના મૂળિયાં ભૂમધ્ય પ્રદેશના ભંગાણમાં છે, એ વાત સુંદર રીતે સમજાવી છે. એમનું કહેવું છે કે ૧૯૧૮માં ઓટોમન એમ્પાયર બ્રિટન અને ફ્રાંસ વચ્ચે વહેંચાઈ ગયું. જેરુસલેમ પહેલી વખત બિન મુસ્લિમના તાબા નીચે ગયું, સીરિયા અને લેબેનોનનો વહીવટ ફ્રેંચ સરકાર પાસે ગયો, જોર્ડન અને ઈરાક જેવા દેશોનું સર્જન બ્રિટને કર્યું, તો પેલેસ્ટાઈનની જવાબદારી પણ બ્રિટનને શિરે હતી. આ વિઘટનના વમળોની અસર વિશ્વવ્યાપી બની છે. તેમાં વળી સાઉદી અરેબિયામાં ખનીજ તેલના વિપુલ ઉત્પાદનથી નાણું વધ્યું. એટલે છેક પશ્ચિમ એશિયાના દેશો સુધી વહાબી ખ્યાલનો પ્રસાર થયો, એથી પણ હિંસાત્મક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. અલ-કાયદા અને તાલીબાન જેવાં અંતિમવાદી સંગઠનોનો ઉદ્દભવ અમેરિકા અને રશિયા જેવાની વણનોતરી દરમ્યાનગીરીનું પરિણામ છે, જેના પરિણામે એ દેશોના ભારત સહિતના સાગરિતોને પણ આતંકવાદનો ભોગ બનવું પડે છે. હવે આ હકીકત સૌ શિક્ષિત લોકોના મનમાં સવાલ ઊભો કરે છે કે આજનો આતંકવાદ જુદા જુદા ધર્મોની સત્તા સ્થાપવા માટે અસ્તિત્વમાં આવ્યો છે કે એ એક રાજકીય રમતનું દાયકાઓ પહેલાં ઊંધું પડેલ પાસું છે, જે હજુ એક કરતાં વધુ દેશોમાં હિંસાનું તાંડવ ખેલે છે ?

બીજી હકીકત પણ ધ્યાન ખેંચે તેવી છે. શું માત્ર ધાર્મિક રૂઢીચુસ્ત લોકો જ લડે છે ? નાસ્તિક નથી લડતા ? નાસ્તિક્તાનો અતિરેક પણ એવો જ ઘાતક હોય છે. એટલે જ તો ધર્મ યુદ્ધો કરતાં રાજકીય મહત્ત્વાકાંક્ષા અને સરહદી ઝઘડાને કારણે ખેલાયેલી લડાઈઓ વધુ ખૂનખાર હોય છે તે આપણે જોયું છે. બે જુદા જુદા ધર્મના લોકો લડે જેમ કે, હિંદુ-મુસ્લિમ, ક્રિશ્ચિયન-મુસ્લિમ તે સમજાય (?!) પણ જયારે અંદરોઅંદર હિંસા આચરવામાં જેમ કે આયર્લેન્ડમાં કેથોલિક-પ્રોટેસ્ટંટ કે ભૂમધ્ય પ્રદેશમાં શિયા-સુન્ની; તો એનો અર્થ એ કે હિંસાનું કારણ બીજા ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા અને વેરભાવ છે કે માનવીની હિંસક વૃત્તિ ? પોતાના ધર્મ અને સંસ્કૃિતનું પાલન પોષણ જરૂરી, પણ તેમ કરવા જતાં બીજાના ધર્મ અને સંસ્કૃિત વિષે અજાણ રહેવાથી તેમના વિશેનું અજ્ઞાન વધે છે, પૂર્વગ્રહ ઊગે, ભય, નફરત અને તિરસ્કાર પાંગરે એ તો શી રીતે પોસાય ? પોતાના ધર્મમાં રૂઢીવાદ અને ‘કલ્ટ કલ્ચર’થી વાડાબંધી વધે છે, એ જાણ્યા પછી, સાચા ધર્મ પ્રેમીઓએ તેનો અમલ કરનાર વ્યક્તિઓ અને સંગઠનોનો સદંતર બહિષ્કાર કરવો રહ્યો. ધર્મ ભાવના, રાષ્ટ્રભાવના અને નાસ્તિકતા એકબીજાના વિરોધી ન હોવા જોઇએ. માનવ જાત અદ્દભુત છે, એ પ્રેમ કરવાના હજાર રસ્તા જાણે છે. ધર્મને કદિ હિંસા સાથે સંબંધ નહોતો તો હવે શા સારુ જોડવો ?

કહેવાતા ‘ઇસ્લામોફોબિયા’ના સંદર્ભમાં અસગર અલી એન્જિનિયરનું કથન વિચાર પ્રેરે છે કે જો  ઇસ્લામ કે બીજા કોઈ ધર્મમાં હિંસા આચરવાનો બોધ નથી અપાયો, ઉલટાનો તેનો વિરોધ થયો છે, તો ધર્મને નામે આજે આટલી હિંસા કેમ આચરવામાં આવે છે ? ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં થતાં કોમી રમખાણો કે દુનિયાના બીજા દેશોમાં બે જાતિ-ધર્મ વચ્ચે ઊભા થતા સંઘર્ષો માટે જે તે પ્રાંતીય કે કેન્દ્રીય સરકાર તથા પોલિસનું પક્ષપાતી વલણ અને છાપાંઓનું કોમી વલણ જવાબદાર હોય છે. કેટલાક નિરીક્ષકોનું તારણ એવું છે કે નાના બનાવોનો કોમી સંગઠનો  દુરુપયોગ કરે છે, અફવાઓ ફેલાવી અરાજકતા લાવે છે અને કોમી વલણવાળા સરકારી તંત્ર અને પોલિસની નિષ્ક્રિયતાથી લઘુમતી કોમની સ્થિતિ વધુ બગડે છે. અસગરઅલી એન્જિનિયરે હંમેશ ઘટના સ્થળે અભ્યાસ હાથ ધરેલા તેથી તેની વિશ્વસનીયતા વધુ છે. તેઓ ગુજરાતના ૨૦૦૨નાં રમખાણો પાછળ છેલ્લા ત્રણ દાયકાઓની લાપરવાહી અને સંસ્થાગત કોમવાદ કારણભૂત ગણાવે છે. આવાં રાજકીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરનાં રમખાણો અચાનક નથી થતાં હોતાં, તેની પાછળ આયોજન હોય છે. અંતિમવાદી સંગઠનો અને જે તે દેશની સરકાર લઘુમતી કોમ વિરુદ્ધ ખોટો પ્રચાર કરે, પાયા વગરની માન્યતાઓ ફેલાવે અને પછી એકાદ નાની ઘટના લઈને હિંસા ફેલાવે જેમાં વિજયી થવાથી પોતાની સત્તા ટકાવી રાખે એવું બનતું હોય છે. દેશ અને દુનિયાના ભૂતકાળ સાક્ષી પૂરે છે કે વખતોવખત બે જુદી જુદી પ્રજાઓ સાથે રહે ત્યારે તેમની વચ્ચે પહેલાં સંઘર્ષ થાય, પછી હળી મળીને સાથે રહે. કોમવાદ ધર્મ કરતાં અલગ વસ્તુ છે. એ વધુ સાંકડો વિચાર છે, જે રાજકીય કે ધાર્મિક સત્તાધરીઓના સ્થાપિત હિતને કારણે અસ્તિત્વમાં આવે છે. મધ્યકાલીન યુગમાં લડાઈઓ હિંદુ અને મુસ્લિમ ધર્મ વચ્ચે નહીં સત્તા અને ધનની લાલસાથી પ્રેરિત થયેલા રાજાઓ વચ્ચે થયેલ એ હકીકત ઇતિહાસને પાને નોંધાયેલી છે. ભારતીય નાગરિકોને મુસ્લિમોએ હિંદુ મંદિરોનો નાશ કર્યો અને જજિયા વેરો નાખ્યો એ વાતની સાથે સૂફી અને ભક્તિ સંપ્રદાયથી ભારતની પ્રજાને થયેલ સામાજિક અને આધ્યાત્મિક  સુસંગતીના અનુભવોની જાણ કરી હોત તો હિંદુ-મુસ્લિમો વચ્ચે આટલું વેર ન થાત.

સમયે સમયે કેટલાક નેતાઓ, સંગઠનો અને વિચારકો સામાન્ય જનતા વચ્ચે ધર્મ અને સંસ્કૃિત વિષે અને સાચી તટસ્થ સમજણ કેળવવા પ્રયત્ન કરે છે. અસગરઅલી એન્જિનિયરે પોલિસ દળમાંથી કોમવાદ નાબૂદ કરવા ઘણા વર્કશોપ કર્યા, તેનું પરિણામ શું આવ્યું ? એમણે Centre for Study of Society and Secularism દ્વારા કર્મશીલો અને શિક્ષકોને તાલીમ આપી તેનો શો ફાયદો થયો ? તેઓએ આતંકવાદને નામે લઘુમતી કોમના સભ્યોની ધરપકડ અને સજા તથા તેમના વિષે ખોટા પ્રચાર કરવાનું બંધ કરાવવાની પણ કોશિશ  કરી જે વ્યર્થ ગઈ તેમ આજે પૂરવાર થયું છે. પશ્ચિમના દેશોમાં પણ આવા પ્રયત્નો વિફળ ગયા છે એ દુ:ખદ હકીકત છે અને એટલે જ તો કદાચ હિંસાત્મક પ્રવૃત્તિઓમાં ઓટ નથી આવતી.

હિંદુ ધર્મના શ્રધ્ધાળુ લોકો હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ જપે છે. તેમાં હવે દુનિયાના મુખ્ય છ ધર્મોમાં વપરાતા શાંતિ માટેના શબ્દોની ‘શાંતિ ષષ્ઠ નામાવાલી’નો ઉમેરો કરવાની ધ્રુષ્ટતા કરું છું જે આ પ્રમાણે છે :

            ધર્મ                    ભાષા                    શાંતિ માટેનો શબ્દ

           જુઇશ                  હિબ્રુ                       શાલોમ

           ખ્રિસ્તી                 ઇંગ્લિશ                   પીસ

           ઇસ્લામ                આરેબીક                  સલામ

           હિંદુ                     સંસ્કૃત                     શાંતિ

           બુદ્ધ                     પાલી                      અયુદ્ધ

           સીખ                    સંસ્કૃત                    સુખ શાંતિ

અહીં એ નોંધવું ઉપયોગી થશે કે મૂળ સંસ્કૃતનો ‘શાંતિ’ શબ્દ પંજાબી, નેપાળી, સિંધી, તેલુગુ, બંગાળી, હિન્દી, આસામી, ભુતાની વગેરે તમામ પ્રાંતીય ભાષાઓમાં પણ વપરાય છે જે એ બધી પ્રજાઓ વચ્ચેના સંસ્કૃિતક સામ્યનું દ્યોતક છે. જો વિશ્વની આ મુખ્ય ભાષાઓ બોલનારાઓ એક બીજા વિશેની સાચી સમજણ કેળવીને આ ‘શાંતિ ષષ્ઠ નામાવાલી’નો પાઠ કરે તો હિંસાને અવકાશ નહીં રહે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિગત વૈર ભાવના, સામૂહિક મતભેદો, વેપારી લોભ વૃત્તિ કે રાજકીય કાવાદાવાઓથી ધર્મ ઘણી ઉત્કૃષ્ટ વિચારધારા છે. એને નામે ખૂન, રમખાણો કે લડાઈઓ જેવાં અમાનવીય કૃત્યો કરીને ધર્મને બટ્ટો નહીં લાગવા દઈએ. ધર્મને નામે જો કાંઈ કરવું હોય તો સાથે રમીએ, જમીએ, સારા કામ કરીએ જેથી ઘટ ઘટમાં વસતા ગોડ, અલ્લાહ, ભગવાન કે ગુરુદેવ સહુની વચ્ચે જીવી શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,1454,1464,1474,148...4,1604,1704,180...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved