Opinion Magazine
Number of visits: 9576600
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સો સો સલામો આપને, ઇંદુભાઇ !

રમેશ સવાણી|Opinion - Opinion|21 December 2025

ઇન્દુકુમાર જાની

ઇન્દુકુમાર જાની (19 ડિસેમ્બર 1943 / 18 એપ્રિલ 2021) ગુજરાતના પત્રકાર જગત, કર્મશીલો કે વિવેકશીલ વિચારકોમાં આ નામ અજાણ્યુ નથી. નખશીખ ગાંધીજન, સજ્જનતા અને સૌમ્યતાની મૂર્તિ. સ્પષ્ટ વક્તા અને નીડર પત્રકાર એવા ઇંદુભાઇ જાનીનો મને છેલ્લાં પચ્ચીસ વરસથી સહવાસ મળ્યો તે મારું પરમ સૌભાગ્ય ગણું છું.

ઇંદુભાઇ સાથેનો પરિચય મને વાડીલાલ કામદાર મારફતે થયેલો. પછી તો એમના તરફનું આકર્ષણ વધતું જ ગયું અને અમારા સબંધો ખૂબ આત્મીય બન્યા. મને ‘નયા માર્ગ’ સામયિકમાં લખવાની પ્રેરણા આપી અને અનેક પુસ્તકો ભેટ આપ્યાં. ગાંધીનગરથી અમદાવાદ જવાનું થાય ત્યારે ગાંધી આશ્રમ પાસેની ખેત ભવનની તેમની ‘નયા માર્ગ’ની ઓફિસ રસ્તામાં જ આવે. એમની સાથે સત્સંગ કરવાની લાલચ રોકી શકું નહિ. ઓફિસમાં બનાવેલી સરસ મઝાની ચા અને વિચારોનું ભાથું મળે.

એમની વાતોમાં ગરીબો, વંચિતો, દલિતો, લધુમતિઓ અને મહિલાઓને થતા અન્યાય અને પીડાની વ્યથા હોય. કોઇના પણ ડર કે પક્ષપાત વિના સત્ય ઉજાગર કરવાની આવડત અને હિંમત અદ્દભુત હતા. મારે વિદેશમાં વસવાટ થતાં રૂબરૂ મૂલાકાતો ઓછી થઇ પણ ફોનથી પંદર દિવસે વાતો અચૂક થતી. સ્વદેશ જવાનુ થાય ત્યારે સાથે પ્રવાસ કાર્યક્રમ ગોઠવાય. એમના ઘરે અને અમારા ઘરે જમવાનું પણ ગોઠવાય. એ બહાને એમની સાથે વાર્તાલાપ કરવાનો વધુ ને વધુ લાભ શોધતો.

મારી મૂંઝવણો કે જિજ્ઞાસા તેમના સમક્ષ વ્યક્ત કરતો અને પરમ સંતોષ પામતો. મને ખબર પડી કે એમણે લોકસેવા કરવા બેંકની નોકરી છોડીને માત્ર જીવન નિર્વાહ પૂરતા વેતનથી લોકસેવા કરે છે. ત્યારે સંસ્થા કે ‘નયા માર્ગ’ સામયિક ચલાવવા આર્થિક મદદ સ્વીકારવા આગ્રહ કરતો. પણ કદી એવી તક આપી નહિ. ખૂબ આગ્રહ કર્યો તો એક વખત કોઇ તાલુકાની શાળાઓને એક વર્ષ માટે ‘નયા માર્ગ’નું લવાજમ સ્વીકાર્યુ.

ઘણી વખત હુ એમને કેનેડા આવવા આમંત્રણ આપતો. બે વરસ પહેલાં એમના લધુબંધુ પરેશભાઇને ત્યાં લગ્નમાં કેનેડા આવેલા. એમના ભાઇના શહેરથી અમે 400 કિલોમીટર દૂર હતા, છતાં ખાસ મળવા આવ્યા અને રાત અમારી સાથે રોકાયા. દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ વિષે મારો ઇન્ટરવ્યૂ લઇ ‘નયા માર્ગ’માં છાપ્યો.

આઠ દિવસ પહેલાં જાણવા મળ્યું કે ઇંદુભાઇને કોરોના થયો છે. ફોનથી વાતો કરી. અવાજમાં સ્પષ્ટતા અને સ્વસ્થતા હતાં. લાગતું હતું કે આરામ થઇ જશે. પણ અચાનક તબિયત બગડી અને ચાર દિવસની સારવારમાં વિદાય લીધી.

લાગે છે દેશની વર્તમાન પરિસ્થિતિ, નૈતિક મૂલ્યોનું ધોવાણ, ગાંધી વિચારોની હત્યા, છેવડાના માનવીનુ દોહ્યલું બનેલું જીવન, કોમવાદી અને જાતિવાદી પરિબળોના અત્યાચારો અને ધર્મનાં પાખંડોથી તેમનુ મન જીવવા ઉપરથી ઊઠી ગયું હશે. અમારી વાતોમાં આ બાબતે ખૂબ બળાપો વ્યક્ત કરતા. જીવનની જવાબદારીઓથી ભાગીને પરોપજીવી અને બીન ઉત્પાદક જીવન જીવતા સાધુઓ નહિ પણ સત્ય અને સેવાની ધૂણી ધખાવી જીવનના સંધર્ષોનો સામનો કરતા આવા સાદગી, સંયમ અને શિસ્તને વરેલા તપસ્વીમાં જ મને એક ઋષિનાં દર્શન થાય છે.

સલામ આપની સાદગીને, સલામ આપની સૌમ્યતાને, સલામ આપની સેવાને, સલામ આપની સાધનાને, સલામ આપની શિસ્તને, સલામ આપના સમર્પણને, સલામ આપની સંવેદનશીલતાને, સો સો સલામો આપને, ઇંદુભાઇ !

[સૌજન્ય : જગદીશ બારોટ. કેનેડા, એપ્રિલ 2021]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 December 2025

એક આર્જેન્ટિનિયન ખેલાડી જે અહીં એક પણ મેચ નથી રમવાનો તેની આગતા–સ્વાગતા માટે ગણતરીના દિવસોમાં 120 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખડી થઇ; પણ આપણી પોતાની લીગને ચાલુ રાખવા માટે આપણી પાસે વર્ષે 37.5 કરોડ જેટલી રકમ નથી. 

ચિરંતના ભટ્ટ

લિયોનેલ મેસીની ગયા અઠવાડિયાની ભારતની મુલાકાત બે સાવ અલગ વાસ્તવિકતાઓ નજર સામે મૂકે છે. એક તરફ કોલકાતા, મુંબઈ અને દિલ્હીના સ્ટેડિયમો હજારો ચાહકોથી ભરચક હતા. આર્જેન્ટિનાના આ G.O.A.T – Greatest of All Time – ગણાતા ફૂટબૉલરની એક ઝલક માટે લોકોએ ખિસ્સા ખાલી કર્યા. લોકોમાં જોરદાર ઉત્સાહ હતો. એ જ ચાહકોએ સ્ટેડિયમની સીટો તોડી, પાણીની બોટલો ફેંકી અને આખી ઇવેન્ટને ભાંડી કારણ કે તેમણે બાર હજાર રૂપિયા ખર્ચ્યા હતા જેથી તે તેમના મનગમતા ખેલાડીને જોઈ શકે, તેને સાંભળી શકે, વગેરે પણ તેમને મળી માત્ર 20 મિનિટ જેમાં મેસીએ ગ્રાઉન્ડ પર હાજરી આપીને લોકો સામે વેવ કર્યું. ઘણા લોકોને આ પણ જોવા નહોતું મળ્યું કારણ કે વી.આઇ.પી. નેતાઓએ તેમનો વ્યૂ બ્લોક કરી દીધો હતો. વી.આઇ.પી.ઝના મેસી સાથેના ફોટોઝ થઇ ગયા પછી મેસીને ત્યાંથી વિદાય કરી દેવાયો. 

મેસીની ભારતની ટૂર ત્રણ દિવસની હતી જેને માટે 120 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. આટલા બધા ખર્ચા સાથેની એક હકીકત મેસીની ઇવેન્ટની અફરાતફરી હતી, ટિકિટોના મોંઘા ભાવ હતા અને દર્શકોની નિરાશા હતી તો બીજી વાસ્તવિકતા એ પણ છે કે ઇન્ડિયન સુપર લીગ – ISL જે દેશની મુખ્ય ફૂટબૉલ સ્પર્ધા છે તેને ચાલુ રાખવા માટે વર્ષે 37.5 કરોડ રૂપિયાની ગેરંટી આપવા માટે એક પણ લેવાલ નથી. 

ભારતની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન સંદેશ ઝિંગને આ બાબતો સોશ્યલ મીડિયા પર અને અન્ય પ્રસાર માધ્યમો સાથેની વાતચીતમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે, “અમે બધું બંધ કરવાની અણી પર છીએ કારણ કે ભારતમાં ફૂટબૉલમાં રોકાણ કરવાની કોઈની દાનત નથી, છતાં ય આ પ્રવાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા.” આ વાક્ય ભારતી ફૂટબૉલ વિશ્વના દરેક સ્ટૅકહોલ્ડરને કઠવું જોઇએ. 

આપણે એ ગણિત માંડીએ જે ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (AIFF) કે ભારતીય કોર્પોરેટ્સને કાં તો સમજાતું નથી અથવા સમજવું નથી. રિપોર્ટ અનુસાર GOATની ઇન્ડિયા ટૂર પાછળ સોથી દોઢસો કરોડ જેટલો ખર્ચો થયો છે. ચાહકોએ મેસી સાથે હાથ મિલાવવા અને ફોટો પડાવવા માટે 11.74 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો હતો અને વી.આઇ.પી. પેકેજીઝ લાખોમાં વેચાયા હતા. આ ટૂર તેના આયોજકો અને બ્રાન્ડ્ઝ માટે કમાણીનો ઉત્સવ હતી.

બીજી તરફ ઇન્ડિયન સુપર લીગ અત્યારે અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત છે AIFF એ ISL ચલાવવા માટે કોમર્શિયલ પાર્ટનર્સ પાસેથી વાર્ષિક માત્ર ૩૭.૫ કરોડ રૂપિયાની માંગણી સાથે પ્રસ્તાવ મૂક્યો હતો. પરિણામ? એક પણ બિડ આવી નહીં. ટેન્ડર એટલા માટે રદ્દ થયું કારણ કે સંભવિત રોકાણકારોની ગણતરી હતી કે ગેરંટીની રકમ ઉપરાંત તેમને દર વર્ષે ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.

આ વિચારવા જેવી બાબત છે કે એક આર્જેન્ટિનિયન ખેલાડી જે અહીં એક પણ મેચ નથી રમવાનો તેની આગતા-સ્વાગતા માટે ગણતરીના દિવસોમાં 120 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખડી થઇ પણ આપણી પોતાની લીગને ચાલુ રાખવા માટે આપણી પાસે વર્ષે 37.5 કરોડ જેટલી રકમ નથી. જો એ રકમ મળી શકે તો હજારો ભારતીયોને રોજગારી મળે, આપણા ફૂટબૉલર્સને કામ વગર બેસી ન રહેવું પડે. આપણી ફૂટબૉલ લીગ 13 ક્લબોને સપોર્ટ કરે છે, (જે વાર્ષિક ૬૫૦ કરોડનું રોકાણ કરનારી છે), યુવાનો માટે એકેડમીઝ ચલાવે છે અને તે ભારતીય ફૂટબૉલરો માટે કારકિર્દીનો એકમાત્ર વ્યવસાયિક માર્ગ છે.

ભારતની બીજા સ્તરની લીગ, ‘આઈ-લીગ’ (I-League), વાર્ષિક માત્ર ૬ કરોડ રૂપિયાની ગેરંટી માંગી રહી છે. આ રકમ મેસી સાથેની એક સેલ્ફીના અંદાજે ૫૦ પ્રીમિયમ પૅકેજ બરાબર છે. છતાં, લીગને મંજૂરી નથી મળી અને બધી કલ્બ્ઝ અધ્ધરતલ છે.

બોરિયા મજમુદાર સાથેના એક ઇન્ટરવ્યુમાં ઝિંગને પોતાની વાત સમજાવવા એવું દૃષ્ટાંત આપ્યું કે કોઈ પત્રકારને એમ કહી દેવાય કે તમારે લખવાનું નથી, તમારી પાસેથી બધું જ છીનવી લેવાય તો તમે એ સ્થિતિનો સામનો કેવી રીતે કરશો? આ ઇન્ટરવ્યુ પરથી કળાય છે કે વ્યવસાયિક ફૂટબોલરો માટે, કારકિર્દી માંડ 15 વર્ષની હોય છે. ISL 215 દિવસથી વધુ સમયથી બંધ છે – એટલે કે 2025 વર્ષનો લગભગ 60 ટકા સમય. આ માત્ર વેડફાયેલો સમય નથી; ૨૦ થી ૩૦ વર્ષની વયના ખેલાડીઓ માટે આ કારકિર્દીના એવાં વર્ષો છે જે ક્યારે ય પાછાં નહીં આવે. કોચ ભવિષ્યના કોન્ટ્રાક્ટ સિક્યોર નથી કરી શકતા. વિદેશી ખેલાડીઓ ભાડાના એપાર્ટમેન્ટમાં બેસી રહ્યા છે, કમાણી કે રમત વગર, કારણ કે જે લીગે તેમને રમવા માટે કામે રાખ્યા હતા તે અચાનક ગાયબ થઈ ગઈ છે. આવું ચાલશે તો વાલીઓ પોતાના સંતાનોને ફૂટબૉલના ક્ષેત્રમાં આગળ મોકલતા અચકાશે અને ફૂટબૉલની રમત આપણા મેદાનો પરથી ધીમે ધીમે ભુંસાઇ જશે. ઝિંગનનું માનવું છે કે આ હાલ પ્રોફેશનલ્સને તો નિષ્ફળ બનાવે જ છે પણ આ રીતે આવતીકાલની મહત્ત્વાકાંક્ષાઓનું પણ ગળું ટૂંપી દેવાય છે.

મેસીના આગમનને પગલે કોલકાતામાં થયેલી અંધાધૂંધી એ વાતનું પ્રતીક હતી કે ભારતમાં સ્પોર્ટસ રમત નથી પણ તમાશો છે. મેસી સોલ્ટ લેક સ્ટેડિયમમાં માંડ ૨૦ મિનિટ રોકાયો હશે ત્યાં તો સેલ્ફી લેવા માટે પડાપડી કરતા નેતાઓ અને અધિકારીઓએ તેને ઘેરી લીધો. મોંઘી ટિકિટો ખરીદનારા સામાન્ય ચાહકોને કશું જ જોવા ન મળ્યું. મુખ્ય આયોજકની ધરપકડ થઈ. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ માફી માંગી.

માફી માગવાથી માળખાગત સડો દૂર નથી થવાનો. આ માત્ર ફોટો ઓપ ઇકોનોમી હતી, ફૂટબૉલ ઇવેન્ટ નહીં, કારણ કે અહીં ખેલ કરતા સ્ટાર ખેલાડીનું સાન્નિધ્ય મહત્ત્વનું હતું. લાખો રૂપિયાની ટિકિટ રાખવી એ જ બતાડે છે કે તે વી.આઇ.પી. એક્સેસ માટેની ઇવેન્ટ હતી. પ્રિવિલેજ્ડ લોકોની લક્ઝરી પ્રોડક્ટની ખરીદી જેવી ઇવેન્ટથી ફૂટબૉલની રમતને કોઈ ફાયદો નથી થતો. 

આની સરખામણી મેસીની ૨૦૧૧ની ભારત મુલાકાત સાથે કરીએ, જેમાં આર્જેન્ટિના અને વેનેઝુએલા વચ્ચે FIFA દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. મેસી રમ્યો, હરીફાઈ કરી, ગોલ આસિસ્ટ કર્યો. ચાહકો સંતોષ સાથે ગયા કારણ કે તે ઈવેન્ટમાં ફૂટબોલના ખેલનો મલાજો જળવાયો. 2025ના પ્રવાસે ફૂટબોલની જ બાદબાકી કરી નાખી. માત્ર હાઈપ (Hype), હાયરાર્કી (Hierarchy) અને પોકળ ક્ષણો બચ્યાં જેમાં ભારતીય સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન માહેર છે.

ISLની કટોકટી રાતોરાત નથી આવી. આ વર્ષોના નાણાકીય ગેરવહીવટ અને અવાસ્તવિક અપેક્ષાઓનું પરિણામ છે. 2014થી અત્યાર સુધીમાં લીગે અંદાજિત 5,000 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. ક્લબો વાર્ષિક આશરે 60 કરોડ ખર્ચે છે પણ સેન્ટ્રલ રેવેન્યુમાંથી તેમને માત્ર 13-16 કરોડ મળે છે. સ્ટેડિયમમાં હાજરી 2014માં મેચ દીઠ 25,000 હતી જે ગત સીઝનમાં ઘટીને 11,084 થઈ ગઈ છે.

AIFFના ટેન્ડરમાં 37.5 કરોડની ગેરંટી માંગવામાં આવી હતી, સામે કોમર્શિયલ પાર્ટનરને 6 સભ્યોના ગવર્નિંગ બોર્ડમાં માત્ર એક સીટ ઓફર કરાઈ, જ્યાં વીટો પાવર (Veto Power) તો AIFF પાસે જ રહેવાનો હતો. કોઈ પણ રોકાણકાર ઓપરેશનલ કંટ્રોલ વગર કરોડોનું નુકસાન ભોગવવા તૈયાર ન થાય.

ભારતીય ફૂટબોલમાં ૧૨૦ કરોડ રૂપિયાથી શું થઈ શક્યું હોત? આઈ-લીગ(I-League)ને આગલાં 20 વર્ષ સુધી ચલાવી શકાઈ હોત. 40થી વધુ યુવા એકેડમીઓને એક વર્ષ માટે ફંડ આપી શકાયું હોત. તમામ રાજ્યોમાં યુવા સ્પર્ધાઓ યોજી શકાઈ હોત. સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારી શકાયું હોત. રેફરી ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવી શકાયા હોત. તેના બદલે, આપણે આ રકમ ત્રણ દિવસના પ્રમોશનલ પ્રવાસમાં ઉડાવી દીધી, જેનાથી માળખાગત રીતે કશો જ ફરક પડ્યો નથી. આમાં મેસીનો વાંક નથી. તેણે તેનો કોન્ટ્રાક્ટ પૂરો કર્યો અને તે પૂરા ગ્રેસ સાથે વર્ત્યો. પરંતુ ભારતીય ફૂટબોલનું ભવિષ્ય સેલિબ્રિટી વિઝિટથી નહીં બને. તે માટે મેસી માટે 120 કરોડ એકઠા કરનારા હિતધારકોએ સ્થાનિક ફૂટબોલ માટે તેની 10 ટકા પ્રતિબદ્ધતા પણ બતાવવી પડશે.

ઝીંગને આરપાર વિંધી નાખે એવી વાત પણ લખી કે, “આ ઘટના મને એમ કહે છે કે આપણે રમતને પ્રેમ તો કરીએ છીએ પણ ખેલાડીઓને સપોર્ટ કરવા જેટલો નહીં.”

આપણે સામ્રાજ્યવાદને ભાંડીએ પણ હકીકત એ છે કે આપણને વિદેશનો મોહ છૂટતો નથી. ફૂટબૉલ જ્યારે વિદેશી ગ્લોબલ બ્રાન્ડના પૅકેજિંગમાં આવે છે ત્યારે આપણે તેની પૂજા કરીએ છીએ. વિદેશની મહાનતા, વિદેશી લેજન્ડ માટે અઢળક ખર્ચો કરવાની આપણી તૈયારી હોય છે પણ એવો માહોલ, એવા ખેલાડી અહીં તૈયાર કરવાનું રોકાણ કરવાની આપણી દાનત નથી. આપણને બધું રેડીમેડ જોઇએ છે, કંઇક અફલાતૂન GOAT ખડું કરવાની લાંબી ખર્ચાળ મહેનત માગે લેત પ્રક્રિયા કરવામાં આપણને રસ નથી. 

બાય ધી વેઃ 

રમત-ગતમમાં મહાનતા મેળવી ચૂકેલા રાષ્ટ્રો મહાનતાને ‘ઈમ્પોર્ટ’ (આયાત) કરતા નથી. પેલે(Pelé)ને હોસ્ટ કરીને જાપાન ફૂટબોલ પાવર નથી બન્યો. જાપાને દાયકાઓ સુધી શાળાઓ, કોચ અને લીગમાં રોકાણ કર્યું. મોરોક્કો સેલિબ્રિટી ટૂર્સથી આગળ નથી આવ્યું. તેણે એકેડમી અને સિસ્ટમ બનાવી જેણે આજે વિશ્વસ્તરે રમતા ખેલાડીઓ પેદા કર્યા. આપણે પણ ધારીએ તો એ રસ્તો પસંદ કરી શકીએ છે. અથવા આપણે લેજન્ડ્ઝને દૂરથી જોવા માટે સ્ટેડિયમો ભરતા રહી શકીએ છીએ, જ્યારે આપણા પોતાના ફૂટબોલરો વિચારતા રહી જાય કે તેઓ ક્યારે ય ફરી રમી શકશે ખરા? મેસીનો પ્રવાસ પૂરો થયો. સેલ્ફી પોસ્ટ થઈ ગઈ. પરંતુ સંદેશ ઝિંગન અને સેંકડો ભારતીય ફૂટબોલરો હજુ પણ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે: શું આપણને તેમનામાં રોકાણ કરવાની પરવા છે? અત્યારે તેનો જવાબ કઠે એ રીતે સ્પષ્ટ છે. ઇન્ડિયન સુપર લીગ અત્યારે અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત છે અને ભારતીય ફૂટબૉલરો રાહમાં છે કે તેમને તંત્ર યાદ કરે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21  ડિસેમ્બર 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—320

દીપક મહેતા|Opinion - Opinion|20 December 2025

મુંબઈનો એક રાજ મહેલ કઈ રીતે બન્યો કોલેજ?          

થોડા દિવસ પહેલાં એક મિત્રને મળવાનું થયું. કહે : આ સોફિયા કોલેજ તો કોલેજ છે કે રાજ મહેલ? 

કેમ? તમે કોલેજ બદલવાનું વિચારો છો?

ના, રે ના. બે દિવસ પહેલાં એક કોન્ફરન્સમાં કી-નોટ એડ્રેસ આપવા ત્યાં ગઈ હતી. 

મેં કહ્યું : હા, આજે એ કોલેજ છે પણ એક જમાનામાં એ ઈમારત રાજમહેલ હતી. 

હોય નહિ! એક રાજમહેલ મુંબઈમાં! અને એ બને કોલેજ! 

હા. વાત થોડી અટપટી છે, લાંબી છે. થોડા દિવસમાં એને વિષે લખીશ ત્યારે વાંચી લેજો. 

*

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર છેવટે તો હતી વેપારીઓની સરકાર. હિન્દુસ્તાનની સરકાર કોઈ પણ કામમાં ખરચ કરે તે લંડનના બડેખાંઓને આંખના કણાની જેમ ખૂંચે. ટાઉન હોલ બંધાયા પહેલાં મુંબઈ-લંડન વચ્ચે કેવી ખેંચતાણ ચાલેલી એ આપણે જોયું છે. એટલે મુંબઈના માંધાતાઓએ એક નવો નુસખો શોધેલો. એ વખતે મુંબઈની પુષ્કળ જમીન વણવપરાયેલી, પડતર, ઉજ્જડ. એટલે કોઈએ મોટી મદદ કરી હોય, કે કોઈની મોટી મદદ મેળવવાની જરૂર હોય ત્યારે મુંબઈ સરકાર જે-તે વ્યક્તિને મુંબઈની થોડી જમીન ‘ઇનામ’ આપતી. એ માટે ખાસ અલાયદી રાખેલી જમીન ‘ઇનામદારી જમીન’ તરીકે ઓળખાતી. 

અસલ ઈમારત – આજે બની છે ચેપલ

‘એશબર્નર’ મૂળ તો અંગ્રેજોની અટક. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક અધિકારીઓની પણ એ જ અટક. પારસીઓએ અંગ્રેજોની માત્ર રહેણીકરણી કે રિવાજો જ અપનાવ્યાં એવું નહોતું. તેમનાં નામ-અટક પણ અપનાવેલાં. એવી એક અટક તે આ ‘એશબર્નર.’ આ કુટુંબના કોઈ મોભીએ ખરે ટાણે કંપની સરકારને મદદ કરેલી. અને બદલામાં સરકારે ખંભાલા હિલ વિસ્તારમાં ‘ઇનામની જમીન’માંથી એક ટુકડો એ એશબર્નરને આપ્યો. તેમણે એ જગ્યાના એક હિસ્સા પર મોટું મકાન કે નાનો બંગલો કહી શકાય એવી ઈમારત બાંધી અને મુંબઈ સરકારના લશ્કરના વડા સર હેન્રી સમરસેટને રહેવા આપી. એટલું જ નહિ, તેનું નામ પણ રાખ્યું સમરસેટ હાઉસ. આ અસલ મકાન આજે પણ ઊભું છે અને તેનો ઉપયોગ કોલેજના ‘ચેપલ’ તરીકે થાય છે. 

સર હેન્રી સમરસેટનો જન્મ ૧૭૯૪ના ડિસેમ્બરની ૩૦મીએ. અવસાન થયું ૧૮૬૨ના ફેબ્રુઆરીની ૧૫મીએ. ૧૮૧૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે બ્રિટિશ લશ્કરમાં જોડાયા. જૂદાં જૂદાં યુદ્ધોમાં સફળ કામગીરી બાદ ૧૮૫૧ના નવેમ્બરની ૧૧મી તારીખે મેજર-જનરલ બન્યા અને ૧૮૫૩માં બન્યા ‘નાઈટ કમાન્ડર ઓફ બાથ.’ એ સાથે જ તેમની બદલી મુંબઈ સરકારના લશ્કરના વડા તરીકે થઈ. ૧૮૫૫ના માર્ચની ૨૬મીથી ૧૮૬૦ના માર્ચના અંત સુધી તેઓ આ પદે રહ્યા. ત્યાર બાદ સ્વદેશ પાછા ગયા. જિબ્રાલ્ટર ખાતે ૧૮૬૨માં તેમનું અવસાન થયું. 

એશબર્નર પછી આ જગ્યાના માલિક બન્યા બદરુદ્દીન તૈયબજી. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ત્રીજા પ્રમુખ (૧૮૮૭-૧૮૮૮). ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે મુંબઈમાં જન્મ, ૧૯૦૬ના ઓગસ્ટની ૧૯મીએ લંડનમાં અવસાન. યુનિવર્સિટી કોલેજ, લંડન, મિડલ ટેમ્પલમાં ભણીને મુંબઈના પહેલવહેલા હિન્દી બેરિસ્ટર બન્યા. ૧૮૭૪માં તેમણે મુંબઈમાં અંજુમન-એ-ઇસ્લામ કોલેજની સ્થાપના કરી. આરબ જમાતનું તેમનું કુટુંબ અસલમાં હતું ખંભાતનું વતની. બદરુદ્દીનજીના વાલીદને સાત બેટા. સાતેને તેમણે ભણવા માટે ગ્રેટ બ્રિટન મોકલેલા. પાછા આવ્યા પછી બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૮૭૩માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય નિમાયા. ૧૮૭૫થી ૧૯૦૫ સુધી યુનિવર્સિટી ઓફ બોમ્બેની સેનેટના સભ્ય રહ્યા. ૧૮૮૨માં બોમ્બે લેજિસલેટિવ કાઉન્સિલના સભ્ય નિમાયા. પણ નબળી તબિયતને કારણે ૧૮૮૬માં રાજીનામું આપ્યું. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપનામાં બદરુદ્દીન અને તેમના મોટા ભાઈ કમરૂદ્દીન, બંનેનો મોટો ફાળો. ૧૮૯૫માં તેમની નિમણૂક બોમ્બે હાઈ કોર્ટના જજ તરીકે થઈ. આ હોદ્દા પર નીમાનારા તેઓ પહેલા મુસ્લિમ હતા. ૧૯૦૨માં તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા હિન્દી ચીફ જસ્ટિસ બન્યા. તેઓ સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી હતા. પોતાની બધી જ દીકરીઓને તેમણે મુંબઈની સ્કૂલોમાં ભણાવેલી એટલું જ નહિ, ૧૯૦૪માં બે દીકરીઓને ઈંગ્લન્ડ ભણવા મોકલી. 

રાજ મહેલ બન્યો સોફિયા કોલેજ

બદરુદ્દીન તૈયબજી

એશબર્નર કુટુંબ પાસેથી ૧૮૮૨માં સમરસેટ હાઉસ ખરીદ્યા પછી બદરુદ્દીન તૈયબજીએ તેમાં ‘સમરસેટ એનેકસ’ ઈમારત બંધાવી. એ ઈમારતનો મોટો ભાગ આજે ‘સાયન્સ બિલ્ડિંગ’ તરીકે ઓળખાય છે. પણ પછી ફરી એક વાર માલિક બદલાય છે. નવા માલિક છે હોરમસજી નસરવાનજી વકીલ. ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે સોલિસીટરની પરીક્ષામાં પાસ થયેલા એટલી માહિતી સિવાય તેમને વિષે બીજું કાંઈ જાણવા મળતું નથી. પણ વ્યવસાયે વકીલ એટલું તો કહી જ શકાય. તેમણે અસલ ઈમારતની પૂર્વ બાજુએ નવી ઈમારત બાંધીને વિસ્તાર વધાર્યો. પણ તેમના હાથમાં આ મિલકત ઝાઝો વખત રહી નહિ. ૧૯૨૩માં ઇન્દોરના મહારાજા તુકોજીરાવ હોળકર ત્રીજાએ આ જગ્યા ખરીદી. તેને મહેલ જેવી બનાવી. ઈન્દોરની ઉનાળાની ગરમીથી બચવા ઘણી વાર અહીં આવી રહેતા. તુકોજીરાવ હોળકરનું નામ પડતાં જ અમારા ચતુર સુજાણ વાચકોના કાન ચમક્યા હશે. ૧૯૨૫ની શરૂઆતથી બે-ત્રણ વરસ માટે ‘બાવલા ખૂન કેસ’માં સંડોવાયેલા તે જ આ તુકોજીરાવ તો નહિ? હા, જી. એ જ તુકોજીરાવ. અને આપ જાણો છો તે પ્રમાણે અંગ્રેજ સરકાર સાથે વાટાઘાટ કરી, રાજપાટ છોડી, પરદેશ ચાલ્યા ગયા હતા અને એક અમેરિકન સ્ત્રીને પરણ્યા હતા એ જ તુકોજીરાવ. દેખીતી રીતે, હવે તેમને મુંબઈના મહેલમાં રસ રહ્યો નહોતો. મહેલ વેચવા માટે ઘરાક શોધતા હતા. ૧૯૩૭માં ભાવનગરના દેશી રાજ્યના રાજવી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજીએ તુકોજીરાવ પાસેથી આ મહેલ ખરીદી લીધો. 

ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી

કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯૧૨ના મે મહિનાની ૧૯મી તારીખે. અવસાન ૧૯૬૫ના એપ્રિલની બીજી તારીખે. રાજગાદીએ બેઠા ત્યારે ઉંમર ફક્ત સાત વરસ. એટલે ૧૯૩૧માં તેઓ પુખ્ત વયના થયા ત્યાં સુધી સત્તા બ્રિટિશ સરકારે નીમેલી રીજન્સી પાસે રહી. સત્તા હાથમાં આવ્યા પછી તેમણે લોકહિતનાં ઘણાં કામ કર્યાં અને દેશની આઝાદી માટેની લડતને આડકતરી રીતે ટેકો આપતા રહ્યા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે સ્વેચ્છાએ પોતાનું રાજ ભારત સરકારને ધરી દીધું હતું. પછી ૧૯૪૮થી ૧૯૫૨ સુધી તેઓ તે વખતના મદ્રાસ રાજ્યના ગવર્નરના પદે રહ્યા હતા. 

પણ ભાવનગર નરેશ પાસે પણ આ મહેલ ઝાઝો વખત રહ્યો નહિ. ૧૯૪૦માં સોસાયટી ઓફ ધ સેકરેડ હાર્ટ ઓફ જીસસે તે ખરીદી લીધો. આ સોસાયટીની સ્થાપના ઈ.સ. ૧૮૦૦માં ફ્રાન્સમાં થઈ હતી. તેનો મુખ્ય હેતુ છોકરીઓના શિક્ષણ માટેની સગવડો ઊભી કરવાનો હતો. આ સોસાયટીએ મુંબઈમાં કામ પ્રમાણમાં મોડું શરૂ કર્યું. ૧૯૩૯માં તેના ‘ઇન્ડિયન પ્રોવિન્સ’ની શરૂઆત થઈ. આ સંસ્થાએ ભાવનગરના મહારાજા પાસેથી મહેલ ખરીદી લીધો અને ૧૯૪૦માં ત્યાં સોફિયા કોલેજની શરૂઆત કરી. તેનું ઉદ્ઘાટન હીઝ ગ્રેસ આર્ચબિશપ રોબર્ટસને હાથે થયું હતું અને મધર એન્ડરસન તેના પહેલા પ્રિન્સિપાલ નિમાયાં હતાં. ૧૯૪૧માં આર્ટસ ફેકલ્ટી શરૂ થઈ ત્યારે યુનિવર્સિટી ઓફ બોમ્બેએ તેને કામચલાઉ માન્યતા આપી હતી. ૧૯૫૦માં તેને કાયમી માન્યતા મળી. ૧૯૫૨માં વિજ્ઞાન શાખા શરૂ થઈ અને ૨૦૦૧માં સોફિયા સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટની શરૂઆત થઈ. ૨૦૧૮થી આ કોલેજને ઓટોનોમસ (સ્વાયત્ત) કોલેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ફ્રાન્સિસ વોર્ડન

આ કોલેજ જે રસ્તા પર આવેલી છે તે રસ્તાનું આજનું નામ ભુલાભાઈ દેસાઈ રોડ, અસલ નામ વોર્ડન રોડ. ફ્રાન્સિસ વોર્ડન મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી હતા. વખત જતાં તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર નિમાયા હતા. 

આ કોલેજ આવેલી છે તે વિસ્તાર ખંભાલા હિલ તરીકે ઓળખાય છે. જાણકારોને પણ મૂંઝવે એવું આ નામ છે, ખંભાલા હિલ. અંગ્રેજીમાં તેના બે સ્પેલિંગ જોવા મળે છે: Cumballa અને Kambala. પણ આ નામ પડ્યું કેવી રીતે? ખંભાલા હિલ પરના એક બંગલામાં એક મિજબાની દરમ્યાન એક મહેમાને પૂછેલું: ‘પણ આ મિસ્ટર ખંભાલા હતા કોણ?’ આજુબાજુ બેઠેલાઓ હસ્યા હતા. પણ કોઈએ જવાબ આપ્યો નહોતો. કારણ આ નામનો ગળે ઊતરે એવો ખોલાસો હજી સુધી મળ્યો નથી. કોઈ ‘કમ્બાલા’ને કમળનાં ફૂલ સાથે સાંકળે છે. અને કહે છે કે ‘કમળ’ નામથી થયું ‘કમ્બાલા.’ પણ ખાટલે મોટી ખોડ એ કે કમળ કાંઈ જમીન પર ખીલતાં નથી, અને ખંભાલા હિલ પર મોટું તળાવ હોવાનું કોઈએ કહ્યું નથી. તો એક વિદ્વાન રિચાર્ડ એટન કહે છે કે આ નામ ઇથોપિયાના ‘કમબાતા’ શહેરના નામ સાથે જોડાયેલું છે. એક જમાનામાં હબસીઓને ગુલામ તરીકે હિન્દુસ્તાન મોકલવામાં આવતા. પણ મુશ્કેલી એ છે કે આવા ગુલામો વહાણ દ્વારા લવાતા અને વહાણ કાંઈ ટેકરી ઉપર નાંગરે નહિ. તો કોઈ વળી કહે છે કે એક જમાનામાં અહીં કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિ આવેલાં હતાં. અંતિમ વિધિ થયા પછી મરનારના માનમાં અહીં ખંભા કહેતાં થાંભલા ખોડાતા એટલે નામ પડ્યું ખંભાલા હિલ. આમાં બે મુશ્કેલી : એક તો અહીં કબ્રસ્તાન કે સ્મશાન ભૂમિ હતાં એવું ક્યાં ય નોંધાયું નથી. બીજું, મુસ્લિમ બિરાદરો જે બાંધે છે તેને ‘કબર’ કહેવાય છે, ‘ખંભા’ નહિ. હા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીંગાણામાં માર્યા ગયેલા વીરોની ખાંભી ખોડાય છે, પણ તેને ‘ખંભા’ કહેતાં નથી. વળી આ ટેકરી ઉપર ક્યારે ય કોઈ ધીંગાણું થયું હોય એવું જાણવા મળતું નથી. 

બીજો અભિપ્રાય એવો કે આ ટેકરી પર મોટા પ્રમાણમાં જોવા મળતાં કંબલ નામના ઝાડને કારણે આ નામ પડ્યું. આ ‘કંબલ’ આપણને ‘શમી વૃક્ષ’ તરીકે વધુ જાણીતું છે. તેનું બીજું નામ ‘ખીજડો.’ શમી વૃક્ષનો ઉલ્લેખ છેક રામાયણ મહાભારતમાં પણ જોવા મળે છે. બીજી બાજુ ખીજડાના ઝાડ પર ભૂતનો વાસ હોય છે એવી લોકમાન્યતા પણ છે. બધી વાતોમાં આ વાત સૌથી વધુ ગળે ઊતરે તેવી છે. જે ટેકરી પર મોટા પ્રમાણમાં ‘કંબલ’નાં ઝાડ, એ ટેકરીનું નામ કંબાલા હિલ. પછીથી બન્યું ખંભાલા હિલ. મુંબઈના બીજા ઘણા રસ્તાનાં નામ પણ કોઈ ને કોઈ ઝાડ પરથી ક્યાં નથી પડ્યાં?

સોફિયા કોલેજને સમાવીને બેઠેલા આ મહેલથી થોડે દૂર બીજો એક રાજ મહેલ હતો. દાયકાઓ સુધી રોજેરોજ એ મહેલની બહાર આતુર લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી. એ મહેલ તે કિયો? એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 ડિસેમ્બર 2025

Loading

...3456...102030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved