Opinion Magazine
Number of visits: 9695078
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

— અને શિક્ષણ

ભરત મહેતા|Opinion - Opinion|18 February 2015

જે વીરલાઓને આજે મોકળું મેદાન મળ્યું તે વીરલાઓને એન.ડી.એ. કાળમાં જરાક જેટલો સમય મળેલો ત્યારે એ વીરલાઓ શિક્ષણમાં અંબાણી-બિરલાને લઈ આવેલા. ઉચ્ચ શિક્ષણ માટે જે સમિતિ એમણે સ્થાપેલી એનું નામ ‘અંબાણી-બિરલા સમિતિ’ હતી. આ સમિતિએ જે દસ્તાવેજ તૈયાર કર્યો એનું નામ ‘અંબાણી-બિરલા રિપોર્ટ’, જે મહત્ત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે. આ વીરલાઓના, પુત્રનાં લક્ષણ પારણામાં એમ આ રિપોર્ટમાં રંગેચંગે સ્વીકારાયું કે ‘શિક્ષણ મૂડીરોકાણનું ઉત્તમ ક્ષેત્ર છે.’ આ સમિતિની ભલામણ હતી કે ઉચ્ચ શિક્ષણના સમગ્ર ક્ષેત્રનું ખાનગીકરણ કરી દેવું જોઈએ ! આ સમિતિની રચના જ બતાવે છે કે શિક્ષણ પર ‘બજાર’નું કેવું અને કેટલું પ્રભુત્વ હશે. જ્યારે એન.ડી.એ.  કાળ હતો, ત્યારે તો બત્રાનાં પતરાં ખખડતાં નહોતાં હવે તો બત્રાજીનો વેદ વદે છે અને શ્રુતિ તો એવી છે કે સ્મૃિત (ઈરાની) શાખ નહીં, શાખાની શાખાઓ શાળાઓ રૂપે જ આપશે ! વિવિધ ભારતી પાસેથી નહીં પણ ‘વિદ્યાભારતી’ પાસેથી મેળવેલું ‘જ્ઞાન’ વહેંચવામાં આવશે. કૉંગ્રેસે શિક્ષણને ખાડે નાખેલું છે. હવે શિક્ષણમાં અખાડાયુદ્ધ જ શરૂ થવાનું છે જેના અણસાર વર્તાય છે.

શું આ વીરલાઓ પાસે આશા રાખી શકાશે કે શિક્ષણમાં અચ્છે દિન આયેંગે ? વૈશ્વિકીકરણના માહોલમાં શિક્ષણનાં (કુ)લક્ષણો આ રીતે પ્રગટ થતાં રહ્યાં છે : ઉચ્ચ-મૂલ્યબોધવાળા મનુષ્યનું નિર્માણ કરવાની પ્રક્રિયા સમા શિક્ષણના મૂળભૂત ઉદ્દેશોને નગણ્ય લેખવામાં આવે છે. સામાજિક પરિપ્રેક્ષ્યથી શિક્ષણને કાપી નાંખવામાં આવ્યું છે. ‘બજાર’ની જરૂરત મુજબ શિક્ષણનું નિર્ધારણ કરવાનું છે. રાજ્યનો હસ્તક્ષેપ હરપળે રાખવાનો છે. કૉમન યુનિવર્સિટી ઍક્ટ ગુજરાતમાં લાવવાની બબ્બે વાર નાકામ કોશિશ કરનારા આ વીરલાઓ જ હતા જ્યાં શિક્ષણની સ્વાયત્તતાનો ખાતમો બોલાવવાની પેરવી હતી – જે ઍક્ટ મહેનતપૂર્વક ‘સંતાડી’ રાખવામાં આવેલો. પ્રજાસમક્ષ રજૂ જ નહોતો કરાયો. ભૂતકાળની ઘટના એટલે દોહરાવું છું, આ વીરલાઓની વૃત્તિનો ખ્યાલ આવે. અંબાણી-બિરલાએ શિક્ષણની કબરનો છેલ્લો ખિલ્લો એમ કહીને ઠોક્યો કે ખાનગી યુનિવર્સિટી નીલ પાસ ! જાવ ઉદ્યોગપતિઓ લહેર કરો. નદી-નાળાં-સમંદર-રોડ-પર્વત તો તમને આપ્યાં જ હતાં તો તમારા યજ્ઞમાં વધુ એક આહુતિ. શિક્ષણની પણ હાટડીઓ માંડો. ટૂંકમાં, શિક્ષણ એક પણ્યપ્રવૃત્તિ (comodity) બની ગયું છે. શિક્ષણનું આ વેપારીકરણ (comodification) એ વૈશ્વિકીકરણનો શિક્ષણ પર પડેલો પ્રભાવ છે. એ લોકો સ્પષ્ટ માને છે કે શિક્ષણ જ્યારે એક લે-વેચની સામગ્રી બની ગઈ છે ત્યારે એમાંથી નફાની મલાઈ ખાવાની શરમ શી ? છાશ લેવા જવું ને દોણી સંતાડવી ? તેથી આઝાદ ભારતમાં ચોમેર અધધધ કહી શકાય, એવી શિક્ષણની હાટડીઓ મંડાઈ ગઈ છે. રિલાયન્સ કે નિરમા – ગાંધીજી, ભગતસિંહ, જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ કે પ્રેમચંદજી પેદા કરવા માટે શિક્ષણનું કારખાનું થોડું ખોલે ? એને તો જોઈતો હોય છે થોકડાબંધ રોકડો નફો. છાશવારે સંસ્કૃિતની વાતો કરનારાની, સંસદને વંદન કરનારની અસલી સંસ્કૃિત આ છે. સરસ્વતી(જ્ઞાન)ને બજારુ બનાવી દેવાઈ છે. આ દુઃશાસનકર્તાઓ સરસ્વતીનું ચીરહરણ કરી રહ્યાં છે ત્યારે આખી સભા ચૂપ છે ! લેખકો, પત્રકારો, કળાકારો, સમૂહમાધ્યમોને આ વસ્ત્રાહરણ દેખાતું નથી ?

શિક્ષણમાં ઉદ્યોગોની વધુમાં વધુ ભાગીદારી કોણીએ એવો ગોળ લગાડીને આપવામાં આવી રહી છે કે આ ઉદ્યોગો રોજગારી પૂરી પાડનારા છે. જો આવું જ હોત તો કરોડો શિક્ષિત બેરોજગારોને એમને ત્યાં બોલાવતા કોણ અટકાવે છે ? ખાનગી સંસ્થાઓમાં કૅમ્પસડ્રાઇવ નાટક ચાલે જ છે. જેમાં કૅમ્પસ પરથી ભરતી થાય, એની ટકાવારી સંસ્થા હરખાતી-હરખાતી બતાવે … પછી એક-બે વર્ષમાં જ પેલાઓને છુટ્ટા કરાય. ખાનગી સંસ્થા અને ઉદ્યોગમાલિકોનું આ ષડ્યંત્ર હવે તો જગજાહેર છે. ઉદ્યોગોને તો જેવો અને જેટલો કુશળ (skilled) મજૂર જોઈએ છે, તેવો અને તેટલો જ શિક્ષણ પામેલો જોઈએ છે. વધુ જ્ઞાનવાનનો એને ખપ નથી. આમ, વૈશ્વિકીકરણમાં શિક્ષણનો ઢાંચો ઉદ્યોગકેન્દ્રી બની રહ્યો છે, જે એકાંગી વિકલાંગ સમાજ સર્જશે. લાખો ગૃહિણીઓ, ખેડૂતો, વંચિતો એમને, એવા કરોડોને કોણ શિક્ષણ આપશે ? કલ્યાણરાજ્યના સેવાકીય ક્ષેત્રને આ રીતે નફાકેન્દ્રી ઉદ્યોગોના હવાલે કરી દેવાયું છે. કોઈ પણ પક્ષના દરેક બજેટમાં ઉદ્યોગના સરેરાશ ૪૫થી ૬૫ હજાર કરોડનું દેવું માફ કરાય છે, જ્યારે બીજી તરફ આટ્ર્સ-કૉમર્સમાં પણ પૅમેન્ટ સીટ છે !

વૈશ્વિકીકરણના કારણે શિક્ષણ પર પડેલી એક વધુ અસર છે – ઊંચી ફી, ખાનગી સંસ્થાઓએ રોકાણ મુજબ ફી લેવાની ? ના, ઊભા રહો. ઊંચી ફીમાં રાજ્ય કહેશે તેવી ‘સમાનતા’ (!) રાખવાની ! ફી- નિર્ધારણમાં આ રીતે વપરાયેલો ‘સમાનતા’ શબ્દ પણ ‘વિકાસ’ શબ્દની જેમ પોતાની ગરિમા ખોઈ બેઠો. ‘સમાનતા’ શબ્દની આ દશા થશે, એની તો કોઈને કલ્પના પણ નહીં હોય. વંચિત છે એમને તો વંચિતો જ રહેવાનું છે. શિક્ષણથી પણ આઝાદી પછી કોઈને કોઈ સ્વરૂપે આ પ્રશ્નો હતા. પરંતુ ’૯૦ના વૈશ્વિકીકરણના વેગીલા પ્રવાહ પછી નર્યા સપાટી ઉપર આવી ચૂક્યા છે.

વૈશ્વિકીકરણમાં શિક્ષણની બીજી એક સ્થિતિ એ થઈ છે કે અહીં આલોચનાત્મક ચિંતન ક્રિટિકલ થિન્કિંગને જરા ય સ્થાન નથી. ચિત્રોથી પ્રશ્ન પૂછશો તો સરકાર ધમકાવે તે પહેલા મોરલ પોલીસ તૂટી પડશે. ફિલ્મથી પ્રશ્નો નહીં પૂછવાના. બત્રા બોલે તે સત્ય ! ‘પરઝાનિયા’ ફિલ્મ નહીં બતાવવા દઈએ, પી.કે.માં તોડફોડ કરીશું. ભલે ચોમેર બ્લુ ફિલ્મો વેચાય કે સંસદમાં જ જોતાં સાંસદો પકડાય !

ચિંતનશીલ વ્યક્તિની વૈશ્વિકીકરણમાં જરૂર નથી. ચિંતનશીલ વ્યક્તિ ખતરનાક હોય છે. આવી વ્યક્તિઓ એમના જુઠ્ઠાણાંસભર પ્રચારનો પર્દાફાશ કરે છે. રાજ્યને કરોડરજ્જુ વગરનું, ગુલામી માનસવાળું સંપૂર્ણ વફાદાર સૈન્ય જોઈએ છે. તાર્કિક ચિંતનને હવે સ્થાન નથી. તેથી ઇતિહાસ, રાજનીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજશાસ્ત્ર હવે ભણવાની જરૂર નથી. વિજ્ઞાનમાં પણ કેવળ એપ્લાઈડ સાયન્સ જ ભણવાનું. થિયરી વગર ચાલશે ! હવે આ બધું ભણાવવાની જરૂર નથી અથવા એમાંથી ‘બજાર’ને ખપમાં આવે તેવું જ ભણવાનું. શિક્ષણનો માપદંડ છે એ ‘બજાર’માં કેટલો નફો રળી આપશે ! એને કમ્પ્યૂટર બરાબર આવડતું હશે પણ એનું માનસ વૈજ્ઞાનિક નહીં હોય. આવો ‘રૉબોટ સમાજ’ એમને સર્જવો છે.

વર્ચસ્વ ધરાવતા સ્થાપિત વર્ગે એમના નિજી સ્વાર્થ માટે જ્ઞાનના સ્વરૂપ સાથે આ રીતે ચેડાં કર્યાં છે. એ વિકૃત (ડિસ્ટોર્ટેડ) જ્ઞાનને ફેલાવે છે. બત્રા જેવા અનધિકૃત, અવૈજ્ઞાનિકને જાણીબૂઝીને પ્રોત્સાહન આપે છે. પછી આ દેશમાં વૈજ્ઞાનિકો, ઇજનેરો, નેતાઓ સાગમટે ગણેશને દૂધ પિવડાવે નહીં તો નવાઈ ! હમણાં વડાપ્રધાને હોદ્દા મુજબ, નાનો માણસ નાનું ગપ્પું મારે, મોટો મોટું ફટકારે, તેમ ફટકાર્યું. ગણેશના શિરચ્છેદ પછી હાથીનું મસ્તક લગાવાયું છે. (પુરાણકથામાં) તેથી ભારતમાં સર્જરીવિદ્યા હતી ! પંડિત નેહરુથી શરૂ થયેલ વડા પ્રધાન પરંપરામાં આપણે ક્યાં પહોંચ્યા એનો આ એક અંદાજ છે. મધ્યપ્રદેશમાં ત્રણ દાયકાથી ચાલતો ‘ઔરંગાબાદ વિજ્ઞાનશિક્ષણ કાર્યક્રમ’ હમણાં બંધ કરી દેવાયો, બીજી તરફ બત્રાજીનાં પુસ્તકોની શ્રેણી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે છાપી. નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા રાજકર્તાઓએ પ્રસ્તાવના લખી. આ આખું મિશન એક માનસિકતા – માઇન્ડસેટ – ઘડવા માટે છે. આ ઘટના પણ વૈશ્વિકીકરણથી, એના એજન્ડાથી પર નથી. જેમ સંસ્થાનવાદ વખતે પુનરુત્થાનવાદી ચેતનાને બળ દેવાતું, શાસન એને પ્રોત્સાહન આપતું, તેવું જ આ છે. વાલીને યજમાન ગણાવી શાળામાં યજ્ઞ કરાવો. વેંડી ડોનિગર કે એ.કે. રામાનુજનનાં પુસ્તકો સામે પ્રતિબંધ લાવનાર તરીકે બત્રાજી વિખ્યાત છે. આર.એસ.એસ. સંચાલિત ‘અખિલ ભારતીય વિદ્યા સંસ્થાન’ના મહાસચિવ હતા. તેમનાં પુસ્તકો ગુજરાતની ચાલીસહજાર શાળાઓમાં મફત વિતરિત કરાયાં. હજાર જગ્યાએ ‘પૈસા નથી’ની રાડો પાડનાર શિક્ષણતંત્રને આ માટે એકાએક પૈસા મળી ગયા ! એક જ વ્યક્તિને આટલું સ્થાન ? આ લોકશાહી રાષ્ટ્ર કે હિન્દુ રાષ્ટ્ર ? એ ગ્રંથોમાં જુઠ્ઠાણાંઓ ધમધોકાર છે. સ્ટેમસેલ રિસર્ચ મહાભારતકાળમાં હતું, સંજયના કારણે કહી શકાય કે ટેલિવિઝન હતું, પુષ્પક વિમાનની કંપની હતી, અનશ્વરથ હતા, તેથી મોટરકાર પણ હતી. એ પુસ્તકમાં અખંડ ભારત દર્શાવાયું છે – ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર ! વૈદિક ગણિત જ સાચું ગણિત છે. નવી પેઢીને, કૂમળા છોડને આ રીતે વાળી નાખવાના. કૂવામાંનાં દેડકાં બનાવવાનાં. આમ, કૉંગ્રેસે કરેલ શિક્ષણના વેપારીકરણમાં ભા.જ.પ. ભગવા રંગનું વેપારીકરણ અથવા તો ભગવાકરણનો વેપાર શિક્ષણ દ્વારા ઉમેરવા માંગે છે.

વૈિશ્વક બજારના અન્ય ઘટકો – સેટેલાઇટ, ડિજિટલ ટેક્નોલૉજી, કમ્પ્યૂટર્સ વગેરેની શિક્ષણમાં બોલબાલા વધી છે. તેથી સમાજમાં અત્યંત આધુનિકથી માંડી અત્યંત સામાન્ય શાળાઓનો ભેદ સર્જાયો છે. જેની પાસે જેવા પૈસા તેમાં જાવ. વડોદરામાં એક તરફ મોંઘીદાટ નવરચના શિક્ષણસંસ્થા છે, તો બીજી તરફ કડકબજારમાં પ્રતાપ હાઈસ્કૂલ પણ છે. શિક્ષણમાં વર્ગભેદ સર્જાયો છે. અતિ આધુનિક સુવિધાગ્રસ્ત શાળાઓ સામાજિક દરજ્જાની સૂચક બની છે. વૈશ્વિકીકરણે આમ શિક્ષણને પણ્યપ્રવૃત્તિ અને ક્રયવસ્તુ બનાવ્યા પછી એમાં ‘બ્રાન્ડ નેમ્સ’ ઊભાં કરે છે. આ આખી રીતભાતમાં વૈશ્વિકીકરણની વિજ્ઞાપનકળાનો ય ફાળો છે. છેવટે બધાંને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પૂરી પાડવાની પોતાની બંધારણીય ફરજમાંથી રાજ્યે પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે.

બીજી તરફ ઑપન યુનિવર્સિટીઓ, રેડિયો-ટીવી દ્વારા શિક્ષણ જેવી ઔપચારિક શિક્ષણપદ્ધતિઓ આમજનતાના શિક્ષણ માટે છે. આમ, શિક્ષણનું ‘નાટક’ ચાલે છે. રાબેતા મુજબની શાળાઓ, યુનિવર્સિટી બંધ કરી દેવાની, જેથી ખાનગી માલિકોને જલસા. એમ.એસ. યુનિવર્સિટીએ તાજેતરમાં જ પાદરામાં આટ્ર્સ ફૅકલ્ટી બંધ કરી. ઉસમાનપુરાનો(અમદાવાદ)ની શાળામાં વહીવટી કચેરી થઈ ગઈ. મીઠાખળી (અમદાવાદ)ની મ્યુિનસિપલ શાળા નંબર વીસનો બનાવ આ દૃષ્ટિએ ઐતિહાસિક છે. ’૯૭માં આ સરકારી શાળાનું પંદર ઓરડાનું તે કાળે કાયદેસર કિંમત સવા પાંચ કરોડનું મકાન, મેદાન સાથે ખાનગી સંસ્થાને અંગ્રેજી શાળા ખોલવા માટે ભાડાપેટે આપવામાં આવ્યું. બીજી ઑક્ટોબરે આ જગ્યાએ ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ’ શરૂ થઈ ! ત્યારે ત્યાં જુનિયર કે.જી.ની ફી રૂપિયા ૧૮,૦૦૦/- હતી ! મકાનના ભાડા પેટે વાર્ષિક ભાડું ૧૦૧ રૂપિયા ! ૪૦ વર્ષ માટે આ જગા ભાડે અપાઈ ચૂકી છે. A.I.D.S.O.ની લોકલડત ચાલી. સર્વશ્રી દર્શક, યશવંતભાઈ શુક્લ, ચુનીભાઈ વૈદ્ય, પ્રકાશભાઈ શાહ સમેત અનેક અગ્રણીઓએ એમાં ભાગ લીધો. ડૉ. યશપાલે (યુજીસી ચૅરમેને) ટેકો જાહેર કર્યો; પરિણામ શૂન્ય. લોકલડતના કાર્યકરોએ એક વર્ષ સુધી ફૂટપાથ પર વંચિતો માટે શાળા ચલાવી. આજે ગાંધીના નામે એ જગાએ વેપલો ચાલુ છે. ભેદભાવપૂર્ણ સમાંતર શિક્ષણવ્યવસ્થા સરકાર દ્વારા જ ઊભી થઈ રહી છે, તેનું આ ઉદાહરણ છે. દિલ્હી યુનિવર્સિટીમાં ૧૦+૨+૩નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને સ્નાતક કોર્સ ચાર વર્ષનો કરવાના જે ધમપછાડા સરકારે કર્યા, એ પણ આનું જ ઉદાહરણ છે. જેમ જાહેર એકમોને તાળાં વાગે, તો ખાનગી ઉદ્યોગપતિઓને મોકળું મેદાન મળે તે જ નીતિ આ છે. રાબેતા મુજબની શાળા/ કૉલેજો/ યુનિવર્સિટીઓને સરકાર તાળાંબંધી કરી રહી છે, જેથી શિક્ષણ પાછળ સરકારે બજેટ ફાળવવું જ ન પડે.

આઝાદ ભારતના પહેલા શિક્ષણપંચે – બી.જી. ખરે કમિશને શિક્ષણ પાછળ રાષ્ટ્રીય બજેટના ૧૦% વાપરવાનું સૂચન કર્યું હતું. ક્યારે ય આ દેશમાં શિક્ષણ પાછળ ૫% પણ વપરાયા નથી ! વર્ષોનાં વર્ષો સુધી શિક્ષકની ભરતી જ ન થાય. દા.ત., આંકલાવની આટ્ર્સ-કૉમર્સ કૉલેજમાં ૧૯૯૪થી આજ લગી અંગ્રેજીના પ્રાધ્યાપક જ નથી ! સરકારી શાળાઓમાં આવું થાય છે. બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી થતી નથી. પરિણામ એ આવ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં ખાનગીશાળાઓ શરૂ થઈ છે ! મોટી ખાનગી સંસ્થાઓને સરકાર મદદ કરે છે, અને સરકારી શાળાઓને નહીં. જમીન સસ્તા ભાવે, આવકવેરામાંથી મુક્તિ, સી.બી.એસ.ઇ.નું ત્વરિત જોડાણ જેવા લાભો અપાઈ રહ્યા છે.

૮મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ (આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ) ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં આવેલા સમાચાર આ સંદર્ભે જોવા મળે છે.

‘Directorate of Education (Delhi) has decided to close down 35 Government Schools … This is in addition to the 55 schools already closed.’ ફાટફાટ થતાં શહેરમાં આવી અવળીગંગા કેમ ? આ ગંગાનું શુદ્ધિકરણ ન કરાય ? પછીથી આ શાળાનાં મકાનોમાં કાં તો શૉપિંગ સેન્ટર્સ બને છે. અથવા તો ખાનગી શાળાઓ.

૧૮૮૨માં ઇન્ડિયન એજ્યુકેશન કમિશનની સામે મહાત્મા જ્યોતિબા ફુલેએ, ૧૯૧૧માં ઇમ્પિરિયલ એસેમ્બ્લીમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ કે સંવિધાનસભામાં ડૉ. આંબેડકરે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી. આઝાદી પછીના નેતાઓ કેટલાં વામણાં છે કે આટલી નાની માંગ પણ એ પૂરી કરી શક્યા નથી.

લેખના અંતે આ મહાનુભાવોને સહેતુક યાદ કર્યા છે. વૈશ્વિકીકરણ એકદમ નવીનક્કોર ઘટના નથી. સામ્રાજ્યવાદના ઉદયથી વિકાસ સુધીની એની ગતિ છે. સંસ્થાનવાદ વખતે સામ્રાજ્યવાદે શિક્ષણ સાથે એવો જ વ્યવહાર કરેલો. આજનું વૈશ્વિકીકરણ સંસ્થાનવાદનું પરિષ્કૃત અને અધિક શક્તિશાળી સ્વરૂપ છે. પોતાના વેચાણ માટે બજાર મેળવવું, કુદરતી સંસાધનો પર પ્રભુત્વ મેળવવું એ એનો આજે ય હેતુ છે. ૧૮મી-૧૯મી સદીના સંસ્થાનવાદ સાથે તેથી એને સરખાવી શકાય. એની સામે ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફુલે, આંબેડકર આ માંગ કરી રહ્યા હતા. આજે આ કોણ કરશે ? આજે તો શિક્ષિતો વૈશ્વિકીકરણના ચળકાટથી અત્યંત પ્રભાવિત છે, અભિભૂત છે. એ વંચિતોની વકીલાત કરશે ? ‘જ્ઞાન’ જે માનવસંસ્કૃિતના વિકાસની ચાવી છે, સામ્રાજ્યવાદીઓના નફા સાથે ટકરાય તો પ્રશ્નો ઊભા થાય, તેથી એ સાચું જ્ઞાન નહીં પણ જ્ઞાનનાં વિકૃત, સીમિત અને અનધિકૃત સ્વરૂપોને જ ખપમાં લે છે. સંસ્થાનવાદે જે સીમિત ‘શિક્ષણવ્યવસ્થા’ પૂરી પાડી હતી, તેમાં ભારતની યુવા પેઢીને સાચા અર્થમાં શિક્ષિત બનાવવાનો હેતુ ન હતો, હકીકતે તો – એમને એમની નોકરશાહીને મજબૂત કરવી હતી. આજે વૈશ્વિકીકરણમાં શિક્ષણ સાથે આ જ વ્યવહાર થઈ રહ્યો છે. સાચું જ્ઞાન તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની માંગણી કરે. એ વૈજ્ઞાનિક, લોકશાહીયુક્ત અને ધર્મનિરપેક્ષ સમાજવ્યવસ્થાની માંગ કરે, જે આજના શિક્ષણના સ્વરૂપમાં દેખાતું નથી. મોટા ભાગની સંસ્થાઓ વૈશ્વિકીકરણના વિરૂપ ચહેરાને માનવીય બતાવવાના દલાલ રૂપે કામ કરે છે. આજે શિક્ષણતંત્રનો આવો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી શાળા-કૉલેજોએ પોતાની સર્જનાત્મક ઊર્જા ગુમાવી છે અને માત્ર વિધિ-વિધાનો, કર્મકાંડ ચાલે છે.

શિવે કામદેવને ભસ્મ કરી દીધો હતો. ત્યાર બાદ રતિના વિલાપના કારણે શિવે અંગ વિનાના, અનંગની રચના કરી આપી. અનંગની સામે લડવું કઠિન છે. સંસ્થાનો વખતે સામ્રાજ્યવાદ નજર સામે હતો તેથી એની સામે શિવ જોગમાયા સંગ ધૂણન્તા ઓતરાદી વાયરા ઊઠેલા. પણ એ આજે અનંગ સ્વરૂપે છે. એણે ભારતીયતાનું, સંસ્કૃિતનું કવચ પહેરી લીધું છે, તેથી વૈશ્વિકીકરણથી સજ્જધજ્જ સામ્રાજ્યવાદનો સામનો સંસ્થાનવાદ જેટલો સહેલો નથી. પહેલાં બ્રિટિશરો સામે લડવાનું હતું, હવે તો અર્જુનની જેમ પોતીકા જ સામે છે. વિષાદયોગને ખંખેરીને રણટંકાર કર્યા સિવાય બીજો રસ્તો છે જ નહિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 08 – 10

Loading

યેસ ટીચર : નો ટીચર

મણિલાલ હ. પટેલ|Opinion - Opinion|18 February 2015

પોતે નિયમિત ભણે-વાંચે અને વિદ્યાર્થીઓને નિષ્ઠાથી નવું-નવું ભણાવે તેનું નામ શિક્ષક. શિક્ષકો વિશે મોટી-મોટી વ્યાખ્યાઓ થાય છે, આદર્શો રજૂ કરાય છે, મહાન વ્યક્તિઓનાં સુવાક્યો ટાંકવામાં આવે છે. એ બધું ચોપડીમાં કે ભીંત પર ભલે સાચું હોય, આજના વાસ્તવ-જગતમાં એ બધું પોથીમાંનાં રીંગણાં જેવું છે. અર્થાત્ આજનો શિક્ષક આદર્શોથી તો દૂર જ છે, પણ એની પાસે થોડીક ભાવનાઓ કે માણસાઈ દેખાડતું હૃદય પણ નથી બચ્યું !!

શિક્ષકો – (૮૦ ટકા જેટલા શિક્ષકો) આજે ‘નોકરી’ કરે છે, એમણે ભણાવવાનો આનંદ લેવો નથી તથા વિદ્યાર્થીઓને એ આનંદ આપવો નથી. એમનાં કાર્યોનું કેન્દ્ર ‘પગાર’ નથી ‘બીજા લાભો’ છે. વિદ્યાવ્યાસંગ શું છે ? એનો આનંદ કેવો તો લોકોત્તર છે. એ વાત એ જાણતા જ નથી, ને આપણે જણાવીએ, તો એમને અઘરું લાગે છે. એમને ‘અભ્યાસક્રમ’ અને ‘સમયપત્રક’ દીઠાં ગમતાં નથી. પહેલો ‘બેલ’ એમની છાતીમાં વાગે છે અને દરેક પાછલો (છેલ્લો) ‘બેલ’ એમને ભાવવિભોર કરી દે છે. પરીક્ષા કરતાં વધારે સમય એ એમનાં વ્હાલાં વ્યસનોને આપે છે. એમને ટૂંકાં, મૌલિક પ્રવચનોની ટેવ નથી, એ આવડત કેળવવામાં એમને આર્થિક લાભ દેખાતો નથી. થોડાં સાચ્ચાં / ચોખ્ખાં વાક્યો લખવાનું સાહસ એ કરતા નથી. અજ્ઞાનને એ મૂડી માને છે ને એના બળે એ નભી રહ્યા છે. પણ આપણા વહાલા આ સ્માર્ટ શિક્ષકો પરિશ્રમ કરીને પ્રતિભા કેળવવામાં પણ ‘પંતુજીપણું’ જુવે છે … એમને નોકરી મળી ગઈ, કાયમી થઈ ગયા એટલે બસ, એમણે જગ અને જંગ બંને જીતી લીધાં હોય, એવી રીતે મહાલે છે … ‘ભગવાન એમને માફ કરી દેજે, એ શું કરી રહ્યા છે એ વિશે એ (બિચારા !) કશું જાણતા નથી’ (ને જાણવા માગતા ય નથી.)

આજના આ કરુણ વાસ્તવિક ચિત્રમાં હજી બે-ચાર વધુ વિગતો ઉમેરીને ‘સાચા શિક્ષણ’ની વાત માંડીશું. આજે તો શિક્ષકો કે સરકારો કોઈના આચારવિચારમાં, ક્યાં ય દૂર દૂર સુધી, ‘વિદ્યા’સર્જકતા, મૂલ્યમાવજત, વિદ્યાર્થી તથા જીવનઘડતર વગેરે જરા ય દેખાતાં નથી. એ કેન્દ્રમાં કદી નહોતાં. એ આજે તો પરિઘની પાર નીકળી ગયા છે. આ બધા શિક્ષણ માટે સોનારૂપાનાં, અવનવી ભાતનાં પાંજરાં ઘડાવે છે. એનાં સ્થાન બદલે – રૂપ – રંગ બદલાવે છે, પણ પેલું પંખી તો ડાહ્યું હતું, તે પરદેશ ઊડી ગયું – લાચાર હતું તે પાંજરામાં જ મરી ગયું છે. બધે બધું સડી ગયું છે. પણ સરકારી તંત્રો-શિક્ષકો-સરકાર : કોઈને નાક નથી, એટલે દુર્ગંધ આવતી નથી.

આપણા શિક્ષકો-અધ્યાપકો(આચાર્યોની પણ)ની પ્રાથમિકતા (પ્રાયોરિટી) નોંધીએ : ૧. એની મોટરબાઇક : કાર ચકાચક જોઈએ. ૨. ફોર ‘બીએચકે’વાળો બંગલો, ફ્લૅટ – થોડી લોન, ટૅક્સ, બચાવવાં જોઈએ. (ને આની ના નથી. આ તો આનંદની વાત છે.) ત્રીજા ક્રમે સંતાન, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પત્નીની નોકરી જ, કુટુંબ, સમાજ, ધંધો, ખેતીની ચિંતા. પ. સ્વાસ્થ્યટૂર્સ – જલસા – ફ્રૅન્ડ્ઝઃ હી ઍન્ડ શી ! ૬. છેક છઠ્ઠા ક્રમે આવે છે નોકરીએ જવાનું ને લમણાં લેવાનાં ! ૭. સાતમા ક્રમે આવે છે વર્ગમાં પાઠ વાંચી કે વંચાવી જવાનો અને વાંચ્યા વિના પેપર્સ જોઈ – તપાસી કાઢવાનું ! આ સત્ય હકીકતો છે. અહીં વાંચવું, સજ્જતા કેળવવી, સરસ ભણાવવું – વિદ્યા આપી વિદ્યાર્થીનું ઘડતર કરવું, ‘આ બધું તો જૂની વાતો થઈ ગઈ !’ હા, સરકાર સુધારવા ખૂબ પ્રયત્નો કરે છે પણ કઠોર ને કડક નિર્ણયો લેતી નથી. ચોરને રખેવાળ બનાવો તો વાડી ભેળાઈ-લૂંટાઈ જ જાયને ?! લૂંટનારા ને લૂંટાવનારા રાજી-રાજી છે. બેની વચ્ચે ‘વિદ્યા અને વિદ્યાર્થી’ નધણિયાતાં નમાયાં ઊભાં છે.

હવે જે વીસ ટકાને વિદ્યા અને વિદ્યાર્થીમાં ખરેખર હજી ય રસ છે. (ને પેલા ૮૦% પણ ભલે જોડાય) એમની આશા તથા એમના આનંદના સંદર્ભે શિક્ષક તથા વિદ્યાર્થીની વાત કરીએ. જેમને માટે વિદ્યા-શિક્ષણ તથા વિદ્યાર્થી પ્રથમ પ્રાયોરિટી (પહેલી પ્રાથમિકતા) છે, તેવા શિક્ષકો ‘યસ ટીચર’ છે જ્યારે આપણે ઉપર ગણાવ્યા તે ‘નોકરિયાત’ શિક્ષકો ખરેખર તો ‘નો ટીચર’-ના વર્ગમાં આવે છે. શિક્ષણની, આજની કમનસીબી એ છે કે આજે ‘નો ટીચર્સ’ રોજેરોજ વધતા જાય છે.

રવીન્દ્રનાથે પોતાની એક ચાહક, આર્જેન્ટિનાની વિક્ટોરિયાને કહેલું કે : ‘હું તો રસ્તો છું, હું રોકાઈ ન શકું. રસ્તાએ તો આગળ જ વધવાનું હોય છે.’ આ વાત શિક્ષક, શિક્ષણ તથા વિદ્યાર્થી ત્રણેને પણ લાગુ પાડી શકાય એમ છે. શિક્ષણ કેડી છે, રાજપથ છે, દેશદેશાવરમાં આગળ વધતો માર્ગ છે. એના પર શિક્ષકે-ભણનારે-થાક્યા વિના ચાલવાનું છે. શિક્ષણ તથા જ્ઞાનનો માર્ગ તો નિત્ય લંબાતો રહે છે. શિક્ષકે – છાત્રે એ માર્ગ પર ચાલવાનું છે. કેમ કે શિક્ષકે છાત્રે જ્ઞાનનો પર્યાય બનવાનું છે. કેમ કે જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. તે જ્ઞાન અનુભવો તથા પ્રયોગો દ્વારા પુસ્તકોમાં સંચિત થાય છે. પુસ્તકો જ્ઞાનનો મુખ્ય સ્રોત છે, જેમ સૂર્ય સર્વ શક્તિઓનો સ્રોત છે. જ્ઞાનનાં બધાં માધ્યમો પુસ્તકનો આધાર લે છે, એટલે પુસ્તકનો વિકલ્પ નથી. ‘યસ ટીચરે’ હંમેશાં વાંચતાં રહેવાનું છે. વાંચવાથી જ સજ્જતા વધે છે. કશે પણ પહોંચતા વાસ્તે ચાલવું પડે … બધાંને દોરવા રસ્તો બનીને આગળ વધવું પડે … ને આ બધું વાંચવાથી જ બને છે. આજના શિક્ષણની બીજી કમનસીબી છે કે મોટા ભાગના શિક્ષકો (અને બહેનો તો સવિશેષ) વાંચતાં જ નથી … વાંચવું એટલે જાતને બધી રીતે તથા અનેક વાતે સજ્જ કરવી તે !

‘નો ટીચર’ બધા સુક્કાં ઝાડ જેવાં હોય છે. ને સુક્કા ઝાડ પર બેસીને પંખીઓ કદી ગાતાં નથી કે રાતવાસો કરતાં નથી. ભૂલથી થોડા સૂડાઓ જો સુક્કા ઝાડ પર આવીને બેસે, તો એ ઘડીક લીલું લાગે છે. પણ સૂડા ઊડી જતાં ઝાડ તો પાછું ઠૂંઠું જ લાગે છે. પંખીઓ (પ્રેમીજનો) બોલવવાં હોય, તો લીલાંછમ ઝાડ બનવું પડે. ‘યસ ટીચર્સ’ લીલાંછમ ઝાડ જેવા હોય છે. ઝાડ લીલું રહેવા માટે મૂળ ઊંડાં નાખીને પાણી તથા તત્ત્વો મેળવે છે. ડાળીઓ કૂંપળો ફુટાડીને ઝાડ વધારે હવા, તડકો તથા અવકાશ મેળવે છે. માટી સાથે જળ, ખાતર તથા ઊર્જાને ચાહતું વૃક્ષ ટાઢ-તડકા-વાયરા-વિપદા વેઠીને વિકસે છે ને ત્યારે એને ફૂલ તથા ફળ બેસે છે. શિક્ષકે પણ ખાતર, પાણી, ઊર્જા મેળવવા વાંચવું-વિચારવું-વિહરવું પડે. આ બધાં માટે ખર્ચ કરવા અને જાત ઘસવા તૈયાર રહેવું જ પડે. ‘યસ ટીચર’ બનવાનો આનંદ જેને મળે છે, એ તો વગર માલે માલામાલ થઈ જાય છે. ઉત્તમ ગ્રંથો વાંચવાનો અને સરસ રીતે ભણાવવાનો આનંદ એ સર્જન કરવા જેટલી જ ઊંચી કક્ષાનો આનંદ છે. ખાધુંપીધું તો ખલાસ થઈ જાય છે, પણ વાંચ્યું અને ઉત્તમ ભણાવ્યું એ તો પેઢીઓ સુધી પહોંચે છે. ઉમાશંકર એમના શિક્ષકોને યાદ કરતા તથા ઉમાશંકરને એમના વિદ્યાર્થીઓ હજીયે યાદ કરે છે. હવે આવા ઉત્તમ શિક્ષકો તથા એવા વિદ્યાર્થીઓની પેઢીઓનું બીજ ખોવાતું જાય છે. ‘યસ ટીચર’ – બનવાનો પડકાર ઉપાડનારા ક્યાં છે ? – છે – આ શક્ય છે … ચાલો, જાગીએ ને લીલું ઝાડ થઈએ …

કોઈ ભાષામાં કહેવાત છે, લોકોક્તિ છે : “તમારા હૃદયને લીલાછમ વૃક્ષ જેવું રાખો. (ભીતરમાં લીલુંછમ વૃક્ષ ઉછેરો) ક્યારેક કોઈક ગાતું પંખી આવશે, તો રાતવાસો કરશે.” યસ ટીચર હંમેશાં લીલા વૃક્ષ જેવો હોય છે. ઘડીક આવતી પેલી પાનખર પણ લીલી કથ્થાઈ કૂંપળો ફુટાડવા માટે જ આવે છે. પાનખર પછી જ મંજરી બેસે છે. જ્યારે યસ ટીચર તો બારેમાસ લીલો તથા મંજરીથી લચેલો હોય છે.

યસ ટીચર કોઈનો – આચાર્યનો, વિદ્યાર્થીનો, મંડળનો, સમાજ કે સરકારનો વાંક કાઢીને બેસી રહેતો નથી. એ જાણે છે કે અગવડો તથા સમસ્યાઓ તો હોવાની જ. મકાન ન મળે, તો એ ઝાડ નીચે પણ ભણાવશે. સરસ ઘટાદાર તરુવર હોય તથા નીચે માટી લીંપેલો ઓટલો મળી જાય, તો વર્ગ ચાલવા માંડે. બહુ વ્યવસ્થાઓ અને નિયમો કરી-કરાવીને આપણે વિદ્યાને નામે વેપાર કરવા માંડ્યા. વિદ્યા બેટીને આપણે બજારે બેસાડીને કવિ અખોભગતને સાચા પાડ્યા છે. હવે તો બસ કરો !! શિક્ષણની શતાબ્દી-જયંતી કરવાને બદલે એવા અધિકારીઓએ તો શિક્ષણ સાથે શાળા-કૉલેજનોય મૃત્યુઘંટ વગાડી દીધો છે. શાળાઓમાં પણ ‘સૅમેસ્ટર’ લાવનારાંઓને ગુજરાતની યુવા પેઢીઓ કદી માફ નહિ કરે !!

વલ્લભવિદ્યાનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 10 – 11

Loading

મેરે સપનોં કો જાનને કા હક રે …

આશા બૂચ|Opinion - Opinion|17 February 2015

ચારુલ ભરવાડા અને વિનય મહાજનનાં કાર્યથી “ઓપિનિયન”નાં વાચકો પરિચિત છે. તેમનાં રચેલાં અને ગાયેલાં ગીતોમાં સ્વાનુભવથી નીપજેલી નિસ્બત અને હકીકતોથી રસાયેલ દર્દઅનુભાય. આ ફકરા જ હેઠળ આ ગીતની કડી આપી છે. તે કડી પર ‘ક્લિક’ કરી, જોવાસાંભળવા અનુરોધ. ગીત ખૂબ હૃદયસ્પર્શી લાગ્યું અને દરેક પ્રશ્ન જાણે કે ‘શા માટે, શા માટે’ એમ પૂછાયા જ કરે છે, અને તેનો જવાબ જડતો નથી.

https://www.youtube.com/watch?v=iZ1yvrMDUMU

પણ હવે હાંસિયામાં ધકેલાયેલા અને છેવાડાના લોકોને વાચા આવી છે, એમને ઉત્તર જોઈશે, અને આપીશું પણ ખરા. વારુ, મારી સમજ પ્રમાણે ગીતમાંના હર સવાલનો જવાબ કંઈક આવો હોઈ શકે છે :

જેમનાં સ્વપ્નો ફળ્યાં છે તેવા સમાજના સમૃદ્ધ અને અગ્રણી લોકો કહી શકે કે સપનાં જોવાની સહુને છૂટ છે. મફત પણ છે. જો કોઈ પોતાની પહોંચ બહારનાં સપનાં જુએ અને પછી કહે કે કેમ પૂરાં નથી થતાં તો એમાં દોષ તેમણે પોતાની મર્યાદા પહેલેથી સ્વકારીને એના માપે સપનાં જોવાની અણઆવડતનો જ છે. આ ગીત મૂળે તો વંચિત અને છેવાડાના લોકોએ પૂછેલા સવાલો પર રચાયેલું છે. કેટલાક વળી કહેશે, ભારતમાં હવે એવા લોકો ન હોય, મારા ભાઈ. આપણી, એટલે કે ભારતની જનતાની, જી.ડી.પી. (જેનો અર્થ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય) લગભગ 1.8 ટ્રીલિયન ડોલર જેટલી છે અને દેશનો વિકાસ દર 10% હતો તેનાથી ઉતરીને 5.4% થયો છે અને તેથી જ તો અમેરિકા તથા બ્રિટન જેવા દેશના નેતાઓ વારંવાર આપણા દેશની મુલાકાત લઈને અનેક વેપાર-ઉદ્યોગના મોટા મસ ‘deal’ (કે દિલ?) પર સહી સિક્કા કરે છે એટલે આપણને સવાલ થાય કે હવે ભારતનો કોઈ બચ્ચો પૈસે ટકે વંચિત હોતો હશે ? વળી ‘છેવાડેના માણસો’ એ તો પેલા નવરા બેઠેલા કર્મશીલ લોકોએ ખોળી કાઢેલા બનાવટી શબ્દ છે જે થોડાઘણા આળસુ લોકો માટે દયા ઉપજે એટલે વાપરવામાં આવે છે.

હા, તો એવા લોકોનાં સપનાં હતાં કે આઝાદી પછી પોતાના લોકોનું રાજ્ય હશે એટલે તેમને પણ રોજગારી મળશે, ગામમાં પાકી સડકો થશે, બસ અને ટ્રૈનથી પોતાનું ગામડું બીજા ગામ-શહેરો સાથે જોડાશે. એટલું જ નહીં, આ એક પછી એક આવતી પંચ વર્ષીય યોજનાઓને પગલે પગલે નદીઓનાં પાણી અને વિચારપૂર્વકની સિંચાઈ યોજનાઓને કારણે તેમના ખેતરો સુધી જીવન-જળ સમાં નદીનાં પાણી નહેરો વાટે પહોંચશે, જંગલોની જાળવણી થશે અને તેની ઉપજથી ગુજારો થતો રહેશે, જેથી પોતાની જીવન પદ્ધતિ પણ સચવાઈ રહેશે એવી આશા બંધાયેલી. દર પાંચ વર્ષે મત માગવા આવનાર ઉમેદવારોનાં ધાડાં ઊતરી આવે અને વચનો આપે કે તેમના રાજમાં ગામે ગામ નિશાળોમાં પૂરેપૂરી તાલીમી લાયકાત ધરાવતા દ્રષ્ટીવાળા શિક્ષકો હશે અને આરોગ્ય તથા સ્વાસ્થ્ય જાળવવા ચોરે ને ચૌટે મંદિરોની માફક દવાખાનાં પણ હશે, એટલે એનાં સ્વપ્ન લોકો જોતાં થાય, તેમાં શી નવાઈ?

જેમ મા બાળકને રાત્રે વાર્તા કહીને સુવડાવે તેવાં સપનાં તેને આવે તેમ ભારતના બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની ઘોષણા થઈ અને દર પાંચ વર્ષે મતની ઉઘરાણી કરવા આવનાર ઉમેદવારો વચનોનો કોથળો ખાલી કરતા રહ્યા. તેથી પ્રજાના તમામ વર્ગને સ્વપ્ન આવે તે સહજ છે. તેમાં પ્રજાનો કશો દોષ નથી. માત્ર રાજકારણીઓએ પ્રામાણિકપણે પ્રજાને એમ સમજાવવાની જરૂર હતી કે જુઓ, માત્ર રાજ્ય કરનારની ચામડીનો રંગ અને તેમની રાષ્ટ્રીયતા બદલી છે, બાકી અમે તમને બધા અધિકારો અને સવલતો પૂરી પાડીએ તો અમારા તાબામાં રહીને મજદૂરી કોણ કરશે? તમે અંદરો અંદર ઝઘડ્યા નહીં કરો તો અમે સત્તા કોના પર જમાવીશું ? જો આમ થયું હોત તો કોઈનાં ય સપનાં તૂટ્યાં ન હોત.

ખરું કહીએ તો એ લાખો ગરીબનાં સ્વપ્નો તૂટવાનું કારણ ચપટીભર લોકોના હિતને પોષતું વિકાસનું આયોજન અને બાકીના 70% લોકોની જરૂરિયાતની થયેલી અવગણના છે. બેકારી માટે બેહિસાબ વધતી વસતી, મશીનોનો અવિચારી ઉપયોગ, ખેતી અને ઉદ્યોગોનું કેન્દ્રીકારણ અને જીવનની જરૂરિયાતોથી વેગળી એવી શિક્ષણ અને અર્થ વ્યવસ્થા જવાબદાર ગણાવી શકાય. જો માત્ર મોટાં મશીનોને ચાલુ રાખવાના પ્રયોજનથી નહીં પણ મજૂર-કારીગરોની મહેનત હળવી કરવાના હેતુસર નાનાં મશીનો તેમના હાથમાં મુક્યાં હોત તો ઉત્પાદનનું પ્રમાણ અને ગુણવત્તા સુધર્યાં હોત અને છતાં એ મજૂરો-કારીગરોની આજીવિકા પણ અખંડ રહી હોત. જો ગૃહોદ્યોગને જાળવીને વિકેન્દ્રિત અર્થ વ્યવસ્થા ઊભી કરી હોત તો નાના પાયા પરના ઉત્પાદનના સંકુલો પાકો માલ પેદા કર્યા બાદ ઉપજતા કચરાનો સલામતીથી નિકાલ કરી શક્યા હોત અને આ મોટાં મોટાં કારખાનાંઓને પોતાનો કચરો નદી-નાળાંમાં ઠલવીને ઝેર ફેલાવવાની ઘડી ન આવી હોત. એક તો ભારતમાં કોઈ પણ સાહસ કરવામાં આવે, કોઈ ફેક્ટરી-કારખાનું ઊભું કરવામાં આવે તો તેની સાથે જ તે માટેની પાણી પૂરવઠા અને ગંદા પાણી તથા અન્ય કચરાનો સલામત નિકાલ કરવાની કે તે માટેના કાચા માલની હેરાફેરી કરવા રસ્તાઓ અને પાકા માલનો સંગ્રહ કરવાની યોજના થયાનું ભૂતકાળમાં ક્યારે ય જોયું નથી. કદાચ એ પ્રકારના સંયોજિત આયોજન કરવાની દ્રષ્ટી ભરતીયોના શરીર કે મનના બંધારણમાં જ નથી. અને જ્યાં પ્રદૂષણને અટકાવવા અમુક નિયમો ઘડવામાં આવ્યા છે ત્યાં એનો છડે ચોક ભંગ પણ થાય છે અને એટલે જ તો બધી નદીઓને જીવનદાયિનીને બદલે જીવન હારિણી બનાવી દેવામાં આવી છે. એ માટે કારખાનાના માલિકો ઝેર ઓકવા માટે, સરકારી કર્મચારીઓ તે તરફ આંખ આડા કાન કરવા માટે અને પ્રજા નદીઓનો વિનાશ થતો મૂંગે મોઢે જોઈ રહેવા માટે સરખા જ જવાબદાર છે.

ઔદ્યોગિક વિકાસને પગલે પગલે વાહન વ્યવહારની સુવિધાઓ પણ વધતી જાય છે એ નિ:શંક છે અને તેમાં ગુજરાત જેવાં રાજ્યો વધુ પ્રગતિ કરી શક્યા છે. પરંતુ છતાં આજે એકવીસમી સદીમાં પણ કેટલા ય ગ્રામ્ય વિસ્તારો બસ કે ટ્રૈનથી બહારની દુનિયા સાથે જોડાયા નથી, વીજળીની રોશની તેમના ઘરને અજવાળતી નથી, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા થઈ નથી કે અનાજ વિતરણ કરતી દુકાનો ખૂલી નથી તેનું કારણ સમગ્ર દેશની વિકાસ યોજનાઓ શહેરો અને મોટાં મોટાં વેપારી તથા ઔદ્યોગિક કેન્દ્રોના વિકાસને ધ્યાનમાં રાખીને જ ઘડાઈ છે તે છે. આ જ નિયમ શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓને લાગુ પડેલ જોવા મળે છે. જે ગામડાના રહેવાસીઓ ખેતી અને નાના ઉદ્યોગો દ્વારા થતી પોતાની રોજગારીની તકો અને તેને સંલગ્ન ઉત્પાદન ક્ષમતા ગુમાવી બેઠાં તેમને તો શિક્ષણ મેળવવું હોય, દવા કે સારવાર મેળવવી હોય તો નજીકના શહેર ભણી જ નજર માંડવી પડે. જયારે ભૂખમરાથી બચવા ન છૂટકે તેઓ રોટલો રળવા શહેર ભણી દોટ મૂકે છે ત્યારે ઓટલો ગુમાવે છે અને અન્ય સુવિધાઓ મેળવવા પણ અન્ય સમદુખિયાની લાંબી કતારમાં છેલ્લે જ ઊભા રહેવા પામે છે. એટલે એમને તો ઊલમાંથી ચૂલમાં પાડવા જેવું થાય.

ભારતમાં ઇ.સ.1960ના દાયકામાં, હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. વિનોબાજીના ભૂદાન યજ્ઞને પરિણામે લાખો એકર જમીન ભૂમિ વિહોણા મજદૂરોને મળી. ભારત હવે અનાજ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી જાહેર થયું છે. પણ એનો મતલબ એ નથી કે એ અનાજ વિતરણની બાબતમાં પણ સ્વાવલંબી છે. અહીં સરકારની કૃષિ વિષયક નીતિ અને વેપારીઓના ભાવ આંકવાના અબાધિત અધિકારો પરત્વે સરકારની નિષ્ક્રિયતા મહદ્દ અંશે જવાબદાર ગણાવી શકાય. નાણાંની માફક દાણાંની પણ સમાન વહેંચણી થતી ન હોવાને કારણે કરોડાધિપતિઓની છાયામાં ઝૂંપડપટ્ટી નિવાસીઓ રહે છે તેમ જ રોજના હજારો રૂપિયાના હિસાબે અનાજ વપરાય પણ છે અને વપરાયા વિનાનો વ્યય થવા પણ પામે છે. દેશના ગરીબીની રેખાથી નીચે જીવનારા લોકોની અનાજ ખરીદવાની શક્તિ નથી અને જેમની ખરીદ શક્તિ મહા મુશ્કેલીથી વધી રહી છે તેમને ઉત્પાદન અને જરૂરિયાતને લક્ષમાં લઈને ગોઠવેલી ન્યાયી વિતરણ તથા ભાવ પરના અંકુશની વ્યવસ્થાના અભાવના ભોગ બનવું પડે છે જે આજના યુગની સહુથી મોટી કરુણતા છે. જે લોકો ખાવા માટે જીવે છે તેમની લોભ વૃત્તિને કારણે કરોડો લોકોને જીવવા માટે ખાવા ધાન નથી મળતું. આથી જ તો બ્રિટન જેવા સમૃદ્ધ દેશની સરકાર જ્યારે ભારતના અન્નથી ટળવળતા લોકોને સહાય કરે છે ત્યારે એ દેશની પ્રજા પૂછે છે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં કરોડાધિપતિઓ છે, જ્યાં શહેરોની જાહોજલાલી ન્યુયોર્ક અને ટોકિયોને ઝાંખી પાડી દે તેવી છે અને જ્યાં સીલિકોન વેલીને શરમાવે તેવી ટેકનોલોજી કૂદકે અને ભૂસકે આગળ વધવા લાગી છે તેવા ભારત દેશમાં આવડી મોટી જનસંખ્યામાં લોકો ભૂખમરો વેઠે તેની જવાબદારી એ દેશની રાજ્ય અને કેન્દ્ર સરકારની હોવી ઘટે કે અન્ય દેશની સરકારની ? આ મુદ્દો તદ્દન વ્યાજબી છે. ગોદામોમાં સડતાં અનાજ અને મુઠ્ઠીભર ધાન માટે ઝોળી ફેલાવનાર વચ્ચે લોભી વેપારીઓ, બેઈમાન વિતરણ કરનારાઓ, ખાઉધરા શાહુકારો, બેદરકાર સરકારી તુમારશાહી તંત્રના વહીવટદારો વગેરેનું મોટું લશ્કર ઊભું છે.

આજે આસપાસ નજર કરતાં જણાશે કે દુનિયા મુખ્યત્વે બે ખંડમાં વહેંચાઇ ગઈ છે. એક ખંડમાં સરમુખત્યારોનું રાજ્ય છે જેમની ચોટલી આતંકવાદીઓના હાથમાં છે તો બીજા ખંડમાં કહેવાતી લોકશાહી શાસન પદ્ધતિથી રાજ્ય ચાલે છે જ્યાં મોટા મોટા મૂડીવાદી ઉદ્યોગપતિઓ અને વેપારીઓના દોરી સંચારથી કઠપૂતળાની જેમ પોતાના સ્વાર્થની પૂર્તિ માટે નચાવાઈ રહેલા દેશના નેતાઓ રાજનીતિઓ ઘડે છે. સરવાળે બંને ખંડમાંની સામાન્ય પ્રજા તો ક્યારે પોતાને અપાયેલ વાયદાઓ પૂરા થશે અને ક્યારે લક્ષ્મી દેવીના હાથમાંના અમૃત કુંભમાંથી ઝમતું ઝમતું અમૃત તેઓના મુખમાં પડશે તેની રાહ જુએ છે. એમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી જાય, બીજી ચૂંટણી આવે, નેતા બદલે પણ પરિસ્થતિમાં કશો ય ફેર ન પડે એવી હાલત છે. આમ વારંવાર વચનભંગનો ભોગ બનેલ લોક છેવટે વિરોધ, તોડ-ફોડ, કોમી રમખાણો અને હિંસા તરફ પ્રયાણ આદરે તેમાં નવાઈ નથી. ગલીઓમાં ખૂન વહેવડાવનાર લોકો આખર ઇન્સાન છે, માત્ર એ બધા રામ અને રહેમાનના લશ્કરના વડાઓ દ્વારા અવગણિત થયેલા અસંતુષ્ટ આત્માઓ છે જેમનો સ્થાપિત હિત ધરાવતા ફિરકાઓ દુરુપયોગ કરીને સુંદર હરિયાળી ધરતીને લાલ રંગથી રંગી દે છે.

આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ સમાજને સુદ્રઢ કરવા, વિકસાવવા અને વિકાસને ટકાઉ બનાવવા માટે રાજકારણીઓ પાસે પ્રજા કેન્દ્રિત વિકાસ યોજના હોવી જેટલી અનિવાર્ય છે તેટલી જ આવશ્યકતા વૈજ્ઞાનિકો પાસે અધ્યાત્મ સિંચિત પ્રજા કલ્યાણને ધ્યાનમાં રાખીને સંશોધન નીતિ હોવાની છે. શિક્ષકોએ સબળા ઈમાનદાર નાગરિકો પેદા કરવાની આવડત કેળવવાની જરૂર છે, તો ખેડૂતોની રોકડિયા પાકથી રાતોરાત માલેતુજાર બનવાની લાલચ રોકીને માનવ શરીરને પોષક-સંવર્ધક પાક પૂરો પાડવાની ફરજ છે. સાહિત્યકારો અને કલાકારોએ પોતાની કલાકૃતિઓ દ્વારા નીતિમય સમાજ ઘડતરમાં ફાળો આપવાનો રહેશે. કારીગરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસેથી વ્યક્તિગત સ્વાર્થ પોષક ઉત્પાદન અને વેચાણની નીતિને સ્થાને જરૂરિયાત અને માંગને ધ્યાનમાં લઈને પ્રામાણિક ધંધાકીય કુશળતાની અપેક્ષા રહે છે.

ગરીબ અને તવંગર લોકનો ભૂતકાળ ભલે એકબીજાથી તદ્દન ભિન્ન હોય પણ તેમનું ભવિષ્ય એક જ છે – પર્યાવરણની રક્ષા અને પરસ્પરના હિતોની જાળવણી. એકના અધિકારના ભક્ષણથી બીજાની સલામતી જોખમાશે એ હવે સર્વ સ્વીકાર્ય બાબત છે. માટે આપણા પૂર્વજોની માફક પ્રકૃતિ સાથે સંવાદ રચીને જીવવાનો સમય પાકી ગયો છે. પ્રકૃતિ સાથે વાદ, પ્રતિવાદ અને પ્રતિસ્પર્ધાથી ઉપજતી સ્થિતિનાં માઠાં ફળ ભોગવીએ છીએ જેના પ્રત્યે પ્રસ્તુત ગીત ધ્યાન દોરે છે. Indiaના આંગળીને વેઢે ગણાય તેટલાં શહેરોના વિકાસને પોષવા ભારત વર્ષના છ લાખ ગામડાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમે એ તે આપણી પ્રગતિનો કેવો રકાસ ?

ગાંધીજીએ કહેલું : Live Simply 

                     That others may

                     Simply Live

આ સંદેશો વિશ્વના તમામ લોકો માટે છે.

ચારુ-વિનય અને તેમનાં જેવાં અન્ય કર્મશીલ વ્યક્તિઓ જેમને જન્મસિદ્ધ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યાં છે તેમને જાગૃત કરશે અને જેઓ એ પરિસ્થિતિ માટે જવાબદાર છે તેવા લોકને પોતાની ફરજ બજાવવા પ્રવૃત્ત કરશે તેવી શ્રદ્ધા છે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,8623,8633,8643,865...3,8703,8803,890...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved