Opinion Magazine
Number of visits: 9522606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત એક નોખા ગામની, એવું તે શું છે આ ગામમાં ?

--, રાજેન્દ્ર શુક્લ|Samantar Gujarat - Samantar|31 March 2013

સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. 'સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય છે તો તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી. બપોરે દુકાન ખુલ્લી મૂકીને વેપારી જમવા ચાલ્યા જાય છે.

ગ્રાહક આવે તો પોતાને જોઈતી વસ્તુ લઈને તેની કિંમત ગલ્લામાં મૂકી દે છે. ગુટખાવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી, પણ રાજસમઢિયાળામાં ગુટખા વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી. ગ્રામપંચાયતની દુકાને રાહતભાવનું કેરોસીન વેચાય છે, પણ કેરોસીન લોકો જાતે લઈ લે છે. કોઈ ચોરી કરતું નથી. થોડાં વરસો પહેલાં ગામમાં ચોરી થઈ હતી. બીજા દિવસે એક ભાઇએ ગ્રામપંચાયતમાં ચોરીની જાહેરાત કરી કે તરત તેમને વળતર પેટેના સાઠ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા.

આ તમામ વાતોનો સઘળો જશ રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાને જાય છે. એમ.એ.નું ભણીને એસઆરપીમાં જોડાયેલા હરદેવસિંહ જાડેજાનું મન અકળાયું એટલે નોકરી છોડી દઈ ગામની વાટ પકડી લીધી, પણ એ પછી તેમણે ગામને એવું કંડાર્યું કે બીજાં ગામો રાજસમઢિયાળાના માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે. "હિ‌ન્દુસ્તાન"ના પત્રકાર વિજેન્દ્ર રાવતે તો લખ્યું પણ ખરું કે ભારત કે ઈસ ગાંવ કે પદચિહ્નો પર ચલેં તો દેશ કે ગાંવો કા ઉદ્ધાર નિ‌શ્ચિ‌ત હૈ.

હરદેવસિંહ જાડેજા ૧૯૭૮માં આ ગામના સરપંચ બન્યા પછી આ ગામે આખા ભારતભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

સરપંચ બન્યા પછી હરદેવસિંહે કચરો નાખવાનો, જુગાર રમવાનો, દારૂ પીવાનો કે ઝઘડા વખતે પ્રથમ ગાળ બોલનારાને દંડ કરવાનો નિયમ કર્યો અને પ્રથમ વરસે ૩૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો. 'ભૂવા નાબૂદી’નું સૂત્ર આપ્યું. બાળકદીઠ એક વૃક્ષ વાવવાનો નિયમ કર્યો અને તેના કારણે ગામની ફરતે ઘટાદાર વૃક્ષો ઉગાડાયાં. ઘરો ઉદ્યાન જેવાં બની ગયાં. તમે રાજસમઢિયાળા જાઓ તો હરદેવસિંહ જાડેજા ગ્રામપંચાયતની ઓફિસેથી સીધા જ હરિજનવાસમાં લઈ જાય અને કોઈ રિર્સોટ જેવો હરિજનવાસ જોઈને આભા થઈ જવાય. હરદેવસિંહે ગામ ફરતે પાળા કરાવીને વહી જતું પાણી રોકાવ્યું. તેને કારણે ગામ અને જમીનનાં તળ સુધર્યાં. પાણીની છૂટ થઈ ગઈ.

રાજસમઢિયાળાની વસતિ પૂરા બે હજાર માથાંની નથી, પણ તે વાર્ષિ‌ક ૩પ,૦૦૦ મણ ઘઉં અને સાત હજાર મણ કપાસનું વાવેતર મેળવે છે, બીજા પાક જુદા. વરસે પચાસ લાખથી વધારે કિંમતનાં તો આ ગામ શાકભાજી વેચે છે. અહીં ગામના દરેક વોકળા પર ચેક ડેમ બનાવી લેવામાં આવ્યા છે. એને કારણે ચોમાસાનું પાણી તળમાં ઊતરે છે. ગામની સીમમાં ધીમે ધીમે કરતાં પ૧,૦૦૦ વૃક્ષો પણ વાવ્યાં છે.

લોકોનું તો એવું છે કે ફાયદો જુએ તો શ્રદ્ધા બેવડાઈ જાય. હરદેવસિંહ જાડેજાને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું, એટલે તેમને ખોબલે ખોબલે સહકાર મળવા માંડયો. હરદેવસિંહની ઇચ્છા સ્ટેડિયમ બાંધવાની હતી તો ગામલોકોએ સામેથી જમીન આપી દીધી. સ્ટેડિયમમાં ક્રિકેટની પાંચ ટર્ફ વિકેટ બનાવવામાં આવી છે. હરદેવસિંહ જાડેજા કહે છે, 'આ સ્ટેડિયમ પહેલાં અમે ગામના દરેક ઘરની પ્રાથમિક સુવિધાની દેખભાળ કરી હતી. અમારા આખા ગામમાં અત્યારે સિમેન્ટના રસ્તા બની ગયા છે. હવે અમે પ્લાસ્ટિક નાબૂદીની ઝુંબેશ ઉપાડી છે. પ્લાસ્ટિકનો કચરો ફેંકે તેને પ૧ રૂપિયા દંડ અને જેના ઘર પાસે એ કચરો પડયો હોય તેનો અગિયાર રૂપિયા દંડ અમે લઈએ છીએ.

મારે રાજસમઢિયાળા ફરતે એક લાખ વૃક્ષો વાવવાં છે એટલે તેનો ટાર્ગેટ બધાને આપી દીધો છે. મારો ટાર્ગેટ સૌથી મોટો રાખ્યો છે. મારી જમીનમાં હું દસ હજાર વૃક્ષો વાવવાનો છું. પાંચ હજાર જેટલાં જામફળ અને સીતાફળ તો વાવી દીધાં છે. ૩પ૦ આંબા વાવ્યા છે.’

રાજસમઢિયાળાની સમૃદ્ધિ જોઈને તેની આજુબાજુનાં પંદરેક ગામો પણ તેને પગલે ચાલવા માટે તૈયાર છે. ખોબડદળ, અણિયારા, લીલી સાજડિયાણી, ભૂપગણ, લાખાપર, ત્રંબા જેવાં આ ગામોમાં ૧૩૦ જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. લીલી સાજડિયાણી ગામમાં સરપંચની ચૂંટણી નહીં, પણ પસંદગીથી ચૂંટાશે એવો નિર્ણય લેવાઈ ગયો છે.

જ્યાં પસંદગી હશે ત્યાં જ ગામનો વિકાસ ઝડપથી થશે એવું માનતા હરદેવસિંહ જાડેજાને આજથી દશ વરસ પહેલાં અમે પૂછેલું કે તમારા ગામ માટે છેલ્લે નવું શું કર્યું એ કહો? તો તેમણે કહ્યું કે, 'ઉપગ્રહ મારફત મળેલી તસવીરોમાં જિયોલોજિક સર્વે કરાવીને અમે વર્ષો અગાઉ થયેલા ધરતીકંપથી થયેલી તિરાડો (ફ્રેક્ચર) શોધીને તેમાં પાણી ઉતાર્યું છે, એ કારણે અમારા ગામનાં તળ એક કિલોમીટર જેટલે ઊંડે સુધી પાણીવાળાં બન્યાં છે. આ દુષ્કાળમાં પણ અમારા ગામના એક કૂવામાં (ઉપરથી) દસ ફૂટ પાણી હજુ આજે પણ છે.’

ગામલોકો પાણી બતાવે તો પાણી એ કોઈ સમસ્યા નથી.

[એક પ્રેસ રિપોર્ટરના લેખ પરથી]

Loading

અમેરિકી પ્રતિનિધિમંડળ : ગુજરાત મોડેલ, બધે મનમુરાદશાહી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 March 2013

– 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ અને 'મેક્સિમમ ગવર્ન્મેટન્ટ’ના મોદીમંત્રની ખૂબ તારીફ કરી ગયું

ધુળેટી સરખા લોકતહેવાર નિમિત્તે પોરો ખાઈ શુક્રવારની સવારે છાપાં પ્રગટ્યાં તે દરમિયાન ગ્રામીણ ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી એક અજબ જેવી હોળી ખેલાઈ ચૂકી હતી : ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ૨૦૧૩ ઉપર રાજ્યપાલની સહી થઈ જતાં તે વિધિવત્ કાનૂન બને છે. સાંસ્થાનિક વારાના, છેક ૧૮૭૯ના કાયદાને બદલવાના ઇરાદા સાથે આવેલું આ પ્રજાસત્તાક સ્વરાજ અને લોકશાહી કાળનું ૨૦૧૩નું પગલું વસ્તુત : 'નહેર અધિકારી’ નામની નવી સંરચના સાથે પોલીસથી અદકા અધિકારોપૂર્વક ગુના અને સજાની તેમ જ વોરન્ટ બજાવી શકવાની અમર્યાદ સત્તા ઊભી કરે છે. આ એક એવી મનમુરાદશાહી હોવાની છે જેની સામે અપીલના અવકાશની ન્યાયિક જોગવાઈ પણ કાયદેસર હોવાની નથી. પાણી સરખા કુદરતી સંસાધનનો સુવાંગ માલિકવટો આ સાથે ખેડૂત કનેથી 'નહેર અધિકારી’ નામના સરકારી ઈજારદાર હસ્તક જાય છે. રાજ્ય સરકાર, પોતાની મુનસફી મુજબ અગર તો, કહો કે, મરજીમાં આવે તેમ કોઈ પણ જળાશય, નહેર, કાંસ વગેરેના પાણીના ચાલુ ઉપયોગને બદલીને પોતાને ઠીક લાગે તે રીતે નવેસર વાપરી શકશે.

બીજા શબ્દોમાં, જળજીવી જનસાધારણને ભોગે પાણી નફાકારક ઉદ્યોગો તરફ વાળવાની એ રીતે સરકાર અને કોર્પોરેટ સાંઠગાંઠથી માંડીને ખુદ સરકારના કોર્પોરેટીકરણની પ્રક્રિયાને (ખરું જોતાં વિક્રિયાને) વેગ મળશે … અને આ બધું 'સાંસ્થાનિક કાયદા’ને બદલે પ્રજાસત્તાક સ્વરાજના કાયદાને નામે સામાન્યપણે સ્વતંત્ર ભૂમિકા લઈ ચોક્કસ બાબતોમાં રાજ્ય સરકારને ધીમા પાડવાની (ખરું જોતાં સ્વસ્થ પુનર્વિ‌ચારની) તક આપવા માટે જાણીતાં રાજ્યપાલે આ કિસ્સામાં જાહેર આશંકા છતાં કેમ તત્કાળ સહી કરી હશે? કદાચ, જે તે મુદ્દે કારણ-અકારણ અગર તો સકારણ હોય ત્યારે પણ કેન્દ્ર સામે કાગારોળ કરવાના રાજ્ય સરકાર એટલે કે સત્તાપક્ષના વ્યૂહને વળી એક ઓર નિમિત્ત નહીં આપવાની ગણતરી કામ કરી ગઈ હોય એમ બને. જો કે, 'કેન્દ્ર વિ. રાજ્ય’નો સિનાર્યો ગુજરાતના વર્તમાન નેતૃત્વના સંદર્ભમાં વિશેષ ઊહાપોહ અને સવિશેષ સતર્કતા માગી લે છે, પણ એની ચર્ચા વિપળ વાર રહીને.

ગમે તેમ પણ, સિંચાઈ કાયદા સાથે સરકાર હસ્તક મનમુરાદશાહીનું જે માનસ પ્રગટ થાય છે તે કોઈ એકાકી અને નિ:સંગ ઘટના નથી, એ નોંધ્યું તમે? બેસતે એપ્રિલે ગૃહમાં ૧૯૮૬ના લોકાયુક્ત અધિનિયમને સ્થાને જે નવો કાયદો (અલબત્ત, વિધેયક રૂપે) લવાઈ રહ્યો છે એમાંથી પસાર થઈએ (તેમ જ આ હિ‌લચાલની પૃષ્ઠભૂનોયે ઝડપી ખયાલ કરી લઈએ) તો પણ રાજ્ય સરકારની મનમુરાદશાહી માનસિકતા છતી થયા વગર રહેતી નથી. લોકાયુક્ત માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ સૂચિત જોગવાઈ મુજબ મુખ્યમંત્રી હોવાના છે. મુખ્યમંત્રીએ જેમને નીમવામાં અગ્રભૂમિકા ભજવી હશે તે લોકાયુક્ત મુખ્યમંત્રી સામે કેવી રીતે પગલાં ભરી શકશે, કોઈ તો કહો ૧૯૮૬ના અધિનિયમમાં (જે ત્યારના વિપક્ષ એટલે કે ભાજપની સહમતીપૂર્વક બન્યો હતો એમાં) રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ‌ અને રાજ્યપાલની ભૂમિકા આગળ પડતી હતી. એકની નિર્ણાયક, બીજાની મહત્ત્વપૂર્ણ. પણ સૂચિત લોકાયુક્ત બાબતે સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી મુખ્ય ન્યાયમૂર્તિ‌ અને રાજ્યપાલ બેઉની ભૂમિકામાં આવી જશે.

લોકાયુક્ત વિધેયક, ૨૦૧૩ની વિશેષ ચર્ચામાં નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે 'રાજ્યપાલ એટલે મંત્રીમંડળની સહાય અને સલાહ પર કામ કરતાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ’ એવી અધોરેખિત અને ડંકેકી ચોટ સફાઈ એમાં કરાઈ છે. ૧૯૮૬માં જે સમજથી ત્યારના સત્તાપક્ષે (કોંગ્રેસે) મુખ્યમંત્રીને માપમાં રાખ્યા હતા, એની સામે મુખ્યમંત્રીના અમાપ અધિકારની આ અતિરેકી ચેષ્ટામાં બીજું શું વાંચીશું, સિવાય કે સરકારી મનમુરાદશાહી. શુક્રવારનાં ઊઘડતાં છાપાં ગુજરાત યુનિવર્સિ‌ટીઓ કાયદા (સુધારા) વિધેયક, ૨૦૧૩નાં યે વધામણાં લઈને આવ્યા છે. શિક્ષણમંત્રી ચુડાસમાએ વિધેયકના ઉદ્દેશો અને કારણોમાં કરેલા ખાસ મુદ્દો તમામ કાયદામાં સમાન (એકસરખી) જોગવાઈઓનો છે. કામન યુનિવર્સિ‌ટી એકટ પાછળ રહેલ લાજિક (બલકે સાઇકોલોજી) શું છે તે સમજવા વાસ્તે એટલો એક જ સંકેત બસ થશે કે અગાઉના કાયદાઓમાં જ્યાં જ્યાં કુલાધિપતિ એટલે કે રાજ્યપાલની જિકર છે ત્યાં ત્યાં બધે 'રાજ્ય સરકાર’ એવો ફેરફાર કરવાનો છે.

ટૂંકમાં, જેને 'ગુજરાત મોડેલ’ કહીને પીઆર પાંચજન્યવાળી ચાલે છે એની વાસ્તવિકતા સરકારની ઓર અને ઓર મનમુરાદશાહી માત્ર છે. એક તો 'વિકાસ’ તળે ઉપર તપાસ માગી લે છે અને એમાં સરકારમાત્રનાં આપખુદ વલણોમાં વળી વળીને વળ ચઢાવતી આ પેરવી 'ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી’ થકી પ્રાયોજિત અમેરિકી પ્રતિનિધિમંડળ (જેના નેતા અમેરિકામાં એથિક્સ વિશેની હાઉસ કમિટીની ક્ષ-તપાસ હેઠળ છે) અહીં આવી ગયું અને 'મિનિમમ ગવર્ન્મેટન્ટ’ તેમ જ 'મેક્સિમમ ગવર્નન્સ’ – સરકાર માપમાં અને સુશાસન અમાપ -ના મોદી મંત્રની તારીફ કરી ગયું એવો હેવાલો છે. ભલા, આ ત્રણે કાનૂન પગલાં મેક્સિમમ, રિપીટ, મેક્સિમમ ગવર્ન્મેટન્ટના બોલતાં નિદર્શન છે, એટલું તો સમજો. હશે ભાઈ, એ તો ધંધો કરવા આવેલ જમાત છે. એક બાજુ માનવ અધિકારનાં ઊંચાં નવયુગી ખેંચાણો અને બીજી બાજુ જુગજૂના ધંધાદારી તકાજા બેઉની વચ્ચે બચાડા માર્યા ફરે છે. એમની એ એક અભિશપ્ત નિયતિ હોઈ શકે છે, પણ વિવેકબૃહસ્પતિ ગુજરાતે આ બધું જોયું ન જોયું કરવું, એવું કોણે કહ્યું?

(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 30.03.2013)

Loading

લોકતંત્ર સામે ઊભા થયેલા નવા પડકારો

સનત મહેતા|Samantar Gujarat - Samantar|27 March 2013

ગઠબંધનની મજબૂરી: પક્ષો તરફથી અજમાવાઈ રહેલી રાજનૈતિક ચાલબાજી અને સત્તાની ભૂખ રાષ્ટ્રને જોખમમાં મૂકે છે

વિશ્વમાં રાજાશાહી અને સામંતવાદનો અંત આવ્યો અને લોકતંત્રનો ઉદય થયો. એ ઐતિહાસિક ઘટનાએ સામાન્યમાનવીના યુગનો આરંભ કર્યો. લોકતંત્રના વિકાસના કારણે જ દરેક પુખ્ત માનવીને સ્ત્રી કે પુરુષને ધર્મ, જાતિ, રંગ કે ભાષા એવા કોઈ ભેદભાવ વગરનો હિ‌સ્સો, મતાધિકારને કારણે મળ્યો. જેમ જેમ લોકતંત્ર મજબૂત બનતું ગયું એમ માનવજાતને એના વાણી, લેખન, વિચારની સ્વતંત્રતા વધુને વધુ ચોક્કસ સ્વરૂપે મળતી થઈ. હવે આગળ ચાલીને એને શિક્ષણ, આરોગ્ય, માહિ‌તી, અન્નનો અધિકાર મળવા લાગ્યો છે.

ભારત દોઢસો વરસ, સામ્રાજ્યનું ગુલામ બનીને જીવ્યું અને ભારતને એમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા એક નવા પ્રકારનું અહિંસક હથિયાર મહાત્મા ગાંધીએ આપ્યું અને અહિંસાના રસ્તે ભારત આગળ વધ્યું પણ ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ઘ સમયે ધીરજ ખૂટી અને આવા અહિંસા અને સત્યને વરેલા ગાંધીએ પણ કહેવું પડયું 'બ્રિટિશો-હવે ભારત છોડો’ 'કવીટ ઇન્ડિયા’ અંગ્રેજોએ બહુ દલીલો કરી કે 'તમે ભારત સંભાળી નહીં શકો’ ત્યારે પણ ભારત વતી ગાંધીએ કહેવું પડેલું 'તમે ટળો અમને અમારા ભાગ્ય પર છોડી દયો’ જતાં જતાં અંગ્રેજ મુત્સુદ્દીગીરીએ ભારતના ભાગલાનો પાસો ફેંકયો. ગાંધીની અનિચ્છા છતાં ભાગલા પડયા. ૧૯૪૬-૪૭ના રક્તપાતના દિવસો જોતાં એમ લાગતું હતું કે ભારતમાં હિ‌ન્દુ-મુસ્લિમ એકબીજા આપસમાં કપાઈ મરશે. પણ ચમત્કાર બન્યો. ભારતની ખુદ રાજધાનીમાં ગાંધીની ગોળી મારી હત્યા કરાઈ.

ગાંધીની વિશાળ છાતીમાં લાગેલા ગોડસેની ગોળીના ત્રણ ઘામાંથી વહેલા 'નિર્દોષના રક્તે’ બધા વેર-ઝેર જાણે ધોઈ નાખ્યાં. કાલની ઘડીને આજનો દિવસ આજે ૬પ વરસથી ભારતનું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર એવું ન એવું ધબકે છે. ઊલટું ૬પ વરસે વિશ્વમાં એવું, જ્યાં વંચિતો વધુ વસે છે ત્યાં લોકતંત્ર મજબૂત છે અને જ્યાં અમીરો આજસુધી વધુ વસ્યા તે યુરોપ, જાપાન, અમેરિકા જેવાં રાષ્ટ્રો આજે નર્બિળ બની રહ્યાં છે. વિશ્વભરના અર્થશાસ્ત્રીઓને આજે હવે વિશ્વ, 'નવોદય-એમર્જિંગ’ રાષ્ટ્રોના હાથમાં છે એમ કબૂલવું પડયું છે. સમાનતાની અહાલેક જગાડનાર સોવિયેટ રૂસ ડઝનથી વધુ રાષ્ટ્રોમાં વિઘટન થઈ લોકતંત્રને વિસારે પાડી ચૂક્યું છે. ખુદ આરબ અને મુસ્લિમ દેશોમાં આરબ વસંતની લોકતાંત્રિક લહરીઓ ફેલાઈ રહી છે. આ લાંબો ઇતિહાસ બતાવે છે કે ભારતના લોકતંત્રને વિશાળ ગરીબી ઉની આંચ પહોંચાડી શકી નથી. પણ રાજકીય પક્ષો તરફથી અજમાવાઈ રહેલી રાજનૈતિક ચાલબાજી અને સત્તાની ભૂખ લોકતંત્ર માટે ગંભીર પડકારો પેદા કરી રહી છે.

કારણ, સાવ સાદું, સીધું છે- ભારતની સ્વતંત્રતાનાં ૪૦ વરસ સુધી લોકતંત્ર લગભગ બે કે ત્રણ- ચાર પક્ષીય ઢબનું રહ્યું. દેશનું નેતૃત્વ રાષ્ટ્રીયકક્ષાના આગેવાનોના હાથમાં રહ્યું. આ નેતૃત્વ રાષ્ટ્રીય રંગે રંગાયેલ અને રાષ્ટ્રીય ભાવનાથી સરભર હતું. પોતાનો કે પોતાના રાજ્ય કે પોતાના ધર્મ કે જાતિ કે ભાષા બધાથી ઉપર રાષ્ટ્રનો વિચાર પ્રથમ થતો. ધીમે ધીમે રાષ્ટ્ર ઘડતરના આ પ્રવાહો મંદ પડતા રાષ્ટ્રસ્તરના નેતાઓની જગા રાજ્ય કે પ્રદેશસ્તરના આગેવાનો લેવા માંડયા છે. પ્રારંભનાં વરસોમાં વિરોધપક્ષે જયપ્રકાશ નારાયણ, રાજગોપાલાચારી, આંબેડકર કે જ્યોતિબસુ કે ડાંગે જેવા આગેવાનો હતા.

કોંગ્રેસ પક્ષે, ૧૯૯પમાં સો વરસ પૂરાં કર્યાં. સ્વાભાવિક જ આટલો જૂનો પક્ષ એવા સ્તરનું રાષ્ટ્રીય નેતૃત્વ આમેય જાળવી શકે એવું બનવું અઘરું છે. એમાં પણ સીતારામ કેસરી જેવા પ્રમુખ થઈ શકયા છે. આમેય ભારતનું રાજકીય પોત પાતળું ને વધુ પાતળું થવા લાગ્યું હતું. સત્તા બહાર પણ નેતૃત્વ આપે એવા- વિનોબા ભાવે, દાદાધર્માધિકારી કે એવા સમાજ સુધારકો રહ્યા ન હતા. અલબત્ત, રાષ્ટ્રીય નેતૃત્વને રાષ્ટ્રીયસ્તરે પડકાર ન મળ્યો પણ પ્રદેશ કે રાજ્યસ્તરના કોંગ્રેસ સામેના ચુનાવી પડકારોમાંથી એવું બનવા માંડયું રાજસ્તરે શક્તિશાળી રાજનેતાઓનો મોટો ફાલ આવ્યો. કોંગ્રેસ સામેના ઉત્તરપ્રદેશના પડકારમાંથી માયાવતી, મુલાયમસિંહ ઉપર આવ્યા. બિહારના પડકારમાંથી નીતિશકુમાર, શરદ યાદવ, રામવિલાસ પાસવાન કે લાલુ યાદવ આવ્યા. પં.બંગાળમાં ડાબેરીઓના લાંબા શાસનને પડકારી મમતા બેનર્જી આવ્યાં.

તાલિમનાડુમાં કોંગ્રેસની જગા કરુણાનિધિ કે જયલલિતાએ અને ઓરિસામાં પિતાનો વારસો નવીન પટનાયક પાસે આવ્યો. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને બાળાસાહેબ ઠાકરે આવ્યા. એક તરફ રાજસ્તરના બળવાન રાજનેતા આવ્યા તો બીજી તરફ કોઈ એક રાજકીય પક્ષને બદલે બહુપક્ષીય જોડાણો સત્તા પર આવ્યાં. એન.ડી.એ., યુ.પી.એ., યુ.ડી.એફ. વગેરે. સંસદમાં દસથી ઓછી સંખ્યા ધરાવતા પક્ષો પણ પોતાનું ધાર્યુ કરાવવા લાગ્યા. બહુપક્ષી જોડાણવાળી સરકારો યુરોપીય દેશોમાં વરસોથી છે. પણ આવા દેશોમાં આ રાજકીય પક્ષો રાષ્ટ્રથી ઉપર જવાની ભાગ્યે જ કોશિશ કરે છે. પણ, ભારતમાં બનેલા ત્રણ-ચાર બનાવો જોતાં લાગે છે કે આપણાં સમવાયી બંધારણની મર્યાદાઓ ઉવેખાઈ રહી છે. પોતાની બહુપક્ષીય સરકારને જોખમમાં મૂકવાની શક્તિનો ઉપયોગ કરી કરુણાનિધિ લંકા સાથેના ભારતના સંબંધો નબળા બનાવવા સુધી પહોંચે તો કેવાં પરિણામ ભોગવવા પડે? શ્રીલંકામાં બેચાર વરસથી ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે. એ ચીનના હાથમાં શ્રીલંકાનાં બંદરો આવે તો ભારતના સંરક્ષણને અસર ન પહોંચે?

વિકાસના ખાસ પેકેજ માટે કરાયેલ દિલ્હીના રામલીલા મેદાનની બિહારની રેલી આજે દિલ્હીના તખ્તની વાત કરે છે. આવતીકાલે પૂરથી કરાતી બિહારની તારાજીના બહાને નીતિશકુમાર નેપાળ સાથેના સંબંધો લગતી કોઈ માગ માટે ભારતની વિદેશનીતિમાં ફેરફાર કરવાની માગણી કરે તો? પ.બંગાળમાં સત્તા હાંસલ કર્યા પછી બાંગલાદેશ સાથે વડાપ્રધાનની તીસ્તા નદીઓનાં પાણી અંગેની સમજૂતી બાબતમાં મમતાએ આવું વલણ અખત્યાર કર્યું હતું ને? જેમ પેકેજના બહાને બંગાળ, બિહાર આવું કરી શકે; કરુણાનિધિ શ્રીલંકાની બાબતમાં રાષ્ટ્રને બદલે તાલીમના મતની વધુ ખેવના કરી શકે તો આવતીકાલે કચ્છના અખાતના કોરી ક્રીક વિસ્તાર સાથેની પાકિસ્તાન સાથેની સમજૂતીમાં ગુજરાતના નરેન્દ્ર મોદી એવું નહીં કરે એની શી ખાતરી? રાષ્ટ્રીય નેતાઓની જગા જ્યારે પ્રાદેશિક કે રાજ્યોના નેતાઓ લે છે ત્યારે આવું બનવાની શકયતા વધી જાય છે. સત્તાની ભૂખમાં રાષ્ટ્રીય પોત પાતળું બનવાય તો રાષ્ટ્ર જોખમમાં આવી પડે.

સનત મહેતા: લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 27.03.2013)

Loading

...102030...4,0914,0924,0934,094...4,1004,1104,120...

Search by

Opinion

  • આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન
  • અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  
  • અદનો કર્ણ
  • નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ …
  • લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved