Opinion Magazine
Number of visits: 9691583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વંચિતોને વહારે આવનાર સનત મહેતા

તુલસીપુરી ગોસ્વામી|Samantar Gujarat - Samantar|6 October 2015

અમદાવાદ જેવા મહાનગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કામ કરતાં- કરતાં ડૉ. નાનકભાઈ ભટ્ટને મળવાનું થયું અને તેમની સાથે મુલાકાત દરમિયાન શ્રમિક વિકાસ સંસ્થાન-વડોદરા દ્વારા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં વંચિતોની વેદનાને વાચા આપી અને સામાજિક ન્યાય સાથે ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા વિશે જાણી હું પણ આ પ્રકારની કામગીરી કરવા માટે પ્રેરાયો, ત્યારે ડૉ. નાનક ભટ્ટ સંસ્થાના નિયામક તરીકે સેવા આપતા હતા. સૌપ્રથમ વડોદરા સંસ્થાના મુખ્ય કાર્યાલયમાં તેઓના માધ્યમથી ૧૯૯૪માં મુ. સનત મહેતાસાહેબને રૂબરૂ મળવાનું થયું અને ત્યાર બાદ ત્રણેક માસ સુધી મુખ્ય કાર્યાલયમાં કામગીરી કરવાનો અને સંસ્થાની પ્રવૃત્તિઓ જાણવાનો અવસર મુ. સનત મહેતાના સાંનિધ્યમાં પ્રાપ્ત થયો. જેને હું મારા જીવનનો અમૂલ્ય સમય અને મોકો ગણું છું. તેઓની પાસેથી સમયબદ્ધતા, કામનો ત્વરિત નિકાલ, લોકોના પ્રશ્નોને સાંભળી યોગ્ય ન્યાય મળે તેવું આયોજન કરવું, વ્યક્તિની ભૂલ હોય તો તરત જ જણાવવું. સતત વાંચન, લેખન અને નવું વિચારવું, જે શીખવા મળે તે જોવા મળ્યું છે. હા, ચોક્કસ કહીશ કે મહેતાસાહેબ ગુસ્સો બહુ કરે પરંતુ થોડા સમય પછી ફરીથી આપણને બોલાવી સાચી સમજ આપે, ઉપરાંત અન્ય નવી વ્યક્તિઓ સાથે પરિચય કરાવે અને આપણું મિત્રવર્તુળ મોટું બનાવડાવે. આમ ત્રણ માસના ટૂંકા ગાળાના સમયમાં ઑફિસના તેઓના સાંનિધ્યમાં કામ કરવામાં ઘણું જાણવા અને શીખવા મળ્યું જે મારા માટે અસ્મરણીય રહેશે.

ત્યાર બાદ આ સંસ્થાના મોટી ધરાઈ, તા. વલભીપુર, જિ. ભાવનગર સેન્ટરમાં ફિલ્ડ કાર્યકર તરીકે ભાલ વિસ્તારનાં ગામોમાં સોનાજીભાઈ પંચાસરાની સાથે રહીને સામાજિક પ્રવૃત્તિ એક વર્ષ કરવાની તક મળી અને પછી તો ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા વાગરા તાલુકામાં ૧૯૯૫થી ૨૦૧૧ સુધી ૧૫ વર્ષ કરતાં પણ વધુ સમય મહેતાસાહેબના સતત માર્ગદર્શન હેઠળ આશ્રમશાળા આઈ.ટી.આઈ., લીગલ સેન્ટર, સંસ્કારકેન્દ્ર, સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જળસ્રાવ વિસ્તાર વિકાસ-કાર્યક્રમ, આંખોના નેત્રનિદાન કૅમ્પ, ખેડૂત સંમેલન અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મશતાબ્દી-વર્ષ નિમિત્તે વાગરા શૈક્ષણિક સંકુલને પ્રખર ગાંધીવાદી ચુનીકાકા વૈદ્યના અધ્યક્ષપદે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીના મુખ્ય મહેમાનપદે ‘લોકનાયક જયપ્રકાશ નારાયણ સંકુલ’ નામાભિધાન કરવામાં આવ્યું, ત્યારે મુ. સનત મહેતાએ જણાવેલ કે વાગરા મતવિસ્તારની વિધાનસભાની બેઠક પર સૌ પ્રથમ વખત સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં હું પરાજિત થયો છતાં પણ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ અને ૧૯૮૮/૮૯થી ગંધાર તેલક્ષેત્રે વિસ્તાર વિકાસ-કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિઓ શરૂ કરી, જેના પાયાના કાર્યકર રમણભાઈ કે. ચૌહાણે તેઓની મહેનત-અથાગ પરિશ્રમ અને લોકો સાથેના બેઠક-પરિચય દ્વારા આઈ.ટી.આઈ., બક્ષી પંચ આશ્રમશાળા તેમ જ યુવકો, બાળકો, મહિલાઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ સરકારશ્રીની યોજનાઓના અમલીકરણ ચલાવવાની શરૂ કરી. ૧૦૦ કરતાં પણ વધારે કાર્યકરોને સામેલ કરી રોજગારી અને ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડાયા જેમાં મારું યોગદાન પણ મહદ્દઅંશે રહ્યું, પરંતુ દરેક કાર્યક્રમમાં મહેતાસાહેબનું માર્ગદર્શન સતત મળતું રહ્યું અને તેના કારણે પાંચ એકર જમીનમાં સંસ્થાનું સ્વતંત્ર ઇન્ફાસ્ટ્રક્ચર સાથેનું સંકુલ ઊભું કરી શક્યા. હા, આ બધી પ્રવૃત્તિઓ કરવામાં અનેક આર્થિક, સામાજિક, રાજકીય મુશ્કેલીઓ આવી પરંતુ જેના લીડર (સેનાપ્રમુખ) બાહોશ અને અનુભવી હોય, તેને કોઈ આંચ આવતી નથી. આમ, અમો જાતે પણ અને કાર્યકરો પણ તૈયાર થયા. મહેતાસાહેબ કહેતા, આપણું કામ નર્સરી જેવું છે. રોપો તૈયાર કરવાનો, વટવૃક્ષ જાતે બની જશે અને આવા અનેક દાખલા છે કે સંસ્થાના કાર્યકરો આચાર્ય, ઇજનેર રાજકીય કાર્યકર વર્ગ-૧ના અધિકારી સુધી પહોંચ્યા છે અને સાહેબને યાદ કરશે તેમાં મારો પણ સમાવેશ થાય છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, તે ઉક્તિ અનુસાર તા. ૨૦-૮-૧૫ના સાહેબના અવસાનના સમાચાર જાણ્યા ત્યારે ખરેખર અમે એક વડીલની છત્રછાયા ગુમાવી છે, તેવું દુઃખ થયું, પરંતુ દુનિયામાં ખરેખર જરૂર છે, તેવી વ્યક્તિને આકસ્મિક આપણાં વચ્ચેથી આપણને છોડીને જવાના સમાચાર મળે છે ત્યારે ખૂબ જ આંચકો લાગે છે, પરંતુ તેઓનાં અધૂરાં કામો સાથે મળી પૂરાં કરીશું તે મહેતાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે.

‘જલ કી શોભા બૂંદ સે, ઉપવન કી શોભા ફૂલ,
હમારી શોભા આપસે, ઉસે ન જાયે હમ ભૂલ.’

એ-૯, પાવનપુરી વિભાગ-૧, જી.પી. કૉલેજરોડ, ભોલાવ, મુ. ભરૂચ – ૩૯૩ ૦૦૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 16

Loading

૨૦૧૯માં મતદાતાઓ પસંદગી કરે એ પહેલાં વડા પ્રધાને હવે વિકાસ અથવા હિન્દુત્વમાંથી એકની પસંદગી કરી લેવી જોઈએ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|5 October 2015

છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં હજારેક કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો સરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું જ છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે

વડા પ્રધાન અમેરિકામાં બહુરાષ્ટ્રીય કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરોને ભારતની ગ્રોથ-સ્ટોરી વેચી રહ્યા હતા ત્યારે ઘરઆંગણે દિલ્હીની ભાગોળે દાદરી નજીક બિસાહડા નામના ગામમાં એક મુસલમાનને જીવતો મારી નાખવાની તૈયારી ચાલતી હતી. વડા પ્રધાને રજૂ કરેલી ભારતની ભવ્ય ગ્રોથ-સ્ટોરી વાગોળતાં-વાગોળતાં કંપનીના સંચાલકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે બિસાહડા ગામના મંદિરના પૂજારીએ ગામના લોકોને એકઠા કરીને કહ્યું હતું કે ‘મેં પોતે સગી આંખે ઇખલાકના ફળિયામાં મારેલી ગાયના અવશેષ જોયા છે. તે ગોમાંસ ખાય છે અને વેચે છે. અત્યારે જો તમે તેના ઘરે જશો તો તેના ફ્રિજમાં ગોમાંસ મળી આવશે.’ હિન્દુઓનું ઉત્તેજિત ટોળું ઇખલાકના ઘરે ગયું હતું અને તેને ઢોરમાર મારીને મારી નાખ્યો હતો. ઇખલાકના દીકરાને પણ મારવામાં આવ્યો હતો જે અત્યારે મૃત્યુ સામે સંઘર્ષ કરી રહ્યો છે.

નરેન્દ્ર મોદીની ભવ્ય ગ્રોથ-સ્ટોરી અને દાદરીની ઘટના વચ્ચે આમ તો કોઈ સીધો સંબંધ નથી અને છે પણ. સંબંધ એટલા માટે કે વડા પ્રધાન નાટકની ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ ગ્રોથ-સ્ટોરી વેચે છે અને તેમના પ્રધાનો હિન્દુત્વ વેચે છે. આ ઉપરાંત સંઘપરિવારને મોસાળમાં જમણ અને મા પીરસનારી એમ પૂરી મોકળાશ છે. ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ વડા પ્રધાન મોઢું ખોલતા નથી અને પ્રધાનો અને પ્રવક્તાઓ જે વાતો કરે છે એને જો સિલિકૉન વૅલીમાં કહેવામાં આવે તો ભારતને મોઢું બતાવવા જેવું ન રહે. વડા પ્રધાન કદાચ ભ્રમમાં છે કે વિશ્વસમાજ તેમનો બીજો અને તેઓ જે વિચારધારામાંથી આવે છે એ પરિવારનો સાચો ચહેરો જાણતો નથી. હવે સમય આવી ગયો છે જ્યારે વડા પ્રધાને અને કેન્દ્ર સરકારે વિકાસ અને હિન્દુત્વમાંથી એકની પસંદગી કરી લેવી જોઈએ. ક્યાંક બાવાના બેઉ ન બગડે એવું ન બને એ માટે આ જરૂરી છે.

બે સંભાવના છે. એક સંભાવના એવી છે કે સંઘપરિવાર સાથે પાછલે બારણેથી હિન્દુત્વની પ્રવૃત્તિ કરવાની ગોઠવણ થઈ છે અને એમાં કેન્દ્ર સરકારની, ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્ય સરકારોની અને પરિવારની ભાગીદારી છે. બીજી સંભાવના એવી છે કે પરિવારનાં સંગઠનો અને સ્વયંસેવક ગાંઠતાં નથી. મને પહેલી સંભાવના વધુ નજરે પડે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પરિવારને હાંસિયામાં ધકેલી શકે અને વડા પ્રધાન તરીકે સ્પષ્ટ બહુમતી હોવા છતાં લાચાર હોય એ શક્ય નથી. એવું બને કે દિલ્હી સુધી પહોંચવા માટે પરિવારને હાંસિયામાં ધકેલી દીધો હોય અને પરિવારે હાંસિયામાં રહેવાનું મંજૂર કર્યું હોય. એ પણ કદાચ એક સમજૂતી હશે.

આવો ઇશારો કરવો પડે છે એનું કારણ વડા પ્રધાન પરત્વેનો પૂર્વગ્રહ નથી; પરંતુ કેન્દ્ર સરકારના પ્રધાનો, પક્ષના પ્રવક્તાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શેષાદ્રિ ચારીનાં કથનો છે. જેની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરવી જોઈએ એનો બચાવ કઈ રીતે થઈ શકે? મહેશ શર્મા નામના કેન્દ્રના પ્રધાને કહ્યું હતું કે હુમલાખોરો એટલા સંસ્કારી હતા કે તેમણે ઇખલાકની જુવાન છોકરીને હાથ પણ નહોતો લગાડ્યો. બાકી એ ઘટના ઉશ્કેરાટના કારણે બની હતી. આ એ બત્રીસલક્ષણા ભાઈ છે જેમણે હજી ગયા અઠવાડિયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. કલામનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ મુસલમાન હોવા છતાં દેશભક્ત હતા. શેષાદ્રિ ચારીએ મુસલમાનોને સલાહ આપી હતી કે તેમણે હિન્દુઓની ગાય માટેની ભાવનાનો આદર કરવો જોઈએ, મુસલમાનોએ ગુડ મુસલમાન બનવું જોઈએ. ડાહી સાસરે જાય અને ઘેલી શિખામણ આપે એમ બૅડ હિન્દુઓ મુસલમાનોને ગુડ મુસલમાન બનવાની સલાહ આપે છે. જો કોઈ પણ પ્રકારના બચાવ વિના ઘટનાની નિંદા કરવામાં આવી હોત તો ભાગીદારીની શંકા કરવા માટે કોઈ કારણ ન રહેત.

હવે રવિવારના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જે સ્ટોરી પ્રગટ થઈ છે એ જોઈને છેડા મળી રહ્યા છે કે નિર્વિવાદ નિંદનીય ઘટનાનો બચાવ શા માટે કરવામાં આવી રહ્યો છે. મંદિરના પૂજારીએ કબૂલ કર્યું છે કે તેણે નહોતો ઇખલાકને ગાયને મારતા જોયો કે નહોતા તેના ફળિયામાં ગાયના મૃતદેહના કોઈ અવશેષ જોયા. તેને તો આ રીતે કહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ખોટું બોલવાની ના પાડી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. છેવટે દબાણ હેઠળ આવીને તેણે ગામના લોકોને એકઠા કર્યા હતા અને જૂઠી કહાની સંભળાવી હતી. એ પછી લોકોને ઉશ્કેરવાનું કામ એ લોકોએ કર્યું હતું જેમણે પૂજારીને જૂઠું બોલવાની ફરજ પાડી હતી. જે ત્રણ યુવકો સામે આરોપ છે એમાંનો એક ભારતીય જનતા પાર્ટીના દાદરીના ભૂતપૂર્વ વિધાનસભ્યનો પુત્ર છે અને બીજો હોમગાર્ડનો જવાન છે. હોમગાર્ડનો જવાન પૂજારીને ધમકાવવા અને ફરજ પાડવા ખાસ યુનિફૉર્મ પહેરીને રાતે મંદિરે ગયો હતો.

ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારથી કોમી હુલ્લડો થાય છે અને એમાં ગાયનો અને વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં એકાદ હજાર કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો એકસરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. કાં તો કોઈ મુસલમાને ગાયને મારી હોવાની અફવા ઉડાડવામાં આવે છે, કાં મંદિરમાં માંસના લોચા ફેંકવાની ઘટના બને છે જે ગાયના હોવાનું અને મુસલમાનોએ ફેંક્યા હોવાનું કહેવામાં આવે છે, કાં નમાજના સમયે મસ્જિદની બહાર વાજિંત્રો સાથે જુલૂસ કાઢવાની ઘટના બને છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની એકાદ હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને ઉશ્કેરાઈ જાય છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-10-05-05-28-19

Loading

ડિજિટલ રિવોલ્યુશનની ચર્ચામાં યાદ રાખવા જેવું નામ – એલ્વિન ટોફલર

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|4 October 2015

આજકાલ વડાપ્રધાન મોદીની અમેરિકાના પ્રવાસ દરમિયાન સિલીકોન વેલીની મુલાકાત અને ખાસ કરીને ગૂગલ-ફેસબુક વગેરેના મુખ્ય કાર્યાલયોના સ્નેહમિલનો ચર્ચામાં છે. ભારતને ડિજિટલ-ઇન્ડિયા બનાવવાની વાતો જોરશોરમાં છે. આપણે માહિતી યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ડિજિટલ ટેક્નોલોજી અપનાવ્યા વિના છૂટકો જ નથી. આપણા દેશે છેલ્લાં ૧૫ વર્ષથી ડિજિટલના પથ પર ચાલવાનું શરૂ કરી દીધું છે અને હવે આ માર્ગ પર ચાલવાની નહિ પણ દોડવાની વાત છે. અલબત્ત, દોડ ક્યારેક આંધળી બની જતી હોય છે ત્યારે દોડવા માટે તત્પર આપણે સૌએ કેટલીક બાબતો પ્રત્યે સભાનતા કેળવવી પડશે. બાકી ફેસબુકના સી.ઈ.ઓ. ઝકરબર્ગની વાદે વાદે આપણે પણ પ્રોફાઇલ પિક્ચરો બદલી નાખ્યા એવા ભગા વળતા રહેશે. ખેર દેશને ડિજિટલ હાઇ-વે પર લઈ જવો, એ આજના સમયની જરૂરિયાત છે, તેને અવગણીને વિકાસ શક્ય નથી. ડિજિટલાઇઝેશનના કેટલાક ફાયદામાંનો એક ફાયદો પારદર્શકતા છે, જે પચાવવી થોડી અઘરી છે, પણ સમય સાથે આપણે સર્વસમાવેશક બનવાની સમજ કેળવવી પડશે.

ડિજિટલ ઇન્ડિયાની ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે એક નામ દિમાગમાં ઝળક્યા વિના રહેતું નથી. આ નામ છે – એલ્વિન ટોફલર. ગુજરાતના કેટલાક સુજ્ઞ વાચકોએ કાન્તિ શાહ દ્વારા અનુવાદિત અને યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ પુસ્તક 'ત્રીજું મોજું' વાંચ્યું હશે. એલ્વિન ટોફલરને આજે યાદ કરવાનું બીજું નિમિત્ત છે, તેમનો બર્થ-ડે. ૪ ઓક્ટોબર, ૧૯૨૮માં જન્મેલા એલ્વિન ટોફલરનો આજે ૮૭મો જન્મ દિવસ છે. ન્યૂ યોર્કમાં જન્મેલા અમેરિકાના આ લેખક, પત્રકાર અને બિઝનેસ સલાહકાર આખી દુનિયામાં વિશ્વના સૌથી વિખ્યાત ફ્યુચરોલોજિસ્ટ તરીકે જાણીતા છે. બિઝનેસ લીડર્સમાં સૌથી વધારે પ્રભાવી અવાજ અને અસર ધરાવતા લોકોમાં બિલ ગેટ્સ અને પીટર એફ. ડ્રકર પછી ટોફલર ત્રીજા ક્રમે આવે છે. એક વિશ્વસ્તરીય સામયિકે ટોચના ૫૦ બિઝનેસ ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં તેમને આઠમો ક્રમાંક આપ્યો હતો. કારકિર્દીના પ્રારંભિક ગાળામાં ટોફલરે વિશ્વવિખ્યાત 'ફોર્ચ્યુન' મેગેઝિનના એડિટર તરીકે કેટલાંક વર્ષો કામ કર્યું હતું. એલ્વિને આઈ.બી.એમ., ઝેરોક્ષ, એ.ટી. એન્ડ ટી. જેવી માંધાતા કંપનીઓમાં વ્યૂહાત્મક સલાહકાર તરીકે ફરજ નિભાવી છે. એલ્વિન ટોફલરે કોર્પોરેટ ગૃહો ઉપરાંત એન.જી.ઓ. અને જુદા જુદા દેશોની સરકારોના સલાહકાર તરીકે પણ ભૂમિકા ભજવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ અમેરિકન વિચારકનો આધુનિક ચીનને સાકાર કરવામાં ફાળો આપનારા ૫૦ વિદેશી લોકોમાં પણ સમાવેશ થાય છે.

એલ્વિન ટોફલરે 'ધ થર્ડ વેવ', 'ફ્યુચર શોક' અને 'પાવરશિફ્ટ' જેવાં ચર્ચિત પુસ્તકો આપ્યાં છે. ટોફલરે પોતાની પત્ની હૈદી સાથે પણ 'રિવોલ્યુશનરી વેલ્થ', 'વોર એન્ડ એન્ટિ-વોર' તથા 'ક્રિએટિંગ અ ન્યૂ સિવિલાઇઝેશન' જેવાં પુસ્તકો આપ્યાં છે, જેમાં નવા જમાના અંગેના અનુમાન અને અપેક્ષા વ્યક્ત થયાં છે. ટોફલર ખાસ કરીને ડિજિટલ રિવોલ્યુશન, કમ્યૂિનકેશન રિવોલ્યુશન અને ટેક્નોલોજીકલ સિંગ્યુલારિટીની તેમણે કરેલી ચર્ચા માટે વિશ્વભરમાં જાણીતા છે.

આપણે સૌ ડિજિટલાઇઝેશન માટે ઉત્સાહી છીએ ત્યારે ડિજિટલાઇઝ્ડ વિશ્વની કલ્પના કરવા ઉપરાંત તેને આવકારનારા ટોફલરે શબ્દો ચોર્યા વિના કબૂલેલું છે કે ડિજિટલ રિવોલ્યુશન થવાને લીધે લોકોની એકાગ્રતા અને ધ્યાન પહેલાં જેવા સતેજ નથી રહ્યાં. જો કે, ડિજિટલ ક્રાંતિને કારણે તેમને આશા છે કે માનવ સભ્યતાનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. હેન્રી ડેવિડ થોરોએ 'વોલ્ડન' નામના પુસ્તકમાં સચોટ સવાલ ઉઠાવેલો કે શિકાર યુગમાં માણસે પેટ ભરવા માટે જેટલા કલાકો ગાળવા પડતાં તેટલા જ કલાકો આજે પણ ગાળવા પડતા હોય તો માનવ સભ્યતા વિકાસ પામી છે, એવું કઈ રીતે કહી શકાય? ખરેખર આજે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સનાં ઉપકરણોએ માનવીનાં અનેક કાર્યો આસાન કર્યા હોવા છતાં આપણે એવી સામાજિક-આર્થિક વ્યવસ્થા ઊભી કરી છે કે એકવીસમી સદીમાં પણ નોકરીની લાંબી સિફ્ટ ઉપરાંત બે-ત્રણ કલાક તો ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરની આવન-જાવનમાં જ નીકળી જતા હોય છે. પણ, ટોફલર ધારે છે કે "આપણા જ જીવનકાળમાં મોટી મોટી ફેક્ટરીઓ અને બહુમાળી મકાનો અડધાં ખાલી થઈ જશે. તેમના મતે નવલા સ્વરૂપે ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત ગૃહઉદ્યોગોનો જમાનો શરૂ થશે. વાહનવ્યવસ્થા પરનો બોજ ઘટશે. આવનજાવનની રોજિંદી તાણ ઘટશે અને પરિવારજીવન પર તેની રૂડી અસર પડશે." આજે કમ્પ્યૂટર, મોબાઇલ અને ઇન્ટરનેટના સમયમાં સ્થળ (ઓફિસ)નું મહત્ત્વ ઘટાડી શકાય છે, પરંતુ સંસ્થાઓ અને સ્થાપિત હિતો એ દિશામાં વિચારતાં હોય એવું હાલ તો જણાતું નથી.

ટોફલરના એક ધારદાર વિચાર સાથે લેખ પૂર્ણ કરીએ, "સમાજને એવા લોકોની જરૂર છે, જે વૃદ્ધજનો અને કઈ રીતે અનુકંપાશીલ તથા પ્રામાણિક બનવું એ જાણનારાની પૂરતી કાળજી લે. સમાજને એવા લોકોની જરૂર છે, જેઓ હોસ્પિટલોમાં સેવાકાર્યો કરે. સમાજને એ તમામ પ્રકારનાં કૌશલ્યોની જરૂર હોય છે, જે માત્ર ચિંતનાત્મક જ નહિ, પણ સંવેદના અને સદ્દભાવથી સભર હોય. તમે માત્ર માહિતી અને કમ્પ્યૂટર્સ થકી સમાજ ન ચલાવી શકો."

e.mail : divyeshcv@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 અૉક્ટોબર 2015

Loading

...102030...3,7393,7403,7413,742...3,7503,7603,770...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved