Opinion Magazine
Number of visits: 9558547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડોદરાના વિદ્યાપ્રેમી મહારાજાએ શરૂ કરેલી સંસ્થા

દીપક મહેતા|Opinion - Opinion|28 August 2014

રાજા-મહારાજાઓ રાજ મહેલો બંધાવે, હાથી ઘોડા પાળે, જર ઝવેરાત એકઠું કરે, પણ હસ્તપ્રતો સંઘરે ખરા?

સંસ્કૃત હસ્તપ્રતો ભેગી કરવાનો શોખ બહુ ઓછા રાજવીઓને હતો. તેમાંના એક તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પોતાના રાજ્યમાં અનેક મૂલ્યવાન હસ્તપ્રતો ઠેર ઠેર વેરાયેલી પડી છે એ વાત જાણે. આવી હસ્તપ્રતો ભેગી કરવાનો અને તેમને છપાવીને પ્રગટ કરવાનો નિર્ણય તેમણે કર્યો ૧૮૯૩માં. આ માટે તેમણે ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝની શરૂઆત કરી. દિવાન મણિભાઈ જશભાઈને કામ સોંપ્યું યોગ્ય સંપાદક શોધવાનું, અને મણિભાઈએ પસંદગી કરી ગુજરાતી અને સંસ્કૃતના જાણીતા વિદ્વાન મણિલાલ નભુભાઈ દ્વિવેદીની.

તેમનું મુખ્ય કામ સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કરવાનું હતું. અનંતકૃષ્ણ શાસ્ત્રીને આખા દેશમાંથી હસ્તપ્રતો શોધીને એકઠી કરવાનું કામ સોંપ્યું. તેમણે લગભગ એક હજાર હસ્તપ્રતો ભેગી કરી. એ હજાર હસ્તપ્રતોના સંગ્રહમાંથી વખત જતાં બની વડોદરાની ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ. આ કામ કાંઈ સહેલું તો નહોતું જ, એટલે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝનું પહેલું પુસ્તક પ્રગટ થઈ શક્યું છેક ૧૯૧૬માં. રાજશેખરના સંસ્કૃત ગ્રંથ ‘કાવ્યમીમાંસા’નું સંપાદન કર્યું હતું ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે.

હસ્તપ્રતોનું મૂલ્ય સયાજીરાવ બરાબર સમજતા હતા એટલે તેમની જાળવાની કરવા માટે ૧૯૨૩માં તેમણે સ્ટીલના બે ફાયર પ્રૂફ કબાટ ભેટ આપ્યા. હસ્તપ્રતો તેમાં મૂકાઈ અને વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં ખસેડાઈ. ૧૯૨૭ના સપ્ટેમ્બરની પહેલી તારીખે હસ્તપ્રતોના સંગ્રહને લાયબ્રેરીથી અલગ કરી ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ નામની અલગ સંસ્થા શરૂ થઈ. તેને માટે સયાજીરાવે ખાસ ફાયર પ્રૂફ મકાન એ જમાનામાં બંધાવ્યું. વડોદરા રાજ્યના શિક્ષણ ખાતામાં કામ કરતી ભાષાંતર શાખાને ૧૯૩૧માં આ ઇન્સટીટ્યૂટમાં ભેળવી દેવામાં આવી. શ્રી સયાજી માળા હેઠળ ગુજરાતી, મરાઠી અને હિન્દીમાં ૬૦૦ કરતાં વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. સંસ્કૃત અને પ્રાકૃતના ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થા પણ ઇન્સટીટ્યૂટમાં કરવામાં આવી. ૧૯૩૩માં ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સનું સાતમું અધિવેશન વડોદરામાં ભરાયું ત્યારે સયાજીરાવે જે શબ્દો કહ્યા હતા તે આપણી દરેક યુનિવર્સીટીના સંશોધન વિભાગમાં કોતરાવી રાખવા જેવા છે. તેમણે કહ્યું હતું : “તમારા વિદ્યાર્થીઓ પીએચ.ડી. થવા માટે જે મહાનિબંધો લખે તેના મહત્ત્વનો આધાર તેમના કદ, સંખ્યા, કે વિષય નાવીન્ય પર નહિ, પણ તેમાં તેમણે બતાવેલ પરિપક્વ તોલનબુદ્ધિ, જાગરુક સમીક્ષાવૃત્તિ, અને વૈજ્ઞાનિક પધ્ધતિ પર રહેશે.”

આઝાદી પછી ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી ત્યારે ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ તેનો એક મહત્ત્વનો ભાગ બની. પહેલા વાઈસ ચાન્સેલર ડો. હંસા મહેતાએ ૧૯૫૧ના માર્ચની ૧૨મી તારીખે આ ઇન્સ્ટીટ્યૂટમાં ‘રામાયણ વિભાગ’નું ઉદ્દઘાટન કર્યું. વાલ્મીકી રામાયણની ‘ક્રીટીકલ એડિશન’ તૈયાર કરી પ્રગટ કરવાના અત્યંત મહત્ત્વના કામની શરૂઆત થઈ. ૧૯૭૫ સુધીમાં સાત ખંડોમાં આ આવૃત્તિ પ્રગટ થઈ. આ સંસ્થા દ્વારા જર્નલ ઓફ ધ ઓરિએન્ટલ ઇન્સટીટ્યૂટ પણ પ્રગટ કરવામાં આવે છે. આવાં સંશોધનમૂલક સામયિકોની એક મુશ્કેલી એ હોય છે કે તેમનો ફેલાવો મર્યાદિત હોય છે. પણ આ જર્નલ યુનિવર્સીટીની વેબ સાઈટ પરથી મફતમાં ડાઉન લોડ કરી શકાય છે. અલબત્ત, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સંસ્થાનું તેજ થોડું ઝંખવાયું હોવાનું કેટલાક જાણકારોનું કહેવું છે.

સૌજન્ય : ‘લેન્ડમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014

Loading

‘સંસ્કાર’ શબ્દનો ખરો અર્થ ચીંધનારની વિદાય

મેહુલ મંગુબહેન|Opinion - Literature|28 August 2014

સામાન્ય રીતે સાહિત્યકારોના બે પ્રકાર પાડી શકાય. પ્રથમ પ્રકાર એવો છે જેમાં ઢગલો નામો આવે. મોટામોટા સાહિત્ય સમારોહમાં વાહવાહી લૂંટતા કવિઓ-લેખકો. અધિકારીઓની, સગાંવહાલાંઓની, નેતાઓની ચાપલૂસી કરતા અને એમનાં તળિયાં ચાટતા, એમના કાયમ (ખભે) ઊંચકીને ફરતા સાહિત્યકારો. ન તો તેમની કૃતિમાં સમાજ માટે કંઈ નક્કર દર્શન કે વાસ્તવનો રણકો હોય કે ન તો તેમના અંગત જીવનમાં. આવા સાહિત્યકારો ભારતની દરેક ભાષામાં છે અને આપણી ગરવી ગુજરાતી ભાષા તો આ બાબતે ખાસ્સી રળિયાત ગણાવી શકાય!

બીજો પ્રકાર એવા સાહિત્યકારોનો છે કે જેમની જીવનસમજ સ્પષ્ટ છે. એ વાડાઓમાં બંધાયેલા નથી. એમના સાહિત્યની જે ગરિમા છે એ જ એમના જીવનની પણ છે. તેઓ કટ્ટર કે હિંસક ટોળાથી પણ ડરતાં કે દોરવાતા નથી. શાલો ઓઢવા માટે કે એવોર્ડ પામવા માટે કે સરકારી પ્રવાસ-પ્રોજેક્ટમાં નામ ઘુસાડવા માટે પોતાની કલમ કે અવાજ વેચતા નથી. આવા સાહિત્યકારો તેમના સાહિત્ય અને કામ થકી સમાજમાં જે ખોટું છે તેની સામે પડે છે. તેઓ સમાજને પરંપરામાંથી પ્રગતિશીલતા તરફ વાળે છે. આપણા ઉમાશંકર જોષીની હરોળમાં આવે એવા કન્નડ ભાષાના સાહિત્યકાર ઉડુપિ રાજગોપાલાચાર્ય અનંતર્મૂિત યાને કે યુ.આર. અનંતર્મૂિત સામા પ્રવાહે તરનારા બીજા પ્રકારના સાહિત્યકાર હતા, જેમનું તાજેતરમાં ૨૨મી ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ અવસાન થયું.

યુ.આર. અનંતર્મૂિતનો જન્મ ૨૧ ડિસેમ્બર, ૧૯૩૨માં શિમોગા જિલ્લાના તીર્થહલ્લી તાલુકાના મેલિગે ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ પરંપરાગત રીતે સંસ્કૃતમાં થયું. મૈસુરમાં એમ.એ.ની પદવી મેળવી તેમણે વધુ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો. ૧૯૬૬માં તેમણે '૧૯૩૦ના દાયકામાં રાજનીતિ અને સાહિત્ય' વિષય પર સંશોધન નિબંધ લખી ડોક્ટરેટની ઉપાધિ મેળવી. ૧૯૫૦ના દાયકામાં કન્નડ ભાષામાં પ્રગતિશીલતાનું 'નવ્યા આંદોલન' શરૂ થયું તેના તેઓ અગ્રદૂત બન્યા. અલબત્ત, ફક્ત પોતાની કૃતિઓ થકી જ નહીં, રાજનીતિથી સમાજજીવન સુધીનાં લગભગ તમામ પાસાંઓ પર પોતાનો અવાજ તેમણે બુલંદ રાખ્યો. તેમણે પરંપરાગત વિભાવનાને તહસનહસ કરતી 'સંસ્કાર' અને 'ભારતીપુરા' જેવી ઉત્તમ નવલકથાઓ લખી, સાથે સમાજજીવનની બારીકી વર્ણવતા અને વાસ્તવનું દર્શન કરાવતા 'ઘટ શ્રાદ્ધ' જેવા વાર્તાસંગ્રહો પણ આપ્યા. 'સંસ્કાર' સહિત તેમની ઘણી કૃતિઓ ગુજરાતી સહિત અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એમની નવલકથામાં પાત્રોનાં મનોવૈજ્ઞાાનિક પાસાંઓ સહજતાથી અને ઝીણવટથી ઉજાગર થયાં છે. પાત્રો પર પડઘાતાં સામાજિક-રાજકીય દબાણો તથા હિંદુ સમાજની વિસંગતિઓને તેમણે હલબલી જવાય તે રીતે વર્ણવી છે. તેમની રચનાઓ કર્ણાટકની જાતિવ્યવસ્થા અને બ્રાહ્મણોના વર્ચસ્વ સામે મોરચો માંડે છે. સ્થળ-કાળ-પાત્ર-સમાજ-રાજનીતિને સહજતાથી એકરૂપ કરી રજૂ કરવાની આગવી સાહિત્યિક પ્રતિભાના તે માલિક હતા. પાત્રોની ભિન્નતાઓ અને અનેક રાજનૈતિક-મનોવૈજ્ઞાનિક પાસાંને આવરી લીધા પછી પણ એક મુક્ત ન્યાયી સમાજની ધખના અને તેની મથામણ એ તેમની કૃતિઓનો મૂળ ભાવ છે.

૧૯૮૪માં રાજ્યોત્સવ પુરસ્કાર, ૧૯૯૪માં જ્ઞાાનપીઠ પુરસ્કાર, ૧૯૯૮માં પદ્મભૂષણથી સન્માનિત યુ.આર. અનંતર્મૂતિ અંગ્રેજીના પ્રોફેસર અને મહાત્મા ગાંધી વિશ્વવિદ્યાલયના કુલપતિ પણ રહી ચૂકેલા. ૧૯૯૨માં નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ અને ૧૯૯૩માં સાહિત્ય અકાદમીના પ્રમુખપદે પણ રહ્યા. દેશની અને વિદેશની અનેક ભાષાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે સેવા આપનાર અનંતર્મૂિતએ અંગ્રેજીનું અખૂટ જ્ઞાન હોવા છતાંયે કવિતા-નાટક-નવલકથા-વિવેચન-વાર્તાઓ સહિત પોતાનું તમામ સાહિત્ય માતૃભાષા કન્નડમાં જ રચ્યું. અંગ્રેજીને સમાંતર પ્રાથમિક શિક્ષણમાં કન્નડને સામેલ કરવા માટે પણ લડાઈ લડી. રાજનૈતિક કર્મશીલ અને રાજનૈતિક સાહિત્યકાર એમ બેઉ મોરચે તેમણે એટલું પ્રદાન કર્યું છે કે તેમના અવસાન વખતે ફટાકડા ફોડનારા કટ્ટરવાદી મૂર્ખાઓને બાજુ પર મૂકીએ તો વર્તમાન વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવોએ સામે છેડે હોવા છતાં તેમને અંજલિ આપી છે.

આપણે ત્યાં દિગ્ગજ સાહિત્યકારો પણ રાજનૈતિક-સામાજિક હાલત સામે આંખ આડા કાન કરી જંગલ-ઝરણાં-નદીનાળાં ને પ્રેમલા-પ્રેમલી લખ્યા-બોલ્યા કરે છે ત્યારે 'સાહિત્યકાર' યુ.આર. અનંતમૂર્તિ 'કર્મશીલ' અનંતમૂર્તિથી અલગ કદી ન થયા. દેશ અને દુનિયાને લગતા બનાવો હોય કે પરંપરાઓ, તેમનો અભિગમ અને મંતવ્ય ઘરના ખૂણે કે દોસ્તોની ગપસપમાં નહીં ડંકે કી ચોટ પર વહેતો રહ્યો. બેંગ્લોરનું નામ બેંગ્લુરુ કરવાની વાત હોય કે પછી પરમાણુ ઊર્જા સામેનાં જોખમોને લઈને કુડનકુલન પ્રોજેક્ટનો વિરોધ હોય, યુ.આર. અનંતમૂર્તિ સતત સજાગ અને સત્ય અને લોકોની પડખે ઊભા રહેતા. હિંદુ સમાજની બદીઓની સામે એમનો અવાજ કાયમ બુલંદ રહ્યો. તેમની કટ્ટરવાદી તત્ત્વોની ટીકા કડક અને શબ્દો ચોર્યા વગરની સ્પષ્ટ છે. અફઝલ ગુરુ હોય કે બીજો કોઈ પણ, આખું ગામ જ્યારે ફાંસી ફાંસી એવી બૂમો પાડે છે ત્યારે એ મોતની સજાનો વિરોધ કરનારા જૂજ લોકોમાંના એક એ પણ હતા. એમણે કહેલું કે, માનવ સભ્યતાના જે તબક્કામાં આપણે છીએ એ જોતાં મોતની સજા નાબૂદ થવી જોઈએ. મોતની સજાથી સંભવિત અપરાધીઓ અપરાધ કરતા અટકી જાય છે એવું કોઈ અનુભવ આધારિત પ્રમાણ નથી અને જ્યારે આજીવન કારાવાસ જેવી સજા અમલમાં છે તો પછી સામાજિક નીતિની રીતે પણ મોતની સજા સામેની શંકા વાજબી છે.

પોતાની રાજનૈતિક સજાગતા બાબતે તેઓ પોતે પણ કાયમ અવગત હતા. તેઓ લોહિયાવાદી હતા, પણ લોહિયાના શિષ્યો ઉત્તરપ્રદેશ-બિહારમાં જે કરી રહ્યા હતા તેનાથી નિરાશ હતા. પર્યાવરણીય પ્રશ્નો બાબતે તેઓ પર્યાવરણવાદીઓની પડખે ઊભા રહેતા. પરમાણુ ઊર્જાનો તેમણે સ્પષ્ટ રીતે વિરોધ કર્યો હતો. વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે તેમણે કહ્યું હતું કે, આ અજબ સમય આવ્યો છે જ્યારે લોકો સ્વતંત્રતાને ભોગે સુચારુ વ્યવસ્થા ઇચ્છે છે. બેશક તેઓ આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિના પ્રખર વિરોધી હતા, પણ ગુજરાતી પ્રેમ વચ્ચે લાવ્યા વગર એ એક વાત બાજુ પર મૂકીએ તો પણ તેમનું સાહિત્યિક અને સામાજિક પ્રદાન નવી ચેતનાનું હતું તે તો સ્વીકારવું અને સમજવું જ રહ્યું.

અરે, આપણે તો હજી ગુજરાતી ઉમાંશકરને પણ ક્યાં સરખા સમજી શક્યા છીએ તે છેક કર્ણાટકના કન્નડ સાહિત્યકાર સુધી લાંબા થઈએ? જો ગૌરવની ચોટલી બાંધી બેસી રહીશું અને અનંતમૂર્તિના વાંચન કે અંજલિ સુધી લાંબા નહીં થઈએ તો પ્રચલિત અર્થ મુજબ લાંબા જ થઈ જઈશું, કેમ કે ઇતિહાસ કહે છે કે સામા પ્રવાહે તરનારા આવા કર્મઠ લોકો જ સમાજને બદલે છે. તેમના અવસાન નિમિત્તે ફટાકડા ફોડનારા અને કટ્ટરતાવાદીઓને ન તો સંસ્કારની સમજ છે ન તો સંસ્કૃિતની. અનંતમૂર્તિ આજીવન અનેકને આંખમાં કણાની જેમ ખટકતા રહ્યા અને ભવિષ્યમાં પણ તેમની કૃતિઓ થકી ખટકતા જ રહેશે કેમ કે એ પરંપરાના મૂક પ્રેક્ષક નહીં પણ પ્રગતિશીલતાનાં પથદર્શક હતાં. એમની ખોટ કાયમ વર્તાશે. 

e.mail : mmehul.sandesh@gmail.com

http://www.sandesh.com/article.aspx?newsid=2979486

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 27 અૉગસ્ટ 2014

Loading

એક મનોહારી આત્મકથા

મનુભાઈ પંચોળી 'દર્શક'|Opinion - Literature|28 August 2014

અમેરિકા છેક 1865 સુધી ગુલામીનું કલંક હતું. કાળા હબસી લોકો − થોડાઘણા નહીં, 31 લાખ હબસીઓ ગુલામ હતા. તેને ઢોરની જેમ રાખતા, ઢોરની જેમ ટીપતા, ઢોરની જેમ વેચતા. માને એક જણને ત્યાં વેચે, એના છોકરાને બીજાને ત્યાં વેચે, પતિને ત્રીજાને ત્યાં. આ હબસી ગુલામોના 90 ટકા અમેરિકાના દક્ષિણ ભાગમાં હતા. તેમના લોહી – પરસેવાથી મબલક કપાસ, ડાંગર, શેરડી પાકતાં.

આ કલંક સામે લડનારાં પણ હતાં. બે નામ તો એ કલંકકથા જાણનારાંને હોઠે ચડી ગયાં છે. વિલિયમ લોઈડ ગેરીસન અને ‘ટોમકાકાની ઝૂંપડી’(‘અંકલ ટોમ્સ કેબિન’)ની લેખિકા હેરિયટ બીચર સ્ટો. એ ચોપડીએ દેશ-પરદેશનાં હૈયાંને હચમચાવ્યાં. સારાં સારાં પુસ્તકોથી પણ મોટા ફેરફાર થાય છે, તેનો નમૂનો આ ‘અંકલ ટોમ્સ કેબિન’ છે. એ જમાનામાં તેની લાખો નકલો છપાઈ અને ઘણી બધી ભાષામાં તેના અનુવાદો થયા. તેના પરથી પાર વગરનાં નાટકો પણ ભજવાયાં.

લેખિકાને મળવા પ્રમુખ લિંકને નિમંત્રણ આપેલ. તેને જોઈને કહે, ‘આટલી નાની સન્નારીએ આવડી મોટી લડાઈ સળગાવી !’ ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું તે અસાધારણ યુદ્ધ હતું. ગુલામી રાખવાવાળા અને ગુલામી નહીં રાખવાવાળા બંને ગોરા ભાઈઓ હતા. એક જ ‘બાઇબલ’ વાંચનારા ને એક જ રાજ્યમાં વસવાવાળા. એ લડાઈમાં પાંચ લાખ મૂઆ. બે ગોરાઅો એક ત્રીજા કાળા માટે આ કારમું યુદ્ધ લડ્યા.

પણ લિંકને ગુલામી નાબૂદી માટેનું આ યુદ્ધ કર્યું તે પહેલાં ય 75-100 વર્ષથી ગુલામી સામે લડનારા શૂરાઓ થયા હતા, તે ય મોટા ભાગે ગોરા જ હતા. આવા પુણ્યશ્લોક સ્ત્રી-પુરુષોમાંના એક લેવી કોફિને આ કામ 30-40 વર્ષ કર્યું. દક્ષિણમાંથી ગુલામોને નસાડી લાવે, કોઈ જાતે નાસી આવ્યા હોય એ બધાંને આશરો આપે, કપડાંલત્તા-ખોરાક આપે ને અમેરિકાની બહાર સેંકડો માઈલ દૂર જે બ્રિટનનું સંસ્થાન હતું, જ્યાં ગુલામી નહોતી, ત્યાં કેનેડા મોકલી આપે. આની લાંબી સાંકળને ઇતિહાસમાં ‘ભોંયભીતર ચાલતી રેલગાડી’ કહી છે. પણ વસ્તુત: એ છેક કેનેડા સુધીનાં થાણાં હતાં. ત્યાં બધાને સંતાડી, સાચવી યોગ્ય સ્થળોએ પહોંચાડવામાં આવતાં.

આમાં કેવા જોખમો, સાહસો હતાં, ઠંડા લોહીની કેવી તાકાત પ્રગટતી હતી, તેનું આત્મકથન લેવી કેફિને કર્યું છે, તેનું પુન: પુન: ધર્મગ્રંથની જેમ પારાયણ કરવા જેવું છે.

લેવી કોફિને 20થી 70 વર્ષની ઉંમર સુધી, અરધી સદી સુધી, વિકટ કામ કર્યું. તેના ઘરના ભૌંયરા હોય, પાછળ વાડામાં ઓરડી હોય, ઉપરના માળે કાતરિયાં હોય, તેમાં ગુલામોને સંતાડી રાખે. કોઈકવાર દિવસો ને અઠવાડિયાં સુધી તેમને સાચવવાં પડે. લેવી કોફિન બધા સંજોગો માટે તૈયાર.

એમની આત્મકથાનું કોઈ ગુજરાતી કરે તો યશદાયી કામ થાય.

(‘મનુભાઈ પંચોળી સાથે વિચારયાત્રા’માંથી; સંપાદન – મહેન્દ્ર મેઘાણી)

સૌજન્ય : “બિરાદર પત્રિકા”, અૉગસ્ટ 2014, પૃ. 16

Loading

...102030...3,8963,8973,8983,899...3,9103,9203,930...

Search by

Opinion

  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved