Opinion Magazine
Number of visits: 9696691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંકડી ઓળખ વિ. સમાવેશી વિકાસ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|17 March 2014

ગુલ પનાગના તેમ સરિતા દાસના કિસ્સાઓમાં ૨૦૦૨ બાબતે મોદીની જવાબદારી-બેજવાબદારીનો મુદ્દો જરૂર છે

અલબત્ત, છે તો એ એક જોગાનુજોગ જ. પણ શુક્રવારી છાપાં ચારીમાં સહજ ક્રમે બે મહિ‌લાઓનાં નામ સામે આવ્યાં: એક તો, નાગરિક નિસબત વાસ્તે લબરમૂછ ટ્વિટરાટીઓમાં જાણીતી અને કંઈક માનીતી ગુલ પનાગનું. અને બીજું જે નામ સામે આવ્યું તે સરિતા દાસનું. સરિતા એક નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી છે, અને પૂર્વે રાષ્ટ્રીય લઘુમતી કમિશનને એમણે સચિવસ્તરે સેવાઓ આપેલી છે. ગુલ અને સરિતા બેઉના ઉદ્દગારોમાં કોઈ એક સમાન મુદ્દો હોય તો તે નરેન્દ્ર મોદી વિશે છે. સરિતા છેલ્લા કેટલાક મહિ‌નાઓથી એ વાતે અસ્વસ્થ જ અસ્વસ્થ છે કે નરેન્દ્ર મોદીને કથિત 'કલીન ચીટ’ અપાયેલી છે.

પોતે ૨૦૦૨માં સત્તાવાર કામગીરીની રૂએ અમદાવાદની મુલાકાત લીધી ત્યારે આપત્તિગ્રસ્ત લોકોની અને વિસ્તારોની રૂબરૂ મુલાકાતે ન જઈ શકે એવી ભરસક કોશિશ મોદી તંત્રે કરી હતી. સરિતા દાસે સ્થળહેવાલમાં આ બધી વિગતો લઘુમતી કમિશન જોગ દર્જ પણ કરી હતી. આ પ્રકારના હેવાલોના ઉજાસમાં 'કલીન ચીટ’નું સ્વાભાવિક જ કોઈ લોજિક નહોતું ને નથી. પણ જ્યારે સરિતા દાસે આ સંદર્ભમાં કમિશનના દફતરમાં તપાસ કરી ત્યારે એમના હેવાલનો કોઈ અતોતપો જ નહોતો, ગુલ પનાગનો કિસ્સો જરી જુદી તરેહનો છે. યુવા પેઢીને સહજ મોદીની મોહની ક્યારેક એને સ્પર્શી ગઈ હશે, અને ત્યારે 'કલીન ચીટ’ હેવાલોના ઊંડાણમાં ગયા વગર એણે 'મોદી ફોર પીએમ’ એવી ટ્વિટરાટી ધડબડાટી પણ બોલાવી દીધી હતી.

બેશક, આ કિસ્સો કોઈ ભાડૂતી પ્રચારમારાની કડીનો નહોતો – પણ ભલી સમજ અને સરળ ઉત્સાહભેર દડી પડયાનો હતો. ‘આપ’ તરફથી ગુલને ચંડીગઢની ઉમેદવાર જાહેર કરાઈ ત્યારે એણે આ વિશે દિલખુલાસ વાત પણ કરી હતી : 'ભાઈ, ત્યારે ‘આપ’ હતું જ કયાં? (કોંગ્રેસ રાજથી નારાજ) મેં અંધો મેં કાના રાજા એ ન્યાયે નમો માટે ટ્વિટ કર્યું હતું. ત્યારે મામલો પસંદગીનો નહીં પણ વખાના માર્યા જખ મારવાનો હતો.’ દેખીતી રીતે જ, ગુલ પનાગની આ ઉક્તિમાં કોંગ્રેસ-ભાજપ જેવા એકબીજાની બદલી ભરતા પક્ષો કરતાં ‘આપ’ પ્રકારની વિકલ્પ ચેષ્ટાની કદર ઝળકે છે. ઉપરાંત, 'કલીન ચીટ’ના લોજિકને પડકારતી જે બધી સિલસિલાબંધ વિગતો વચગાળામાં બહાર આવતી રહી છે એનો ય એમાં કંઈક ફાળો જણાય છે.

ગુલની ઉમેદવારી જાહેર થવી અને એ જ દિવસે પૂર્વ પોલિસવડા શ્રીકૃમારનું 'આપ’માં જોડાવું, કદાચ એક જ ફ્રિકવન્સી પરની આ બે બીનાઓ છે એમ પણ તમે કહી શકો. ગુલ પનાગના તેમ સરિતા દાસના કિસ્સાઓમાં ૨૦૦૨ બાબતે મોદીની જવાબદારી અને બેજવાબદારીનો મુદ્દો જરૂર છે. પણ આ ક્ષણે જાહેર જીવનના કોમી પરિમાણની ચર્ચામાં ધારો કે ન જઈએ તો પણ આ પ્રશ્ન શાસનનો, સુશાસનનો અગર તો કાયદાના શાસન વિષયક તમારું ધોરણ અને તમારો અભિગમ શું છે એનો તો રહે જ છે. મોદીએ વિકાસનો મુદ્દો ઉછાળ્યો અને ૨૦૦૨ની જવાબદારી બાબતે પડદો નાખવાની કોશિશ કરી એ સાચું; પણ વિકાસ બાબતે તો એમણે ચર્ચા કરવી જ રહી.

લાંબા એકતરફી પ્રચારમારા પછી કેજરીવાલની ગુજરાતની મુલાકાતને પગલે વિકાસના મોદી મોડેલની વાસ્તવિકતા કદાચ પહેલી જ વાર રાષ્ટ્રીય સ્તરે બહાર આવી છે. તે સાથે, ચાલુ અઠવાડિયે બિહારમાં મોદીના ગુજરાતદાવા સામે નીતીશે એક એક મુદ્દો લઈ જે રીતે બિહારદાવો ઉપસાવ્યો તે પણ આ ચર્ચાને એક વિશેષ આયામ આપતી બીના હોઈ શકે છે. નીતીશની માંડણી વિકાસ અને સામાજિક સમાવેશકતા (સોશ્યલ ઈન્કલુઝન) આસપાસની હોય તેમ જણાય છે. ૨૦૧૨ના ગુજરાત વિધાનસભાના પરિણામ સાથે મોદીએ 'એસ્પિરેશનલ મિડલ કલાસ’ને અપીલ કરવાનો રસ્તો લીધો છે. રાહુલ ગાંધીનો ઝોક માહિ‌તી અધિકારથી માંડી મનરેગા સહિત સશક્તીકરણ મથામણની યાદ આપવાનો રહે છે.

પણ હમણે હમણે એમણે 'એન.આર.એમ.બી.’ -નોટ રિચ, નોટ મિડલ કલાસ, નોટ બીલો પોવર્ટી લાઈન- એવા વર્ગને વિશેષરૂપે તાકવાનું પસંદ કર્યું છે. તો, અહીં મુદ્દાની વાત કદાચ એ બને છે કે ચર્ચા નાતજાતમાં સીમિત નહીં રહેતાં કંઈક વર્ગીય અને નાગરિકી વલણ દાખવે છે. આ એસ્પિરેશનલ મિડલ કલાસથી માંડીને એન.આર.એમ.બી. જેવાં વાનાં આપણને કદાચ એ બાબતે વિચારવાની ફરજ પાડે છે કે પરંપરાગત ગ્રામભારતને બદલે શહેરી ભારત (ઈન્ડિયા) વિસ્તરી રહ્યું છે. આ શહેરીકરણ (પાંચસાત વરસ પછી અડધું ગુજરાત શહેરોમાં હશે) નાતજાતના ઓળખ-રાજકારણ ઉપરાંતના અભિગમની અપેક્ષા રાખે છે એમ કહેવામાં હરકત નથી.

છેલ્લા સેન્સસમાં અગાઉના ૧,૩૬૨ સેન્સસ ટાઉનને બદલે ૩,૮૮૪ સેન્સસ ટાઉન ઉભર્યાં હોય તો એનો અર્થ એ થયો કે શહેરી વલણોવાળું ગ્રામકેન્દ્રીકરણ આગળ વધી રહ્યું છે. સવાલ, આ એસ્પિરેશન મિડલ કલાસથી માંડી એન.આર.એમ.બી. તેમ જ નવ્ય ગ્રામનગરી (રુર્બન) સમુદાયને એકબીજાની તેમ બાકી સૌની સારસંભાળપૂર્વક વિકાસમાં સંયોજવાનો છે. આ વિકાસ સહભાગી હોય એટલો જ સંપોષિત હોય તે પણ જોવાનું છે. ચાલુ પક્ષો થકી ઓળખની સાંકડી રાજરમત એ સંદર્ભમાં છેક જ બેમતલબ અને બેજવાબદાર લેખાશે …



પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

http://www.divyabhaskar.co.in/article/ABH-narrow-identity-vs-inclusive-development-4550835-NOR.html

Loading

Triple P Party

Mahendra Shah|Opinion - Cartoon|15 March 2014

Loading

જોખમો વ્હોરીને સમાજનિર્માણ માટે કાર્યરત કર્મશીલ

પરેશ દવે|Opinion - Opinion|14 March 2014

રોહિત પ્રજાપતિ ચાહે પર્યાવરણના મુદ્દે કાર્ય કરે કે માનવહકની લડાઈ લડે પણ તેમનો એક જ ઉદ્દેશ હોય છે કે વંચિતોને ન્યાય મળે, વિકાસ પ્રક્રિયામાં લોકોને જોડવા. રોહિત પ્રજાપતિ મૂળે ઇજનેર છે, પણ તેમનું ઇજનેર તરીકેનું શિક્ષણ સમાજ સંરચના તરફ વળ્યું. રોહિત પ્રજાપતિની વિકાસયાત્રા મૂળ તો તેમના બચપણના વિચારમંથનનું પરિણામ છે. વર્ષ ૧૯૬૫માં જન્મેલા રોહિત જ્યારે પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે ઘરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓ અને દેશભક્તિનું વાતાવરણ હતું. સમગ્ર કુટુંબ આર.એસ.એસ.ના રંગે રંગાયેલું. રોહિત પ્રજાપતિના પિતાના ફુઆ બાબુભાઈ ઓઝા ગુજરાત અને બિહાર રાજ્યના પ્રાંત પ્રચારક હતા. રોહિત પ્રજાપતિ પોતે પણ આર.એસ.એસ.ની શાખામાં જતા હતા. બચપણમાં જ્યારે તેઓ આઝાદી અને આબાદી વિશે સાંભળતા પણ ત્યા ગરીબાઈ, શોષણ જોતા તો રોહિત પ્રજાપતિના મનમાં અજંપો સર્જાતો કે આઝાદી તો મળી પણ સમાજ તો ત્યાંનો ત્યાં જ છે. મનોમંથનથી રોહિત પ્રજાપતિને આબાદી વગરની આઝાદી તો અધૂરી લાગી. બાળપણમાં જ રોહિત પ્રજાપતિને આઝાદીનો સાચો જવાબ ન મળ્યો. આઝાદી અને આબાદીને કેવી રીતે આમ સમાજ સુધી લઈ જવાય તેના રસ્તા રોહિત પ્રજાપતિએ ગાંધી વિચારસરણીમાં શોધવાના પ્રયાસ કર્યા. રોહિત પ્રજાપતિની આંતરિક શોધની પ્રક્રિયાથી કેટલાકને પ્રશ્નો થવા લાગ્યા ને એવી અફવા ફેલાવાની કોશિશ થઈ કે આ છોકરો ખોટી દિશા તરફ જઈ રહ્યો છે. કદાચ રોહિત પ્રજાપતિના આઝાદી અને આબાદીના સહિયારા સ્વપ્નએ જ લોકોની સાથે કાર્ય કરવાની ભૂમિકા બાંધી હશે.

રોહિત પ્રજાપતિ

પહેલાં હું ધર્મિષ્ઠ હતો અને હવે હું નાસ્તિક છું એમ કહી રોહિત પ્રજાપતિ ઉમેરે છે કે, હું કાર્લ માર્કસ અને ભગતસિંહને વાંચીને નાસ્તિક બન્યો છું. મારા પિતા પરદેશથી આવ્યા અને પોતાની કંપની શરૂ કરી. પણ મને ફેક્ટરીમાં રસ પડે નહીં. હું વડોદરા ખાતે કોઠી ચાર રસ્તા પર આવેલી આર.એસ.એસ.ની ઓફિસે જતો અને પ્રશ્નો પૂછતો પણ સંતોષકારક જવાબ ન મળતા. મને થયું તેમના આઝાદી અને આબાદીના ખ્યાલો ખોટા હતા. પછી હું ગાંધીજી અને આંબેડકરના સાહિત્ય તરફ વળ્યો. મને સમજાયું કે આઝાદી અને ક્રાન્તિ એ અલગ-અલગ વાત છે. હું માનતો થયો કે ક્રાન્તિ એટલે મૂળભૂત પાયાના ફેરફાર. મારા આ ખ્યાલો બારમાં ઘોરણમાં હતો ત્યારના છે. બારમાં ધોરણમાં ભણતો ત્યારથી મેં ઘરેથી પૈસા લેવાનું બંધ કર્યું. મેં મિત્રના ઘરે રહીને બારમાં ધોરણની પરીક્ષા આપી. એ સમયે લોકોના મગજમાં બાર સાયન્સ કરી મેડિકલમાં જવાનું ભૂત નવુંસવું ભરાવાનું શરૂ થયું હતું. મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. હું માનતો કે સમાજ સેવા કરવા કરતાં સમાજ બદલાવની પ્રક્રિયા કરવી. આ સમયે હું જાણીતા નારીવાદી કાર્યકર તૃપ્તિ શાહના સંપર્કમાં આવ્યો. મેં કાર્લ માર્કસનું ‘દાસ કેપિટલ’ અને લિયોન ટ્રોટસ્કીનું’ રિવોલ્યુશન બિટ્રેડ’ (ક્રાન્તિને દગો) નામનું પુસ્તક વાંચ્યું. આ પુસ્તકે મારાં મન ઉપર મોટી અસર સર્જી. અમે માનતા થયા કે લોકોને ઈન્કલુસિવ વિકાસ માટે જોડવા જોઈએ. આ વિચારથી તૃપ્તિ અને અન્ય મિત્રોની સાથે વડોદરાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને વડોદરાની નજીક આવેલા નાનપુરા ગામમાં કાર્ય કરવાની શરૂઆત કરી. અમે નક્કી કર્યું કે દેશી કે પરદેશી ફંડિંગ એજન્સીના પૈસા લેવાં નહીં, પ્રોજેક્ટ આધારિત કાર્ય કરવા નહીં, લોકોની ઇચ્છા પ્રમાણે અમે તેમની સાથે કાર્ય કરીશું. આપણો ખર્ચ જે સમાજ માટે કાર્ય કરીએ છીએ તે સમાજમાંથી જ ઊભો કરવો. કારણ કે, આપણે તે સમાજને જવાબદાર છીએ. લોક આંદોલન એ લોકોના પૈસે ચાલવું જોઈએ. જેથી લોકો આંદોલનની સાથે સંકળાયેલા લોકો પાસે જવાબ માગી શકે.

રોહિત પ્રજાપતિનો ટ્રેડ યુનિયનની સાથે પણ ઘનિષ્ઠ નાતો રહ્યો છે. તેઓ ટ્રેડ યુનિયનમાં સક્રિય બન્યા. અવારનવાર યુનિયનના કામ અર્થે કોર્ટમાં જવાનુ બનતું. માનવહકના પ્રશ્ને કામ કરતા રોહિત પ્રજાપતિના મનમાં સમાન સમાજ કેવો હોવો જોઈએ તેની તસવીર સ્પષ્ટ બની ગઈ. બરાબર આ જ અરસામાં રાજ્યમાં નર્મદા બચાવો આંદોલન શરૂ થયું હતું. રોહિત પ્રજાપતિ અન્ય મિત્ર સાથે સક્રિય થયા હતા. કોનો વિકાસ, કોનો વિનાશ આ ભાવના રોહિત પ્રજાપતિમાં જન્મી અને તેઓ આ વિભાવના થકી નર્મદા બચાવ આંદોલનમાં વધુ સક્રિય થયા. આ એ સમય હતો કે જે સમયે સરદાર સરોવર ડેમને લોકો આંધળો ટેકો આપતા હતા. રોહિત પ્રજાપતિ કારકિર્દી વિશે જણાવે છે કે, એન્જિનિયર થયા પછી મોટી કંપનીઓમાં નોકરી કરી અને પછી નોકરી છોડીને જર્મનીમાં માસ્ટર કરવા ગયો, જેમાં પર્યાવરણ અને વૈકલ્પિક ઊર્જા કેન્દ્રસ્થાને હતા. ત્યાં પીએચ.ડી. કરવાનો મોકો મળ્યો પણ ગુજરાતમાં એ જ સમયે નર્મદા બચાવો આંદોલનમાં નવા-નવા મુદ્દા ઉમેરાતા જતા હતા. વિશ્વબેંક પણ નર્મદા યોજના માટે ધિરાણ આપવા તૈયાર થઈ હતી. યુરોપિયન દેશો પણ નર્મદામાં ધિરાણ આપવા તરફી હતા. બીજી તરફ સરકારના દાવા કરતાં સચ્ચાઈ અલગ દેખાતી હતી. સરકાર પુનર્વસન બાબતે અસ્પષ્ટ હતી. અમે પુનર્વસન અને સરકારી દાવા બાબતે સચ્ચાઈ સામે લાવવાની કોશિશ કરી હતી. જેમાં પર્યાવરણના મુદ્દા, આદિવાસીના અધિકારના મુદ્દા લોકો સુધી લઈ જવાની કોશિશ કરી હતી. રોહિત પ્રજાપતિ વિવિધ આંદોલનોમાં સહભાગી થવા માટે જર્મનીથી પીએચ.ડી. છોડીને વડોદરા આવી સંપૂર્ણ રીતે આંદોલનોમાં જોડાઈ ગયા.

૧૯૯૬-૯૭માં રોહિત પ્રજાપતિ અને તૃપ્તિ શાહ, સ્વાતિ દેસાઈ, માઈકલ મઝગાંવકર, ઝિયા પઠાણ જેવાં મિત્રોની સાથે મળીને પર્યાવરણ સુરક્ષા સમિતિની રચના કરી. આરંભમાં પર્યાવરણ સુરક્ષા સમિતિએ પ્રદૂષણની લોકોના અને કામદારોના આરોગ્ય ઉપર, હવા, પાણી અને ખેત પેદાશો ઉપર થતી અસરો બાબતે માહિતી અને અભ્યાસ કરવાની શરૂઆત કરી. પર્યાવરણ સુરક્ષા સમિતિએ વિગતવાર આંકડાકીય માહિતી એકત્ર કરી. ૧૯૯૮માં ઇન્ડિયન પીપલ્સ િટ્રબ્યુનલ કરવાનો વિચાર સૂઝ્યો. વિચાર એવો હતો િટ્રબ્યુનલમાં નિવૃત્ત જજની નિયુક્તિ  થાય જે સમાંતર કોર્ટ ચલાવે. આ કોર્ટ થકી સરકાર અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કેસ હોય તેને પણ સાંભળવામાં આવે. પર્યાવરણ સુરક્ષા સમિતિએ વટવાથી વાપી સુધીનો ગોલ્ડન કોરિડોરમાં આવેલા ઉદ્યોગના પ્રદૂષણ બાબતે ‘હુ બેર ધ કોસ્ટ ઃ ઈન્ટસ્ટ્રિયલાઈઝેશન એન્ડ ટોક્સિક પોલ્યુશન ઈન ધ ગોલ્ડન કોરિડોર ઓફ ગુજરાત’ નામે રિપોર્ટ તૈયાર કર્યો. જે રિપોર્ટ આમ સમાજ, સરકાર, ઉદ્યોગો અને કર્મશીલો માટે આંખ ખોલી નાંખનારો રહ્યો. આ રિપોર્ટમાં ગોલ્ડન કોરિડોર વિસ્તારમાં વસતા લોકોના શરીરમાં શાકભાજીના માધ્યમ થકી કેટલું ઝેર પ્રવેશ્યું છે તેની ચોંકાવનારી વિગતો સમાવિષ્ટ છે. આ રિપોર્ટમાં બહાર આવેલા તથ્યોના આધારે વટવા, વાપીમાં નવા ઉદ્યોગોના વિસ્તરણ ઉપર પણ સરકારે મનેકમને પ્રતિબંધ મૂકવો પડ્યો છે.

પર્યાવરણના મુદ્દાને રોહિત પ્રજાપતિ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ વતી અને સ્થાનિક ખેડૂતોના ફાર્મર્સ એક્શન ગ્રુપ વતી રોહિત પ્રજાપતિએ ગુજરાત સહિત દેશના ૧૯ રાજ્યોના મુખ્ય સચિવ અને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ સામે પ્રદૂષણની ગંભીર સમસ્યા બાબતે જાહેર અરજી નંબર ૩૭૫-૨૦૧૨થી કેસ કર્યો છે. જેની સુનવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજ કરી રહ્યાં છે અને તેની છેલ્લી તારીખ ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૪ હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતે તમામ ખુલાસા રજૂ કરવાનો ચાર માસનો સમય આપ્યો છે.

હાલમાં રાજ્ય સરકાર સરદાર પટેલની મૂર્તિ સરદાર સરોવર ડેમથી ૩.૨ કિલોમિટરના અંતરે નર્મદા નદીમાં ઊભી કરવાની છે અને તે સ્થળે સરકાર બીજો એક ડેમ (ગરુડેશ્વર વિયર) તૈયાર કરી રહી છે. જેથી આ ડેમના કારણે સરદાર પટેલની મૂર્તિની આસપાસ એક સરોવરનું નિર્માણ થાય અને તેમાં બોટિંગ કરી શકાય. આ નવા ડેમથી ૧૧ ગામોના આશરે ૧૨ હજાર આદિવાસીઓને અસર થશે. સરદાર પટેલની મૂર્તિ બનાવી સરકાર ટુરિઝમના નામે ૭૦ ગામના ૭૦ હજાર આદિવાસીઓને વિસ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે. રોહિત પ્રજાપતિ, તૃપ્તિ બહેન, લખન મુસાફરી અને તેમના સાથીઓ જે અસરગ્રસ્તોના માથે વિકાસના નામે વિનાશની તલવાર લટકી રહી છે તેવા આદિવાસીઓની સાથે તેમના હકો માટે લડત ચલાવી રહ્યાં છે.

રોહિત પ્રજાપતિએ રાજ્યના મુખ્યમંત્રીની ક્લાઈમેન્ટ ચેન્જના ‘કન્વિનિયન્ટ એક્શન-ગુજરાત રિસ્પોન્સ ટુ ચેલેન્જીસ ઓફ ક્લાઈમેટ ચેન્જ’ નામના પુસ્તક પર વિગતવાર છણાવટ કરતો રિવ્યુ લખ્યો છે. આ રિવ્યુમાં રોહિત પ્રજાપતિએ ગુજરાતના પ્રદૂષણની સમસ્યા અંગે નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રદૂષણને સંતાડવાની કોશિશ સામે પ્રશ્નો કર્યા છે, જેનો જવાબ આજ સુધી નરેન્દ્ર મોદીએ આપ્યો નથી. આ રિવ્યુ ગુજરાતી-ભાષા સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.

આ મુદ્દો પર્યાવરણનો હોય કે પ્રદૂષણનો કે આદિવાસીઓના હકનો – રોહિત પ્રજાપતિ તેમના જીવનસંગી તૃપ્તિબહેન અને અન્ય સાથીઓની સાથે ન્યાયની લડત સતત લડી રહ્યા છે. આ લડતે તેમના વ્યક્તિગત જીવનમાં મુશ્કેલી અને પ્રશ્નો ઊભા કર્યા છે. પર્યાવરણના મુદ્દે સરકારમાં ટહેલ નાખવાથી વાપી ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશન અને બે કંપનીઓએ રોહિત પ્રજાપતિ ઉપર રૂ.૨૫ કરોડનો માનહાનિ કેસ માંડ્યો છે. આ જ મુદ્દે  રોહિત પ્રજાપતિ ઉપર બે વર્ષની જેલ થાય તેવો માનહાનિનો ફોજદારી કેસ પણ નોંધાયો છે. અન્યાય સામે સતત લડત આપનારા રોહિત પ્રજાપતિ કોઈ પણ સાધકથી કમ નથી. પણ કમનસીબે આજે રોહિત-તૃપ્તિ જેવાંને ગુજરાતમાં સાચવીને ઘરની બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોલિસ તપાસ અને હેરાનગતિ સામાન્ય બાબત બની છે. રોહિત પ્રજાપતિને ત્યાં પુત્ર માનવ જે દિવસે જન્મ્યો તે જ દિવસે નર્મદા બચાવો આંદોલનની ઓફિસને રાજકીય કાર્યકરોએ સળગાવી હતી.

આજે રોહિત પ્રજાપતિ અને તેમની જીવનસંગિનીની જોડી રોહિત-તૃપ્તિ તરીકે ઓળખાય છે. રોહિત પ્રજાપતિના વૈચારિક વિકાસમાં તૃપ્તિનું મોટું ભાથું છે. તેમની સક્રિયતાથી પર્યાવરણના મુદ્દે આગવી પહેલ થઈ છે. વંચિતોને ન્યાય મળે છે. રોહિત પ્રજાપતિ લડવૈયા છે. આવી રીતે માથે જોખમ વ્હોરી, આંખોમાં સ્વપ્નો લઈને સમાન સમાજના નિર્માણ માટે, સુરિક્ષત પર્યાવરણ અને વંચિતોને ન્યાય માટે રોહિત-તૃપ્તિ સક્રિય છે.

e.mail : pdave68@gmail.com

Loading

...102030...4,0304,0314,0324,033...4,0404,0504,060...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved