‘અરે, યાર મઝામાં છે ને?’ કાયમ જ્યારે પણ આવો સવાલ સંભળાય તો સમજી જવાનું કે આ તો પેલો સુખિયો છે. સવાલ પાછળનો નિતર્યો પ્રેમ હૃદયસ્પર્શી હતો. નામ તેનું સખારામ પણ આખી દુનિયામાં તે સુખિયાને નામે ઓળખતો. કોઈએ હજી સુધી તેનું મુખ કદી તંગ જોયું ન હતું. હંમેશાં ખુશખુશાલ જણાય. વાતાવરણ ભલેને ગંભીર હોય, પણ જો સુખિયો દાખલ થાય કે તરત આજુબાજુનું હવામાન બદલાઈ જાય.
સુખિયો કાંઈ લાખોપતિ ન હતો ! પણ તેની ઇજ્જત કોઈ કરોડપતિથી કમ ન હતી.
ઘણાં વર્ષોની જૂની નોકરી હતી. નોકરી તો કહેવાની, શેઠાણીનાં બધાં કામ કરવાનાં. શેઠને તેના પર ગળા સુધીનો વિશ્વાસ કે સુખિયાના રાજમાં શેઠાણી તેમ જ તેમની લાડલી દીકરી બંને સુરક્ષિત. સવારના ઘડિયાળમાં કદાચ આઠ વહેલા મોડા વાગે. સમયનો પાબંધી સુખિયો આઠ વાગે બરાબર શેઠને ઘર પહોંચી જતો.
શેઠાણી કાયમ સુખિયો આવે ત્યારે ઘડિયાળમાં સમય મિલાવે. મીના અને મોહિતને ગાડીમાં શાળાએ છોડી આવી સુખિયો હંમેશાં શાક પાંદડું અને ફળ ફળાદિ લેવા જતો. તેની વફાદારી જોઈ, છેલ્લાં ત્રણ વર્ષથી સુખિયો ગાડી ચલાવતાં પણ શિખ્યો હતો. ઘરના નાનાં મોટાં બધાં કામ શેઠાણી સુખિયાને ચિંધતી.
સુખિયાને કોઈ બાળક હતાં નહીં. શેઠના બંને બાળકો તેને ખૂબ વહાલાં હતાં. સુખિયાની વહુ સુમી આમ તો ખુશ રહેતી પણ બાળક ન હોવાનું દુ:ખ તેનું હૈયું ચીરી નાખતું.
‘યાર, મઝામાં છે ને?’ સુખિયો ઘરમાં પ્રવેશતાં, પહેલું વાક્ય આ જ બોલતો. આજે સુમીનો જવાબ જરા નરમ સંભળાયો. એકદમ તેની નજીક જઈને બોલ્યો, ‘શું થયું, તબિયત તો સારી છે ને.’ સુમી જવાબ આપવાને બદલે રસોડામાં ચા મૂકવા જતી રહી. સુખિયાનું ખુશ મુખારવિંદ અને લાગણીભર્યો અવાજ તે જીરવી ન શકી. જવાબ આપવાનું ભલે ટાળ્યું પણ અંતર રોતું હતું.
આજે બપોરે સુખિયાના શેઠ ઘરે આવ્યા હતા !
—————-
e.mail : pravinash@yahoo.com
![]()



દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડો. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.