Opinion Magazine
Number of visits: 9553068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંદિર તારું વિશ્વ રૂપાળું

હરનિશ જાની|Opinion - Opinion|16 October 2014

આ વરસના ઓગસ્ટના છેલ્લા દિવસોમાં, ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં, સ્વામીનારાયણ સંસ્થાના (બોચાસણ) મંદિરમાં, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સ્વયં પ્રમુખ સ્વામીજી પધાર્યા હતા. અને તે પ્રસંગે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાંથી ભક્તોનાં ટોળાં ઉમટ્યાં. અમેરિકા તો અમેરિકા, આખા જગતમાંથી ભક્તોના ધાડાં રોબિન્સવિલ (ન્યૂ જર્સી) પર ઊતરી આવ્યાં.

આ મંદિર અમારા ઘરથી પાંચ કિલોમિટર દૂર છે. અમેરિકામાં તો દસ માણસનું પણ મોટું ટોળું ગણાય. તો આ તો વીસ હજાર જેવા હરિભક્તો પધાર્યા હતા. નવાઈની વાત એ હતી કે કોઈને જમ્યા સિવાય નહોતા જવા દેવાયા. જમવાનો મહિમા બીજા કોઈ પણ મંદિર કરતાં આ પંથના મંદિરોમાં સૌથી વધુ છે. ભૂખે ભજન ન હોય ગોપાલા – એ સિદ્ધાંતને લીધે મારા જેવા અભક્તો પણ ભગવાન માટે નહીં પણ રસરંજનના થાળનાં દર્શન માટે ઘુસી જાય છે. મારા જેવા અભક્તને જ્યારે જ્યારે ઇન્ડિયન ફુડની ઇચ્છા થાય છે, ત્યારે ત્યારે આ મંદિરની વિઝીટ મારી આવે છે. આ જ એક મંદિર છે કે જ્યાં અમે બન્ને, પતિપત્નીની જરૂરિયાત પૂરી થાય છે. એ ભજનગૃહમાં જાય છે. અને હું ભોજનગૃહમાં. પણ તેથી વધુ આનંદ એ વાતનો છે કે મારે એની સાથે નથી બેસવું પડતું. કહેવાય છે કે આ પંથના સાધુ સંતો સ્ત્રીઓથી અને તેમનાં દર્શનથી દૂર રહે છે. વિધિની વક્રતા એ છે કે સ્ત્રીઓ જ એ મંદિર તરફ વધુ દોડે છે. કદાચ ભગવાનને સ્ત્રી-દર્શનનો વાંધો ન હોય.

પંદર કરોડ ડોલરના ખર્ચે બંધાયેલા આ મંદિરમાં મારા જેવા મફતિયાનો આનંદ લૂંટાઈ ગયો છે. હવે અહીં રવિવારના મફતના જમવાના પૈસા પડશે. આ મંદિરના પરિસરમાં જાત જાતનાં બીજા સ્ટોલ્સ છે. અને અંદર મોલ જેવું લાગે. આપણને થાય કે આ બધો માલ વેચવા જ મંદિર બનાવ્યું  છે. ભગવાનનું તો બહાનું છે.

ત્રીસ ચાળીસ વરસ પહેલાં, મંદિર માટેનો આવો વીસ હજાર હરિભક્તોનો ધસારો કોઈની કલ્પનામાં પણ ન આવ્યો હોત !

સ્વામીનારાયણનું પહેલું મંદિર, અમેરિકામાં ક્વિન્સમાં બાઉની સ્ટ્રીટ પર, એક સામાન્ય ઘરમાં હતું, ત્યાં મારે ભારતથી આવેલા મિત્રને લઈ જવાના હતા. હું અને મારી પત્ની, હંસા એ ભાઈને લઈ ગયા હતાં. સાલ હશે ૧૯૭૪–૭૫. પ્રમુખ સ્વામીની પધરામણી થઈ હતી. બસો હરિભક્તો અને અમે હાજર હતાં. એ દિવસે એ સૌને એક કલાકમાં જમાડ્યા હતાં. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું હતું અને ત્યારથી સ્વામીનારાયણ સંસ્થાના સ્વયંસેવકો માટે બહુ માન છે. જે નિષ્ઠાથી તેઓ કામ કરે છે એવી કર્તવ્યપરાયણતા મિલિટરીમાં જ જોવા મળે.

ત્યારે અમેરિકામાં એ એક જ સ્વામીનારાયણ મંદિર હતું. આજે હજાર કરતાં વધુ મંદિરો પ્રમુખ સ્વામીની આગેવાની હેઠળ આખા જગતમાં થયાં છે. અમેરિકાની લોકશાહીના તો કેટલાં વખાણ થાય ? અમે લોકો આવાં મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમેરિકન સેનેટર, કોંગ્રેસમેનને પકડી લાવીએ છીએ. અને એ લોકો અમારા વોટ લેવા આવા પ્રસંગોએ આવી જાય છે. મને આ પોલિટિશયનોના અને વેશ્યાના ધંધામાં કાંઈ ફેર નથી લાગતો. સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થાય.

આવા મંદિરોમાં એકેય ગોરો કે કાળો અમેરિકન દેખાતો નથી. કરોડોના ખર્ચે અમેરિકાની ધરતી પર મંદિરો બાંધીએ છીએ, પણ અમેરિકન પ્રજા માટે કેટલા પૈસા ખર્ચાતા હશે ? યાદ આવે છે. હોલિવુડની ફિલ્મ "ધ સિક્સથ સેન્સ"  બનાવનાર ઇન્ડિયન યુવાન ડાયરેક્ટર એમ. નાઈટ શ્યામલને ફિલ્મના નફામાંથી પંદર મિલિયન ડોલર, ફિલાડેલ્ફિયાના કાળા અમેરિકનોના સ્લમમાં ઘરો બંધાવવામાં ખર્ચ્યા. વાત એમ હતી કે એ ફિલ્મનું શુટિંગ ફિલાડેલ્ફિયાના એ સ્લમમાં થતું હતું. તેમની ગરીબાઈ જોઈને, આ યંગ ઇન્ડિયને પોતાના પૈસા અમેરિકા માટે ખર્ચ્યા. આવા વિચારો આવે તો આ ભૂમિ આપણને સ્વીકારે. આખો વખત દેશ પાસેથી લે લે કરીએ, અને દેશ માટે ન ખર્ચીએ તો પરિણામ આફ્રિકા જેવું આવે. − એક સર્વે મુજબ અમેરિકામાં ૪૭ ટકા ઘરોમાં ગન છે.

મને યાદ છે કે ૧૯૭૦માં, ન્યૂ યોર્કમાં જો ખોટ હતી તો તે મંદિરની અને બીજી ઇન્ડિયન ગ્રોસારી સ્ટોર્સની. જો ભૂખનો પ્રશ્ન ઉકલે તો ભગવાનના પ્રશ્નનું કાંઈ ઠેકાણું પડે. તેમાં ન્યૂ યોર્કના મેનહટન વિસ્તારમાં લેક્ઝિંગ્ટન એવન્યુ પર એક આર્મેનિયનનો ગ્રોસરી સ્ટોર્સ હતો. અને મંદિર માટે એક "હરે રામા, હરે કૃષ્ણા"વાળાઓનું સેકન્ડ એવન્યુ પર  ખાનગી ઘરમાં મંદિર હતું.

રસ્તા પરથી જ દાદર પર ચઢી ઉપર જવાનું હતું. એક વાર અમે ચાર પાંચ મિત્રો, મંદિર છે તો જોઈએ, એ ભાવથી ગયા હતા. ત્યાં ઉપર મોટા ગાદી તકિયા પર શ્રીલા પ્રભુપાદ આડા પડયા હતા, અને અમેરિકન યુવાન યુવતીઓ તેમના પગ પાસે બેઠાં હતાં. ગોરી છોકરીઓ સાડીમાં ખૂબ શોભતી હતી. અમે ત્યાં મહા પ્રસાદમ્ આરોગ્યો. કારણ કે અમે બધાં "સિંગલ" હતા અને રૂમ પર રેડીમેડ ફુડના ડબ્બા ખોલી ખોલીને ચણા, વટાણા, દાળ, ગરમ કરીને પાંઉ  રોટી સાથે ખાઈ લેતા. એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને ભગવાનના આશીર્વાદ મેળવાય અને પેટ ભરાય. આમ બહાર મંદિરોમાં જમવાનો ચસ્કો મને વરસોથી લાગ્યો છે.

પછીથી એ મંદિર, બ્રુકલિનમાં હેનરી સ્ટ્રીટ પર ગયું. ઇન્ડિયાથી આવતા વિઝીટર્સને અને નવા સ્ટુડન્ટ્સને એ મંદિર જોવા લઈ જતા. આખા ન્યૂ યોર્કમાં એક માત્ર હિન્દુ મંદિર અને તે પણ અમેરિકનો ચલાવે એ વિચારે જ હિન્દુઓએ મરવું પડે. અને હિન્દુઓ હવે તો સારું કમાતા હતા. તેમાં ખાસ કરીને ગુજરાતીઓને ગરબા માટે કોઈ જગ્યા જોઈતી હતી. હવે ન્યૂ યોર્કમાં દેશીઓની − અમે અમેરિકાના ગુજરાતીઓ કોઈ પણ ઇન્ડિયનને માટે "દેશી" શબ્દ વાપરીએ છીએ − સંખ્યા વધવા માંડી હતી. (મારાં પત્ની પણ ઇન્ડિયાથી મારી મોટી દીકરી આશિનીને લઈને આવી ગયાં હતાં. અને અમે અમારો નવો સંસાર ન્યૂ યોર્કમાં ચાલુ કર્યો. મને બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી ગઈ હતી. એટલે પૈસાની સગવડ થઈ ગઈ હતી. એટલે મનમાં શાંતિ હતી.)

૧૯૭૮ની આસપાસ ન્યૂ યોર્કના કરોના એરિયામાં ગીતા મંદિરની સ્થાપના થઈ. ભગવાનનું બહુ મહત્ત્વ નહોતું. પરંતુ ગરબા માટે જગ્યા મળી ગઈ. જ્યાં ત્રીસ ચાળીસ જણથી ગરબા ગવાતા હતા. બે વરસ પછી તે જગ્યા પણ નાની પડવા લાગી. એટલે મોટી જગ્યામાં કરોનામાં જ નવું મંદિર બન્યું. મંદિર બનાવનારા લોકો સ્માર્ટ હતા. તેમણે તે મંદિરમાં બધા ભગવાનો ગોઠવી દીધા. ગાયત્રીમાતા, હનુમાનજી, શંકર પાર્વતી, દુર્ગામાતા, રામ–સીતા, રાધા–કૃષ્ણ. જાણે કે ભગવાનોની પરિષદ ભરાઈ હોય તેમ. આપણા લોકોના સંસ્કાર જ એવા છે કે મંદિર વિના આપણું જીવન સૂનું સૂનું લાગે.

સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપના મોટા શહેરો અને ટાઉનમા સૌથી પહેલાં બન્યા હોય તો તે ટાઉન હોલ. યુરોપના બધા દેશમાં જોઈશું તો ટાઉન મોટું હોય કે નાનું હોય, પરંતુ તેમાં ટાઉન સ્ક્વેર (ગામનો ચોક) અને એક ટાઉન હોલ જોવા મળશે. આ ટાઉન હોલમાં ગામની બધી જ સામૂહિક પ્રવૃત્તિ થતી હોય છે. તેમાં નાટકો, સંગીતના સાંસ્કૃિતક કાર્યક્રમો પણ થાય. અને સામાજિક મિટીંગો પણ થાય. હા, તેઓ પણ ચર્ચ બનાવે છે. પરંતુ તેની પહેલી જરૂરિયાત નથી ગણાતી.

૧૯૮૦ પછી તો ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં બીજા બે રામ મંદિર થયાં. કોઈ માને ના પણ એક પટેલે અને એક બામણે મળીને એક ચર્ચનું જૂનું બિલ્ડીંગ ન્યૂ જર્સીમાં ખરીદી લીધું અને પહેલું ખાનગી મંદિર ચાલુ કર્યું. ફક્ત કમાણીના સાધન માટે જ. લોકો ગ્રોસરીની કે દૂધની દુકાન કાઢે તેમ આ લોકોએ ખાનગી મંદિર કાઢ્યું "ઓનલી ઈન અમેરિકા" − આવું ફક્ત અમેરિકામાં જ બને અને તે પણ ગુજરાતી જ કરે. અને એ લોકોએ એ મંદિર સામાજિક પ્રસંગોએ લોકોને ભાડે આપવા માંડ્યું. અને મંદિરનો બિઝનેસ ચાલુ કર્યો. આવા તો ઘણાં મંદિરો ચાલુ થયાં. આજે ન્યૂ યોર્ક ,ન્યૂ જર્સીમાં બધાં ભગવાનો અને માતાઓ વસ્યાં છે.

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

August 30th, 2014  

E mail- harnishjani5@gmail.com

4 Pleasant Drive, Yardville NJ 08620 USA

Loading

ઇસ્લામિક રાજ્ય – કોને જોઈએ ?

આશા બૂચ|Opinion - Opinion|15 October 2014

આ હમણાં હમણાં ઇસ્લામિક રાજ્ય-ખિલાફતની સ્થાપના કરવા કેટલાક લોકો ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવા લાગ્યા છે એવું સાંભળ્યું. તે એ તો સારી વાત છે ને, ભાઈ, તેમાં વળી મશિનગન અને ટેન્કો લઈને સૈનિકો કોને મારવા ચાલ્યા? વળી અધૂરામાં પૂરું અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ તથા બીજા યુરોપના દેશો ઇસ્લામિક રાજ્યનું સપનું સાકાર કરવા મેદાને પડેલા મરજીવાઓને ઠેકાણે પાડવા પોતે મરણિયા પ્રયાસો આદરવા માંડ્યા  છે. મને તો આમાનું કંઈ સમજાતું નથી.

ઇસ્લામિક રાજ્યની સ્થાપના થાય તો એકેશ્વર વાદમાં શ્રદ્ધા ધરાવવી, ઈશ્વરનું સતત સ્મરણ કરવું, ગરીબોને મદદ કરવી, વ્રત-નિયમ દ્વારા સંયમ રાખવો અને પવિત્ર ધામની યાત્રા કરીને પોતાની કોમ સાથે ભાવાત્મક એકતા કેળવવી એ ઉસૂલો પર રાજ્ય અને સમાજ વ્યવસ્થા ગોઠવાય તો તેનાથી વધુ રૂડું શું હોઈ શકે ? ઇસ્લામ આપણને ભાઈચારો શીખવે છે. જ્યાં ઊંચ-નીચનો અભાવ હોય, બિન જરૂરી ક્રિયાકાંડને સ્થાન ન હોય, મસ્જિદ પાસે મિલકતના ઢગ ન હોય, સાદગીની શાન હોય અને શ્રદ્ધાવાનનું માત્ર ઈબાદત – પ્રાર્થનામાં જ ચિત્ત હોય એવા એક આલમનું એ સર્જન કરી શકે તેમ છે.  

પરંતુ ઈરાક અને સીરિયાની સરહદો પર ટેંક અને મશિનગન લઈને મૃત્યુનું તાંડવ ખેલતા નવજવાનો એવા પાક રાજ્ય લાવવાની વાત નથી કરતા. વળી ખલીફ અને ખિલાફત શબ્દના મૂળ તપાસવા જઈએ તો માલુમ પડશે કે કુરાનમાં બે ઠેકાણે આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. એક, અલ્લાહે માનવોને પોતાના ખલીફા તરીકે મોકલ્યા અને બીજો ઉલ્લેખ એ છે કે કિંગ ડેવિડને અલ્લાહે ખલીફા તરીકે સંબોધન કર્યું એટલું જ નહીં પણ તેને ન્યાયી રાજ્ય કરવું તે યાદ અપાવ્યું. ખલીફાનો શબ્દાર્થ છે; અનુગામી. ખલીફ એટલે નાગરિક અને ધાર્મિક અનુશાસક, મોહમ્મદનો અનુયાયી. તેરમી સદીમાં ઈરાકમાં ખલીફનું શાસન રહ્યું જેને સોળમી સદીમાં ઓટોમન સમ્રાટે શિકસ્ત આપી અને છેવટ ઓટોમન સુલતાન પણ 1924માં આતાતુર્કને હાથે પરાસ્ત થયો. આનો અર્થ એ થયો કે છેલ્લા સો એક વર્ષથી ખિલાફત રાજ્ય પદ્ધતિ અસ્તિત્વમાં નથી.

ઇસ્લામિક સ્ટેટની પુન:સ્થાપના કરવા ઇચ્છતા લોકો સમયના ચક્રને પાછું ઠેલીને બે-ચાર દેશોના નકશા બદલી એક નવો જ મુલ્ક રચવા માંગે છે જ્યાં શરિયા કાયદાનો અમલ થતો હોય. જો શરિયા કાયદાઓ જે તે દેશની પ્રજાને પોતાના જ ધર્મબંધુઓ પ્રત્યે અને અન્ય ધર્મના અનુયાયીઓ પ્રત્યે સહિષ્ણુતા આચરવાનું ફરમાન કરતો હોય, વ્યક્તિ સ્વાતંત્ર્ય આપતો હોય, એ કાયદો બાળ લગ્નો પર પ્રતિબંધ મૂકતો હોય, સ્ત્રી-પુરુષને શિક્ષણ, લગ્નના અને મિલકતના સમાન અધિકારો બક્ષતો હોય તો એવી રાજ્ય વ્યવસ્થા આવકાર્ય બનશે. આજે શિયા-સુન્ની અને ઇસ્લામિક સ્ટેટના ઝઘડાઓ વચ્ચે કચડાતા દેશોનાં બાળકો અને સ્ત્રીઓને કોઈ પૂછી જુએ તો કદાચ તેઓ શરિયા કાયદાના પાયા પર રચાયેલ રાજ્ય પસંદ નહીં કરે, તો ઇસ્લામિક સ્ટેટની પુન:સ્થાપના થાય એવું ઇચ્છે છે કોણ ?

ભૂમધ્ય પ્રદેશના દેશો અને આરેબિક રાજ્યોને કુદરતે ખનીજ તેલની બક્ષીસ આપી અને પશ્ચિમના દેશોને એ કાળા સોનાનો બે હિસાબ ઉપભોગ કરવાનો શાપ આપ્યો જેને પરિણામે પશ્ચિમના દેશો ભૂમધ્ય પ્રદેશના દેશો અને આરેબિક રાજ્યો ઉપર એ બહુમૂલ્ય કુદરતી સંપદા માટે નિર્ભર રહેવા લાગ્યા. ખુદાનું કરવું તે બરાબર એ દેશો પર રશિયાનો ડોળો પણ ફરક્યો અને બેધડ અફઘાનિસ્તાનમાં ઘૂસ મારી. અમેરિકાને હંમેશ દુનિયામાં ક્યાં ય પણ સામ્યવાદનો પગ પેસારો થવાની ગંધ સરખી પણ આવે તો બહુ ચિંતા સતાવે અને રશિયા સામે સુરક્ષા કાયમ કરવા જે તે દેશને હથિયારો પૂરા પાડવાની તેમ જ તેમને લશ્કરી તાલીમ આપવાની પોતાની પવિત્ર ફરજ ગણતું આવ્યું છે. યુનાઇટેડ કિંગ્ડમ કંઈક અંશે મૈત્રી દાવે અને કૈંક અંશે ‘મહાજનો યેન ગત: સ પંથા:’ એમ માનીને યુનાઇટેડ સ્ટે્સ અૉફ અમેિરકાની સાથે એ પવિત્ર યજ્ઞમાં જોડાતું આવ્યું છે. આથી જ તો ભૂતકાળમાં રશિયાને અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢવા મુજાહદિનને શસ્ત્રો અને તે વાપરવાની તાલીમ પૂરી પાડી। થયું એવું કે સમય જતાં પોતાનો સ્વાર્થ સધાઈ ચુક્યો એટલે ‘મુજ કી બિલ્લી મુજ કો મ્યાઉં’ જેવો તાલ થયો અને મુજાહદિને તોપનું નાળચું અમેરિકા ભણી માંડયું. બસ પછી તો પેલા સિંહને વાંદરાએ તમાચો માર્યો ‘ને જે માઠું લાગ્યું તેવું જ અમેરિકાને હડહડતું અપમાન લાગ્યું અને મુજાહદિને ઊભા કરેલ સંગઠન તાલીબાનને તાબે કરવા નીકળી પડ્યા. ત્યાર બાદ ‘અલ કાયદા’નામનું એક નવું તૂત ઊભું થયું અને ‘અમને પશ્ચિમી સભ્યતા ન  ખપે’ના નારા નીચે હિંસક ખેલ ખેલાવવો શરૂ થયો. અને એમ કરતાં કરતાં મરહૂમ સદામ હુસૈનના બેરોજગાર બનેલ સૈનિકોએ અલ કાયદાની ખાલ પહેરીને પોતાને ‘ઇસ્લામિક સ્ટેટ’ તરીકે ઓળખાવીને એક ત્રીજો જ માર્ગ આતંક ફેલાવવા માટે અમલમાં મૂકીને બધાને ત્રાહિમામ પોકારાવી દીધા છે. છે કોઈની મજાલ કે એને સમજાવીને હથિયાર હેઠાં મુકાવે?

પાછલા ત્રણ-ચાર દાયકાની ઘટનાઓનો અભ્યાસ કરતાં સમજાઈ જવું રહ્યું કે એક આતંકવાદી સંગઠનના કેટલાક આગેવાનોના માથાં વાઢી નાખ્યે એ વિચારસરણી નહીં બદલે. એ તો એક નહીં ને બીજા નામથી પુનર્ગઠિત થયા કરશે. જે માનવ સમૂહને પશ્ચિમી જીવન પદ્ધતિ પોતાના ધર્મ માટે ખતરા રૂપ ભાસતી હોય અને તેની સામે રક્ષણનો માર્ગ માત્ર પશ્ચિમના નાગરિક માત્રની હત્યામાં જ ભળાતો હોય તેને વિમાની આક્રમણથી સમજાવી શે શકાય? પશ્ચિમી સભ્યતા માટેનો વિરોધ જાણે ઓછો હોય તેમ ઇસ્લામના જ બે ફિરકાઓ વચ્ચે પણ તુમુલ સંઘર્ષ અટકતો નથી અને એ જ સાબિત કરે છે કે આતંક ફેલાવનારાઓ, તેનો ભોગ બનનારાઓ અને તેનાથી પીડિત સહુ માનવોએ હિંસા સિવાયનો ઉકેલ શોધવો રહે છે કેમ કે યુદ્ધ અને સશસ્ત્ર પગલાંઓ આ મહા પ્રશ્નનો ઉકેલ લાવવામાં સરિયામ નિષ્ફળ ગયાં છે એ સ્પષ્ટ થઈ ગયું છે. બે વિશ્વયુદધો થયા પછી યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ તેથી જગતના મોટા ભાગના શાંતિ પ્રિય લોકોને શો ફાયદો થયો? યુદ્ધો, હિંસા અને જાનહાનિ થતી અટકી? યુ.એન. પોતે જ બે દેશો વચ્ચેની લડાઈ હો કે એક દેશમાં આંતર વિગ્રહ હોય ત્યાં ટેંક પર સવાર થયેલ ‘શાંતિ સૈન્ય’ મોકલે. ભલા ભાઈ, આગની સામે આગ જલાવો પછી શાંતિ ક્યાંથી થાય? જો કે એમાં એ લોકો કરે શું? યુ.એન.ના મુખ્ય સભ્ય દેશો જો ખરેખર આવા સંઘર્ષોનો શાંતિમય ઉકેલ લાવે તો એમના જ દેશમાંથી નિકાસ થતાં શસ્ત્રોનું શું થાય? એમની પ્રજા બેકાર બને તેનો વિચાર કર્યો? વળી લડાઈ કરીને બરબાદ થયેલ દેશને ફરી બેઠો કરવા પોતાના જ દેશની અનેક કંપનીઓને કામ મળે એવી રચનાત્મક પ્રવૃત્તિની તક કેમ ગુમાવાય, ભાઈ?

આમ મને તો એમ લાગે છે કે ઇસ્લામિક સ્ટેટ લાવવાને નામે જે ઘૃણાસ્પદ હિંસક પ્રવૃત્તિઓ થઈ રહી છે તે માસ્ક પહેરનારાઓના ચહેરાઓ ભલે ‘મુસ્લિમ આતંકવાદીઓ’ના નામે ઓળખાતા હોય પણ આતંકવાદી સંગઠનોની અખૂટ વણઝાર ઊભી કરવા અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા બદલ એક કરતાં વધુ દેશ અને વિચારસરણીઓ જવાબદાર છે એટલું નિશ્ચિત છે. જરા ઇસ્લામિક સ્ટેટના નામે અને શિયા સુન્ની વચ્ચેના સંઘર્ષમાં સંડોવાયેલાના હાથમાંના શસ્ત્રો પર ‘made in’નું લેબલ વાંચીને જોઈશું તો કબૂલ કરવું પડશે કે એ આતંકવાદીઓની હારોહાર યુ.એન.ના સભ્ય દેશો પણ શાંતિ નહીં પરંતુ યુદ્ધ કરવા-કરાવવા માટે અદાલતમાં ઊભા રહેવા લાયક છે.

ઇસ્લામિક સ્ટેટ એટલે કેવા પ્રકારની રાજ્ય પદ્ધતિ એની તો કોઈને જાણ નથી. આવી લાખો નિર્દોષ સ્ત્રી, બાળકો અને યુવાનોની લાશના ઢગલા પર ચાલીને આવેલ રાજ્ય પદ્ધતિ કોને જોઈએ છે?

e.mail : 71abuch@gmail.com

Loading

ચાર ગાંધી કાવ્યો

નટવર ગાંધી|Poetry|15 October 2014

1

ઉદ્ધારક  

ઘણુંય હતું સાભળ્યું:  અચૂક ઊતરે શ્રીહરિ,
વિવિધ અવતાર લૈ જગત તપ્તને ઠારવા,
અકેક યુગ, ગ્લાનિગ્રસ્ત ભયત્રસ્તને રક્ષવા.
હશે, દીન દયાળુ કિન્તુ અમ દેશ ના ઊતર્યા.

ગરીબ હિજરાય જ્યાં ગભરુ ભીરુ ભૂખે મરે.
તમે કહ્યું : “નહીં સહું  જુલમ, જખ્મ અન્યાયના.”
ન લશ્કર, ન શસ્ત્ર,  સંઘ નહીં તો ય જંગે ચડ્યા,
ઉખેડી જડમૂળથી પ્રબળ વિશ્વસત્તા તમે.  

તમે ન અવતાર છો, મનુજમાત્ર, ગોત્રે વળી,
છતાં અડગ આત્મથી નીડર કર્મ દૈવી કર્યું,
અપાર કરુણાભર્યા, ખમીર ખૂબ, શૌર્યે શૂરા,
ગુલામી કરી દૂર, ભીરુ ઉરમાં ભરી વીરતા.

સ્વમાની, અભિમાની હું ન નમતો કદી કોઈને,
પરંતુ તમને નમું, પુરુષ ઊર્ધ્વ, ઉદ્ધારક.

(‘અમેરિકા, અમેરિકા’ સોનેટસંગ્રહ, પૃ. 57)


2

દક્ષિણ  આફ્રિકામાં

ધુરંધરો જગતના સહુ સજ્જ થાતા
યુદ્ધે, ધરે અવનવાં કંઈ અસ્ત્ર, શસ્ત્ર,
ત્યારે અજાણ સહુથી દૂર અંધખૂણે,
તું આદરે નવીન યુદ્ધ, પ્રયોગ ભવ્ય,
જ્યાં શસ્ત્ર માત્ર સત, હિંસક અસ્ત્ર ના કો’,
સેના ધપે, જન જપે હરિનામ હોઠે,     
માથે મઢે મુગટ શાંતિ, સહિષ્ણુતાનો,
ના હારજીત, પરિવર્તન એ જ લક્ષ્ય.

તારે ન વેરી જન કોઈ, ન કોઈ હીન,
તું બંધુ, મિત્ર સહુનો, પથદર્શી, શૂરો,
વિજ્ઞાની, જ્ઞાની મનનો, ભયમુક્તિ દાતા,
તેં  આંખનાં પડળ સૌ કરી દૂર, દીધી
દૃષ્ટિ, સમષ્ટિ ઊઘડી, ઊરતાપ શામે,
ગુલામીમાં સબડતા જન મુક્તિ પામે.

(‘ઇન્ડિયા, ઇન્ડિયા’, પૃ. 63)

 

3

સાબરમતી આશ્રમે

અહીં નથી જ રાજમંદિર, ન મ્હેલ, મ્હેલાત ના,
ન દુર્ગ, નથી હર્મ્ય કો, નથી વિશિષ્ટ સ્થાપત્ય વા,
ન  હસ્તિગૃહ, શસ્રસંગ્રહ ન, અશ્વશાળા નથી,
કુટીર દસબાર માત્ર બસ જોઉં આ આશ્રમે.

અહીં જ કસી કાછડી કમર, હાથ લઈ લાકડી,
કપાળ કરી ચાંદલો, હરિનું નામ હોઠે ધરી,
અમોઘ સત શસ્ત્ર સજ્જ, જૂજ સાથી સંગે તમે
અહીં જ  જગરાજ્યની સહુ સમર્થ અક્ષૌહિણી
બુલંદ પડકારી’તી : ‘કરવું હોય તે લ્યો કરી.
નથી જ  નથી આવવું, મરીશ કાગડા, કૂતરા
સમાન, પણ ના જ ના પગ મૂકીશ આ આશ્રમે.’

અહીં જ અહીંથી શરૂ થયું મહાન પ્રસ્થાન જે,
વિશાળ પ્રસર્યું પછી ઉરઉરે, દૂરે, ચોદિશે.

(‘ઇન્ડિયા, ઇન્ડિયા’, પૃ. 19)

 

4

રાજઘાટે  

મહાન ગણતંત્રની રમણી રાજધાની મહીં,
અનેક અધિરાજ્યના સ્તૂપ, મિનાર,  સ્તંભો વિષે,
ન કાંચન, ન  તામ્રપત્ર, પણ માત્ર પાષાણમાં
અહીં, અમર લોકઉર, ઇતિહાસ પૃષ્ઠે તમે.
શિખામણ તમારી જોઉં ચીર કોતરી પથ્થરે :
‘પડે ખબર ના કદી કરવું શું અને કેમ જો,
વિચાર કરવો તદા દલિત દુ:ખિયા લોકનો,
થશે સકળ સ્પષ્ટ શું કરવું, કેમ, કેવી રીતે’

સલામ સરકારને! અમલદાર ઊંચા અહીં,
પ્રધાન, અધિકારી, સંસદ સદસ્ય, સાહેબ સૌ,
મહેલ મજલે કરે મસલતો બડી ફાંકડી,
ઠરાવ કરી ઠાવકા ગરીબને દિયે સાંત્વના,
સદાય સચિવાલયે લટકતી તમારી છબી
કદીક નીરખતા તમારું શુભનામ લેતા ચરે.

(‘ઇન્ડિયા, ઇન્ડિયા’, પૃ. 21)

e.mail : natgandhi@yahoo.com

Loading

...102030...3,8593,8603,8613,862...3,8703,8803,890...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved