Opinion Magazine
Number of visits: 9695337
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બીજા છેડાની રાજનીતિ

પ્રવીણ પંડ્યા|Profile|30 January 2015

૨૬-૧૦-૨૦૧૪ની દિવાળી પહેલાનો રવિવાર હતો. આગલી રાતે રાજુ સોલંકીએ ફોન કરીને કહેલું કે નયન સુરતમાં વૅન્ટિલેટર પર છે. નયન શાહ, નોખી માટીનો પત્રકાર. ચોરસ સાફ-સૂથરો ચહેરો, ચમકદાર આંખો, ભીનો વાન, કપડાં રિક્સા-ડ્રાઇવર કે મિલમજૂર જેવાં, ભાષા લાગ-લપેટ વિનાની, બુદ્ધિ, જ્ઞાન અને સમજણનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હોત, તો એ બહુ આગળ પહોંચત, પણ એ જ્યાં રહ્યો ત્યાં જ અંતિમ શ્વાસ સુધી અડીખમ ઊભો રહ્યો એ જ એની ઓળખાણ છે. અમે સવારે સુરત જવા નીકળ્યાં. સંગીતા અને રંજના સાથે થયાં. આ જ વરસની શરૂઆતમાં કર્દમ ભટ્ટે પણ વિદાય લીધેલી અને વરસના અંતે નયન … અશ્વનિ તો વહેલો નીકળી ગયો હતો.

૧૯૮૧ની આસપાસ આ બધાને હું પહેલીવાર મળ્યો હતો, વિદ્યાપીઠ સામે મૈસુર કાફેમાં. મારાથી જુદા લાગતા આ મિત્રો અચાનક જ મારા જેવા જ લાગવા માંડ્યા. એમના સ્વભાવમાં ઋજુતા નહોતી, એ સાફ-સૂથરી ભાષામાં બોલતા નહોતા, વ્યક્તિસ્વાતંત્ર્ય અને અસ્તિત્વવાદ કે અતિ વાસ્તવવાદ જેવા સાહિત્યમાં ચાલતા પ્રવાહો એમને ભીંજવતા નહોતા. રાજુએ તો હસતા-હસતા એક વખત મારું શર્ટ ફાડી નાખ્યું, જનોઈ છે કે નહીં એ જોવા ! બાકીના કોઈએ એને આવી અભદ્રતા બદલ રોક્યો નહીં, ઊલટા હસ્યા. હકીકત તો એ હતી કે આ મિત્રો માત્ર ભાવનાઓ નહીં પણ ભારતીય માર્ક્સવાદી વિચારધારા સાથે મારી ભીતર ઊતરી રહ્યા હતા. ‘ભારતીય’ શબ્દ મેં આગળ એટલે જોડ્યો છે કેમ કે માર્ક્સવાદનો જ્યાં ઉદય થયો છે, ત્યાં ન તો કબીર જેવા વણકર કવિ હતા કે ન તો હતી એવી વ્યવસ્થા, જ્યાં રાજુ સોલંકી અને પ્રવીણ પંડ્યા માટે તદ્દન અલગ-અલગ સમાજવ્યવસ્થા હોય.

હા, તો એ રવિવારે બપોરે અમે ય સુરત પહોંચ્યાં. એ કાયમની જેમ એના અવ્યવસ્થિત ઓરડામાં ચત્તોપાટ સૂતો હતો. અવ્યવસ્થા! સવારના સૂરજને તાણીતૂસીને સાંજ સુધી પહોંચાડતા સામાન્ય માણસના જીવન જેવી વેરવિખેર અવસ્થા સદા ય એના જીવનમાં રહી. પણ એના વિચારોમાં ગજબની સ્પષ્ટતા હતી. એના ઇરાદાઓ ક્યારેક અછાના નહોતા રહેતા. એ સ્થળ-કાળ-સ્થિતિ પ્રમાણે પોતાને બદલતો નહોતો,  એ બરાબર જાણતો હતો કે વંચિતોનું જીવન મુખ્ય રાજકીય પક્ષો, વિચારધારાઓ, પૂતળાઓ, માર્ગો, મુદ્દાઓ, રેલીઓ, ચૂંટણીઓ … આ બધાંમાં ગંઠાઈને રહી ગયું છે. દેશનું લોકતંત્ર તો સાંઇઠ પાર કરી ચૂકયું છે. લોકેતંત્ર જેમને ફળ્યું, એમનો તો બેડો પાર થઈ ગયો છે. પણ શોષિતોનું જીવન ડગભર પણ રાહતભર્યું નથી થયું. આ રાજનીતિમાં એ પહાડ પરથી ઊતરતા ધસમસતા પ્રવાહ જેવો નહોતો, પણ પહાડ ચઢવાનો પ્રયાસ કરતા તરણાં જેવો હતો … એટલે હું એને ‘બીજા છેડાની રાજનીતિનો માણસ’ કહું છું. મારા મનમાં ચાલતા વિચારો હવે એના સુધી પહોંચવાના નહોતા. મારા શબ્દો એ સાંભળવાનો નહોતો … જો સાંભળતો હોત તો ? કડવું હસીને સાહિલ પરમારની આ પંક્તિઓ મને સંભળાવત :

‘મને ચાંદલિયો આલોની રઢ મેલ રૉમલા,
આંઈ રોટલાની મંડઈ મોકાણ.’

એ સૂતો હતો અને અમે સહુ એના વિશે વિચારતા-વિચારતા એને જોતા હતા. ઓરડાનું ઝાંખું પીળું અજવાળું, વર્ષાનો સફેદ સાલ્લો, એના ચહેરા પરની પથરાળ એકલતા. એક પછી એક નાનાંમોટા સમૂહમાં લોકો આવતા હતા અને બહુ પ્રેમ અને અપેક્ષાભરી નજરે એને જોતા હતા. આથમતા અંધારામાં ગલીના નાકે આવીને ઊભેલું મુસ્લિમ બિરાદરોનું ટોળું એની સોસાયટીના લોકોમાં આશ્ચર્ય જન્માવતું હતું. હું મારી બાજુમાં બેઠેલા રાજુ સોલંકી સામે જોતો હતો. એની આંખોમાં આ આખી ઘટના પ્રત્યે એક અવિશ્વાસ હતો. મને પણ લાગતું હતું કે એ હમણાં ઊઠશે અને કહેશે : ‘વર્ષા, ચા મેલને; પવીણિયો આયો છે, લ્યા નવી કવિતા-બવિતા તો સંભળાવ.’

* * *

૧૯૫૬માં  ખેડાના હલધરવાસમાં નયન શાહનો જન્મ થયો. એણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. કરેલું. પણ ૧૯૮૫માં જ્યારે હું કામય માટે સુરેન્દ્રનગરથી અમદાવાદ આવ્યો, ત્યારે નયન શાહ રિક્સા ચલાવતો હતો, સહેજ પણ શરમસંકોચ વિના. રાજુ અને કર્દમ સાથે જાતિ-નિર્મૂલન સમિતિના કાર્યક્રમો કરે. ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં રેલીઓ કાઢે. ચાની કિટલી અને હોટલો પર દલિતો માટેનાં અલગ રખાતાં ચપ્પણિયાં (કપ-રકાબી) તોડે. દલિતોની વસ્તીમાં જઈને બામણવાદની બારાખડી નામનું શેરીનાટક ભજવે. ’૮૫ના ગોલાણા દલિત હત્યાકાંડ પછીના દિવસે, એટલે ૨૬ જાન્યુઆરીએ કલોલમાં રેલી કાઢવા બદલ દલિત કાર્યકરો સાથે નયને પણ ધરપકડ વહોરી. લોક-અધિકાર સંઘ હોય કે નર્મદા બચાવો આંદોલન, નયનની સક્રિયતા જોવા મળે.

ગૂજરાત વિદ્યાપીઠે પોતાના ઇતિહાસમાં આ ઘટના નોંધી છે કે નહીં, એની મને ખબર નથી, પણ ૧૯૮૬માં સાદરા-રાંધેજાના વિદ્યાર્થીઓએ નયન, કર્દમ અને રાજુના માર્ગદર્શન હેઠળ ત્રણ માસ લાંબું આંદોલન ચલાવ્યું. બી.આર.એસ.ના કોર્સની માન્યતાથી લઈને બીજા અનેક વાજબી પ્રશ્નો હતા. એક રાતે આ વિદ્યાર્થીઓએ સાદરા-રાંધેજાની હૉસ્ટેલના રાંધવાના સાધન-સરંજામ સાથે વિદ્યાપીઠના લાઇબ્રેરી પાસેના મેદાનમાં-જ્યાં અત્યારે અદ્યતન ગેસ્ટહાઉસ છે-ત્યાં ડેરા-તંબુ નાંખ્યાં. બીજે દિવસે તનુશ્રીએ આ સમાચાર ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ’માં ચમકાવ્યા. અમદાવાદના મોટા ભાગના પ્રગતિશીલોએ વિદ્યાર્થીઓના આ આંદોલનને ટેકો આપ્યો. ત્રણ મહિને સમાધાન થયું. પણ એ ત્રણ મહિના સુધી નયન રાત-દિવસ વિદ્યાર્થીઓના તંબુમાં જ જોવા મળ્યો.

૧૯૮૫થી ૧૯૯૨ સુધી અમે સાથે રહ્યાં. આ દરમિયાન સંગીતા શ્રોફ, તનુશ્રી બંદોપાધ્યાય અને બીજા મિત્રોએ મળી અમદાવાદ અને વડોદરા એમ બંને શહેરોમાં, કોમી તોફાનો વચ્ચે કોમી સંવાદિતા પર નેશનલ સ્ટ્રીટ પ્લે ફેસ્ટિવલ કર્યા. નયનમાં અપાર ઊર્જા હતી.

‘હર દિલ મેં બગાવત કે શોલોેં કો હવા દેંગે, હમ જંગે આવામ સે કોહરામ મચા દેંગે’ ગાતી વખતે અમને એવું લાગતું હતું કે બહેતર સમાજરચનાના દિવસો નજીકમાં છે! આ ગ્લોબલાઇઝેશન અને કન્ઝ્યુમરિઝમ પહેલાની દુનિયા હતી, અમારી ધારણા બહાર બધું બદલાયું. પહેલાં તો સ્થાપિત રાજનીતિ વંચિત સમાજને કચડી રહી હતી, પણ હવે તો એ રાજનીતિને બજારવાદનો મજબૂત ખંભો મળી ગયો હતો. વિચારધારાની વાત કયા ખૂણે જઈને કરવી, જ્યાં ‘હમામ યાની સચ્ચાઈ’ એવા પોસ્ટર ઠેર-ઠેર લાગ્યાં હોય?

૧૯૯૫થી એણે પત્રકારિતામાં પગ મૂક્યો. આ ભૂમિ તો ભલભલાને ધરમૂળથી બદલી કાઢે એવી છે. ‘નવગુજરાત ટાઇમ્સ’માં એ ભરૂચ ખાતે બ્યુરોચીફ થયો. પછી વર્ષો સુધી ‘દિવ્ય ભાસ્કર’માં કામ કર્યું. આ બધું કરતા, કરતા ય એના મનમાં તો પેલી બહેતર સમાજરચના માટેની તીવ્ર ઝંખના ડોકાયા જ કરે. સુરતમાં યુવાન નાટ્યકારો સાથે એની બેઠકઊઠક. નાટકની સ્પર્ધાઓમાં જ્યાં ‘હમામ યાની સચ્ચાઈ’ જેવાં નાટક જ ચાલતા હોય ત્યાં એ ‘હમ જંગે આવામ સે કોહરામ મચા દેંગે’ની ભાવનાવાળા નાટકો પણ તૈયાર કરાવે. ક્રાંતિમાં એની આવી શ્રદ્ધા જોઈ હું ધ્રૂજી ઊઠતો. મનમાં થતું નયન આ બદલાતી દુનિયાની સચ્ચાઈ કેમ સમજતો નથી? પણ એ બરાબર સમજતો હતો. એના એ મકસદ સાથે જ એણે અશ્વિન અને કર્દમની જેમ વિદાય લીધી … મારી ધીરજ ઠેઠ સુરતના સ્મશાનમાં જઈને તૂટી. આંખો ભરાઈ આવી. બપોરના તડકામાં સ્મશાનની ભઠ્ઠી ખૂલી. અંદર અગ્નિ ભડભડતો … ક્રાંતિકારી હૃદય જેવો. નયન એમાં સમાઈ ગયો … થયું, ગયો … પણ ૨-૧૧-૨૦૧૪નો રવિવારે પરિષદમાં એની શ્રદ્ધાંજલિસભા ભરાઈ અને એ ફૂલની જેમ વિખરાયો આ શબ્દોમાં :

‘હું અને તનુશ્રી અડધી રાતે પણ ગમે ત્યાં જઈએ અને નયન સાથે હોય, તો અમે અમને તદ્દન સેફ સમજીએ. એ અમારી સાથે અમારી સખી જેવો હતો.’ – સંગીતા શ્રોફ

‘હું હમણાં જ એક દિવસ હલધરવાસ એનું ઘર શોધતો ગયો. વર્ષાભાભીએ ફુલ ડીશ જમાડ્યા. ગામમાં જ્યારે નયન શાહ કોણ એમ પૂછ્યું તો ખબર પડી કે એ નગરશેઠનો દીકરો હતો.’ – નીરવ પટેલ

‘કોમી તોફાનોમાં હોમાયેલા ભરૂચમાં અમે પંદરેક પત્રકારો વી.એચ.પી.ના અસંખ્ય કાર્યકરોથી ઘેરાઈ ગયા. અમે બહુ સ્ફોટક રિપોર્ટિંગ કરેલું. થયું, આજે તો ગયા. પણ ત્યાં જ ટોળામાંથી કોઈ બોલ્યું : ઊભા રહો, આ તો ન.શા. છે. એટલે નયન શાહ.’ – નઇમ કાદરી

મનીષી જાની, હિરેન ગાંધી, સરૂપબહેન, આ બધાંને કૉટ કરું તો જગ્યા ઓછી પડે. પણ નયન શાહ છે … કેમ કે બીજા છેડાની રાજનીતિ હજુ છે … અને રહેવાની.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2015, પૃ. 16 – 17

Loading

શતાયુ સ્વાતંત્ર્યસેનાની નીમુબહેન

સેજલ શાહ|Profile|30 January 2015

થોડા દિવસ પહેલાં મુંબઈમાં દામુ ઝવેરીનાં પત્ની માલતીબહેન ઝવેરીનું અવસાન થયું અને હમણાં અમદાવાદમાં નીમુબહેન કહેતા નિર્મળાબહેન દેસાઈનું. મોટાભાગના લોકો કદાચ આ નામથી અપરિચિત હોય એવું બને. પણ જો હમણાં કહું કે દામુભાઈનાં પત્ની માલતીબહેન અને નીરુ દેસાઈનાં પત્ની નિર્મળાબહેન, તો કદાચ થોડા વધુ પરિચિત ચહેરા મળે. કેવી વાસ્તવિકતા! આજે આપણે જે સ્વતંત્રતાને માણી રહ્યાં છીએ અને જે સેવાભાવી સમાજને જોયો તેનું મૂળ ગાંધીજી હતાં. ત્રણ અક્ષરનું નામ ‘ગાંધીજી’ એક સમયે આખા દેશ-સમાજમાં ઘડતર અને સંગઠન માટે બહુ જ પ્રભાવી ગણાતું હતું. એક નામ માત્રથી યુવાવર્ગ પોતાનું જીવન સમર્પિત કરી દેતો અને પોતાના જીવનની દિશા નિશ્ચિત કરતો હતો. આજે તો મહાત્માને જન્મ જયંતી કે નિર્વાણ દિવસે યાદ કરવાનો ચીલો છે, આમે ય તેમનું પ્રદાન સમજવામાં આપણી સમજ ઓછી પડે છે. ગાંધીજીથી પ્રભાવિત પેઢી અત્યારે ઢળતી વયમાં છે અનેક દીવડાઓ બુઝાઈ ગયા છે અને કેટલાંક બુઝાવવાની દિશામાં છે. એમને યાદ કરવાની એક નૈતિક જવાબદારી રૂપે આપણે નિર્મળાબહેનને યાદ કરવાં જોઈએ.

કોઈ જ ઘોંઘાટ વગરનો અસલ નારીવાદી અવાજ. ‘સ્ત્રીઓ સમાજના આધાર છે અને માટે સ્ત્રીઓની એવી કેળવણી થવી જોઈએ તે ખોટું કામ તો ન જ કરે અને કોઈને કરવા પણ ન દે.’ આ શબ્દો નિર્મળાબહેનના. ૧૯૧૪માં જન્મેલાં નિર્મળાબહેનના પિતા કાપડના વેપાર સાથે જોડાયેલા હતા. નાનપણમાં ભણવાની બિલકુલ ઇચ્છા ન ધરાવતાં નિર્મળાબહેને સ્કૂલે જવાની ના પાડી દીધી હતી અને લાડકી દીકરીનું માતા-પિતાએ સાંભળ્યું પણ હતું પણ પછી ગાંધીજીની હાકલથી ભણવાનું નક્કી કર્યું અને ઘરે શિક્ષક રાખી ભણ્યાં અને એ ભણતર પછી કૉલેજ સુધી પહોંચ્યું હતું. બીજો નિર્ણય આજીવન ખાદી પહેરવાનો.

‘ઘર સારું તો કુટુંબ સારું અને કુટુંબ સારું તો સમાજ સારો અને સમાજ સારો તો દેશ સારો.’ આ વિચાર નિર્મળાબહેન સહુ સુધી પહોંચાડવા માંગતાં હતાં. કૉલેજના ભણતર પછી જ્યોતિસંઘમાં જોડાવાનો એમનો નિર્ણય એટલો અડગ હતો કે સ્કૂલની નોકરીમાં મળતા વધુ પૈસા એમને લલચાવી ન શક્યા. યુવાનીમાં દેશના કાર્યનો પણ એટલો પ્રભાવ હતો કે યુવાન વયે જ લગ્ન ન કરવાની જિદ્દ પણ તેઓ જાળવી શક્યાં હતાં. કૉલેજ દરમિયાન જ એમને ‘જ્યોતિસંઘ’ના કાર્ય માટે પસંદ કરી લેવાયાં હતાં અને પછી મૃદુલાબહેનની આગેવાનીમાં તૈયાર થયાં. ‘જ્યોતિસંઘ’નું કાર્ય સ્ત્રીઓને તૈયાર કરી, પગભર કરવી. એ અંતર્ગત તેઓ શિક્ષણ, ટાઇપિંગ, ચિત્રણ, સીવણ વગેરે જેવાં કાર્યો શીખવતાં. અહીં બહેનો તૈયાર થતી અને નિર્મળાબહેન આગળ જતાં અહીં શિક્ષણમંત્રી બન્યાં. નિર્મળાબહેન નાનપણથી પોતાના વિચારો પ્રત્યે ખૂબ જ સ્પષ્ટ હતાં અને તેથી જ યુવાનીમાં જાણીતા કોઈ કિકેટર સાથેનાં લગ્ન કે એ સમયે જેનું આકર્ષણ હતું, એવી જૉર્જેટની સાડી તેમને લલચાવી ન શકી. પોતાના વિચારો પર ગાંધીજીની અસર એટલી હતી કે એમણે એ સમયે ક્રિકેટર યુવકને પણ ગાંધીજીના કાર્ય તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો, આવું આગવું અને ટોળામાં ન ભળી જાય એવું વ્યક્તિત્વ આ શાંત સન્નારીનું હતું.

જાણીતા ક્રિકેટર સાથેનાં લગ્નના મોહમાં પડ્યા વગર એ લગ્નને બદલે પોતાના આદર્શ અનુસાર સેવાકાર્ય કરવું, એવો નિર્ણય એ સમયે તેઓ લઈ શક્યાં અને પિતાને સમજાવી પોતાનામાં શ્રદ્ધા જન્માવી શક્યાં. તેઓ માનતાં હતાં કે આઝાદી તો મળી જશે પછી એમનાં જેવાં બહેનોની જવાબદારી વધી જશે. સમાજમાં ઉપયોગી બને એવી સ્ત્રીઓને તૈયાર કરવી અને આદર્શયુક્ત સમાજ માટે સતત પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા રહેવાની જ છે. તેઓ કહેતાં કે આજે સ્ત્રીઓ ટીવીમાં ઘરેણાંની જાહેરખબરોમાં ખોવાઈ જાય છે, પરંતુ ખરેખર તો સ્ત્રીઓએ સત્તા અને પૈસાના મોહમાંથી છૂટવું જોઈએ. તેમને કોઈ સામે ફરિયાદ નહોતી પણ આજે જે જીવનનો અર્થ બદલાઈ ગયો છે, તેની વેદના હતી. ૧૯૪૨ના સમયમાં આઝાદી માટેના સરઘસમાં ભાગ લેવાનું તો તેમના માટે સ્વાભાવિક હતું જ અને એ કારણે પકડાઈને જેલમાં પુરાયાં. લગ્ન ન કરેલી દીકરીને છોડાવવા પિતા આવ્યા છે અને જેમ સહુ જામીનના પૈસા ભરતા તેમ તેમના પિતા પણ ભરવા તૈયાર હતા, પરંતુ નિર્મળાબહેને ના પાડી અને છ મહિનાની જેલ સ્વીકારી.

આ દરમિયાન જાણીતા પત્રકાર અને ગાંધીવિચારધારાના નીરુભાઈ સાથે પરિચય થયો. બંને જુદી જ્ઞાતિના પણ સમાન વિચારધારા ધરાવતાં વ્યક્તિત્વો. લગ્ન કરવાનું નક્કી કર્યું અને દેશ આઝાદ થશે એવી ખાતરી થતાં બંનેએ લગ્ન કર્યાં. એ સમયે અનેક યુવાનોને આઝાદી પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન પછી મૃદુલાબહેનના આગ્રહથી જ્યોતિસંઘનું કાર્ય ચાલુ રાખ્યું. અનેક બહેનોને જીવનના સંઘર્ષમાંથી ઉકેલ શોધી આપી રાહ દેખાડવાનું કાર્ય તેમને ‘જ્યોતિસંઘ’ મારફત કર્યું.

નીરુભાઈના સાચા સાથી તો ખરાં જ, પરંતુ પોતાના આદર્શયુક્ત વિચારોને કારણે એમનું એક આગવું વ્યક્તિત્વ ઊપસી આવ્યું હતું. સરદાર પટેલ અને ગાંધીજીને મળવાનો તથા બીજી અનેક રાજકીય પ્રતિભાઓને પણ મળવાનો મોકો એમને મળ્યો હતો, પરંતુ જ્યારે નામ પૂછ્યાં તો કહે મને તો માત્ર ગાંધીજીને જ મળવાનો આનંદ અને ગૌરવ છે, બાકી બધું તો ઠીક.

એક સશક્ત નારી સૂર અને આદર્શવાદી. બહુ ઘોંઘાટ ન કરવાની આદતને કારણે અનેક અવાજોમાં એમના વિચારો આપણા સુધી સંભળાતા નથી, બાકી અત્યારે પણ એમનો અવાજ ગુંજી રહ્યો છે કે અત્યારે જે ભ્રષ્ટાચાર વધ્યો છે, એમાં બહેનોનો ફાળો કંઈ ઓછો નથી, બહેનોએ કહેવું જોઈએ કે અમારાં ઘરમાં ખોટો પૈસો નહિ ચાલે, તો પછી આ બધું જ અટકી જાય પણ …!

નિર્મળાબહેનને સલામ.

e.mail : sej_5874@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2015, પૃ. 18

Loading

ફ્લાવર્સ ઑફ પેશાવર

રમેશ કોઠારી|Opinion - Opinion|30 January 2015

‘ફ્લાવર્સ ઑફ પેશાવર’ / રમેશ કોઠારી

ઘડિયાળના કાંટા તો બંધ હતા, પણ શાળા છૂટવાનો સમય થઈ જ ગયો હોવો જોઈએ, એનો ટેવવશ અણસાર આવી જતાં સકીનાબીબીએ કહ્યું, ‘કાસમ કે અબ્બા, આજ તો જાને કા ઉસકા મન હી નહીં થા. ઉસકુ બોલને કા નહીં હોતા તો મૈં હી નહીં ભેજતી. કલ શામ તો રૂઠ કર છીપ ગયા થા. કહતા થા, ‘નયા સ્વૅટર લા દે, અમ્મા તબ જાઉંગા, કૈસા લગતા થા !’

‘હાં, હાં, આજ તો બોલને કે લિયે સ્ટેજ પર ગયા હોગા, તો કિતની હી તાલિયાં બજી હોગી, કલ અખબાર મેં દેખના, ઉસકા ફોટુ જરૂર હોગા. ‘મજહબ ઔર આતંકવાદ’ પર ઉસકે જૈસા બોલને કી કિસીકી ઔકાત હી નહીં.’

અને રહીમચાચાની વાત પણ ક્યાં ખોટી હતી? શિક્ષક તરીકે એમણે ઘણું વાંચ્યું અને વિચાર્યું હતું. કાસમને તૈયારી કરવામાં એમણે અંગત રસ લીધો હતો. સ્પર્ધામાં કાસમને પ્રથમ ઇનામ મળે, તો ભેટમાં એને શું આપવું તે પણ નક્કી કરી રાખ્યું હતું.

વૈસા તો ઉસકે બારે મેં કુછ કહેણા પડે એસા હૈ તો હી નહીં . હુંશિયાર હૈ, બસ બાતબાત મેં રૂઠ જાતા હૈ, કુછ રોજ પહેલે તો ખાટ કે નીચે ચુપચાપ પડા રહા. મેરા તો ઢૂંઢને મેં દમ નિકલ ગયા. પિક્નિક પે કૈસે ભેજતી ? નદીબદી મેં નહાને પડે ઔર કુછ હો જાવે તો, ના બાબા ના ખુદકા દિયા એક હી તો હૈ.’

રહીમચાચાને ગડગડાટ સંભળાતો હતો પણ તે કાસમની વાક્છટાથી પ્રભાવિત શ્રોતાઓની તાળીઓનો નહીં, પણ આતંકવાદીઓની બંદૂકોમાંથી ફૂટ્યે જતી ગોળીઓનો. અખબારમાં ફોટો વિજેતા તરીકેનો નહીં, પણ મૃતક વિદ્યાર્થીઓ પૈકીના એક તરીકેનો સકીના બીબીએ ખાટ સામે જોયું. તો ખાટને બદલે બૅન્ચ દેખાઈ, જેની નીચે કાસમ જીવ બચાવવા મૃત્યુ પામતાં પહેલાં સંતાઈ ગયો હતો. તેમણે જાણ કર્યા વિના કે સંમતિ લીધા વિના પિક્નિક પર પણ ન જનાર કાસમ આટલા લાંબા પ્રવાસે ગુપસુપ કેવી રીતે નીકળી પડ્યો હશે તેનો વિચાર કરતાં તેમણે દબાવી રાખેલાં આંસુનો ધોધ વહેવા લાગ્યો.

‘અબ ઘડિયાલ કે નયે સેલ મત લાઇઓ, ચલે તો ભી ક્યા, ન ચલે તો ભી ક્યા’ સકીનાબીબીએ નિરાશાભર્યા અવાજમાં કહ્યું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2015, પૃ. 19

Loading

...102030...3,8733,8743,8753,876...3,8803,8903,900...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved