Opinion Magazine
Number of visits: 9664753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેજરીવાલના ઉદય અને અસ્તની કથા, જેને સર્જન કર્યું એણે જ અંત કર્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|23 February 2025

રમેશ ઓઝા

ભારતીય સંસદીય રાજકારણના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાકીય છેતરપિંડીનો વિરાટ ખેલ રચાયો હતો. ઝીણામાં ઝીણી વિગતો સાથે આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલનો સ્વચ્છ જાહેરજીવનનો ખેલ નિષ્ફળ જાય તો પાછળ બાબા રામદેવને કાળું નાણું નષ્ટ કરવા માટે ઊભા રાખવામાં આવ્યા હતા. મીડિયા, સી.એ.જી., જજો વગેરેને રોલ ફાળવી દેવામાં આવ્યા હતા અને તેઓ તેમની ભૂમિકા ભજવતા હતા. કાઁગ્રેસને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાનો ખેલ હતો કે જેથી દેશમાં દાયકાઓ સુધી એકપક્ષીય રાજ સ્થાપી શકાય અને ભારતને હિંદુરાષ્ટ્ર બનાવી શકાય. 

પણ લોકઆંદોલનની એક સમસ્યા છે. લોકઆંદોલનમાં ચારેબાજુથી લોકો જોડાતા હોય છે અને તેમાં ફિલ્ટર રાખી શકાતાં નથી. બન્યું એવું કે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં એવા લોકો જોડાયા જે હિન્દુત્વવાદી નહોતા. મોટી સંખ્યામાં યુવાનો હતા, વિચારકો હતા, જે તે ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો હતા, નિર્ભયતાપૂર્વક અસંમતીનો અવાજ ઉઠાવનારા હતા, મેધા પાટકર જેવા કર્મશીલો હતાં, કેટલાક પ્રમાણિક પત્રકારો હતા, સાહિત્યકારો અને કલાકારો હતા. તેમને એમ લાગ્યું કે આ ખરેખર સ્વચ્છ જાહેરજીવન માટેનું ઉસ્ફૂર્ત પ્રજાકીય આંદોલન છે અને વ્યવસ્થાપરિવર્તનનો શુભ અવસર છે. આપણે દાયકાઓથી જે મનોરથ સેવતા આવ્યા છીએ એ અહીં ચરિતાર્થ થાય એવી સંભાવના નજરે પડી રહી છે. આ લોકોને આવતા રોકી શકાય એમ નહોતા અને જો આવે તો પટકથા ઊંધી દિશામાં ખેલને લઈ જાય. 

અરવિંદ કેજરીવાલ

બન્યું એવું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ.નો ભવ્ય વિજય થયો. એવડો મોટો વિજય કે જેની કલ્પના નહોતી કરી. બીજી બાજુ એવું પણ બન્યું કે લોકસભાની ચૂંટણી પછી યોજાયેલી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને એવો મોટો વિજય મળ્યો કે તેની સામે ભા.જ.પ.નો વિજય કોઈ ગણનામાં ન આવે. વિધાનસભાની ફુલ ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો મળી અને અભૂતપૂર્વ કહી શકાય એટલા ૫૪.૩ ટકા મત મળ્યા. જો કે દિલ્હી એક શહેર માત્ર છે અને દેશ વિરાટ કદ ધરાવે છે એટલે અરવિંદ કેજરીવાલના વિજયને રાષ્ટ્રીય સ્વીકાર તરીકે ન જોઈ શકાય. પણ રાજકારણમાં કશું જ અશક્ય નથી. દાયકા પહેલાં કોણે કલ્પના કરી હતી કે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બનશે અને તેના દાયકા પહેલા ગુજરાતની બહાર લોકોએ નરેન્દ્ર મોદીનું નામ પણ સાંભળ્યું નહોતું. ચમત્કાર અરવિંદ કેજરીવાલ સાથે પણ બની શકે અને કોને ખબર નરેન્દ્ર મોદીનો સૂર્ય ઉગ્યો ન ઉગ્યો અને અસ્ત પણ પામી શકે! આ બાજુ લોકઆંદોલનમાં જોડાયેલા સેક્યુલર લોકો આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને તેઓ આમ આદમી પાર્ટીને ભા.જ.પ. અને તેના હિન્દુત્વના વારણ તરીકે જોતા હતા. 

પરસ્પર ભય અને આશંકા બન્ને પક્ષે હતી. આમ આદમી પાર્ટીનું રાજકારણ પટકથાની બહાર જવા લાગ્યું હતું અને તેનું કારણ પ્રામાણિક અને બુદ્ધિમાન સેક્યુલરિસ્ટો હતા. જેનો જન્મ હિન્દુત્વના હેન્ડલ તરીકે થયો હતો એ હિન્દુત્વ વિરોધીઓનું હેન્ડલ બને તો આખી યોજના ઊંધી વળે. આ બાજુ નરેન્દ્ર મોદીએ એટલું ગજું કાઢ્યું હતું કે હવે પહેલી નજરે સંઘને બહારના ભાસતા પણ વાસ્તવમાં હિન્દુત્વ માટે કામ કરતા લોકોની જરૂર નહોતી. એમાં વળી એ હેન્ડલનો કબજો સેક્યુલરિસ્ટોએ લીધો હતો. બીજી બાજુ અરવિંદ કેજરીવાલને દિલ્હીનો વિજય જોઇને એમ લાગ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીની જગ્યા લઈ શકે એમ છે. આમ નરેન્દ્ર મોદીની અસલામતી, અરવિંદ કેજરીવાલના વડા પ્રધાન બનવાના અને નરેન્દ્ર મોદીની જગ્યા લેવાના ખ્વાબ, આમ આદમી પાર્ટીમાં સેક્યુલારિસ્ટોની પ્રભાવી હાજરી અને આમ આદમી પાર્ટીને સેક્યુલારિસ્ટોથી મુક્ત કરવાની સંઘની રણનીતિ એમ બધું જ એક સાથે નજરે પડવા માંડ્યું. 

અરવિંદ કેજરીવાલને વગર કહ્યે સમજાઈ ગયું કે સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટીને ઉદારમતવાદી સેક્યુલારિસ્ટોથી મુક્ત કરવાની જરૂર છે. તેમનાં લોકતાંત્રિક મૂલ્યો માટેના અને સાધનશુદ્ધિ માટેના આગ્રહો નડતરરૂપ બનવાના છે અને હવે પછીનું રાજકારણ આ પાર કે તે  પારવાળું ખરાખરીનું હશે. આ ઉપરાંત જ્યાં સુધી સેક્યુલારિસ્ટો પક્ષમાં હશે ત્યાં સુધી સંઘનો સાથ નહીં મળે. તેમણે એકેક કરીને સેક્યુલારિસ્ટોને દૂર કર્યા કે જેથી મનમાની કરી શકાય. અરવિંદ કેજરીવાલે સવાયા હિંદુનો ચહેરો ધારણ કર્યો. “એક દિન હમ ભગવાન રામ ઉનકે હાથોં સે છીન લેંગે” એમ અરવિંદ કેજરીવાલ બોલી ગયા હતા. તેમને ખાતરી હતી કે જો હાથ ઉપર હશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સાથ મળી જશે. નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું કે આ ભરોસો ન કરી શકાય એવો મહત્ત્વાકાંક્ષી માણસ છે. એને એવી રીતે કચડી નાખવો જોઈએ કે તે સંઘને પણ ખપનો ન લાગે, બલકે બોજારૂપ લાગે અને તેને દૂર કરે. 

અને એ પછી ખરાખરીનો ખેલ શરૂ થયો. કચડી નાખવાનો અને બચી નીકળવાનો. બચી નીકળવા અરવિંદ કેજરીવાલ કોમવાદી હિંદુઓનો સાથ મેળવવા સવાયા હિન્દુત્વવાદી હોવાનો ચહેરો ધરાણ કરતા હતા. આમ કરતા કરતા ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી આવી જેમાં ભા.જ.પ.નો અભૂતપૂર્વ વિજય થયો એટલે સંઘને પણ લાગવા માંડ્યું કે હવે સત્તા માટે વૈકલ્પિક ‘બી’ ટીમની જરૂર નથી, પણ એવી ‘બી’ ટીમની જરૂર છે જે સંસદીય રાજકારણમાં કાઁગ્રેસની જગ્યા લઈ શકે. કાલે લોકો નારાજ થાય અને ભા.જ.પ.નો પરાજય થાય તો તેના વિક્પે એવો પક્ષ સત્તામાં આવવો જોઈએ જે ભા.જ.પ. વિરોધી ભલે હોય, પણ હિંદુરાષ્ટ્રનો વિરોધી ન હોય. બન્ને પક્ષો આપણા; એક ‘એ’ અને બીજો ‘બી’. અરવિંદ કેજરીવાલે કાઁગ્રેસની નૈયા ડૂબાડવાનું શરૂ કર્યું. ગુજરાત, ગોવા, હરિયાણા એમ સર્વત્ર જ્યાં જ્યાં કાઁગ્રેસ એક માત્ર વિરોધ પક્ષ હતો ત્યાં અરવિંદ કેજરીવાલે પોતાના ઉમેદવારોને ઊભા રાખીને ફાચર મારવાનું શરૂ કર્યું. ૨૦૧૪થી ૨૦૧૯નાં વર્ષોમાં તેઓ પોતાને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોતા હતા અને ૨૦૧૯થી ૨૦૨૪ સુધી તેઓ પોતાને કાઁગ્રેસના વિકલ્પ તરીકે જોતા હતા. પણ આ બાજુ નરેન્દ્ર મોદી અને અમિત શાહને કોઈ પણ રૂપે અરવિંદ કેજરીવાલ કબૂલ નહોતા. કાઁગ્રેસ આ કરી શકે છે અને આ તો નહીં જ કરે એમ તમે ખાતરીપૂર્વક કહી શકો પણ અરવિંદ કેજરીવાલ કાલે શું કરશે એ તમે ખાતરીપૂર્વક ન કહી શકો. આ કોઈ પણ પ્રકારની મર્યાદામાં નહીં માનનારો અનપ્રેડીક્ટેબલ માણસ છે. ભલે કાઁગ્રેસ ટકી રહે, પણ આ માણસ ખતમ થવો જોઈએ. 

તો આ છે અરવિંદ કેજરીવાલની રાજકીય યાત્રા. આ છે કેજરીવાલના ઉદય અને અસ્તની કથા. જેણે સર્જન કર્યું એણે જ અંત કર્યો. પણ પ્રજા? પ્રજાનું તો એવું છે કે તે એવા લોકોની પાલખી ઉઠાવીને ફરે જે પ્રજાને બેવકૂફ માનતા હોય અને બેવકૂફ બનાવતા હોય. હસતા હસતા બેવકૂફ બને અને બેવકૂફ બનાવનારાની પૂજા કરે. તમને તે ધર્મગુરુઓના મંડપમાં જોવા મળશે, નેતાઓની સભામાં જોવા મળશે, ટી.વી. ચેનલની સામે બેઠેલો જોવા મળશે, ગૌતમ અદાણીને માભોમના પનોતા પુત્ર તરીકે ઓવારણા લેતો જોવા મળશે. આ પ્રજા છે. પ્રજા તેમનાં હિતમાં આંખ ઉઘાડનારાની હત્યા પણ કરે. સોક્રેટીસ, ઈશુ, ગાંધી આનાં ઉદાહરણ છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2025

Loading

મિડિયા શું છે : લોકશાહીનો ચોથો સ્તંભ કે સરકારી ખાટલો?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|22 February 2025

હેમન્તકુમાર શાહ

‘ગુજરાત ટુડે’ અખબાર દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલા એક સેમિનારમાં ‘મિડિયા : લોકશાહીનો ચોથો સ્તંભ’ વિશે વિદ્યાર્થીઓ સહિતના આશરે ૧૩૦ નાગરિકો સમક્ષ આપેલા એક ટૂંકા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા :

(૧) મિડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે, એમ બધા કહે છે પણ બાકીના ત્રણ સ્તંભ કયા એને વિશે કોઈ કશી વાત કરતું નથી.

(૨) બહુ જાણીતા દાર્શનિક એડમંડ બર્ક બ્રિટિશ ઉમરાવસભાના, એટલે કે આપણી રાજ્યસભાના, સભ્ય હતા ત્યારે ઇ.સ. ૧૭૭૧માં તેમણે એ સભામાં એમ કહ્યું હતું કે ઉમરાવસભામાં જે પાદરીઓ છે તે એક સ્તંભ છે, જે અન્ય સભ્યો છે તે બીજો સ્તંભ છે; આમ સભા, એટલે કે આપણી લોકસભા, ત્રીજો સ્તંભ છે;  અને અખબારો ચોથો સ્તંભ છે. આ વાત તો હવે બહુ જૂની થઈ ગઈ. એડમંડ બર્ક દ્વારા આવું કહેવાયેલું તે થોમસ પેઇન નામના એક બીજા દાર્શનિક દ્વારા ઇ. સ. ૧૮૪૦માં નોંધાઈ હતી. 

(૩) હવે આ ચાર સ્તંભ છે : ન્યાયતંત્ર, કે જે સરકારનો જ ભાગ છે, કાયદાનું શાસન, માનવ અધિકારોનું રક્ષણ અને મિડિયા. 

(૪) મિડિયા અને સરકાર બે ભેગા થઈ જાય ત્યારે ભારે મુસીબત ઊભી થાય છે અને ત્યારે તે લોકશાહીનો સ્તંભ નથી રહેતો પણ સરકારનો ચમચો બની જાય છે. 

(૫) મિડિયાના માલિકો અને સરકારો વચ્ચે સાંઠગાંઠ ઊભી થાય છે. મોટા ઉદ્યોગપતિઓ અનેક ટી.વી. ચેનલો અને અખબારોના માલિક હોય છે અને તેમનો નફો એ તેમનો ભગવાન હોય છે ત્યારે તેઓ લોકશાહીનો સ્તંભ બને એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

(૬) બધા સ્તંભ જ્યારે તૂટી રહ્યા હોય, તેમાં તિરાડો પડી હોય, ત્યારે નાગરિકોએ પોતે જ લોકશાહીના સ્તંભ બનવાનું હોય છે.

(૭) ભારતના બંધારણમાં નાગરિકોની વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લખેલી છે. એને બરકરાર રાખવા માટે અને મજબૂત બનાવવા માટે નાગરિકોએ પોતાની પાસે જે સામાજિક માધ્યમો પ્રાપ્ય છે તેમનો આધાર લઈને પોતાનાં સરકારની નીતિરીતિ વિશેનાં મંતવ્યો વ્યક્ત કરવાં જોઈએ અને એ રીતે પોતે જ લોકશાહીના સ્તંભ બનવું જોઈએ.

(૮) અભિવ્યક્તિ વિના વ્યક્તિ હોઈ શકે જ નહીં. ઘોડાગધેડાં કે માખીમચ્છર જે રીતે હજારો વર્ષ પહેલાં જીવતા હતા એ જ રીતે આજે પણ જીવે છે. માણસે જીવવાની રીતો બદલી છે અને એ રીતમાં તેની પોતાની આઝાદી તેણે સૌથી મહત્ત્વની ગણી છે. એટલે જ ભારતના બંધારણમાં નાગરિકોના અધિકારો લખેલા છે. ચોથા સ્તંભ તરીકે મીડિયા એ અધિકારોનું રક્ષણ કરે એ એની ફરજ છે. જો એ એમ ન કરે તો નાગરિકોએ પોતે જ લોકશાહીના સ્તંભ બનીને એ અધિકારોનું રક્ષણ કરવું પડે. એ જ આપણા સૌની નિયતિ છે. 

(૯) દેશ તો આઝાદ છે જ અને રહેવાનો જ છે. ખરેખર તો, નાગરિકોની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે. મિડિયાની એ અગત્યની ભૂમિકા છે. તો જ એ લોકશાહીનો સ્તંભ કહેવાય, નહિ તો એ સરકારી ખાટલો કહેવાય!

તા.૨૨-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—277

દીપક મહેતા|Opinion - Opinion|22 February 2025

પ્લેગના રોગ અને ગુલામીના શાપ સામે લડનાર એક પારસી મહિલા          

શનિવાર, ૧૮ સપ્ટેમ્બર, ૧૮૯૬નો દિવસ. વડગાદી વિસ્તારના એક ઘરમાં ડો. વિગાસે બુબોનિક પ્લેગનો પહેલો દરદી જોયો. પછી તો ચીલ ઝડપે એ રોગ મુંબઈમાં ફેલાવા લાગ્યો. ડોકટરે તરત સરકારને જાણ કરી. પણ સરકાર ગમે તે હોય, પહેલાં તો આવી વાત સામે આંખ આડા કાન જ કરે. પણ પછી છેવટે ૨૯મી સપ્ટેમ્બરે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહર્સ્ટે ગવર્નર જનરલને તાર મોકલ્યો : “મુંબઈ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો છે.” પછી કલકત્તા (એ વખતે દેશની રાજધાની) અને લંડન વચ્ચે લખાપટ્ટી ચાલી. છેવટે ૧૮૯૭ના ફેબ્રુઆરીની ચોથી તારીખે ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટે ‘એપડેમિક ડિઝીઝ એક્ટ’ પસાર કર્યો. આ કાયદા હેઠળ બોમ્બે પ્રેસિડન્સીની સરકારને અસાધારણ સત્તા આપવામાં આવી. દાયકાઓ પછી જ્યારે કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે થાળી-દીવા નિષ્ફળ ગયા પછી આપણી સરકારે આ જ બ્રિટિશ કાયદાનો આશરો લીધો હતો. 

મેડમ ભીકાઈજી કામા

પણ સરકાર જાગે ત્યાં સુધી કાંઈ લોકો હાથ જોડીને બેસી ન રહે – મુંબઈના લોકો તો નહિ જ. નાગરિકોની નાની-મોટી ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાય અને સારવાર કે મદદ કરે. આવી ટુકડીઓમાં એક પારસી બાનુ પણ કામ કરતી હતી. નામ ભિકાઈજી. ૧૮૬૧ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખે નવસારી શહેરમાં જન્મ. પણ કુટુંબ મુંબઈનું વતની. પિતા સોરાબજી ફરામજી પટેલ અભ્યાસી કાયદાના, પણ વ્યવસાય વેપારીનો. માતાનું નામ જાઈજીબાઈ. મુંબઈનાં આગળ પડતાં અને તવંગર કુટુંબોમાં આ પટેલ કુટુંબની ગણના થાય. એલેકઝાન્ડ્રા ગર્લ્સ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂશન એ વખતની એક આગળ પડતી સ્કૂલ. તેમાં ભીકાઈજીનો અભ્યાસ. જુદી જુદી ભાષાઓ શીખવાનો શોખ. ક્રિકેટ રમવામાં પાવરધા. 

૧૮૮૫ના ઓગસ્ટની ત્રીજી તારીખે મુંબઈમાં રૂસ્તમજી કામા સાથે અદરાયાં. આ રૂસ્તમજી એટલે મોટ્ટા ગજાના સ્કોલર અને જાણીતા વેપારી ખરશેદજી કામાના નબીરા. ભિકાઈજી એ કુટુંબની વહુઆરુ બન્યાં અને થોડા વખતમાં જ પતિ-પત્ની વચ્ચે પહેલાં મતભેદ, પછી અણબનાવ. કારણ? કારણ એ કે કામા કુટુંબ તાજના રાજની તરફેણમાં. જ્યારે ભીકાઈજી એની વિરુદ્ધ. 

મુંબઈમાં રોગચાળો વધતો ચાલ્યો. મુંબઈના ગવર્નરે ડો. વાલ્ડેમર હાફકિન(૧૮૬૦-૧૯૩૦)ને પ્લેગની રસી બનાવવા જણાવ્યું. ગ્રાન્ટ મેડિકલ કોલેજની એક કોરીડોરમાં પ્રયોગશાળા શરૂ કરી અને ૧૮૯૭ના જૂનની ૧૦મી તારીખે પ્લેગ માટેની રસી તૈયાર કરી. તેનો પહેલવહેલો પ્રયોગ પોતાની જાત પર કર્યો. પછી આર્થર રોડ જેલના કેટલાક કેદીઓ પર કર્યો. અને પછી સરકારે આ રસી વાપરવાનું શરૂ કર્યું. સરકારી કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સ્ત્રી-પુરુષો સાજા લોકોને રસી આપવાનું કામ કરવા લાગ્યા. ભીકાઈજી પણ આ કામમાં જોડાયાં.

અને ન બનવાનું બન્યું. ભિકાઈજીને ચેપ લાગ્યો અને પ્લેગનો ભોગ બન્યાં. સારવારથી સાજાં તો થયાં, પણ પૂરેપૂરાં નહિ. એટલે વધુ સારવાર માટે ૧૯૦૨માં તેમને મોકલ્યાં ગ્રેટ બ્રિટન. સારવાર તો છ-બાર મહીનામાં પૂરી થઈ ગઈ. પણ ભિકાઈજી હિન્દુસ્તાન પાછાં આવ્યાં છેક ૧૯૩૫ના નવેમ્બરમાં! એમ કેમ? 

૨૦૧૭માં દાદાભાઈ નવરોજીના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

વાત જાણે એમ છે કે …

લંડનમાં હતાં એ દરમ્યાન ભીકાઈજીને દાદાભાઈ નવરોજીને મળવાનું થયું. ભીકાઈજીના સસરા ખરશેદજી કામા અને દાદાભાઈ નવરોજીએ સાથે મળીને ગ્રેટ બ્રિટનમાં લંડન અને લિવરપુલ ખાતે વેપારી કંપની કાઢી હતી. ગ્રેટ બ્રિટનમાં શરૂ થયેલી આ પહેવાહેલી હિન્દી વેપારી કંપની. એટલે કામા કુટુંબની વહુઆરુ તરીકે દાદાભાઈ ભિકાઈજીને ઓળખે. એ વખતે દાદાભાઈને એક કુશળ સેક્રેટરીની જરૂર હતી. તેમણે ભીકાઈજીને ઓફર કરી અને તેઓ જોડાયાં. ૧૮૬૫માં દાદાભાઈએ લંડન ઇન્ડિયન સોસાયટીની શરૂઆત કરેલી. હિન્દુસ્તાનના રાજકીય, સામાજિક, અને સાહિત્યિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરવી એ આ સંસ્થાનો મુખ્ય હેતુ હતો. તો ૧૮૬૭માં દાદાભાઈએ ‘ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન’ની શરૂઆત કરી. દાદાભાઈના સેક્રેટરી તરીકે ભિકાઈજીને શામજી કૃષ્ણ વર્મા, બિપિનચંદ્ર પાલ, લાલા હરદયાલ, વીર સાવરકર વગેરે ઘણા દેશપ્રેમીઓને મળવાનું થતું. પરિણામે ધીમે ધીમે ભીકાઈજી હિન્દુસ્તાનની આઝાદી માટેની ચળવળમાં ભાગ લેતાં થયાં. ૧૯૦૫ના ફેબ્રુઆરીમાં શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કરેલ ઇન્ડિયન હોમરૂલ સોસાયટીને ભિકાઈજીએ ટેકો આપ્યો. આ જોઇને બ્રિટિશ સરકાર ચોંકી. તેણે ભિકાઈજીને કહ્યું કે આવી પ્રવૃત્તિઓ બંધ નહિ કરો તો તમને હિન્દુસ્તાન પાછા જવાની પરવાનગી નહિ મળે. આ હુકમને તાબે થવાની ભિકાઈજીએ ઘસીને ના પાડી દીધી. પણ પછી બ્રિટન છોડીને ફ્રાંસ જતાં રહ્યાં. રેવાભાઈ રાણા અને મંચેરશાહ બરજોરજી ગોદરેજ સાથે મળીને ભિકાઈજીએ પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. તેના નેજા નીચે ‘બંદે માતરમ્’ અને ‘મદન્સ તલવાર’ નામનાં સામયિકો શરૂ કર્યાં. હિન્દુસ્તાનની બ્રિટિશ સરકારે આ બંને સામયિકો પર પ્રતિબંધ મૂક્યો. એટલે ભિકાઈજીએ તેના અંકો નિયમિત રીતે પોન્ડીચરી (એ વખતે ફ્રેંચ હકૂમત હેઠળ હતું) મોકલવાનું શરૂ કર્યું. ત્યાંથી ચોરીછૂપીથી અંકો બ્રિટિશ હિન્દુસ્તાનમાં મોકલાતા. 

ભીકાઈજી કામાએ ફરકાવેલો ઝંડો જે આજે પૂણેના એક સંગ્રહસ્થાનમાં સચવાયો છે

અને પછી આવ્યો એક ઐતિહાસિક દિવસ. ૨૨ ઓગસ્ટ, ૧૯૦૭. જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં સોશિયાલિસ્ટ કાઁગ્રેસનું બીજું અધિવેશન મળ્યું. ભિકાઈજી ત્યાં પહોંચી ગયાં. પરંપરાગત સફેદ સાડી પારસી ઢબે પહેરીને. દુકાળ, પ્લેગ જેવા રોગો, બ્રિટિશ સરકારની ચૂસણનીતિ, વગેરેને કારણે હિન્દીઓની જે અવદશા થતી હતી તેનો હૃદયદ્રાવક ચિતાર તેમણે પોતાના ભાષણમાં આપ્યો. અધિવેશનમાં ભાગ લેનારા દેશોના રાષ્ટ્રધ્વજ એક પછી એક ફરકાવાઈ રહ્યા હતા. હિન્દુસ્તાનના ધ્વજ તરીકે યુનિયન જેક ફરકાવવામાં આવે એ પહેલાં ભીકાઈજીએ  પોતાની પર્સ ખોલી, એમાંથી એક ઝંડો કાઢ્યો, હાથ વડે હવામાં લહેરાવ્યો, અને કહ્યું કે “આ છે આઝાદ હિન્દુસ્તાનનો ઝંડો. જુઓ, જુઓ. આજે તમારી નજર સામે એનો જન્મ થઈ રહ્યો છે. હિન્દુસ્તાનની આઝાદી માટે જે અનેક નવજવાનોએ પોતાનું લોહી વહેવડાવ્યું છે એ નવજવાનોની ભલી દુઆઓ આ ઝંડા સાથે છે. માનવંતા સભ્યો, મારી આપ સૌને વિનંતી છે કે આપ ઊભા થઈને આઝાદ હિન્દુસ્તાનના આ ઝંડાને સલામ કરો. આખી દુનિયાના સ્વાતંત્ર્ય-ચાહકોને આ ઝંડાના શપથ સાથે મારી વિનંતી છે કે માણસજાતનો જે પાંચમો ભાગ આજે ગુલામીમાં સબડી રહ્યો છે તેને આઝાદ કરવાના કામમાં તમારો સાથ આપો, સહકાર આપો.” વખત જતાં આઝાદી માટેની લડતના એક સેનાની ઇન્દુલાલ યાજ્ઞિક (૧૮૯૨-૧૯૭૨) ચોરીછૂપીથી પરદેશવાસી ક્રાન્તિવાદી દેશપ્રેમીઓને લગતા અનેક દસ્તાવેજો સાથે એ ઝંડો હિન્દુસ્તાન લઈ આવ્યા. અને આ બધું વરસો સુધી છુપાવીને રાખ્યું. ૧૯૩૯માં ઇન્દુલાલને યરવડા જેલમાં રાખવામાં આવેલા ત્યારે લોકમાન્ય તિલકના વંશજ જી.વી. કેતકરને એક નાનકડી ચિઠ્ઠી સરકાવી દીધી. એ ચિઠ્ઠીના પ્રતાપે ક્રાન્તિવાદીઓના બધા પત્રો, અહેવાલો, દસ્તાવેજ, વગેરેની સાથે ભિકાઈજીએ ફરકાવેલો ઝંડો પણ કેતકરના હાથમાં આવ્યો. ૧૯૩૭ના ઓગસ્ટની ૧૮મી તારીખે વીર સાવરકરે એ ઝંડો ફરકાવ્યા પછી તેને ફ્રેમમાં મઢીને સરઘસમાં આખા પુણે શહેરમાં ફેરવવામાં આવ્યો. આજે એ અસલ ઝંડો પૂણેની ‘મરાઠા અને કેસરી લાઈબ્રેરી’ના હોલમાં એક દીવાલને શોભાવી રહ્યો છે. 

વડોદરામાં આવેલું ભીકાઈજી કામાનું પૂતળું

૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું તે સાથે રાજકીય સમીકરણો બદલાયાં. હવે બ્રિટન અને ફ્રાંસ મિત્ર દેશો બન્યા. ૧૯૧૪ના ઓક્ટોબરમાં ફ્રાન્સે ભીકાઈજીની થોડા વખત માટે ધરપકડ કરી અને પછી ૧૯૧૫ના જાન્યુઆરીમાં બીજા કેટલાક ક્રાંતિકારીઓ સાથે તેમને ફ્રાન્સથી હદપાર કરી બંદી બનાવ્યા. પણ ભીકાઇજીની તબિયત વધુ ને વધુ બગડતી ગઈ. હવે તેમની એક જ ઈચ્છા હતી : છેલ્લા શ્વાસ માતૃભૂમિ હિન્દુસ્તાનમાં લેવાની. સર કાવસજી જહાંગીરની દરમ્યાનગીરીથી બ્રિટિશ સરકારે પ્રતિબંધ ઊઠાવી લીધો અને છેવટે ૧૯૩૫ના નવેમ્બરમાં ભિકાઈજી મુંબઈ પાછાં ફર્યાં. ૭૪ વરસની ઉંમરે, મુંબઈની પારસી જનરલ હોસ્પિટલમાં ભિકાઈજીએ છેલ્લા શ્વાસ લીધા. ૧૯૬૨માં ભારત સરકારે તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. દિલ્હીના એક વ્યાપારી વિસ્તાર સાથે પણ ભિકાઈજી કામાનું નામ જોડવામાં આવ્યું છે. તો વડોદરાના ‘ક્રાંતિવન’ ખાતે ભિકાઈજીનું પૂતળું જોવા મળે છે.   

કમનસીબે છેલ્લાં કેટલાંક વરસથી ભિકાઈજીનાં નામ અને કામને, તથા તેમના ઝંડાને પડદા પાછળ ધકેલવાના પ્રયાસ થયા છે. પણ કેમ? કારણ એની ડિઝાઈન. સૌથી ઉપર લીલા રંગનો પટ્ટો છે, અને કેસરી રંગનો વચ્ચે છે. નીચના લાલ પટ્ટામાં સૂર્યની સાથોસાથ ક્રેસન્ટ મૂન પણ છે, જે આપણા એક પડોશી દેશના ધ્વજમાં પણ જોવા મળે છે. પણ આપણે આજે એ ભૂલી ગયાં છીએ કે જે સમયમાં ભિકાઈજી કામા અને બીજા અનેક દેશભક્તો જીવી ગયા તે સમયમાં તો તેમના મનમાં આ શબ્દો પડઘાતા હતા : 

મજહબ નહિ સિખાતા, આપસ મેં બૈર રખના,

હિન્દી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તાં હમારા.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 ફેબ્રુઆરી 2025 

Loading

...102030...374375376377...380390400...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved