Opinion Magazine
Number of visits: 9692467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જન-ગણ-મનનો અધિનાયક કોણ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 July 2015

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ રાજસ્થાનના ગવર્નર કલ્યાણસિંહે રાષ્ટ્રીયગીત ‘જન ગણ મન અધિનાયક’માંથી ‘અધિનાયક’ શબ્દને પડતો મૂકવાની માગણી કરીને જે વિવાદ ઊભો કર્યો છે તે વિવાદ આમ તો નવો નથી. આ ગીતમાં ‘અધિનાયક જય હો’ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરે તત્કાલીન બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમની સ્તુિત કરી હતી એવો આરોપ અગાઉ પણ થઈ ચૂક્યો છે.

રાજસ્થાન વિશ્વ વિદ્યાલયના દીક્ષાન્ત સમારોહમાં કલ્યાણસિંહે કહ્યું હતું કે, ‘જન ગણ મન અધિનાયક જય હો કિસ કે લીયે હૈ? આ તો અંગ્રેજ શાસકની સ્તુિત છે. આ ભૂલ સુધારીને ‘જન ગણ મન મંગલ ગાયે’ કહેવાનો સમય પાકી ગયો છે. મને રવીન્દ્રનાથ ટાગોરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સન્માન છે પરંતુ મને લાગે છે કે રાષ્ટ્રગીતમાંથી ‘અધિનાયક’ શબ્દ પડતો મૂકવો જોઈએ.’

કલ્યાણસિંહના કહેવા મુજબ ટાગોરે આ ગીત જ્યોર્જ પંચમના ભારત આગમન પર 26 ડિસેમ્બર, 1911ના દિવસે આયોજિત દિલ્હી દરબારમાં રાજાની સ્તુિત માટે લખ્યું હતું અને એમાં ‘અધિનાયક’ વિશેષણ બ્રિટિશ સમ્રાટનું વર્ચસ્વ બતાવવા માટે વાપરવામાં અાવ્યું હતું. ગીતમાં આ વિશેષણને યથાવત્ રાખવાથી દેશની પરાધિનતાની યાદ તાજા રહે છે, એમ કલ્યાણસિંહનું કહેવું છે.

ટાગોરનું આ ગીત રાજાની સ્તુિતમાં છે કે નહીં તે અંગે ખાસ્સી સંદિગ્ધતા છે. આ ગીત પહેલીવાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા આયોજિત દિલ્હી દરબારમાં ગાવામાં આવ્યું હતું તે સાચું? તત્કાલીન સમાચારપત્રોમાં આ દિલ્હી દરબારના જે અહેવાલો આવ્યા હતા તેમાંથી એક માન્યતા લોકપ્રિય બનતી ગઈ કે ટાગોરે જ્યોર્જ પંચમની આરતી ઉતારી હતી.

1911 સુધી ભારતની રાજધાની કલકત્તામાં હતી. 1905માં બંગાળના વિભાજનની માગણી સાથે બંગાળીઓ અંગ્રેજો સામે વિદ્રોહમાં ઊભા થઈ ગયા એટલે પોતાને બચાવવા માટે અંગ્રેજો રાજધાનીને કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ આવ્યા અને 1912થી દિલ્હીને રાજધાની જાહેર કરી. તે વખતે પૂરા ભારતમાં વિદ્રોહની ચિનગારી ચંપાઈ ગઈ હતી અને એને શાંત કરવાના પ્રયાસમાં જ ઇંગ્લેન્ડના સમ્રાટ જ્યોર્જ પંચમને ભારત આમંત્રિત કર્યા હતા.

12 ડિસેમ્બર, 1911માં રાજા ભારત આવ્યા ત્યારે કોંગ્રેસે ટાગોરને અધિવેશન માટે ગીત લખવા આગ્રહ કર્યો હતો. એ સમયે ટાગોર પરિવાર અંગ્રેજોની નજીક હતો અને ઘણા સભ્યો ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. ટાગોરના દાદા દ્વારકાનાથે પણ કંપનીની નોકરી કરેલી. ટાગોરના એક પરિવારજને તો જ્યોર્જ પંચમના માથે છત્રી પણ પકડી રાખી હતી એવું ય કહેવાય છે.

કલકત્તાના તત્કાલીન સમાચારપત્રો ધ ઇંગ્લિશમેન, ધ સ્ટેટસ મેન અને ધ ઇન્ડિયનમાં આવા અહેવાલ પણ પ્રગટ થયેલા કે સમ્રાટના સન્માનમાં ટાગોરે રચેલા ગીતના ગાયનથી દિલ્હી દરબારનો સમારોહ શરૂ થયેલો. દિલ્હી વિશ્વવિદ્યાલયના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પ્રદીપ કુમાર દત્તા અને ટેલિવિઝન પત્રકાર મૃણાલ પાંડેના મત અનુસાર આ આખી ગલતફેમી ગલત રિપોર્ટિંગના કારણે પેદા થઈ છે. મૃણાલ પાંડે કહે છે કે ટાગોરના જીવનનો અભ્યાસ કર્યા પછી એવું સાફ ખબર પડે છે કે 26 તારીખે દિલ્હી દરબારમાં રામભુજ ચૌધરી નામના કોઈક કવિએ સમ્રાટના સન્માનમાં હિન્દીમાં સ્વરચિત ગીત ગાયું હતું પણ એનો કોઇ રેકોર્ડ કે દસ્તાવેજ ઉપલબ્ધ નથી. એના બીજા જ દિવસે કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન હતું જેમાં ટાગોરની ભત્રીજી સરલા દેવીએ સ્કૂલી બચ્ચીઓ સાથે ટાગોરનું ગીત ગાયું હતું. પરંતુ અંગ્રેજી સમાચારપત્રોએ બંને સમાચારનું ભેગું રિપોર્ટિંગ કરીને લખ્યું હતું કે બે નેટિવ્સ (એટલે કે દેશી) લોકોએ જ્યોર્જ પંચમની તારીફમાં સ્વરચિત ગીત ગાયાં હતાં.

28 ડિસેમ્બર, 1911ના ધ બેન્ગાલ નામના સમાચારપત્રમાં અહેવાલ હતો, ‘કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મહાન બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોરના ગીતના ગાયનથી શરૂ થયું. એ પછી સમ્રાટ જ્યોર્જ પંચમ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો ખરડો પસાર કરવામાં આવ્યો. આ પ્રસંગે સમ્રાટની સ્તુિતમાં છોકરા-છોકરીઓ દ્વારા એક ગીત પણ ગાવામાં આવ્યું.’

પ્રોફેસર પ્રદીપ કુમાર દત્તા કહે છે કે ટાગોરના જીવન અને કામનો જેને થોડો ય પરિચય હોય તેને ‘ટાગોરે રાજાની આરતી ઉતારી હતી’ એ વિચાર વાહિયાત લાગે. ટાગોરના સમકાલીનોને ખબર હતી કે ટાગોર બ્રિટિશ સરકારની ખિલાફ હતા. એટલું જ નહીં, કોંગ્રેસનું અધિવેશન પૂરું થયું તેના ગણતરીના દિવસોમાં જ બ્રિટિશ સરકારે એક પરિપત્ર બહાર પાડીને ટાગોરનું શાંતિનિકેતન સરકારી અફસરોનાં બાળકો માટે અયોગ્ય હોવાની સૂચના આપી હતી અને અફસરો બાળકોને ત્યાં ભણવા મૂકે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

1919માં, જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી, ટાગોરે જ્યોર્જ પંચમ દ્વારા અર્પિત નાઇટહૂડનો ખિતાબ પરત કરી દીધો હતો. એમને જ્યારે ‘જન ગણ મન’ માટે નોબેલ પારિતોષિક (જેની કમિટીના અધ્યક્ષપદે જ્યોર્જ પંચમ હતા)ની ભલામણ થઈ ત્યારે ટાગોરે જ એનો વિરોધ કરીને કહ્યું હતું કે મને જો નોબેલ પુરસ્કાર આપવો હોય તો ‘ગીતાંજલિ’ માટે આપો પણ આ ગીત માટે તો ન જ આપો.

રવીન્દ્રનાથની બહેનના પતિ સુરેન્દ્રનાથ બેનર્જી લંડનમાં આઇ.પી.એસ. ઓફિસર હતા. તેમને એક પત્રમાં ટાગોરે લખેલું, ‘જન ગણ મન અંગ્રેજોએ મારી પર દબાણ કરીને લખાવ્યું છે. એના શબ્દોના અર્થ સારા નથી. એને ગાવામાં ન અાવે તે ઇચ્છનીય છે.’ ગાંધીજીએ આ ગીત માટે ટાગોરને ઠપકો પણ આપેલો. 1947માં સ્વાધીનતા પછી સંવિધાન સભામાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત જાહેર કરવું કે ‘જન ગણ મન’ને એ મુદ્દા પર લાંબી બહસ થયેલી. અંતમાં ‘વંદે માતરમ્’ની તરફેણમાં વધુ મત પડ્યા હતા પરંતુ નહેરુ ‘જન ગણ મન’ને જ રાષ્ટ્રગીત બનાવવા માગતા હતા એટલે સંવિધાન સભાએ 24, જાન્યુઆરી, 1950ના દિવસે ‘જન ગણ મન’ને ભારતના રાષ્ટ્રગાનના સ્વરૂપમાં સ્વીકારી લીધું. સ્વાધીનતા આંદોલનના સમયથી જ મુસલમાનો ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત માનવા તૈયાર ન હતા એટલે વિભાજન વખતની કોમી લાગણીને ધ્યાનમાં લઈને ‘જન ગણ મન’નો કોંગ્રેસે આગ્રહ રાખ્યો હતો.

એક્ચુઅલી, આ ગીત લખવાની ‘વિનંતી’ આવી એનાથી ટાગોરને અચરજ પણ થયું હતું. બંગાળી ક્રાંતિકારી અને ઢાકા અનુશિલન સમિતિના સ્થાપક અધ્યક્ષ પુલીન બિહારી દાસને 10 નવેમ્બર, 1937માં લખેલા પત્રમાં ટાગોરે વિનંતી અંગે આશ્ચર્ય તો પ્રગટ કર્યું જ હતું પણ એનાથી ય વધુ દુ:ખ તો તેમણે એ અફવા માટે કર્યું હતું જેમાં એવો આરોપ હતો કે ટાગોરે દિલ્હી દરબાર માટે આ ગીત રચ્યું હતું. ટાગોરે એવી સ્પષ્ટતા પણ કરેલી કે તેમણે આ ગીત ભારતનું ભાગ્ય લખનાર વિધાતાની સ્તુિતમાં લખ્યું હતું અને નહેરુએ એ કારણસર જ એની તરફદારી કરી હતી.

13 માર્ચના અન્ય એક પત્રમાં ટાગોર લખે છે, ‘જે લોકો એમ સમજતા હોય કે જ્યોર્જ પંચમ યા ષષ્ઠમની તારીફમાં હું ગીત ગાવા જેવી પરમ મૂર્ખતા કરું તો એમને જવાબ આપવાનું પણ હું મારી શાનની ખિલાફ સમજું છું.’ આ જ પત્રમાં ટાગોરે ‘અધિનાયક’ વિશેષણની પણ સ્પષ્ટતા કરી હતી. ટાગોર લખે છે, ‘એ ભાગ્ય વિધાતા, ભારતના જન-માનસનો રખેવાળ જ્યોર્જ પંચમ ના હોઇ શકે.’ ટાગોરની ગીતાંજલિમાં પણ શાહ-સમ્રાટ(અધિશ્વરના રૂપમાં)નો સંદર્ભ આવે છે. ‘અધિનાયક’નો અર્થ ઇંગ્લેન્ડનો રાજા છે એવો તર્ક લલચામણો તો છે પરંતુ ટાગોર જેવો બૌદ્ધિક અને સંવેનશીલ કવિ કોઈક દિવ્ય વિભૂતિ, પરમ આત્માને બદલે હાડ-માંસના માણસને સંબોધી રહ્યા હોય એ માનવાલાયક નથી.

1941માં ટાગોરના અવસાન પછી કરવામાં આવેલા એક સર્વેમાં ‘વંદે માતરમ્’ની તરફેણ ઘણાએ કરી હતી પરંતુ ‘જન ગણ મન’માં મજબૂત રાષ્ટ્રીય ભાવના છે તેવું ય અનુભવ્યું હતું. તે વખતે અલામા ઇકબાલનું ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ પણ રાષ્ટ્રગીતની હોડમાં હતું, પરંતુ ‘હિન્દુસ્તાન’ શબ્દના કારણે જ ઊડી ગયું હતું. ‘જન ગણ મન’ એક સેક્યુલર વિચાર કે ભાવના હતી અને એટલે જ ‘વંદે માતરમ્’ અને ‘સારે જહાં …’ની સામે વ્યાપક સ્વીકૃતિ પામ્યું હતું.

આજે 100 વર્ષ પછી એમાં ‘ખોડ’ કાઢીને ઇતિહાસને નવેસરથી લખવાની ચેષ્ટા બિનજરૂરી જ નહીં, હાસ્યાસ્પદ પણ છે એવું જો અાપણા ‘અધિનાયકો’ સમજે તો ભારતનું ભાગ્ય વધુ સુરક્ષિત હશે.

અસ્તુ.

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 26 જુલાઈ 2015

https://www.facebook.com/permalink.php?story_fbid=1441010722893649&id=1379939932334062&substory_index=0

Loading

ગંગુરામ પાનવાળો

પ્રવીણા કડકિયા|Opinion - Short Stories|27 July 2015

મુંબઈની ચૌપાટી પર જો ગંગુરામ પાનવાળાનું પાન  ન ખાધું હોય તો 'પાન' એટલે શું એ તમને ખબર નથી ! તેનાં પાનના અનેક પ્રકાર. મસાલાવાળું, બનારસી, ઠંડાઈવાળું , કાથા અને ચૂનાવાળું, અંતે ગુટકાવાળું. તેની એક ખાસિયત, કોઈ પણ પાન ખાવ પાંચ રૂપિયા. હવે આ ભાવ તેને કેમ કરી પોષાતો હતો એ ગુઢ રહસ્ય ભલભલા તેના ઘરાક ન સમજી શક્યા. જેવું તેનું પાન મોઢામાં મૂકે કે દરેક વ્યક્તિ જાત જાતનું બકે ! લોકો પાન ખાઈને બહેકી જતાં. ખ્યાતનામ ગંગુરામના હાથમાં હતો, 'જાદુ, અને પાનમાં હતી જાદુની છડી.'

આજુબાજુના પાનવાળા તેની જલન કરતાં. કોઈ હિસાબે તેનો ભાવ તેમને પરવડતો નહીં. એમાં ગંગુરામ ફાવી જતો. બધા કરતાં તેનો ધંધો ત્રણગણો ચાલતો. વાત ખાનગી છે.

આ તો તમે રહ્યા ઘરના એટલે કહું છું ! ગંગુરામ ઈનકમટેક્સવાળાનો 'ખબરી હતો'. લોકો પાન ખાઈને ચોપાટીની ઠંડી હવા માણતા હોય. બહેકેલાને તો કોઈ વાર બીજું પાન મફત પણ આપતો. તેમાં જરા ભાંગ વધારે નાખે એટલે પેલો આદમી પૂરપાટ જતી ગાડીની જેમ પોતાના ધંધાનું 'બકવા' માંડે. બે નંબરના કેટલા? પૈસા રાખવાની ગુપ્ત જગ્યા. કાળા ચોપડા ઘરમાં ક્યાં સંતાડે. વગેરે વગેરે. મુંબઈનો એક વર્ગ છે જેની સાંજ રાતના ૧૦ વાગ્યા પછી પડે. ચૌપાટી પર જઈ કુલ્ફી ખાય, અને છેલ્લે ચોટીવાળા ગંગુરામનું મસાલેદાર પાન ખાય.

ગંગુરામ દ્વારા મળેલી ખબર ઈનકમ ટેક્સવાળાને મળે એટલે બીજા અઠવાડિયે તેને ત્યાં ધાડ એકી સાથે બધી જગ્યાએ પડે. પૈસા ખસાડવાના કે ચોપડા સંતાડવા માટે સમય ન હોય ! ધાડ પડે અને બધું રંગે હાથે પકડાય ત્યારે ગંગુરામને '૫ ટકા' કમિશન મળે. આમ ગંગુરામ પૈસાદાર થતો ગયો.

એક વાર ગંગુરામે આપેલી બાતમી ખોટી નીકળી. ઈનકમ ટેક્સવાળા રોષે ભરાયા. તેની ધૂળ કાઢી નાખી. ગંગુરામ ના-ઈલાજ હતો. આવું ઉપરાઉપરી ત્રણવાર બન્યું. આવક ઘટી ગઈ. મુખ પરથી નૂર ઊડી ગયું. 'ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે', એવા હાલ થયા.  આ વખતની ખબર એકદમ પાકી હતી. પેલો વાણિયો પાનખાઈને ખૂબ વાટી ગયો હતો. પાકું સરનામું આપ્યું. બનવા જોગ એ ગલીમાં બે જણા એક નામવાળા  રહેતાં હતા. તેમનાં નામ સરખા નહીં. અંગ્રેજીમાં ઇનીશિયલ લખવાની ફેશનમાં સત્યપ્રકાશ ચંપકભાઈ  દેસાઈ, શાંતિલાલ ચિમનભાઈ દોશી. બન્ને એસ.  સી.  ડી. વાળા. હવે ગોટાળો ક્યાં થયો. શાંતિલાલનું નામનું પાટિયું ટૂટેલું હતું . તેથી ત્યાં નામ ન હતું. 'રેડ' પાડવાવાળા સત્યપ્રકાશને ત્યાં પહોંચ્યા.

નામ તેવા ગુણ. ઈનકમટેક્સના ઓફિસરોને જોઈ સત્યપ્રકાશ ગભરાયા. તેઓ શાળામાં વર્ષોથી શિક્ષક હતા. ઈનકમટેક્સવાળાને થયું આ 'પંતુજી' આટલો સાદો રહે છે. તેના ઘરમાં શું હશે ! ખેર હવે ધાડ પાડી જ છે તો આખું ઘર ફેંદી વળ્યા. કશું હાથ લાગ્યું નહીં. હાથ કાંઈ ન આવ્યું એટલે ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું. 'ભાંગ્યું તો યે ભરૂચ' જેવા હાલ હતા. સત્યપ્રકાશના દાદા ધની હતા. અને બાપ સટોડિયો. સત્યપ્રકાશમાં દાદીમાનાં ધર્મિકતાનાં ગુણ ઉતર્યા હતા. ઈનકમટેક્સવાળાએ એક જૂનો ભંગાર હાલતનો પટારો જોયો. ઉપર અગાસીમાં ડામચિયું બનાવ્યું હતું. પટારો ખોલ્યો, ફંફોળ્યો. અંદરથી ત્રણ સોનાની ઈંટ નીકળી. સત્યપ્રકાશ ફાટી આંખે જોઈ રહ્યો.

ઈનકમટેક્સવાળાને લાખ સમજાવે કે આ પટારામાં 'ભૂત' રહે છે એમ મનાતું, તેની ચાવી પણ ખબર નથી ક્યાં છે. આ તો ડામચિયું બનાવવામાં વપરાતો હતો. ઘરમાં કોઈને ખબર નથી આમાં શું છે. ઈનકમટેક્સવાળા પોતાની ફરજ બજાવતા હતા. સત્યપ્રકાશનો નાનોભાઈ વિવેક બહુ સીધો. કહે ,'ભાઈ, આપણને ક્યાં ખબર હતી આમાં શું છે?' ભલેને લઈ ગયા ! સત્યપ્રકાશને તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાનું મન થયું. શિક્ષકની આવી નાલોશી ? જિંદગી ઝેર થઈ ગઈ. પેલો વાણિયો બચી ગયો ને પંતુજી ફસાઈ ગયો.'

સત્યપ્રકાશના ભાઈ વિજયના તો પેટનું પાણી પણ ન હલ્યું. એને તો નામ છાપામાં આવ્યું તે ખૂબ ગમ્યું. બન્ને ભાઈઓના સ્વભાવમાં આસમાન જમીનનો તફાવત હતો. સત્યપ્રકાશ આકાશ પાતાળ એક કરવા માંડ્યો. તેને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી હતી. તેના ઘરમાં નોકર એના બાપાના સમયથી કામ કરતો હતો. ઘરના માણસ જેવો હતો. તેના મારફત ખબર પડી કે એની બૈરી પેલા ઈનકમટેક્સવાળાને ત્યાં વર્ષોથી કામ કરે છે. નોકરની પત્નીને બોલાવી ને કહ્યું , 'તું તારા માલિકને સમજાવ મને એકલો મળે. હું તેને બધું સમજાવીશ '.

સત્યપ્રકાશથી આ નાલોશી સહન થતી ન હતી ! સત્યપ્રકાશના બાપ જુગારી હતા અને દાદા સટોડિયા. સટ્ટામાં તો ભલભલા કરોડપતિ રોડપતિ થઈ જાય. ખબર ન પડે. દાદાનો એવો વખત આવ્યો કે ધીરે ધીરે ઘસાવા માંડ્યા. તેમના સોની મિત્રએ સલાહ આપી બધું જાય એ પહેલાં આ ત્રણ સોનાની પાટ મારી પાસેથી ખરીદી લે તો તારા છોકરાંના છોકરા ખુશ થાય. દાદાને ગળે વાત ઊતરી અને વર્ષો જૂના પટારામાં રસિદ સાથે મૂકી. ઉપર જૂના કપડાં, ગોબાવાળાં વાસણ અને જરી પુરાણો સામાન ભર્યો. તેમના બાપે પણ જુગારમાં ઘણું ખોયું. બનવા કાળ બાપ પહેલા ગયા. દાદાએ આ વાત કોઈને કહી નહીં. પટારાનું તો ઘરમાં કશું કામ ન હતું. દાદા ગભરાવવા કહેતા તેમાં 'ભૂત' છે. સમય થયે દાદા પણ મરી ગયા. સત્યપ્રકાશની બૈરીને ભૂતથી ડર લાગતો. દાદા ગયા પછી કાકલૂદી કરી વરને મનાવ્યા.

ભૂવો આવ્યો, ધુણી ધખાવી, ખૂબ ધુણ્યો. બધાનાં દેખતા ભૂતને બાટલીમાં ઘાલી અરબી સમુદ્રમાં પધરાવી આવ્યો. છતાં સત્યપ્રકાશની બૈરી તે 'પટારો' કદી ખોલે નહીં. ડામચિયા માટે વપરાતો તે પટારો પાછળના ભાગમાં હતો. તેની હસ્તી વિસરાઈ ગઈ હતી. આ તો ધાડ પડી એટલે આખું ઘર ખેદાન મેદાન થયું અને આ સોનાની ત્રણ ઈંટ હાથમાં આવી. જેની હયાતીની કોઈને ખબર સુદ્ધાં ન હતી. કેવી રીતે નિર્દોષ પુરવાર થવું ? સત્યપ્રકાશની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેના વફાદાર નોકર ન કહેવાય, તેનાથી મોટો હતો. 'રંગાકાકા, કેવી રીતે આ લાંછન ધોવું ?'

જેમ રંગાકાકા અહીં વર્ષોથી કામ કરતા હતા તેમ રમાકાકી બનવા કાળ આ ઈનકમટેક્સવાળાને ત્યાં કામ કરતી હતી. સ્ત્રી હોવાને નાતે ઘરનો બધો કારભાર તેના હાથમાં હતો. તેને અહીં ખૂબ માન મળતું. જેને કારણે તેના બન્ને છોકરાં ભણી ગણી મોટા સાહેબ બન્યા હતા. સંતોષી પતિ પત્ની વફાદારીપૂર્વક પોતાનું ગુજરાન ઈજ્જતભેર ચલાવતા. બન્નેએ સાથે મળી સત્યપ્રકાશને મદદ કરવાનું વિચાર્યું.

રમાકાકી ઈનકમટેક્સવાળા સાહેબને પૂછી રહ્યા. 'સાહેબ, હું તમારે ત્યાં છેલ્લા ૨૦ વર્ષથી કામ કરું છું. ધારો કે એક દિવસ ઘરના દાગીના લઈને ભાગી જાઉં તો ?

એક મિનિટ સાહેબ ચમક્યા ,પછી હસીને કહે, 'હું લોકોને એમ કહું કે મારી બૈરી દાગીના વેચી આવી, પણ તારા પર શંકા ન કરું'.

કેટલો વિશ્વાસ !  આ છે ખાનદાની ! ભારતમાં તે આજે પણ હયાત છે.

'તો, સાહેબ મારી એક અરજ સ્વીકારશો'! હવે સાહેબને થયું કે વાતમાં માલ છે.

'હા બોલ, અચકાતી નહીં.'

સાહેબ તમે જેમ સજ્જન છો, તેમ પેલા સત્યપ્રકાશ પણ ખૂબ સજ્જન છે. તેમને ત્યાં મારા પતિ તેના બાપના વખતથી નોકરી કરે છે. મારા બાળકો ભણીને આગળ આવ્યા હોય તો તમારા અને તેમના બાપના પ્રતાપે. ખરેખર તેમને આ સોનાની ઈંટ વિશે કાંઈ ખબર ન હતી. તમે એક વાર તેમને મળી સત્ય જાણો. તેમનું જીવન ધૂળધાણી થઈ ગયું છે '!

સાહેબ પિગળ્યા, કહે તેમને ઘરે તો મારાથી ન જવાય. જો તેઓ મને વરલી સી ફેસ પર મળે તો હું વાત કરવા તૈયાર છું. વરલી સી ફેસ પર સાંજના માણસોનો ધસારો ઓછો હોય. સાધારણ કપડાંમાં કોઈ તેમને ઓળખી ન શકે. બરાબર બધું ચોક્કસ કરી બન્ને મળ્યા.

સત્યપ્રકાશે ખુલાસાવાર વાત કરી. મારા બાપ સટોડિયા હતા. કદાચ મારા દાદાએ આ લીધી હોય. મારા પિતાજી શ્રીજી ચરણ પામ્યા પછી અમારે ત્યાં સોની કાકા આવતા હતા. જે મારા દાદાના મિત્ર હતા. એ સોનીકાકા હજુ જીવે છે. બધી તપાસ કરી તો વાત સાચી નીકળી.

જે પટારામાં રાખી હતી તેમાં રસિદ પણ હતી જે કોઈએ જોઈ ન હતી. સોનીકાકાએ કબૂલ કર્યું. એક શરતે, તેની બજાર પ્રમાણે કેટલી કિમત છે તે આંકવી અને પોતાને ૧૦ ટકા કમિશન આપે. સત્યપ્રકાશને આ વાત કબૂલ કર્યા વગર છૂટકો ન હતો. વળી ખટારાની નીચે ઉંદરનું દર હતું . ઉંદરો રાતે નીકળે ત્યારે ખટારો ખખડે અને અવાજ આવે. તેથી ઘરમાં બધા ભૂત માની ડરે ! દાદીના રાજમાં ભૂવો બોલાવ્યો હતો. સત્યપ્રકાશની વહુ એકદમ નાની ઉમરનાં, ભૂતના નામથી થથરે.

ભૂવાને આ વાતની ખબર હતી. ખૂબ ડીંડવાણું કર્યું. સારા એવા પૈસા પડાવ્યા. ધુણી ધખાવી ધુમાડાના ગોટેગોટા કરી નીચેનું દર પૂરી દીધું. ઘરમાં બધાને કહ્યું,' હવે ભૂત હેરાન નહીં કરે. બાટલીમાં પૂરી અરબી સમુદ્રમાં પધરાવી દીધું'.

તે સમયે સત્યપ્રકાશને ખબર ન હતી પટારામાં શું છે? તેમની પત્નીએ તો આખી જિંદગીમાં તેની અંદર શું છે તે જાણવાની ઉત્કંઠા ન બતાવી ! પટારો ભૂલાઈ ગયો. વધારાના ગાદલાં, ઉશિકાને ધાબળાનો ભાર તેના પર સહી રહ્યો. ભૂવાને પણ શોધી કાઢ્યો. મુંબઈની એક બલિહારી છે. મોંઘવારીને કારણે સામાન્ય જનતા બે કે ત્રણ પેઢી સુધી એક જ ઘરમાં જીવતી હોય. ભૂવો ઘરડો થઈ ગયો હતો.  મરવાને વાંકે જીવી રહ્યો હતો. ખબર હતી આજના જમાનામાં સોનાના ભાવ આસમાને છે, ૧૫,૦૦૦ હજાર આપો તો સાહેબને સાચી વાત કહું. સત્યપ્રકાશને તો કોઈ પણ ભોગે સત્ય પ્રકાશમાં લાવવું હતું . બાપાની બાંય ઝાલીને હા પાડવી પડી.

ઈનકટેક્સવાળા સાહેબને લાગ્યું આંધળે બહેરું કુટાયું હતું. પોતાની ભૂલ તો કોઈ કબૂલ ન કરે. સોનું સત્યપ્રકાશના ઘરમાંથી મળ્યું હતું. ભલે તેની રસિદ હતી. પણ દાદાએ તેના પર ટેક્સ ભર્યો હોય તેવી કોઈ લખાપટ્ટી સહી સિક્કા સાથે દસ્તાવેજમાં હતી નહીં.

સત્યપ્રકાશની સ્થિતિ આ બધો ટેક્સ, તેમ જ ભૂવાને અને સોનીને પૈસા આપી શકે તેવી ન હતી. સોનીને કહ્યું ભાઈ તું બજારભાવે એક ઈંટ ખરીદી લે. તેમાંથી તારા પૈસા બાદ લઈ, બાકીના રોકડા આપ. ભુવાને તેનો ભાગ આપ્યો. ૨૧મી સદીમાં ટેક્સ દ્વારા ખૂબ પૈસા ઈનકમટેક્સવાળાને મળ્યા. તેમણે તો  પછી ગંગુરામને તેનું '૫ ટકા' કમિશન આપવાનું હતું.

ભલું થજો સોનાના ભાવનું સત્યપ્રકાશનું કુટુંબ તરી ગયું. સહુ સુખી થયા. સત્યપ્રકાશ મનોમન દાદાનો ઉપકાર માની રહ્યા. સત્યને વળગી રહેવાની તેમની નિષ્ઠા વધુ દૃઢ બની.

e.mail : pravina_avinash@yahoo.com

Loading

કારગિલ વિજયની સિદ્ધિ અને શીખ

દિવ્યેશ વ્યાસ|Samantar Gujarat - Samantar|26 July 2015

ભારતની પ્રતિષ્ઠા એક શાંતિપ્રિય દેશ તરીકેની છે, પણ તેને એવા પાડોશી મળ્યા છે, જેને નથી શાંતિની કદર કે નથી યુદ્ધની શરમ. પાકિસ્તાન અને ચીન એવા બે પાડોશી છે, જેને ભારત શાંતિથી રહે, એ સહન થતું નથી. આ બન્ને પાડોશી સાથે આપણે યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આજે ભારતની લશ્કરી તાકાત ઉપરાંત પરમાણુ શસ્ત્રોની શક્તિને કારણે તેમને આપણી સાથે પંગો લેવો પોષાય એમ નથી, પરંતુ તેઓ સરહદ પર નાનાં-મોટાં છમકલાં કરીને ભારતની કનડગત ચાલુ રાખતા હોય છે.

પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે યુદ્ધ કરીને જીતી શકાશે નહીં એટલે તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી કાશ્મીરના ખભે બંદૂક રાખીને ભારતમાં આતંક ફેલાવવાનો માર્ગ અપનાવ્યો છે. ભારત સાથે પ્રોક્સી વોર કરવા તે આતંકવાદીઓની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાનનું આખું પોલિટિક્સ જ ભારતદ્વૈષ પર ટકેલું હોવાથી આઈએસઆઈ અને તેના સૈન્યને ભાવતું મળી જતું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે પોતાના દેશમાં હીરો બની જવા માટે ઈ.સ. ૧૯૯૯માં ભારતના કારગિલ ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી કરીને કાશ્મીરનો અમુક પ્રદેશ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, ભારતના વીરજવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવી શકે નહીં, તેનો પરચો તેને ત્રીજી વાર મળ્યાને આજે ૧૬ વર્ષ થશે.

આજે એટલે કે ૨૬ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ૧૬મો કારગિલ વિજય દિવસ મનાવાશે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યાનો અને વિજયનો હરખ ચોક્કસ મનાવીએ, દેશ માટે જાન ન્યોછાવર કરનારા વીરજવાનોને સો સો સલામ ચોક્કસ કરીએ, પણ કારગિલ સર્જાયું તેની પાછળની આપણી ભૂલોને ભૂલી જવા કે નજરઅંદાજ કરવાની મૂર્ખામી કરવા જેવી નથી. એક તરફ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવીને લાહોર ગયા હતા તો બીજી તરફ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. આજના સમયમાં યુદ્ધ વાહિયાત વિકલ્પ છે અને સંવાદ-મંત્રણાનો માર્ગ જ હિતાવહ છે, એની ના નહીં. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની તમામ કોશિશ કરવી જ જોઈએ, પણ સરહદ કે સૈન્યની તાકાતના મામલામાં ગાફેલ રહેવાની ભૂલ કરવા જેવી નથી. આશરે ૫૦૦૦ જેટલા પાકિસ્તાનના સૈનિકો અને આતંકીઓ આપણી સરહદોમાં ઘૂસી આવ્યા હતા અને આપણને મોડી જાણ થઈ હતી, એ ખરેખર તો આપણી સરહદ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની મોટી ચૂક-નિષ્ફળતા જ હતી. આ નિષ્ફળતામાંથી દેશ ઘણું બધું શીખ્યો છે, છતાં વધારે સુધારા જરૂરી છે. કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચેના તાલમેળની ખામીઓ પણ નજરે પડી હતી, તેની દુરસ્તીની સાથે સાથે સરહદ પર આધુનિક શસ્ત્રો અને ઉપકરણોનો મુદ્દો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વૈશ્વિક માહોલ જોતાં યુદ્ધની શક્યતા નથી, છતાં ઘૂસણખોરીની ઘટનાઓ નાનું-મોટું કારગિલ સર્જી શકે છે ત્યારે સક્ષમ અને સજ્જ રહેવું જરૂરી છે.

હવે વાત કરીએ શહીદોના સન્માનની. કારગિલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. કારગિલ વિજયને એક દાયકો પૂરો થયો ત્યારે પણ અમુક શહીદોના પરિવાર સુધી જાહેર થયેલી સહાય પહોંચી નહોતી અને એમાં પણ કૌભાંડ થયાં હતાં. આજે પણ કારગિલના સૌરભ કાલિયા જેવા શહીદ સાથે ન્યાય થયો નથી, એ દુઃખદ બાબત છે.

કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ બહાર આવી હતી. ભારતે સરહદ, સેના અને શહીદોના મામલે જરાય ગાફેલ રહેવું પોષાય એમ નથી. કારગિલનું ષડયંત્ર રચીને મુશર્રફે ખોટું કર્યું હોવાનો એક મત પાકિસ્તાનમાં ઊભો થયો છે, છતાં પાકિસ્તાન ક્યારે સુધરશે, એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાનનું સમગ્ર રાજકારણ ભારતદ્વૈષ પર રમાય છે. ભારતમાં પણ પાકિસ્તાન-દ્વૈષનો રાજકીય લાભ લેવાના પ્રયાસો થાય છે. સરહદ કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાજકારણ ન જ રમાવું જોઈએ, પણ આપણા નેતાઓની માનસિકતા કોણ બદલે?

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકનિ કૉલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, July 26, 2015

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

...102030...3,7783,7793,7803,781...3,7903,8003,810...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved