Opinion Magazine
Number of visits: 9520972
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસલેખન અને સાંપ્રદાયિકતા

ગૌરાંગ જાની|Samantar Gujarat - Samantar|20 January 2013

વર્ષ ૧૯૪૭ના નવેમ્બરની નવમી તારીખે ભારતીય લશ્કર જૂનાગઢમાં પ્રવેશે છે અને નવાબના સૈનિકો શસ્ત્રો હેઠાં મૂકી શરણાગતિ સ્વીકારે છે. તેની સાથે જ વિલીનીકરણની પ્રક્રિયાના મહત્ત્વના પ્રકરણનો અંત આવે છે. આ વિજયની ઉજવણીના ભાગરૂપે ૧૩ નવેમ્બરે (દિવાળીના દિવસે) જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જાહેર સન્માન થાય છે. બીજા દિવસે એટલે કે બેસતા વર્ષે વલ્લભભાઈ તેમના કેબિનેટ સાથી એન.વી. ગાડગીલ સાથે સોમનાથ મંદિરની મુલાકાતે પધારે છે. મંદિરની ખરાબ હાલત જોઈ બંને મહાનુભાવો ચિંતિત થાય છે. આ સંદર્ભે વલ્લભભાઈના જીવનચરિત્ર લેખક રાજમોહન ગાંધી જણાવે છે, “ગાડગીલ માનતા હતા કે મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. તેમણે આ વિચાર પટેલને જણાવ્યો અને તેઓ પણ સંમત થયા. એ સમયે નવાનગરના જામસાહેબ તેઓની સાથે હતા. તેમણે તત્કાળ એક લાખ રૂપિયા દાન કર્યા. સામળદાસ ગાંધીએ જાહેર કર્યું કે આરઝી હકૂમત રૂ. એકાવન હજાર આપશે. ગાડગીલના પબ્લિક વર્ક્સ ખાતાએ આ કામનું બીડું ઝડપ્યું અને કેબિનેટે મંજૂરી પણ આપી દીધી. પરંતુ મહાત્મા ગાંધી સાથેની ચર્ચા બાદ નક્કી થયું કે મંદિરના જીર્ણોદ્ધાર અર્થે એક ટ્રસ્ટ બનાવવું અને લોકફાળાનો ઉપયોગ કરવો.”

સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અંગે સરદાર પટેલના ઉત્સાહ અને વલણને ગાંધીજીની દરમિયાનગીરીથી કંઈક જુદી જ દિશા મળી. એટલું જ નહીં ભારત સરકારના નિર્ણયો પણ બદલાયા. ૨૮ નવેમ્બર, ૧૯૪૭ના રોજ દિલ્હીની પ્રાર્થનાસભામાં ગાંધીજી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત માંડે છે અને ‘બિનસાંપ્રદાયિક’ સરકાર સંદર્ભનો તેમનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતાં દર્શાવે છે, “જ્યારે સરદાર અહીં આવ્યા ત્યારે મેં એમને જણાવ્યું કે તેઓ સરકારમાં હોવાને કારણે હિંદુવાદને ઇચ્છે એટલા નાણાની મદદ અર્થે સંમતિ આપી શકે છે. પરંતુ ખરેખર તો આપણે તો સૌ માટે સરકાર બનાવી છે. તે બિનસાંપ્રદાયિક સરકાર છે, એ કોઈ ઈશ્વરાધીન સરકાર નથી. તેથી એ કોઈપણ પ્રકારનો ખર્ચ જાતિ-કોમને ધ્યાનમાં રાખીને તો ના જ કરી શકે. તેના માટે તો મહત્ત્વનું તો એ છે કે સૌ ભારતીય છે. વ્યક્તિગત રીતે સૌ પોતાના ધર્મને અનુસરી શકે છે. મારો ધર્મ હું અનુસરું. તમે તમારો અનુસરો.” (સંદર્ભ ઃ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, ગ્રંથ-૯૦, પૃ. ૧૨૭).

નવેમ્બર ૧૯૪૭નો આ પૂર્વરંગ આપણે એક એવા રાજ્યમાં સંભારી રહ્યા છીએ જ્યાં છેલ્લા પાંચ દાયકામાં સમયાંતરે હિંદુ-મુસ્લિમ સંઘર્ષો થતા રહ્યા છે. ભારતના આધુનિક ઇતિહાસમાં ગુજરાત આ સંદર્ભે નંબર વન છે. વર્ષ ૧૯૬૯, ૧૯૮૫, ૧૯૯૨ અને ૨૦૦૨ અને એ ઉપરાંતની અનેક ઘટનાઓ. આ વાસ્તવિકતા હોવા છતાં તાજેતરમાં એક વિચાર ફેલાવવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૦૨ના મુસ્લિમ વિરોધી હુલ્લડને ભૂલવા માંડો. તેનો પડઘો ના તો રાજકારણમાં કે ના તો સમાજકારણમાં દેખાવો જોઈએ. આમ તો ગુજરાતના બૌદ્ધિક જગતમાં તો વર્ષ ૨૦૦૨ બાદ ગણતરીના મહિનાઓમાં રાજ્યમાં કશું બન્યું નથી એવી ‘ખામોશી’ છવાઈ ગઈ હતી. રાજ્યની એક માત્ર યુનિવર્સિટી કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં એકાદ અપવાદ સિવાય ૨૦૦૨નાં કારણો અને પરિણામોની ચર્ચા અર્થે ના તો કોઈ પરિસંવાદ થયો કે ના યુજીસી કે આઈસીઆઈસીઆર સંશોધન પ્રોજેક્ટ હાથ ધરાયો. ‘વાંચે ગુજરાત’ અંતર્ગત પણ રાજ્યમાં હિંદુ-મુસ્લિમ એકતા અંગે કંઈ વંચાણું નહીં. અર્થાત્ ગુજરાત બહુમતી હિંદુ વસતીનું રાજ્ય છે અને તેમાં કોમી સંઘર્ષોને કોઈ સ્થાન નથી એવો ‘કોન્ટેમ્પરરી હિસ્ટ્રી’ રચવા તરફનો ઝોક દેખાઈ રહ્યો છે. આ ઇતિહાસના ભાગરૂપે છેલ્લા દાયકામાં રાજ્યમાં ક્યાંય કરફ્યું નથી નંખાયો તેની આંકડાકીય માહિતીને સંગ્રહિત કરવામાં આવી રહી છે.

આ વાતાવરણમાં ડિસેમ્બર, ૨૦૧૨ના અંતિમ અઠવાડિયામાં યોજાયેલ ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળાએ ગુજરાતમાં કોમી સંબંધો સંદર્ભે આંખ અને કાન બંનેને સક્રિય કર્યાં. ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ અમદાવાદ સાહિત્ય પરિષદના સભાખંડમાં ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઇતિહાસકાર પ્રોફેસર રોમિલા થાપરે સ્મૃિત વ્યાખ્યાન આપ્યું. વિષય હતો ‘સોમનાથ ઃ ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં’.

રોમિલા થાપરના વ્યાખ્યાન પૂર્વે ગુજરાતમાં સોમનાથ મંદિરને લઈને બે ઘટનાઓ બની તેનો ઉલ્લેખ કરીએ તો સમજાશે કે ઇતિહાસલેખન ક્યાં અને શા માટે આવશ્યક છે. ગુજરાત વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓના ભાજપના પ્રચારની શરૂઆત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં ‘દાદા’ના દર્શન કરી તેમના ‘આશીર્વાદ’ લઈ કરી. બીજી ઘટના ડિસેમ્બર, ૨૦૧૨માં સોમનાથ મંદિરના ગર્ભગૃહને એક ભક્ત દંપતીએ સોનાથી મઢી ઝળાંઝળાં કરી. આ બંને ઘટનાઓ અને તેની અખબારી નોંધો તાજેતરનો ઇતિહાસ બની.

આવી જ સોમનાથ સંદર્ભની અનેક સદીઓની નોંધો, લેખો, શિલાલેખો વગેરે સ્રોતોને આધારે રોમિલા થાપરે અંગ્રેજીમાં તૈયાર કરેલું પુસ્તક ખાસી ચર્ચામાં છે. જોકે આ પુસ્તક કરતાં તેમના અમદાવાદના વ્યાખ્યાને ગુજરાતીઓમાં સોમનાથના ‘મુનશી ઇતિહાસ’ને પુનઃતપાસવાનો વિચાર અવશ્ય વહેતો કર્યો છે.

પ્રો. રોમિલા થાપર હાલ દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર એમરિટસ તરીકે કાર્યરત છે. તેમણે સોમનાથ મંદિરના ઇતિહાસ સંબંધિત લખેલા અંગ્રેજી પુસ્તકની ખાસી ચર્ચા દેશ-વિદેશમાં થઈ છે. સ્મૃતિ વ્યાખ્યાનમાં તેમણે સોમનાથ મંદિરના  ઇતિહાસ સંબંધિત અનેકવિધ સ્રોતો અને સામગ્રી દ્વારા એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે ઇતિહાસકારોએ અમુક ચોક્કસ માહિતીનો ઉપયોગ કરી મંદિરના ઇતિહાસને એકાંગી બનાવી દીધો. વ્યાખ્યાનના પ્રકાશિત સંક્ષેપના પ્રારંભે તેઓ જણાવે છે તેમ “આ વક્તવ્યનું મુખ્ય પ્રયોજન એ બતાવવાનું છે કે પચાસ વર્ષ પહેલાંના ઇતિહાસકારો કરતાં આજના ઇતિહાસકારો ભૂતકાળના બનાવોના સ્વરૂપનું વધુ પૃથક્કરણ કરે છે અને વિવેચક દૃષ્ટિથી તપાસે છે.”

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં મુસ્લિમ શાસનકાળ દરમિયાન વર્ષ ૧૦૨૬માં મહંમદ ગઝનીનું આક્રમણ થયું. એ સમયે સોમનાથ મંદિર પર પણ હુમલા અને આક્રમણ થયાં. તેને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો. તેને પગલે પગલે સોમનાથ મંદિર એક તરફ હિંદુઓની આસ્થાનું અને બીજી તરફ ઇસ્લામવિરોધી માનસનું પ્રતીક બની ગયું . આ વાસ્તવિકતા સંદર્ભે રોમિલા થાપર માને છે કે ત્યારબાદના ઇતિહાસની રજૂઆત કરનારાઓએ મર્યાદિત સામગ્રીનો ઉપયોગ કરીને સામાજિક સંબંધોની સાચી હકીકત પ્રકાશમાં લાવવામાં અવરોધો ઊભા કર્યા. તેમના જ શબ્દોમાં, “પચાસ વર્ષ પૂર્વે સોમનાથનો ઇતિહાસ કેવળ એક જ પ્રકારની વાચનાઓ-તૂર્કી અને પર્શિયન ભાષામાં લખાયેલી અનેક સુલતાનોના દરબારોની તવારીખોના આધારે વર્ણવવામાં આવતો હતો, કેમ કે આ દરબારોનો ઇતિહાસ મહંમદ ગઝનીના મંદિર પરના આક્રમણની સાથે શરૂ થતો હતો. સંસ્કૃત સ્રોતો, જેમ કે સોમનાથ પાસેના શિલાલેખો અને ચૌલુક્ય રાજાઓના ઇતિહાસ વિશેના જૈન પ્રબંધો જેમાં વધુ વિગતવાર ઇતિહાસ સમાયેલો હતો, તેની ઉપેક્ષા કરવામાં આવી હતી.”

ભૂતકાળમાં સુલતાનો કે રાજાઓના સમયમાં સત્તાધારીઓની તવારીખો લખનારાઓના આધારે ઇતિહાસ રચવાનો પ્રયત્ન કરીએ તો હકીકતો અને વાસ્તવિકતાઓને સમજી શકાતી નથી. તેને કારણે સમય જતાં લખાયેલા ઇતિહાસને આધારે પૂર્વગ્રહો અને સંકુચિત વિચારસરણી વિકસી શકે. ધર્મો અને સંપ્રદાયો વચ્ચે પણ આ કારણે મતભેદો અને સંઘર્ષો પેદા થઈ શકે. ઇતિહાસ લખનારાઓએ આ કારણે એકથી વધુ સ્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. આ મુદ્દાને સપષ્ટ કરતાં પ્રો. થાપર દર્શાવે છે, “સુલતાનોના દરબારની તવારીખોએ મહંમદના આક્રમણની સ્વાભાવિક જ યશોગાથા ગાઈ છે અને ઇસ્લામના ઇતિહાસના એક મહત્ત્વના બનાવ તરીકે અતિશયોક્તિપૂર્વક વર્ણવ્યો છે. જે લોકો બાદશાહી દરબારોની અને વંશાવળીની તવારીખો લખે છે, તેમણે રાજાઓની પ્રશસ્તિ કરવી પડે છે કેમ કે તેઓને એ માટે તો પૈસા ચૂકવવામાં આવે છે. આ પ્રથા છેક પહેલાંના કાળથી ચાલતી આવી છે. એ ભારતના જુદા જુદા પ્રદેશોમાં દરબારી કવિઓની લખેલી પ્રશસ્તિમાં કરેલી હિન્દુ રાજાઓની સ્તુતિઓ પરથી સ્પષ્ટ થાય છે. આ એક પ્રકારની લેખન પદ્ધતિ છે જેમાં રાજાની પ્રશંસા કરવી જ પડે છે!”

પ્રો. રોમિલા થાપર એ મુદ્દા પર ભાર મૂકે છે કે પ્રશસ્તિમાં લખાણોને આધારે વિરોધાભાસી હકીકતો સોમનાથ મંદિર સંદર્ભે ઊપસી આવે છે. ઉદાહરણરૂપે તેઓ સમજાવે છે, “આ પર્શિયન તવારીખોની રસપ્રદ બાબત એ છે કે તેઓ નક્કી નથી કરી શકતા કે મહંમદે ખરેખર શેનો નાશ કર્યો હતો. કોઈક કહે છે, એ શિવલિંગ હતું; બીજા કહે છે કે એ પયગંબરે જેનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો તે ઇસ્લામ પૂર્વેની અરબ દેવીઓમાંની એક મનાત દેવીના પ્રતીકરૂપ પથ્થર હતો; વળી બીજા કહે છે કે પથ્થરના બનેલા માનવ સ્વરૂપ દેવ હતા અને જ્યારે એમનું પેટ ચીરાયું ત્યારે એમાંથી રત્નોનો જથ્થો બહાર નીકળી આવ્યો હતો; અને વળી બીજું એક વૃત્તાંત કહે છે કે એ ધાતુની બનેલી એક મૂર્તિ હતી જે એક બહુ મોટા ચુંબકની મદદથી હવામાં વચ્ચે લટકતી હતી. આમ સ્પષ્ટ રીતે એ મૂર્તિ શું હતી એ વિશે કોઈ નિશ્ચિતતા ન હતી અને આ બયાનોમાં ખાસ્સી કાલ્પનિકતા હતી. ત્યારબાદ આ બયાનો કહે છે કે મંદિરને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. પરંતુ થોડાક થોડાક દસકાઓ પછી કોઈ સુલતાને પોતે મંદિર પર હુમલો કર્યો અને એને મસ્જિદમાં ફેરવ્યું એમ દાવો કરે છે. આ તર્કહીન છે, કેમ કે પહેલા હુમલા પછી તેઓ મસ્જિદ પર હુમલો કરતા હશે. એની સાથે સાથે મંદિર તો એક મુખ્ય હિન્દુ મંદિર તરીકે ચાલુ જ રહ્યું જેમાં પંદરમી સદી સુધી તો પૂજા ચાલુ રહી જે પછી એ ઉપેક્ષિત થયું હોય એમ લાગે છે.”

રોમિલા થાપરની દૃષ્ટિએ એ સ્પષ્ટ છે કે ઇતિહાસકારોએ સોમનાથ મંદિર વિશે દર્શાવેલાં ત્રણ વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં ક્યાંય એવી નોંધ નથી કે મહંમદના આક્રમણના કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે ઊંડી અને કાયમી દુશ્મનાવટ થઈ હોય. ઊલટાનું બારમી સદીમાં નરૂદ્દીન ફીરોઝ નામના આરબ વેપારીના લખાણ પ્રમાણે તો બે કોમો વચ્ચે સામાન્ય વ્યવહાર હતો. આક્રમણના તુરંત બાદ હિંદુઓમાં થોડા આક્રોશની અપેક્ષા રાખી શકાય, પરંતુ આલેખો બતાવે છે કે તે લાંબા સમય સુધી ટક્યો નહીં અને મંદિર હિન્દુઓના પવિત્ર સ્થળ તરીકે પૂજાતું રહ્યું. પ્રો. થાપર આ સંદર્ભમાં સવાલ ઉઠાવે છે, “આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પરસ્પર દુશ્મનાવટ અંગેનું આ વિધાન કોણે અને ક્યારે ફેલાવ્યું?”

બ્રિટિશરોએ સોમનાથના પ્રશ્ને હિંદુ-મુસલમાનોમાં પરસ્પર દ્વેષ ઊભા કરવામાં ભૂમિકા ભજવી હતી એ સંદર્ભે રોમિલા થાપરનો અભ્યાસ કંઈક આમ સ્પષ્ટતા કરે છે ઃ “એ રસપ્રદ બીના છે કે એનો સૌપ્રથમ ઉલ્લેખ ઓગણીસમી સદીની શરૂઆતમાં લંડનમાં બ્રિટનની સંસદના ગૃહોમાં મહંમદ અને સોમનાથ પરની ચર્ચામાં થયો. સંસ્થાનવાદી વિદ્વાનો એ સાબિત કરવા તત્પર હતા કે હિન્દુ અને મુસલમાનો હંમેશા એકબીજા સામે વેરભાવ રાખતા અને મહંમદના હુમલાની આ વાત એમને ફાવતી આવી ગઈ. ભારતના સંસ્થાનવાદી ઇતિહાસે મહંમદના આક્રમણથી હિન્દુઓને થયેલા આઘાત પર ભાર મૂકવાનું શરૂ કર્યું. મૂંઝવનારો પ્રશ્ન એ છે કે વીસમી સદીમાં રાષ્ટ્રવાદી રાજકારણીઓએ અને ઇતિહાસકારોએ આ કથાનું તુર્કી-પર્શિયન તવારીખો પર આધારિત સંસ્થાનવાદી વૃત્તાંત શા માટે સ્વીકાર્યું? એ સમયના ઇતિહાસકારોએ બીજા સ્રોતો તપાસ્યા નહીં, જે બીજી જ વાત કહે છે. આક્રમણ થયું ન હતું એ મુદ્દો નથી, પરંતુ ખરેખર શું બન્યું અને એની હિન્દુ-મુસલમાનો વચ્ચે દુશ્મનાવટ થઈ કે નહીં એ પ્રશ્ન છે.”

સોમનાથ મંદિરની આસપાસના સંસ્કૃત શિલાલેખો જે બનાવ પછી તરત જ અને પછીની ત્રણ સદીઓ સુધી લખાયેલા હતા તે મહંમદનો ઉલ્લેખ કરતા નથી એવું પ્રો. થાપરનું સંશોધન છે. તેઓ દર્શાવે છે કે “જોકે મંદિર એ શિલાલેખોનું કેન્દ્ર છે. ઘણા નાના શિલાલેખો સ્થાનિક રાજાઓ કેવી રીતે મંદિરમાં પૂજા કરવા આવતા યાત્રાળુઓને લૂંટતા તેમ જ તેમની પાસેથી યાત્રાળુ કરની માંગણી કરતા તેની વાત કરે છે. ચૌલુક્ય વહીવટતંત્રે યાત્રાળુઓને રાજાઓથી રક્ષણ આપવું પડતું. સો વર્ષ પછી ચૌલુક્ય વંશના રાજા કુમારપાળના સમયમાં મંદિરમાં મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિ દ્વારા એક લાંબો આલેખ પ્રસિદ્ધ થયો હતો. તે જણાવે છે કે મંદિર સ્થાનિક વહીવટકારોની ઉપેક્ષાને કારણે બિસ્માર હાલતમાં હતું.”

જૈન વિદ્વાન મેરુતુંગે ચૌદમી સદીમાં ગુજરાતનો ઇતિહાસ લખ્યો હતો જેમાં એ ચૌલુક્ય વંશનું વિસ્તારથી વર્ણન કરે છે અને તેનો મંદિર સાથેનો સંબંધ વર્ણવે છે. ફરીથી મહંમદનો કોઈ ઉલ્લેખ નથી. આ ઇતિહાસનું એક મુખ્ય કેન્દ્રબિંદુ કુમારપાળ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર એ છે. પરંતુ આ હેવાલ જૈન દૃષ્ટિકોણથી લખાયેલો છે. તેથી મંદિરના મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિના કથનથી વિપરીત છે. મેરુતુંગ લખે છે કે, દરિયાની છાલકોને લીધે મંદિરની જીર્ણ દશા થઈ હતી, કેમ કે એ દરિયાને લગોલગ અડીને આવેલું હતું. એ વિશ્વાસપૂર્વક કહે છે કે કુમારપાળના જૈન મંત્રી, મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યે રાજાને મંદિર ફરીથી બાંધવા માટે સમજાવ્યા. આ પ્રક્રિયા દરમિયાન રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો.

રોમિલા થાપરના અભ્યાસ આધારિત દૃષ્ટિકોણને સમજ્યા પછી એ જાણવું રસપ્રદ રહેશે કે ‘જય સોમનાથ’ના રચયિતા શ્રી કનૈયાલાલ મુનશી તેમના ઇતિહાસલેખન વિશે શું કહે છે. ‘જય સોમનાથ’ના આમુખમાં (૨૦-૫-૪૦) તેઓ નોંધે છે ઃ “ઇસ્ટ એન્ડ વેસ્ટ” નામના અંગ્રેજી માસિકના ૧૯૧૧ નવેમ્બર-ડિસેમ્બરના અંકમાં મેં ‘સોમનાથની જીત’ નામનો ઐતિહાસિક લેખ લખેલો ત્યારથી મને આ વિષયમાં રસ છે … આ આક્રમણનાં મૂળ સાધનો મુસ્લિમ તવારીખોમાં મળે છે. પણ અનેક સામગ્રીઓ જોયા પછી એમાં તથ્ય ઓછું છે એમ મને લાગે છે. નવલકથાના હેતુ વિશે તેઓ સ્પષ્ટ છે. પણ આ વાર્તામાં મારો ઇરાદો સુલતાન મહંમદનું આક્રમણ ચીતરવાનો નથી. ગુજરાતે કરેલો પ્રતિરોધ વર્ણવવાનો છે. જો આ આક્રમણ પાયાદાર માનીએ તો એનો સામનો કરતાં સોલંકીઓના ગુજરાતને બળ મળ્યું છે એમ માનવું પડે છે. આ વાર્તામાં ચીતરેલા ગુજરાતના મહાપ્રયત્નના આમુખ વિના -ગંગ સર્વજ્ઞ, ભીમ અને સામંતની ભીષ્મ અડગતા વિના, ગંગાના આત્મસમર્પણ ને ચૌલાની  પ્રાણવિહ્વળ ભક્તિ વિના – દેવપ્રસાદ, મુંજાલ ને કાક, મીનલ ને મંજરીનું ગુજરાત શક્ય નથી.”

મ્લેચ્છ આક્રમણકારો (મુસ્લિમ) સામે ગુજરાતના વીરોના સંઘર્ષ અને આત્મબલિદાનને ઉજાગર કરી ગૌરવ બક્ષવા મુનશી ‘ઘોઘાબાપા’નું ચિત્રણ ‘જય સોમનાથ’માં કરે છે. સાથે રજપૂતાણીઓના બલિદાનને (સતી) પણ સાંકળી ‘હિંદુત્વ’ને વીસમી સદીના ગુજરાતી વાચકો સમક્ષ પીરસે છે. ‘જય સોમનાથ’માં આ સંદર્ભનું વર્ણન જોઈએ ઃ “પછી ભાઈ, ધ્રૂજતે હાથે મેં મારું કર્તવ્ય કર્યું. મંદિરના ચોકમાં મેં ચંદનકાષ્ઠની ચિતાઓ ખડકી ને, ભાઈ જેને મેં પરણાવી, જેના સીમંત મેં કર્યાં, જેના છોકરાંઓને મેં ભણાવ્યાં, તે બધી સુકુમાર લાડલી સ્ત્રીઓ વસ્ત્રાભૂષણ સજી બહાર નીકળી … પતિઓને મળવા અભિસારિકા સમી તત્પર તે વીરાંગનાઓએ મારું અર્ચન કર્યું. મારી સતી ને પૂત્રવધૂ મારે પગે પડ્યાં.” ને નન્દિદત્તે એક ધ્રૂસકું ખાધું … “ભાઈ, અગ્નિ ભડભડ ચેત્યો.” સ્ત્રીઓને વીરાંગના કહી મુનશીએ પરંપરાગત વિચારસરણીને હકીકત સાથે સાંકળતા હોય એમ લખે છે, “એમણે (આક્રમણકારોએ) બળતી ચિતા જોઈ, છસેેં વીરાંગનાનાં શબ જોયાં.”

ગુજરાતના શિક્ષિતોએ સોમનાથના ઇતિહાસને માણ્યો, શાસકોએ તેને ગૌરવવંતો કર્યો અને પરિણામે ‘વીર હિંદુત્વ’નું વાતાવરણ સર્જાયું. રોમિલા થાપરે આ ઇતિહાસને હિંદુ-મુસ્લિમ સંબંધોના તાણાવાણા અને તેમાંથી નિષ્પન્ન થતા સામાજિક-સાંસ્કૃિતક માળખાને વર્ણવવા રજૂ કર્યો.

સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિ., સમાજવિદ્યા ભવન, અમદાવાદ ૯

(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)

Loading

ઇતિહાસનાં અર્ધસત્યો

હરિ દેસાઈ|Samantar Gujarat - Samantar|20 January 2013

હમણાં અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં વિશાળ શ્રોતાગણની ઉપસ્થિતિમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના ડાબેરી ઇતિહાસકાર પ્રા. રોમિલા થાપરે સોમનાથ વિષયક વ્યાખ્યાન ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીમાં આપ્યું. સંઘપરિવાર અને હિંદુનિષ્ઠ ઇતિહાસકારોમાં રોમિલા ભણી સૂગ અને એમના તર્કને સાંભળ્યા વિના જ એમના પ્રત્યે ભાંડણલીલાથી સુપેરે પરિચિત આ લેખકને ગુજરાતમાં ઘણા લાંબા સમય પછી ડિબેટિંગ સોસાયટી પુનર્જીવિત થયાનો અનુભવ થયો. વિશેષતઃ સોમનાથનો ઇતિહાસ અમારા રસનો વિષય રહ્યો અને શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’ને સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવાને કારણે સોમનાથ અને મહંમદ ગઝની કે મહમૂદ ગઝનવીનાં આક્રમણોને માત્ર કાલ્પનિક દૃષ્ટિએ જોવાને બદલે ઐતિહાસિક દૃષ્ટિએ જોવાની સ્વાભાવિક ઇચ્છા-અપેક્ષા રહી છે. રોમિલા થાપરનું વ્યાખ્યાન સાંભળવા  અમે જાતે પોતે ઉપસ્થિત રહ્યા પછી પત્રકારત્વમાં અમારા ગુરુમાંથી મુખ્યમંત્રીઓના ‘ખેપિયા’ (શંકરસિંહ વાઘેલાથી લઈને નરેન્દ્ર મોદી લગી) તરીકેની છાપ ધરાવતા સરકારી ઇતિહાસકાર નામે વિષ્ણુ પંડ્યાએ જ્યારે ‘દિવ્ય ભાસ્કર’માં સોમનાથ અને રોમિલા થાપર વિશે શંભુપ્રસાદના ગ્રંથના ખોટા નામે અર્ધસત્યનું ઉચ્ચારણ કર્યું ત્યારે સ્વાભાવિક રીતે કલમ ઉઠાવવાનો સળવળાટ થયો. શંભુપ્રસાદના ગ્રંથનું નામ ‘પાટણ અને સોમનાથ’ નહીં, પણ ‘પ્રભાસ અને સોમનાથ’ છે એ જરા જાગૃત વાચકની જાણ સારુ. એ ગ્રંથની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન ઇ.સ.૧૯૯૮ વિ.સં. ૨૦૫૪માં શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યું છે. ક્યારેક સ્વતંત્ર ટ્રસ્ટ હતું એ શ્રી સોમનાથ ટ્રસ્ટ આજે સરકારી ટ્રસ્ટના વાઘા ચઢાવી ચૂક્યું છે, જ્યાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ મુખ્ય સચિવ શ્રી પ્રવીણ ક. લહેરી જેવા ટ્રસ્ટીપદે બિરાજમાન છે અને એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારી એનો વહીવટ કરે છે. આટલી પાર્શ્વભૂ પછી સોમનાથના ઇતિહાસની વિકૃતિઓ અને અર્ધસત્યની વાત.

સોમનાથને  લૂંટવા અને ભાંગવા માટે મુસ્લિમ આક્રમણોને જ જવાબદાર ગણાવીને ભારતીય ઇતિહાસને હિંદુ-મુસ્લિમ કે બ્રિટિશ ઇતિહાસમાં વિભાજિત કરવાનો પ્રયાસ કરનારાઓ ભગવી સત્તાના ટેકે ઇતિહાસને વિકૃત કરવાનો એવો જ પ્રયાસ કરે છે જેવો પ્રયાસ નેહરુ-ઇન્દિરા-રાજીવ અને અન્ય કૉંગ્રેસી સલ્તનતોના ટેકે ડાબેરી ઇતિહાસકારોએ સેક્યુલરી વાઘા સજીને ઇતિહાસને વિકૃત કરવાની કોશિશો કરી છે. કમનસીબે ડાબેરી અને ભગવાભાઈઓના ઇતિહાસનાં સ્ખલનો વચ્ચે પ્રાથમિકથી લઈને અનુસ્નાતક કક્ષા સુધીનો વિદ્યાર્થી પીસાતો રહ્યો છે. ડિબેટની પરંપરા લુપ્ત થતાં અને ‘હમ કહે સો સત્ય બાકી સબ હિંદુસ્તાન યા ગુજરાત વિરોધી અપપ્રચાર’ની ભૂમિકાએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો કચ્ચરઘાણ વાળ્યો છે.

‘પ્રભાસ અને સોમનાથ’માં નિવૃત્ત આઇએએસ તેમજ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ રહેલા નામાંકિત ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈએ નોંધ્યું છે કે સોમનાથ પર મહમૂદ ગઝનવીની ચડાઈ વખતે તેનો સેનાપતિ ટિળક નામનો હિંદુ નાઈ હતો અને એની સેનામાં જાટ હિંદુ મોટી સંખ્યામાં હતા. મહમૂદની આક્રમણ સવારીઓ સોમનાથના ખજાનાને લૂંટવા માટે હતી. મહમૂદના બૌદ્ધ કે આર્ય કે હિંદુમાંથી મુસ્લિમ થયેલા અને ગુલામમાંથી રાજવી બનેલા પિતા સબક્તગીન થકી પણ મહમૂદને અન્યાય થયો અને એણે આપબળે સત્તાનો અધિકાર પોતાના લઘુ બંધુ ઇસ્માઇલ કનેથી છીનવી લીધો.

આ પાર્શ્વભૂની સાથે જ સોમનાથ પર મહમૂદની ચઢાઈનો પ્રતિકાર કરવાને બદલે પાટણપતિ ભીમદેવ પહેલાએ અલાહિલવાડ પાટણની પ્રજાને ‘જીવતો નર ભદ્ર પામે’ એ ન્યાયે પાટણને ઊઘાડું મૂકી ગુપ્ત માર્ગે પોતાનું પાટનગર પરદેશી સૈન્યોની દયા ઉપર છોડી પલાયન થઈ જવાનું યોગ્ય ધાર્યું (પાનું ઃ ૧૫૭) હતું. શંભુપ્રસાદ વધુમાં નોંધે છે ઃ ‘મહમૂદનો માર્ગ મોકળો થયો. જે રાજાની તેને બીક હતી તેણે સામેથી જ મહમૂદની શક્તિ અને સમય બચાવી દીધાં હતાં. હવે સોમનાથના માર્ગમાં તેને કોઈ અંતરાય હતો નહીં.’ બીજા હિંદુ રાજાઓના આપસી સંઘર્ષો, સોમનાથ જેવાં મંદિરોની સંપત્તિ લૂંટવા પરનો એમનો ડોળો અને વિદેશીને નોતરવાની વૃત્તિ-પ્રવૃત્તિથી ભારતીય ઇતિહાસ ફાટફાટ થતો હોય ત્યારે મહમૂદના આક્રમણને માત્ર ઇસ્લામના ધર્મઝનૂનીનું નામ આપવું યોગ્ય નથી.

શંભુપ્રસાદે નોંધ્યું છે એ મુજબ ‘આશરે દસ કરોડ દીનારની કિંમતનું દ્રવ્ય મહમૂદના હાથમાં પડ્યું. તેમાં પાંચમો ભાગ એટલે બે કરોડ દીનાર કિંમતનું દ્રવ્ય મહમૂદને મળ્યું’ (પાનું ઃ ૧૬૭) દસ કરોડ દીનાર એટલે એકવીસ કરોડ રૂપિયા. ઇબ્ન અસીર આ આંકડો રૂપિયા સાડા સાત કરોડનો આપે છે. શંભુપ્રસાદના ગ્રંથમાં વર્ણવાયેલી હિંદુ રાજાઓની ‘કાયરતા અને નિર્માલ્યતાની કથા’ (પાનું ઃ ૧૬૮) અને મહમૂદનું ‘યુદ્ધ કૌશલ્ય ખરેખર ભારતીય રાજાઓ કરતાં ચઢિયાતું હતું’ (પાનું ઃ ૧૬૯) એ ભણી વર્તમાન ભગવા સરકારી ઇતિહાસકારોની નજર જાય નહીં એ સ્વાભાવિક છે.

ભારતીય ઇતિહાસમાં શંભુપ્રસાદ જેમ ‘ભારતીય રાજાઓ’ શબ્દ પ્રયોગ કરે છે એ રીતે ભારતીય રાજાઓ અને આક્રમણખોર રાજાના ઉલ્લેખને બદલે હિંદુ રાજા અને મુસ્લિમ આક્રમણખોર સેના જેવા શબ્દપ્રયોગો થકી સમગ્ર ઇતિહાસ વિકૃત થતો રહ્યો છે. ઘરઆંગણે જ ટીપુ સુલતાનને વટાળપ્રવૃત્તિના પ્રણેતા તરીકે ચીતરનારા એ વાતને વીસરી જાય છે કે મરાઠાઓએ (હિંદુઓએ) પવિત્ર શૃંગેરીનાં મંદિરો ભાંગ્યા ત્યારે શંકરાચાર્યે ટીપુને એ મંદિરોનો જિર્ણોધ્ધાર કરાવવા કહ્યું હતું અને ટીપુ સુલતાને શૃંગેરીનાં એ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. ટીપુ સુલતાન અને શંકરાચાર્ય વચ્ચે સંસ્કૃતમાં થયેલો ૩૦ પત્રોનો પત્રવ્યવહાર હજુ મોજૂદ છે.

ભગવા સરકારી ઇતિહાસકારોએ વધુ સંશોધન કરવાની જરૂર છે એ મુદ્દો તો દિલ્હી યુનિવર્સિટીનાં ઇતિહાસકાર પ્રા. શાંતા પાંડેએ પડકારરૂપ આગળ ધર્યો છે ઃ ‘ગઝનવીના સમયે તેમની દરબારી ભાષા સંસ્કૃત હતી.’ સંસ્કૃતમાં જ મહમૂદે સિક્કાઓ પર કુર્રાનની આયાતો અંકિત કરાવી હતી. એના રાજ્યમાં હિંદુઓનાં મંદિરોમાં તેમને પૂજાવિધિની છૂટ હતી. પ્રા. શાંતા પાંડે નોંધે છે ઃ ‘જો ગઝનવી ધર્માંધ મુસલમાન હોત તો પોતાની સેનામાં એ હિંદુ જાટોની ભરતી ક્યારેય ના કરત. તિલક નામના બ્રાહ્મણ (શંભુપ્રસાદ એને નાઈ કહે છે)ને એ પોતાની સેનાનો સેનાપતિ ક્યારેય ના બનાવત. ઇસ્લામી મુલક હોય કે ગૈરઇસ્લામી તેનું (મહમૂદનું) એકમાત્ર લક્ષ ધન એકત્રિત કરવાનું જ હતું.’

પ્રા. શાંતા પાડેએ ભારતવાણી (શ્રીમતી ઇન્દિરા ગાંધી અબિનંદન ગ્રંથ)માં ઉપરોક્ત બાબતો નોંધી છે. એનું શીર્ષક છે ઃ ‘મધ્યકાલીન ભારત ઃ એક સમ્યક્ દૃષ્ટિ’ સંપાદક મંડળમાં મહાદેવી વર્મા, હજારીપ્રસાદ દ્વિવેદી, કૃશન ચંદર, સુમિત્રાનંદન પંત, સતીશ ચંદ્ર જેવાં નામ છે. ૧૯૭૫માં પ્રકાશિત આ ગ્રંથમાં મુસ્લિમ શાસકો તથા આક્રમણખોરો વિશે થયેલી વાતો વિચારણીય અને ગહન સંશોધન ભણી આગળ વધવાની ડાબેરી કે ભગવા ઇતિહાસકારોને પ્રેરણા જરૂર પૂરી પાડે છે.

રોમિલા થાપરના સોમનાથ પરના વ્યાખ્યાનનું ઉમાશંકર-પુત્રી પ્રા. સ્વાતિ જોશીએ આયોજન કરીને ગુજરાતમાં લગભગ કુંઠિત બનેલી ડિબેટિંગ સોસાયટીને પુનર્જીવિત કરવાની દિશામાં એક પ્રેરક ધક્કો માર્યો એ બદલ એમના અને ગંગોત્રી ટ્રસ્ટના આ પ્રયાસને અભિનંદન આપવા પડે અને આવી ચર્ચા ચાલુ રહેલી ઘટે. રોમિલાલિખિત ગ્રંથ ‘સોમનાથ’ના અધ્યયન સાથે જ શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’ની તુલનાત્મક અધ્યયનવૃત્તિ પણ આપણે દાખવીએ એ અનિવાર્ય છે. રોમિલાનું એક કથન ખૂબ જ સૂચક હતું ઃ ‘આપણે ઘણીવાર કલ્પનો (મિથ)ને ઇતિહાસ માની લઈએ છીએ એ ભૂલ ના કરીએ’ ઐતિહાસિક નવલકથાઓ, પછી કે તે ક.મા. મુનશીએ લખી હોય કે દિનકર જોશીએ, એ ઇતિહાસ નથી એ વાતને ગૂંજે બાંધવાની સવિશેષ જરૂર છે.                          

(નિયામક અને પ્રાધ્યાપક, સેરલિપ)
સીવીએમ બંગલો-૧૧, ભાઈકાકા સ્ટેચ્યૂ પાસે, વલ્લભ વિદ્યાનગર ૩૮૮ ૧૨૦

(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.20130

Loading

પ્રોફેસર રોમિલા થાપરના વ્યાખ્યાન નિમિત્તે

અરુણ વાઘેલા|Samantar Gujarat - Samantar|20 January 2013

તારીખ ૨૯-૧૨-૨૦૧૨ની ઢળતી સાંજે ઉમાશંકર જોશી સ્મૃિત વ્યાખ્યાન ‘સોમનાથ ઃ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’નું આયોજન ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે થયું હતું. વક્તા હતા – જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હીના ઇતિહાસના ભૂતપૂર્વ પ્રોફેસર રોમિલા થાપર. ભારતીય ઇતિહાસકારોમાં રોમિલા થાપરનું ઐતિહાસિકો-બિનઐતિહાસિકોમાં ઘણું આકર્ષણ છે. પ્રોફેસર એ. એલ. બાશમ (Wonder that was Indiaના કર્તા)ના માર્ગદર્શનમાં School of Oriental and African Study, University of London U.K.માં ‘Ashoka and Decline of Maurya Empire’ પર ડૉક્ટરેટ (૧૯૫૮)થી શરૂ થયેલી તેમની સંશોધનયાત્રા Ancient Indian Social History, from Lineage to State, Culture Past, Shankuntal : Texts, Readings, Histories, Somnath : The Many Voices of History જેવા ૧૭ જેટલાં ગ્રંથો અને અનેક લેખો સુધી વિસ્તરી છે. એ દ્વારા તેમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનને રળિયાત કર્યું છે. બબ્બે વખતે તેમણે પદ્મશ્રીના નામવંતા ઇલકાબને વિવેકપૂર્ણ નકાર્યો છે. આવા કદાવર ઇતિહાસકારનું અમદાવાદમાં વ્યાખ્યાનનું આયોજન એટલે અમદાવાદના શૈક્ષણિક ઇતિહાસની એક મોટી ઘટના બનવી જોઈતી હતી, પણ ગુજરાતી સમાચારપત્રો લગભગ ચૂપ… રા.વિ. પાઠક સભાખંડમાં અંદાજે ૩૦૦ જેટલા શ્રોતાઓની શાંતિપૂર્ણ ઉપસ્થિતિ એ વ્યાખ્યાનની મહત્ત્વપૂર્ણ સફળતા. વ્યાખ્યાન પછી તેમની સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરવાની અને ફોટા પડાવવાની તો જાણે હોડ મચી હતી. કોણ કહે છે કે ભારતમાં ઇતિહાસકાર ‘હીરો’ નથી? (વર્ષો પહેલા બક્ષી (ચંદ્રકાંત) એ ભારતીય સમાજમાં ઇતિહાસકાર હીરો નહીં હોવાનું વિધાન કરેલું, તેઓએ ગુજરાતી ઇતિહાસકારોની સ્થિતિને મદ્દેનજર રાખી આવું વિધાન કર્યું હશે એવું મારું અંગત મંતવ્ય છે.)

રોમિલા થાપરે તેમના ઊંડાણપૂર્વકનાં સંશોધન અને ગજબની અર્થઘટન શક્તિના બળે વિશ્વ ઇતિહાસ લેખનમાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. (એટલે જ માર્ક્સવાદી એરિક હોબ્સબેમે તેમના ૯૫મા જન્મદિવસે તેમને નોતર્યા હતા.) પ્રોફેસર થાપરનો પ્રબળ માર્ક્સવાદી અભિગમ ફેન્ડામેન્ટાલીસ્ટોને તો ખરો જ, રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને પણ માફક નથી આવ્યો, આમ પણ સમગ્ર માર્ક્સવાદી ઇતિહાસલેખન પદ્ધતિ પણ ઘણાને માફક નથી આવતી. માર્ક્સવાદી ઇતિહાસચિંતનની લાખ ટીકા કરવામાં આવે તોપણ એ વાત તો જગજાહેર છે કે ભારતીય ઇતિહાસલેખનવિધાને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાનું કાર્ય આ શાખાના ઇતિહાસકારોએ કર્યું છે. ડી.ડી. કૌશમ્બી, રજની પામદત્ત, આર.એસ. શર્મા, નરૂલ હસન, રોમિલા થાપર, ઇરફાન હબીબ, બિપીનચંદ્ર, સુમિત સરકાર, સતીષ ચંદ્રા, હરબન્સ મુખીયા, વરુણ ડે … કેટલાં નામો ગણાવવાં?

હવે તેમના વ્યાખ્યાન પર આવીએ ગુજરાતી લેખકો (રત્નમણિરાવ જોટે – સોમનાથ, શંભુપ્રસાદ દેશાઈ, પ્રભાસ અને સોમનાથ) અને અંગ્રેજી (કૃષ્ણાકુમારી વીરજી, હિસ્ટરી ઑફ કાઠિયાવાર, ગેઝેટિયર ઑફ દ બૉમ્બે પ્રેસીડેન્સી (કાઠિયાવાર) જેવા ગ્રંથોમાં સોમનાથના ઇતિહાસ પર ફોકસ થયું છે. પરંતુ ૨૯મીના વ્યાખ્યાનમાં (અને તેમના ગ્રંથમાં) પ્રોફેસર થાપરે જે રીતે વ્યાપક ફલક પર, વૈવિધ્યપૂર્ણ સામગ્રીના સથવારે, માહિતીસ્રોતોનું અર્થઘટન કરી આ ઇતિહાસને જોયો છે તેવું પૂર્વે બન્યું નથી. તેમણે ઇ.સ. ૧૦૨૬માં બનેલી સોમનાથ મંદિરધ્વંસની ઘટનાને તેના મૂળરૂપમાં પ્રગટાવવા માટે અંદાજે એક હજાર વર્ષ સુધી સર્જાયેલી માહિતી સામગ્રીના હવાલા આપ્યા. ઉ.દા. દાખલ તુર્કી સુલતાનો પ્રેરિત-પ્રર્શિયન તવારીખો (તેમના શબ્દોમાં ભાટાઈ), અભિલેખો, સોલંકીકાલીન જૈન પ્રબંધો, સંસ્કૃત ગ્રંથો જેવા સમકાલીન સ્રોતો ઉપરાંત ૧૯મા સૈકામાં સોમનાથ મુદ્દે બ્રિટિશ સંસદમાં થયેલી ચર્ચાનોંધો વગેરે. (આપણે ત્યાં સંદર્ભસૂચિનાંય ઠેકાણાં હોતાં નથી) આ દ્વારા તેમનો હેતુ એ છે કે ઇતિહાસકારોએ કદી પણ એકપક્ષીય પુરાવાઓ પર નિર્ભર રહેવું ન જોઈએ. રોમિલા થાપરના વ્યાખ્યાનમાંથી ગુજરાતના ઇતિહાસકારો(?)એ આ શીખવા જેવું છે; કારણ કે આપણે ત્યાં ઇતિહાસલેખનનું ૯૦ ટકા કામકાજ એકપક્ષીય સ્રોતોને આધારે થાય છે છતાં તેઓ મૂળ, અસલ સ્રોતોનો ઉપયોગ કર્યા બદલ મુસ્કરાય છે અને પોતાની જાતને અભિનંદે છે. એટલે ‘ભલે થોડું લખાય, ઓછું લખવાની કોઈ સજા ન હોય, અધકચરું લખવાની હોઈ શકે!’ એ તેમના વ્યાખ્યાનનો આપણને વણમાંગ્યો બોધ.

રોમિલા થાપરના વ્યાખ્યાનનો સમકાલીન સંદર્ભ પણ મહત્ત્વનો છે. આ ઘટના મુસ્લિમ સરદારનું હિંદુ મંદિર પરનું આક્રમણ હોવા છતાં એ તાત્કાલિક ધોરણે તો કોમી પ્રશ્ન બન્યો જ ન હતો. તેમણે સમકાલીન અનુકાલીન સ્રોતસામગ્રીને આધારે મંદિર, ધ્વંસ પછી પણ બે સદી પૂજાતું રહ્યું હોવાનું સિદ્ધ કર્યું છે. એટલે મંદિરધ્વંસની ઘટનાને કોમી રંગ કયા નવલકથાકારે આપ્યો? અને અડવાણીજીની રથયાત્રાના પ્રેરણાબિંદુની તપાસ કરવી રહી. આ લખતી વખતે પંજાબી કવિ સુરજીત પાતરીની એક કવિતા મસ્તિષ્ક પર સવાર થયેલી છે ઃ
‘ઇતિહાસ તો હર પીઢી લિખેગી,
બાર બાર પેશ હોંગે મરે હુએ,
જિંદો કી અદાલત મેં હાર પહનને કે લિયે,
કભી ફૂલો કે કભી કાંટો કે,
સમય કી કોઈ આખરી અદાલત નહીં હોતી,
ઔર ઇતિહાસ કભી આખરી બાર લિખા નહીં જાતા.’

સંસ્થાનવાદી ઇતિહાસલેખનને પડકારનારા મહત્ત્વના ઇતિહાસકારો પૈકીના એક પ્રોફેસર થાપર છે. સંસ્થાનવાદી સામ્રાજ્યવાદી ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસને માત્ર તોડ્યો-મરોડ્યો જ નથી, ભારતીય પ્રજાની ઇતિહાસની સમજને ધરમૂળથી બદલવાનો પ્રયાસ પણ કર્યો હતો, અને એમાં ખાસ્સી સફળતા પણ હાંસલ થઈ હતી. સૌ પ્રથમ તો તેમણે ભારતના લાંબા ઇતિહાસમાં એવાં ઘટનાક્રમો શોધી કાઢ્યા કે જેનાથી બ્રિટિશ સામ્રાજ્યવાદને પોષણ મળે, તેને વાજબી ઠરાવી શકાય. ઉ.દા. તરીકે વી.એ. સ્મિથે ગ્રીક સિકંદરના ભારત પરના આક્રમણને વિશે લખતા History of Ancient Indiaમાં સિકંદરના આક્રમણને નિરૂપવા માટે ૭૨ પાનાંઓ રોક્યા છે. એક અધ્યાપકની ભાષામાં કહું તો ભારતના ઇતિહાસમાં સિકંદરનું આક્રમણ એ ટૂંકનોંધ કરતાં મોટો બનાવ નથી. પણ પરાધીન ભારતમાં આવા લેખન દ્વારા એક જ મુદ્દાનો કાર્યક્રમ, અને તે ‘ભારતીય પ્રજા સદીઓથી વિદેશી ગુલામી હેઠળ કચડાતી રહી છે તે દર્શાવવાનો’! આવા જ સંવેદનશીલ ઇતિહાસપ્રશ્નો – આર્ય-અનાર્ય, ભારતીય ઇતિહાસનું કાલવિભાજન, ભારત રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય આંદોલનને પડકાર (વી.શિરોલ, બેલી દંપતી, અનિલ સીલ, ગેલાધર વગેરે) હિંદનો કોમી ત્રિકોણ વગેરે સંસ્થાનવાદી ઇતિહાસલેખનની જ દેન છે. આ લાંબી સંસ્થાનવાદી ઇતિહાસકેન્દ્રી રમતોના હવાલાઓ દ્વારા તેની કેડી ક્યાંથી કંડારાઈ તે તેમણે ચીંધ્યું હતું.

કોઈપણ વ્યાખ્યાન, લેખ, પુસ્તક વાચક, શ્રોતાને અવળું-સવળું વિચારવા ન પ્રેરે તો અર્થહીન છે. મને થયેલા કેટલાક પ્રશ્નો (૧) સરદાર પટેલે ૧૨ નવે. ૧૯૪૭ની સોમનાથની મુલાકાત પછી મંદિર પુનઃનિર્માણનો હુકમ કર્યો તેની લગીરેય જીકર કેમ ન થઈ? (૨) ઐતિહાસિક ઘટના ગમે તેટલી જૂની કેમ ન હોય તેનાં મૂળિયાં મૌખિક પરંપરામાં અવશ્ય હોય છે. આવી મોટી ઘટના પછી તે પરંપરા, લોકગીતો, દુહા-છંદ, ભજનોમાં કેવી રીતે ઝીલાઈ છે તેનો ઉલ્લેખ થવો જોઈતો હતો. કારણ કે ઓરલ ટ્રેડિશનનો પોતાનો આગવો ઇતિહાસ મિજાજ હોય છે. પ્રોફે. થાપર વૈવિધ્યસભર ઇતિહાસસામગ્રીની વાત કરતાં હતા ત્યારે ઓરલ ટ્રેડિશન પણ મહત્ત્વનો માહિતી સ્રોત હોવાના નાતે આવી અપેક્ષા અસંગત નથી. (મારું નમ્ર મંતવ્ય છે કે તેમણે સોમનાથ કેન્દ્રી નવલકથાઓ વાંચવામાં સમય ખર્ચ્યો એના સ્થાને ક્ષેત્રકાર્ય કરી મૌખિક ઇતિહાસમાં ગયા હોત તો વધુ ફળદાયી રહ્યું હોત!)

છેલ્લે, આ વ્યાખ્યાન ઉપસ્થિતો અને તેનો ટૂંકસાર વાંચનારાઓની ઇતિહાસસમજ અને ઇતિહાસ સંશોધનની સમજ વિસ્તારનારું તો છે જ. ગુજરાતની બધી કેટેગરી (માત્ર નવોદિતો નહીં)ના ઇતિહાસકારોને દિશા ચીંધનારું છે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતમાં ગુજરાતમાં આજે ઇતિહાસ લેખન-સંશોધનની સ્થિતિ ઘણી કફોડી છે, ઇતિહાસકાર શબ્દ સંદિગ્ધ બનતો ચાલ્યો છે, અમે ઇતિહાસકારો ઇ.સ. ઇ.સ.પૂ.માં રાચ્યા કરીએ છીએ. જૂની મૂડી પર વ્યાપાર અને ઘેન ચડે એવાં લખાણો લખવાના અમે આદી બની ગયા છીએ, સરવાળે ગુજરાતના ઇતિહાસલેખનની આવતીકાલ ધૂંધળી ભાસે છે તે સંજોગોમાં આવાં વ્યાખ્યાનો, પુસ્તકો દ્વારા ‘પાકા ઘડે ભલે કાંઠા ન ચડે’ પણ આવનારી પેઢીમાં

ઇતિહાસ અને ઇતિહાસ સંશોધનમાં ચોક્કસ રસ પેદા થશે.

ઇતિહાસ વિભાગ, ગુજરાત યુનિ. સમાજવિદ્યા ભવન, અમદાવાદ ૯

(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)

Loading

...102030...4,1154,1164,1174,118...4,1304,1404,150...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૯ (સાહિત્યવિશેષ : ગાયત્રી સ્પિવાક)
  • કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે
  • જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ – આરુષિ અને મેઘાની વાર્તા
  • દલિત સાહિત્ય અંગે પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન
  • ટ્રમ્પ, ગુલામીનો ઇતિહાસ, ભેરપ્પા અને ‘આવરણ’ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved