Opinion Magazine
Number of visits: 9456869
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટૃની સામાજિક-રાજકીય તાસીર કેવી છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 October 2024

રમેશ ઓઝા

૨૦૧૪ની સાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અત્યારની જેમ જ લોકસભાની ચૂંટણી પછી તરત જ યોજાઈ હતી અને મહારાષ્ટ્રમાં બી.જી.પી.ને એકલે હાથે બહુમતી મળી નહોતી. લોકસભા માટે બી.જે.પી.એ મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ ૪૮માંથી ૨૪ મતદારક્ષેત્રોમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તેમાંથી ૨૩ ઉમેદવારો જીત્યા હતા. બી.જે.પી.ને ૨૦૦૯ની સાલની ચૂંટણી કરતાં ૧૪ બેઠકો વધારે મળી હતી. એ સમયના બી.જે.પી.ના સાથી પક્ષ શિવસેનાએ ૨૦ મતદારક્ષેત્રોમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને ૧૮ બેઠકો મળી હતી. સેનાને ૨૦૦૯ની તુલનામાં ૯ બેઠકો વધારે મળી હતી. સેના-બી.જે.પી.ના એન.ડી.એ. મોરચાને કુલ ૪૮ બેઠકોમાંથી ૪૧ બેઠકો મળી હતી અને ૫૧.૭૫ ટકા મત મળ્યા હતા. બી.જે.પી.એ ત્યારે એમ માન્યું હતું કે આ વિજય તેનો પોતાનો છે, નરેન્દ્ર મોદીનો છે અને શિવસેના તો તેની લાભાર્થી છે. મહારાષ્ટ્રની તાસીર નહીં જાણનારા કોઈ પણ આવું માને એ સ્વાભાવિક છે. વાતાવરણ પને સમયે એવું જ હતું. નરેન્દ્ર મોદીનો ડંકો વાગતો હતો.

એ જ વરસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ સેના પાસેથી એટલી બધી બેઠકો માગી કે તેને સેનાના ટેકાની જરૂર ન પડે. બી.જે.પી.ના નેતાઓને એમ લાગવા માંડ્યું હતું કે સેના તેની આશ્રિત છે અને હવે તેણે દ્વિતીય સ્થાન સ્વીકારી લેવું જોઈએ. સાથે આવે તો ઠીક છે નહીંતર ચાલતી થાય. દેખતી રીતે સમજૂતી થઈ નહીં અને બન્ને પક્ષોએ ૨૫ વરસ જૂની યુતિ તોડી નાખી. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ ૨૮૮ બેઠકોમાંથી ૨૬૦ બેઠકો પર ઉમેદવારી કરી હતી અને ૨૮ બેઠકો ફૂટકળ પક્ષોને આપી હતી. પરિણામ ચોંકાવનારાં હતાં. બી.જે.પી.ને ૨૬૦ બેઠકોમાંથી ૧૨૨ બેઠકો મળી અને બહુમતીથી તે ૨૩ બેઠકોથી પાછળ હતી. લોકસભાનો બી.જે.પી.નો સ્ટ્રાઈક રેઈટ (ઊભા રાખેલા ઉમેદવારો સામે જીતેલા ઉમેદવારોનું પ્રમાણ) આ વખતે જોવા ન મળ્યો. બી.જે.પી.એ સરકાર રચવા શિવસેનાની મદદ લેવી પડી હતી.

૨૦૧૯નું વર્ષ તો નરેન્દ્ર મોદીનું દિગ્વિજયનું વર્ષ હતું. એ ચૂંટણીમાં એન.ડી.એ.ને ૫૧.૩૪ ટકા મત સાથે ૪૮માંથી ૪૩ બેઠકો મળી હતી અને યુ.પી.એ.(કાઁગ્રેસ અને શરદ પવારની એન.સી.પી.)ને ૩૨.૭ ટકા મત સાથે માત્ર પાંચ બેઠક મળી હતી. હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહને એમ લાગ્યું હતું કે ૨૦૧૪માં ભલે બી.જે.પી.ને મહારાષ્ટ્રમાં એકલા હાથે સરકાર રચવા જેટલી બેઠકો નહીં મળી, પણ આ વખતે તો જરૂર મળવાની છે. ૨૦૧૪ની તુલનામાં બે બેઠકો વધારે મળી હતી અને એ બન્ને બેઠકો બી.જે.પી.ને મળી હતી. હવે શિવસેનાની કાખઘોડીની જરૂર નહીં પડે.

૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે બી.જે.પી.એ સેનાને લાત મારી અને યુતિ તોડી નાખી. પરિણામો ચોંકાવનારાં હતાં. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં બી.જે.પી.ની બેઠકોમાં અને મતમાં અનુક્રમે ૧૭ અને બે ટકાનો ઘટાડો થયો. બી.જે.પી.ને માત્ર ૧૦૫ બેઠકો મળી. શિવસેના સાથે બી.જે.પી.એ બીજી વાર વિશ્વાસઘાત કર્યો હતો. આ વખતે બી.જે.પી.ની સાથે જવાની જગ્યાએ શિવસેનાએ કાઁગ્રેસ અને એન.સી.પી. સાથે મળીને સરકાર રચી અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા.

લોકસભાની ચૂંટણીમાં શિવસેનાનો ઉપયોગ કરવાનો અને વિધાનસભાની ચૂંટણી વખતે લાત મારવાની રમત બે વખત રમ્યા પછી હવે ત્રીજી વાર એ રમી શકાય એમ નહોતી એ બી.જે.પી.ના નેતાઓ જાણતા હતા. યેનકેન પ્રકારેણ મહારાષ્ટ્ર કબજે કરવું હતું, કારણ કે મહારાષ્ટ્ર પાસે મુંબઈ છે, બે પોર્ટ છે, મુંબઈ અને મુંબઈ પ્રદેશ(જે મુંબઈ મેટ્રોપોલિટન રિજિયોન – એમ.એમ.આર.ડી.એ. તરીકે ઓળખાય છે.)ની એકએક ઇંચ જમીન સોનાની લગડી જેવી કિંમતી છે, આ સિવાય પૂના અને ઔરંગાબાદ છે અને તે ઉપરાંત દેશમાં સૌથી વધુ મહેસૂલી આવક મહારાષ્ટ્ર આપે છે. પણ એ કબજે થતું નહોતું. બે વખત નિષ્ફળતા મળી. બ્રેન્ડ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં સફળતા અપાવે છે, પણ વિધાનસભાની ચૂંટણી વખતે નિષ્ફળ નીવડે છે. એવું શું છે મહારાષ્ટ્રમાં કે નરેન્દ્ર મોદી નામની બ્રેન્ડ અને અમિત શાહની ચાણક્યબુદ્ધિ એમ બન્નેને સફળતા મળતી નહોતી? મહારાષ્ટ્રમાં જ્યાં દેશનાં મધ્યમવર્ગનું પ્રમાણ સૌથી વિશાળ છે અને મધ્યમવર્ગ નરેન્દ્ર મોદીની સૌથી મોટી તાકાત છે.

આનાં કારણોની ચર્ચા કરતાં પહેલાં બી.જે.પી.ની તાત્કાલિક જરૂરિયાત અને તેણે અપનાવેલા માર્ગની વાત કરી લઈએ. વિકલ્પ બે બચતા હતા : પહેલો વિકલ્પ વિરોધ પક્ષોની અંદર ફૂટ પડાવવી અને બીજો વિકલ્પ જ્યાં જરૂર હોય ત્યાં વોટ કટવાઓને ઊભા કરીને વિરોધ પક્ષોના ઉમેદવારોને પરાજીત કરવા. બી.જે.પી.એ શિવસેના અને એન.સી.પી.માં વિભાજન કરાવ્યું. ચૂંટણીપંચે વિભાજીત ફાડિયાંઓને સાચા પક્ષ તરીકેની માન્યતા આપી દીધી અને ચૂંટણી ચિહ્ન સ્થગિત કરવાની જગ્યાએ તેને આપી દીધું. વધુ નહીં તો ૨૫થી ૪૦ ટકા મત વિભાજીત ફાડિયાં લઈ આવશે અને એ પછી વોટ કટવાઓ તો છે જ એવી ગણતરી હતી. જો શિવસેના અને એન.સી..પીના કમ સે કમ ૪૦ ટકા મત એકનાથ શિંદે અને અજીત પવાર લઈ આવે તો ભયોભયો.

પણ એ રમત વિધાનસભાની ચૂંટણી તો બાજુએ રહી એ પહેલાં યોજાયેલી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બૂમરેંગ થઈ. ૨૦૧૪ અને ૨૦૧૯થી ઊલટું બ્રેન્ડ નરેન્દ્ર મોદીને આ વખતની ચૂંટણીમાં સફળતા મળી નહીં. દેશનો સૌથી મોટો મધ્યમવર્ગ જ્યાં વસે છે ત્યાં સફળતા મળી નહીં. મુંબઈ શહેરમાં સફળતા મળી નહીં. બી.જે.પી.એ ૨૮ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા તેમાંથી માત્ર નવ જીત્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં ૯૦ ટકાનો સ્ટ્રાઈક રેટ (ઊભા રાખેલા ઉમેદવારોમાંથી જીતેલા ઉમેદવારોનું પ્રમાણ) ઘટીને ૩૦ ટકા પર આવી ગયો. બ્રેન્ડ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં મોટો ઘસારો પહોંચ્યો અને હવે વિધાનસભાની ચૂંટણીમાં કસોટી થવાની છે. ચૂંટણી જીતવા વિરોધ પક્ષોમાં ફૂટ પડાવવામાં આવે એ કોઈ નવી રમત નથી. મધ્ય પ્રદેશમાં અને બીજાં રાજ્યોમાં પણ આ અકસીર ઈલાજ બી.જે.પી.એ કર્યો હતો. સફળતા પણ મેળવી. એક મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં ફૂટ પડાવવાનો અને વોટ કટાવાઓને ઊભા કરવાનો ઈલાજ અજમાવ્યા પછી પણ સફળતા મળતી નથી અને એ પણ લોકસભાની ચૂંટણીમાં.

વળી મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. સંઘ પર અને અર્થાંતરે બી.જે.પી. પર મહારાષ્ટ્રના સંઘના નેતાઓનો અંકુશ છે. એક રીતે જુઓ તો દેશ પર મહારાષ્ટ્રના લોકો શાસન કરે છે. એમ કહેવાય છે કે નિર્ણયો નાગપુરમાં લેવામાં આવે છે. હિન્દુત્વની ગંગોત્રી મહારાષ્ટ્ર છે. વિનાયક દામોદર સાવરકર મહારાષ્ટ્રના હતા. લોકમાન્ય ટીળક મહારાષ્ટ્રના હતા અને ટીળકના અનુયાયીઓ સંઘ/જનસંઘ/બી.જે.પી.ને શરૂઆતથી જ ટેકો આપતા રહ્યા છે. આ બધા સંજોગો જોતાં મહારાષ્ટ્ર-પ્રવેશ તો બી.જે.પી. માટે સૌથી આસાન હોવો જોઈતો હતો, પણ અનુભવ એવો છે કે બી.જે.પી. માટે મહારાષ્ટ્ર-પ્રવેશ સૌથી વધુ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે મહારાષ્ટ્ર-પ્રવેશના બે પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. હવે ત્રીજી વાર કસોટી થવાની છે.

શા માટે? એવું શું છે મહારાષ્ટ્રની સામાજિક-રાજકીય તાસીરમાં કે હિન્દુત્વની જ્યાં ગંગોત્રી છે એ રાજ્યમાં જ બી.જે.પી.ને પ્રવેશવામાં મુશ્કેલી પડી રહી છે? મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રની સામાજિક-રાજકીય તાસીર સમજી લેવી જોઈએ અને એવો એક પ્રયાસ હવે પછીના લેખમાં કરવામાં આવશે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 27 ઑક્ટોબર 2024

Loading

લૉરેન્સ બિશ્નોઈઃ જેલમાંથી પોતાની ક્રાઇમ સિન્ડીકેટ ચલાવી બની ગયો છે ‘હિંદુ ડોન’?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 October 2024

સુપરસ્ટારને તમે ધાકમાં રાખી શકતા હોવાની છાપ ખડી કરો તો બેરોજગારીમાં ગેરમાર્ગે દોરાયેલા જુવાનિયાઓ તમારી ‘ગેંગ’ના સભ્ય બનવા તરત તૈયાર થઇ જાય, આ લૉરેન્સ બિશ્નોઈનું ઇમેજ મેનેજમેન્ટ છે

ચિરંતના ભટ્ટ

લૉરેન્સ બિશ્નોઈ, આ નામ આપણે માટે નવું નથી. દિવાળી પહેલાં લૉરેન્સ બિશ્નોઈએ ખાસ્સા એવા ફટાકડા ફોડ્યા છે. 2014થી જેલમાં પુરાયેલો એક જુવાનિયો ભારત નહીં પણ કેનેડા અને યુ.એસ.એ.માં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પાછું સોશ્યલ મીડિયા પર લૉરેન્સ બિશ્નોઇની વાહવાહી કરનારાઓનો પાર નથી. 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસે વાલાની ગેંગવૉર સ્ટાઇલમાં હત્યા થઇ અને લૉરેન્સ બિશ્નોઇએ તેની જવાબદારી સ્વીકારી એટલે તેનું નામ લોકોને હોઠે ચઢ્યું. હમણાં કેનેડાએ ભારત સામે વિધાનો કર્યા એમાં તો કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારતીય એજન્ટો લૉરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરની મદદ લઇને તેમના દેશમાં આતંક ફેલાવે છે. આટલું ઓછું હોય ત્યાં અમેરિકાના ગુરપતવંત સિંઘ પન્નુનના મર્ડરનો પ્લોટમાં પૂર્વ ભારતીય અધિકારી વિકાસ યાદવનો હાથ હોવાનો આરોપ થયો અને તે અધિકારીની કડી લૉરેન્સ બિશ્નોઇ સાથે જોડાયેલી હોવાનો દાવો છે. ઘર આંગણાની વાત કરીએ તો મુંબઈના રાજકારણી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા થઇ અને એમાં લૉરેન્સનું નામ આવ્યું. તેના નિશાને અભિનેતા સલમાન ખાન તો છે જ પણ શું ખરેખર સલમાન ખાનને ધમકી, તેના ઘરની બહાર ગોળીબાર વગેરે લૉરેન્સનો એક માત્ર એજન્ડા છે?

નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી NIAએ ગયા વર્ષે માર્ચ મહિનામાં એક ચાર્જશીટ ફાઇલ કરી જેમાં લૉરેન્સ બિશ્નોઈ અંગે નવાઈ પમાડે એવી માહિતીઓ હતી. લૉરેન્સ બિશ્નોઈને દાઉદ ઈબ્રાહીમ સાથે સરખાવાયો કે જેલમાં બેઠા બેઠા પણ તેનું નેટવર્ક, તેની પહોંચ છેલ્લાં દસ વર્ષમાં વધી છે અને તેની નીચે 700 શૂટર્સ કામ કરે છે. ખંડણી હોય કે હત્યા – મળો યા લખો લૉરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલ – વાળી ઇમેજ છે આ ગુનેગારની, એ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે. જો આપણને એમ લાગતું હોય કે બિશ્નોઈ જાતિના લૉરેન્સ બિશ્નોઈને માટે સલમાન ખાનને નિશાને લઈને ચર્ચામાં આવવું એક અગત્યનો એજન્ડા છે તો ત્યાં જ આપણી ભૂલ થાય છે. આ સમજવા માટે આપણે લૉરેન્સની વાહવાહી કરનારા લોકોને સમજવા પડે. ગોડસે પ્રેમીઓને લૉરેન્સ બહુ વ્હાલો લાગે છે અને આ કટ્ટરવાદી હિંદુ ડોનના તેઓ ખોબલેને ખોબલે વખાણ કરે છે તે સોશ્યલ મીડિયા પર દેખાઈ આવે છે. આમે ય મનોવિજ્ઞાને એવા અભ્યાસ કર્યા છે જેમાં અમુક લોકોને ગુનાઈત પ્રકૃતિના લોકો માટે એક વિચિત્ર પ્રકારનું આકર્ષણ હોય છે. ડોન અને ગેંગસ્ટરની ફિલ્મો અમસ્તી જ હિટ જાય છે? લોરેસન્સ બિશ્નોઈ એક એવો જુવાનિયો જેની ફટકી એટલે એ ધારે એની ગોળી મારીને હત્યા કરાવી શકે છે, એનો લોકશાહી, બંધારણ, કાયદો કે વ્યવસ્થા સાથે દૂર દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી. પણ લઘુમતીના મોટા માથાઓને કાબૂમાં રાખી શકનારો ગેંગસ્ટર ચોક્કસ વર્ગને બહુ ગમી ગયો છે.  કમનસીબે આપણા સમાજમાં ગુનેગારોને ન મળવું જોઇએ એટલું માન મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં લૉરેન્સ બિશ્નોઈ વિધાનસભાની ચૂંટણી લડશે એવી અફવા આવી, તેની સરખામણી ભગત સિંહ સાથે કરાઇ તો એક સાધ્વીએ તો તેને માસૂમ બાળક એમ કહીને ગાંધીવાદી હોવાનું લેબલ પણ આપ્યું.

લોરેન્સ બિશ્નોઇ

શું લૉરેન્સ બિશ્નોઈ ખરેખર જામીન પર બહાર આવીને ચૂંટણીમાં ઝંપલાવશે? હિંદુ ડોન તરીકે માથે ચડાવાયેલા આ ગુનેગારનો ઉપયોગ કરી, તેની પાસે ધાર્યું કામ કરાવીને પછી તેને ગુમનામીની ગર્તામાં ધકેલી દેનારા ખેલંદાઓ પણ તો આપણે ત્યાં હોઇ શકે? આ લૉરેન્સ આખરે છે કોણ? 1993માં પંજાબમાં જન્મેલા બલકરણ બ્રારનું નામ એક અંગ્રેજી અધિકારીના નામ પરથી લૉરેન્સ (આ જ અધિકારીએ સનાવરમાં લૉરેન્સ સ્કૂલ સ્થાપી હતી) કરાયું કારણ કે તે દેખાવડો હતો. કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો, મોંઘા દાટ કપડાં પહેરતો લૉરેન્સ ગેંગસ્ટર બની જશે એવી તેના માતા-પિતાને કલ્પના ન જ હોય. સો એકર જમીન અને મોટો બંગલો ધરાવતો પરિવાર, લૉરેન્સના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા જે બાદમાં ફરી ખેતી કરવા માંડ્યા અને અત્યારે દીકરો જેલમાં સચવાય એટલે વર્ષે ચાળીસ લાખ રૂપિયા તો તેનો પરિવાર આરામથી ખર્ચી નાખે છે. લૉરેન્સની જિંદગીમાં પ્રેમ અને કૉલેજના રાજકારણે તેની દિશા અને દશા બદલી નાખી એમ કહેવાય છે. સ્કૂલમાં જો છોકરી ગમતી તેની સાથે કૉલેજમાં તેને પ્રેમ થયો. આ દરમિયાન તે કૉલેજના રાજકારણમાં પણ પ્રવૃત્ત થયો. સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઑફ પંજાબ યુનિવર્સિટી સ્થાપનારા લૉરેન્સને સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી જીતવી હતી પણ એમ ન થયું એટલે બળ બતાડવા તેણે બંદૂક ઉપાડી. આવતા વર્ષે ફરી ચૂંટણી થઇ ત્યારે વિરોધીઓએ તેની ગર્લફ્રેન્ડને જીવતી સળગાવી દીધી હતી હોવાનો આક્ષેપ છે અને ત્યારે જ બદલાની આગમાં લૉરેન્સે ગુનાની દુનિયામાં પગ મૂક્યો. વિરોધ પક્ષના ઉમેદવારની ગાડી સળગાવી દેવાના ગુનામાં લૉરેન્સ પહેલીવાર જેલ ગયો. વિદ્યાર્થી રાજકારણની બબાલમાં જેલમાં ગયેલા લૉરેન્સની ઓળખાણ યુ.એસ.એ.માં શસ્ત્રોનો વેપલો કરનાર સ્મગલર રણજીત દુપલા સાથે થઇ. આજે પણ રણજીત દુપલા યુ.એસ.એ.માં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જેલમાં જઇને લૉરેન્સને જાણે પોતાનું જોર બતાવાના અન્ય હજાર રસ્તા મળ્યા. જે વાત કૉલેજના રાજકારણ અને હિંસા પૂરતી સીમિત હતી તે ગોલ્ડી બ્રાર સાથેની મિત્રતા પછી અન્ય ગુનાઈત પ્રવૃત્તિઓ તરફ વધી. સંપત નેહરા, વિરેન્દ્ર પ્રતાપ સિંહ અને અમનદીપ મુલ્તાની આજે બિશ્નોઈ ગેંગના અગત્યના નામો છે, તે બધા લૉરેન્સના કૉલેજકાળના સાથીઓ છે. પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પતાવીને લૉરેન્સ ગુનાની દુનિયામાં પોતાની રીતે કાયદો વ્યવસ્થા બનાવવામાં મચી પડ્યો. દારુની હેરફેર, શસ્ત્રોનો વેપલો, બીજા ગુનેગારોને રક્ષણ પુરું પાડવાની સાથે સાથે અન્ય મોટા માથાઓ પાસેથી ખંડણી ઉઘરાવવાની કામગીરી પણ લૉરેન્સની ગેંગે શરૂ કર. 2013માં પંજાબ યુનિવર્સિટીના રાજકારણમાં લૉરેન્સ ખાસ્સો એક્ટિવ હતો. પોતાના ઉમેદવારને કોઇપણ ખટપટ વગર જીત મળે એ માટે તેણે વિરોધી ઉમેદવારને દીધો અને ત્યાંથી ભાગી ગયા. 2014માં રાજસ્થાન પોલીસે તેને પકડીને જેલભેગો કર્યો અને ત્યારથી આજ સુધી લૉરેન્સ જેલમાં જ છે. આમ તો વાત અહીં પતી જવી જોઇતી હતી પણ એવું થયું નથી. લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ માળું કોઈને કોઇ રીતે ચાલતું રહે છે. હવે આમાં શું સમજવું? સરકારની પકડ કાચી છે કે પછી લૉરેન્સને હાથો બનાવીને સરકાર પોતાના અમુક કામો કરાવી લેતી હશે?

2018માં લૉરેન્સ ચર્ચામાં આવ્યો કારણ કે એણે સલમાન ખાનને પતાવી દેવાની પ્રતિજ્ઞા કરી. કાળિયાર અને સલમાન વાળા કેસથી આપણે અજાણ નથી. એ કથિત ઘટના જ્યારે ઘટી ત્યારે લૉરેન્સ તો પાંચ વર્ષનો હતો અને એ પછી અત્યાર સુધીમાં જંગલોમાં ઘુસણખોરી કરનારાઓએ 100થી વધુ કાળિયાર માર્યા હોવાના અધિકૃત આંકડા હોવા છતાં લૉરેન્સને તો સલમાન ખાનનો જ ભોગ લેવો છે, એને બીજા કોઈ સાથે લેવાદેવા નથી. સીધી વાત છે કે સુપરસ્ટારને તમે ધાકમાં રાખી શકતા હોવાની છાપ ખડી કરો તો બેરોજગારીમાં ગેરમાર્ગે દોરાયેલા જુવાનિયાઓ તમારી ‘ગેંગ’ના સભ્ય બનવા તરત તૈયાર થઇ જાય. આ લૉરેન્સ બિશ્નોઈનું ઇમેજ મેનેજમેન્ટ છે અને એટલે જ તો બાબા સિદ્દીકીને ઉડાડી દેવા માટે પચાસ હજાર લઇને કામ કરનાર શૂટર તેને મળી ગયા.

લૉરેન્સની કામગીરાની ઢબ

જેલમાં બેઠા બેઠા લૉરેન્સે સલમાનને ધમકીઓ આપવા ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ, દિલ્હી, રાજસ્થાનમાં પોતાનું સામ્રાજ્ય પ્રસરાવ્યું. બિશ્નોઈ ગેંગ માટે કામ કરનાર દરેક માણસ પોતાના એક માત્ર કહેવાતા બૉસ સિવાય કોઇને નથી જાણતો – આ એ ગેંગનું તંત્ર છે. એક ઑપરેશનમાં કામ કરનારા લોકો એકબીજાને ઓળખતા નથી હોતા જેથી એક પકડાય તો બીજા સલામત રહે. બિશ્નોઈ ગેંગમાં જોડાવા માગનારા બેરોજગાર જુવાનિયાઓ પાસે ફોન હોય તો ય બહુ છે કારણ કે સોશ્યલ મીડિયાની મદદથી તેઓ ગેંગનો હિસ્સો બની શકે છે. લો  બોલો, ટેક્નોલૉજી અને ડિજીટાઇઝેશનનો આવો ઉપયોગ કરતાં પણ માળું ગેંગસ્ટરને જ આવડ્યું. જેલમાં બેઠા બેઠા લૉરેન્સે પોતાનું નેટવર્કિંગ એવું મજબૂત કરી દીધું છે કે તમે કલ્પી ન શકો. અનટ્રેસેબલ કૉલિંગ પણ આ ગેંગનું અગત્યનું હથિયાર છે જેના આધારે લૉરેન્સ પોતાના 700 ઑપરેટિવ્ઝ સાથે સંપર્કમાં રહે છે અને મન થાય તો મીડિયામાં ઇન્ટરવ્યુઝ પણ આપી દે છે.

યુનિયન હોમ મિનિસ્ટ્રીએ તો સાબરમતી જેલમાંથી તેને બીજા જેલમાં ખસેડવાની સાફ મનાઈ ફરમાવી છે. બાબા સિદ્દીકીની હત્યા પછી મુંબઈ પોલીસ તેની પૂછપરછ કરવા માગતી હતી પણ એ પણ નથી થઇ શક્યું. લૉરેન્સ સારી પેઠે જાણે છે કે પૈસા અને તાકાત તો એ મેળવી લેશે પણ રાજકારણીઓની ઉપર ધોંસ જમાવવા માટે એક અલગ નેરેટિવ જોઇશે. આ કારણોસર જ તેને હિંદુ રક્ષક અને હિંદુ ડોન તરીકેની ઓળખ આપીને સોશ્યલ મીડિયા પર ચગાવાઈ રહ્યો છે. એક વાત સ્પષ્ટ છે કે લૉરેન્સની પોતાની કોઇ નક્કર વિચારધારા નથી કારણ કે ભૂતકાળમાં જરૂર પડી ત્યારે ખાલિસ્તાનીઓ પાસેથી તેણે શસ્ત્રો પણ મેળવ્યા છે એટલે તેને ખાલિસ્તાની વિરોધી કહેવો ખોટું છે. પણ નક્કર વિચારધારા ન હોવા છતાં ગણપતિનું ટેટુ અને ભગતસિંઘના ફોટાવાળું ટી-શર્ટ પહેરનારા લૉરેન્સને બરાબર ખબર છે કે તેણે શું કરવાનું છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા, સુખદુલ સિંગની કેનેડામાં હત્યા, ગિપ્પી ગરેવાલના ઘરે કેનેડામાં હુમલો, સલમાન ખાનના ઘર પર ગોળીબાર, એ.પી. ઢિલ્લોંના ઘર સામે ફાયરિંગ અને છેલ્લે બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા – આ બધા પર લૉરેન્સ ગેંગની મોહર છે. આ બધું થાય છે પણ લૉરેન્સ ભાઇ તો સાબરમતી જેલની હવા ખાય છે, ન તો તેણે કઇ જમાનતની અરજી કરી છે કે ન તો કોઈ બીજી હિલચાલ છે. છતાં ય કેનેડા અને યુ.એસ.એ. સરકારે દસ વર્ષથી જેલમાં બંધ માણસનું નામ પોતાના દેશમાં થયેલા ગુનામા જોડાયેલું હોવાની વાત કરી છે. આ બધું દેખાય છે તેના કરતાં વધારે પેચીદું છે. NSAના અજીત દોવાલે ભૂતકાળમાં દાઉદ ઇબ્રાહીમને પતાવી દેવા માટે છોટા રાજનની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો એ વાત કંઇ છુપી નથી તો પછી આ છેલ્લા કેટલાક ઑપરેશન્સમાં લૉરેન્સની મદદ લેવાઈ હોય એમ બને? આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે એટલે જ જે દેખાય છે એ સ્વીકારી લેવાની ભૂલ ન કરવી જોઇએ.

બાય ધી વેઃ  

લોકો બિશ્નોઈ ગેંગને દાઉદની ડી કંપની સાથે સરખાવે છે. તેનો આતંક અને ડર દિવસે દિવસે વધી રહ્યા છે. યો યો હનીસિંગ અને સોનુ ઠકરાલ જેવા પંજાબી ગાયકોને ધમકી મળી ચૂકી છે તો દિલ્હીમાં કરોડોની ખંડણી માટે બિશ્નોઈ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હોવાના કિસ્સા છે. સલમાન ખાને પોતાની સલામતી માટે બનતા બધાં પગલાં લીધા છે અને છેલ્લા સમાચાર મુજબ તેના ફાર્મ હાઉસ પર તેને ઉડાડી દેવાની યોજના હતી. સ્ટેન્ડ અપ કૉમિક મુનાવ્વર ફારુકીને પણ ધમકીઓ મળી છે તો બાબા સીદ્દિકીના દીકરાને પણ સુરક્ષા મળી છે. અમિત ડાગર, મનદીપ ધારીવાલ, કૌશલ ચૌધરી બધા લૉરેન્સની વિરોધી ગેંગના સભ્યો છે જેમણે લૉરેન્સના ખાસ વિક્કી મિદ્દુખેરાની હત્યામાં સામેલ હતા.

લૉરેન્સ મોસ્ટ વૉન્ટેડ નહીં પણ મોસ્ટ પૉપ્યુલર છે, મહાત્મા ગાંધીના દેશમાં હાથમાં રિવોલ્વર પકડનારો ગુનેગાર હીરો બની રહ્યો હોય ત્યારે તેનાથી વધુ ચિંતાજનક કંઇ જ ન હોઇ શકે. હિંદુ ડોન તરીકે ઓળખ ખડી કરનારા લૉરેન્સને આપણા શાસ્ત્રોનું જ્ઞાન નહીં જ હોય કારણ કે આપણા શાસ્ત્રોમાં ખંડણી કે કોન્ટ્રાક્ટ કિલીંગને પ્રોત્સાહન આપતી વાત ક્યાં ય નથી.  લૉરેન્સની દાદાગીરી ખંડણીની સત્તા મજબૂત કરવા માટે છે, તેને ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી. લૉરેન્સને હીરો બનાવવામાં આપણે ન જોડાવું જોઇએ, એ ગુનેગાર છે, તેને નાયક બનાવતી વેબ સિરીઝ કે ફિલ્મો ન આવે તો સારું? બાકી મને એમ થાય કે લૉરેન્સ જેલમાં બેઠા બેઠા 700 જણાની ટીમ સાચવે છે પણ આપણે એક મેઇલનો જવાબ આપવા માટે રોજ બૉસના કહ્યે કોર્પોરેટ ઑફિસ સુધી રોજના ધક્કા ખાવા પડે છે, બોલો!

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2024

Loading

ભેંસના શિંગડાનો ન્યાય એક દિવસ ભા.જ.પ.ને પણ લાગુ પડવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 October 2024

I am passionate about politics, but when it comes to political parties, I am despondent. 

– F. Murry Abraham 

રમેશ ઓઝા

હોલીવુડના અમેરિકન અભિનેતા એફ. મરી અબ્રાહમ કહે છે કે રાજકારણની વાત આવે ત્યારે હું ઉત્તેજના અનુભવું છું, પણ જ્યારે રાજકીય પક્ષોને જોઉં છું તો નિરાશ થઈ જવાય છે. મનમાં અવસાદ પેદા થાય છે.

અબ્રાહમને જે અનુભવ થઈ રહ્યો છે એ આ લખનારને ૧૯૭૦થી રાજકારણ સમજતો થયો ત્યારથી થઈ રહ્યો છે. આમ પણ ભારતીય રાજકારણમાં ૧૯૬૦નો દાયકો મહત્ત્વનો છે. ૧૯૬૪માં જવાહરલાલ નેહરુનું અવસાન થયું. લાલબહાદુર શાસ્ત્રીનાં ટૂંકા ગાળાના શાસન પછી ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં. કાઁગ્રેસની અંદર જમણેરી અને ડાબેરી એમ બે છાવણી રચાઈ જે બહુ ઓછી વિચારધારા પર આધારિત હતી અને વધુ તો સત્તા માટેની હતી. ઇન્દિરા ગાંધી વડીલોને ગાંઠતા નહોતાં અને વડીલોને એમ લાગતું હતું કે નેહરુની દીકરી હોવાની એકમાત્ર લાયકાત ધરાવનારાં ઇન્દિરા ગાંધીએ તેમને પૂછીને શાસન કરવું જોઈએ અને માનસન્માન આપવાં જોઈએ. કાઁગ્રેસમાં વિભાજન થયું. સાઠીના દાયકામાં કાઁગ્રેસનો વિચારધારા સાથેનો સંબંધ ખતમ થઈ ગયો અને તે ચૂંટણી લડવા અને જીતવાના એક મશીનમાં ફેરવાઈ ગયો. જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ નવા આકાર પામેલા રાજકારણને કાઁગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવ્યું હતું. દેખીતી રીતે જ્યારે કાઁગ્રેસનો વિચારધારા સાથેનો સંબંધ ખતમ થતો ગયો ત્યારે વિચારધારાથી પ્રેરાઈને આવનારા કાર્યકર્તા આવતા બંધ થઈ ગયા. હવે જે કાઁગ્રેસમાં આવતા હતા તેમનું લક્ષ માત્ર અને માત્ર સત્તા હતું.

અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એક એ કે એ સમયે જે વિરોધ પક્ષો હતા તેને કાઁગ્રેસ સીસ્ટમ વિષે શું કહેવાનું હતું અને બીજો પ્રશ્ન એ કે એ પક્ષો કાઁગ્રેસ સીસ્ટમથી ન અભડાય એ માટે શું કર્યું? અહીં એફ. મરી અબ્રાહમ કહે છે એવી સ્થિતિ પેદા થવા લાગી. આઝાદી પછી તરત જ કેટલાક સમાજવાદીઓ સામે ચાલીને કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા. ઉદ્દેશ એવો હતો કે દેશને કાઁગ્રેસનો મધ્યમમાર્ગી પણ કેન્દ્રની ડાબે એવો એક વિકલ્પ મળે. તેમણે સમાજવાદી પક્ષની સ્થાપના કરી. સી. રાજગોપાલાચારી જેવા કાઁગ્રેસીઓ પણ થોડાં વર્ષ પછી કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા. તેમને એમ લાગતું હતું કે કાઁગ્રેસ સામ્યવાદની નજીક લઈ જતાં સમાજવાદી ધોરણને અપનાવી રહી છે અને એમાં દેશનું લાંબે ગાળે નુકસાન થઈ શકે એમ છે. તેમણે મધ્યમમાર્ગી પણ કેન્દ્રની જમણે એવો સ્વતંત્ર પાર્ટી નામે પક્ષ રચ્યો. નહોતા કાઁગ્રેસમાંથી સમાજવાદીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા કે નહોતા સી. રાજગોપાલાચારી જેવા જમણેરી કાઁગ્રેસીઓને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓ સ્વેચ્છાએ વિશાળ ઉદ્દેશથી પ્રેરાઈને બહાર નીકળ્યા હતા.

તેમની સામે બે પડકારો હતા. એક તો પોતાના ઉદ્દેશને વફાદાર રહેવું પછી ગમે એટલા વિઘ્નો આવે અને ગમે એટલા પરાજયો થાય. બીજો પડકાર હતો કાઁગ્રેસ સીસ્ટમથી બચવું. આખરે કાઁગ્રેસ સીસ્ટમ કારગર સીસ્ટમ હતી. વિચારધારાથી મુક્ત, વિવેક-મર્યાદાથી મુક્ત, ગમે તેની સાથે ચાલી શકાય અને ગમે તેને પગમાં આંટી મારીને પછાડી શકાય. કોઈ સગો નહીં કે કોઈ વૈચારિક સહોદર નહીં. સગી માત્ર સત્તા. જ્ઞાતિનાં સમીકરણો પ્લસ બાહુબલીઓ પ્લસ કુબેરપતિઓ. ચૂંટણીમાં અપરાધ દાખલ થયો અને પૈસાનું પ્રાબલ્ય વધ્યું. ચૂંટણી લડવાનું અને જીતવાનું કાઁગ્રેસ સીસ્ટમ નામનું એક કારગર મશીન અસ્તિત્વમાં આવ્યું હતું અને જે લોકો વિશાળ ઉદ્દેશથી પ્રેરાઈને કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા હતા તેમની સામે તેનાથી બચવું એ પડકાર હતો.

બન્નેમાંથી કોઈ બચી ન શક્યા. ન સમાજવાદીઓ કે ન જમણેરીઓ. કાઁગ્રેસ સીસ્ટમ તોડવામાં જન્મવારો નીકળી જાય એવી એ મજબૂત લોખંડી હતી. ખૂબ ધીરજ રાખવી પડે એમ હતી. કાર્યકર્તાઓ નિરાશ ન થાય અને દાયકાઓ સુધી ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહે એવો જોસ્સો પેદા કરવો પડે એમ હતો. તેઓ એ ન કરી શક્યા. તેઓ વિચારધારા સાથે અને રાજકીય સાધનો સાથે સમાધાન કરવા માંડ્યા. આ સિવાય જે લોકોને કાઁગ્રેસમાં સત્તા નહોતી મળતી એવા લોકો કાઁગ્રેસમાંથી બહાર નીકળીને સમાજવાદી કે સ્વતંત્ર પાર્ટીમાં જોડાતા હતા અને એ બન્ને પક્ષો કાઁગ્રેસને પરાજીત કરવા તેમને આવકારતા પણ હતા. એ બન્ને પક્ષો કાઁગ્રેસ સીસ્ટમને તોડવાની જગ્યાએ અને દેશમાં તેમની કલ્પના મુજબના વિચારધારા આધારિત શાસન આપવાની જગ્યાએ કાઁગ્રેસ-સીસ્ટમનો શિકાર બની ગયા. પહેલાં પ્રજાની અંદર નિરાશા અને અવસાદ પેદા થયો અને પછી કાર્યકર્તાઓમાં.

દેશમાં બે પક્ષો બીજા પણ હતા જેમાંથી ભારતીય જનસંઘ નામનો પક્ષ કેન્દ્રની છેક જમણે હતો અને બીજો ભારતીય સામ્યવાદી પક્ષ જે કેન્દ્રથી છેક ડાબે હતો. એ બન્ને પક્ષો ભારત અંગેની બંધારણમાં વ્યાખ્યાઈત કલ્પનાનો વિરોધ કરતા હતા. તેમની કલ્પનાનું ભારત જૂદું હતું. સત્તા સુધી પહોંચવામાં કાઁગ્રેસ સીસ્ટમ નામનું વિઘ્ન હતું એ તો તેમને પણ નડતું હતું. તેઓ પણ તેને તોડી નહોતા શક્તા. એક વાતનું સુખ હતું કે સત્તા નહીં મળવાને કારણે નારાજ થતા કાઁગ્રેસીઓ આ બે પક્ષોમાં નહોતા આવતા. જો જનસંઘમાં જોડાય તો મુસ્લિમ વિરોધી હિન્દુત્વવાદી બનવું પડે અને જો સામ્યવાદી પક્ષમાં જોડાય તો સામ્યવાદી બનવું પડે અને એ બન્ને વિચારધારાને ભારતની સામાન્ય જનતાએ અપનાવી નહોતી. વળી આ બન્ને પક્ષો વિચારધારાને વરેલા અને વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓની કેડર ધરાવનારા.

પણ પેલી કાઁગ્રેસને વિજય અપાવનારી અને બીજાનો પરાજય કરનારી કાઁગ્રેસ સીસ્ટમ તો તેમને પણ નડતી હતી. કેટલાં વર્ષ રાહ જોવી? શું કરવું? આ બેમાંથી સામ્યવાદીઓએ સમાધાન ન કર્યાં અને પરિણામે ધીરેધીરે ખતમ થઈ ગયા. જનસંઘના નેતાઓએ જૂદો માર્ગ અપનાવ્યો. અમે ભલે અછૂત, પણ અમારી પાસે કાઁગ્રેસ સીસ્ટમનો મુકાબલો કરી શકે એવા પ્રતિબદ્ધ કાર્યકર્તાઓની ફોજ છે અને ભલે કુલ પાંચ ટકા પણ હિન્દુત્વને વરેલા કાઁગ્રેસ વિરોધી પ્રતિબદ્ધ મતદાતાઓ છે. બોલો જોઈએ છે મદદ? સમાજવાદી પક્ષના અને સ્વતંત્ર પાર્ટીના અધીરા થયેલા નેતાઓ જનસંઘની મદદ લેવા લાગ્યા. જનસંઘ ફાયદામાં હતો. જનસંઘની ધીરે ધીરે રાજકીય જગ્યા બનતી જતી હતી, રાજકીય સ્વીકૃતિ બનતી જતી હતી અને રાજકીય ચારિત્ર્ય સમાજવાદી પક્ષના અને સ્વતંત્ર પક્ષના નેતાઓનું ખરડાતું હતું. ડૉ રામ મનોહર લોહિયા અને સી. રાજગોપાલાચારી જનસંઘીઓ સાથે? કાઁગ્રેસની જગ્યા આંચકવામાં ભલે સફળતા ન મળે, પણ વિરોધ પક્ષોની જગ્યા જનસંઘ અને પછી ભા.જ.પ. આંચકવા લાગ્યા. આને પરિણામે સહિયારા ભારત વિશેની બંધારણપ્રણિત કલ્પનામાં માનનારા અને કેન્દ્રની ડાબે કે જમણે સ્થાન ધરાવનારા વિકલ્પ ખતમ થઈ ગયા. આજે એ પ્રાદેશિક પક્ષના સ્વરૂપમાં જ્યાં ત્યાં નજરે પડે છે, પરંતુ એની જગ્યા પણ આંચકી લેવામાં આવી રહી છે. એ બધા પરિવાર આધારિત પક્ષ છે અને તેની આબરૂ બચી નથી.

ભેંસનાં શિંગડાં ભેંસને ભારે એવી કહેવત છે એમ દાયકાઓ સુધી સફળતા અપાવનારી કાઁગ્રેસ સીસ્ટમ સફળતા આપતી બંધ થઈ કાઁગ્રેસને ભારે પડવા લાગી. ૧૯૮૯થી આની શરૂઆત થઈ અને ૨૦૧૪ પછી તો સાવ વસૂકી ગઈ. પહેલાં તો કાઁગ્રેસે રાહ જોઈ કે હંમેશાં બને છે એમ મ્તાદાતાઓ ભા.જ.પ.ની સરકારથી હતાશ થઈ જશે અને કાઁગ્રેસને સ્વાભાવિક વિકલ્પ તરીકે મોકો મળશે. ૨૦૧૯ પછી રાહુલ ગાંધીને સમજાઈ ગયું કે રાહ જોઇને બેસી રહેવાથી ચાલે એમ નથી. ભા.જ.પે. કાઁગ્રેસ સીસ્ટમ જેવી જ પણ થોડી અલગ બી.જે.પી. સીસ્ટમ વિકસાવી છે જેને તોડવી મુશ્કેલ છે. એને જો તોડવી હોય તો અલગ માર્ગ અપનાવવો પડે એમ છે. કાઁગ્રેસને ત્યાં લઈ જવી પડે એમ છે જ્યાંથી તેણે માર્ગ બદલ્યો હતો. વિચારધારા સાથે પાછો નાભીનાળ સંબંધ બાંધવો પડે એમ છે. કાઁગ્રેસનું વજૂદ ભારત અંગેની વિચારધારા છે અને માત્ર આ વિચારધારા જ બી.જે.પી. સીસ્ટમનો મુકાબલો કરી શકે એમ છે.

ત્રણ પ્રશ્નો છે. એક. શું છે બી.જે.પી. સીસ્ટમ? બે. શા માટે બી.જે.પી.ને પણ તે અપનાવવી પડી જે રીતે કાઁગ્રેસે પોતાની સીસ્ટમ અપનાવી હતી? ભેંસનાં શિંગડાનો ન્યાય એક દિવસ બી.જે.પી.ને પણ લાગુ પડવાનો છે. અને ત્રણ. શું રાહુલ ગાંધીને સફળતા મળશે? છ દાયકાનો બોજો છે અને ઠીક ઠીક પ્રમાણમાં કલંકિત ઇતિહાસ છે. શું તેઓ કાઁગ્રેસનું પ્રક્ષાલન કરી શકશે? તેમનામાં આ જોશ ક્યાંથી આવ્યું? શું સપાટી નીચે કાઁગ્રેસની પ્રાસંગિકતાનાં સંકેતો મળી રહ્યા છે?

આની ચર્ચા આગળ કરશું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2024

Loading

...102030...374375376377...380390400...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved