Opinion Magazine
Number of visits: 9552494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતરત્ન વાજપેયીની સાખે ભૂતકાળમાં ડોકિયું

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 March 2015

 અટલબિહારી વાજપેયી

23 માર્ચ : પાકિસ્તાન દિન, શહીદ સ્મૃિત, લોહિયા જયંતી … બધું આવ્યું એવું ગયું અને વી.કે. સિંહનાં ટિ્વટરિયાંમાં ડૂબી ગયું

પાકિસ્તાન દિવસ, અને તે પણ બરાબર એની પંચોતેરીનો દિવસ (23 માર્ચ, 1940 : 23 માર્ચ, 2015) આવ્યો અને ગયો! દેશજનતાને એનાં ઓસાણ કેવાં ને કેટલાં હશે એ તપાસનો વિષય છે. અલબત્ત, કેવાંક હોવાં જોઈએ એ સમજની બાબત છે. આમ જનતા તો ખેર છોડો, હાલનો જે રાજકીય-શાસકીય અગ્રવર્ગ છે એની કને પણ પરિપ્રેક્ષ્યને મોરચે કેવોક પુખ્ત અભિગમ છે એની કોઈ પતીજ આજની તારીખે તો નથી. જે ઊહાપોહ થયો હમણાં, વિદેશ રાજ્ય મંત્રી પૂર્વ જનરલ વી.કે. સિંહે પાકિસ્તાન દિવસ નિમિત્તે પાક હાઇ કમિશનની પાર્ટીમાં ભાગ લીધા સબબ, તે આનું જ એક ઉદાહરણ છે. બચાડા સિંહ જતાં શું ગયા, પણ ટીકાભાજન બન્યા એટલે ઉપરાછાપરી ટિ્વટર્યા : પહેલું ટિ્વટ કીધું, ‘ડ્યુટી’ શું કરીએ ભાઈ, ફરજના માર્યા પાર્ટીમાં મુઆ’તા. પણ પેલો ઊહાપોહ તો જારી હતો એટલે વળી બીજું ટિ્વટ કીધું, “ડિઝાસ્ટર”. શું કરીએ ભાઈ, અકારું લાગે છે ને બકારી છૂટે છે, એવું જ કાંક ને. (જો કે, નિર્ણય તો વિદેશ મંત્રાલયનો જ હતો કે પાર્ટીમાં સામેલ થવું જોઈએ.)

મુદ્દે, પાકિસ્તાનના અસ્તિત્વ સાથે વાસ્તવિકતાના સ્વીકારને ધોરણે જે ‘સમાધાન’ સધાવું જોઈએ તે અખંડ ભારતની હિન્દુત્વ સ્કૂલને સારુ સહજ સાધ્ય નથી. ધરમમજહબને ધોરણે દેશની વ્યાખ્યા કરીએ ત્યારે એક પા ‘અખંડ ભારત’ તો બીજી પા ઝીણાનો 1947નો ‘સેક્યુલરવાદ’, બેઉ ઓછાં ને પાછાં પડે છે એ ઈતિહાસવસ્તુ હિન્દુત્વ સ્કૂલે લક્ષમાં લીધી નથી. જવાહરલાલ નેહરુએ પાકિસ્તાનને ‘ફેકટ ઓફ લાઈફ’ કહીને જે નીતિ વિકસાવવા ચાહી એની સળંગ ટીકા પર જનસંઘ વિકસ્યો. જો કે, જ્યારે 1998-1999માં ભાજપી વડપણ હેઠળ એન.ડી.એ. સરકારને સત્તાયોગ થયો, ત્યારે વાજપેયીએ આ અભિગમની મર્યાદા સમજી એમાં સંસ્કરણની કોશિશ ચોક્કસ જ કરી હતી. પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત દરમિયાન વડાપ્રધાન વાજપેયીએ ચહીને, ‘મિનારે પાકિસ્તાન’ જવું સ્વીકાર્યું હતું.

બેલાશક, વાજપેયીને પક્ષે આ નિર્ણય એમના નીંભાડા અને સંઘાડાનાં ઉછેરગત કારણોસર મનોવૈજ્ઞાનિક રીતે અઘરો હતો. પણ એમણે વાસ્તવિકતા પ્રીછી, અને એમની લોકપ્રિયતા ને સ્વીકૃતિ જોતાં સંઘશ્રેષ્ઠીઓએ ખમી ખાધું. બાકી, સમજ તો સ્થગિત જ હતી એ, પછીથી, અડવાણીના ઝીણાયન વખતે એકદમ સાફ થઈને સામે આવ્યું. ગમે તેમ પણ, પાકિસ્તાન દિવસની વાત કરતે કરતે વાજપેયી સાંભરી આવવા પાછળનો તત્કાળ ધક્કો ‘ભારતરત્ન’ના અર્પણનો પણ છે. પ્રશ્ન એ છે કે વાજપેયીને ‘ભારતરત્ન’ વતી પોંખ્યાથી પોતે કોઈક રાજકીય સ્કોર હાંસલ કર્યા માત્રની ભા.જ.પ.ની સમજ છે, કે પછી આ સીમિત સમજને વટીને વાજપેયીના વ્યાપક હોઈ શકતા અભિગમને અંગે કશીક કદરબૂજ(અને એ ધોરણે કથિત સંઘપરંપરા પરત્વે પુનર્વિચાર)ની યે ગુંજાશ છે? અહીં પાકિસ્તાનની છેક કાશ્મીર પરના કથિત કબાઈલી આક્રમણથી માંડીને કારગિલ કાંડ અગર આતંકવાદને પનાહની ચેષ્ટાઓનો કોઈ બચાવ અલબત્ત અભિપ્રેત નથી. રાજ્યે, રાજ્ય તરીકે આવે પ્રસંગે પ્રતિકાર- જરૂર પડ્યે પહેલ પ્રતિકાર-ના પ્રસંગો નિપટાવવા રહે છે. શુચિર્દક્ષ શાસનનો એ તકાજો પણ છે કે તમે હિંદુરાષ્ટ્ર વિ. મુસ્લિમ વતનની માનસિકતાથી ઊંચે ઊઠીને કેટલું જોઈ શકો છો, કેટલે જઈ શકો છો.

આ જ 23 માર્ચ, અને તો, ભગતસિંહની શહાદતનોયે દિવસ છે, અને વડાપ્રધાન મોદી તે નિમિત્તે ખાસ કાર્યક્રમમાં સામેલ પણ થયા હતા. ભગતસિંહની જન્મભૂમિ તો પાકિસ્તાનમાં લાયલપુર પંથકના બંગા ગામમાં છે, અને એમને દેહાંત દંડની સજા જેને આગળ કરીને કરાઈ તે એફ.આઈ.આર. લાહોરના અનારકલી પોલીસ થાણામાં દર્જ થઈ હતી. પણ વાત આપણે પાકિસ્તાન દિવસ અને શહાદત દિવસ એક જ તારીખે (ભલે અલગ અલગ સાલમાં) હોવાના જોગાનુજોગની કરતા હતા. તમે જુઓ કે આ જ તારીખે પાકિસ્તાનમાં શાંતિ ને પ્રગતિ ચાહતા ઈન્કિલાબી તરુણોએ એકત્ર થઈ ભગતસિંહને વિશેષરૂપે સંભાર્યા હતા. સરહદોને વટી જતી માનવીય ક્રાંતિભૂમિકા એમની હતી. હમણાં જે એફ.આઈ.આર.ની જિકર કરી તેમાં સાન્ડર્સની હત્યાનો (જેને નામે ભગતસિંહને ફાંસી થઈ હતી, એનો) ઉલ્લેખ જ નથી એટલે આખો ખટલો ખોટે પાયે હતો એ પણ આ તરુણોનું કહેવું છે. ભગતસિંહને ‘શીખ’ જેવી સીમિત ઓળખમાં ખતવી નાખવા બાબતે પણ તેઓ સચેત અને સંચિત છે.

અને હા, 23 માર્ચ એટલે લોહિયાનો જન્મદિવસ! એ લોહિયા જેમણે દીનદયાલને સમજાવીને ‘ભારત-પાક અર્ધ સમવાય’નો ખયાલ સંયુક્ત નિવેદનરૂપે આગળ કર્યો હતો … સમજાય છે? ન અખંડ ભારત, ન હિંદુ રાષ્ટ્ર, પણ અર્ધ સમવાય. ભારતની જેમ સેક્યુલર વલણ નહીં લઈ શકવાથી પાકિસ્તાને કેટલું વેઠવું પડ્યું એનો પાઠ આપણી નજર સામે હોવો જોઈશે. પાકિસ્તાનનાં જાગ્રત બૌદ્ધિક-નાગરિક વર્તુળો જ્યારે પથસંસ્કરણ અને દોષદુરસ્તીને ધોરણે આગળ જઈ રહ્યાં છે ત્યારે ‘અચ્છે દિન’ સ્કૂલ જો પ્રતિગામી માનસિકતાથી ચાલશે તો તે મે 2014ના ચુકાદા સામે આપણા પ્રજાસત્તાક સ્વરાજને હાણ પહોંચાડતો કમનસીબ કિસ્સો બની રહેશે.

લેખક વરિષ્ઠ પત્રકાર  છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28 માર્ચ 2015

Loading

ભૂતકાળને સાદર સંભારીએ, ભાવિને સાથે મળી ઘડીએ

આશા બૂચ|Opinion - Opinion|27 March 2015

2014ની સાલથી, પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દી ઠેકઠેકાણે અવનવી રીતે ઉજવાઈ રહી છે. અભિન્ન ભારતના ભૂતપૂર્વ સૈનિકોના એસોસિયેશન તરફથી Battle of Neuve Chapelleમાં (ફ્રાંસ), ભારતીય સૈનિકોના પ્રદાનને બિરદાવવા, તેની શતાબ્દીને દિવસે જ એટલે કે 10મી માર્ચની સંધ્યાએ, ઈમ્પીરિયલ વોર મ્યુિઝયમ નોર્થ – સોલફર્ડ ખાતે એક શાનદાર સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું.

મ્યુિઝયમના પ્રવેશ દ્વાર પાસે શીખ અને ગુરખા રેજિમેન્ટના સૈનિકો પોતાના દરવેશમાં સજ્જ થઈને ખરેખર 100 વર્ષ પહેલાંનું દ્રશ્ય ખડું કરતા હતા. કાર્યક્રમ શરૂ થયો તે પહેલાં એ લડાઈમાં ભાગ લીધેલા સૈનિકોના બીજી-ત્રીજી પેઢીના કુટુંબીજનો, વર્તમાન સમયમાં લશ્કરની ત્રણેય પાંખોમાં હાલમાં સેવા આપતા સૈનિકો, નિવૃત્ત થયેલા અધિકારીઓ, અને અન્ય અનુબંધ ધરાવતા સંગઠનોના પ્રતિનિધિઓ મળીને કુલ લગભગ પાંચસોથી વધુ લોકો એકબીજા સાથે પરિચય કેળવતા હતા. તે વખતે પીરસાયેલો અલ્પાહાર તમામ શાકાહારી હતો અને પીણાંમાં પણ માત્ર ફળોના રસનો જ સમાવેશ હતો, તેની મેં ખાસ નોંધ લીધી. ઈમ્પીરિયલ વોર મ્યુિઝયમ – સોલફર્ડના મુખ્ય પ્રદર્શન ભવનની દીવાલો પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતા પાયદળ અને હયદળના બહાદુર જવાનોની લડતના ફોટાઓથી છવાયેલી હતી, જેને કારણે એ વાતાવરણ ખૂબ તાદ્રશ્ય ભાસ્યું.

મુખ્ય મહેમાનો અને વક્તાઓમાં બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ સાજિદ જાવીદ, મ્યુિઝયમના ડાયરેક્ટર, નોર્થ-વેસ્ટની ઇન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડર, શીખ, હિંદુ અને મુસ્લિમ કોમના પ્રતિનિધિઓ (ભાઈઓ, બહેનો અને બાળકો) અને શિક્ષણ ખાતાના કર્મચારીઓનો સમાવેશ થયેલો. લંડનના પેડીંગટન સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર એક શીખ અનામી સૈનિકની પ્રતિમા છે, જેની માતાનો કાલ્પનિક પત્ર વાંચવામાં આવ્યો, અલ્લામા ઇકબાલની ભારતના ભવ્ય ભૂતકાળની યાદ કરાવતી, ભાઈચારા અને એકતાને કોઈ સીમાઓ નથી નડતી એ મતલબની એક ઉર્દૂ કવિતાનું પઠન થયું અને બ્રાઈટનની મિલિટરી હોસ્પિટલમાં ઘવાયેલા સૈનિક ભારતમાંના પોતાનાં ગામડાનું જીવન, ફ્રાન્સમાંની તેણે લડતાં ભોગવેલી ઈજાઓ યાદ કરી, એવા એક હિંદુ સૈનિકની ડાયરીમાંથી એક નોંધનો સંક્ષેપ રજૂ કરવામાં આવ્યો. ભારતમાં જન્મેલા અને ઉછરેલા સિપાહી પોતાની ફરજ બજાવવા દરિયા પારના દેશમાં અન્ય દેશના સિપાહીઓ સાથે રણસંગ્રામમાં લડ્યા અને જાન ફના કરી તે કહાણી અરુનીમા કુમાર ડાન્સ કંપનીની ત્રણ નૃત્યાંગનાઓએ અદ્દભુત નૃત્ય દ્વારા રજૂ કરી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની The Trumpet રચનાનું પઠન ઘણું હૃદયસ્પર્શી નીવડ્યું. વિશેષ આનંદ થાય એવી બાબત તો એ હતી કે નોર્થ-વેસ્ટની કેટલીક શાળાઓના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓએ જલંધર બ્રિગેડ વિષે સંશોધન કરીને શાળાઓમાં ભણાવી શકાય એવો એક અભ્યાસ સંપુટ તૈયાર કર્યો છે, જે તમામ શિક્ષકો માટે ઉપલબ્ધ થશે.

પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 1.5 મિલિયન સૈનિકોએ પોતાની સેવા આપેલી. કુલ માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 9,000 જેટલી થવા જાય છે, જેમાં માત્ર Battle of Neuve Chapelleમાં (ફ્રાંસ) આશરે 4,200 જેટલા સૈનિકો માર્યા ગયા અથવા ઘવાયા. વતનથી દૂર શહાદત વહોરનારા સૈનિકોને સલામ કરવા સૌ એકઠા મળેલા.

આ હકીકત હું મનમાં વાગોળતી હતી ત્યાં બ્રિટનના લશ્કરના એક ભૂતપૂર્વ ઓફિસર મારી સાથે વાતે વળગ્યા. આ કાર્યક્રમની અગત્ય અમે બંનેએ સ્વીકારી. મેં સહેજે કહ્યું કે આપના જેવા અસંખ્ય ભૂતકાળના અને વર્તમાન કાળના સૈનિકોની સેવાઓ માટે મને અપાર આદર છે, તો બીજી બાજુ દુનિયાના રાજકીય પ્રશ્નોનો ઉકેલ લડાઈ અને નાના મોટા સશસ્ત્ર સંઘર્ષો નથી, એમ મારું નમ્રપણે માનવું છે. જો લડાઈ કરવાથી દુષ્ટ શાસન ખતમ થઈ જતું હોય, તો વીસ વર્ષની અંદર બબ્બે વિશ્વયુદ્ધો ખેલાયાં અને તે પછીના છ દાયકા દરમ્યાન અસંખ્ય હિંસક લડાઈઓ ચાલ્યા જ કરે છે, એ બતાવે છે કે શસ્ત્રોથી શાંતિ ન સ્થાપી શકાય. ભાઈ માલકમનો મત હતો કે “માનવ સ્વભાવથી હિંસક પ્રાણી જ છે, દેશની રક્ષા કાજે લશ્કર જરૂરી છે અને લડાઈ વિના દેશના આંતરિક કે બે દેશો વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ શક્ય નથી. વળી મોટા ભાગની લડાઈઓ પાછળ રાજ્યકર્તાઓના નિર્ણયો જવાબદાર હોય છે. આ દુનિયામાં મોટા ભાગના સવાલોની શાંતિમય ઉકેલ સંભવ નથી કેમ કે એ બહુ અઘરું છે.”

તેમના આ મતને મેં જરૂર માન સાથે સ્વીકાર્યો, પરંતુ સાથે સવાલ પણ કર્યો કે છેલ્લા કેટલાક દાયકાઓથી ભૌગોલિક સીમાઓની રક્ષા માટે લડાઈઓ થયાનું નથી નોધાયું. મોટા ભાગની લડાઈઓ કોઈ દેશના આંતરિક પ્રશ્નોમાં માથું મારવા કે જે તે દેશના રાજ્યકર્તા આપણી શાસન પદ્ધતિને અનુકુળ ન હોવાને કારણે અથવા ખરું કહીએ તો અન્ય દેશની પડતીમાં આ દેશને આર્થિક લાભ હોવાને બહાને સૈન્ય મોકલવામાં આવે છે. અને જો માણસ સ્વભાવે હિંસક હોય તો આપણે પોતાની જાતને ‘સંસ્કારી’ ન કહેવડાવી શકીએ. ખરું જોતાં દરેકને પોતાને જોઈતી વસ્તુ કેવી રીતે મેળવવી કે જેથી અન્યના અધિકાર અને હિતની રક્ષા થાય અને જો એ ન મળે તો અહિંસક માર્ગો લેવાની તાલીમ આપવી જરૂરી બન્યું છે કેમ કે હિંસક પ્રતિક્રિયાથી ઇચ્છિત ધ્યેયની પ્રાપ્તિ નથી થતી, એ સાબિત થઈ ચુક્યું છે. જો માનવ ચન્દ્ર પર પહોંચી શકે, ઘાતક રોગને દૂર કરવા ઈલાજ શોધી શકે અને કુદરતી આફતોથી બચવા ઉપાયો કરી શકે તો પ્રજાના આંતરિક અને બે દેશો વચ્ચેના પ્રશ્નોનો શાંતિમય ઉકેલ લાવવો શું તેનાથી પણ મુશ્કેલ બાબત છે ખરી? દરેક દેશના વડાની ફરજ પોતાની પ્રજાનું પોષણ અને રક્ષણ કરવાનું છે. એને નાહકની લડાઈઓમાં મોકલીને શહીદ બનાવવાનું હરગિજ નથી. કોઈ વેપારી પોતાના ગ્રાહકો, શિક્ષક પોતાના શિષ્યો કે ડોક્ટર પોતાના દર્દીઓને કદી હાનિ પહોંચાડે ખરા? તો રાજકારણીઓને પોતાના કે અન્યના દેશની પ્રજાને હાનિ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. વળી યુદ્ધની વિફળતા હવે ઘણાને સમજાવા લાગી છે. માનવ માત્ર આજે શસ્ત્રો બનાવવા, વેંચવા અને વાપરવા પાછળની દોટ મૂકીને જરા ઊભો રહીને વિચારવા માંડ્યો છે, એટલે જ તો જુઓને અણુ શસ્ત્રો વાપરવાને બદલે તેનો નાશ કરવાની સદ્દબુદ્ધિ સૂજી. ઈરાક અને અફઘાનિસ્તાનમાં જે હોંશથી લડવા નીકળી પડેલા એ જ દેશની સરકારો તે પછીના બીજા સંઘર્ષોમાં પોતાના હાથ લાલ થવા નથી માંગતા. માટે આજે બધા શહીદોને શ્રદ્ધાંજલિ જરૂર આપીએ પણ હવે ‘No more War’ એવો નિર્ણય લેવાય અને એ દિશામાં સક્રિય બનીએ તે બધાના લાભમાં છે. મારી વાતો ખૂબ રસપૂર્વક સંભાળીને “બહેન, તમારા વિચારો પાછળ ઘણું તથ્ય છે, ઇચ્છું કે તમે કહો છો એ દિશામાં માનવ જાત પગલાં ભરે અને તેમ થશે તો હું અત્યંત ખુશ થઈશ.” એમ કહી ભાઈ મલકમ વિદાય થયા.

આજથી સો વર્ષ બાદ ઇ.સ. 2115માં લોકો શાંતિ સૈનિકોને બિરદાવવા આવા સમારંભો કરી શકે તે માટે આપણે અહિંસાની કેડી કંડારી આપીએ એવું ઇચ્છું.

e.mail : 71abuch@gmail.com

Loading

ધર્મ પર કાયદેસર કાર્યવાહી

આશા બૂચ|Opinion - Opinion|26 March 2015

આ શીર્ષક વાંચતાં જ કેટલાકને ધક્કો પહોંચશે. ધર્મ તો સદીઓથી સર્વને માટે માનનીય, પૂજનીય અને અનુસરવા યોગ્ય વિભાવના રહી છે, જેનું યોગ્ય રીતે પાલન ન કરનારા પર કાયદેસર કાર્યવાહી થાય. ભલા ધર્મે એવું શું કૃત્ય કર્યું છે તે તેના પર કાયદેસર કાર્યવાહી થાય? આવું વિચારવાની ધૃષ્ટતા જ કોઈ કેમ કરી શકે, ભલા?

ખરી વાત છે. આજથી પાંચ-સાત દાયકાઓ પહેલાં કે આજે પણ કેટલાક સમૂહોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે તો ખળભળાટ મચી જવાનો સંભવ છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના ઉપક્રમે ઉપરોક્ત શીર્ષક હેઠળ  તાજેતરમાં એક ચર્ચાસભાનું આયોજન થયેલું. ચર્ચાસભાની પેનલમાં સોશિયલ રિસ્પોસિબિલિટી[social responsibility]ના ડાયરેક્ટર જુલિયન સ્કાયર્મ [Julian Skyrme], સ્થાનિક એમ.ઈ.પી. અફઝલ ખાન, ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રોફેસર માઇકલ હોયલઝ્લ [Dr. Michael Hoelzl], ઉચ્ચ શિક્ષણના ચેપલિન રેવરન્ડ ટેરી બિડ્ડીંગ્ટન [chaplin of higher education Rev. Dr. Terry Biddington], ડાયવરસિટી ટીમના અધિકારી ટેસી મારિટીમ [Diversity team officer Tessy Maritim] અને સ્થાનક સાંસદ જ્હોન લીચ [John Leach] હતા.

કાર્યક્રમની શરૂઆતમાં હાજર રહેલા શ્રોતાઓને છ પ્રશ્નોમાંથી પોતાને જે અનુભવ થયો હોય તેના પર ચોકડી મારવા કહ્યું. એ પ્રશ્નો હતા :

1. મને આ દેશમાં અલગ અલગ ધર્મો અને ધાર્મિક માન્યતાઓ વિષે મળેલા શિક્ષણ વિષે સંતોષ છે.

2. મેં ત્રણ કે તેથી વધુ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે.

3. મારા મિત્રોમાં જુદા જુદા ધર્મના અનુયાયીઓનો સમાવેશ થાય છે.

4. મારા ધર્મને કારણે લોકોએ પ્રચલિત માન્યતાઓ અનુસાર મારી સાથે વર્તન કરેલું છે.

5. મેં બીજા વિષે ધર્મને આધારે કેટલાક અનુમાનો બાંધ્યા છે.

6. મેં અન્યના હિંસક વલણ-વર્તન સાથે તેમના ધર્મને જોડ્યો છે.

રસ પડે એવી વાત તો એ છે કે જ્યારે આ પ્રશ્નોના જવાબનું તારણ કાઢવામાં આવ્યું ત્યારે જણાયું કે પ્રથમ ત્રણ પ્રશ્નોના જવાબથી આજની શિક્ષણ વ્યવસ્થા માટે ફરિયાદ કરી ન શકાય તેમ જ મોટા ભાગના લોકો ધાર્મિક સ્થળો અને વિવિધ ધર્મના લોકો પ્રત્યે મૈત્રીભર્યું વલણ દર્શાવે છે, એમ બહાર આવ્યું. આમ છતાં, સમાજમાં હજુ ચીલાચાલુ માન્યતાઓને આધારે કોઈ એક સમૂહ વિષે અભિપ્રાયો બાંધવાનું અને તેને આધારે અન્ય સાથે અન્યાયભર્યું વર્તન કરવાનું તથા ગેરકાયદેસરના કે હિંસક વલણ-વર્તન માટે ધર્મને જવાબદાર ઠેરવવાનું વલણ હજુ ઘણું પ્રવર્તે છે.

પેનલ પરના છ સભ્યોને ત્રણ પ્રશ્નો પર પોતાના વિચારો વ્યક્ત કરવાનું કહેવામાં આવેલું :

અ) તમે ધર્મનો શો અર્થ ઘટાવો છો?

બ) રાજકારણમાં ધર્મને કોઈ સ્થાન છે ખરું?

ક) ધર્મ વિના આ દુનિયામાં વધુ શાંતિ રહેશે?

મુખ્ય વક્તાઓનાં વક્તવ્ય બાદ શ્રોતાઓનાં મંતવ્યો અને સવાલ-જવાબનો સાર ઘણો રસપ્રદ પૂરવાર થયો. સમાજશાસ્ત્રીઓનું એવું માનવું હતું કે જેમ જેમ સમાજની પ્રગતિ થશે તેમ તેમ ધર્મ અદ્રશ્ય થશે અને લોકો વધુ સેક્યુલર એટલેકે ધર્મ નિરપેક્ષ થશે. જ્યારે આજે આનાથી વિરુદ્ધ સ્થિતિ જોવા મળે છે. ધર્મ પ્રજાને મૂલ્યો વિષે જ્ઞાન આપે, એના પાલન માટે પ્રેરણા આપે અને તેની શક્તિને પડકારે એવો હોય એવી ધારણા હતી. આજે સવાલ થાય કે ધર્મ આડખીલી રૂપ છે કે માનવ-માનવ વચ્ચે પૂલ બાંધનાર બન્યો છે? એ એકતાનું વાહન બન્યો છે કે વિભાજનનું સાધન બન્યો છે? એક એવી માન્યતા છે કે ધર્મ વિનાની દુનિયા સારી નહીં હોય. શક્ય છે કે લોકો ધર્મને નામે નહીં તો બીજાં કોઈ કારણો સર લડતા રહેશે. ખરું જુઓ તો આતંક ફેલાવવા અને ગુનાઓ આચરવા માટે ધર્મ કારણભૂત નથી, એ તો એક માત્ર બહાનું છે. તો હિંસક અને ગુનાખોરી માનસ ધરાવનારા કોઈ બીજું બહાનું શોધી લેશે. માત્ર માનવ જ નહીં, સૃષ્ટિના તમામ સજીવ-નિર્જીવ પદાર્થોના સઘળાં કાર્યો કોઈ ને કોઈ પ્રકારની શ્રદ્ધા અને વિશ્વાસથી જ દોરવાયેલાં હોય છે. બાળક પડી જાય અને વાગે તો મા યાદ આવે તેમ માણસ તકલીફમાં હોય તો ધર્મને શરણે જાય એ તેનું એક સકારાત્મક પાસું છે. હાજર રહેલા વિદ્યાર્થી સમૂહનું કહેવું હતું કે જે ધર્મ લોકોના ઉદાર મતને ટેકો આપે અને સમાનતા તથા માનવ અધિકારોનાં મૂલ્યો પોષે તેવા ધર્મને આજની લોકશાહી રાજ્ય પદ્ધતિમાં સ્થાન મળી શકે, પરંતુ જે ધર્મ એક બાજુથી સ્કૂલો ચલાવે, ધર્મસ્થાનો ઊભાં કરે અને માનવતાનાં કાર્યો કરે એ જ ધર્મ પોતાના સિદ્ધાંતો બીજા પર ઠોકી બેસાડે, તે હવે એમને માન્ય નથી. ધર્મની ભૂમિકા સામાજિક વ્યવસ્થા જાળવવામાં છે તે ઊગતી પેઢીને પણ સ્વીકાર્ય છે, પણ ચર્ચ અને રાજ્ય જુદાં હોવાં જોઈએ એ મત ધરાવનારાની સંખ્યા વધતી જાય છે.

ધર્મનો ઉદ્દભવ એક જીવન પદ્ધતિ તરીકે થયેલો જેનો માનવ વિકાસમાં ઉત્તમ ફાળો રહ્યો. કમનસીબે છેલ્લા કેટલાક દાયકાઓથી બીજા પર દબાણ કરવામાં, જુદાઈ વધારવામાં અને તેને નામે હિંસા આચરવામાં વધુ જવાબદાર ગણાવા લાગ્યો છે. જો કે એવું માનવાને કારણ નથી કે સેક્યુલર પ્રજાએ હિંસા નથી કરી. ઇતિહાસ સાક્ષી છે કે લડાઈઓ અને રમખાણો કરનારા ધાર્મિક અને અધાર્મિક બંને જૂથમાંથી આવે છે. ધર્મ માનવ સર્જિત છે એ હકીકત છે એવી જ રીતે આત્યંતિક વિચારો પછી એ ધર્મ વિશેના હોય કે ધર્મ નિરપેક્ષતા વિશેના બંને માનવ જાતની એકતા અને સલામતી માટે સરખા જોખમકારક છે. એટલે ખરું જોતાં ધર્મ વિનાની નહીં પણ માણસ વિનાની દુનિયામાં પરમ શાંતિ હશે એમ માનવાનું મન થાય.

આમ આ ચર્ચાસભામાં અનેક મત-અભિપ્રાયોની લેવડ-દેવડ થઈ અને સહુ વિચારોનું ભાથું લઈને વિખેરાયા. કેટલાક નવયુવકો-યુવતીઓ સાથે એ સાંજે કોફી પીતાં ચર્ચા આગળ લંબાઈ. તેઓ મારા અંગત વિચારો જાણવા ઉત્સુક હતાં. મારા માટે ધર્મનો અર્થ છે, કુદરત અને તેની રચેલ તમામ સૃષ્ટિનો આદર કરવો, તેના અપાર વૈવિધ્યનો સ્વીકાર કરવો અને સહઅસ્તિત્વ વિકસાવવું. ધર્મનો અર્થ હું ફરજ એવો ઘટાવું છું. અંગત રીતે મારા ધર્મને સમજવાથી મારાં નૈતિક મૂલ્યો, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનની સમજણ ઘડાઈ અને વિકસી. ધર્મની મારી આ વ્યાખ્યા હોવાને કારણે એવા ધર્મને રાજકારણમાં સ્થાન છે તેમ મારું માનવું છે. જો રાજકારણનો અર્થ મુઠ્ઠીભર લોકોના સ્થાપિત હિતોનું રક્ષણ થાય, એના લાભથી વંચિત રહેલાનું સત્તા અને લાંચ-રૂશ્વતથી શોષણ થાય એવો થતો હોય, તો એવા રાજકારણનું માનવ સમાજમાં સ્થાન નથી અને એવા રાજકારણમાં ધર્મને હરગીજ સ્થાન નથી. હા, રાજકીય હોદ્દાઓ પર ધાર્મિક સંસ્થાઓના વડાઓની નિમણુક થાય એ વિષય વિવાદાસ્પદ છે. અને જો તેઓ રાજ્યનો વહીવટ કરવામાં અને કાયદાઓ ઘડવામાં ધાર્મિક નિયમો લાવે તો એ માનવ અધિકારની તરફેણમાં હોય તો જ સ્વીકારવામાં માનું છું.

આજના યુગમાં ધર્મનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને તેને નામે જે માનવ હિત વિરોધી હિંસક આચાર થઇ રહ્યા છે એવા કહેવાતા ‘ધર્મ’ વિના આ દુનિયા વધુ શાંતિથી જીવી શકશે. આજે કોઈ પણ પાયા ઉપર નભેલી ઓળખ જાણે એકબીજાને વિભાજીત કરનારી બની ગઈ છે. ધાર્મિક સ્થાનો પાસે અઢળક મિલકતના ઢગલા છે, એ સામાજિક અને રાજકીય સત્તાની પીઠ સમાં બની ગયાં છે, તેના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓનું શોષણ કર્તા બન્યા છે, પદ અને સત્તાની ચડ-ઉતર વ્યવસ્થા અને ક્રિયાકાંડને ચુસ્તપણે વળગી રહેવાને કારણે પાખંડી વધુ અને માર્ગદર્શક ઓછા રહ્યા છે, કેટલાક કિસ્સાઓમાં તો ધર્મ સ્થળો હિંસાત્મક વર્તનને પ્રોત્સાહન આપે છે એટલે નવી પેઢીને તેમના પરથી વિશ્વાસ ઊઠી જાય તે વ્યાજબી છે. અત્યાર સુધી અનેક પંથ બન્યા, વાડાઓ રચાયા, હવે સાચો ‘માનવ’ બનાવીએ, ધર્મ એની મેળે એની પાછળ પાછળ રચાશે. આપણે સહુ માનવ છીએ માટે આપણા સહુનો એક જ ધર્મ હોઈ શકે અને તે ‘માનવ ધર્મ’.

મારા આ મંતવ્ય સાથે યુનિવર્સિટીના એ વિદ્યાર્થીઓ મોટે ભાગે સહમત થતા જણાયા, અને એ પેઢી એક દિવસ માનવ ધર્મના ઉદ્દગાતા બને એવી શુભેચ્છા આપીને છુટ્ટી પડી.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,7823,7833,7843,785...3,7903,8003,810...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved