Opinion Magazine
Number of visits: 9555556
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી’સન મોમેન્ટ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|4 October 2014

કહેવું હોય તો કહી શકાય કે “હી કેમ, હી સૉ ઍન્ડ હી કૉન્કર્ડ :” મોદીની ‘મૅડિસન મોમેન્ટ’ વિશે આટલા આરંભિક પ્રતિભાવ સાથે એ પણ ઉમેરવું જોઈએ કે મેનહટન કલાકોમાં એમનો પાટલો અને પ્રતિમા ‘રોકસ્ટાર’ સાથે મુકાતાંઉંચકાતાં રહ્યાં છે.

એન.આર.આઈ.ને માટે આજીવન વિઝાથી માંડીને ‘વિઝા ઑન એરાઈવલ’ જેવી જાહેરાતો કે વિદેશી મૂડીરોકાણ સંદર્ભે ‘મેઇક ઇન ઇન્ડિયા’ સરખાં પુનરુચ્ચારણો અગર તો ડેમોક્રસી (લોકશાહી), ડેમોગ્રાફિક ડિવિડન્ડ (યુવા વસ્તીવૃદ્ધિ) અને ડિમાન્ડ (માંગ પ્રમાણે દેશ બહાર શ્રમ અને પ્રતિભાને સારુ નવાં ચરિયાણ) જેવી મોદીનુમા આકર્ષક થ્રી-ડી ઘોષણા આ બધું તો જાણે કે ઠીક જ હતું.

પણ આવા ‘મેગા ઇવેન્ટ’ની (જે ગુજરાત મોડલ મુજબની સ્થાયી પ્રવૃત્તિ છે, એની) હાલના સંદર્ભમાં બે ઉપયોગિતા જરૂર છે. એક તો છેલ્લાં વરસોમાં એક કે બીજી રીતે જે એન.આર.આઈ. કૉન્સ્ટિટ્યુઅન્સી દેશમાં રસ લેતી ઊભી થઈ છે એને પોતાની તરફેણમાં મજબૂત કરવાની ઇચ્છા કોઈ પણ નેતાની બેલાશક હોઈ જ શકે. બીજું, સવિશેષ તો, અમેરિકાઆંગણે ત્યાંના બિઝનેસ વર્લ્ડ અને પ્રમુખ ઓબામાની વિધિવત્ મુલાકાત પૂર્વે આ પ્રકારનું શક્તિ પ્રદર્શન (જેમાં ઠીક ઠીક સંખ્યામાં અમેરિકી કૉંગ્રેસમેન પણ હતા) એક પ્રભાવશાળી ‘ઇન્ડિયા લૉબી’ના નિર્માણ તરફનું પ્રસ્થાન સૂચવે છે. આ બે ઉપરાંત જો કે એક ત્રીજું વાનું પણ જોડવું જોઈએ અને તે એ કે કામગીરીવશ વતનવિછોયા સૌને સારુ આવું મળવું એક ગૌરવબોધ લઈને આવતું હોય છે. એમાં પણ, વિઝાવિરહવશ જે ભૂમિ પર ક્યારેક વીડિયો કૉન્ફરન્સથી રોડવવું પડ્યું હતું ત્યાં પ્રધાનમંત્રી તરીકે પ્રત્યક્ષ સંબોધનનો અવસર નેતા અને ચાહકો બેઉના ગૌરવભાનને જરી ઓર વળ અને આમળા ચઢાવે એ પણ સમજી શકાય એવું છે.

પણ જ્યાં સુધી આ નેતાના – ‘હી કેમ, હી સૉ એન્ડ હી કૉન્કર્ડ’ એવી ઇવેન્ટી છાપ સરજી શકતા નેતાના – વિશ્વદર્શનનો સવાલ છે, વધુ વહી જતાં પૂર્વે જરી સોચસબૂરી જરૂરી છે. ૨૦૦૨ પછીના ગુજરાતમાં સ્વીકૃતિ માટે એમણે ગાંધી અને ખાદીને કંઈક આગળ કર્યાં હશે, પણ એકંદરે વૈતરણી પાર કરવા સારુ એમને જડી રહેલું ગોપુચ્છ સરદારનું છે. મોદી’સન ઘટનામાં એક કલાકથી વધુ વક્તવ્ય દરમ્યાન શીખ ગુરુઓ, ભગતસિંહ અને વિશેષ વિસ્તારપૂર્વક ગાંધીજી આવ્યા – પણ સરદાર કદાચ આવ્યા જ નહીં અગર તો વખતે આવ્યા હશે તો પણ એકદમ અછડતા, સાંભળનાર સાંભળે તે પૂર્વે સરી પડે એ રીતે! કદાચ, વિશ્વસ્તરે ગાંધીવેચાણ વધુ ઉપયોગી જણાયું હશે. પંદરમી ઑગસ્ટના સંબોધનમાં તેમ અહીં પણ જો કે ગાંધી એક સો પચાસ ભણી જતાં ઊપસી રહેતું વાનું સ્વચ્છતા આંદોલનનું હતું. બેલાશક, ક્લીનલીનેસ કેમ્પેનની જરૂર હતી, છે અને રહેશે. પણ જે વાત વિશ્વદર્શનની રીતે સમજમાં આવવી જોઈએ તે એ છે કે મોદીનામામાં એક સેનિટાઇઝ્ડ કહેતાં નિરુપદ્રવી ગાંધીને જ અવકાશ છે. સત્યાગ્રહી પરિવર્તનસિપાહી ગાંધી ઘોર શક્તિવાદી રાષ્ટ્રરાજ્યબદ્ધ પ્રભાવી નેતૃત્વને સારુ યથાવત્ અગરાજ છે.

જુગલબંધી પેઠે મોદીનું ચિત્ર ઊપસી આવતું હોય, એવો ઘોર અવિવેક દાખવ્યો, એને વિશે શું કહેવું.

ગમે તેમ પણ, અમિતાભ બચ્ચનને ‘મહાનાયક’ તરીકે હુલસાવી શકતી અને નરેન્દ્ર મોદીને ‘રોકસ્ટાર’ તરીકે ઉછાળી શકતી પ્રજા તરીકે આપણે, જરી આપણે વિશે મંથન કરીએ તો એ અડસઠમા સ્વરાજવર્ષે અપેક્ષિત પ્રૌઢિને ધોરણે ‘પીપલ્સ મોમેન્ટ’ બની રહેશે. 

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.02

Loading

કોની સરકાર …

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|4 October 2014

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણને એક વાર વાંચવું જોઈએ. બંધારણના પાંચમા વિભાગના પહેલા પ્રકરણમાં કેન્દ્રની વાત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારના સ્વરૂપ વિશેની વાત આ પ્રકરણના 74મા આર્ટિકલમાં કરવામાં આવી છે. બંધારણના આર્ટિકલ 74 મુજબ કેન્દ્ર સરકાર એટલે કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ, જેનું વડાપ્રધાન નેતૃત્વ કરે છે. બંધારણમાં કોઈ જગ્યાએ વડાપ્રધાનની સરકાર એવું કહેવામાં આવ્યું નથી, જે પ્રમુખશાહીમાં કહેવામાં આવે છે. ઓબામા વહીવટી તંત્ર અને નરેન્દ્ર મોદીની સરકાર એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે બંધારણ મુજબ એનો અર્થ અલગ થાય છે. ઓબામા વહીવટી તંત્ર અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને જવાબદાર છે, જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર એ કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ છે, જેનું વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી નેતૃત્વ કરે છે અને એ સંસદને જવાબ આપવા બંધાયેલી છે. એટલે નરેન્દ્ર મોદીની સરકાર એ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર છે, મોદી વહીવટી તંત્ર નથી.

પ્રમુખશાહીવાળા લોકતંત્રમાં અને સંસદીય લોકશાહીમાં આ ફરક છે. અમેરિકન પ્રમુખને નાગરિકો સીધા ચૂંટે છે, એટલે નાગરિકોની સત્તા કે સાર્વભૌમત્વ સીધાં પ્રમુખને મળે છે. સંસદીય લોકશાહીમાં નાગરિકોની સત્તા લોકપ્રતિનિધિ દ્વારા સંસદને મળે છે, વડાપ્રધાનને નથી મળતી. ચૂંટાયેલાં સભ્યોમાંથી જે સભ્ય ગૃહનો વિશ્વાસ ધરાવતા હોય અથવા બીજા શબ્દોમાં બહુમતી ધરાવતા હોય એ પ્રધાનમંડળની રચના કરે છે, જેનું વડાપ્રધાન માત્ર નેતૃત્વ કરે છે. આમ, કેન્દ્રનું વહીવટી તંત્ર એ કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સનું વહીવટી તંત્ર છે, વડાપ્રધાનનું નથી. નરેન્દ્ર મોદીની સરકાર એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે એ શુદ્ધ બંધારણીય રીતે ખોટી ઓળખ છે. બંધારણ માટે તો માત્ર કેન્દ્ર સરકાર; કેન્દ્ર સરકાર પણ નહીં, સંઘ સરકાર (યુનિયન ગવર્નમેન્ટ) અસ્તિત્વ ધરાવે છે.

આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર એ લોકસભાના બહુમતી જૂથે રચેલી સરકાર છે, જેનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે અને એ સંસદને અને સંસદ દ્વારા પ્રજાને જવાબદાર છે. આનો બીજો અર્થ એ થયો કે વડાપ્રધાન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સમાં ફર્સ્ટ અમંગ ઇક્વલ છે. માટે તો સંસદીય લોકશાહી પદ્ધતિવાળી વ્યવસ્થાને કૅબિનેટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 74 (1)માં આ મુજબ કહેવામાં આવ્યું છે :  There shall be a Council of Ministers with the Prime Minister at the head to aid and advise the President who shall, in the exercise of his functions, act in accordance with such advice. એ પછી આર્ટિકલ 75(3)માં બંધારણ કહે છે : The Council of Ministers shall be collectively responsible to the House of the People. બંધારણ કહે છે કે સંઘ સરકાર સંયુક્તપણે સંસદને જવાબદાર છે, વડાપ્રધાનને જવાબદાર નથી અને એકલા વડાપ્રધાન સંસદને જવાબદાર નથી.

1975ની 25 જૂનના દિવસે મોડી રાતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાદવાનો નિર્ણય લીધો હતો. ઇમર્જન્સી માટેના જાહેરનામા પર રાષ્ટ્રપતિની સહી લેવા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રાયને મોકલવામાં આવ્યા હતા. મોડી રાતે ઉઠાડવામાં આવેલા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ બંધારણની જોગવાઈ ટાંકીને કહી શક્યા હોત કે દેશમાં ઇમર્જન્સી લાદવાના ઠરાવને કૅબિનેટની મંજૂરી હજી સુધી નથી, એટલે રાષ્ટ્રપતિ ઇમર્જન્સી લાદવાના જાહેરનામા પર સહી કરવા બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની ઇચ્છા અને સલાહ મુજબ ન વર્તી શકે અને સલાહ ઠુકરાવી શકે છે. એ સમય એવો હતો અને રાષ્ટ્રપતિ એવા વામણા હતા કે તેઓ બંધારણની જોગવાઈ ટાંકવાની પણ હિંમત કરી શક્યા નહોતા. રાષ્ટ્રપતિને કહેવામાં આવ્યું હતું કે સવારે કૅબિનેટની બેઠક બોલાવીને મંજૂરી લઈ લેવામાં આવશે. ઇન્દિરા ગાંધીના વ્યક્તિગત નિર્ણયને કૅબિનેટ મંજૂરી આપે અને એ નિર્ણય ભારત સરકારનો નિર્ણય બને, એ પહેલાં તો જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ સહિત વિરોધપક્ષના નેતાઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. એ સમયે જેલમાં જનારાઓમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. બીજા દિવસે વહેલી સવારે કૅબિનેટની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને ઇમર્જન્સીના ઠરાવ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળના સભ્યો વિરોધ નહોતા કરી શક્યા.

ઇન્દિરા ગાંધીએ માત્ર લોકતંત્રનું કાસળ નહોતું કાઢ્યું, કૅબિનેટ સિસ્ટમનું પણ કાસળ કાઢ્યું હતું અને લોકતંત્રનું કાસળ એ જ કાઢી શકે અને ત્યારે જ કાઢી શકે, જ્યારે કૅબિનેટ સિસ્ટમનું કાસળ કાઢવામાં આવે. બંધારણમાં કહેવામાં આવ્યું છે એમ વડાપ્રધાન જ્યાં સુધી કૅબિનેટને જવાબદાર હોય, ફર્સ્ટ અમંગ ઇક્વલ હોય અને કૅબિનેટ સંયુક્તપણે સંસદને જવાબદાર હોય, ત્યાં સુધી લોકતંત્રનું ગળું ઘોંટવું આસાન નથી. આસાન શું અશક્ય છે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં એ પછીથી ધીરે-ધીરે તેમણે કૅબિનેટને રબરસ્ટૅમ્પ બનાવવા માંડી હતી અને ઇમર્જન્સી એની ચરમસીમા હતી. એ યુગમાં રમૂજમાં એમ કહેવામાં આવતું હતું કે ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં ઇન્દિરા ગાંધી જ એક મર્દ છે અને બાકીના સભ્યો પુરુષ હોવા છતાં સ્ત્રી છે. (આ રમૂજમાં નારીનું અપમાન થઈ રહ્યું છે, એ માટે ક્ષમા.)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઇન્દિરા ગાંધીને અનુસરી રહ્યા હોય એવા સંકેત અવારનવાર જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૅબિનેટની ઉપેક્ષા કરી રહ્યા છે. સંઘ સરકારની કૅબિનેટ રબરસ્ટૅમ્પ બની રહી છે. પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિને વડાપ્રધાન દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા હતા અને એનું લાઇવ પ્રસારણ દેશભરની સ્કૂલોમાં પરાણે કરાવવામાં આવ્યું, ત્યારે એક વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદીને પૂછેલો સવાલ સૂચક હતો. તે વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે તમે વડાપ્રધાન તરીકે હેડમાસ્ટરની જેમ વર્તી રહ્યા છો. દેખીતી રીતે ખાસ પુછાવડાવવામાં આવેલો એ પ્રશ્ન સાંભળીને વડાપ્રધાનનો ચહેરો રાજીપાથી પહોળો થઈ ગયો હતો અને તેમના ચહેરા પર પોરસાતા હોય એવો ભાવ નજરે પડતો હતો. તેમને એમ હતું કે તેઓ ટાસ્ક માસ્ટરની ઇમેજ ધરાવે છે અને હવે તો વિદ્યાર્થીઓ પણ આ જાણે છે. તેમની જગ્યાએ જો જવાહરલાલ નેહરુ હોત, તો તેમણે પોરસાવાની જગ્યાએ વિદ્યાર્થીના મનમાં અને દેશની પ્રજામાં પોતાના વિશે પેદા થઈ રહેલી ખોટી ઇમેજને અને વડાપ્રધાનના હોદ્દા વિશેની ખોટી સમજને સુધારવાનો પ્રયાસ કર્યો હોત. તેમની જગ્યાએ લાલબહાદુર શાસ્ત્રી જેવા નમ્ર માણસ હોત, તો રાજી થવાની જગ્યાએ સંકોચ અનુભવ્યો હોત.

આ તો નરેન્દ્ર મોદી છે. તેમને વડાપ્રધાન હોવા છતાં વડાપ્રધાનપદથી સંતોષ નથી. તેમને એક જ સમયે અમેરિકન પ્રમુખ પણ બનવું છે અને દિલ્હીના સલ્તનતકાલીન કે મુગલકાલીન બાદશાહ પણ બનવું છે. નરેન્દ્ર મોદી જપૅનની મુલાકાતે ગયા, ત્યારે તેમના રસાલામાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજનો સમાવેશ નહોતો થયો, પરંતુ તેમના ફૅશન-કન્સલ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે તેમને જુદા-જુદા કાર્યક્રમમાં કયાં કપડાં પહેરવાં એની સલાહ આપે. જૂના જમાનામાં રાજા-મહારાજાઓ અને નવાબો પ્રવાસમાં સાથે પાઘડી બાંધનારાઓ, અચકન પહેરાવનારાઓ, ઇત્ર છાંટનારાઓ અને શિકાર માટે તમંચો ઊંચકનારા લોકોને સાથે લઈ જતા એમ. વડાપ્રધાનના વિદેશપ્રવાસમાં વિદેશપ્રધાન સાથે ન હોય એવું ભારતના ઇતિહાસમાં આ પહેલાં ક્યારે ય બન્યું નથી. વડાપ્રધાન એ પહેલાં બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા) દેશોના વડાઓની શિખર પરિષદમાં ભાગ લેવા ગયા, ત્યારે તેઓ વિદેશપ્રધાનને સાથે લઈ ગયેલા નહોતા એમ નહોતા વાણિજ્યપ્રધાનને સાથે લઈ ગયેલા. સફળતાના શ્રેયમાં બીજું કોઈ ભાગ ન પડાવે એ આની પાછળનું કારણ છે. આટલી હદે તો ઇન્દિરા ગાંધીએ પણ સત્તાની અને શ્રેયની ભૂખ નહોતી બતાવી.

ઇન્દિરા ગાંધી કૅબિનેટની ઉપેક્ષા કરતાં હતાં, પરંતુ તેમની કૅબિનેટના સભ્યો આવડતવાળા હતા અને જાહેરજીવનમાં દિગ્ગજ હતા. તેઓ આપખુદશાહી માનસ ધરાવતાં હતાં, પણ લઘુતાગ્રંથિથી નહોતાં પીડાતાં. દિગ્ગજો પર એકાધિકારશાહી ચલાવવી એમાં ભલે લોકતંત્રનો હ્રાસ થતો હતો, પરંતુ એમાં એક પ્રકારની મર્દાનગી હતી. નરેન્દ્ર મોદીની કૅબિનેટ વામણા અને નિસ્તેજ લોકોની છે, જેના પર તેઓ એકાધિકારશાહી ચલાવી રહ્યા છે. માનસશાસ્ત્ર એમ કહે છે કે લઘુતાગ્રંથિ ધરાવનારા લોકો લઘુતાગ્રંથિને છુપાવવા ગુરુતાગ્રંથિનું પ્રદર્શન કરે છે. આત્મવિશ્વાસની કસોટી તમે સમકક્ષ સાથે કેવો વહેવાર કરો છો અને તેજસ્વીને તેજ બતાવવાની કેટલી તક આપો છો એમાં છે. અકબર, શિવાજી અને નેહરુને મહાન શાસક એટલા માટે ગણવામાં આવે છે કે તેમના દરબારમાં કે કૅબિનેટમાં રત્નો હતાં અને તેમણે રત્નોને દબાવ્યા વિના ચળકવાની તક આપી હતી. વામણાઓ પર આધિપત્ય જમાવવું એમાં કોઈ મર્દાનગી નથી.

વડાપ્રધાન જપૅનથી પાછા આવ્યા, ત્યારે વિમાનમથકે બીજા કોઈ પ્રધાનને નહીં, વિદેશપ્રધાન સુષમા સ્વરાજને વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ તો દાઝ્યા પર ડામ જેવી ઘટના હતી. વિદેશવ્યવહાર એ મુખ્યત્વે વિદેશપ્રધાનનો અખત્યાર છે. જે વ્યક્તિ વડાપ્રધાનની સાથે હોવી જોઈતી હતી અને જે વડાપ્રધાનને સલાહ આપવા ઉપસ્થિત હોવી જોઈતી હતી, એ વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની ઉપેક્ષા કરનાર નેતાનું સ્વાગત કરવા અને અભિનંદન આપવા જાય એ તો સમકક્ષ પ્રધાનનું અપમાન છે. સુષમા સ્વરાજમાં જરા પણ સ્વમાન હોય, તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર દરમિયાન રાજીવ ગાંધીએ કઈ રીતે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ટી. અન્જૈયાનું અપમાન કર્યું હતું, એનો દાખલો આપતા હતા. તેમનો ઇરાદો ગાંધીપરિવાર કેટલી તુમાખી ધરાવે છે, એ સાબિત કરવાનો હતો. નરેન્દ્ર મોદીએ ગૃહપ્રધાન રાજનાથ સિંહના અધિકારો આંચકી લીધા છે અને રાજનાથ સિંહ લાફો મારીને પોતાનો ગાલ લાલ રાખી રહ્યા છે. કેન્દ્રના કોઈ પ્રધાનને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી. તેઓ પોતાના સ્ટાફની નિમણૂક પણ કરી શકતા નથી. નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના પ્રધાનો પણ એવા નિસ્તેજ છે કે પાંચ-છ પ્રધાનોને છોડીને બાકીનાં નામ અને ખાતાં પણ યાદ રહેતાં નથી. આ લખનારને દર વખતે ગૂગલ પર સર્ચ કરવું પડે છે.

દેશમાં નરેન્દ્ર મોદીની કૅબિનેટનું શાસન નથી, નરેન્દ્ર મોદીનું શાસન છે. એકાધિકારશાહીની શરૂઆત કૅબિનેટ સિસ્ટમનું ગળું ઘોંટીને થાય છે, જેનો અનુભવ ઇન્દિરા ગાંધીના વખતમાં થયો હતો અને એ દેશ માટે શરમજનક કડવો અનુભવ હતો. લક્ષણો તો એવાં દેખાય છે.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.03-04

Loading

ચિંતનનો ચંદરવો : સંવેદના, નિષ્ઠા અને અભ્યાસનો સુભગ સમન્વય

ગિરીશ પટેલ|Opinion - Opinion|4 October 2014

પ્રોફેસર રોહિત શુક્લનું આ પુસ્તક ‘ચિંતનનો ચંદરવો’ વાંચતાં મને એક જૂનું કાર્ટૂન યાદ આવ્યું. ઝાડ પર વાંદરાંઓ બેઠાં હતાં અને નીચે માણસો બેઠા હતા. માણસો ચર્ચા કરતા હતા કે આ વાંદરાંઓ આપણા પૂર્વજો કેવી રીતે હોઈ શકે? ક્યાં આપણે અને ક્યાં આ વાંદરાંઓ! ત્યારે બીજી બાજુએ વાંદરાંઓ અંદર-અંદર ધીમે ધીમેથી વાતો કરતાં હતાં, “આ માણસજાત આપણા વંશજો કેવી રીતે હોઈ શકે ?”

એક બાજુ માણસ પોતાની જાતને અત્યંત બુદ્ધિશાળી સમજે છે અને પોતાની બુદ્ધિથી એક નવી દુનિયા બનાવવાનો દાવો કરે છે, પરંતુ ખરેખર તો આ જ માણસ પોતાની સમગ્ર જાતનું નિકંદન કાઢવા બેઠો છે. અને સાથે-સાથે સમગ્ર જગતનો નાશ કરવાની દિશામાં દોટ મૂકી રહ્યો છે. આ જ વાત લેખકે આ પુસ્તકમાં વાંદરાઓ વચ્ચેના સંવાદમાં બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. મને લાગે છે કે માણસજાતની ગંભીર સમસ્યાઓની આવી સહજ અને સંવેદનશીલ ચર્ચા માત્ર વાંદરાંઓ જ કરી શકે, માણસ નહિ. અને એટલે જ લેખકે આ માધ્યમ પસંદ કર્યું છે.

સો પાનના આ નાના પુસ્તકમાં રોહિતભાઈએ જગતના રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક અને વૈશ્વિક જેવા વિરાટ પ્રશ્નો ઊભા કર્યા છે અને તેના જવાબો શોધવાની દિશા પણ બતાવી છે. લોકશાહી, ફાસીવાદ, સામ્રાજ્યવાદ, મૂડીવાદ, સ્વતંત્રતા, સમાનતા, ચૂંટણી, કન્ઝ્યુમરિઝમ, યુદ્ધો અને જુલમો, મુક્તબજાર અને કલ્યાણકારી રાજ્ય, સ્ત્રીઓ ઉપરના જુલમો, ગરીબી અને શોષણ, પર્યાવરણ, શહેરો અને ગામડાંઓ – કોઈ જ પ્રશ્ન બાકી રાખ્યો નથી; અને એ પણ કેટલી સુંદર અને સરળતાથી ચર્ચ્યા છે !

દુનિયામાં ચારેબાજુ શાસનકર્તાઓ લોકશાહીની બાંગો પુકારે છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટાઈ તો લોકશાહીનો વિજય, બીજી ચૂંટાઈ તો વોટબૅંક – Vote Bank અને ગોટાળાની વાતો ! સરમુખત્યારશાહી અને આપખુદ દેશોને ટેકો આપીને અમેરિકા દુનિયામાં  લોકશાહી સ્થાપવા માગે છે. અને આ લોકશાહી માટે બીજાં રાજ્યોની સરકારો તોડવાનું તાંડવ ચલાવે છે, ત્યારે લેખકે વેધક સવાલ ઊભો કર્યો છે –

‘લોકશાહી એટલે લોકોનું રાજ્ય. પણ આ લોકો  એટલે કોણ ?’ આ લોકશાહીમાં લોકોનું રાજ્ય હોય છે ખરું ? ચૂંટણી માટે લોકો, પરંતુ ચૂંટાયા પછી લોકોની ઐસીતૈસી ! પછી તો સરકાર એ જ લોકશાહી. લેખક સરસ લખે છે – ‘એક વાર તમે મત આપો અને પાંચ વરસ સૂઈ રહો. જો જાગો તો ખબરદાર. તમને મારા સમ. લોકાયુક્ત અને લોકપાલ, આશારામ કે એશ્શારામ, મચ્છરની ફૅક્ટરી જેવાં ખાબોચિયાં કે દોજખ જેવી જિંદગી જીવનારા એંશી કે સો કરોડ ભારતવાસી, કોઈને યાદમાં પણ બરકવાના નહીં. બસ એક વાર સત્તાની વરમાળા લઈને હાથણી કળશ ઢોળે પછી જોઈ લો મજા.’

એકવીસમી સદીનો આ ગહન પ્રશ્ન છે. લોકશાહી એટલે માત્ર ચૂંટણી જ કે ચૂંટાયેલી સરકાર કે પાર્લામેન્ટ જ નહીં, પરંતુ લોકોની ભાગીદારીવાળું શાસન. જ્યાં લોકો સક્રિય નાગરિકો હોય, જ્યાં પ્રજાના પ્રશ્નો વિશે સતત સંવાદ, વિચાર-વિનિમય, ચર્ચા અને વિવાદો જીવંત રીતે ચાલતાં હોય, જ્યાં દરેક નીતિની બારીકાઈથી તપાસણી થાય અને જ્યાં લોકોનો અવાજ છેક ઉપર સુધી સંભળાતો હોય. પરંતુ આ શક્ય કેવી રીતે અને ક્યારે બને ? ભૂખ્યા-તરસ્યા માણસો પોતાની ભૂખની કે તરસની ચિંતા કરે કે સમાજના પ્રશ્નોની ચિંતા કરે ? રોજી-રોટી માટે ઝઝૂમતો માણસ દેશની આર્થિક નીતિની ચિંતા ક્યારે કરે ? પોતાના પ્રશ્નોની સભાનતા હોવા છતાં એક નિરક્ષર પુરુષ કે સ્ત્રી કહેવાતા ભણેલાઓ વચ્ચે શું સંવાદ કરી શકે ? ગરીબી અને અસમાનતા સાચી લોકશાહીના દુશ્મન છે. જ્યાં સુધી આ ગરીબી અને અસમાનતા નાબૂદ ન કરવામાં આવે, ત્યાં સુધી લોકોની ભાગીદારીવાળી લોકશાહી સ્થાપી શકાશે નહિ. પરંતુ આ ગરીબી, અસમાનતા દૂર કોણ કરશે ? ઉપરથી કોઈ પયગંબર કે મસીહા તો નહિ આવે. ક્રાંતિ કે સંક્રાંતિ, હિંસા કે અહિંસા, એકહથ્થુ શાસન કે લોકશાહી માળખું; આ પ્રશ્ન હજુ અનુત્તર જ રહ્યો છે.

ચારેબાજુથી આનો એક જ જવાબ સંભળાય છે – ‘વિકાસ’. લેખક પૂછે છે –

આ વિકાસ એટલે શું ? માત્ર આર્થિક વિકાસ ? માત્ર જી.ડી.પી.માં વધારો ? અમેરિકાની જી.ડી.પી. તો સૌથી વધારે છે, છતાં ત્યાં ગરીબી, બેઘરપણું, બેકારી, અસમાનતા, અધૂરું શિક્ષણ વગેરે વ્યાપક છે. કાળા કહેવાતા લોકો પરનો અત્યાચાર, ભ્રષ્ટાચાર, હિંસા, વગેરેનું શું ? પોતાનું જીવનધોરણ ટકાવી રાખવા માટે સવારથી સાંજ સુધી દોડમદોડ કરતા લાખો લોકોના આનંદનું શું ? શાંતિનું શું ? વિકાસની ભ્રામક દોડમાં આપણે પણ રસ્તાઓ, ફ્લાયઓવરો અને અન્ડરબ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા, મોટી-મોટી ઇમારતો અને આલીશાન હોટલો અને સામે ઝૂંપડપટ્ટીમાં અને ફૂટપાથ પર રહેતાં હજારો કુટુંબો, રસ્તામાં ભીખ માંગતાં નાનાં, કુમળાં ગરીબ બાળકો, આમથી તેમ ભાગમભાગ કરતા ફેરિયાઓ, ગાડાં ખેંચતી વૃદ્ધ સ્ત્રીઓ, ખખડી ગયેલી મ્યુિનસિપલ પ્રાથમિક શાળાઓ, છેલ્લામાં છેલ્લી ટેક્નોલૉજીથી અભ્યાસ કરતા, કહેવાતી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શાળાઓના, ગાડીઓવાળા વિદ્યાર્થીઓ અને સામે સ્લેટ-પેનથી ભણતાં અભ્યાસવાંચ્છું ગરીબ બાળકો, મોટા-મોટા મોલો સામે ઝઝૂમતા ફેરિયાઓ-નાના દુકાનદારો, શું આને આપણો વિકાસ કહીશું ? આ શું તમારું ‘ગુજરાત મોડેલ’ છે ?

કહેવાતા વિકાસની રોહિતભાઈએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. સાચો વિકાસ અને ખરી પ્રગતિ આપણે કોને કહીશું ? આ સવાલ આપણા જેવા દેશો માટે ઘણો અગત્યનો છે. માત્ર નકામી વસ્તુઓ પેદા કરનારો અને માનવીને માત્ર consumer બનાવનાર અમેરિકન મૂડીવાદ અને આવા જ ખોટા રસ્તે ગયેલો રશિયન સામ્યવાદ અને ચીની સમાજવાદ આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકશે ? ત્યારે કરીશું શું ? માત્ર ગાંધીવાદ તરફ આંગળી ચીંધીને બેસી શકાશે નહીં. દરેક માનવીનું સાચું સુખ શેમાં છે, તે વિશે ઊંડો વિચાર કરવો પડશે. માણસની મૂળભૂત જરૂરિયાત કેન્દ્રમાં હોવી જોઈએ. તેને સંતોષવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. તે પદ્ધતિ માણસના મૂળભૂત સ્વભાવો અને સમાજ અને કુદરત વચ્ચે સુમેળ કરનારી હોવી જોઈએ. ઈવાન ઈલીચે કહ્યું છે કે આપણો સવાલ મૂળ જરૂરિયાતો અને તેને સંતોષવાની પદ્ધતિ બંનેને સમરૂપ ગણવાનો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવાની પદ્ધતિ બંનેને સમરૂપ ગણવાનો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવાની માણસની મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ તેને માટે ખાનગી મોટરકારો જ હોવી જરૂરી નથી. રહેવા માટે ઘર જોઈએ, પરંતુ તે air-condition અને ઇલેક્ટ્રિક લાઇટોવાળું હોય તે જરૂરી નથી. નર્મદા બચાવો આંદોલન મુદ્દે મુંબઈમાં સચિવાલય સમક્ષ ધરણાં વખતે એક આદિવાસીએ પ્રશ્ન ઊભો કરેલો : ‘ગિરીશભાઈ, દરિયાની સામે આટલી હવા હોવા છતાં અને સૂરજનો પ્રકાશ હોવા છતાં આ ઊંચાં-ઊંચાં બિલ્ડિંગોમાં ધોળા દિવસે અંદર લાઇટો ચાલુ છે અને બારીઓ બંધ છે, તેવું કેમ ?’ અમારા મિત્રે જવાબ આપેલો કે આને આધુનિક મકાનો કહેવાય અને આવાં આધુનિક મકાનો માટે જોઈતી વીજળી તો તમારાં મકાનો ને ખેતરો ડુબાડીને બંધોમાંથી લાવવાની છે. આને વિકાસ અને પ્રગતિ કહેવાય. આદિવાસીએ પૂછ્યું કે આ વિકાસ અને પ્રગતિ અમારા ભોગે કેમ ? આનો જવાબ તો આપણે જ શોધવો પડશે.

પણ આવા પ્રશ્નો તો રોહિતભાઈએ ઠેર-ઠેર ઊભા કર્યા છે ઃ

‘તમારે વર્તમાન જોઈએ છે, પણ ભવિષ્ય શું ?’ ‘મને કહો તો ખરા કે અમે સાત પેઢીથી ગરીબના ગરીબ કેમ રહ્યા ?’ ‘અને તમારાં આટઆટલાં બજેટડાં અને યોજનાઓના ગુબ્બારા પછી પણ આવું કેમ ?’ ‘એ તો જરા કહો કે આ દેશમાં સૌ કોઈને ગરીબ બનાવી દેવામાં કેટલી યોજનાઓની જરૂર પડશે ?’ ‘જગતમાં સુખી થવાના કારસાની પાછળ શોષણ, છેતરપિંડી અને નાઇન્સાફી જ શા માટે હોવાં જોઈએ ?’

દિલ્હીમાં એક ભણેલીગણેલી યુવતી ઉપર થયેલા બળાત્કાર અને તેના મૃત્યુથી હાલી ઊઠેલા સમાજને લેખક પૂછે છે,

‘મને કહો તો વર્ષ ૨૦૦૨માં જે ભયાનકતાઓ બની, ત્યારે સમગ્ર દેશના આ બધા લોકોના વલોપાતો ક્યાં હતા ? કૌસરબી વખતે પણ મારા આ ભવ્ય અને મહાન ભારતદેશનો આત્મા ન જ જાગ્યો. પાટણમાં ભણતી વિદ્યાર્થિની વખતે પણ આ દેશ ના જ જાગ્યો. મારા બાપ ! પેલી લઘુમતીની સ્ત્રીઓ, પાટણની દલિત કન્યા કે ગુના આચરનારાની બેગુનાહ પત્ની પણ થયેલા અત્યાચાર વખતે પણ મારા આ મહાન દેશની આવી સંવેદના કેમ પ્રગટી નહીં ?’

‘તારા આ આર્થિક વિકાસલક્ષી ભેજામાં ક્યારેક કોઈ નિર્ભેળ આનંદ નામના પંખીએ ટહુકો કર્યો છે ? અલ્યા, તને બધે રૂપિયા ભળાય છે, પણ જીવનનો સંતોષ અને આનંદ શું ચીજ છે, તેની તને ભનક પણ કદી આવે છે ખરી ?’

આ બધા પ્રશ્નોના જવાબો માણસોએ ખુદ આપવાના છે, એમ કહેતા લેખક કહે છે,

‘જો ભાઈ, ચિત્રગુપ્તનું અસ્તિત્વ હોય પણ ખરું અને કદાચ ના પણ હોય. તારાં ને મારાં આ જન્મોનાં કર્મોના વહીવંચા લખાતા હોય કે ના પણ લખાતા હોય, પણ યાદ રાખજે, એક સતત ફરતા રેંટિયા જેવો વહીવંચો તારી અને મારી અંદર ગુંજતો જ રહે છે. એ તને હંમેશાં એટલું જ પૂછે છે – ‘આ પાર કે પેલી પાર ?’ જ્યારે રણમેદાનમાં બૂંગિયો બજ્યો ત્યારે તમે ક્યાં હતા – રણમાં કે રાણીવાસમાં ? તારે જ તારી જાતને પૂછવાનું છે અને જવાબ પણ તારે જ આપવાનો છે – જ્યારે સત્તાખોરી, શોષણ અને છેતરપિંડીનો ઘટાટોપ જામ્યો છે, ત્યારે તને મદીબા, ગાંધી કે માર્ટિન લ્યુથર કિંગ ભળાય છે ? તને ઝૂંપડામાં ઠલવાતા લોકો, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની સુવિધાઓથી પણ વંચિત અને ગામ-ખેતર-ગોચર ગુમાવતા લોકોને બદલે વિકાસ નામનો કોઈ ઢૂંઢિયો રાક્ષસ તો નથી દેખાતોને? તારા વંશજો માટે તારે કેવું જગત મૂકી જવું છે, તે તારે જ નક્કી કરવાનું છે. આટલું તો કરીશને ?’

આ પડકાર આપણે જ ઝીલવાનો છે.

હાલના આ કહેવાતા ‘વિકાસ’ વિશે સવાલો ઊભા કરનારાઓને વિકાસવિરોધી તરીકે બદનામ કરવામાં આવે છે. સવાલ માત્ર એટલો જ છે ‘વિકાસ’ કોનો ? માનવીનો કે માત્ર સાધનોનો ? આ પ્રશ્ન વિકાસનો નથી, પણ વિકાસના ફોકસનો છે. લેખક સચોટ જવાબ આપ્યો છે –

‘જો આ બી.આર.ટી.એસ. અને રિવરફ્રન્ટ તારી નજરે ચઢે છે અને તારા મગજના કૅમેરામાં આ દૃશ્ય ઉપર ‘વિકાસ’ એવું લેબલ ચીપકી જાય છે. મને તારો કૅમેરા ક્યાં ફરે છે તેની ખાસ ચિંતા નથી. મારી ચિંતા તો એ છે કે તારા કૅમેરાનું ફોક્સ રોળાઈ ટોળાઈ જાય છે. તું વિકાસ નામના દૃશ્યમાં ચીજવસ્તુઓ અને સડકો કે મોટરગાડીઓ ઉપર ફોકસ કરે, ત્યારે પેલો રોળાઈ જતા માણસની મને ફિકર થાય જ છે. એક પેલો ગાંધીબાપુ નીકળ્યો હતો. તેણે દીધેલું તાવીજ મારી કને છે. જોઈએ તો તને બાંધું. એણે કહેલું – બેટા મૂંઝાય ત્યારે આને ચપટી ઘસી જોજે. તેમાંથી જે હવા નીકળે તેને પૂછજે – પેલો ગાંધીનો ગરીબ ક્યાં છે ? તેને જે રાંકડો, રોળાયેલો, ડરેલો અને સંકોચાયેલો ચહેરો મળે, તેને તારા વિકાસનું નૈવેદ્ય ધરાવજે. જો એ તારું નૈવેદ્ય આરોગે તો તારું સાચું માનજે, નહિ તો તેના સામે ય જોતો નહિ, ‘હિંદ સ્વરાજ’ માણસની ઉપર ફોકસ કરેલા કૅમેરામાંથી નીકળતા વિકાસની વાત કરે છે. તે તારા ‘બ્રેટનવુડ્ઝના’ – વિશ્વબૅંક અને નાણાભંડોળના કલ્પેલા વિકાસની પરીકથા કથતો નથી.’

અહીં મને જૂના જમાનાની એક જોક યાદ આવે છે. ‘એક માછીમાર નદીકિનારે શાંતિથી સૂતો હતો. ત્યાં વિકાસપુરુષ આવે છે અને પૂછે છે, ‘શાંતિથી કેમ સૂતો છે, વધારે માછલી પકડ!’ પેલા માણસે પૂછ્યું, ‘તારે શું ?’ ‘મોટી જાળી ખરીદ અને મોટી બોટ બનાવ અને વધારે માછલી પકડ અને પૈસા કમાવ અને સરસ બંગલો બનાવ, ગાડી ખરીદ.’ પેલાએ પૂછ્યું – ‘પછી શું કરવાનું ?’ જવાબ – ‘ખાઈપી ને આરામ કરવાનો.’ ‘તો હું અત્યારે શું કરું છું ? તેણે જવાબ આપ્યો. આ જોક આજે સત્ય બની ગઈ છે … માણસને માત્ર વસ્તુઓ પેદા કરનારું અને તેનો ઉપભોગ કરનારું પ્રાણી ન બનાવો. તેને સર્જનાત્મકથાથી સભર પૂર્ણ માણસ બનાવો. આ પુસ્તકનો સાર આ જ છે.’

વિશ્વના અને ભારતના વિવિધ પ્રશ્નોની આટલી સમતાથી અને પૂરા અભ્યાસ સાથે તથા નિસબતપૂર્વક લોકો સમક્ષ રજૂ કરે એવું પુસ્તક ભાગ્યે જ જોયું છે કે વાંચ્યું છે. ‘ચિંતનનો ચંદરવો’ પુસ્તક આવું છે. આ બધા પ્રશ્નોની ચર્ચા વાંદરાંઓએ કરી છે … શું માણસો આવી ચર્ચા કરી શકશે ? મને શંકા છે. અને એટલે જ કદાચ લેખકે આ માધ્યમ પસંદ કર્યું હશે.

આ પુસ્તક લખવા બદલ રોહિતભાઈને ધન્યવાદ. આ પુસ્તક કે તેની હારમાળા આ દેશનાં દરેક સ્ત્રી-પુરુષ અને બાળક માટે ફરજિયાત વાચન ગણાવું જોઈએ. આ પુસ્તક લખતી વેળા લેખકને જે મૂંઝવણ થઈ હશે, તેના કરતાં વધારે મૂંઝવણ તો મને આવા સુંદર પુસ્તકની પ્રસ્તાવના લખતાં થઈ છે. મારી આ પ્રસ્તાવના આ પુસ્તકને બરાબર ન્યાય ન આપી શકી હોય, તો વાચકો મને માફ કરે.        

૧૫ ઑગસ્ટ, ૨૦૧૪

[તા. ૧૨ ઑક્ટોબર, ’૧૪નો રોજ પ્રકાશિત થનારા પુસ્તક ‘ચિંતનનો ચંદરવો’માં]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.07-08

Loading

...102030...3,8713,8723,8733,874...3,8803,8903,900...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved