Opinion Magazine
Number of visits: 9553161
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લ કોર્બુઝિયર : કોંક્રિટની કવિતાઓ સર્જનારો ‘નાઝી’

વિશાલ શાહ|Opinion - Opinion|6 May 2015

કોઈ પણ સર્જકના સર્જનની મૂલવણી તેના અંગત જીવન અને વિચારોની દૃષ્ટિએ કરી શકાય? હાલ યુરોપમાં ફરી એકવાર આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. યુરોપ અને ખાસ કરીને ફ્રાંસના કેટલાક જૂથો ૨૦મી સદીના મહાન આર્કિટેક્ટ લ કોર્બુઝિયર(લા કોર્બુઝિયર કે લ કોર્બુઝિયે ઉચ્ચાર પણ કરાય છે)નું બધું જ સર્જન નકામું હોવાથી તેને ફગાવી દેવાનું કહી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે, પાઠયપુસ્તકોમાંથી લ કોર્બુઝિયરની મહાનતાની વાતોનો છેદ ઉડાવી દેવો જોઈએ તેમ જ જાહેર સ્થળોએ અપાયેલું તેનું નામ પણ રદ્દબાતલ કરવું જોઈએ. આ પાછળનું કારણ છે, લ કોર્બુઝિયરના અંગત જીવન પર પ્રકાશિત થયેલાં બે પુસ્તકો. પહેલું પુસ્તક છે ઝેવિયર દ જર્સી નામના પત્રકાર-લેખકનું 'લ કોર્બુઝિયર, અ ફ્રેંચ ફાસિઝમ' અને બીજું પુસ્તક છે ફ્રેન્કોઇઝ ચેઝલિનનું 'અ કોર્બુઝિયર'.

આ બંને લેખકોએ તેમનાં પુસ્તકોમાં લ કોર્બુઝિયર હિટલરની નીતિઓના સમર્થક અને યહૂદીઓના વિરોધી હતા એવી વાત કરી છે. લ કોર્બુઝિયરનો નાઝીવાદ તરફનો ઝોક નવી વાત નથી પણ આ બંને પુસ્તકોમાં પુરાવા સાથે કહેવાયું છે કે, વિશ્વ જાણે છે એના કરતાં તેઓ ઘણાં વધારે કટ્ટરવાદી હતા. આ લેખકોના મતે, લ કોર્બુઝિયર વર્ષ ૧૯૨૦માં પેરિસમાં કાર્યરત હિટલર સમર્થક જૂથોમાં પ્રવેશ્યા હતા. તેઓ ફ્રાંસની રિવોલ્યુશનરી ફાસિસ્ટ પાર્ટીના વડા ડો. પિયર વિન્ટરની પણ ખૂબ જ નજીક હતા. લ કોર્બુઝિયર અને વિન્ટરે વર્ષ ૧૯૪૦માં અર્બન પ્લાનિંગ વિષય પર આધારિત 'પ્લાન' અને 'પ્રિલ્યુડ' નામની બે જર્નલ પ્રકાશિત કરીને તેમાં નાઝીઓને પ્રોત્સાહન આપતા તંત્રી લેખો લખ્યા હતા. વર્ષ ૧૯૪૦માં લ કોર્બુઝિયરે તેમની માતાને લખેલા એક પત્રમાં હિટલરને યુરોપનો પુનરોદ્ધાર કરનારો 'મહાન નેતા' ગણાવ્યો હતો.

લ કોર્બુઝિયર

આ તમામ મુદ્દા સ્વીકારીએ તો પણ લ કોર્બુઝિયરનાં વિચારો, લખાણો, આર્કિટેકચરલ સ્ટાઈલ અને ટાઉન પ્લાનિંગ થિયરીનો વિશ્વભરમાં પડેલો પ્રભાવ નજરઅંદાજ કરી શકાય એમ નથી. યુરોપ અને અમેરિકાના ઔદ્યોગિકીકરણ વખતે આ એક જ વ્યક્તિએ વિશ્વને આર્કિટેકચરની મદદથી પણ માનવ જીવનની સુખાકારી વધારી શકાય છે એ દિશામાં વિચારવા મજબૂર કરી દીધું હતું. આપણા માટે ગૌરવની વાત છે કે, લ કોર્બુઝિયરે પચાસ વર્ષ લાંબી ઝળહળતી કારકિર્દીમાં યુરોપ, અમેરિકા તો ઠીક ભારતના અમદાવાદ સહિતના શહેરોમાં 'કોંક્રિટની કવિતા'ઓનું સર્જન કર્યું હતું.

ભારતના ભાગલા બન્યા નિમિત્ત

લ કોર્બુઝિયરે ભારતમાં જુદા જુદા પ્રકારના ૧૩ સ્થાપત્યોનું સર્જન કર્યું છે, જેમાં અમદાવાદના બે જાહેર મકાનો અને બે અંગત રહેઠાણોનો પણ સમાવેશ થાય છે. લ કોર્બુઝિયરની રસપ્રદ ભારત-યાત્રામાં ભારતના ભાગલા નિમિત્ત બન્યા હતા.

લ કોર્બુઝિયરનો જન્મ છઠ્ઠી ઓક્ટોબર, ૧૮૮૭માં સ્વિત્ઝર્લેન્ડના ન્યૂ કેસલ નામના ફેડરલ સ્ટેટમાં થયો હતો, પરંતુ વર્ષ ૧૯૩૦માં તેમણે ફ્રેન્ચ નાગરિકત્વ અપનાવી લીધું હતું. તેઓ ફ્રેન્ચ નાગરિક બન્યા એ પહેલાં જ વર્ષ ૧૯૨૨માં પિતરાઈ ભાઈ પિયર જિનરેટ સાથે ભાગીદારીમાં આર્કિટેકચર સ્ટુડિયો શરૂ કરીને નામ અને દામ કમાવવા લાગ્યા હતા. વર્ષ ૧૯૨૮માં ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ મોડર્ન આર્કિટેકચર નામની સંસ્થા સ્થાપીને તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા અને આર્કિટેકચરની મદદથી લોકોનું જીવનધોરણ ઊંચુ કેવી રીતે લાવી શકાય એ મુદ્દે ક્રાંતિકારી વિચારો રજૂ કરીને વિશ્વભરમાં જાણીતા થઈ ગયા હતા. પચાસના દાયકામાં જાહેર અને વ્યવસાયિક જીવનમાં લ કોર્બુઝિયરનો સૂરજ સોળે કળાએ તપતો હતો.

આ દરમિયાન વર્ષ ૧૯૪૭માં ભારતના ભાગલા થતા પશ્ચિમ પંજાબ સહિત તેની રાજધાની લાહોર પાકિસ્તાનને ફાળે ગઈ અને ભારતસ્થિત પંજાબ રાજધાની વિનાનું થઈ ગયું. પંજાબની રાજધાની માટે તત્કાલીન વડાપ્રધાન જવાહલાલ નહેરુ 'રાષ્ટ્રની શ્રદ્ધા અને પ્રતીક'નું પ્રતિનિધિત્વ કરે એવું શહેર ઊભું કરવાનું સપનું જોતા હતા. નવું શહેર ઊભું કરવામાં નહેરુ કોઈ કચાશ રાખવા નહોતા માગતા. આ માટે દિલ્હીની ઉત્તરે ૨૪૦ કિલોમીટર દૂર બાંધકામ માટે વિવિધ વિસ્તારો પસંદ કર્યા પછી વર્ષ ૧૯૫૦માં નવું શહેર ડિઝાઈન કરવાનું કામ ભારત સરકાર દ્વારા લ કોર્બુઝિયરની ફર્મને સોંપાયું હતું. ચંદીગઢનો માસ્ટર પ્લાન લ કોર્બુઝિયરે તૈયાર કર્યો હતો. એ પછી ચંદીગઢની વિધાનસભા, રાજ્યપાલ નિવાસ, મ્યુિઝયમ એન્ડ આર્ટ ગેલેરી, આર્કિટેકચર કોલેજ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, ઓપન હેન્ડ મોન્યુમેન્ટ તેમ જ સુખના તળાવની ડિઝાઈન કરવાનું કામ પણ લ કોર્બુઝિયરની દેખરેખમાં થયું હતું, જેમાં તેમને પિયર જિનરેટ (પિતરાઈ) સહિત મેક્સવેલ ફ્રાય અને જેન ડ્રૂ નામના આર્કિટેક્ટે આસિસ્ટ કર્યા હતા. પિયર જિનરેટે વર્ષ ૧૯૬૫ સુધી પંજાબ સરકારના ચિફ આર્કિટેક્ટ એન્ડ ટાઉન પ્લાનિંગ એડવાઈઝર તરીકે સેવા આપીને ચંદીગઢના વિકાસમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ચંદીગઢ વિધાનસભા

ચંદીગઢ હાઈકોર્ટ

ચંદીગઢના ડિઝાઈનિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વર્ષ ૧૯૫૧માં અમદાવાદના પહેલા મેયર ચિમનભાઈ ચીનુભાઈએ લ કોર્બુઝિયરને 'મ્યુિઝયમ ઓફ નોલેજ'નું પ્લાનિંગ કરવા આમંત્ર્યા હતા. આ મ્યુિઝયમ એટલે પાલડીમાં આવેલું સંસ્કાર કેન્દ્ર. એ જ વર્ષે મિલ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સુરોત્તમ હઠીસિંગે પણ લ કોર્બુઝિયરને એસોસિયેશનનું વડું મથક બાંધવાની જવાબદારી સોંપી હતી. આ વડું મથક એટલે અમદાવાદના આશ્રમરોડ પર આવેલું આત્મા હાઉસ. આત્મા હાઉસના બાંધકામ વખતે સુરોત્તમ હઠીસિંગે પોતાનું ઘર ડિઝાઈન કરવાનું કામ પણ લ કોર્બુઝિયરને સોંપ્યું હતું. ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક આવેલું આ ઘર અત્યારે શોધન વિલા તરીકે જાણીતું છે. એ જ વર્ષે અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્રી મનોરમા સારાભાઈએ પણ તેમના ઘરનો પ્લાન તૈયાર કરવાની જવાબદારી લ કોર્બુઝિયરને સોંપી હતી. સારાભાઈ વિલા તરીકે જાણીતું આ ઘર શાહીબાગમાં આવેલું છે. લ કોર્બુઝિયરે વિશ્વમાં ગણ્યાંગાંઠયા પર્સનલ બંગલો ડિઝાઈન કર્યા છે, જેમાંથી બે અમદાવાદમાં છે. લ કોર્બુઝિયરે અમદાવાદના આ ચારે ય પ્રોજેક્ટ પર કામ કરતી વખતે શહેરની સંસ્કૃિત, સ્થાપત્યો અને વાતાવરણથી વાકેફ થવા ઠેર ઠેર રઝળપાટ કરી હતી.

અમદાવાદમાં રખડપટ્ટી કરતી વખતે તેઓ એકવાર માણેક ચોક પણ ગયા હતા. અહીં નાનકડા ખોખા જેવી સોનીની દુકાનો જોઈને તેમને ખૂબ નવાઈ લાગી હતી. આવી એક દુકાનનું કદ માપવા તેઓ આડા સૂઈ ગયા હતા, જ્યાં તેઓ સરખી રીતે પગ પણ લંબાવી શક્યા ન હતા. સરખેજ રોઝાનું સ્થાપત્ય જોઈને લ કોર્બુઝિયર આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. સ્વિત્ઝર્લેન્ડની દસ ફ્રાંકની ચલણી નોટ પર જે વ્યક્તિની તસવીર છે એને અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનના નેતાએ અમદાવાદમાં સરકારી યોજના અંતર્ગત કામ સોંપ્યું એ તત્કાલીન નેતાઓની કોઠાસૂઝ દર્શાવે છે. લ કોર્બુઝિયરે ચંદીગઢ અને અમદાવાદમાં કરેલા તમામ બાંધકામોમાં સ્થાનિક વાતાવરણ અને હવામાનનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેઓ બાંધકામની બાહ્ય સુંદરતાની સાથે તેની ઉપયોગિતા પર પણ એટલો જ ભાર મૂકતા હતા. લ કોર્બુઝિયરે અમદાવાદમાં ડિઝાઈન કરેલા ચારે ય મકાનોમાં સૂર્યપ્રકાશ, હવા, જમીન અને ચોમાસાંની ઋતુને ખાસ ધ્યાનમાં રાખ્યું હતું. તેમણે મૂકેલી એક એક ઈંટ પાછળ કોઈ કારણ રહેતું, જેના પર આજે ય સંશોધનો થઈ રહ્યા છે.

અત્યંત કુશળ ટાઉન પ્લાનર

વીસમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ચરમસીમાએ હતી. ઔદ્યોગિક ક્રાંતિને પગલે પેરિસ જેવા શહેરોમાં રહેઠાણોની અછત સર્જાઈ હતી અને ઝૂંપડપટ્ટીઓનો પ્રશ્ન ગંભીર બની ગયો હતો. લ કોર્બુઝિયરનું કહેવું હતું કે, આર્કિટેકચરની મદદથી નીચલા મધ્યમ વર્ગનું જીવન-ધોરણ ઊંચુ લાવી શકાય છે. આ મુશ્કેલીના ઉપાયરૂપે તેમણે વર્ષ ૧૯૨૨થી જ કેટલાક હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા, જેમાં એક ઊંચી બિલ્ડિંગની અંદર દરેક પરિવારને સ્વતંત્ર એપાર્ટમેન્ટમાં મોકળાશ ધરાવતો લિવિંગ રૂમ, બેડ રૂમ, કિચન અને ગાર્ડન ટેરેસ મળે એવી ડિઝાઈન તૈયાર કરી હતી. ૧૯૨૦ના દાયકામાં લ કોર્બુઝિયરે વિવિધ શહેરોનો ઊંડો અભ્યાસ કરીને ૩૦ લાખ ઘરવિહોણાં લોકો માટે 'કન્ટેમ્પરરી સિટી' યોજના રજૂ કરી હતી, જેમાં તેમણે ૬૦ માળના બિલ્ડિંગોની આસપાસ તમામ સુવિધા ધરાવતું નાનકડું સિટી ઊભું કરવાની વાત કરી હતી. આજથી નવેક દાયકા પહેલાં લ કોર્બુઝિયરે માનવ જરૂરિયાતના તમામ સુવિધાની સાથે મહાકાય બિલ્ડિંગોની છત પર એરપોર્ટની કલ્પના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે લ કોર્બુઝિયરે પેરિસની આસપાસ નાના પાયે કોમર્શિયલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા, જેમાં ફ્રાંસના માર્સેઇ શહેરમાં 'યુનાઇટ દ હેબિટેશન' પ્રોજેક્ટ સૌથી વધુ જાણીતો છે. ૧૨ માળના આ બિલ્ડિંગમાં લ કોર્બુઝિયરે કુલ ૩૩૭ એપાર્ટમેન્ટ ડિઝાઈન કર્યા છે, જેમાં તમામ સાધન-સુવિધાની સાથે સુંદર ટેરેસ પર સ્વિમિંગ પુલ અને ઓપન એર થિયેટર પણ છે.

યુનાઈડ દ હેબિટેશન’ના એક એપાર્ટમેન્ટમાં આર્ટિસ્ટ સ્ટુડિયો, સ્વિમિંગ પુલ અને પાછળ કલાત્મક ચિમની.

જો કે, ટાઉન પ્લાનિંગની દૃષ્ટિએ લ કોર્બુઝિયરનું કામ ખૂબ નાના પાયે થઈ રહ્યું હતું, પરંતુ આ થિયરીનો સંપૂર્ણ અમલ કરવાની તક તેમને ચંદીગઢમાં મળી હતી. ચંદીગઢને તેમણે જુદા જુદા સેક્ટરમાં વિભાજિત કરીને ડિઝાઈન કર્યું હોવાથી શહેરીકરણની મોટા ભાગના મુશ્કેલીઓ આજે ય તેને સ્પર્શી શકી નથી. ગુજરાતની રાજધાની ગાંધીનગરનું ડિઝાઈનિંગ પ્રકાશ આપ્ટે અને એચ.કે. મેવાડાએ આ જ થીમ પર કર્યું છે. આ બંને આર્કિટેક્ટે ચંદીગઢના પ્લાનિંગ વખતે લ કોર્બુઝિયરની ટીમમાં એપ્રેન્ટિસ તરીકે સેવા આપી હતી. ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટેશનનું મહત્ત્વ ખૂબ વધી જશે એ વાત દાયકાઓ પહેલાં લ કોર્બુઝિયર સમજી ગયા હતા. આ કારણોસર તેમની દરેક યોજનામાં ટ્રાન્સપોર્ટેશનને ખાસ મહત્ત્વ અપાતું. મહાકાય બિલ્ડિંગો ડિઝાઈન કરવા બદલ કોર્બુઝિયરની ટીકા પણ થઈ હતી કારણ કે, આ પ્રકારના મકાનો રાહદારીઓ માટે અત્યંત કંટાળાજનક હોય છે. જો કે, એ જમાનામાં લ કોર્બુઝિયરનો હેતુ શહેરીકરણને લીધે સર્જાતા ઘરવિહોણાં લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો હતો. તેઓ ૨૭મી ઓગસ્ટ, ૧૯૬૫માં ૭૭ વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની મુશ્કેલીઓને આર્કિટેકચરની મદદથી હળવી કરવાની થિયરી રજૂ કરતા રહ્યા હતા.

એવું કહેવાય છે કે, મૂડીવાદના કારણે ઊભી થયેલા પ્રશ્નો વિશે વિચારીને જ લ કોર્બુઝિયર અતિ-જમણેરી જૂથો તરફ ઢળ્યા હતા. સામાન્ય વ્યક્તિનો વિચાર કરીને ઈનોવેટિવ થિયરી આપનારા આ આર્કિટેક્ટ હિટલરની તરફદારી કરતા હતા એ તેમના વ્યક્તિત્વનું વિરોધાભાસી પાસું છે. આમ છતાં, વીસમી સદીના મહાન આર્કિટેક્ટ તરીકે લ કોર્બુઝિયરને ભૂંસવા અશક્ય છે. 

સૌજન્ય : 'શતદલ' પૂર્તિ, "ગુજરાત સમાચાર", 06 અૅપ્રિલ 2015 તેમ જ ‘ફ્રેન્કલી સ્પીકિંગ’, 06/05/2015 

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vishal-shah

http://vishnubharatiya.blogspot.in/2015/05/blog-post.html

Loading

સ્વાયત્ત અકાદમી સહીઝુંબેશ : છપ્પનમા ગુજરાત દિવસે ઠપકાની દરખાસ્ત

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|5 May 2015

સ્વાયત્ત અકાદમી સહીઝુંબેશ

છપ્પનમા ગુજરાત દિવસે ‘ઠપકાની દરખાસ્ત’

સ્વર્ણિમ શોરઉજવણે અને કથિત ગુજરાત મોડલના તથ્યનિરપેક્ષ ઢોલનગારે કંઈક બધિર, કંઈક અંજાપેઅંધાપે ગ્રસ્ત માહોલમાં ગુજરાત પંચાવન વરસ પૂરાં કરી છપ્પનમા વરસમાં પ્રવેશશે તે દિવસે [01 મે 2015] રાજ્યમાં ઠેકઠેકાણે સ્વાયત્ત અકાદમી આંદોલનના સંદર્ભમાં સહીઝુંબેશ ચાલતી હશે.

ગુજરાતના છપ્પનમા વરસમાં પ્રવેશ સાથે ‘નિરીક્ષક’ સ્વાયત્ત અકાદમીના મુદ્દાને સાંકળીને કેમ અગ્રલેખરૂપે મૂકે છે એવો સવાલ કોઈ ચાહે તો પૂછી તો શકે જ. વાચકનો એ અધિકાર પણ છે, અને અધિકારાયત્ત તંત્રી જ્યારે લખે છે ત્યારે એનું ય આ સંદર્ભમાં દાયિત્વ એટલે કે ઉત્તરદાયિત્વ બને છે. અને એ ધોરણે કહેવું જોઈએ કે ગુજરાત દિવસ અને સ્વાયત્તિ સહીઝુંબેશ બેઉની સહોપસ્થિતિ સાભિપ્રાય અધોરેખિત કરી છે.

સ્વાતંત્ર્યસંગ્રામના અનુસંધાનમાં પ્રજાસત્તાક સ્વરાજની લોકશાહી સાર્થકતા વાસ્તે ભાષાવાર રાજ્યરચનાને ધોરણે, ગુજરાતનું એકમ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું. લોકશાહી નીચે લગી, બહુજન સર્વજન લગી પહોંચે તે માટે સંખ્યાબંધ આર્થિક-સામાજિક વાનાં હાંસલ કરવાનાં રહે છે. તે જ ન્યાયે લિબરલ ડેમોક્રસી પાસે અપેક્ષિત આયોજન સ્વાયત્ત સંસ્થાનિર્માણનું પણ છે. કવિતાવનિતાલતા આશ્રય વિના નથી શોભતાં એવી સંસ્કૃત કહેતી, છેવટે તો, સામંતયુગ અને રાજાશાહીની દેણગી હતી. પ્રજારાજમાં આ આશ્રયની (પણ એથી ઓશિયાળાપણું નહીં, એવી) ભૂમિકા બાબતે સરકારે પરત્વે એક જુદા અભિગમની અપેક્ષા રહે છે. આ જુદી ભૂમિકાનો જનતંત્રજડ્યો એક જવાબ સ્વાભાવિક જ સ્વાયત્ત સંસ્થાઓ છે.

આજથી ત્રણ દાયકા કરતાં પણ વધુ વરસ પૂર્વે માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીકાળમાં સાહિત્ય અકાદમીનો પ્રથમ પ્રયોગ થયો ત્યારે કવિતાવનિતાલતા પરંપરામાં નિતાન્ત રાજ્યાશ્રયી માહોલ હતો. પ્રમુખ, ઉપપ્રમુખ, કાર્યવાહક સમિતિ બધું જ સરકારનિયુક્ત હતું, અને સરકારી માનસ એવું કે સ્થાપક પ્રમુખ તરીકે જડી રહેલા સન્માન્ય સાહિત્યસેવી મોહમ્મદ માંકડ જ્યારે જાહેર સેવા આયોગ પર ગયા ત્યારે રાજાને જડી રહેલ માઢવ્ય માહિતી નિયામક ભૂપત વડોદરિયા હતા. [એ રીતે, આ પદે (અને પદેન) પૂર્વ માહિતી નિયામકનું હોવું એ કોઈ એપ્રિલ ૨૦૧૫ની નવીનક્કોર નવાઈ નથી.]

અકાદમીની સરકારનિયુક્ત તરાહ અને તાસીરને પડકારવાનું શ્રેય ઉમાશંકર જોશીને નામે જમે બોલે છે. અકાદમીએ એમનું સન્માન કરવા વિચાર્યું ત્યારે એમણે સાભાર, સવિનય પણ સગૌરવ ઈનકાર કર્યો. આશ્રમી સુન્દરમને નહોતો સૂઝ્યો એવો ઈનકાર ઉમાશંકરને સૂઝ્યો, કારણ છેવટે તો એ ‘જાહેર જીવનના કવિ’ હતા. તે પછી તો અકાદમીના સરકારનિયુક્ત સાહિત્યકાર સભ્યોનાં રાજીનામાં સહિતનો એક આખો સિલસિલો હવે તો ઇતિહાસવસ્તુ છે.

તે પછીના દસકામાં, ચિમનભાઈના પુનઃ મુખ્યમંત્રીકાળમાં વળી અકાદમીનો મુદ્દો ઉપડ્યો ત્યારે દર્શકે આદર્શલક્ષી વ્યવહારકુશળતાપર્વક સ્વાયત્ત બંધારણનો કોઠો ભેદ્યો અને ચુંટાયેલા. પ્રમુખ ઉપરાંત લેખકીય મતદાર મંડળની લગભગ નવા જેવી જોગવાઈ સાથે નવરચના બની આવી. ઉપરાંત, સાહિત્યસંસ્થાઓના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ, સરકારી પ્રતિનિધિઓ વગેરેની જોગવાઈ જેમ દેશની અકાદેમીમાં તેમ અહીં પણ હતી. લેખકીય મતદાર મંડળ મારી સમજ પ્રમાણે સુવાંગ નવી વાત હતી, અને જો કોઈ ગુજરાત મોડલ જેવી ઘટના હોય તો તેના એક ઇંગિત રૂપ પણ એ હતી.

દર્શક-યશવંત શુક્લના ચુંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખપદ અને ભોળાભાઈ પટેલ-કુમારપાળ દેસાઈના ચુંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખપદ એમ બે કાર્યકાળ પૂરાં થયાં પછી કાયદેસર ત્રીજા કાર્યકાળ માટે નવરચનાની (લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિતની) પ્રક્રિયા ઠીક ઠીક પાર પડી ગઈ હતી, પણ સાહિત્યરસિક મુખ્યમંત્રીએ સરકારને છેડેથી એ પૂરી ન કરી તે ન જ કરી અને એમ સ્વાયત્ત અકાદમી આજે દસકા કરતાં વધુ સમયથી સરકાર તાબેનો ઈલાકો એ જ સામંતી શૈલીએ બની રહેલ છે. જે અકાદમી વાસ્તવમાં રહી જ નહીં, સરકારી અખત્યાર માત્ર બની રહી, એમાં છેલ્લે છેલ્લે એકાએક અધ્યક્ષની નિયુક્તિ ખરું જોતાં સૌ સ્વાયત્તતાભિલાષી સહૃદયો સારુ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી બીના છે.

ભાઈ ભાગ્યેશ જહાને એમ લાગે છે કે બેતાલીસ વરસની સનદી અને સાહિત્ય સેવાને અંતે આ એમને સહજક્રમે મળી આવેલું પદ છે. ‘નિરીક્ષક’ તંત્રી એમના આ સેવાદાવા વિષયક ચર્ચાથી નિરપેક્ષપણે એટલું અને માત્ર એટલું જ કહેશે કે સરકારે પરબારા રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર અગર ચંદ્રકાન્ત ટોપીવાળાને બેસાડ્યા હોત તો પણ અમારે વિરોધ કરવાનું બન્યું હોત, કેમ કે હાંસલ કરેલ સ્વાયત્તતા પછી કોઈ સામંતી પીછેહઠ કબૂલ રાખી શકાય જ નહીં. લેખક તરીકે વિચારી શકે તો જહા પણ આમ જ વિચારશે, એવું ખાતરીભેર એમના સહિતના સર્વ લેખકો વિશે કહી શકું તો મને તો આનંદ જ આનંદ થશે. જહા સ્કૂલને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વર્ષ ૨૦૧૪માં (જ્યારે આવું અધ્યક્ષટોચકું બેસાડવાની સરકારે ધૃષ્ટતા નહોતી કરી ત્યારે પણ) નિરીક્ષક તંત્રીએ, ચંદ્રકાન્ત ટોપીવાળાએ અને પ્રવીણ પંડ્યાએ હાલની કથિત અકાદમી સાથે અર્થસવલતી ફારગતી જાહેર કરી જ હતી.

આ ચર્ચામાં સાહિત્ય પરિષદનું નામ પણ સંમિશ્રપણે લેવાતું રહ્યું છે. મુનશીની આજ્ઞાંકિતા મટીને ઉમાશંકર આદિના સખીકૃત્યનો નવ્ય મુકામ હાંસલ કરનાર પરિષદ પરત્વે અપેક્ષા(અને તજ્જન્ય ટીકાભાવ)નુંયે એક લૉજિક નિઃશંક છે. આ સંદર્ભમાં બે’ક મુદ્દા લાજિમ છે. એક તો, પરિષદ ખુલ્લા સભ્યપદને ધોરણે ચુંટાતા તંત્રવાળી સાહિત્યસંસ્થા છે. અને એ અર્થમાં તે ગેરસરકારી છે. (વસ્તુતઃ સોલંકીને પક્ષે અકાદમીદાવ આ ગેરસરકારી અભિક્રમ સામે સરકારી મુખત્યારી ઉપક્રમથી પ્રેરિત હતો.) ખુલ્લી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી સક્રિય સહભાગિતાને ધોરણે કોશિશ કરવાનો અવકાશ છે. પાછા પડીએ, ઓછા ઊતરીએ પણ આ અવકાશ છે. અને એનો રચનાત્મક કસ કાઢવાપણું છે.

બીજો જે એક મુદ્દો પરિષદ સંદર્ભે પ્રસ્તુત જ પ્રસ્તુત છે તે તો એ કે લોકાયની નારાયણ દેસાઈના અધ્યક્ષકાળમાં તે સ્વાયત્ત અકાદમી માટેનો ઠરાવ કરી ચૂકી છે, અને ભલે તે શક્ય ન બન્યું હોય પણ હજુ સુધી તો એ ખુદ આ ઠરાવથી બંધાયેલ છે. (કારોબારી સભ્ય તરીકે આ લખનાર પણ જાત સહિત સૌને જવાબ-દાર પૈકી છે.) ગમે તેમ પણ, સ્વાયત્ત અકાદમી આંદોલન ઉપડ્યા પછી આ મુદ્દે અગાઉથી ઠરાવબદ્ધ લેખક મંડળ અને સાહિત્ય પરિષદ પરત્વે સીધી પહેલની નહીં તો પણ સક્રિય સહભાગિતાની અપેક્ષા તો રહે જ રહે.

ગુજરાતને ક્યારેક વિવેકબૃહસ્પતિ કહેવાતું, ને વળી ઊર્વિસાર તરીકે પણ ઓળખાતું. આજકાલ ગુજરાત મોડલનો ચાલ છે. હશે ભાઈ, રાજ્યના હાકેમો અને આ તંત્રી જેવા કલમઘસીટુઓ સ્વાયત્તતાને મોરચે શું કરે છે અને શું નથી કરતા એના પરથી છપ્પનમા વરસે આ બધા ઓળખદાવાઓનું એક માપ મળી રહેશે. બાકી, ગુજરાત દિવસે આવી સહીઝુંબેશ અનિવાર્ય લાગે તે સત્તા-પ્રતિષ્ઠાન માટે કંઈ નહીં તો પણ એક ઠપકાની દરખાસ્ત તો છે જ.

એપ્રિલ ૨૯, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 01-02

Loading

નીતિ આયોગ, વ્યર્થ વ્યાયામ?

રમેશ બી. શાહ|Opinion - Opinion|5 May 2015

દેશમાં આયોજનકાળના અવશેષરૂપ પંડિત નેહરુના સર્જન આયોજનપંચને બનતી ત્વરાએ વિખેરી નાખીને વડાપ્રધાન મોદીએ, ભારતનો કાયાકલ્પ કરવા માટે ‘નીતિ’-આયોગ નામે જ એક સંસ્થાનું નિર્માણ ૨૦૧૫ના આરંભે કર્યું. મોદી સરકાર એના દ્વારા શરૂ કરવામાં આવતી નવી યોજનાઓનાં નામો હિંદીમાં આપવાનું પસંદ કરે છે, પણ આ નવી રચવામાં આવેલી અને જેની પાસેથી દેશનો કાયાકલ્પ કરવા જેવી બહુ મોટી આકાંક્ષા રાખવામાં આવી છે, તે સંસ્થાનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (National Institute for Transforming India). આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. નવી રચાયેલી સંસ્થાને આયોગ(કમિશન)નો દરજ્જો આપવામાં આવ્યો હોવા છતાં એના નામમાં ‘ઇન્સ્ટિટ્યૂટ’ શબ્દનો કેમ ઉપયોગ કરવામાં આવ્યો છે, એવો પ્રશ્ન ઊભો થાય, પણ અહીં જે ચર્ચા કરવી છે, તેમાં એ ટેક્નિકલ પ્રશ્ન અપ્રસ્તુત છે.

એક પ્રજા તરીકે સંસ્થાઓ રચવાની બાબતમાં આપણી જે ખાસિયતો છે, તે આ ‘નીતિ’ની રચનામાં બરાબર જોઈ શકાય છે. સંસ્થા રચીએ, ત્યારે તેના ઉદ્દેશો નક્કી કરવામાં આપણે કોઈ મણા રાખતા નથી. ઉદ્દેશો જેટલા ઉદાત્ત ભાવનાઓથી ભરેલા અને મહત્ત્વાકાંક્ષી હશે, એટલી સંસ્થા સારી દેખાશે, એવી માનસિકતા આપણે ધરાવીએ છીએ. પેલા કવિની પંક્તિ એ બાબતમાં આપણી માર્ગદર્શક બને છે : ‘નિશાનચૂક માફ, નહિ નીચું નિશાન.’ પણ આ ઊંચાં નિશાન પ્રસ્તુત સંસ્થા કયા કાર્યક્રમો કે પગલાં દ્વારા પાર પાડશે, એ માટેની આવશ્યક ક્ષમતાઓ એ ધરાવે છે કે કેમ, એ વિશે આપણે ભાગ્યે જ કશી વિચારણા કરીએ છીએ. પોતાને સોંપવામાં આવેલ કયા ઉદ્દેશો કયા સ્વરૂપે અને કયા માર્ગોએ હાંસલ કરવા એની ગડમથલ કરવાનું સંસ્થામાં નીમવામાં આવેલા નિષ્ણાતો પર છોડવામાં આવે છે. તેથી સંસ્થા વાસ્તવમાં તેના સ્થાપકોની કલ્પનાથી જુદો જ આકાર ધારણ કરે છે. નીતિ આયોગ આપણી આ પરંપરાનું એક વધુ ઉદાહરણ બની રહેશે.

પ્રથમ, નીતિના ઉદ્દેશો તપાસીએ. આ ઉદ્દેશો આયોગની રચનાની જાહેરાત કરતી અખબારી યાદીમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે સારા શાસન માટે, ન્યાયી અને ટકાઉ વિકાસ માટે ઉત્તમ નીતિઓ આપશે, અમલ થઈ રહ્યો હોય એવા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરશે, લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડશે, વિકાસનો પૂરતો લાભ નહિ મેળવી શકનારાઓ પર ખાસ ધ્યાન આપશે. સરકારની ‘થિન્ક ટૅન્ક’ તરીકે કાર્ય કરશે. તે રાજ્યો અને કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર વ્યૂહાત્મક અને ટેક્નિકલ સલાહસૂચન કરશે.

ઉદ્દેશોની આ યાદીમાંથી આયોગના બે ઉદ્દેશો કે તેનાં બે કાર્યો ફલિત થાય છે. એક, તેણે સરકારના સલાહકાર તરીકે કાર્ય કરવાનું છે. તેમાં ટકાઉ અને લોકભાગીદારી ધરાવતા વિકાસ માટેની ટૂંકા અને લાંબા ગાળાની નીતિઓ તેમ જ કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે નીતિઓ દર્શાવવી, તે મુખ્ય કામગીરી છે. વિકાસ ટકાઉ, ન્યાયી એટલે સમાન વહેંચણી ધરાવતો (અથવા ઓછી અસમાનતા ધરાવતો) હોવો જોઈએ, એવો આદર્શ આયોગે નજર સમક્ષ રાખવાનો છે. બીજું, સરકાર દ્વારા જે વિવિધ વિકાસ-કાર્યક્રમો ચાલતા હોય, તેમનું તેણે મૂલ્યાંકન કરવાનું છે.

પણ વડાપ્રધાનશ્રીએ તેમના ટ્વીટર પર આ સંસ્થાના ઉદ્દેશોને થોડા વિસ્તાર્યા હતા અને થોડા વધુ મહત્ત્વાકાંક્ષી બનાવ્યા હતા ઃ

૧. વડાપ્રધાને તેમના ટ્વીટર પર લખ્યું હતું કે “મુખ્યમંત્રી તરીકે મેં કામગીરી બજાવી હોવાથી રાજ્યો સાથે સક્રિય પરામર્શનનું શું મહત્ત્વ છે, તે હું જાણું છું. નીતિઆયોગ બરાબર એ કરશે.”

૨. વડાપ્રધાને જેને નીતિઆયોગનો માર્ગદર્શક સિદ્ધાંત કહ્યો છે. તેમાં ‘આદર્શ વિકાસ’નાં બધાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે. વિકાસ લોકાભિમુખ, લોકોની સક્રિય ભાગીદારીવાળો, લોકોનું સશક્તીકરણ કરનારો અને ત્યાગપૂર્ણ હોવો જોઈએ.

૩. નીતિઆયોગની રચના સાથે બધાં રાજ્યો માટે ‘એક સમાન કાર્યક્રમો’(One size fits all)ના અભિગમને વિદાય આપવામાં આવી છે. આ આયોગમાં ભારતના વૈવિધ્ય અને તેની બહુવિધતા(pluality)નો પુરસ્કાર રહેલો છે.

૪. વડાપ્રધાન અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મળીને વિવિધ ક્ષેત્રો માટેના રાષ્ટ્રના અગ્રતાક્રમો અને તેમના વિકાસ માટેની વ્યૂહરચનાઓનો એક પરિપ્રેક્ષ્ય તૈયાર કરશે.

જે બદલાયેલા સંજોગોને કારણે આયોજનપંચને નાબૂદ કરવામાં આવ્યું છે, તે સંદર્ભને નીતિ આયોગની રચનામાં ધ્યાનમાં લેવામાં આવ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૧૯૯૧માં નવી આર્થિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે વર્ણવવામાં આવી છે. આ નીતિ પ્રમાણે રાજ્યે અંગસંકોચ કરીને ખાનગી ક્ષેત્રને વધુ ને વધુ અવકાશ આપવાનો છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિમાં બજારનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોને પૂરતી મોકળાશ આપવાની છે. ટૂંકમાં, વિકસિત મૂડીવાદી દેશોનાં અર્થતંત્રોની જેમ ભારતના અર્થતંત્રને સરકારના હસ્તક્ષેપ વિના કાર્ય કરવા દેવાનું છે. એને અનુલક્ષીને નીતિ-આયોગમાં બજારવાદી તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ભારતની આર્થિક નીતિનો દોર અમેરિકાની યુનિવર્સિટીઓ અને વિશ્વબૅંક જેવી સંસ્થાઓમાં બજારવાદની તાલીમ પામેલા અર્થશાસ્ત્રીઓના હાથમાં છે, એવી ડાબેરીઓની ટીકામાં ઘણું તથ્ય છે.

પણ અહીં ચર્ચાને નીતિઆયોગના ઉદ્દેશો પૂરતી મર્યાદિત રાખી છે. આયોગના ઉદ્દેશો જે વ્યાપક રીતે રજૂ કરવામાં આવ્યા છે, તે તેમને આયોગે કરવાનાં કાર્યોની બાબતમાં અસ્પષ્ટ બનાવી મૂકે છે. આયોગના એક સભ્ય બિબેક ડેબ્રોયે (Bibek Debroy) એક રાષ્ટ્રીય અખબારને મુલાકાત આપી હતી, તેમાં તેમણે આ મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંડળના ઠરાવમાં આયોગનું કાર્યક્ષેત્ર વ્યાપક રીતે આલેખાયું છે. એને ચોક્કસ મુદ્દાઓ પર કેન્દ્રિય (pin down) કરવાની જરૂર છે. ડેબ્રોએ બે કાર્યોનો ઉલ્લેખ હતો :

એક, તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો આયોજન કરવાનું નથી તો નીતિ શું કરશે ? જવાબમાં આ બજારવાદી અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે ‘સંસાધનો જ્યારે ખાનગી ક્ષેત્રમાં સર્જાતાં હોય, ત્યારે આયોજન હોઈ શકે નહિ.’ પણ જેને દીર્ઘદર્શી આયોજન (perspective planning) કહે છે, તેવી યોજના આયોગ તૈયાર કરશે. આ દીર્ઘદર્શી આયોજનનો ડેબ્રોયનો ખ્યાલ કંઈક આવો છે : એક દસકા પછી દેશનો આર્થિક, સામાજિક અને માનવવિકાસ કેવો અને કેટલો થવો જોઈએ, તેનો એક આદર્શ નકશો તૈયાર કરવામાં આવશે.

બીજું, નીતિઆયોગે તત્કાળ જે કાર્ય હાથ ધર્યું છે, તે રાજ્ય અને જિલ્લા સ્તરે ચાલતા સરકારી કાર્યક્રમોનાં મૂલ્યાંકનનું છે. તેમનો ઉદ્દેશ તો ગ્રામ અને તાલુકા સ્તરે ચાલતા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવાનો છે, પણ માહિતીના અભાવે તેમને જિલ્લા સ્તરેથી મૂલ્યાંકનનો આરંભ કરવો પડશે.

ડેબ્રોએ જે બે કાર્યોનો ઉલ્લેખ કર્યો છે, તેના સંદર્ભમાં બે હકીકતોની નોંધ લેવા જેવી છે. ડેબ્રોએ જે દીર્ઘદર્શી આયોજનનો ઉલ્લેખ કર્યો છે. તેવું આયોજન ૧૯૫૦થી ’૭૦ના બે દસકા દરમિયાન સારી રીતે કરવામાં આવ્યું હતું. પરંતુ અનુભવે એ વ્યાયામ ઉપયોગી ન જણાવાથી તેના પરત્વે દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. દેશના અર્થતંત્રમાં રાજ્ય મોટી ભૂમિકા ભજવતું હોવા છતાં અને ખાનગી ક્ષેત્ર પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવા છતાં દેશના આર્થિક પ્રવાહોને આયોજિત દિશામાં વાળી શકાતા નહોતા. દેશનું અર્થતંત્ર બજારનાં પરિબળો પ્રમાણે જ ચાલતું હતું, તેથી ૧૦-૧૫ વર્ષ પછી અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં કેટલો વિકાસ સધાયો હશે અથવા સાધવો જોઈએ, એ નક્કી કરવાથી કોઈ હેતુ પાર પડતો નહોતો. હવે આયોજનની વિદાય સાથે રાજ્યની ભૂમિકા સીમિત થઈ ગઈ છે અને ખાનગી સાહસને વધુ ને વધુ મોકળાશ આપવાની છે, તે જોતાં આયોગનાં દસ વર્ષ પછીના અર્થતંત્રના વિકાસના દર્શનથી કયો હેતુ પાર પડશે એ પ્રશ્ન છે.

બીજું, સરકારના કાર્યક્રમોનું મૂલ્યાંકન વિખેરી નાખવામાં આવેલા આયોજનપંચના એક વિભાગ દ્વારા કરવામાં આવતું હતું. એ વિભાગ દ્વારા મુખ્યત્વે કેન્દ્ર સરકારના અને તેના દ્વારા પુરસ્કૃત કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ અપવાદરૂપ બની જવાની છે અને દેશનાં ૩૦ રાજ્યો પોતાની રીતે પોતાના રાજ્ય માટેના વિકાસ કાર્યક્રમો તૈયાર કરવાનાં છે. નીતિ-આયોગ આ બધાં જ રાજ્યોના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરી શકશે ? પોતાના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરાવવાનો નિર્ણય કરવા માટે રાજ્યો મુક્ત હશે કે આયોગ પાસે મૂલ્યાંકન કરાવવાનું ફરજિયાત હશે ?

વડાપ્રધાને એમના ટ્વીટરમાં આયોગના જે ઉદ્દેશો દર્શાવ્યા હતા, તે પૈકી બે ઉદ્દેશોની ચર્ચા કરવાનું રસપ્રદ થશે. તેમણે આયોગ રાજ્યો સાથે સક્રિય પરામર્શ કરશે એ મુદ્દા પર ભાર મૂક્યો હતો અને નીતિ આયોગની રચના સાથે બધાં રાજ્યો માટે સમાન કાર્યક્રમોના અભિગમને વિદાય આપવામાં આવી છે. એવો દાવો કર્યો હતો. આમાં પ્રથમ એક હકીકત નોંધીએ.

બધાં રાજ્યો માટે એકસરખી યોજનાઓનો અભિગમ યોગ્ય નથી. એ મુદ્દો સ્વીકારીને ૧૪મા નાણાપંચે રાજ્યોની વિત્તીય સ્વાયત્તતામાં ગણનાપાત્ર વધારો કરી આપ્યો છે. ૧૩મા નાણાપંચે કેન્દ્ર સરકારની કરની કુલ આવકના ૩૨ ટકા રાજ્યો વચ્ચે વહેંચવાની ભલામણ કરી હતી. એ પ્રમાણ વધારીને ૧૪મા નાણાપંચે ૪૨ ટકાનું કર્યું છે. આ બદલાયેલી સ્થિતિમાં કેન્દ્ર સરકારે હવે રાજ્યોને યોજનાકીય સહાય આપવાની રહેતી નથી તેમ રાજ્યો માટેની કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ પણ અપવાદરૂપ બની જશે. મુદ્દો એ છે કે રાજ્યો માટે ‘એક-સમાન કાર્યક્રમો’ના અભિગમને વડાપ્રધાનશ્રીએ દાવો કર્યો છે, તેમ નીતિઆયોગની રચનાથી ત્યજી દેવામાં આવ્યો નથી, પણ ૧૪મા નાણાપંચની ભલામણોને કારણે એ નીતિનો આપમેળે અંત આવ્યો છે.

નવી નીતિ પ્રમાણે હવે કેન્દ્ર સરકારના પાસે રાજ્યોને યોજનાકીય સહાય મળવાની ન હોવાથી રાજ્યોએ પોતાની યોજનાઓની મંજૂરી માટે નીતિઆયોગ પાસે જવાનું રહેતું નથી. રાજ્યોમાં જેનો અમલ કરવાનો છે, એવી કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ અપવાદરૂપ બની જવાની છે. પોતાના રાજ્ય માટેના કાર્યક્રમો ઘડવા માટે રાજ્યો હવે સ્વાયત્ત બન્યાં છે. આ સ્થિતિમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચે પરામર્શન કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. ટૂંકમાં, ૧૪મા નાણાપંચની ભલામણોએ વડાપ્રધાને ભારપૂર્વક રજૂ કરેલાં નીતિઆયોગનાં ઉપર્યુક્ત બે કાર્યોનો છેદ ઉડાડી દીધો છે. રાજ્યોને આયોગ પાસે જવાનું  કોઈ કારણ રહ્યું નથી.

અલબત્ત, વિવિધ ક્ષેત્રો માટેની બજારવાદી નીતિઓ આયોગ તૈયાર કર્યે જશે. આ નીતિઓનો પાયાનો ઉદ્દેશ જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર હશે. આયોગની રચનાના ઠરાવમાં આદર્શ વિકાસનાં જે વિવિધ પાસાં નોંધવામાં આવ્યાં છે, તે ગૌણ બની જશે, કેમ કે આ બજારવાદી અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે લાંબો સમય ટકી રહેતો ૮-૧૦ ટકાનો વૃદ્ધિદર આદર્શ વિકાસમાં અભિપ્રેત બધા ઉદ્દેશો પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. જો કે લાંબો સમય કેટલા દસકાનો હશે, તેનો ફોડ પાડવામાં આવતો નથી. છેલ્લા ત્રણેક દસકા દરમિયાન બજારવાદી નીતિના પ્રચલનથી ચીનમાં ઊંચા વૃદ્ધિદરની સાથે અસમાનતા વધી છે અને પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, એ હકીકતને આ અર્થશાસ્ત્રીઓ નજરઅંદાજ કરે છે. પણ આયોગ સમક્ષનો તત્કાલીન પ્રશ્ન મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને, તેમાં પણ તેના શ્રમપ્રચુર વિભાગોને ઝડપથી વિકસાવવાનો છે, જેથી ઝાઝી તાલીમ પામ્યા ન હોય એવા યુવાનોના વિશાળ વર્ગ માટે રોજગારીની તકો સર્જાય. હવે લોકોની દષ્ટિએ ઊંચો વૃદ્ધિદર આર્થિક સિદ્ધિનો માપદંડ નથી, પણ તેનાથી રોજગારી કેટલી સર્જાય છે, તે માપદંડ છે.

૨૦૨, ઘનશ્યામ ઍવન્યૂ, નવા શારદામંદિર સામે, પાલડી, અમદાવાદ – 380 007

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 03-04

Loading

...102030...3,7663,7673,7683,769...3,7803,7903,800...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved