Opinion Magazine
Number of visits: 9518515
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહેન્દ્ર મેઘાણી, મનમોહન સિંઘ અને મોદી

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

મિત્ર સંજય ભાવે થકી જાણવા મળ્યું કે ૮૬ વર્ષના મહેન્દ્રભાઇ મેઘાણી ગઇ કાલે અમદાવાદમાં યોજાયેલી વડાપ્રધાન મનમોહન સિંઘની ચૂંટણીસભામાં ગયા હતા અને એ વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને તેમણે એક પત્ર પણ લખ્યો છે.

સમાચાર ચટપટી જગાડે એવા હતા. મહેન્દ્રભાઇને ચૂંટણી વિશે, સભા વિશે, મનમોહનસિંઘ વિશે, અમદાવાદ વિશે અને ઇન્ડિયન એક્સપ્રેસ વિશે શું કહેવાનું હશે, એવી અનેકવિધ જિજ્ઞાસા સાથે કશા સત્તાવાર પ્રયોજન વિના ફક્ત એમને મળવા માટે હું ગયો. એ વખતે અનાયાસે ઓફિસે આવેલા મિત્ર ચંદુ મહેરિયા પણ સાથે થયા.

બે-ત્રણ અઠવાડિયાં ભાવનગર જઇ આવ્યા પછી અમદાવાદમાં મંજરીબહેનને ઘેર રહેતા મહેન્દ્રભાઇ ઉનાળાને અનુરૂપ, ફક્ત લેંઘો પહેરીને કમરની ઉપરના ઉઘાડા ડીલે બેઠા હતા. (એ દૃશ્ય જોઇને મને ગાંધી-સરદાર-મહાદેવભાઇનો એક ફોટો યાદ આવ્યો, જેમાં ફક્ત સરદારે જ પહેરણ પહેર્યું છે અને બાકીની બન્ને મૂર્તિઓ પહેરણ વિના ફક્ત ધોતીભેર બેઠેલી છે.)

ગઇ કાલની સભા વિશે મહેન્દ્રભાઇને પૂછપરછ કરી એટલે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને લખી મોકલેલો પત્ર વાંચી સંભળ્યાવ્યો. તેનો સાર એ હતો કે ચૂંટણીની અથવા બીજી સભામાં મોડા આવવું એ રાજકારણીઓએ અફર નિયમ બનાવી દીધો છે. વડાપ્રધાન મનમોહન સિંઘ બીજા રાજકારણીઓ કરતાં જુદા અને સારા છે. છતાં એ પણ કાલની ચૂંટણીસભામાં ૭૫ મિનિટ મોડા આવ્યા. ‘૮૬ વર્ષના પત્રકાર તરીકે હું તેમાં હાજર હતો’ એવી પોતાની ઓળખ આપીને મહેન્દ્રભાઇએ લખ્યું કે સિંઘ જેવા સુજ્ઞ માણસે આ રીતે પોતાના દેશવાસીઓનો હજારો માનવકલાકનો સમય ન વેડફાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.

મારા માટે પહેલી નવાઇ તો એ કે મહેન્દ્રભાઇએ સવા કલાક સુધી મનમોહન સિંઘના આવવાની રાહ જોઇ! એ વિશે પૂછ્યું એટલે મહેન્દ્રભાઇ કહે,‘હું નક્કી કરીને ગયો હતો કે મનમોહન સિંઘને સાંભળીને જ આવીશ. નહીંતર તરત પાછો આવી ગયો હોત.’

એમને ચૂંટણી કે રાજકારણમાં રસ નથી. કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’નું એક પ્રકરણ ટાંકીને મહેન્દ્રભાઇ પ્રજાને કૂવા સાથે અને રાજકારણીઓને હવાડા સાથે સરખાવે છે અને કહે છે,‘હું કૂવો સાફ કરવાના કામમાં છું.’

મહેન્દ્રભાઇ નેહરૂ-ઇન્દિરા ગાંધી સહિત નેતાઓને સાંભળી ચૂક્યા છે, પણ યુવાવસ્થામાં તેમની પર વક્તા તરીકે સૌથી વઘુ અસર સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની પડી હતી. મુંબઇમાં સાંભળેલાં યુસુફ મહેરઅલીનાં પ્રવચનો તેમને ‘કન્વીન્સિંગ’ અને બરાબર યુવા નેતાનાં હોય એવાં લાગ્યાં હતાં. ઇન્દિરા ગાંધી હતાં ત્યાં સુધી રાજકારણમાં મહેન્દ્રભાઇનો રસ રહ્યો.

ઈંદિરાઘોષિત કટોકટીકાળમાં મહેન્દ્રભાઇ સંપાદિત ‘મિલાપ’માં કટોકટીના વિરોધમાં આવતા લેખો કરતાં તરફેણમાં આવતા લેખોનું પ્રમાણ વધી જવાને કારણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ નારાજ થઇ ગયા હતા. તેમણે મહેન્દ્રભાઇને કહી દીઘું હતું કે ‘હવેથી મિલાપમાં મારા લેખ છાપવા નહીં.’ આ વાત પણ મહેન્દ્રભાઇ તેમની રાબેતા મુજબની, મુક્ત હાસ્યના છંટકાવ સાથેની શૈલીમાં જ કહે છે. કટોકટી વિશે મહેન્દ્રભાઇની માન્યતા વિનોબા ભાવે સ્કૂલની હતી. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવી હતી.

જોકે, અત્યારે મહેન્દ્રભાઇ કહે છે કે એ ઉપમા યોગ્ય ન હતી. ‘મોટામાં મોટી (રશિયાની) ક્રાંતિ પણ સિત્તેર વર્ષમાં ભાંગી પડી અને રશિયા હવે બમણા જુસ્સાથી મૂડીવાદી બની રહ્યું છે. કારણ કે રશિયાની ક્રાંતિ લોહીથી સિંચાયેલી હતી. એટલે લોકશાહી વિના ઉદ્ધાર નથી, એવી મહેન્દ્રભાઇની દૃઢ માન્યતા છે.

નરેન્દ્ર મોદીને ભયંકર માણસ ગણાવીને મહેન્દ્રભાઇએ કહ્યું કે મોદી આખા ગુજરાતને પોતાની તરફેણમાં કરી શકશે, તો પણ એક માણસ (મ.મેઘાણી પોતે) તેની સામે બાકી રહેશે. મોદીની સાથે જોડાતા મુસ્લિમો વિશે તેમણે કહ્યું કે,‘એવી તસવીરો જોઇને ઘણી વાર મને થાય છે કે મુસ્લિમ એ છે કે હું છું? મુસ્લિમ એટલે ધર્મની રીતે નહીં, પણ અત્યાચારનો ભોગ બનનાર.’

મેં માનસશાસ્ત્રમાં સ્થાન પામેલા મનોવલણ ( સ્ટોકહોમ સિન્ડ્રોમ?) ની વાત કરી, જેમાં અપહૃત વ્યક્તિ કે સમુદાય અપહરણકર્તામાં પોતાના તારણહારનાં દર્શન કરે અને તેને સાચવી લઇશું તો પોતાની સલામતી જળવાઇ રહેશે એવું વિચારવા લાગે.

એક સમયે મહેન્દ્રભાઇ કલકત્તાથી નીકળતું ‘સ્ટેટ્સમેન’ દૈનિક લવાજમ ભરીને પોસ્ટમાં મંગાવતા હતા. ‘હવે મારા મત પ્રમાણે એનું ધોરણ પહેલાં જેવું નથી રહ્યું’ એમ કહેતા મહેન્દ્રભાઇ સ્ટેટ્સમેન મંગાવતા નથી. ‘હિંદુ’માં વાંચવા જેવું ઘણું આવે છે, પણ ફક્ત વાંચીને બેસી રહેવાનું મહેન્દ્રભાઇથી બનતું નથી. ‘સારૂં વાંચું તે બીજાને વહેંચું નહીં ત્યાં સુધી ચેન ન પડે.’ એટલે અત્યારે મહેન્દ્રભાઇ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચે છે અને ‘દિવ્ય ભાસ્કર’ ઘરે આવે છે એટલે જોઇ લે છે.

ગુજરાતનાં પખવાડિક ‘પોતાને વિચારપત્ર કહેવડાવતાં સામયિકો’ વિશે મહેન્દ્રભાઇએ કહ્યું કે ત્રણ સામયિકો પખવાડિક તરીકે નીકળતાં હોય અને મર્યાદિત- એના એ જ વર્તુળમાં ઓછી સંખ્યામાં જતાં હોય, એને બદલે એ ત્રણે ભેગા થઇને એક અઠવાડિક કાઢીને તેની ૫૦ હજાર નકલ કેમ ન છાપે?

૪ મેના રોજ અમેરિકા જતા મહેન્દ્રભાઇનો મત ભાવનગરમાં છે. એટલે ૩૦મી તારીખે ફક્ત મત આપવા માટે એ ભાવનગર જવાના નથી. ‘મતદાન પવિત્ર ફરજ છે’ વગેરે આદર્શો મેં સહેજ રમૂજ સાથે યાદ કરાવતાં મહેન્દ્રભાઇએ કહ્યું,‘એક મતથી એવો કંઇ ફેર પડતો નથી.’ ચંદુભાઇએ ઉમેર્યું,‘ભાવનગરમાં એવા કોઇ ઉમેદવાર પણ નથી, જેને મત આપવા આટલી દોડાદોડ કરવાનું મન થાય.’

Loading

પ્રજા, પક્ષ અને પ્રતિભા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

આનું નામ સ્પિન ડૉક્ટરું. મતદાનનો ત્રીજો દોર નજીકમાં હતો અને અરુણ શૌરીએ ગુજરાતની મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીનું નામ ભાવિ વડાપ્રધાન તરીકે ઉછાળ્યું. આમ તો, મોદી-અડવાણી દ્વંદ્વ (બંને કે બેઉ અર્થમાં) જાણીતું છે. બીજી બાજુ, 2009ની ચૂંટણીમાં વડાપ્રધાનપદ માટેના સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપે અડવાણીનું નામ કયારનુંયે જાહેર કરેલું છે. બલકે, વારે વારે ‘તમારા ઉમેદવાર કોણ’ એવો ગોકીરો કરીને એણે કૉંગ્રેસને મનમોહનસિંહનું નામ વિધિસર આગળ ધરવાની ફરજ પણ પાડી છે. સાથે સાથે, મનમોહનસિંહને ‘સૌથી નબળા વડાપ્રધાન’ લેખે નવાજવામાં કોઈ કસર પણ છોડી નથી.

આ સંજોગોમાં અરુણ શૌરીએ વચમાં મોદીનું નામ દાખલ કરવાની મરોડ માસ્તરી ખેલવાનું કોઈ કારણ ખરું ? એનો જવાબ કદાચ ગુજરાતના શહેરી મધ્યમવર્ગના એ સંભવિત મનોવલણમાં રહેલો છે જે ગુજરાતમાં તો મોદીથી આકૃષ્ટ અને આશ્વસ્ત છે પણ રાષ્ટ્રીય સ્તરે એને આક્રમક અડવાણી કરતાં અર્થશાસ્ત્રી મનમોહનસિંહ સવિશેષ શ્રદ્ધાભાજન લાગે છે. ગુજરાતનો શહેરી મધ્યમવર્ગ મનમોહનસિંહને ધોરણે કૉંગ્રેસ ભણી કંઈક અભિમુખ થઈ રહ્યો હોય ત્યારે અડવાણીને બદલે મોદીનું નામ આગળ ધરવામાં આવે તો, બને કે, ‘ગુજરાત અને દિલ્હી બેઉમાં મોદી’ – ને ધોરણે શહેરી મધ્યમવર્ગ કૉંગ્રેસ ભણી ઢળતો અટકે.

શહેરી મધ્યમવર્ગનાં આ સંમિશ્ર વલણો વિશે વધુ નુક્તેચીની ઘડીક રહીને. પણ ઓણ જે વસ્તુ સાફ સમજાય છે તે એ કે આપણી રાષ્ટ્રીય ચૂંટણીઓને, કેમ જાણે આપણે સંસદીય નહીં પણ પ્રમુખીય લોકશાહી હોઈએ એ રીતે ચોક્કસ વ્યક્તિઓ વચ્ચે પસંદગીનું સ્વરૂપ અપાઈ રહ્યું છે. દેખીતી રીતે જ, અડવાણીને આગળ કરી (એમને મુકાબલે) મનમોહનસિંહને ઝાંખા દર્શાવી ભાજપ કૉંગ્રેસને શેહ આપવા માંગે છે. એમાં વળી કેટલાક વર્ગમાં મનમોહનસિંહ-મોદી એવું નવી દિલ્હી-ગાંધીનગર યુગ્મ બનતું જોઈ એને મોદી-મોદી વળ આપવાની શૌરી ચેષ્ટાનો આ સંદર્ભમાં હમણાં જ ઉલ્લેખ કર્યો પણ છે. ચૂંટણીમાં વ્યક્તિગત પ્રક્ષેપણ (પ્રોજેક્શન) એ કદાચ ઈંદિરા ગાંધીના રાજકારણની કમાણી છે. જવાહરલાલ નેહરુએ વડાપ્રધાનપદે સત્તર વરસનો વિક્રમ સ્થાપ્યો, પણ લાંબા સમય સુધી તેઓ રાષ્ટ્રીય એકંદરમતીના નેતા રહ્યા હતા. નેહરુ પછી કોણ એવી ચર્ચા કૉંગ્રેસ અને કૉંગ્રેસેતર પક્ષોમાંની પ્રતિભાઓની આસપાસ જરૂર ચાલી હતી, પણ નેહરુના વિકલ્પે (સામે) કોણ એવો સંસદીય ચૂંટણીને પ્રમુખીય ચૂંટણીમાં ફેરવી નાખતો પડકાર દેશજનતાએ જોયો નહોતો. એ જ રીતે ઈંદિરા ગાંધી સામે પણ આવો કોઈ વ્યક્તિગત વિકલ્પ નહોતો. પક્ષમાં જરૂર મોરારજી દેસાઈ જેવાનો પડકાર હશે, પણ અસરકારક વિપક્ષ અને છાયા વડાપ્રધાન જેવું કશું નહોતું. અલબત્ત, નેહરુથી ઈંદિરા લગીની સંક્રાંતિમાં જે એક મોટું પરિવર્તન આવ્યું તે એ હતું કે રાષ્ટ્રીય ચળવળ અને લોકભાગીદારીની વડી સંસ્થા તરીકેનું કૉંગ્રેસનું પોત ફિસ્સું પડ્યું તેમજ સંગઠન તૂટ્યું તે સાથે ઈંદિરાજીની વ્યક્તિગત અપીલ પર રોડવવાપણું અનિવાર્ય બનવા લાગ્યું હતું.

ગમે તેમ પણ, વ્યક્તિ-આરતી-વાદ (પર્સનાલિટી કલ્ટ) નો અહોરાત્ર વિરોધ કરવા છતાં ભાજપે વાજપેયીને આગળ ધરવામાં અને એમના નેતૃત્વમાં રંગપૂરણી કરવામાં સલામતી શોધી હતી એ હજુ ખાસ જૂની વાત નથી. વલણોમાં કંઈક-વ્યાપકતા, પ્રકૃતિમાં કંઈક- ખુલ્લાપણું, કવેતાઈ સહજ સહૃદયતા અને આકર્ષક વક્તૃતા, આ બધાં કારણોસર વાજપેયીની સ્વીકૃતિ પક્ષના સીમાડાની ક્યાંય બહાર નીકળી ગઈ હતી. ભાજપે ચોક્કસ સંજોગોમાં વાજપેયીને એમની ખુદની શરતોએ સાચવવા પડે એવો ઘાટ એક તબક્કે હતો. જેણે સામાન્ય સંજોગોમાં ભાજપને મત ન આપ્યો હોત એવા મતદારે સુદ્ધાં વાજપેયીવશાત્ ભાજપને મત આપ્યાનું પ્રમાણ ઓછું નહોતું.

પ્રમુખીય ચૂંટણી જેવા રંગઢંગ આજે આપણું દુર્દૈવ (કે સુદૈવ) વાસ્તવ બની રહ્યું છે એમાં અમેરિકામાં જેમ કેનેડીની ચૂંટણી વખતથી ઈલેકટ્રૉનિક મીડિયાનું પરિમાણ દાખલ થવા લાગ્યું હતું એવા સમયસંજોગનોયે ફાળો સવિશેષ છે. દિવસના ત્રણ સફારીપલટે શિવરાજ પાટિલ નવી દિલ્હીથી મુંબઈ ભેગા થઈ ગયા, પણ નરેન્દ્ર મોદીનીયે સ્ટુડિયો સાધના ઓછી નથી. બીજી પણ એવી પ્રતિભાઓ હશે સ્તો. હશે ભાઈ, રિયલ-સરરિયલ માર્યાં ફરે અને વર્ચુઅલ વિલસે !

જોવાનું જોકે એ છે કે વ્યક્તિ-પ્રક્ષેપણ વાટે વૈતરણી તરવા ચાહતા પક્ષો , પક્ષખાંઓ અને એમના મરોડ માહેરોને પક્ષબાહ્ય સ્વતંત્ર વ્યક્તિત્વોનો ખપ નથી. આ સ્વતંત્ર વ્યક્તિત્વો ચિત્રમાં કેમ આવે છે એનુંયે એક તર્કશાસ્ત્ર તો એક મનોવિજ્ઞાન પણ છે . મુખ્ય પક્ષોએ મળીને એટલી બધી ભોં ખંડી લીધેલી છે કે સ્વતંત્ર અવાજ વાસ્તે તસુ ભોંય પણ શોધવી રહે છે. જે શહેરી મધ્યમવર્ગ એક સાથે મનમોહન અને મોદી બેઉને અલગ અલગ સ્તરે ઈચ્છી શકે છે એ જ વર્ગની મર્યાદા કે નિયતિ પાછી એ પણ છે કે રાજકીય પ્રક્રિયામાં પ્રવેશતા નવા વર્ગોને તે ખુલ્લા દિલે અંગીકારી આત્મસાત કરી શકતો નથી. કૉંગ્રેસની સર્વજન પરંપરા સામસામા મતબેંકવાદો સાથે તૂટી અને જે અવકાશ ઊભો થયો તેમાં બધા સ્થાપિત રાષ્ટ્રીય પક્ષો વચ્ચે એકદમ બહુજન સમાજ પક્ષ ગજું કરી ગયો ! જો નવજાગ્રત દલિત અસ્મિતાને વિશે ચાલુ રાષ્ટ્રીય પક્ષો પૂરતા સમાવેશકારી હોત તો , બને કે , બહુજનસમાજ પક્ષને સારુ અવકાશ ન હોત. અલબત, આ પક્ષે પણ કાઠું કાઢ્યા પછી અને છતાં વ્યાપની દૃષ્ટિએ સર્વજન ફોર્મ્યુલા અજમાવવી પડે છે એ બીનામાંથી લોકશાહી રાજકારણની સંભાવનાઓની શ્રી અને સુષમા ફોરે છે.

દરમ્યાન, બીજે છેડે, એવુંયે બનતું માલૂમ પડે છે કે ભલે કોઈ પ્રતિભાને આગળ કરીને પણ આપણા પક્ષો એવાં ઈલેક્શન એંજિન અને મતવખારી થતાં ચાલેલાં છે કે એમાં મધ્યમવર્ગમાંથી આવતા સ્વતંત્ર અવાજોને સારુ અવકાશ રહેતો નથી. હાલનાં પક્ષમાળખાં અને એમના એકંદર રંગઢંગ , આ વર્ગમાંથી સક્રિય સહભાગિતા ઝંખતાં તત્ત્વોને પાછાં પાડી ઊલટાનાં વિમુખ પણ કરે છે. ચાલુ ચૂંટણીમાં મીરા સન્યાલ, મોના શાહ, મલ્લિકા સારાભાઈ, જી. આર. ગોપીનાથ વગેરેની ઉમેદવારી બહુધા આ પ્રકારની છે. તેઓ ચાલુ રાજકીય પક્ષોથી વિમુખતા અનુભવતાં હશે, પણ રાજકીય પ્રક્રિયાઓ પરત્વે સક્રિય સહભાગિતાનું એમનું વલણ પણ છે . કેટલીક વાર જે તબકા ઉપર ઉદાસીનતાનું આળ ચડતું હોય છે – અને એમાં સચ્ચાઈ ન જ હોય એવું તો કેમ કહી શકાય -એ વર્ગ આમ ભાગ લેવા ચહે એથી રૂડું શું. પક્ષોએ, કદાચ જુદી રીતે વિચારવાની જરૂર છે -આપણે કેમ આવી પ્રતિભાઓને આકર્ષી અને સમાવી શકતા નથી. અલબત્ત, આ પ્રતિભાઓ કેવળ સેલિબ્રિટી નથી પણ પ્રજાપરક સક્રિયતા ધરાવે છે એવું અહીં અભિપ્રેત છે.

હમણાં જે તરેહની ઉમેદવારીઓનો ઉલ્લેખ કર્યો એમને સમજવાની દૃષ્ટિએ કદાચ બીજો એક મુદ્દો પણ મહત્ત્વનો બની રહે છે. કૉંગ્રેસ – ભાજપ સહિતના એકંદર રાજકીય વર્ગ સમગ્ર સાથે (જે તે પક્ષમાંનાં કોઈક વર્તુળો કે સીમાંત પક્ષો સાથે અનુભવાતી નિકટતા છતાં) એમનો તાલ બેસતો નથી અને સૂર મળતો નથી. નવનિર્માણ – બિહાર આંદોલનો જુઓ , એને માટેની પહેલ ચાલુ પક્ષમાળખાંની બહારથી આવી હતી અને એક તબક્કે એમણે આપણા રાજકારણની સૂરત અને સિરત ઠીક ઠીક બદલી કાઢી હતી . પહેલો ધક્કો એકંદર રાજકીય વર્ગ સમગ્ર સામેનો હતો. તે પછીના તબક્કે રાજકીય વર્ગ સાથે સંઘર્ષ છતાં સમાયોજનનો પડકાર સ્વાભાવિક જ ઊભો થયો હતો.

આપણા મરોડ માસ્તરો સંસદીય ચૂંટણીને પ્રમુખીય શો વળ તો આપી શકે છે, પણ જેમની કને કાંક કહેવાકરવાપણું છે એ તબકાને આકર્ષતો અને સમાયોજતો અભિગમ ક્યાં છે આપણાં પક્ષમાળખાં અને ઈલેક્શન એંજિનો કને.

Loading

Gandhiana|1 December 2012

Courtesy : Ashwin C. Ahir, https://www.facebook.com/#!/ahirashwin


 

Loading

...102030...4,1394,1404,1414,142...4,1504,1604,170...

Search by

Opinion

  • ઓમર યાગી : એક રૂમના ઘરથી નોબેલ પારિતોષિકના મંચ સુધી
  • ‘ડિ-સ્ટ્રેસ’ થવા તમે શું કરો છો?
  • કોલર ટ્યુન
  • SIRની કામગીરી અને ‘SIR’નો વિરોધ …
  • દેવભૂમિમાં સંસ્કૃત ભાષા પડી કચરાટોપલીમાં!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved