Opinion Magazine
Number of visits: 9771032
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુણ જેટલીએ ટીવી-ચૅનલોને નોટિસ મોકલતાં પહેલાં મહિના પહેલાંનાં પોતાનાં નિવેદનો જોઈ જવાં જોઈતાં હતાં

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|11 August 2015

તેમણે થોડા દિવસ પહેલાં ઇમર્જન્સીની ૪૦મી વરસી નિમિત્તે ઇન્દિરા ગાંધીની દેશ પર ઇમર્જન્સી લાદવા માટે નિંદા કરી હતી અને કહ્યું હતું કે અત્યારના યુગમાં મીડિયાનું મોં બંધ કરવું એ અવ્યવહારુ ચેષટા ગણાશે, ચાલીસ વર્ષ પહેલાં સેન્સરશિપ શક્ય હતી જે હવે નથી. વડા પ્રધાન તરીકે સફળ નીવડવા માટે નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે એટલાં ચડેલાં કામ કરવાનાં બાકી છે કે આવી ફાલતુગીરી માટે સરકાર પાસે સમય જ ન હોવો જોઈએ

કેન્દ્ર સરકારે ત્રણ ચૅનલોને રાષ્ટ્રપતિનું અને સર્વોચ્ચ અદાલતનું અપમાન કરવા માટે કારણદર્શક નોટિસ મોકલી છે. આ ત્રણ ચૅનલોમાં બે હિન્દી ચૅનલ ‘આજ તક’ તેમ જ ABP ન્યુઝ અને અંગ્રેજી ચૅનલ NDTVનો સમાવેશ છે. ૧૯૯૩ના મુંબઈ બૉમ્બવિસ્ફોટના ગુનેગાર યાકૂબ મેમણને કરવામાં આવેલી ફાંસીની સજા યોગ્ય હતી કે અયોગ્ય એ વિશેની ચર્ચામાં એવી કેટલીક વાતો કહેવામાં આવી હતી જેમાં ન્યાયતંત્રનું અને રાષ્ટ્રપતિનું અપમાન થતું હતું. પ્રોગ્રામ કોડ ઑફ કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ્સ ૧૯૯૪ના નિયમ છની સેક્શન ૧ (G) હેઠળ આ નોટિસ કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મોકલી છે. મીડિયાને જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પહેલી વાત તો એ છે કે રાષ્ટ્રપતિના અને અદાલતોના ફેંસલાની ચર્ચા શા માટે ન થાય? એવું કોણે કહ્યું કે આ બે સંસ્થાઓ પવિત્ર ગાય છે અને એમના નિર્ણયોની ટીકા થઈ જ ન શકે? કોઈ પૅનલિસ્ટે એવું તો કહ્યું નહોતું કે રાષ્ટ્રપતિએ કે જજે પૈસા ખાધા હતા કે પછી એ મૂર્ખ છે કે પછી તેઓ કાયદાનું જ્ઞાન નહીં ધરાવતા અભણ છે. કોઈએ એમ પણ નહોતું કહ્યું કે રાષ્ટ્રપતિ કે જજો કોમવાદી છે. ચર્ચામાં કેટલાક લોકોનો સૂર એવો હતો કે યાકૂબ મેમણની સામેના કેસમાં કેટલીક સંદિગ્ધતાઓ જોતાં તેને શંકાઓનો લાભ મળવો જોઈતો હતો. જગત આખામાં એવો વણલખ્યો નિયમ છે કે જ્યારે શંકાઓ મોટી હોય અને ખટલો સાંભળ્યા પછી જજોનું તારણ એક ને એક બે જેવું સ્પષ્ટ ન હોય ત્યારે ગુનેગારને શંકાનો લાભ મળવો જોઈએ. આખરે જજોનો ચુકાદો એક તારણ છે જે એક સંભાવના છે, જ્યારે ગુનેગારની જિંદગી એક નક્કર વાસ્તવિકતા છે. સંભાવના માટે નક્કર વાસ્તવિક જિંદગી આંચકી લેવામાં ન આવે એ માટે આવા વણલખ્યા નિયમનું જગત આખામાં ન્યાયતંત્રમાં પાલન કરવામાં આવે છે.

પાછું યાકૂબના કેસમાં તો સર્વોચ્ચ અદાલતના બે જજોમાંથી એક જજે જ કહ્યું હતું કે યાકૂબને સર્વોચ્ચ અદાલતમાં ક્યુરેટિવ પિટિશનમાં ન્યાય નથી મળ્યો. કેન્દ્ર સરકારે સૌથી પહેલી નોટિસ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જોસેફ કુરિયનને મોકલવી જોઈએ. રહી વાત રાષ્ટ્રપતિની. તો રાષ્ટ્રપતિ તો અદાલત જેટલા વિશેષાધિકારના કાયદાથી સુરક્ષિત પણ નથી. શા માટે રાષ્ટ્રપતિની ટીકા ન થઈ શકે? મીડિયાએ રાષ્ટ્રપતિની અંગત ટીકા નથી કરી. તેમણે રાષ્ટ્રપતિ તરીકે લીધેલા નિર્ણયની ટીકા કરી છે અને એ કરવાનો ભારતના નાગરિકને અધિકાર છે. અદાલતોને વિશેષાધિકારનું કવચ એટલા માટે આપવામાં આવ્યું છે કે કોઈ અદાલતનો તિરસ્કાર કરીને એની વગ સાથે ચેડાં ન કરે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અરુણ જેટલી સર્વોચ્ચ અદાલતમાં પ્રૅક્ટિસ કરતા દેશના નામધારી વકીલોમાંના એક છે. તેમને એટલી તો જાણ હોવી જ જોઈએ કે રાષ્ટ્રપતિ કોઈ વિશેષાધિકાર નથી ધરાવતા અને અદાલતો વિશેષાધિકારની નોટિસ મોકલીને અને અદાલતનું અપમાન કરનાર સામે કામ ચલાવવાની સત્તા ધરાવે છે. અદાલતનો તિરસ્કાર કરનારને અદાલતે દંડ્યા હોય એવું અનેક વાર બન્યું છે. અદાલતો કેન્દ્ર સરકારની મોહતાજ નથી. ટીવી-ચૅનલો પરની ચર્ચા વિશે નથી રાષ્ટ્રપતિભવને કોઈ ખુલાસો કર્યો કે નથી સર્વોચ્ચ અદાલતે નારાજગી બતાવી. કન્ટેમ્પ ઑફ ર્કોટ અને વિશેષાધિકારના ભંગ માટેની નોટિસ તો બહુ દૂરની વાત છે.

કેન્દ્ર સરકાર પાસે કરવા જેવાં ઘણાં કામ છે. હવે લોકોની ધીરજ ખૂટી રહી છે અને વડા પ્રધાન ઠઠ્ઠા-મશ્કરીનો વિષય બની રહ્યા છે. આઠ-આઠ વટહુકમોને કાયદા બનાવવાના બાકી છે. સંસદનું સત્ર ચાલી શકે એ માટેની અનુકૂળતા બનાવવાની છે. મેક ઇન ઇન્ડિયા માટે અનુકૂળતા પેદા કરવાની બાકી છે. અનેક કાયદાઓમાં સુધારાઓ કરવા જરૂરી છે. નીતિ આયોગની અધૂરી રચનાને પૂરી કરવાની બાકી છે. વિદેશોમાં સહી કરવામાં આવેલા સો જેટલા સમજૂતીના મુસદ્દાઓ(મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ)ને કાયદાકીય કે કાયમી ઍગ્રીમેન્ટમાં ફેરવવાનું બાકી છે. વડા પ્રધાન તરીકે સફળ નીવડવા માટે નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે એટલાં ચડેલાં કામ કરવાનાં છે કે આવી ફાલતુગીરી માટે સરકાર પાસે સમય જ ન હોવો જોઈએ.

દેશનું દુર્ભાગ્ય છે કે આ સરકાર પાસે આવાં કામો માટે પુષ્કળ સમય અને શક્તિ બન્ને છે. તીસ્તા સેતલવાડને સતાવવા માટે સમય છે; ખાનગી સ્વયંસેવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવા માટે અને એના પર નજર રાખવા માટે સમય છે; અશ્લીલ વેબસાઇટો પર પ્રતિબંધ મૂકવા માટે સમય છે; સામૂહિક યોગાસનોનો ખેલ યોજવા માટે સમય છે; શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં સંઘના હિન્દુત્વવાદીઓની ભરતી કરવા માટે સમય છે; ગુજરાતના, માલેગાંવના, સમઝૌતા એક્સપ્રેસના ગુનેગારોને બચાવવા માટે સમય છે. કોણ કહે છે કે નરેન્દ્ર મોદીની સરકાર કામ નહીં કરતી સરકાર છે? બસ, પ્રાથમિકતાઓ જુદી છે.

ચૅનલોને નોટિસ મોકલનારા કેન્દ્રના પ્રધાન અરુણ જેટલીએ હજી થોડા દિવસ પહેલાં ઇમર્જન્સીની ૪૦મી વરસી નિમિત્તે ઇન્દિરા ગાંધીની દેશ પર ઇમર્જન્સી લાદવા માટે નિંદા કરી હતી અને ખુલ્લા સમાજનો મહિમા કર્યો હતો. એ તો જાણે ઠીક છે, પ્રધાનોને બે મોઢે બોલવાની આદત હોય છે અને એમાં અરુણ જેટલી અને ટેલિકમ્યુિનકેશન ખાતાના પ્રધાન રવિશંકર તો વકીલ છે એટલે બે મોઢે બોલવાની વિશેષ આવડત ધરાવે છે. ત્યારે મહત્ત્વની વાત અરુણ જેટલીએ એ કહી હતી કે અત્યારના યુગમાં મીડિયાનું મોં બંધ કરવું એ અવ્યવહારુ ચેષ્ટા ગણાશે. ચાલીસ વર્ષ પહેલાં સેન્સરશિપ શક્ય હતી જે હવે નથી. આ ઓપન કમ્યુિનકેશનનો યુગ છે. ટેક્નૉલૉજીએ નિયમનોને નિષ્પ્રભાવી બનાવી મૂક્યાં છે.

આમ છતાં ચૅનલોને નોટિસો મોકલવામાં આવે છે, બીજા પ્રતિબંધો મૂકવામાં આવે છે એનું કારણ એ છે કે યુગ બદલ્યો છે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તૈયાર થયેલા લોકોનું માનસ નથી બદલાયું. તેમના સંસ્કાર પ્રાચીનયુગીન આધિપત્યવાળા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 11 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-11-8-2015-6

Loading

ફેઈસબૂકનું અવનવું

યોગેન ભટ્ટ|Opinion - Opinion|11 August 2015

જી.એલ.એસ. કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના નિવૃત્ત અધ્યાપક યોગેન ભટ્ટ ‘અભિદૃષ્ટિ’ના મિત્ર છે. કમ્પ્યૂટર્સની દુનિયાના એક અચ્છા જાણકાર, પ્રશંસક અને અભ્યાસી છે. ‘અભિદૃષ્ટિ’ તરફ પ્રેમભાવે તેમણે આ અગાઉ પણ એક લેખ શ્રેણી આપી છે તે લેખશ્રેણીના અનેક લાભ વાચકમિત્રોને થયા છે. આ સમય માહિતી અને જ્ઞાનના વિસ્ફોટનો છે. જગત આખું અત્યંત ઝડપથી બલદાતું જાય છે. તેવા સમયે અધ્યાપકોની સજ્જતા અને સમજ પણ ઝડપથી આધુનિક થતાં રહે તે પણ જરૂરી છે. આ સંજોગોમાં યોગેન ભટ્ટની આ લેખ શ્રેણી બહુમૂલ્ય બને છે. છેક કૅનેડાના ટોરેન્ટો શહેરમાંથી આ લેખમાળા માટે ખંતપૂર્વકના અભ્યાસ સાથે યોગેન ભટ્ટ આપણને આ લાભ આપી રહ્યા છે. તેની કદર કરીએ તેટલી ઓછી ! આશા છે, સૌ વાચકો તેનો પૂરેપૂરો લાભ લેશે.               

– રોહિત શુક્લ, તંત્રી, ‘અભિદૃષ્ટિ’

આજકાલ ફેઈસબૂક તે સૌને હૈયે વસેલું એક નામ છે. ભાગ્યે જ કોઈ કમ્પ્યૂટર કે મોબાઈલ ફોનધારક એવો હશે કે જેની આંગળીઓ ફેઈસબૂકનાં પાનાં ઉપર રમતી નહીં હોય. આખા વિશ્વના કોઈપણ ખૂણે રહેલા સગાંવહાલાંઓ, મિત્રો, ઓળખીતાંપાળખીતાંઓ કે ઈવન અજાણ્યા લોકો સાથે સંપર્કો ઊભા કરવા કે જાળવી રાખવામાં સોશ્યલ મીડિયાની જાયન્ટ કમ્પની ફેઈસબૂકની તોલે આવે તેવું કોઈ લોકપ્રિય માધ્યમ જડે તેમ નથી. હજ્જારો લોકો સતત આ સાઈટ ઉપર પોતાની અંગત કે બિનઅંગત વાતો, વિચારો, અભિપ્રાયો, આશાઓ, અરમાનો, લાગણીઓ, પૂર્વગ્રહો કે પક્ષપાતો ઠાલવતા રહે છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનાના આંકડા મુજબ ફેઈસબૂકના સક્રિય વપરાશકારોની સંખ્યા ૧.૪૪ billion અર્થાત્ એક અબજ અને ચુમ્માળીસ કરોડને વટાવી ચૂકી છે. સમગ્ર વિશ્વમાં આ બાબતમા ભારત બીજે નંબરે આવે છે. અને એક અંદાજ મુજબ ઈ.સ.૨૦૧૭ સુધીમાં આપણો દેશ ફેઈસબૂક મોબાઈલ યુજર્સની બાબતમાં અમેરિકાને પણ વટાવીને પ્રથમ ક્રમે પહોચી જશે. સ્માર્ટ ફોનના આગમન પછી તો ફેઈસબૂકે જાણે કે ચોતરફથી દુનિયા સર કરી લીધી છે.  

ફેઈસબૂકની લોકપ્રિયતા વિષેની વાત માંડીને કરવા જઈએ તો એક દળદાર પુસ્તક જેટલી માહિતી એકઠી થઈ જાય પણ આ લેખનો હેતુ જુદો છે. મોટા ભાગના નેટિઝન્સ ફેઈસબૂકનો ઉપયોગ કેવળ એક સોશ્યલ મીડિયા તરીકે જ કરે છે અને મિત્રોને હાય હેલ્લો કરવા, ગામ આખાની ચોવટ કરવા કે ફોટા અને વીડિયોની આપ-લે કરવાથી વિશેષ આગળ નથી વધતા. પરંતુ આ લેખકના મત મુજબ ‘અભિદૃષ્ટિ’ના વાચકો અને પ્રાધ્યાપકો તરીકે આપણો સંબંધ ફેઈસબૂકના શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક ઉપયોગ સાથે વધારે હોવો જોઈએ.

સામાન્ય રીતે આપણે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તેનો સૌથી દેખીતો અને સરળ રાજમાર્ગ તે ગૂગલ છે. સંશોધનોને લાગેવળગે ત્યાં સુધી તો ગૂગલ એક એવી ચાવી છે કે જે જ્ઞાન અને માહિતીના પટારાના ભલભલા મજબૂત તાળા ખોલી નાખે છે. એક સર્ચ એન્જિન તરીકે ગૂગલની તોલે બીજુ કોઈ આવી શકે તેમ નથી એટલે ક્લાસ રૂમ વ્યાખ્યાન માટે સુસજ્જ થવા માટે કે પછી કોઈ સંશોધન પેપર તૈયાર કરવા, એમ.ફિલ. કે પીએચ.ડી. માટેની થિસિસ તૈયાર કરવા સૌ ગૂગલને શરણે પહોચી જાય છે. પણ તમને એ ખબર છે કે જ્ઞાનપ્રાપ્તિના અન્ય વૈકલ્પિક માર્ગો પણ નેટ ઉપર ઉપલબ્ધ છે? તમને એ પણ ખબર છે કે ફેઈસબુક પણ તમારી શૈક્ષણિક સજ્જતાને વધારવામા મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે ? જો તમને આ વાતની ખબર ના હોય તો (અને ખબર હોય તો પણ) આ લેખ તમારા માટે છે.

તો ચાલો હવે એક શૈક્ષણિક દૃષ્ટિકોણથી ફેઈસબૂક વિષે વાત કરીએ.

Graph Search :  ફેઈસબૂકની શરૂઆતમાં તેને માટે સર્ચ તે અગત્યનો વિષય ન હતો. પણ સતત કંઈ નવું કરી બતાવવામાં અને ઇન્ટરનેટ ઉપરની ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે ઈ.સ. ૨૦૧૩ના માર્ચ મહિનામાં ફેઈસબૂકે ગ્રાફ સર્ચની વિભાવના અમલમાં મૂકી અને તેની સાથે જ ઇન્ટરનેટ સર્ચ પ્રવૃત્તિના નવા કમાડ ખૂલી ગયા.

તો શુ છે આ ગ્રાફ સર્ચ ?

આ બાબત સમજવા માટે થોડા પાછળ જઈને આપણે સૌ પ્રથમ ગૂગલ સર્ચની વાત કરવી પડશે. તમે જાણો છો કે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવા માટે હાલમાં ગૂગલ સર્ચ એન્જિન તે સૌથી વધુ પાવર ફૂલ, પ્રચલિત અને લોકપ્રિય સાધન છે. કશું પણ સર્ચ કરવા માટે તેના સર્ચ બોક્સમાં જરૂરી શબ્દો ટાઈપ કરવાથી ગૂગલ તેની સાથે સંકળાયેલ વેબલિંક તરફ દોરી જાય છે. જેમાંથી તમે ક્રમશઃ આગળ વધતા વધતા સંતોષકારક જવાબ સુધી પહોંચી શકો છો. અહીં તમે સર્ચ બોક્સમાં જે શબ્દો ટાઈપ કરો તેને “key words” કહેવાય છે. આનાથી વિરુદ્ધ ફેઈસબૂકના ફ્રન્ટ પેઈજ ઉપરના મથાળે રહેલા સર્ચ બોક્સમાં તમે સીધો, રોજિંદી વાતચીતની ભાષા(natural language)માં પુછાય તે રીતે પ્રશ્ન પૂછી શકો છો. જેમ કે

• Which is the best Chinese restaurant in Ahmedabad.

• Who are the clinical psychologists in Surat.

• People for and against English medium in Gujarat.

• Journalists who live in Ahmedabad.

આ પ્રકારના પ્રશ્નો ટાઈપ કરતાની સાથે જ જે લોકો કોઈને કોઈ રીતે જે તે બાબત સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય કે ફેઈસબૂક ઉપર આ અંગેનાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હોય કે આવી કોઈ ચર્ચામાં ભાગ લીધો હોય, ફોટા કે વીડિયો મૂકી હોય તે તમામનાં નામ અને પોસ્ટિંગ પડદા ઉપર ઝબકવા માડે છે. ઘણી વાર આવી માહિતી અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે છે. જેમ કે જો તમે જર્નાલિઝમના વિદ્યાર્થી, પ્રાધ્યાપક કે સંશોધક હો અને તમારે અમદાવાદમાં રહેતા પત્રકારો વિષે કે તેમનાં લખાણો વિષે માહિતી જોઈતી હોય તો ફેઈસબૂકની ગ્રાફ સર્ચ તમારે માટે હાથવગું સાધન પુરવાર થઈ શકે છે.

ફેઈસબૂક ગ્રાફિક સર્ચમાં પૂછાતા સવાલોના જવાબો કેવી રીતે શોધી કાઢે છે તે જાણવું પણ રસપ્રદ છે. જ્યારે તમે સૌ પ્રથમ વાર ફેઈસબૂકમાં સાઈનઅપ કરીને તેના સભ્ય બનો છો ત્યારે ફેઈસબૂકના ફોર્મમાં તમારે તમારા વિષેની વિગતવાર માહિતી પૂરી પાડવાની રહે છે. જેમાં તમારું નામ, ઉંમર, જન્મતારીખ, જાતિ એટલે કે gender, તમે કયા ગામના રાજ્યના અને કયા દેશના છો અને હાલમાં ક્યાં રહો છો, તમે અભ્યાસ કર્યો હોય તે શાળા, કોલેજ, યુનિવર્સિટી, તમારો વ્યવસાય, તમારા શોખના વિષયો, તમારી વાંચન કે અન્ય મનોરંજન પ્રવૃત્તિઓ, તમારો રાજકીય, ધાર્મિક, સૈદ્ધાંતિક કે આધ્યાત્મિક અભિગમ, આવી ઘણી બધી માહિતી તમારે આપવાની હોય છે. આ માહિતીને આધારે ફેઈસબૂકના ડેટાબેઈઝમાં તમારું એક પ્રોફાઈલ તૈયાર થાય છે. ફેઈસબૂકની પરિભાષામાં “ગ્રાફ” એટલે આ ડેટાબેઈઝ. યાદ રાખો, આ વાત માત્ર આટલેથી જ અટકતી નથી. તમારા પ્રોફાઈલમાં વિગતો ઉમેરવાનુ બીજુ સ્રોત છે તમારું ફેઈસબૂક કમ્યુિનકેશન. એક વાર ફેઈસબૂકના મેદાનમાં આવ્યા પછી તમે સતત નવા નવા મિત્રો બનાવતા જાવ છો અને તેમની સાથેના વ્યવહારમાં તમારી Likes દર્શાવો છો, Comments કરો છો, અભિપ્રાયો વ્યક્ત કરો છો, ગમા અણગમા પ્રદર્શિત કરો છો. તમારા કુટુંબીજનો, સગાંવહાલાં, મિત્રો, ગમતા નેતા-અભિનેતાની તસવીરો કે વીડિયો પોસ્ટ કરો છો. પ્રવાસોની વિગતો આપીને તમારા ફેમિલી સાથે કે મિત્રો સાથેના ફોટાઓ શેર કરો છો. તમારી ગમતી શેરો શાયરીઓ રમતી મૂકો છો. આ બધુ તમે શોખથી કે ગમ્મત ખાતર ફેઈસબૂક ઉપર મૂક્યે જતા હો છો અને તેનો સૌથી વધુ ફાયદો તો ફેઈસબૂકને જ મળે છે. ફેઈસબૂક આ બધી બાબતોને પોતાના ડેટાબેઈઝમાં અપડેટ કરતું રહે છે અને તમારા પ્રોફાઈલને સમૃદ્ધ બનાવતું જાય છે. યાદ રાખો કે તમારી અમુક બાબતો તમે ફેઈસબૂક સાઈનઅપ કરતી વખતે જાહેર ન કરી હોય તેમ છતાં તમારા અન્ય લોકો સાથેના વિનિમયને આધારે ફેઈસબૂકની બાજનજર તેને પકડી લે છે અને તમારા પ્રોફાઈલમાં સમાવિષ્ટ કરી નાખે છે.      

આવા તો કરોડો પ્રોફાઈલસ ફેઈસબૂકના ડેટાબેઈઝમાં સંગ્રહાયેલા પડ્યા છે. આ ડેટાબેઈઝ તે ફેઈસબૂકનું મૂળભૂત પ્લેટફોર્મ છે. હવે તમે જ્યારે ફેઈસબૂકને કોઈક માહિતી પૂછો છો ત્યારે તમારા સવાલના સંદર્ભમાં આ ડેટાબેઈઝમાં વિવિધ સંયોજનોને આધારે ખોળંખોળા કરીને ફેઈસબૂક ફટ્ટાક દઈને ક્ષણાર્ધમાં જરૂરી જવાબ સાથે હાજર થઈ જાય છે. દા.ત. તમે એવો પ્રશ્ન પૂછો કે “Who are ‘Mukesh’ fans in vadodara ?” તો જે ફેઈસબૂકના વડોદરાના મેમ્બર્સે પોતાના પ્રોફાઈલમા ‘મૂકેશ’ના ફેન તરીકે પોતાની ઓળખાણ આપી હોય તે તમામ માહિતી હાજર થઈ જાય છે. એટલું જ નહીં પણ વડોદરામાં મુકેશનાં ગીતોના જે પ્રોગ્રામ્સ થયા હોય અને ફોટા કે વીડિયો જો કોઈએ ફેઈસબૂક ઉપર અપલોડ કરી હોય તો તે પણ આવી જાય છે. ટૂંકમાં ‘મૂકેશ’ નામનો આખો અન્નકૂટ અહીં હાજર થઈ જાય છે. તમારી જરૂરિયાત અને મરજી મુજબની જે કોઈ વાનગી તમારે આરોગવી હોય તે આરોગો. જો કે અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે તમે સર્ચમાં માત્ર ‘મૂકેશ’ એટલું જ નામ લખો તો બને કે તે મૂકેશ શાહ, મૂકેશ પ્રજાપતિ, મૂકેશ દેસાઈ એવાં અનેક નામો સાથે હાજર થઈ જશે. ફેઈસબૂકને કેવી રીતે ખબર પડે કે તમે ફિલ્મી ગાયક મૂકેશની વાત કરી રહ્યા છો ? આખી વાતનો મતલબ એ કે સાચો જવાબ મેળવવા માટે તમને સાચો પ્રશ્ન પૂછતા પણ આવડવો જોઈએ. જો તમે એમ પૂછ્યું હોત કે  “Who are playback singer Mukesh fans in Vadodara ?” તો તમને સચોટ જવાબ મળત. તમારો સવાલ જેટલો pointed હોય તેટલો pointed જવાબ તમને મળે.

ગ્રાફ સર્ચ કેવી રીતે કામ કરે છે તેની વાત કર્યા પછી આ ટેકનિકનો આપણી શૈક્ષણિક સજ્જતા વધારવામાં, સંશોધનોમાં, પેપર્સ કે થિસિસ તૈયાર કરવામાં અને શિક્ષણ સમુદાય સાથે નવા સંપર્કો બનાવવામાં કેવી રીતે લાભ લઈ શકાય તે જોઈએ. ધારો કે તમે ગ્લોબલ વોર્મિંગની સાથે સંકળાયેલા વિદ્યાર્થી, શિક્ષક, કે સંશોધક હો અને તમે ફેઈસબૂકના સર્ચબોક્સમાં “global warming researches in India” તેવું ટાઈપ કરો એટલે આ બાબત સાથે સંકળાયેલ તમામ સંશોધકો, સરકારી અધિકારીઓ, પ્રાધ્યાપકો, એક્ટિવિસ્ટ અને તેમણે ગ્લોબલ વોર્મિંગ વિષે કરેલા પોસ્ટિન્ગ્સ, તેમની કોમેન્ટ્સ, તેમના અભિપ્રાયો, અનુભવો, તેમણે એટેન્ડ કરેલ કોન્ફરન્સ, વર્કશોપ્સ, સેમિનારો અને તેમા રજૂ કરેલા પેપર્સ વગેરેની માહિતી ઉપલબ્ધ થઈ શકે છે. વધુમાં તેમના પ્રોફાઈલમાં જઈને તેમનું ઈ-મેઈલ એડ્રેસ મેળવી અથવા તો તેમને Friends request મોકલીને તેમનો સીધો સંપર્ક કરી શકાય છે. ઘણી વાર તો કોઈક અંતરિયાળ ગામડામાં બેઠા બેઠા કોઈ સંશોધક એકલપંડે કોઈ સંશોધન કરી રહ્યા હોય તો તેની આપણને જાણ પણ હોતી નથી, પણ આવી જાણકારી ફેઈસબૂક તમને પલકભરમાં આપી શકે છે. આ લોકો  સાથે એક વાર સંપર્ક ઊભો કર્યા પછી તેમની સાથે સક્રિય વિનિમય કરીને એકબીજાના સંશોધનોને સમૃદ્ધ કરી શકો છો.

“ફેઈસબૂકનું અવનંવુ” તે લેખમાળાના આ પ્રથમ મણકામાં આ વખતે માત્ર આટલુ જ. હજી ફેઈસબૂકના પટારામાં બીજા અનેક રત્નો છુપાયેલા છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો કે જ્ઞાનપ્રાપ્તિના સર્વ રાહગીરો માટે ફેઈસબૂકની અન્ય કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે તેની રસપ્રદ વાતો હવે પછીના હપ્તાઓમાં કરીશું.

દરમ્યાનમાં માત્ર એક જ વિનંતી કે આ લેખ માત્ર વાંચીને સંતોષ મેળવવાને બદલે જાતે ફેઈસબૂક ઉપર જઈને તેના સર્ચ બોક્સમાં જાતજાતના સવાલો પૂછીને trial-error દ્વારા ગ્રાફ સર્ચ અંગે મહાવરો કરતા રહેશો તો તમારી એકેડેમિક સજ્જતા વધારવામાં ફેઈસબૂક કેટલું ઉપયોગી સાધન બની શકે છે તેનો વાસ્તવિક ખ્યાલ આવી શકશે.

Best wishes for the productive graph search.          

e.mail : ybhatt@yahoo.com

ટોરેન્ટો, કેનેડા

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અૉગસ્ટ 2015, પૃ. 11-13

Loading

શબ્દ જોડે બિરાદરી

કનુભાઈ જાની|Opinion - Literature|11 August 2015

આપણે ઘણીવાર એક એવો શબ્દ વાપરીએ છીએ જે અતિ પ્રાચીન હોય છે, એનો પ્રાચીન અર્થ (કે એના પ્રાચીન અર્થો) જાણ્યા વિના, ફટ લઈને એને અર્વાચીન અર્થમાં બેસાડી દેતાં હોઈએ છીએ, ત્યારે મોટી ગરબડ ઊભી થાય છે. દા.ત શબ્દ ‘અર્થ’. મહાભારતના એક પ્રસંગે એ વપરાયો, તેને નવા અર્થમાં બેસાડી દીધો, અને ભૂલમાં ભલે, પણ અનર્થ જ થઈ ગયો. પ્રસંગ મજાનો છે.

મહાભારત-યુદ્ધને અટકાવવા વિષ્ટિકાર તરીકે ખુદ કૃષ્ણ ગયા, કાંઈ ન વળ્યું ! કર્ણને એના જન્મની જાણ કરીને ‘ફોડવાનો’ પ્રયત્નેય નિષ્ફળ ગયો. કુંતા પણ એમાં નિષ્ફળ ગયાં ! યુદ્ધનાં દુંદુભી ગડગડ્યા. સૈન્યો સામસામે ગોઠવાયાં. ત્યારે વળી સ્વજનોની સામે લડવામાં અર્જુનનું મન માન્યું નહીં. એને ય કૃષ્ણે સમજાવી દીધો : ‘આ ધર્મ જ છે.’

તે પછી, યુદ્ધ શરૂ થવામાં છે ત્યાં યુદ્ધિષ્ઠિરને થયું કે આવડું મોટું કામ આરંભીએ છીએ, ત્યારે મોટેરાંને – વડીલોને પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા વિના તો કેમ ચાલે ? ને વડીલો તો હતા સામે પક્ષે ! છતાં ગયા ! આવું ભારતમાં જ બને ! જઈને દ્રોણ અને ભીષ્મને પગે પડ્યા ! એ આખો ય પ્રસંગ વિગતે વાંચવા જેવો છે; અહીં સ્થળ સંકોચ તો અત્યારથી અનુભવું છું ! મુખ્ય વાત પર આવું. વડીલોએ ય આશીર્વાદ આપ્યા ને ‘યુદ્ધમાં જય થાય’ એ સિવાયનું જે માગવું હોય તે માગવા પણ કહ્યું ! ને યુદ્ધિષ્ઠિરે માગ્યું ય એવું ! જાતે જાણજો ! − પણ આ પ્રસંગે આ મોટેરાં, પણ શિષ્યને પોતાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં કહે છે :

अर्थस्य पुरुषो दासो, दासस्त्वर्थान् न कदाचित।
इति सत्यं महाराज, बद्धौस्म्यर्थेन कौरवे:।।

અહીં ‘અર્થ’નો ઘણાખરાએ અર્થ કર્યો છે ‘પૈસો’, ‘ધન’ ! આ ભીષ્મ ને દ્રોણ, આજની જેમ રાજપુરુષોના પૈસાની, ધનની લાલચે વેચાઈ ગયેલા હોય ખરા ? તો પછી, ‘અર્થ’નો અહીં શો અર્થ હશે ? એ કાળે ચલણમાં નાણું હતું ખરું?

આ પ્રશ્ને કૃષ્ણપ્રેમી હરીન્દ્ર દવેને ય મૂંઝવ્યા છે. એમનું ‘શ્રીકૃષ્ણ અને માનવસંબંધો’ પુસ્તક વાંચવા જેવું છે. એમની માફક મને ય થયું ચાલો, કોશો જોઈએ. વત્તા, થયું કૌટિલ્યે ય ‘અર્થશાસ્ત્ર’ શબ્દ વાપર્યો છે ! મોંનિયેર, આપ્ટે વગેરે કોશો 25-30 અર્થો આપે છે; તો આપણા ‘ભગવદ્દગોમંડળ’માં 32 અર્થો છે. કૌટિલ્યે ‘જીવનવ્યવહાર’ (રાજ્યવ્યવહાર સહિત) એવા અર્થમાં ‘અર્થ’ શબ્દ વાપર્યો છે. ભારતીય જીવન વ્યવસ્થામાં ચાર ધ્યેયો કે વ્યવહાર ક્ષેત્રો ગણાવવામાં આવ્યા છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષ. ત્યાં પણ જીવનવ્યવહાર (માનવ – માનવ વચ્ચેનો વ્યવહાર) એવો અર્થ છે. કોશે આપેલ વિવિધ ને પચાસેક અર્થોમાં એક ‘અર્થ’ જે ‘પ્રાર્થના’ શબ્દમાં પણ છે તે – વિનંતી, અરજી, વચન ! કૌરવે આ બેયને વેણે બાંધી લીધા છે કે તમારે અમારી સાથે રહેવાનું છે. એ જ જાણે છે કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે; છતાં વેણે બંધાયા : પેલા શ્લોકનો આમ અર્થ થાય :

માનવી જ્યારે વચન કે વેણથી, અમુક વ્યવહાર માટે, બંધાય છે ત્યારે વેણ બાબતે તો જે થવાનું હોય તે જ થાય છે ! વેણ / વ્યવહાર કોઈના બાંધેલાં નથી ? દ્રોણ – ભીષ્મ (અને કર્ણાદિ પણ !) જાણતા જ હતા કે જ્યાં કૃષ્ણ હોય ને ‘ધર્મ’ હોય (સત્ય હોય) ત્યાં જ જીત હોય. કૃષ્ણ પાસે ય સહાય માગવા દુર્યોધન પહોંચ્યો હતો, ને કૃષ્ણે વિકલ્પ આપ્યો હતો કે શસ્ત્રવિહીન હું કે મારું સશસ્ત્ર મોટું સૈનિક − બેમાંથી એક માગ ! એ વ્યવહાર હતો. દ્રોણના શ્લોકનો હું પદ્યાનુવાદ આમ કરું.

“માનવી વેણનો દાસ, વેણ ન દાસ કોઈનું;
એ જ સત્ય મહારાજ ! બંધાયા વેણ – કૌરવે !”

સૌજન્ય : “બિરાદર”, જુલાઈ 2015, પૃ. 12

Loading

...102030...3,7973,7983,7993,800...3,8103,8203,830...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved