Opinion Magazine
Number of visits: 9456793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી : જહાં હો વહાં

પ્રકાશ ન. શાહ|Gandhiana|2 October 2024

નવી દિલ્હીના ગાંધીદર્શન પરિસરમાં ગાંધીજીને સમર્પિત રેલવે કોચ

ગાંધીજીની અને ગાંધી આસપાસની ટપાલ ટિકિટોને લગતી નિરીક્ષા ને નુક્તેચીનીને ધોરણે તરતમાં પ્રકાશિત થઈ રહેલા પુસ્તકનું નામ હસિત મહેતાએ પાડ્યું છે પણ મજાનું – ગાંધીજી : જહાં હો વહાં. વસ્તુત: આ શીર્ષક ગાંધીજી પર આવેલી કોઈ ટપાલ પરના સરનામાનું છે! દૂર દેશથી આશાએ ને આરતે ભર્યું કોઈ જણ બાપુને પત્ર લખે છે. ખબર નથી, ત્રીજા વર્ગનો નિત્યપ્રવાસી આ પત્ર પુગશે ત્યારે ક્યાં હશે. ભલે ભાઈ, ‘જહાં હો વહાં’ લખ્યું કે પતાકડું પુગ્યું સમજો.

પ્રકાશ ન. શાહ

ગાંધીસ્મૃતિ પણ હવે તો અમૃતપર્વનાં વર્ષોમાં પ્રવેશી ચૂકી છે ત્યારે, આટલે વરસે, આ‌વા રમતીલા-ગમતીલા પ્રસંગો સંભારવાનું મન કેમ થઈ આવે છે? એવું તો નથી ને કે ગાંધીને કિસ્સા-કહાણીમાં ખતવી નાખ્યા કે હાશ, છૂટ્યા! હમણાં મેં એમને ત્રીજા વર્ગના નિત્યપ્રવાસી કહ્યા. 

1915થી 1948નાં એમનાં હિંદવી વર્ષોમાં એમણે ત્રીજા વર્ગની મુસાફરીમાં કેટલા દિવસો કાઢ્યા હશે, એ પણ એક વિસ્મયનો વિષય સ્તો. હજુ બે-ત્રણ અઠવાડિયાં જ થયાં છે એ વાતને જ્યારે નવી દિલ્હીના ‘ગાંધીદર્શન’ પરિસરમાં કેન્દ્ર સરકારના સંસ્કૃતિ ને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અસલના વારાના ત્રીજા વર્ગના ડબ્બાની એક સોજ્જુ પ્રતિકૃતિ ખુલ્લી મૂકી છે.

સરકારી ખાતાને એક સ્મૃતિજોણું સૂઝ્યું એ તો જાણે કે ઠીક થયું. પણ શેખાવતે તે પ્રસંગે જે કહ્યું એમાં મને ચોક્કસ જ રસ પડ્યો. એમણે કહ્યું કે સામસામાં ધ્રુવીકરણો ને ઝઘડે ભર્યા આજના જગતમાં બાપુનો સંવાદિતા ને સ્વયંપોષિતતાનો જે સંદેશ છે તે અગાઉ કરતાં પણ વધુ અગત્યનો બની રહે છે.

આજનું સત્તા-પ્રતિષ્ઠાન ગાંધીની આ વાતમાં ખરેખર માને છે કે કેમ એ અલબત્ત તપાસનો વિષય છે, પણ ગાંધીને ઉઘાડે છોગ ફગાવવાનું એને સારુ કદાચ શક્ય નથી. હજુ મહિનો પણ નથી થયો એ વાતને જ્યારે વિદેશ મંત્રી જયશંકરે ‘ફોટો-ઓપ’ની સર્વાગ્ર કાળજીભેર જીનીવા ખાતેની પોતાની સત્તાવાર કામગીરીનો આરંભ ત્યાં મુકાયેલી ગાંધી પ્રતિમાના વિધિવત્ દર્શનથી કર્યો હતો.

ગયે અઠવાડિયે દેશમાં બે બૌદ્ધિક ઉપક્રમો એક કરતાં વધારે ઠેકાણે જોવા મળ્યા તે આ ક્ષણે સાંભરે છે. એક ઉપક્રમ પક્ષ પરિવારના સિદ્ધાંતકોવિદ દીનદયાલ ઉપાધ્યાયના 108મા જન્મદિવસ આસપાસનો હતો તો બીજો પુના કરારના અવસરને અનુલક્ષીને હતો. દીનદયાલના વિચારો અને ગાંધીવિચારમાં કેવું સામ્ય છે એ ઉપસાવવાની સહજ કોશિશ સત્તાવર્તુળોમાંથી થઈ. 

પુના કરાર એ દેશના દલિત બૌદ્ધિકોના મોટા હિસ્સાને સારુ ગાંધીજી બાબતે ટીકાનો મુદ્દો રહેલ છે. જો કે, ગોપાલ ગુરુ આ મુદ્દામાં પિન ચોંટી ન રહેતા વ્યાપક રીતે ન્યાય ને સમાનતાની કોશિશ બેઉ છેડેથી હતી તે વાત પર પોતાની રીતે ધ્યાન ખેંચતા રહ્યા છે. ગમે તેમ પણ આ વખતે મેં કોઈક બૌદ્ધિક-શૈક્ષણિક સંસ્થાનમાં ગાંધી-આંબેડકર બેઉ પોતપોતાને છેડેથી સ્વતંત્રતા અને સમાનતા તેમ જ બંધુતાને કેટલા બધા વરેલા હતા એ મુદ્દા પર ભાર મૂકાતો પણ જોયો.

આપણી સ્વરાજ લડતની કથિત મુખ્ય ધારાના કોઈ પણ નેતા કરતાં ગાંધીજી કદાચ સૌથી વધુ સંવાદમાં ઊતર્યા હશે. ભીખુ પારેખે ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ટાગોર ને આંબેડકરથી માંડીને બધા મહત્ત્વના સંવાદો સુપેરે મૂકી આપ્યા છે. મને લાગે છે, જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં આ પ્રકારનું ગાંધીસેવન નિરામય સમજ કેળવવાની દૃષ્ટિએ ખાસું ઉપયોગી ભાથું ખસૂસ સંપડાવી શકે. કમાલ તો એ રીતે પ્યારેલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ (‘પૂર્ણાહુતિ’) પણ છે. ગાંધી એમના જીવનના અંતિમ પર્વમાં જે સંઘર્ષ ને જે સાધનામાંથી સમર્પણ બુદ્ધિપૂર્વક ગુજર્યા એનું આ તંતોતંત આલેખન ત્યારના જાહેર જીવનને અને સ્વરાજ સંક્રાન્તિને સમજવામાં એક દિલબર ભોમિયો બની રહે એ બરનું છે. આપણા સમયનું મહાભારત જ કહો તો પણ ચાલે.

એમણે જે પંથ પકડ્યો હતો એને ભર અસંમતિએ પણ પ્રીછનારા ને પ્રમાણનારા એમને ક્યાં ક્યાંથી કેવા મળી રહ્યા એની તપસીલ આહલાદક રીતે આશ્વસ્તકારી છે. પખવાડિયા પર જ જેમની 145મી જન્મજયંતી ગઈ તે રામસ્વામી પેરિયારે ગાંધીહત્યા પછી એમની પત્રિકા ‘વિદુથલાઈ’માં લખ્યું હતું : ‘અનેક લોકો માને છે કે ગાંધી પ્રત્યે મારું શોકાકુલ હોવું, મગરનાં આંસુથી અધિક નથી. તેઓ જે માનતા હોય તે એમને માનવા દઈએ. કેવળ એ દુષ્ટ પ્રવૃત્તિના લોકો જેમણે ગાંધીહત્યા નિમિત્તે મીઠાઈ વહેંચી હતી તેઓ જ ગાંધીથી પ્રભાવિત ન હોય એવું ને, અને તે પણ એ હદે કે તેઓ ખુશી મનાવે છે. પણ ગાંધીના નિધનની ખબર મળતાં હું મારું દુ:ખ રોક્યું રોકી શક્યો નહોતો. લાંબો વખત હું મારા પંદર બાય પંદરના કમરામાં આંટા પર આંટા મારતો રહ્યો, કેવળ એ પ્રેમને વશ થઈને જે એમના રાજકારણ અને સેવાઓને કારણે મારા દિલના અતલ ઊંડાણમાં છુપાયેલ હતો. એમની કેટલીક રાજકીય રસમો સાથે મને ઊંડા મતભેદ હતા, પણ એમના અહિંસા, સત્ય અને પ્રેમને લઈને મારા મનમાં કોઈ પૂર્વગ્રહ નહોતો. એ સ્તો હતું મારા શોકનું કારણ.’

ગાંધી ‘જહાં હો વહાં’ ત્યાં તો આપણે ક્યાંથી પહોંચી શકવાના હતા! પણ આપણે જ્યાં છીએ ત્યાં આ કે તે નિમિત્તે ગાંધી સાથે હૃદયવાર્તા તો કરી જ શકીએ છીએ ને. એમની પ્રસંગમાળા, વિચારમાળા, સમગ્ર ગાંધી સાહિત્ય રૂપે સર્વજન સુલભ છે. મળતાં મળે એવા અવસરો પણ આવી જ મળતા હોય છે. ગાંધી સંસ્થાઓ પરની સરકારી તવાઈમાં જેમ આ સંસ્થાઓની ખરી ખોટી નિર્બળતાઓ નિમિત્ત આપતી હશે તેમ સત્તા પ્રતિષ્ઠાનની માનસિકતા પણ તરત ઢેકો કાઢતી માલૂમ પડે છે. આ તવાઈ પણ, એમ તો, ગાંધી સન્મુખ થવાનો અવસર જ ને?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 ઑક્ટોબર 2024

Loading

બાપુ, તમારી આશ્રમ ભજનાવલિની તાતી જરૂર!

વિજય ભટ્ટ|Gandhiana|1 October 2024

પ્રિય બાપુ,

પ્રણામ!

વિજય ભટ્ટ

શ્રાદ્ધ પક્ષ ચાલે છે. કૌટુંબિક પૂર્વજોને અંજલિ આપીએ છીએ. તમારી જન્મ તિથિની આગલી સાંજે દુનિયામાં ત્રણ મોટા ખુલ્લા યુદ્ધો, અને કેટલીયે આંતરિક લડાઈ ચાલે છે. ભારતમાં પણ ધાર્મિક ઝઘડા ચાલ્યા કરે છે.

ભારતના બધા જ નેતાઓ તમારાં પૂતળાને સૂતરનો હાર ચઢાવશે અને ભાષણો કરશે, કેટલાક રેંટિયો સાથે ફોટો પડાવશે, કેટલા યકવિઓ નવી ગાંધી-કવિતા રચશે, કેટલીક શાળાઓનાં પાઠ્યપુસ્તકમાંથી તમારા પાઠ જ કાઢી નાખ્યા છે તો પણ તે શાળાઓમાં ગાંધી જયંતીની રજા પડશે તેનો બાળકોને આનંદ, શિક્ષકો ને છુટ્ટી! એક દિવસ ‘ગાંધી ગાંધી’ના નગારા વાગશે.

પણ … ઑક્ટોબરની ત્રીજી તારીખથી રાબેતા મુજબ ગાંધી મૂલ્યોનો હ્રાસ યથાવત ચાલુ!

તમારી આત્મકથા વાંચવાનો કોઈને સમય નથી. એ તો દંતકથામાં ખપી જાય છે. તમારા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની વાતો કોઈ ને ગળે ઉતરતી નથી, તે સમજાવવી કેવી રીતે?

તો અમારે કરવું શું?

ગોડસેના ચાહકોએ વોટ્સ-એપ, યુ ટબ ને ડિજિટલ માધ્યમો પર કાબૂ કરી તમને બદનામ કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. FAKE ન્યૂઝની મદદથી સત્યના સાધકને અસત્યની તલવારથી રોજ રહેંસે છે.
સ્વતંત્રતા તમારા કરેલાં કર્યોથી મળી જ નથી, પરંતુ એ તો બીજાઓને લીધે અને બીજા કારણોથી મળી છે, આમ ખુલ્લેઆમ લોકોને મનાવવામાં આવે છે.

તો અમારે કરવું શું?

ભારતની પ્રજા આજકાલ રામ રાજ્યમાં માને છે. તેથી કહે છે કે જો મોહનદાસ ગાંધી અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય તો કદાચ અમે માનીએ કે એક લાકડી અને પોતડીથી તમે અંગ્રેજોને ભગાડેલા. બાકી તો તમારાં ઉપવાસ, લખાણ, સત્યાગ્રહોની વાતોને લોકો હસી  કાઢે છે.

તો અમારે કરવું શું?

એકાએક મારી નજર બાપુ તમારાં પુસ્તકોના વિભાગમાં સાવનાની પુસ્તિકા, આશ્રમ ભજનાવલિ પર પડી છે.

ચાલો, અજમાવી જોઈએ આ આશ્રમ ભજનાવલિની આધ્યાત્મિક અને માનવતાવાદી તાકાત!

એ એક સાધન રહ્યું છે બાકી, લોકોનાં હૃદય સુધી પહોંચવાનું.

કેટલી મહેનત કરી ને શાસ્ત્રી ખરેએ તૈયાર કરી! કિશોરલાલ મશરૂવાળાએ શ્લોકોનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું ! ભજનોમાં પ્રથમ જ – ઈશાવાસ્યમ …… તેન ત્યક્તેન ભુંજીથાથી જે શરૂઆત કરી છે! બધી ભાષા અને બધા ધર્મોનાં ભજન અને પ્રાર્થના છે. સર્વધર્મ સમભાવનું સૌથી સબળ પ્રતીક જો હોય તો બાપુ આ તમારી આશ્રમ ભજનાવલિ.

કદાચ અસર કરે!

વલ્લભ વિદ્યાનગરમાં શાળામાં રોજ સવારે ઘંટ વાગે પછી સમૂહ પ્રાર્થના સભામાં આશ્રમ ભજનાવલિમાંથી એક બે પ્રાર્થના ગાવાનો શિરસ્તો. ખાદીધારી આચાર્યો છોટુભાઈ સુથાર સાહેબ અને પછી પાઠક સાહેબનો ખાસ આગ્રહ કે આશ્રમ ભજનાવલિમાંથી જ. દરરોજ પ્રાર્થના સંગીત સાથે ગાવી. એ જવાબદારી શાળાના બધાં જ વર્ષ દરમ્યાન મને મળી તે મારા જીવનનો એક લ્હાવો હતો!

વળી ખાદીધારી કવિ કરસનદાસ માણેક ખભે થેલો લટકાવીને, ભાઇકાકા અને એચ.એમ. પટેલના આગ્રહથી મહિને એક-બે વાર નિયમત વલ્લભ વિદ્યાનગર આવતા, અને તે પણ સાંજે રામ-કૃષ્ણ મિશનના પ્રાર્થના ખણ્ડમાં આશ્રમ ભજનાવલિનાં ભજન ગાઈ ને સમગ્ર વિદ્યાનગરના વિવિધ વિદ્યાર્થીઓને એક સૂત્રે બાંધતા. તેમાં પણ તેમની સાથે બેસીને ભજન ગાવાનો અને હાર્મોનિયમ પર સાથ આપવાનો લાભ યાદ કરું છું તો આજે પણ રુંવાડા ઊભા થઇ જાય છે.

બાપુ, આશ્રમ ભજનાવલિનું મહત્ત્વ એ છે કે તમને અને સૌ સ્વતંત્ર સેનાનીઓને એ પ્રાર્થનામાંથી અંગ્રેજોને ભગાડવા માટેની નૈતિક તાકાત, એકતા, અને બળ મળેલા. અને એ ક્રમ તમે અંત સુધી ચાલુ જ રાખ્યો હતો.

એ રીતે જોતાં એ એક નીવડેલ સાધન લાગે છે.

જો કદાચ જુઠ્ઠા ડિજિટલ માધ્યમ અભિપ્રાય બદલી શકે, તો ચાલો પ્રયત્ન કરીએ કે આશ્રમ ભજનાવલિનાં ભજનોથી લોકોનાં હૃદયમાં સહિષ્ણુતા ભાવ પ્રગટે – 

સબ કો સંમતિ દે ભગવાન!

લિ. વિજય ભટ્ટના પ્રણામ

****

લોસ એન્જલ્સ, ઓક્ટોબર ૧, ૨૦૨૪, ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા.
e.mail : vijaybhatt01@gmail.com

Loading

વણી લે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|1 October 2024

લોભ પર થોભને ઉતારી વણી લે,

શીખ દેનારની ચતુરી વણી લે.

લોભિયા માણસો જ ચીકાશ કરશે,

આશને મારવા કરારી વણી લે.

 વેદનાને અલગ કરી તારવી લે,

 ફક્ત અસ્તિત્વની મઠારી વણી લે.

મૂલ્ય અંકાય ત્યાં જ સંવેદના છે,

શ્વાસ રુંધાય તો મક્કારી વણી લે.

આત્મને ગ્લાનિ થાય તે સાદ કરશે,

જૂઠના કાટ પર ઉધારી વણી લે.

ડર નહી રોફ છાંટનારા ઘણા છે!

રોફ-રુઆબને લવારી વણી લે.

લેખ પણ હાંસિયા વગરનો ન ચાલે,

તું કહાની લખી કસ્તૂરી વણી લે.

અમદાવાદ
e.mail : addave68@gmail.com

Loading

...102030...411412413414...420430440...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved