Opinion Magazine
Number of visits: 9527426
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમીન માટે મચી છે દિશાહીન દોડ

ઇન્દિરા હીરવે|Samantar Gujarat - Samantar|18 July 2013

– જમીનની વ્યવસ્થિત નીતિનો અભાવ અને રોજગારની તકો ન વધવાને કારણે રાજ્યમાં ઘર્ષણ વધી રહ્યું છે



જમીનનો પૂરવઠો મર્યાદિત છે અને એના ઉપયોગો અનેક હોય છે, જેવા કે ખેતી, ઉદ્યોગો, માળખાકીય સવલતો, માનવ વસાહતો, પર્યાવરણની  જાળવણી વગેરે. આથી કોઈ પણ રાજ્ય સરકાર માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તે લાંબાગાળાનાં હિતો અને વિકાસના ટકાઉપણાને ખ્યાલમાં રાખીને જમીનના ઉપયોગો અંગેની એક નીતિ ઘડે જે મુજબ રાજ્યની જમીનની જુદા જુદા ઉપયોગો વચ્ચે વહેંચણી થઈ શકે, પરંતુ ગુજરાત સરકારે જમીનના ઉપયોગ અંગેની કોઈપણ વ્યવસ્થિત નીતિ હજુ બનાવી નથી. આથી જુદા જુદા ઉપયોગ કરનારાઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને જે શક્તિશાળી છે તે ઘર્ષણમાં જીતી રહ્યાં છે. ગુજરાતમાં આજકાલ જમીન અંગેના સંર્ઘષો વધી ગયા છે એનું મહત્ત્વનું કારણ આ છે.



જમીન અંગેના ઘર્ષણ અંગેનું બીજું કારણ એ છે કે ગુજરાતમાં ઝડપી વિકાસ થયો છતાં રોજગારીની તકો જોઇએ તેટલી વધી નથી. ગુજરાતની કુલ આવકના ૧૫ ટકા ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓમાંથી આવે છે, પરંતુ આ ક્ષેત્ર ૫૩ ટકા લોકોને રોજગારી આપે છે. એનો અર્થ એ છે કે ઝડપી આર્થિક વિકાસ છતાં બિનખેતીક્ષેત્રોમાં રોજગારી વધી નથી અને ખેતીમાં રહેલા લોકોને ખેતીમાં રહ્યા સિવાય છૂટકો નથી. એન.એસ.એસ.ઓ.ના આંકડા પ્રમાણે, ૨૦૦૪થી ૨૦૧૦ વચ્ચે, ગુજરાતમાં રોજગારીનો વધારાનો દર ‘૦’ હતો. આ સમય દરમિયાન ઉદ્યોગોના વાર્ષિક ૧૦ ટકા વિકાસ છતાં ઉદ્યોગોની રોજગારીમાં દર વર્ષે ૨.૪ ટકા ઘટાડો થયો હતો. ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓમાં પણ રોજગારીના દરમાં આ સમય દરમિયાન વાર્ષિક ૧.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વધારો ફકત સેવાઓ અને બાંધકામના ક્ષેત્રમાં થયો હતો, જે ૫-૬ ટકા હતો.



આમ આર્થિક વિકાસ છતાં રોજગારીના માળખામાં  ફેરફાર ન થવાને લીધે જ્યારે ખેડૂતો અને ખેતકામદારો જમીન પર નભતા હોય, ત્યારે તેમની પાસેથી જમીન લઈ લેવી એ ફકત અયોગ્ય જ નહીં, પણ અન્યાયી છે. પોતાની રોજગારી છીનવાઈ જતી હોય ત્યારે લોકો ઘર્ષણ ના કરે તો જ નવાઈ છે ! ગુજરાત સરકારે પોતાની ઔદ્યોગિક નીતિમાં સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે ગુજરાતને કોર્પોરેટ ક્ષેત્રના મૂડીરોકાણ માટે દુનિયાનું સૌથી આકર્ષક રાજ્ય બનાવવું છે, જેથી તે ‘દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય’ બની શકે. સરકારે આથી જમીન અંગેની નીતિ એવી રાખી છે કે, ઉદ્યોગોને અને રોકાણકારોને  સસ્તી અને સહેલાઈથી જમીન મળી શકે. સરકાર ઉદ્યોગોને ‘જાહેરહિત’ ગણે છે અને તેથી જમીનના કાયદા પ્રમાણે સરકાર પડતર જમીન, ગૌચર જમીન તેમ જ ખાનગી જમીન ઉદ્યોગ માટે મેળવી શકે છે.



સરકારી પડતર જમીનની બાબતમાં તો સરકારને કોઈ અડચણ નડતી નથી કારણ કે એને તો સરકાર ‘બિનઉપયોગી’ ગણે છે, જે હકીકતમાં સાચું નથી. આ જમીનો પર અનેક નાના ખેડૂતો, શ્રમજીવીઓ, પશુ પાલકો વગેરે નભે છે. ગૌચર જમીન માટે સરકારે પંચાયતને વળતર આપવાનું હોય છે. જો કે આવું વળતર હજુ સુધી ભાગ્યે જ કોઈ પંચાયતને મળ્યું છે. ખાનગી જમીન પણ સરકાર ‘જાહેર હિત’માટે લઈ શકે છે. આંકડા બતાવે છે તેમ આ જમીનના ભાવો નીચા, ઘણીવાર એકરદીઠ રૂ. ૧થી રૂ. ૫ કે પછી બજારભાવ કરતા નીચા ભાવ લેવામાં આવ્યા છે. જેને ગુજરાત સરકાર મોડેલ કહે છે તેવી ઊંચાભાવની જમીનો તો ઘણી ઓછી વેચાઈ છે. ૨૦૦૯થી સરકારે જે નવી ઔદ્યોગિક નીતિ બહાર પાડી છે, તે પ્રમાણે ‘મેગા પ્રોજેક્ટ’ અથવા તો અતિ મોટા પ્રોજેક્ટ માટે જમીનના કાયદા ખાસ લાગુ પડતા નથી. દા. ત. ‘નેનો’ પ્રોજેક્ટ માટે સરકારે ૧૧૦૦ એકર જમીન સસ્તા ભાવે આપી  છે અને ગુજરાતમાં ડેટ્રોઇટ બનાવવા માટે આવી જમીનો સુઝુકીને, ફોર્ડ મોટર્સ અને પીજો(પીજોટ)ને પણ આપવામાં આવી છે.



ગુજરાતમાં છેલ્લા દાયકામાં કોર્પોરેટ સેક્ટરની જમીનની ભૂખ ધીમે ધીમે વધતી જ ગઈ છે. પહેલા જીઆઇડીસીએ ઔધ્યોગિક વસાહતો સ્થાપી, ત્યાર પછી તેથી મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યા, પછી ‘સેઝ’ અને હવે અતિ મોટા ‘સર’ બનાવવાનું ચાલી રહ્યું છે. આ ઉપરાંત ‘ગિફટ’નું ઔદ્યોગિક શહેર બનાવવાનું સ્વપ્ન પણ સાકાર થઈ રહ્યું છે. કુલ કેટલી જમીન ઉદ્યોગો અને માળખાકીય પ્રોજેક્ટમાં ગઈ છે તેમાં પૂરા આંકડા પ્રાપ્ય નથી. પરંતુ એક સરકારી અંદાજ પ્રમાણે, છેલ્લાં દસ વર્ષમાં, જી.આઇ.ડી.સી. દ્વારા ૨૬,૦૭૭ હેકટર, સેઝમાં ૩૧,૯૬૬ હેકટર અને ‘સર’માં ૧૫૭,૬૯૯ હેકટર એટલે કે ૨૧૫,૭૪૨ હેકટર (૨.૧૬ લાખ હેકટર) જમીન સંપાદિત થઈ છે કે થવામાં છે. જો કે આ આંકડામાં ઘણી ખાનગી રીતે મેળવાયેલી જમીનોનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત સી.એ.જી.ના રિપોર્ટ પ્રમાણે ઉદ્યોગો ગેરકાયદે જમીનો પણ વાપરે છે. ગેરકાયદે માઇનિંગ કરે છે, લીધેલ જમીન વર્ષો સુધી વાપરતા નથી, સરકાર તરફથી સસ્તામાં મળેલી જમીન ઊંચા ભાવે વેચી દે છે અને સસ્તે ભાવે જમીનો પડાવે છે. જમીનોનો સટ્ટો એ ગુજરાતમાં ઝડપથી વિકસતો ધંધો છે.



એમ લાગે છે કે ખાનગી સ્થાપિત હિતો ગુજરાતની જમીનના ઉપયોગો નક્કી કરી રહ્યાં છે, એટલે કે ગુજરાતના કુદરતી સાધનોની વર્તમાન અને ભવિષ્યની વહેંચણી હવે ખાનગી સ્થાપિત હિતોના હાથમાં આવી ગઈ છે !  પણ નવાઈની વાત એ છે કે ગુજરાત સરકારની લાંબાગાળાની દૃષ્ટિ શું છે તે કદાચ કોઈને પણ ખબર નથી. જી.આઇ.ડી.સી.ના એક સિનિયર અધિકારીના મતે જ્યાં સુધી જમીનની માગ છે અને જમીન વેચનારા છે, ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરશે. રેવન્યુ ખાતાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ભવિષ્ય વિશે વિચાર કરવાનો સમય હજુ આવ્યો નથી. તો પ્રશ્ન એ થાય છે કે ખેતીક્ષેત્રમાં કામ કરનાર લોકોને કે જેમને નવા વિકાસમાં રોજગારી મળતી નથી તે ક્યાં જશે ? જમીન માટેની આ દિશાહીન દોડ ગુજરાતને ક્યાં લઈ જશે? દેશના બીજા રાજ્યોમાં પરિસ્થિતિ બહુ સારી છે તેમ નથી, પણ ‘સૌથી ઝડપથી વિકસતા રાજ્ય’ બનવાની અને મૂડીવાદીઓના ‘મૂડીરોકાણ માટેનું સૌથી આકર્ષક રાજ્ય’ બનવાની તમન્ના પૂરી કરવાની દોડ તો ગુજરાતમાં જ છે ! ગુજરાત સરકારે આ દોડમાં અટકીને તેના વિકાસના મોડેલની પુન: વિચારણા કરવાની જરૂર છે.

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 18 July 2013)

Loading

જિંદગી આખી ઈતિહાસ ખંખેરવામાં ગઈ : શરીફા વીજળીવાળા

નંદિની ત્રિવેદી|Opinion - Literature|18 July 2013

ઉત્તમ અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક શરીફા વીજળીવાળા સુરતની એમટીબી કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. મેડિકલમાં સાત માર્ક ઓછા પડતાં એન્જિનીયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. એમને તો આર્કિટેક્ટ બનવું હતું પણ અધધ ખર્ચ પોસાય એમ નહોતો એટલે બી.ફાર્મ કર્યું અને પાંચ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી. પરંતુ, ઘર મેળવવાની તકલીફને લીધે હોસ્ટેલના રેક્ટરની જવાબદારી સ્વીકારી અને હોંશે હોંશે બાર વર્ષ નિભાવી. અભ્યાસકાળ દરમ્યાન ઘર ન હોવાથી હોસ્ટેલમાં રહેવા મળે એટલે જ ગુજરાતી અને મેથ્સ સાથે બી.એ. કરવાનું નક્કી કર્યું. ગુજરાતી વિષયમાં રસ વધતો ગયો ને પછી એમ.એ., બી.એડ. અને પી.એચડી પણ કર્યું. તમે માનશો, એફ.વાય.બી.એ.થી એમ.એ. સુધી એકેય વાર ક્લાસ અટેન્ડ ન કરવા છતાં હંમેશાં તેઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યાં છે. વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૨૫ ગુજરાતી પુસ્તકોમાં એમનું પુસ્તક ‘શતરૂપા’ સ્થાન પામ્યું છે. સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે છેલ્લાં વીસ વર્ષથી ચોવીસે કલાક પીઠની પીડા સહન કરતાં શરીફાબહેનનો જુસ્સો અને લેખન પ્રત્યેનો ઉત્સાહ આજેય બરકરાર છે, કારણકે તે કહે છે કે ‘હું શરીરથી ક્યાં જીવું છું, મનથી જ જીવું છું.’’ સાહિત્ય પરિષદ, સાહિત્ય અદાદમી સહિત અનેક પારિતોષિકો મેળવી ચુકેલાં આવાં મનસ્વી તપસ્વિની શરીફાબહેન અહીં તેમનાં અંગત રસ-રૂચિ શેર કરે છે.

મુખ્ય શોખ

વાંચવું, લખવું, ઓફબીટ સિનેમા જોવી, ગમતાં લોકો સાથે ગપ્પાં મારવાં અને ક્રિકેટ જોવાનો ભારે શોખ. કોઈ પણ દેશ રમતો હોય તોય આ બંદા ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ની જેમ હરખાય અને પોરસાય!

પ્રિય લેખકો

પન્નાલાલ પટેલ, જયંત ખત્રી અને કવિ-સર્જક-વિવેચક તરીકે દ્વિરેફ સૌથી વધુ ગમે. એ મને હંમેશાં સમય કરતાં ૩૦-૪૦ વર્ષ આગળ લાગ્યા છે. લોકપ્રિય સાહિત્યકારો ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ અને વિનોદ ભટ્ટ પણ એટલા જ પ્રિય. પણ ક.મા. મુનશી શિરમોર. સાહિત્યમાં વાર્તા સ્વરૂપ અને આત્મકથા સૌથી વધુ ગમે તેથી દરેક ઉત્તમ વાર્તાકાર મને ગમે. મન્ટો, ઈસમત ચુગતાઈનો જવાબ નહીં. કુર્રેતુલૈન હૈદર, ક્રિશ્ના સોબતી, રાહી માસુમ રઝા, ઈન્તીઝાર હુસૈન અને વિદેશી લેખકોમાં અર્નેસ્ટ હેમિંગ્વે, આર્થર મિલર, શેક્સપિયર તો ખરા જ અને નાટ્યલેખક તરીકે ઈબ્સન.

પ્રિય કવિ

કાવ્યોની હું બહુ ચાહક નથી છતાં નાનપણથી વાચનની શોખીન એટલે એ વખતે વાંચેલાં કાવ્યોમાં કાન્ત સૌથી વધુ ગમતા, યુવાનવયે હરિવંશરાય બચ્ચનની કવિતા પણ ગમતી. એ પછી પ્રહલાદ પારેખ, ઉશનસ, રા.વિ. પાઠક, ઉમાશંકર જોષી, સુંદરમ અને રમેશ પારેખ ખૂબ ગમ્યા છે. આધુનિકતામાં ઓછી ચાંચ ડૂબે છતાં સિતાંશુનાં સર્જનો ઘણાં ગમે. હિન્દીમાં ગુલઝાર, અશોક બાજપાઈ અને દુષ્યંતકુમાર.

પ્રિય સાહિત્યિક કૃતિ

જુલે વર્નની ‘સાહસિકોની સૃષ્ટિ’. પચાસવાર તો મેં એ વાંચી જ છે. એ પછી ગુજરાતનો નાથ, સોક્રેટિસ, માનવીની ભવાઈ, સળગતાં સુરજમુખી, ચુગતાઈની આત્મકથા અને તેમની નવલકથા ‘ટેઢી લકીર’. થાકી હોઉં ત્યારે હળવાશ અનુભવવા વિનોદ ભટ્ટનુું પુસ્તક ‘મારી નજરે’ અવશ્ય વાંચું. ‘અ ડોલ્સ હાઉસ’ અને ‘ધ ગ્રેપ્સ ઓફ રૉથ’ પણ સર્વપ્રિય.

પ્રિય ફિલ્મો

ફિલ્મ જોવાનો જબરજસ્ત શોખ. દર રવિવારે સાંજે મૂવી જોવાનો નિયમ ૧૭ વર્ષથી બરકરાર છે. જોકે મને હળવી, રોમેન્ટિક અને જરા હટ કે પ્રકારની ફિલ્મો જ ગમે. એકશન ફિલ્મો જરાય ન ગમે. મુગલ-એ-આઝમ એટલી પ્રિય કે બધા સંવાદો સાથે બોલી શકું. કાગઝ કે ફૂલ, પ્યાસા અને તીસરી કસમ મોર્બિડ કહેવાતી હોવા છતાં મારી ફેવરિટ ફિલ્મો. માતૃભૂમિ અને થ્રી ઈડિયટ્સ જેવી મેઈનસ્ટ્રીમ ફિલ્મો ઉપરાંત ‘ખામોશ પાની’, ‘ખુદા કે લિયે’ અને ‘બોલ’ બહુ જ ગમી હતી. ઈરાનીયન ફિલ્મોમાં બાળકો પાસેથી જે અદ્ભુત કામ લેવાય છે અને જે સુંદર સંગીત હોય છે એ નવાઈ ઉપજાવે.

મનપસંદ વાનગી?

ખીચડી. સાચું કહું તો એને મેં મારી ફેવરિટ વાનગી જ બનાવી દીધી છે કેમકે રાંધવાની હું ભારે આળસુ છું. રસોઈના બેસ્ટ શોર્ટકટ મારી પાસેથી શીખી શકાય (હસીને કહે છે).

પ્રેમ એટલે શું?

વ્યાખ્યાયિત કરવો અઘરો. પણ મને લાગે છે કે જેને માટે બધું જતું કરવાની ઈચ્છા થાય, લેવા કરતાં આપવાની દાનત વધુ હોય અને લડ્યા પછી તરત ભેગા થઈ જવાનું મન થાય એ લાગણી પ્રેમ હોઈ શકે.

જીવનસાથી કેવો ગમે?

મળ્યો જ નથી તો શું કહું? હા, એક સમયે ‘મિલ્સ એન્ડ બુન્સ’ના નાયક જેવા જીવનસાથીની કલ્પના કરી હતી, કારણકે મોટાભાગના જુવાનિયાઓની જેમ અંગ્રેજી નવલકથા વાંચવાની શરૂઆત તો મેં એનાથી જ કરી હતી. જોકે, ન મળ્યાનો અફસોસ કે ખોટ ક્યારેય લાગ્યાં નથી, સિવાય કે માર્ચ મહિનામાં ઈન્કમટેક્સની ગણતરી કરવાની આવે. એવું બોરિંગ કામ કે એ વખતે થાય કે કોક હોત તો સારું થાત! મને લાગે છે કે જ્યાં ‘હું’ અને ‘તું’ ઓગળી જાય અને એકબીજા સાથે નિર્ભાર થઈને જીવી શકાય એવો જીવનસાથી શ્રેષ્ઠ.

પ્રિય સંગીત અને સંગીતકાર

હળવું ક્લાસિકલ અને હિન્દી ફિલ્મીગીતો. આજકાલ મને રાશીદખાનનું જબરું ઘેલું લાગ્યું છે. ફિલ્મી ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, મોહમ્મદ રફી અને ભૂપેન હઝારિકા.

તમારા માટે સ્ટ્રેસ બસ્ટર શું?

અનુવાદ. જ્યારે મારા અનુવાદો પ્રગટ થવા માંડે ત્યારે મિત્રો સમજી જાય કે જિંદગીમાં પીડા વધી ગઈ હશે. તાજેતરમાં જ મેં ‘જિન્હે લાહૌર નહીં દેખા’નો ગુજરાતી અનુવાદ કર્યો અને હમણાં ‘સુખા બર્ગદ’ (વડનું ઝાડ)નો કરી રહી છું. અનુવાદ કરતી વખતે હું આખી દુનિયા ભૂલી જાઉં અને સાહિત્યમાં ઓતપ્રોત થઈ જાઉં.

પ્રિય પ્રવાસસ્થળ

જ્યારે શરીર સાજું-સારું હતું ત્યારે પૈસા નહોતા અને હવે પૈસા ભેગા કર્યાં છે ત્યારે શરીર સાથ નથી આપી રહ્યું. ભારત બહાર તો ક્યાંય ગઈ નથી, પણ ભારતમાં હિમાલય સૌથી વધુ ગમે. જુદા જુદા એંગલથી એને નિહાળવાની ખ્વાહિશ છે.

મનગમતી સાંજ એટલે શું?

દુનિયાથી જુદી જ છે મારી સાંજ. ઘરમાં અંધારું કરીને ઊંઘી જવું એ મારી બેસ્ટ ઈવનિંગ. સવારે નવથી સાડા પાંચની નોકરી કરીને આવ્યા પછી ઢગલો થઈ જાઉં એટલે દોઢેક કલાક ઊંઘી જાઉં અને પછી રાત્રે દોઢ-બે વાગ્યા સુધી લખું.

વીકએન્ડ કઈ રીતે વિતાવવો ગમે?

રવિવાર બહુ મહત્ત્વનો. આરામથી ઊઠું અને વળી પાછો બપોરે બાર વાગ્યાથી તો ઊંઘવાનો જ વિચાર આવે. તેથી ફક્ત આરામ, લેખન-વાચન અને સાંજની ફિલ્મ તો ખરી જ.

જિંદગીમાં સૌથી મૂલ્યવાન શું?

પ્રામાણિકતા. મેં નક્કી કરેલા સિદ્ધાંતોમાં કોઈ સમાધાન ન કરું. મૂલ્યોથી વધુ મહત્વનું કંઈ નહીં!

લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે?

લોકો ગાંધીજીને ભૂલી ગયા છે તો મને શું યાદ રાખવાના?

લોકોની કઈ બાબત ગમતી નથી?

જે દેશે દુનિયાને સર્વોદયની ભાવના આપી તે જ દેશના પ્રજાજન અતિશય સ્વાર્થી બની ગયા છે, સ્વકેન્દ્રીતા વધતી ગઈ છે. અપ્રામાણિકતા, કામચોરીના માહોલમાં બદલાવની શરૂઆત જાતથી કરવાની જરૂર છે.

કોઈ ધ્યેય?

આત્મકથા લખીને જ જવું છે દુનિયામાંથી.

કોઈ ડર?

ના. હું બહુ બિન્દાસ એટલે મારી મા મને હંમેશાં કહેતી કે તું તો ભૂતના પેટની છું. આમ છતાં, તમે માનશો? હોરર ફિલ્મો હું જોઈ શકતી નથી. એનો ડર લાગે.

પુનર્જન્મ હોય તો શું બનવું પસંદ કરો?

શરીફા જ. પણ જે જગ્યાએ મને મારા નામની સજા ન મળતી હોય એવા સ્થળે જન્મ લેવો છે. હું ભારતપ્રેમી છું, આ દેશ મને અતિશય પ્રિય છે, છતાં ઈતિહાસની સજા મને શા માટે? ઔરંગઝેબે મંદિર તોડ્યાં એમાં મારો શો વાંક? જિંદગી આખી ખભેથી ઈતિહાસ ખંખેરવામાં જ ગઈ તોય ધર્મના ‘રખેવાળો’એ બમણા વજનથી ઈતિહાસ મારા પર થોપ્યો. સામાન્ય લોકોની વસાહતમાં ઘર ન મળવાને કારણે ૨૯ વર્ષ મેં હોસ્ટેલમાં કાઢ્યાં. ૬૪ બિલ્ડરોએ ના પાડી હતી. શા માટે? જો હું ભારતીય હોઉં તો મારો પોતાનો ‘અલગ’ વિસ્તાર કેવી રીતે હોય? જો હું મુસ્લિમ બનવા તૈયાર થાત તો મને મુસ્લિમ વિસ્તારમાં અને હિંદુ બનવા તૈયાર હોત તો મને હિન્દુ વિસ્તારમાં ઘર મળ્યું હોત. મારી મથામણ માણસ બનવાની હતી. માણસ થવા ગઈ એની સજા મળી. માણસને એકબીજા સામે પ્રશ્નો નથી હોતા, ટોળાંને જ હોય છે. પરંતુ, માનવતા મરી પરવારી નથી. માણસજાત પ્રત્યેની શ્રદ્ધાને કારણે ૧૮ વર્ષે મને છેવટે મારું ઘર મળ્યું છે, મારા ઈચ્છિત વિસ્તારમાં જ. મને આશા છે કે, વો સુબહ જરૂર આયેગી, જ્યારે ધર્મ-કોમ-પ્રદેશવાદથી પર થઈને માણસ પોતાના ‘મનુષ્યત્વ’ને સાર્થક કરશે, માણસ માત્ર ‘માણસ’ને શોધશે.

(સૌજન્ય : લેખિકાનો 'ચિટચેટ' નામે સ્થંભ, “મુંબઈ સમાચાર”)

Loading

વિષય સમૃદ્ધ અને સુનિયોજીત રીતે ગોઠવાયા છે

જીજ્ઞેશ અધ્યારૂ|Opinion - User Feedback|17 July 2013

આજે ઘણા દિવસ પછી "ઓપિનિયન"ની વેબસાઇટ પર લાંબો સમય ગાળ્યો, માણ્યો. "ઓપિનિયન"નો ઓનલાઈન અવતાર જોઈને ખૂબ આનંદ થયો, વિભાગોની ગોઠવણી સરસ છે, "ઓપિનિયન" ઓનલાઈન અને ડાયસ્પોરા એ બંને વિભાગો વિષય સમૃદ્ધ અને સુનિયોજીત રીતે ગોઠવાયા છે. "ઓપિનિયન" મમળાવવાની પી.ડી.એફ ફોર્મેટમાં જેટલી મજા આવતી હતી એવો જ આનંદ અહીં પણ આવશે એવો વિશ્વાસ છે …

શુભેચ્છાઓ ..

સંપાદક

• અક્ષરનાદ.કોમ • http://aksharnaad.com

એક ક્લિકે અનેક ગુજરાતી ઈ પુસ્તકો નિઃશુલ્ક ડાઊનલોડ કરો …. જુઓ અક્ષરનાદનો ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગ ​

Loading

...102030...4,0344,0354,0364,037...4,0404,0504,060...

Search by

Opinion

  • મેજ પર મોબાઇલ : બાળકોનું સ્ક્રીન-એક્સપોઝર માનસિક વિકાસ માટે જોખમી 
  • અફઘાન સ્ત્રીઓ આ દુનિયામાં જીવે છે !  
  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved