Opinion Magazine
Number of visits: 9696816
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સ્મરણ – નોંધ : બાબુભાઈ રાણપુરા …

શિલ્પા દેસાઈ|Opinion - Opinion|18 July 2014

૨૧ એપ્રિલ, ૨૦૧૧.

પપ્પાના ઓપરેશન આડે ગણતરીના દિવસો બાકી હતા. આ બાબુભાઈ રાણપરા સાંજના સમયે અમારા ઘરે આવેલા. ચારેક વાગ્યાના અરસામાં. થોડી આડીઅવળી વાતો..ખાતર બરદાશ્ત પછી બાબુભાઈએ પપ્પા સાથેની એમની મુલાકાત વિષે જણાવ્યું, ‘કોઈ ખાસ ઓળખતું નહોતું ત્યારે, બેનબા, તમારા બાપુજીએ મારો હાથ પકડેલો.’

બસ આટલી જ વાત પછી એમની આંખ અને અવાજ બંને ભરાઈ ગયેલા. થોડીવાર પછી સ્વસ્થ થયા અને પોતે હનુમાન ચાલીસાનો પાઠ કરવા ઈચ્છે છે એમ કહ્યું. પપ્પાએ હા પાડી, પછી જે બુલંદ અવાજે એમણે હનુમાન ચાલીસા લલકાર્યા. અવાજની એ બુલંદી ને અક્ષરદેહ આપવા કદાચ કોઈ કલમ સમર્થ નહિ હોય. ઘરમાં વાતાવરણ એકદમ ભક્તિ સંગીતમય બની ગયું.

અમારો પરિવાર મૂળે આર્યસમાજિસ્ટ, એટલે ઘરમાં ક્યાં ય મંદિર કે દેવદેવીના ફોટા કશું મળે નહિ, પણ બાબુભાઈનો અવાજ એ કશાનો મોહતાજ ક્યાં હતો !!!!

હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થયો પછી, લિટરલી ઘરમાં સોપો પડી ગયો. બધા જ ભાવાવેશમાં ….પાંચેક મિનિટ પછી વાતાવરણ પૂર્વવત્ થયું ને ફરીથી વાતો – અખૂટ વાતો શરૂ થઈ. જેમાંથી એક વાત હજુયે યાદ રહી ગઈ છે, :

‘એક દિવસ શ્રાવણ મહિનામાં આ બધા મેડલોનો કોથળો લઈને ભોગાવો નદીમાં મારા દીકરા સાથે ઊભો રહ્યો. નદીમાં પાણી ઊંચા આવતા જતા હતા ને હું ઊભો હતો. થોડીવાર પછી, હાથમાંનો મેડલોવાળો કોથળો ડૂબી ગયો. એ જ ક્ષણે મને સ્ફૂર્યું કે જે મેડલ પોતે જ નથી બચી શક્યા એ મને શું તારવાના ? …. ને બધા મેડલ વહી જવા દીધા … હું જોતો રહ્યો … ”

કેટલી નિસ્પૃહતા !!!!

બાબુભાઈ રાણપુરાને વર્ષ 2006માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને રાજ્ય સરકારના લોકસંગીત માટેનો ગૌરવ પુરસ્કાર, રામાયણી મોરારિદાસ હરિયાણી પ્રેરિત કાગ અૅવાર્ડ તથા ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી દ્વારા લોકસાહિત્યના સંવર્ધન માટે લોકસંગીત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.

સ્વ. બાબુભાઈ રાણપુરાના આત્માને પરમાત્મા અસીમ શાંતિ બક્ષે એવી જ અભ્યર્થના ..
હરિ : ઓમ

સૌજન્ય : https://www.facebook.com/desai.shilpa.7?fref=nf

Loading

અસીં જગ પ્રવાસી

વૃજ ગજકંધ|Poetry|18 July 2014

હંજ વલા, ઐં કિન ડેસજા વાસી?

કાછેજી રિણ કંધી આંકે કીં લગી વિઇ ખાસી?
રિણજી રેતી મથેતાં કપરી ધોમ ધખેતી;
વંટોડ઼ ચડ઼ેતા ડમરી થિઇ ભભૂત ભમેતી.
અસીં જગ પ્રવાસી

મૃગજડ઼જા પડ઼છાયા રાડ઼ોરાડ઼ કરીંતા,
ગાંઢી થિઇ લાચાર ભનીને લુ લુછેતી;
હી ધરણી આય પિંઢ પણ પ્યાવસાહતસી,
કાછેજી રિણ કંધી આંકે કીં લગી વિઇ ખાસી?
અસીં જગ પ્રવાસી

હંજ વલા, આંજી વસાહત ડિસીને,
આંજે બાર બચડ઼ેજી અનામત ડિસીને;
ધરપત થિઇ વિઇ મુંકે જિયણ ભરજી,
કુધરતજી હી રંગીન કરામત ડિસીને.
અસીં જગ પ્રવાસી

અસીં કર સુરગમેં અચી પુગાસી !
કાછેજી રિણ કંધી આંકે ઇ લગી વિઇ ખાસી?
સજી પૃથમી વતન અસાંજો અસીં જગ પ્રવાસી,
મૃગજડ઼મેં તાં મક્કા ડિઠો, ડિઠો ધૂડ઼મેં કાસી
અસીં જગ પ્રવાસી

સચ્ચી માણસાઇજો જિતે મેરામણ તો ડોલે,
કચ્છી માડ઼ુ કામણગારી મિઠડ઼ી બોલી બોલે;
માણસાઇજી મેકાઇધાસી મહેંક સજે જગમેં,
રિણકંધી તેં મારા કેયાસી ઇતરે ઠાંસી ઠાંસી.
અસીં જગ પ્રવાસી

૩૧-૦૧-૨૦૧૧

(કવિજી ચોપડ઼ી : “મંધિયાણી મંજા")

Loading

ગુજરાતી મુદ્રણ, ભાષા અને લિપિ

દીપક મહેતા|Opinion - Literature|15 July 2014

આજે આપણને છાપેલું લખાણ વાંચવાની એવી ટેવ પડી ગઈ છે કે આપણે ત્યાં મુદ્રણ આવ્યું તે પહેલાંની સ્થિતિની કલ્પના કરવાનું પણ આજે આપણે માટે મુશ્કેલ છે. પણ ૧૭૯૭ પહેલાં ગુજરાતી મુદ્રણની સગવડ જ નહોતી. એટલું જ નહીં, ૧૭૯૭માં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ તે પણ આજના ગુજરાત રાજ્યમાં આવેલા કોઈ સ્થળે નહીં. એ વખતે ગુજરાતીભાષી, મરાઠીભાષી અને બીજા કેટલાક પ્રદેશોનો સમાવેશ મુંબઈ ઇલાકામાં થતો હતો અને બોમ્બે પ્રેસિડન્સી તરીકે ઓળખાતા આ ઇલાકાનું પાટનગર હતું બોમ્બે, આજનું મુંબઈ.

ત્યાં ૧૭૯૨માં બોમ્બે કુરિયર નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું. એ બોમ્બે કુરિયરના ૧૭૯૭ના જાન્યુઆરી ૨૯ના અંકમાં પહેલીવાર ગુજરાતીમાં લખાયેલો મજકૂર મુદ્રિત રૂપે પ્રગટ થયો. એ લખાણ હતું એક સરકારી જાહેર ખબરનું. આ લખાણ છાપવા માટેનાં ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં બહેરામજી છાપગરે. ૧૭૫૪ના અરસામાં સુરતમાં તેમનો જન્મ. ૧૭૯૦માં મુંબઈ આવી લુક ઍશબર્નરના બોમ્બે કુરિયરના પ્રેસમાં કમ્પોઝિટર તરીકે જોડાયા. એમણે આ પહેલો ગુજરાતી મજકૂર છાપવા માટેનાં બીબાં બનાવ્યાં. આ પહેલા મુદ્રિત લખાણમાં ગુજરાતી અક્ષરો પર હિંદી – મરાઠીની જેમ શિરોરેખા જોવા મળે છે પણ એ જ વર્ષના જુલાઈ ૨૨ના અંકમાં છપાયેલી બીજી એક સરકારી જાહેર ખબરમાં અક્ષરો પરની શિરોરેખા દૂર થયેલી જોવા મળે છે. આગલી જાહેર ખબર કરતાં આ બીજી જાહેર ખબરમાં વપરાયેલાં બીબાંના અક્ષરો વધુ સુડોળ બન્યા છે. શિરોરેખા વગરના આ અક્ષરો મહાજન લિપિ તરીકે ઓળખાયા અને ત્યારથી આજ સુધી ગુજરાતી મુદ્રણ માટે આ લિપિ જ વાપરવામાં આવે છે.

અલબત્ત, વખત જતાં તેમાં કેટલાક ફેરફાર થયા છે. ગુજરાતી અક્ષરોનાં આ પહેલ વહેલાં બીબાં બહેરામજી છાપગરે જ બનાવેલાં એમ ખાતરીપૂર્વક કઇ રીતે કહી શકાય ? ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે બહેરામજીનું અવસાન થયું ત્યારે જે મૃત્યુનોંધ છપાયેલી તે પારસી પ્રકાશ (પુસ્તક ૧, પાનું ૯૭) આ પ્રમાણે હતી.: “બહેરામજી જીજીભાઈ છાપગર. ઉંમર વરસ ૫૦. એવણ સુરતથી ઇ.સ. ૧૭૯૦ને આશરે શેઠ નસરવાનજી જમશેદજી દાંતારાની સાથે મુંબઈ આવ્યા હતા અને અત્તરેનું બોમ્બે કુરિયર પતર કે જે મિ. લુક ઍશબરનરની માલિકીમાં હતું તેમાં કમ્પોઝિટર તરીકે રહયા હતા. મિ.ઍશબરનરે એવણ પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં. આથી પારસીઓમાં પહેલવહેલા અંગ્રેજી કંપોઝિટર તથા ગુજરાતી બીંબા ઓટનાર તરીકે એવણ જણાયેલા છે.” (ભાષા જોડણી મૂળ પ્રમાણે)

મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું : ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારના તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા મુંબઈથી રવાના થયા. પણ તેમનું વહાણ અધવચ્ચે ડૂબી જતાં ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખે ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે બોમ્બે આર્મીના નોકરિયાતોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું.

(વધુ હવે પછી ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2014

Loading

...102030...3,9763,9773,9783,979...3,9904,0004,010...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved