Opinion Magazine
Number of visits: 9527083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકી ખજૂરની પેશી જેવું

વિજય શાહ|Opinion - Short Stories|27 June 2013

 ચેટીંગ ઉપર ચૈતાલી લખતી હતી, ‘પ્રમોદા બ્લડ કેન્સરનાં અંતિમ તબક્કામાં છે. હું ભારત જાઉં છું. .. ‘

સહિયર નીકીતા જોઈ શકતી હતી કે આટલો સંદેશો લખતાં પણ ચૈતુનાં આંસુ છલકતાં હતાં ..

નીકીએ પૂછ્યું, ‘ચૈતાલી .. કહે તો ખરી, શું થયું?’

‘ગઈ કાલે વિવેકને ફોન કર્યો હતો અને પ્રમોદાની ખબર પૂછતાં તો તે રડી પડ્યો. રડતાં રડતાં તે બોલ્યો. ‘બહેન, એના રિપોર્ટ હજી હમણાં આવ્યા છે. તે બ્લડ કેન્સરનાં અંતિમ તબક્કામાં છે. તેની પાસે ભાગ્યે જ ૧૫ દિવસ હશે.’

‘પછી?’ નીકીતાએ પૂછ્યું.

‘તને તો ખબર છે ને કે પ્રમોદા કેટલી સંવેદનશીલ છે ?  વિવેક કહે, ચૈતુબહેન તમે આવો પછી જ તેને સમાચાર આપીશું.’

‘મારો ય જીવ બળી ગયો.’

‘હા .. જેમને જાણ થતી જાય છે, તે સૌ દિલાસોજી સંદેશ પાઠવે છે, અને તેમ કરીને મને હૈયાધારણ બંધાવે છે. કહે છે કેન્સર એટલે કેન્સલ જ …’

‘હા પણ ત્યાં તું રડતી જઈશ એટલે તેને ખબર તો પડી જ જશે ને?’

‘ના હમણાં તો એવું નક્કી કર્યુ છે કે વિવેક્ને ત્યાં અત્યારે મારા સિવાય બધાં ભાઈબહેન પ્રમોદા સાથે છે. તેનું બ્લડ દર ચોથે દિવસે બદલાય છે અને તેને એટલી જ ખબર છે કે વિવેક તેના વજન ઘટવાની બિમારીનો ઇલાજ કરાવે છે.’

‘પણ તેને અંધારામાં રાખીને વિવેક શું કરવા માંગે છે?’

‘એ જ જે મોટોભાઈ નાની બહેનને થોડા દિવસ આનંદમાં રાખી શકે.’

ચેટ ચાલતી હતી, પણ નીકીતાને આ વાત જચતી નહોતી. તેથી તેણે કહ્યું, ‘પ્રમોદાના વિવેક્ભાઈ ઉપરના વિશ્વાસનો દુરુપયોગ થાય છે. વિવેક્ભાઈએ તેની સાથે તેના રોગની જે પરિસ્થિતિ હોય તે કહી દેવી જોઇએ..

‘નીકી, એટલે તો હું તાબડતોબ જાઉં છું. પ્રમોદાને આ સમાચાર આપવા સહજ નથી, અને બધાં ભાઈબહેનોની હાજરીમાં કહીશું.’

‘મને પ્રવીણમાસાની વાત યાદ આવે છે … જેમાં એમના કુટુંબીજનોએ તેમની સાથે રાજી રહેવાની રમત આદરી હતી. જો કે તેમને તો જાણ થયેલી હતી કે તે હવે બે મહિનાના મહેમાન હતા. પણ તેમના તબીબ ઇચ્છતા હતા કે તેમનો અંતિમ સમય શ્રેષ્ઠ જાય.’

‘પછી ?’

‘તેઓ માનતા કે દર્દીને રોગની ગંભીરતા સમજાયા પછી, આજુબાજુનાં સગાંવહાલાંઓ તેને તે દિવસ એક યા બીજી રીતે યાદ કરાવી, સમયથી વહેલાં મારી નખતા હોય છે.’

‘એ કેવી રીતે ?’

‘તેમને મળવા આવનારા માણસો રોકકળ કરી, તેમને ભૂલવા જ ન દે કે તેમનું મૃત્યુ નજીક છે. તારી જગ્યાએ હું હોંઉ તો તેની પાસે રોકકળને ફરક્વા જ ન દઉં.’

‘હં .. શક્ય છે ..’

‘કેન્સર એટલે કેન્સલવાળી વાત, આજના જમાનામાં ખોટી છે. કેટલા ય ઉપાયો છે, કેટલી યે રસીઓ નીકળે છે, જે જીવન વધારે છે. અથવા મૃત્યુને પાછું ઠેલે છે.’

‘પણ એમ કહી, ઠાલું આશ્વાસન જ આપવાનું ને ?’

‘ના. એમ કહી, તેમના આયુષ્યની દોરને યોગ્ય સમય આપીએ છીએ …’

‘પ્રવીણમાસાની વાત કર ને ? એ રમતને અંતે શું થયુ ?’

‘ડોક્ટરના આશ્ચર્ય વચ્ચે, તેઓ બે મહિનાને બદલે અઢી વર્ષ જીવ્યા … ડોક્ટર જે કંઈ કહે છે, તે તેમના પાછલા અનુભવો પરથી કહે છે .. પણ તે અનુભવ દરેક વ્યક્તિ દીઠ અલગ હોય છે. અને તે શક્યતઃ એક અંદાજો હોય છે. જાણે અજાણ્યે વિવેક્ભાઈ તે અનુભવો કહે છે. પ્રયત્ન થાય તો પ્રવીણમાસાની જેમ તેનું આયુષ્ય વધી પણ શકે. અને તે સમય દરમ્યાન, તેની માવજતના અતિ આધુનિક ઉપચારો પણ શક્ય બને.’

ચૈતુ ચેટીંગ તો કરી રહી હતી, પણ તેનું મન નીકીની દરેક વાત માનવા ચાહતું હતું. પણ વિવેક બોલ્યો એટલે તે બ્રહ્મ વાક્યવાળી જડ માન્યતા તેને ઉદ્વેગ પ્રેરતી હતી. નીકીની વાતોએ તેનામા દ્વિધા જન્માવી.

‘ભલે, તારી વાતો માટે આભાર ..’ કહી ચેટ પૂરી કરી.

ડલાસથી ઓહાયો ડોક્ટર દીકરા પ્રતીકને ફોન જોડીને ચૈતુએ પૂછ્યું, ‘પ્રતીક, પ્રમોદામાસીની જિંદગી િવેવેકમામા કહે છે તેવા તેનાં ચિન્હો પ્રમાણેથી વધારે હોઈ શકે ?’

પ્રતીક કહે, ‘મમ્મી ! અમે તે વિષયમાં ભણ્યા એટલે અંદાજ આવી શકે .. પણ અમે ભગવાન નથી, કે નથી જ્યોતિષ કે તારીખ અને ચોઘડિયું જોઇને ભાખી શકીએ !’

‘હા, હું એ જ વિચારતી હતી કે મૃત્યુ વિશે આવું સચોટ ભાખી કેવી રીતે શકાય ?’

‘મમ્મી, મને ખબર છે કે તમે જરૂર કંઈક હકારાત્મક વિચારતા હશો .. જે વિચારો છો તેને અમલમાં મુકતા અચકાશો નહીં .. ઘણી વખત દવા કરતાં દુઆ વધુ અસર કરે છે ..’

‘ના હું તો તેની જિજીવિષાને બળ દેવાની છું. … અને મને ખબર છે અણી ચુક્યો સો વરસ જીવે.’

‘હા મોમ, તમે સાચા છો. પેશંટનો હકારાત્મક અભિગમ ડોક્ટરને વધુ સફળ અને અસરકર્તા બનાવતા હોય છે.’

પ્રમોદાને મૃત્યુ નજીક હોવાની જાણ કરવાનો મતલબ છે કેન્સરગ્રસ્તને નિરાશાનાં જંગલમાં ધકેલવાની. ચૈતાલીને પોલી આનાની વાર્તા યાદ આવી .. હા. દરેક નકારાત્મક ઘટનામાંથી હકારાત્મક બાજુઓને શોધી, દુનિયાને ખુશ કરતી પોલી આના પોતાની નકારાત્મક ઘડી આવી, ત્યારે નિરાશ થઈ. પણ સૌ મિત્રોએ એને કહ્યું કે રાજી થવાની રમત તેઓ શીખ્યા, તેથી તેઓ આજે રાજી છે … આ રમત પ્રમોદાને કેવી રીતે શીખવીશ ?

ચૈતાલીની આંખો પ્રમોદા સાથે વિતાવેલા દિવસોને યાદ કરી કરી આંસુઓ સાથે ખરતી હતી.

અને અંતે તે કસોટીનો દિવસ આવી ગયો .. જ્યારે ૨૪ કલાકનાં ઉડ્ડાન પછી ચૈતાલી પ્રમોદાની સામે હતી …

ખૂબ પ્રસન્નતા સાથે પ્રમોદાને ચૈતાલી ભેટી … પ્રમોદા તો ખુશ ખુશાલ. ‘બેના ! તું આવી ગઈ ?’

… સૌથી નાની બહેન શ્રુતિ અને વિવેક સાથે એરપોર્ટથી ઘરે આવતાં અપાઈ ગયેલા સંદેશા મુજબ, શક્ય સૌ રાજી હોવાની રમતો રમતા હતા. પણ સૌની આંખોમાં શક્ય આવનારાં દુઃખની કલ્પના કાળા ડીબાંગ વાદળોની જેમ ઝળુંબતી રહેતી.

પ્રમોદાનું નાનું પપી, જીમી પ્રમોદા પાસે આવીને, હંમેશાં આકાશમાં જોઈને ઝીણું ઝીણું રડતું .. તે જ સૌથી પહેલાં ફરિયાદ ચૈતુબહેનને કરી, ‘જો ને આ જીમી મારી પાસે આવતાં જ રડે છે, કોણ જાણે કેમ હું મરી જવાની ના હોઉં ..’

ચૈતાલીએ હિંમત કરીને કહ્યું, ‘જિંદગી કેટલી જીવ્યાં તેના કરતાં જરૂરી છે જિંદગી કેવી જીવ્યાં.’

અપલક રીતે તેની સામે જોતી, પ્રમોદાને ચૈતાલી આવો જવાબ આપશે તેની કલ્પના નહોતી .. ‘બોલ પ્રમોદા ! તું અત્યાર સુધી જીવી તે કેવું જીવી ?’

‘તને તો બધી જ ખબર છે, ચૈતુ, કે હું તો હંમેશાં સ્ટ્રગલર રહી છું,’

‘અને તે બધી સ્ટ્રગલોને અંતે વીનર પણ રહી છું ને ?’

‘હા. એમ તો કહેવાય જ ને .. ‘

‘તો પછી જલસા કર ને ! .. આ શું પમી, રડે છે ને .. મોતની વાતો કરે છે ?’

‘હા બેના, તું અમેરિકાથી આવી એટલે મારે હવે જલસા જ ને …’

‘તું એકલી નહીં, આપણે સૌએ જલસા જ કરવા છે.’

‘વા…ઉ ! ચૈતુબે’ન તું આવે છે ને આ આખા ઘરનું વાતાવરણ ખીલી જાય છે.’

‘તને ખબર છે, પપ્પા કહેતા, જીવવું તો પવનના ઝોકા જેવું અને મરવું તો પાકી ખજૂરની પેશી જેવું … ઝાડને ખબર પણ ના પડે અને સૂકાયેલું દીટું પવન સાથે ક્યારે ખજૂરીનો સાથ છોડી દે .. ખજૂરીને ખબર પણ ના પડે.’

વાહ વાહ કરતી, પ્રમોદા ઝુમી રહી …

થોડાક સમયનાં મૌન પછી પ્રમોદા બોલી, ‘મને બધી જ ખબર છે .. ગુગલ ઉપર મારા રોગનાં લક્ષણોથી ખબર પડી હતી કે હું પ્લાસ્ટીક એનીમિયાનાં અંતિમ તબક્કામાં છું. અને તમે સૌ મને અંતિમ વિદાય દેવા આવ્યાં છો. મને તમારા સૌના પ્રયત્નો સમજાય છે. અને તમે સૌ મારા શુભેચ્છકો છો … નવ કરશો કોઈ શોક .. જેવું કેવી રીતે કહેવું, તે સમજાતું નહોતું તે ચૈતુબે’ને સમજાવી દીધું. અને તેથી હું પાકી ગયેલા ખજૂરની પેશીની જેમ પ્રભાવશાળી પ્રસ્થાન (ગ્રેસફુલ એક્સિટ) કરીશ ..’

બધી ઉદાસ આંખો સામે કડક નજરે જોતાં ચૈતાલી બોલી .. ‘જ્યાં સુધી મોત આવતું નથી, તે પહેલાં મોતને સ્વીકારી લેવું તે યોગ્ય નથી. કંઈ કેટલી ય કેન્સર કહાણી જોઈ છે, જેમાં દર્દીનાં મક્કમ મનોબળે ચમત્કારો કર્યા છે. આપણે આપણાં બાળપણના સુખી દિવસો યાદ કરીએ અને જીવન હોવાનો ઉત્સવ મનાવીએ …

કહેવાની જરૂર ખરી કે વિવેકના આશ્ચર્ય વચ્ચે, પ્રમોદાએ અત્યંત શાંતિમાં, છ મહિને દેહ છોડ્યો.ત્યારે કેસેટ ઉપર શ્લોક સંભળાતો હતો.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम।

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माअमृतात॥

13727 Eldridge Springs Way, Houston TX 77083 U.S.A.

Loading

િશવજીનું ત્રીજું નેત્ર ખૂલ્યું

અાશા બુચ|Samantar Gujarat - Samantar|27 June 2013

૨૧મી જૂનને દિવસે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદ આવવો શરૂ થયો. એ પ્રદેશના મૂળ નિવાસીઓ, યાત્રાળુઓ અને કામ-ધંધાર્થે આવન-જાવન કરનારાઓનાં જાન જોખમમાં મુકાયા. નદીઓનાં પાણી જાણે હિમાલયની ચોટીઓને મળવા ઊંચે ને ઊંચે ચડવા લાગ્યાં. ભેખડો ધસી પડી, રસ્તાઓ અને પુલો ભૂગર્ભ તરફ ગતિ કરવા લાગ્યા. કુદરતનું વિકરાળ સ્વરૂપ અનેકનાં જાન ભરખી ગયું. જાણે શિવજીનું ત્રીજું નેત્ર ખૂલ્યું.

સમાચાર માધ્યમો દ્વારા મળતી માહિતીઓ જોતાં સાંભળતાં વિચાર આવ્યો કે આપણે શું વાંક ગુનો કર્યો તે આમ ભગવાન રૂઠે ? ત્યાં તો શિવજી ખુદ પ્રગટ થયા અને કહે, ‘બેટા, ઇન્દ્ર ભગવાન અવારનવાર માનવોની કસોટી કરતા રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતવાસીઓએ ધરતી માતા અને જંગલોની જાળવણીમાં બેદરકારી દાખવી છે, એ તું જો. નદીઓના ઉદ્દગમસ્થાન પર્વતોથી માંડીને  તેના સમુદ્ર મિલન સુધીના માર્ગોમાં અસંખ્ય જંગલો હતાં, જે આડેધડ કાપવાનું દુષ્કૃત્ય મારા ભક્તજનોએ કર્યું. આથી ધરતી નરમ બની અને ભારે વરસાદનો મારો થતાં ધસી પડી.’

શિવજીનો આક્રોશ હજુ શાંત નહોતો થયો, તેઓ વદ્યા, ‘હે અબૂધ બાળક, તમ પામર જીવોને સ્વર્ગાદપિ ગરિયસી એવી ભારતભૂમિ પર ખેતી કરીને વસવાટ કરવા રાજા ભગીરથના તપને પ્રતાપે મેં મા ગંગાને પૃથ્વી પર ઉતારી, જેને પવિત્ર માનીને તેની રક્ષા કરતા હતા એ જ પ્રજાજનોના વંશજોએ તેમાં મળ-મૂત્ર વિસર્જન કરીને, તેમાં પંચ તત્ત્વોમાં ભળી ન શકે તેવા પદાર્થો હોમીને ગંગાને અપવિત્ર બનાવી મૂકી છે. વણકર, મોચી, સુથાર, લુહાર અને દરજીના કુદરતનો મલાજો જાળવીને ચાલતા ઉદ્યોગોને સ્થાને રાક્ષસી યંત્રોથી ચાલતાં મહાકાય કલ-કારખાનાંઓમાંથી નીકળતાં દૂષિત તત્ત્વો હિમાલયની તમામ પુત્રીઓનાં જળને અતિ મલીન બનાવી રહ્યાં છે. અથ : એ નદીઓમાં વસતાં જલચરો અને તેને કિનારે વસતાં અન્ય પ્રાણી, પશુ, પક્ષી અને જ્ન્તુઓનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. આવાં અવિચારી, અધમ, સ્વાર્થી અને કનિષ્ઠ કૃત્યોનો બદલો તમને મળી રહ્યો છે. માટે હે ભક્ત, તારા ભગિની અને બંધુઓને મારી આજ્ઞા કહે કે જો તેઓ વાયુ, પ્રકાશ, જળ, અવકાશ અને અગ્નિના ગુણધર્મોને ધ્યાનમાં લઈને તેના ઉપભોગ અને સંચય-સંવર્ધનનું પૂણ્ય કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેશે તો જ ભવિષ્યમાં આવો વિનાશ નિવારી શકશે.’

આ સાથે પ્રભુ અંતર્ધાન થયા.

હું ફરી ક્ષણભંગુર સૃષ્ટિમાં વિચરવા લાગી. ત્યાં તો હૈયું હરખથી છલકાયું. આવી હૃદયદ્રાવક ઘટનામાં જાન ગુમાવેલા લોકો અને તેમના પરિવાર માટે અનુકંપાથી મન વ્યાકુળ હતું તેવામાં એક સમાચાર પર નજર પડી. ગુજરાતના મુખ્ય પ્રધાન માનનીયશ્રી નરેન્દ્ર મોદીએ લગભગ ૧૫,૦૦૦ ગુજરાતી શ્રદ્ધાળુઓને બચાવવાનું પૂણ્ય કાર્ય કર્યું. એમની કરુણાનો કોઈ પાર નથી. દસ દિવસ સુધી મથવા છતાં લશ્કરની ૪૦,૦૦૦ લોકોને બચાવવાની મહેનત ન ફળી ત્યાં ન.મો. કેવા ડૂબતાના તારણહાર સાબિત થયા ? આ તો સ્વતંત્રતા મળી તે સમયે ફાટી નીકળેલ કોમી રમખાણોને સરકાર ન રોકી શકી, અને ગાંધીજીએ એકલ પંડે, કલકત્તા અને નોઆખલીમાં શાંતિ સ્થાપી ત્યારે લોર્ડ માઉન્ટ બેટને તેમને ‘One man army’ કહીને નવાજેલા એના જેવું થયું ! ભારતના વડા પ્રધાન થવું હોય તો ઉત્તરાખંડમાં આવેલ હોનારતને ગુજરાતની પોતાની આપત્તિ ગણીને દોડી જવું પણ પડે.

વળી વધુમાં એમ પણ જાણવા મળ્યું કે કેદારનાથથી દહેરાદૂનનું ૨૨૧ કિ.મિ.નું અંતર કાપવા માટે સામાન્ય વાહનને દસ દિવસ આવા સંયોગોમાં લાગે, પણ અમારા મોદી સાહેબે તો એક દિવસમાં કામ પાર પાડી બતાવ્યું. ૮૦ ઈનોવા કારમાં ૬૫ મુસાફરો બેસી શકે એટલે ૧૫,૦૦૦ માણસોને સ્થળાંતર કરીને લાવવા માટે ૨૫-૩૦ ફેરા કરવા પડે તો ય કરવા માટે તેઓએ કેટલી હિંમત બતાવી અને કાર ચલાવનારાઓએ કેટલો ભોગ આપ્યો હશે ? દેહરાદૂનથી ૨૫ લકઝરી બસમાં માન-પાન સાથે એ બચેલા મુસાફરોને સલામત પહોંચાડીને તેમણે બહુ મોટું કામ કર્યું.

જો કે અહીં એક સવાલ થાય કે જ્યાં કુદરતી આફતનો ભોગ બનેલાઓનો રાફડો ફાટ્યો હોય ત્યાં માત્ર ગુજરાતીઓને તેઓએ કેવી રીતે ઓળખ્યા હશે ? જીવ બચાવવા માટે પ્રાર્થના કરતા બિન ગુજરાતીઓને કેવી રીતે દૂર રાખ્યા હશે ? આવી હોનારતમાં મદદરૂપ થવા અસંખ્ય લોકો આવી પહોંચ્યા અને સમાચાર સંવાદદાતાઓને કહ્યું કે આ તો કુદરતી હોનારત છે, તેમાં કોઈ જાતના ભેદભાવ વગર બધા નાત-જાત-ધર્મના લોકો એકબીજાને મદદ કરે માટે અમે અહીં આવ્યા છીએ. તો સવાલ એ થાય કે કોણ મહાન, નરેન્દ્ર મોદી કે બીજા સ્વયંસેવકો ? કોણ વડા પ્રધાન થવાને વધુ લાયક ? નરેન્દ્ર મોદી કે બીજા સ્વયંસેવકો ? ધોવાઈ ગયેલા રસ્તાઓ, તૂટેલા પુલ, પુષ્કળ વરસાદ અને ધસમસતા પૂર વચ્ચે હેલીકોપ્ટર કે પ્લેઈન પણ પહોંચી ન શક્યાં ત્યાં નરેન્દ્ર મોદીની સેના પહોંચી એ એક ચમત્કાર જ સમજવો રહ્યો. મને તો એમ લાગે છે કે રાઈ જેવડા નેતાઓને પર્વત જેવડા મોટા બતાવનાર કંપનીની આ કરામત હશે.

દિલ્હીથી ગુજરાત આવવા નીકળેલા ૧૫,૦૦૦ ગુજરાતી મુસાફરો ‘હર હર મહાદેવ’ની બદલે ‘હર હર નરેન્દ્ર દેવ’ની ધૂન બોલતા સંભાળવા મળે છે. હું ગુજરાતી હોવાને નાતે નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટી શકું કેમ કે કદીક મારો જાન બચાવશે, પણ ભારતના વડાપ્રધાન તરીકે લાયક ન ગણું કેમ કે બીજા ભારતીય પ્રજાજનો એમના શાસનમાં સલામત નહીં રહે, તે એમણે સાબિત કરી બતાવ્યું.

e.mail : 71abuch@gmail.com

Loading

મહાદેવ કહે મિયાંને, આવ ભાઈ હરખા, આપણે બેય સરખા !

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|26 June 2013

કેટલાક વાચકો કહેશે; જાઓ હવે, એવું તે કાંઈ બને ? ‘ન ભૂતો ન ભવિષ્યતિ’. મહાદેવની વ્યુત્પત્તિ હિંદુ ધર્મના પ્રાદુર્ભાવથી પણ જૂની, કદાચ આઠ-દસ હજાર વર્ષ જેટલી પુરાણી હશે અને આ મિયાં જે સંદેશવાહકને માને છે તે મોહમ્મદ પયગંબર તો દોઢેક હજાર વર્ષ પહેલાં જ થઈ ગયા. એ બેમાં શું સામ્ય હોય, ભાઈ ? નીચે આપેલ સંવાદ જેમની વચ્ચે થયો તે બે વ્યક્તિ વચ્ચે ઉમરનો રેશિયો ૧:૩નો છે, જે સૂચવે છે કે નવી પેઢીની યુવતી ખૂબ પુખ્ત અને ઊંડા વિચારો ધરાવે છે અને આગલી પેઢીની જીવન સંધ્યાને આરે આવેલ શખ્સિયત નવા વિચારો સમજવા કોશિશ કરવા જેટલા ઉદાર અને સહિષ્ણુ છે.

એક વીસ-બાવીસ વર્ષની યુવતીની (જેને હું રેશમા તરીકે ઓળખાવીશ) કથા કાંઇક આવી છે. મૂળ લાહોરના, પણ બેલ્જિયમ અને નેધરલેંડમાં રહેતાં સજ્જન અને સન્નારીની ત્રણ પુત્રીઓમાંની આ વચેટ પુત્રી. પિતાને તૈયાર કપડાં યુ.કે અને યુરોપમાં વેંચવાનો ધંધો. રેશમા લાહોરમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મેટ્રિક કરી, કોલેજના બે વર્ષનો અભ્યાસ પૂરો કરી માન્ચેસ્ટર પોતાની બે બહેનો અને મા સાથે ત્રણ વર્ષ પહેલાં આવી, બી.ટેકની ઉપાધિ મેળવી અને હવે ફાઈનાન્સમાં સ્નાતકનો અભ્યાસ શરૂ કરવાની તૈયારીમાં છે.

રેશમા દરેક યુવાનની જેમ જ પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા આતુર હતી, તેમાં તેને હમદર્દ ઉત્સુક શ્રોતા મળી ગયો પછી જોઇએ જ શું ? બંને વચ્ચે અનૌપચારિક વાતો થઈ તેનો સારાંશ કાંઈક આવો છે. રેશમાને વિમાસણ થાય છે કે ભારતમાં પહેલાં હિંદુ-મુસ્લિમ પ્રજા મોટે ભાગે શાંતિથી હળીમળીને રહેતી હતી. ઇંગ્લિશ રાજ્ય દરમ્યાન એમણે એ બે કોમ વચ્ચે વૈમનસ્ય વાવ્યું અને છેવટ એક દેશના બે ભાગલા કર્યા, તો એમાં હજુ સુધી શાંતિ કેમ નથી સ્થપાઈ ? એ એમ માને છે કે ભારત-પાકિસ્તાનના રાજ્યકર્તાઓનાં સ્થાપિત હિત અને કાશ્મીરની પ્રજાની સ્થિતિ, લાગણી અને જરૂરિયાતો સમજવાની અશક્તિ તથા એ પ્રદેશની જાળવણી કરવાની ફરજ ચુકી જવાની વૃત્તિ આ તંગદિલી માટે જવાબદાર છે. રેશમાએ પોતાના નાનાજી અને દાદાજીને મોઢે આ વાતો સાંભળેલી. એની ઇચ્છા ભારતના પંજાબની સરઝમીન જોવાની છે. કહે, ‘આ મીડિયાવાળા અમને બહુ ડરાવે છે, મુસ્લિમોની સ્થિતિ ત્યાં સારી નથી એટલે જતાં ડર લાગે છે.’

રેશમા શિયા અને સુન્ની વચ્ચેના સંઘર્ષોથી પણ ખૂબ દુ:ખી છે. કહે, ‘અમે બધા માત્ર ઈસ્લામને અનુસરીએ છીએ, બસ. આ શિયા-સુન્નીના ભેદ તો ઈન્સાને કર્યા, તેનાથી શું ફાયદો થયો ? આમ તો દરેક મઝહબ ભલે જુદા રહ્યા, પણ આખર વાતો તો એક અલ્લાહના આપેલ પયગામને સમજીને એ પ્રમાણે જીવવાની જ કરે છે તો બધા શા માટે અંદર અંદર ઝઘડે છે?’ તેનું સ્પષ્ટ માનવું છે કે જો કેટલાક ધર્મસ્થાનોમાં અન્ય ધર્મો માટે ફેલાવાતી અફવાઓ બંધ થાય, શાસન કરનારાઓ આંતર વિગ્રહ અને અન્ય દેશો સાથે લડાઈઓ કરવાનો માર્ગ છોડે અને સામૂહિક પ્રચાર/પ્રસારના માધ્યમો દરેક કોમની સારી બાજુઓ બતાવે તો દુનિયામાં અમન ચેનથી લોકો રહી શકે, કેમ કે દરેક મુલકમાં લોકો તો એ જ ચાહે છે.

હિંદુ ધર્મી પરિવારમાં જન્મ લીધેલ શ્રોતાને આ સંવાદને અંતે કહેવાનું મન થયું, બહેન, તારા અને મારા વિચારોમાં ઘણું સામ્ય છે, માત્ર જરૂર છે આપણા જેવા લોકો વચ્ચે સંપર્ક વધારવાની અને તેની જાહેરમાં જાણ કરવાની. હજુ એક ડગલું આગળ વધવાનું રહેશે. જયારે પણ અમાનવીય કૃત્યનું આચરણ થાય ત્યારે તમામ ધર્મના સંવેદનશીલ અને જાગૃત નાગરિકોએ સંગઠિત થઈને એ કૃત્યને વખોડી કાઢવું અને જે તે વ્યક્તિ પોતાના ધર્મ કે સંસ્કૃિતનો સભ્ય નથી તેમ જાહેર કરવું. કાયદો તેને સજા કરે કે ન કરે, પણ સમાજ દ્વારા તેનો તત્કાલ બહિષ્કાર થવો ઘટે.

એક અજાણી યુવતી સાથેના આ સંવાદથી નવી પેઢી આતંકવાદ અને હિંસામાંથી ઉગરવાનો માર્ગ ખોળી કાઢશે એવી ધરપત થઈ.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,0414,0424,0434,044...4,0504,0604,070...

Search by

Opinion

  • મેજ પર મોબાઇલ : બાળકોનું સ્ક્રીન-એક્સપોઝર માનસિક વિકાસ માટે જોખમી 
  • અફઘાન સ્ત્રીઓ આ દુનિયામાં જીવે છે !  
  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved