Opinion Magazine
Number of visits: 9696307
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક મનોહારી આત્મકથા

મનુભાઈ પંચોળી 'દર્શક'|Opinion - Literature|28 August 2014

અમેરિકા છેક 1865 સુધી ગુલામીનું કલંક હતું. કાળા હબસી લોકો − થોડાઘણા નહીં, 31 લાખ હબસીઓ ગુલામ હતા. તેને ઢોરની જેમ રાખતા, ઢોરની જેમ ટીપતા, ઢોરની જેમ વેચતા. માને એક જણને ત્યાં વેચે, એના છોકરાને બીજાને ત્યાં વેચે, પતિને ત્રીજાને ત્યાં. આ હબસી ગુલામોના 90 ટકા અમેરિકાના દક્ષિણ ભાગમાં હતા. તેમના લોહી – પરસેવાથી મબલક કપાસ, ડાંગર, શેરડી પાકતાં.

આ કલંક સામે લડનારાં પણ હતાં. બે નામ તો એ કલંકકથા જાણનારાંને હોઠે ચડી ગયાં છે. વિલિયમ લોઈડ ગેરીસન અને ‘ટોમકાકાની ઝૂંપડી’(‘અંકલ ટોમ્સ કેબિન’)ની લેખિકા હેરિયટ બીચર સ્ટો. એ ચોપડીએ દેશ-પરદેશનાં હૈયાંને હચમચાવ્યાં. સારાં સારાં પુસ્તકોથી પણ મોટા ફેરફાર થાય છે, તેનો નમૂનો આ ‘અંકલ ટોમ્સ કેબિન’ છે. એ જમાનામાં તેની લાખો નકલો છપાઈ અને ઘણી બધી ભાષામાં તેના અનુવાદો થયા. તેના પરથી પાર વગરનાં નાટકો પણ ભજવાયાં.

લેખિકાને મળવા પ્રમુખ લિંકને નિમંત્રણ આપેલ. તેને જોઈને કહે, ‘આટલી નાની સન્નારીએ આવડી મોટી લડાઈ સળગાવી !’ ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું તે અસાધારણ યુદ્ધ હતું. ગુલામી રાખવાવાળા અને ગુલામી નહીં રાખવાવાળા બંને ગોરા ભાઈઓ હતા. એક જ ‘બાઇબલ’ વાંચનારા ને એક જ રાજ્યમાં વસવાવાળા. એ લડાઈમાં પાંચ લાખ મૂઆ. બે ગોરાઅો એક ત્રીજા કાળા માટે આ કારમું યુદ્ધ લડ્યા.

પણ લિંકને ગુલામી નાબૂદી માટેનું આ યુદ્ધ કર્યું તે પહેલાં ય 75-100 વર્ષથી ગુલામી સામે લડનારા શૂરાઓ થયા હતા, તે ય મોટા ભાગે ગોરા જ હતા. આવા પુણ્યશ્લોક સ્ત્રી-પુરુષોમાંના એક લેવી કોફિને આ કામ 30-40 વર્ષ કર્યું. દક્ષિણમાંથી ગુલામોને નસાડી લાવે, કોઈ જાતે નાસી આવ્યા હોય એ બધાંને આશરો આપે, કપડાંલત્તા-ખોરાક આપે ને અમેરિકાની બહાર સેંકડો માઈલ દૂર જે બ્રિટનનું સંસ્થાન હતું, જ્યાં ગુલામી નહોતી, ત્યાં કેનેડા મોકલી આપે. આની લાંબી સાંકળને ઇતિહાસમાં ‘ભોંયભીતર ચાલતી રેલગાડી’ કહી છે. પણ વસ્તુત: એ છેક કેનેડા સુધીનાં થાણાં હતાં. ત્યાં બધાને સંતાડી, સાચવી યોગ્ય સ્થળોએ પહોંચાડવામાં આવતાં.

આમાં કેવા જોખમો, સાહસો હતાં, ઠંડા લોહીની કેવી તાકાત પ્રગટતી હતી, તેનું આત્મકથન લેવી કેફિને કર્યું છે, તેનું પુન: પુન: ધર્મગ્રંથની જેમ પારાયણ કરવા જેવું છે.

લેવી કોફિને 20થી 70 વર્ષની ઉંમર સુધી, અરધી સદી સુધી, વિકટ કામ કર્યું. તેના ઘરના ભૌંયરા હોય, પાછળ વાડામાં ઓરડી હોય, ઉપરના માળે કાતરિયાં હોય, તેમાં ગુલામોને સંતાડી રાખે. કોઈકવાર દિવસો ને અઠવાડિયાં સુધી તેમને સાચવવાં પડે. લેવી કોફિન બધા સંજોગો માટે તૈયાર.

એમની આત્મકથાનું કોઈ ગુજરાતી કરે તો યશદાયી કામ થાય.

(‘મનુભાઈ પંચોળી સાથે વિચારયાત્રા’માંથી; સંપાદન – મહેન્દ્ર મેઘાણી)

સૌજન્ય : “બિરાદર પત્રિકા”, અૉગસ્ટ 2014, પૃ. 16

Loading

સૌરાષ્ટૃના સિંહ

દીપક મહેતા|Opinion - Literature|26 August 2014

અમૃતલાલ શેઠ / લેખક – વર્ષા દાસ : નવી દિલ્હી, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા : ૧ આવૃત્તિ, ૨૦૧૨ : ૮ + ૭૪ પાનાં, સચિત્ર : રૂ. ૫૫

એક જમાનામાં ‘સૌરાષ્ટ્રના સિંહ’ તરીકે વિખ્યાત થયેલા અમૃતલાલ શેઠે કાઠિયાવાડમાં એક પ્રખર પત્રકાર અને સત્યાગ્રહી તરીકેની જ્વલંત કારકિર્દી દ્વારા ઘણા લોકોને પ્રેરણા આપી હતી. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવા ઘણા લડવૈયાઓ હતા જેમના પ્રદાન અંગે એમના પ્રદેશની બહારના લોકો બહુ જાણતા નથી હોતા. આવા લોકોને અમૃતલાલ શેઠના જીવન અને કાર્યની માહિતી મળે તે માટે એક પુસ્તક એમનાં દૌહિત્રી અને આપણાં જાણીતાં લેખિકા વર્ષા દાસે અંગ્રેજીમાં લખ્યું હતું. તેનો આ ગુજરાતી અનુવાદ પણ તેમણે પોતે જ કર્યો છે.

પ્રાસ્તાવિક અને સંદર્ભ ગ્રંથ સૂચિ ઉપરાંત પુસ્તકમાં કુલ ૧૮ પ્રકરણ છે. પહેલા બે પ્રકરણમાં અમૃતલાલભાઈનાં કુટુંબ, બાળપણ, શરૂઆતમાં કરેલી વકીલાત વગેરેની વિગતો આપી છે. બે વરસ પછી ઓગસ્ટની ૨૫મી તારીખે જેમના જન્મને ૧૨૫ વર્ષ થશે તે ૧૮૯૧માં જન્મેલા અમૃતલાલભાઈએ ૧૯૨૧ના ઓક્ટોબરની બીજી તારીખે રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનો આરંભ કર્યો. દેશી રાજ્યોમાં રૈયતને જે અત્યાચારો સહન કરવા પડતા હતા તેને વાચા આપવા માટે મુખ્યત્વે આ છાપું શરૂ થયું હતું, પણ ગાંધીજીની આઝાદી માટેની લડતને પણ તેનો પૂરો ટેકો હતો. નીડરતા, આજે જેને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કહીએ છીએ તેનો ઉપયોગ, આગ ઝરતી ભાષા-શૈલી, વગેરેને કારણે ‘સૌરાષ્ટ્ર’ જોતજોતામાં લોકપ્રિય થઇ ગયું. અમૃતલાલભાઈની લેખન શૈલીમાં સાહિત્ય, દેશભક્તિ, અને ઉત્તેજનાનો સમન્વય હતો. કાકાસાહેબ કાલેલકર એ શૈલીને ‘સૌરાષ્ટ્ર શૈલી’ કહેતા. તેઓ કહેતા કે આ શૈલીમાં અતિશયતાનો રંગ હોય છે, ભાષામાંથી તણખા ઝરતા હોય છે, અને પડકારો ઝીલવાના તથા કરવાના હોય છે. સર્વાંશે એ શૈલીમાં લડાયક ખમીર વહેતું હોય છે.

ગાંધીજીની રાણપુરની મુલાકાત, દેશી રાજ્યોના રાજવીઓની તુમાખીભરી વર્તણુક, ધોલેરા સત્યાગ્રહ, અમૃતલાલભાઈની ધરપકડ અને શરતી છુટકારો, ગોળમેજી પરિષદ અંગે લંડનની મુલાકાત, વગેરેની વાત કર્યા પછી બારમાં પ્રકરણમાં લેખિકા અમૃતલાલભાઈએ મુંબઈમાં શરૂ કરેલા જન્મભૂમિ વર્તમાન પત્રોની જન્મકથા આપી છે. ‘સૌરાષ્ટ્ર’ના કેટલાક સાથીઓ સાથે મતભેદ થતાં અમૃતલાલભાઈએ ૧૯૩૪ના જૂનની નવમી તારીખે સાંજના દૈનિક ‘જન્મભૂમિ’ની શરૂઆત કરી. જાપાન અને બર્મામાં તેમણે કરેલાં સાહસિક કાર્યો, જૂનાગઢની આરઝી હકૂમતમાં લીધેલો આગળ પડતો ભાગ, અને અન્ય સાહસોની વાત કર્યા પછી છેલ્લા પ્રકરણમાં જીવનના અંતિમ દિવસોની વાત કરી છે. ૧૯૫૪ના જુલાઈની ૩૦મી તારીખે અમૃતલાલભાઈનું અવસાન થયું. અમૃતલાલ શેઠે પોતાના જીવન અને સમય વિષે અખબારોમાં ઘણું લખ્યું હતું, પણ કમનસીબે એ બધું કાળજીથી સચવાયું નથી. પરંતુ કેટલાંક ગુજરાતી પુસ્તકોમાંથી લેખિકાએ શક્ય તેટલી માહિતી મેળવીને આ પુસ્તક તૈયાર કર્યું છે. પોતે અમૃતલાલભાઈનાં વંશજ હોવા છતાં ક્યાં ય તેમનાં વધુ પડતાં ગુણગાન ગાયાં નથી, અને એક સારા ચરિત્રકારની જેમ તટસ્થતા જાળવી છે. આથી પુસ્તક માહિતીપ્રદ ઉપરાંત શ્રદ્ધેય પણ બન્યું છે.

સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014

Loading

હરિનો સંગ, કવિતા અને સંગીતનો રંગ

દીપક મહેતા|Opinion - Literature|26 August 2014

હરિને સંગે. ઓડિયો સીડી. સ્વરાંકન-સંકલન અમર ભટ્ટ. વાદ્ય સંગીત નિર્દેશન અમિત ઠક્કર. કલાકારો ગાર્ગી વ્હોરા, ઐશ્વર્યા મઝુમદાર, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઓસમાણ મીર અને અમર ભટ્ટ. રજૂઆત અગત્સ્ય ફાઉન્ડેશન, ૪૭ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટી, એલિસ બ્રીજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬ 

આપણા આદિ કવિ નરસિંહ મહેતાનું એક અત્યંત જાણીતું પદ છે : ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.’ તેમાં એક પંક્તિ આ પ્રમાણે છે : ‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.’ પણ આમ તો કહી શકે કોઈ ગોપી કે નરસિંહ જેવો પરમ ભક્ત. પણ હરિ સંગે જાગવું એટલે શું એની ઝલક પામવી હોય તો એક સહેલો રસ્તો કાનવગો છે – ‘હરિને સંગે’ સીડીમાંનાં દસ ગીતો સાંભળવાં, ફરી ફરી સાંભળવાં. હરિના સંગની સાથે સાથે સંતર્પક સંગીતના રંગનો સંગ પણ માણવા મળશે.

કવિતા અને સંગીત બંનેની પાકી સમજ અને સૂઝ ધરાવતા આપણા અગ્રણી ગાયક-સંગીતકાર અમર ભટ્ટનાં સ્વરાંકનોમાં વૈવિધ્ય છે, પણ કાવ્યત્વને ભોગે નહિ. શાસ્ત્રીય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત, લોકસંગીતનો પાસ આ ગીતોનાં સ્વરાંકનોને લાગ્યો છે જરૂર, પણ કાવ્યના મૂળ રંગને ઢાંકી દે એવો અને એટલો નહિ. સંગીતકાર અને ગાયક કલાકારો અહીં કાવ્યકૃતિની આગળ ચાલતા નથી, સાથે ચાલે છે, કદાચ પૂરેપૂરા ઔચિત્યપૂર્વક એક ડગલું પાછળ રહે છે. આપણા ચાર ટોચનાં ગાયક-ગાયિકાનો સાથ આ સંગને સફળ બનાવે છે.

નરસિંહની ઉપર ઉલ્લેખેલી કૃતિ ગાર્ગી વ્હોરાએ આમ તો પારંપરિક ઢાળમાં રજૂ કરી છે, પણ સંગીતકારે અને ગાયિકાએ તેમાં ઘણું બારીક નકશીકામ પોતાની ગાંઠેથી ઉમેર્યું છે. મીરાંબાઈના ઘણાં કાવ્યો આપણે ગુજરાતી કે હિન્દીમાં સાંભળ્યાં હોય. પણ અહીં મારવાડી બોલીની મુલાયમતાને પૂરેપૂરી સાચવીને ગાર્ગી વ્હોરાએ ‘દરદ ન જાણ્યાં કોય’ કૃતિ અત્યંત નજાકતપૂર્વક રજૂ કરી છે. રાગ દેશી પર આધારિત બંદિશમાં બંધાયેલું આ પદ એક વાર સાંભળ્યા પછી ઝટ મનનો પીછો છોડે તેમ નથી. ઐશ્વર્યા મઝુમદારે બે કૃતિઓ રજૂ કરી છે : કવિ નાનાલાલનું કાવ્ય ‘હરિ આવો ને’, અને રમેશ પારેખની કૃતિ ‘હું મારી મરજીમાં નહિ.’ નાનાલાલની કૃતિને ગરબા રૂપે રજૂ કરવાનું પ્રલોભન ટાળવું સહેલું નથી. પણ અહી સંગીતકારે તાલનું વજન ગરબાના સ્વરૂપનું રાખ્યું હોવા છતાં તેની રજૂઆત ગરબાની બની ન જાય તેની કાળજી રાખી છે. કવિ સુંદરમનું ગીત ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને’ તથા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલ ‘ફર્યા કરે છે’ને પુરુષોત્તમ ઉપાધ્યાયનો સદાબહાર કંઠ મળ્યો છે. સુંદરમની કૃતિને પણ ભજન તરીકે કે મિસ્કીનની કૃતિને પરંપરાગત ગઝલ ગાયકીની ઢબે રજૂ કરવાનો સહેલો માર્ગ સંગીતકારે અપનાવ્યો નથી.

લોકસંગીતનાં ઉત્તમ તત્ત્વોને જાળવનાર છતાં લોકસંગીતને વટાવી ખાવાનો પ્રયત્ન ન કરનાર ઓસમાણ મીરના કંઠે અહીં બે કૃતિઓ સાંભળવા મળે છે : કવિ ઉશનસનું કાવ્ય ‘અષાઢે તણખલું ના તોડીએ જી,’ અને ચંદ્રકાંત શેઠનું ‘ગોદ માતાની ક્યાં?’ રાગ દુર્ગા પર આધારિત સ્વરાંકનમાં હરીશ મિનાશ્રુની કૃતિ ‘સાધો હરિ સંગે હરીફાઈ’ અમર ભટ્ટે પોતાના કંઠે નજાકતભરી રીતે રજૂ કરી છે. દયારામનું પદ નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ આમ તો ખૂબ જાણીતું છે, પણ તેની શબ્દયોજના અને લયકારી સરળ નથી, કૈંક અટપટી અને ગાઈને રજૂ કરવામાં દુર્ગમ બને તેવી છે. પણ તેને પોતાની રીતે સ્વરબદ્ધ કરીને પોતાને જ કંઠે રજૂ કરવાનું સાહસ અમરભાઈએ કર્યું છે. વાદ્ય સંગીતનો સાથ બધા ગીતોમાં એવી નાજુક રીતે લેવાયો છે કે ગીતના શબ્દો, ભાવ કે તેમના આકલન આડે તે ન આવે. સંગીત એ અમરભાઈનો પ્રોફેશન નથી, પણ સંગીત એમની પેશન છે. સારી અને સાચી કવિતાને પામવી એ એમને માટે ફેશન નથી પણ પોતે સ્વીકારી લીધેલ વોકેશન છે. પરિણામે આપણને તેમની પાસેથી કાવ્ય-સંગીતની કેટલીક ઉત્તમ રચનાઓ મળી છે. આ સીડીમાંનાં ગીતો સાંભળતાં હરિનો સંગ તો મળશે, પણ સાથોસાથ કાવ્યનો અને સંગીતનો રંગ પણ મળશે.

સૌજન્ય : ‘સાઉન્ડટૃેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014

Loading

...102030...3,9483,9493,9503,951...3,9603,9703,980...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved