Opinion Magazine
Number of visits: 9694937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શબ્દોની દુનિયા અને દુનિયાના શબ્દો

તેજસ વૈદ્ય|Opinion - Opinion|10 June 2015

બીરિયાની અને સેલ્ફી શબ્દો હવે ફ્રેન્ચ ડિક્શનરીમાં સ્થાન પામ્યા છે. એવી જ રીતે પાપડ શબ્દને ઓક્સફર્ડની ઇંગ્લિશ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે. આપણો ગુજરાતી શબ્દ ખીચડી ઓલરેડી ઓક્સફર્ડ ડિક્શનરીમાં છે. દરેક ભાષામાં જ્યારે નવા શબ્દો ઉમેરાય છે ત્યારે એ ભાષા વધુ ખીલે છે. એવી જ રીતે લુપ્ત થયેલા શબ્દો પણ જો ફરી વાત-વપરાશમાં આવે તો ભાષા લાઇવ બને છે. શબ્દોની નવી-જૂની દુનિયામાં ચાલો ત્યારે…

નદીને કાંઠે સેલ્ફી. વર્ષો પછી મળેલા જૂના પાડોશી રાકેશઅંકલ સાથે સેલ્ફી. ઊભી બજારે સેલ્ફી. લાંબી શેરીમાં સેલ્ફી. લોકલ ટ્રેનમાં દોસ્તો સાથે સેલ્ફી. સીટી બસમાં ગર્લફ્રેન્ડ સાથે સેલ્ફી. કોલેજના વાર્ષિક ફંક્શનમાં ગ્રૂપ સેલ્ફી. ટૂંકમાં, સેલ્ફી … સેલ્ફી … સેલ્ફી. હજી ગઈ કાલે આવેલો સેલ્ફી શબ્દ આજે એટલો પ્રચલિત થઈ ગયો છે કે જાણે બાપદાદાના વખતથી એ આપણી વચ્ચે હતો. સેલ્ફી સાવ નવો શબ્દો છે અને જો સર્વે કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ બોલાતો શબ્દ પણ કદાચ એ જ હશે. વડાપ્રધાનથી લઈને વડાપાંવ વેચનારાને જોડતું કોમન ફેક્ટર આ શબ્દ છે.

 દરેક શબ્દ એક નવું વિશ્વ લઈને આવે છે. લોકોની વચ્ચે હળીભળી જતો શબ્દ ક્યાંથી આવે છે એ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. એ જ બોલીની મજા છે. એ જ ભાષાની મજા છે. વાત થઈ રહી છે નવા શબ્દોની. ડૂબું ડૂબું થવાને આરે હોય ને ફરી ઉપયોગમાં આવીને હિટ થઈ ગયા હોય એવા શબ્દોની તેમ જ બોલચાલમાં વપરાતા-ઉમેરાતા શબ્દોની.

ઇસ આદમીને મેરી ઝિંદગી 'ઝંડ' કર રખી હૈ

"અરે યાર, વાટ લાગી ગઈ છે", "ઝિંદગી હો ગઈ ઝંડ ફિર ભી નહીં ગયા ઘમંડ". જો તમે યુવાન હશો તો આ વાક્યો ક્યાંક ને ક્યાંક સાંભળ્યાં હશે. આ વાક્યોમાં ધ્યાન ખેંચે એવા બે શબ્દો છે, 'વાટ' અને 'ઝંડ'. ફિલ્મોમાં આ શબ્દોનો છુટ્ટે હાથે પ્રયોગ થાય છે. 'ઝંડ' શબ્દ બિહાર તરફનો છે. ભોજપુરી બોલીમાં તો 'ઝિંદગી ઝણ્ડવા ફિર ભી ઘમંડવા' નામની ફિલ્મ બની રહી છે, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરે છે. ઉપરાંત, તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'માં કંગના રનૌત તેના પતિ માધવન માટે કહે છે કે, "ઇસ આદમીને મેરી ઝિંદગી ઝંડ કર રખી હૈ." ઝિંદગી ઝંડ હો ગઈ મતલબ ઝિંદગી ખેદાનમેદાન થઈ ગઈ છે. વાટ લાગી જવી એટલે મુસીબતના પહાડ તૂટી પડવા.

આવો જ એક અન્ય શબ્દ છે, 'દબંગ'. દબંગ શબ્દ ઉત્તર ભારતનો છે. એ લોકબોલીમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયો હતો. સલમાન ખાનની એ ટાઇટલવાળી ફિલ્મ આવી એ સાથે જ એ શબ્દને નવજીવન મળ્યું. આજે દબંગ શબ્દ માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પણ દેશભરમાં બોલાય છે. દબંગનો અર્થ થાય છે, લડાકુ, બહાદુર, બેફિકરો, કોઈનાથી ન ડરે એવો.

આવી જ રીતે ફિલ્મો દ્વારા જ પોપ્યુલર બનેલો નવો દેશી શબ્દ છે 'ટશન'. ટશનનો મતલબ એટીટયૂડ. ફિલ્મ 'અગ્નિપથ'માં અમિતાભ શું ટશનવાળો લાગે છે!

સેકન્ડ નહીં 'દ્વિતીય'

કોઈ પણ લોકપ્રિય નેતા, મેનેજર, એક્ટર, હાસ્ય કલાકાર હોવાની પહેલી શરત એ છે કે એ સારો કોમ્યુિનકેટર હોવો જોઈએ. એવું ત્યારે જ શક્ય બને જો એની પાસે વિશાળ શબ્દભંડોળ હોય. જેની પાસે સારું શબ્દભંડોળ હોય એ પોતાની વાણીથી પચાસમાં નોખો તરી આવે છે. અમિતાભ બચ્ચનની વિશેષતા એ છે કે તેમની શબ્દોની સૂઝ-સમજ અન્ય કલાકારો કરતાં અનેક ગણી સારી છે. તેઓ નવા નવા શબ્દપ્રયોગ કરતાં રહે છે. કૌન બનેગા કરોડપતિની સેકન્ડ સીઝન માટે 'દ્વિતીય' શબ્દ તેમણે આપ્યો હતો. 'કૌન બનેગા કરોડપતિ – દ્વિતીય' શબ્દ પછી તો એટલો પોપ્યુલર થવા માંડયો હતો કે કોઈ મેરેજ બ્યૂરોવાળા બીજી વખત સમૂહલગ્નનું આયોજન કરે તો 'દુલ્હા-દુલ્હન સમારોહ : દ્વિતીય' એવાં ટાઇટલ આપવા માંડયા હતા.

અમિતાભ બચ્ચન શબ્દોનું મહત્ત્વ સારી રીતે સમજે છે, કારણ કે તેઓ સાહિત્યને સારી પેઠે જાણે છે. સાહિત્ય પ્રત્યેનો આદર તેમને પિતા કવિ હરિવંશરાય દ્વારા વારસામાં મળ્યો છે.

"મેં મારી આખી જિંદગી શબ્દોને એ રીતે જોયા છે જાણે કે હું તેમને પહેલી વાર જોતો હોઉં."

"વિવેકવિહીન ઉપયોગને લીધે આપણા બધાયે શબ્દો તેની ધાર ગુમાવી બેઠા છે."

– મહાન કૃતિ 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી'ના લેખક અર્નેસ્ટ હેમિંગ્વે

યેડા, શાણા કૌઆ, દેઢ શાણા …

કેટલાક શબ્દો જે તે ગામ કે શહેરની પોતાની સ્પેિશયાલિટી દર્શાવતા હોય છે. જેમ કે, મુંબઈમાં વાતચીતમાં તમને શાણપટ્ટી કે શાણા કૌઆ શબ્દ વારંવાર સંભળાશે. "યે રાજાબાબુ અપને આપકો બહુત શાણા કૌઆ સમજતા હૈ, ઉસકી શાણપટ્ટી અબ ઝ્યાદા દિન નહીં ચલેગી." શાણપટ્ટી એટલે હોશિયારી અને શાણા કૌઆ એટલે ચતુર કાગડો. ડોઢ ડાહ્યા માટે 'દેઢ શાણા' ત્યાં બોલાય છે. એવી જ રીતે કોઈ બબૂચક માટે મુંબઈમાં ઝંડુ શબ્દ પોપ્યુલર છે. 'અરે! રમેશ તો એકદમ ઝંડુ હૈ.' એ સિવાય 'ખજૂર' અને 'ઢક્કન' શબ્દો પણ જાણીતા છે. મગજથી થોડો ફરેલો હોય એના માટે યેડા શબ્દ વપરાય છે. 'ચલ અબ તેરી યેડાગીરી બંધ કર'. કોઈ બડાશ હાંકતો હોય તો એને બંધ કરવા માટે મુમ્બૈયા ભાષામાં એને કહે છે કે 'ચલ અબ ઝ્યાદા રાગ મત દે.' રાગ એટલે બડાશ. ઉપરાંત, ખાલીપીલી, અપૂન-તપૂન, આયેલા-ગયેલા, ચલ કલ્ટી માર લે, પતલી ગલી સે નીકલ લે વગેરે શબ્દો પણ ટિપિકલી બમ્બૈયા છે, જે ફિલ્મોમાં અવારનવાર સાંભળવા મળે છે.

આપણી ભાષાઓમાં નવા શબ્દો ઝટ પ્રચલનમાં નથી આવતા. વિદેશમાં નવા નવા શબ્દો શોધવાનું અને એને ઉપયોગમાં લેવાનું પ્રમાણ વધારે છે. એની ડિક્શનરીઓ તૈયાર થાય છે. કેટલાક નમૂના જોઈએ.

'ડ્રિંકસ્પિરેશન' આ શબ્દ ડ્રિંક અને ઇન્સ્પિરેશનના સરવાળાથી બન્યો છે. ડ્રિંક એટલે ચા, કોફી ન હોય એ તો તમે સમજતાં જ હશો. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. આપણે ત્યાં જેમ ચા પીધા વિના કામે ચઢતો ન હોય એવો વર્ગ મોટો છે એમ વિદેશમાં કેટલાંક એવા ય લોકો હોય છે કે જેઓ બે-ચાર પેગ ઠપકારે પછી જ તેમને કામનો કાંટો ચઢતો હોય છે. પછી જ તેમને કંઈક કરવાની પ્રેરણા મળતી હોય છે. એના માટે આ શબ્દ વપરાય છે. જેમ કે, એઝ અ રાઈટર આઈ કુડ નોટ રાઈટ એની વર્ડ ઓન પેપર અનટિલ આઈ હેડ ડ્રિંકસ્પિરેશન.

'બોયફ્રેન્ડ મની'. નવા નવા પ્રેમમાં પડેલા છોકરાઓને પોતાની પ્રેમિકા જેટલો જ ગમે એવો આ શબ્દ છે. જ્યારે બોયફ્રેન્ડ પાસે કામધંધો ન હોય એટલે કે પૈસા ન હોય ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેના માટે જે પૈસા બચાવીને રાખે તેને બોયફ્રેન્ડ મની કહે છે. ટૂંકમાં, લવરના પૈસે લીલાલ્હેર !

'સાયબરલોફિંગ'. આ શબ્દ વિદેશી છે, પણ ભારતીયોને તંતોતંત લાગુ પડે છે. ઓફિસમાં કર્મચારી ઇન્ટરનેટનો ઉપયોગ ઓફિસવર્કને બદલે પોતાના અંગત વપરાશ માટે કરે એટલે કે ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ વગેરે કરે તો એને સાયબરલોફિંગ કહે છે.

'સાઇડવોક સાલ્સા'. આ શબ્દો બડા રોચક છે. સાઇડવોક એટલે ફૂટપાથ અને સાલ્સા એટલે ડાન્સનો એક પ્રકાર. ફૂટપાથ પર ચાલતાં જતાં લોકોની ખૂબ ભીડ હોય અને બે જણા એકબીજાથી આગળ નીકળી જવા માટે હુંસાતુંસી કરે એને સાઇડવોક સાલ્સા કહે છે. આપણે ત્યાં રસ્તા પર બે વાહનો એકબીજાથી આગળ નીકળી જવા માટે સાઇડવોક સાલ્સા કરતાં હોય છે. બે એક્ટરની એકબીજા સાથેની હરીફાઈ સાઇડવોક સાલ્સા જેવી હોય છે. દીપિકા પાદુકોણ અને કંગના રનૌત વચ્ચે કોણ આગળ નીકળી જાય એ માટેની સાઇડવોક સાલ્સા ચાલી રહી છે.

'પ્લેટોનિક જેલસી'. પ્લેટોનિક લવ શબ્દ તો આપણે સાંભળ્યો છે. જેનો અર્થ થાય છે વાસના રહિત નિર્મળ પ્રેમ. જેલસી એટલે કે ઈર્ષ્યા. ઈર્ષ્યા ક્યારે ય નિર્મળ કેવી રીતે હોઈ શકે ! પ્લેટોનિક જેલસી એટલે માનસીને રોહન ગમતો હોય અને રોહન પ્રિયંકા સાથે વારંવાર જોવા મળે તેથી માનસીને જે ઈર્ષ્યા થાય એને પ્લેટોનિક જેલસી કહે છે. પ્લેટોનિક અને જેલસી બે અત્યંત વિરોધી શબ્દો છે, પણ બે વિરોધી શબ્દો મળીને એક નવો શબ્દ બને છે જેનો અર્થ એ બંને શબ્દો કરતાં અલગ છે. ભાષાની આ જ તો મજા છે. આપણી ભાષામાં આ પ્રકારનો જ એક શબ્દ છે, 'મીઠી ઈર્ષ્યા'. જેનો મતલબ પ્લેટોનિક જેલસીથી અલગ છે અને તમને ખબર જ હશે.

આવી જ રીતે આપણે ત્યાં જેમ 'આરંભે સૂરા' એવો શબ્દપ્રયોગ છે એવો જ શબ્દ ચીનમાં પણ બોલચાલમાં વપરાય છે, 'થ્રી મિનિટ પેશન'. કોઈને તબલાં શીખવાની ઇચ્છા થાય ને પૈસા ખર્ચીને તાબડતોબ તબલાંની જોડ લઈ આવે. પછી બે-ચાર દિવસ પ્રેક્ટિસ કરે ને એ પછી તબલાં બિચારા ધૂળ ખાતાં હોય. આ પ્રકારનું પેશન એટલે કે સૂરાતન ધરાવતી વ્યક્તિ માટે થ્રી મિનિટ પેશન કે આરંભે સૂરા એવું કહેવાય છે.

'વાઇટલાઈન ફીવર'. ના, આ ટાઢિયા તાવનું અંગ્રેજી નથી. વાઇટલાઈન ફીવર એટલે કોકેઇનનું વ્યસન. કોકેઇન વાઇટ રંગની હોય છે. માઈકલ હેઝ વાઇટલાઈન ફીવર. માઈકલને કોકેઇન વગર નથી ચાલતું. આપણે ત્યાં દેશી શરાબ માટે કન્ટ્રી લિકર એવો શબ્દ બોલાય છે.

સ્વામી આનંદની જૂની મૂડી એટલે શબ્દોની મોંઘેરી મૂડી

ગુજરાતી ભાષા પાસે લખલૂટ શબ્દભંડોળ છે. કેટલાંક જૂના શબ્દોનું ચાતુર્ય અને ચોટડૂકપણું એવું છે કે એને ફરી ચલણમાં લાવવાની જરૂર છે. આપણી ભાષામાં નવા શબ્દો ન આવે તો કંઈ વાંધો નહીં, પણ કેટલાંક જૂના જીવંત શબ્દો વાત-વપરાશમાં આવવા જોઈએ.

ગાંધીજીને જેમણે આત્મકથા લખવા માટે પ્રેર્યા હતા અને નવજીવન પ્રેસ જેમના થકી ઊજળિયાત હતો એવા સ્વામી આનંદે આપણને કેટલાંક અદ્દભુત શબ્દોનો પરિચય કરાવ્યો છે. તમે સ્વામી આનંદનું પુસ્તક 'ધરતીની આરતી' વાંચશો એટલે તેમની લેખનશૈલી પર ઓવારી જશો. 'જૂની મૂડી' નામના પુસ્તકમાં તો તેમણે ગુજરાતીની કહેવતો, રૂઢિપ્રયોગો અને નોખાનોખા શબ્દોનો સંગ્રહ રજૂ કર્યો હતો. એમાંના કેટલાંક શબ્દો માણવા જેવા છે. 'અઘળપઘળ' એટલે અવ્યવસ્થિત. કેશવલાલનું કામ હંમેશાં અઘળપઘળ જ હોય છે. અવ્યવસ્થિત માટે બીજો શબ્દ 'છગરછુંદ' છે. સરલાનું ઘર જુઓ તો છગરછુંદ બધું પડયું હોય. ડાયરી કે વાસરિકા કે રોજનીશી માટેનો અન્ય શબ્દ છે, 'રોજનામચો'.

ગીચ અને ઘનઘોર માટે 'અડાઝૂડ' જેવો શબ્દ પણ છે. અડાઝૂડ વનની વચ્ચે વનવાસનાં વર્ષો વિતાવીને રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછાં ફર્યાં હતાં. કપલ એટલે કે વર-વહુ માટે 'અલોઅલી' નામનો શબ્દ પણ છે. કશુંક અધૂરું રહી ગયું હોય તો એના માટે 'અવપૂર્યા' એવો શબ્દ છે. કેટલાંક સપનાં અવપૂર્યાં રહેવા માટે જ સર્જાયાં હોય છે. અવનવું માટે 'અવલનવલ' એવો શબ્દ છે. ચિંતન માટે 'અંતર રમણા' જેવો મજાનો શબ્દ છે. દાર્શનિક લોકો હંમેશાં અંતર રમણામાં જ મગ્ન હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે સૌથી વધુ કઠિન તેનો અહમ્ ઓગાળવો હોય છે. અહમ્ છૂટવો એના માટેનો શબ્દ છે, 'આપાત્યાગ'. વાલિયા લૂંટારાનો આપાત્યાગ થયો અને વાલ્મીકિ કહેવાયો. નદીના કાંઠાને 'આરોઓવારો' પણ કહે છે. પરણવાલાયક થઈ હોય એવી કન્યા માટે 'ઉપવર કન્યા' એવો શબ્દ પણ પ્રયોજાતો હતો. જે જમીન પર કશું ઊગી શકે એમ ન હોય એવી જમીનને 'કજાડી' કહેવાય છે. માંદગી ધીમે પગે આવે તો એના માટે 'કસરપસર' એવો શબ્દ છે. રમેશભાઈને બે દિવસથી નબળાઈ છે. તાવ કસરપસર હોય એવું લાગે છે. તકવાદી ત્યાગ કરનાર કે ત્યાગવૈરાગનો દંભ કરનારા માટે 'ગધેડિયો સંન્યાસ' એવો શબ્દ છે. અત્યંત ઉતાવળ કરનારા માટે 'ઘસડઘાઈ' એવો શબ્દ છે. માલતી સાથે બહાર નથી જવું, એ ભારે ઘસડઘાઈવાળી છે. સો વાતની એક વાત એ કે સ્વામી આનંદનો શબ્દસંગ્રહ જૂની મૂડી ખરેખર મોંઘેરી મૂડી છે. વટ પાડવો હોય તો એમાંથી કેટલાંક અજાણતલ શબ્દો વીણીને વાત વાતમાં બે માણસ વચ્ચે કહેવા જેવા છે.

'કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું'. ચપટીક રાંધવું ને ચપટીક ખાવું એના માટે આ કહેવત છે. એ સમજાવતાં સ્વામી આનંદ કહે છે કે, "આજકાલના માણસોનાં ચકલાંચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ – આગંતુક ન સમાય."

આપણી ભાષામાં મજાની વાત જ એ છે કે બાર ગાઉએ બોલી બદલાય છે, તેથી શબ્દોની છપ્પનવખારી આપણા પ્રદેશમાં છે. ક્યાંક ખાંડને સાકર કહેવામાં આવે છે તો ક્યાંક મોરસ. કેટલાંક ગામડાંમાં તો કાવડિયાને એટલે કે રૂપિયાને બાજરો કહેવામાં આવે છે. મહિનો પૂરો થઈ ગ્યો ને બાજરો હાથમાં નથી આવ્યો.

ટૂંકમાં, તમે ય આવા જૂના શબ્દોને શોધો, નવા શબ્દોને પોંખો અને એનો વાતચીતમાં ઉપયોગ કરશો તો રોલો પડી જશે. બાય ધ વે, રોલો એટલે વટ!

ભાષા અને બાયોડાઇવર્સિટી વચ્ચે શું સંબંધ છે?

બાયોડાઇવર્સિટી (જીવવૈવિધ્ય) જેટલા પ્રમાણમાં ઓછી થાય છે એટલા જ પ્રમાણમાં ભાષા ઓછી થાય છે. દરેક ભાષામાં બાયોડાઇવર્સિટીનું જ્ઞાન હોય છે. હિમાલયની જેટલી બોલીઓ કે ભાષાઓ છે એ બધીમાં બરફ માટે આશરે ૧૬૦ શબ્દો છે. એસ્કિમો પાસે ૩૦ શબ્દો છે. બરફ ઉપરથી પડે અને કાદવવાળા પાણીમાં પડતો હોય તો એના માટે અલગ શબ્દ છે. બરફ પડતાં સમયે આકાશનો રંગ જો બ્લૂ હોય તો કિન્નોર ભાષામાં એનો અલગ શબ્દ છે. ઇકોલોજીનું વધુમાં વધુ જ્ઞાન જો કોઈ પાસે હોય તો બોલીઓ પાસે છે, ન કે શાસ્ત્રજ્ઞો પાસે. અને એ જ્ઞાન જ્યારે ભૂંસાતું જાય છે ત્યારે ઇકોલોજીનો પણ વિનાશ થાય છે. જે પ્રમાણે વૃક્ષો અને બાયોડાઇવર્સિટી ઓછી થાય એ જ પ્રમાણે ભાષા ઓછી થાય છે. અથવા ભાષા ઓછી થાય એ જ પ્રમાણે બાયોલોજિકલ ડાઇવર્સિટી – વૈવિધ્ય જતું રહેશે એ પછી દુનિયામાં માત્ર એક ભાષા, એક પહેરવેશ, એક પ્રકારે જમવાની રીત હશે. તમે રણમાં રહો કે હિમાલયમાં રહો.

— ગણેશ દેવી

(ભૂંસાતી જતી ભાષાઓનાં જતન અંગેના તેમના કામ માટે જેમને યુનેસ્કોનો પ્રતિષ્ઠિત લિંગ્વાપેક્ષ એવોર્ડ મળ્યો છે. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.)

e.mail :  tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 10 જૂન 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3084762

Loading

ઇન્દુકુમાર જાનીને સદ્દભાવના સન્માન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 June 2015

વંચિતોની વીતકની વાત અને સામાજિક ન્યાય માટે ગયાં ચારેક દાયકાથી કાર્યરત પત્રકાર ઇન્દુકુમાર જાનીને  શનિવારે ‘સદ્દભાવના સન્માન 2015’થી નવાજવામાં આવ્યા.

ગુજરાતના સદ્દભાવના ફોરમ નામના મંચનો આ પુરસ્કાર રામકથાકાર મોરારિબાપુને હસ્તે મહુવાના કૈલાસ ગુરુકુળ ખાતે આપવામાં આવ્યો. ઇન્દુકુમારની સાથે આ સન્માન સમસ્યાપ્રધાન દસ્તાવેજી ફિલ્મો બનાવનાર માધ્યમકર્મી આનંદ પટવર્ધનને પણ આપવામાં આવ્યું. ‘સન્નિષ્ઠ અને નિષ્કામ સેવા દ્વારા સામાજિક સંવાદિતાના નિર્માણ-કાર્યમાં મૂલ્યવાન યોગદાન’ માટેના આ પુરસ્કારની એકાવન હજાર રૂપિયાની રકમ  ઇન્દુકુમારે ‘નયા માર્ગ’ પખવાડિકને અર્પણ કરી છે.

‘નયા માર્ગ’ને ઇન્દુભાઈ ચોંત્રીસ વર્ષથી એક મિશન તરીકે ચલાવી રહ્યા છે. ‘વંચિતલક્ષી વિકાસપ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહિન સમાજરચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક’ એવો ‘નયા માર્ગ’ મુદ્રાલેખ ઇન્દુભાઈએ અસ્ખલિત અને ઉત્તમ રીતે ચરિતાર્થ કર્યો છે. તેમણે ‘નયા માર્ગ’ને સમાજના દરેક કચડાયેલા વર્ગની વાત મૂકવા માગતા લખનારનું ભરોસાપાત્ર માધ્યમ બનાવ્યું છે. લગભગ કોઈ ભૂલ વિના નીકળતા એકેએક અંકમાં ઇન્દુભાઈની નિસબત, જહેમત અને માવજત જ નહીં પણ લગભગ ફનાગીરી દેખાતી રહી છે. ગુજરાત ખૂંદીને ઇન્દુભાઈએ કચડાતાં માણસોની જિંદગી અને તે સારી બને તે માટે મથનારા લોકો વિશે સતત લખ્યું છે.

દક્ષિણ ગુજરાતના શેરડી કામદારોના શોષણ અંગેની તેમની લખેલી લેખમાળાને આધારે લોકાધિકાર સંઘે અદાલતમાં  કરેલી જાહેર હિતની અરજીને કારણે એ શ્રમજીવીઓનું લઘુતમ વેતન નિયત થયું અને કામદારોને પોણા આઠ કરોડ રૂપિયા જેટલો વેતન તફાવત મળ્યો. ડાંગમાં નક્ષલવાદને નામે મચાવાતો હોબાળો, ખેતમજૂરો પર સીમરખાના અત્યાચારો, આદિવાસીઓ અને દલિતોને જમીન અપાવવી, ટીમરુના પાનના દરોમાં વધારો કરાવવો, માથે મેલું ઉપાડવાની બદીની નાબૂદી જેવી અનેક બાબતોમાં ઇન્દુભાઈનાં લેખન અને પ્રત્યક્ષ સામેલગીરી બહુ મહત્ત્વનાં રહ્યાં છે. ગોલાણા અને સાંબરડામાં દલિતો પરનાં તેમ જ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આદિવાસીઓ પરના અત્યાચારો વિરુદ્ધ તેમણે નક્કર અહેવાલો લખ્યા છે. અનામતવિરોધી આંદોલન કે કોમી તોફાનોના અસરગ્રસ્તોની વ્યથાકથા તેમણે વર્ણવી છે. અછતનાં વર્ષો અને ભૂકંપમાં ‘નયા માર્ગે’ નોંધપાત્ર કામ કર્યું છે. ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં રાહત-પુનર્વસન અને શાંતિયાત્રાઓ જેવી કામગીરીમાં તો ઇન્દુભાઈ જોડાયા જ હતા. વળી, તેમણે બે કર્મશીલો સાથે જોડાઈને કાયદો, વ્યવસ્થા અને કોમવાદના સંદર્ભે રાજ્યની સામે જાહેર હિતની અરજી પણ દાખલ કરી હતી. જો કે તે પહેલાં 1993-94નો રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો પુરસ્કાર તેમને મળ્યો હતો. ઇકોતેર વર્ષના ઇન્દુભાઈ અને તેમના પાંચ સાથી કર્મશીલોને પોલીસે હમણાં અગિયારમી જાન્યુઆરીએ આખો દિવસ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રાખ્યા હતા – તેઓ વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણી દરમિયાન સરકારની જમીનવિરોધી નીતિ સામે વિરોધ કરવા જવાના છે એવા સગડ પોલીસને મળ્યા હતા ! અદના વાચકને તરત સમજાય એવી સાદી છતાં ય અસરકારક ભાષામાં હંમેશા લખનાર ઇન્દુભાઈએ ‘અસ્પૃશ્યતા અને અત્યાચારના બે પડ વચ્ચે પીસાતા દલિતો’, ‘માનવ અધિકાર : સાબાર ઉપરે મનુષ્ય સત્ય’, ‘રેશનાલિઝમ : નવલાં મુક્તિનાં ગાન’ પુસ્તકો લખ્યાં છે.  આદિવાસીઓના પ્રશ્નો વિશેનાં પુસ્તકો છે :  ‘તમે કહો છો એ આઝાદી ક્યાં છે?’ ‘બે દાયકાનો સફળ સંઘર્ષ : જંગલ-જમીન નામે કરો …’ અને ‘આદિપર્વ’. બાબા આમટે, નારાયણભાઈ રાઠોડ, પાનાચંદ પરમાર અને મુનિ સંતબાલ પરની પુસ્તિકાઓ તેમની પાસેથી મળી છે. ઊંડી નિસબત અને અભ્યાસ સાથેના તેમનાં વ્યાખ્યાનો તેમ જ ‘રચના અને સંઘર્ષ’ તેમ જ ‘જિંદગી : એક સફર’ નામે વર્ષો સુધી લખેલાં કંઈક સો અખબારી લેખોનાં સંચયો થાય તે જરૂરી છે.

રંગભૂમિના વિખ્યાત કલાકાર અમૃત જાનીના પુત્ર ઇન્દુભાઈએ ખેતી બૅન્કની બારેક વર્ષની નોકરી બાદ 1978માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને બે વર્ષ વકીલાત અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં કમગીરી કરી. ત્યારબાદ પૂરા સમયના સામાજિક કાર્યકર્તા તરીકે તે ગુજરાત ખેત વિકાસ પરિષદમાં જોડાયા. વૉશિંગ્ટન ડી.સી.ની એડવોકસી ઇન્સ્ટિટ્યૂટ ખાતે છ અઠવાડિયાં રહીને એડવોકસી ફેલો થયા છે. ઇન્દુભાઈ એમના ઘડતરમાં ઝીણાભાઈ દરજીના બહુ મોટા પ્રદાનને અનેક વખત યાદ કરે છે. ગાંધીજી, બાબા આમટે, ભાનુભાઈ અધ્વર્યુ, જોસેફ મેકવાન વિશે પણ તે ઊંડો આદર ધરાવે છે. તેઓ અનેક જાહેર સંસ્થાઓ સાથે સ્પષ્ટ વક્તા તરીકે સંકળાયેલા છે. સેન્ટર ફૉર સોશ્યલ જસ્ટિસ અને નવસર્જનનો હ્યૂમન રાઇટસ્ પુરસ્કાર, સાવલિયા રિસર્ચ સેન્ટર દ્વારા કીર્તિ સુવર્ણ ચન્દ્રક મેળવનાર ઇન્દુકુમાર ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનનું વરિષ્ઠ પત્રકાર તરીકેનું સન્માન પણ પામ્યા છે. 

કિશોરવયે પિતાજી સાથે અવારનવાર નાટકો માણનારા, ક્યારેક તખ્તા પર પાઠ ભજવનારા, સરસ રીતે ભજન ગાનારા ઇન્દુભાઈએ વાયોલિન પર પણ હાથ અજમાવ્યો હતો. તેમની સાહિત્યરુચિ ‘નયા માર્ગ’માં ‘નવું વાચન’ વિભાગની સંખ્યાબંધ પુસ્તક નોંધોમાં અને તેના છેલ્લા પાને આવતી પદ્યરચનાઓની પસંદગીમાં જોવા મળે છે. આ પાનાએ દલિત કવિતાને મંચ પૂરું પાડવાનું મોટું કામ કર્યું છે.  

ભેખધારી પત્રકાર ઇન્દુભાઈ પોતાના કામ વિશે એ ભાગ્યે જ કંઈ કહે છે,અને જે કહે છે તે લગભગ નજીવું કામ કરતા હોય તેવી રીતે અલ્પોક્તિમાં કહે છે. આ નીડર કલમનવીસ બહુ લાગણીશીલ છે. એમની સાથે અદના આદમીની કોઈ પણ પ્રકારની હાડમારીની વાત કરીએ ત્યારે તેમના ચહેરા પર સાચકલી પીડા દેખાય છે.જો કે તેમની વ્યક્તિગત તકલીફ વિશે તો બહુ મોડેથી, ફરતી-ફરતી વાત થકી જ જાણવા મળે છે.

ઇન્દુકુમાર ઘણી વખત દુષ્યંતકુમારનો એક શેર ટાંકે છે :

‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ’.

9 જૂન 2015 

+++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 10 જૂન 2015

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ભારત-બંગલા દેશ વચ્ચે એન્ક્લેવ્ઝની આપ-લે એ સિદ્ધિ નથી, પ્રાયશ્ચિત છે અને એ પણ ઘણું મોડું છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|9 June 2015

BJP વિરોધ પક્ષમાં હતો ત્યારે હિન્દુ રાષ્ટ્રવાદી હતો અને બંગલા દેશને એક તસુ જમીન આપવામાં આવે એનો વિરોધ કરતો હતો. બીજી બાજુ મમતા બૅનરજી મનમોહન સિંહની UPA સરકારમાં ભાગીદાર હતાં ત્યારે પ્રાંતવાદી હતાં. દક્ષિણ એશિયાના પાડોશી દેશોમાં કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના સંકુચિત રાજકારણ કરનારાઓએ સરહદી પ્રજાને લગભગ સાત દાયકા રંજાડી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંગલા દેશની મુલાકાત સફળ નીવડવાની જ હતી. ખાસ કરીને ભારત અને બંગલા દેશની સરહદમાં આવતા અવ્યવહારુ ખાંચાઓ (એન્ક્લેવ્ઝ) દૂર કરીને સરહદને વ્યવહારસંગત બનાવવી જરૂરી હતી. આ સિદ્ધિ નથી પરંતુ પ્રાયશ્ચિત છે અને એ પણ ઘણું મોડું છે. ૧૯૪૭ના વિભાજનનાં કારણોની વાત જવા દો, પણ કમસે કમ વિભાજનની રેખા સ્થાનિક પ્રજાના ત્રાસમાં વધારો કરે એવી તો ન જ હોવી જોઈએ. એક પ્રતિષ્ઠિત બૅરિસ્ટર લંડનમાં બેસીને નકશો સામે રાખીને સરહદની રેખા દોરે અને નિર્દોષ પ્રજા સાત દાયકા સુધી હાલાકી ભોગવે એને રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ ન જ કહેવાય. પાડાના વાંકે પખાલીને ડામ આપવાની કોઈ એક સીમા હોય.

સાત દાયકા લાગવાનું કારણ પહેલાં પચીસ વર્ષ પાકિસ્તાનની આડોડાઈ હતું. પાકિસ્તાનના શાસક ફીલ્ડમાર્શલ અયુબ ખાન સાથે કચ્છના છાડ બેટને પાકિસ્તાનને આપવાની સમજૂતી થઈ ત્યારે બંગલા દેશના એન્ક્લેવ્ઝની મંજૂરી થઈ શકી હોત, પરંતુ પાકિસ્તાનને પૂર્વ પાકિસ્તાનની પ્રજામાં કોઈ રસ નહોતો. પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનની પાંખ નહોતી પણ પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન હતું. ૧૯૭૧માં બંગલા દેશ સ્વતંત્ર થયા પછી અનુકૂળતા પેદા થઈ હતી, પરંતુ એમાં કોઈ સમજૂતી થાય એ પહેલાં શેખ મુજીબુર રહેમાનની હત્યા થઈ અને બંગલા દેશ લશ્કરી શાસનનો શિકાર બની ગયું. બંગલા દેશ જ્યારે લશ્કરી શાસનથી મુક્ત થયું ત્યાં સુધીમાં તો ભારતમાં કૉન્ગ્રેસના એકચક્રી શાસનનો અંત આવી ગયો હતો અને કેન્દ્રમાં મિશ્ર સરકારો આવવા લાગી હતી.

એ પછી ભારત અને બંગલા દેશના કોમવાદી અને પ્રાંતવાદી રાજકીય પક્ષો સમજૂતી થવા દેતા નહોતા. આ જ BJP જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે હિન્દુ રાષ્ટ્રવાદી હતો અને બંગલા દેશને એક તસુ જમીન આપવામાં આવે એનો વિરોધ કરતો હતો. બીજી બાજુ મમતા બૅનરજી જ્યારે ડૉ. મનમોહન સિંહની UPA સરકારમાં ભાગીદાર હતાં ત્યારે તેઓ પ્રાંતવાદી હતાં. આ સમજૂતી બે વર્ષ પહેલાં થઈ ચૂકી હોત જો મમતા બૅનરજીએ ડૉ. મનમોહન સિંહને સહયોગ આપ્યો હોત અને બંગલા દેશની મુલાકાતે સાથે ગયાં હોત. આમ દક્ષિણ એશિયાના પાડોશી દેશોમાં કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, સંસ્થાનવાદના સંકુચિત રાજકારણ કરનારાઓએ હજારોની સંખ્યામાં સરહદી પ્રજાને લગભગ સાત દાયકા રંજાડી છે. એટલે તો જે સમજૂતી થઈ છે એ સિદ્ધિ નથી પરંતુ ઘણું મોડેથી કરવામાં આવેલું પ્રાયશ્ચિત છે.

હજી તિસ્તા નદીના પાણીની વહેંચણીના પ્રશ્ને સમજૂતી થવાની બાકી છે જે હવે પછી થશે એમ વડા પ્રધાને ઢાકામાં કહ્યું છે. હિમાલયમાંથી નીકળીને બંગાળના અખાતમાં જતી નદીઓના પાણીનું પ્રબંધન કરવામાં આવે એમાં ભારત અને બંગલા દેશ બન્નેનું હિત છે. આ નદીઓ બંગલા દેશમાં પ્રવેશતાં સુધીમાં એકબીજામાં ભેગી થઈને વિનાશક સ્વરૂપ ધારણ કરે છે. જળપ્રબંધનમાં નેપાલને પણ સાથે લેવાની જરૂર છે. વડા પ્રધાને કહ્યું છે કે ભારત અને બંગલા દેશ પાસ-પાસ તો છે જ, પરંતુ સાથ-સાથ પણ છે. આ સાથ-સાથનો સ્પિરિટ પ્રારંભમાં હિમાલયન રાષ્ટ્રો, બંગલા દેશ અને બર્મા (મ્યાનમાર) સાથે પ્રમાણમાં સહેલાઈથી વિકસી શકે એમ છે.

વડા પ્રધાને બીજી વાત એ કહી છે કે પંછી, પવન ઔર પાની કહીં ભી જા સકતે હૈં; ઉસકો વીઝા કી ઝરૂરત નહીં હૈ. શાબ્દિક જુમલો તો ગાંધી-નેહરુની યાદ અપાવે એવો છે, પણ એમાં કેટલી ઈમાનદારી હશે એ સવાલ છે. જગતમાં જેટલા પ્રાદેશિક બ્લૉક્સ છે એમાં દક્ષિણ એશિયાનો સાર્ક બ્લૉક જ એવો છે જે પોતાના ઝઘડા ઉકેલી શકતો નથી. ત્રીસ વર્ષ થઈ ગયાં છે સાર્કને રચાયે, હજી એક ડગલું આગળ વધી શકાયું નથી. પાસ-પાસ તો હૈ, પરંતુ સાથ-સાથ નહીં હૈ એ દક્ષિણ એશિયાની વાસ્તવિકતા છે. ભારત આમાં સૌથી મોટો દેશ છે તો એના પક્ષે નિષ્ફળતાની જવાબદારી કેટલી એ વિચારી લેવું જોઈએ.

વડા પ્રધાને ઢાકામાં સાચું જ કહ્યું છે કે આપણા પ્રદેશની સૌથી મોટી સમસ્યા પાકિસ્તાન છે. પાકિસ્તાનને કારણે સાર્કમાં કોઈ પ્રગતિ થતી નથી. તેમણે ત્રાસવાદનો અને બર્બરતાનો ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવિકતા તો એ છે કે પાકિસ્તાન પોતે જ સમસ્યાગ્રસ્ત છે અને એની મોટી સમસ્યા ઓળખની અને અસ્તિત્વ ટકાવી રાખવાની છે. જો એમ ન હોત તો વગર મહેનતે હાથમાં આવેલું પૂર્વ બંગાળ માત્ર ૨૪ વર્ષમાં ગુમાવે અને બંગલા દેશ બનીને આઝાદ થઈ જાય એવું બને ખરું? પાકિસ્તાન તિરસ્કારવું કે દયા ખાવી એવી વિમાસણ થાય એવો દેશ છે. ૧૯૭૦-’૭૧માં જે પૂર્વ પાકિસ્તાન(બંગલા દેશ)માં બન્યું હતું એ આજે પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદીની રણનીતિ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમ જ એશિયામાં ચીનને અને દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને ઘેરવાની છે. આ રણનીતિને ઓછા શબ્દોની અને વધારે કૂટનીતિની જરૂર છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને છોડીને બાકીના દેશો સાથેના દ્વિપક્ષીય પ્રશ્નો બાંધછોડ કરીને ઉકેલી શકાય એમ છે. જો બાકીના દેશો સાથેના પ્રશ્નો ઊકલી જશે તો પાકિસ્તાન આપોઆપ એકલું પડવા માંડશે. દક્ષિણ એશિયાના કોઈ દેશને પાકિસ્તાન સાથે પ્રેમનો સંબંધ નથી અને અફઘાનિસ્તાન છોડીને બીજો કોઈ દેશ પાકિસ્તાનનો પાડોશી પણ નથી. ઊલટું ભારત બધા જ દેશો સાથે સરહદી કે સામુદ્રિક સંબંધ ધરાવે છે અને દરેક દેશ માટે અનિવાર્ય છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે મુખ્યત્વે તિરસ્કારનો સંબંધ છે, જ્યારે બાકીના પાડોશી દેશો ભારત સાથે લવ-હેટ રિલેશનશિપ ધરાવે છે. એ રિલેશનશિપમાંથી હેટ હટાવી શકાય એમ છે જો ભારત મોટું મન રાખે તો અને BJP વિરોધ પક્ષમાં હોત ત્યારે પણ મોટું મન જાળવી રાખે તો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 જૂન 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-9-6-2015-7

Loading

...102030...3,8063,8073,8083,809...3,8203,8303,840...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved