Opinion Magazine
Number of visits: 9770190
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝુમરીતલૈયાની ટોળી

રજની પી. શાહ ( RP - New York)|Opinion - Literature|13 December 2015

ચીકનગુનિયા કે ડેંગી જેવો એક વાવર હમણાં હમણાં ફાટી નીકળ્યો છે. એક જમાનામાં કઇંક સારું લખી ચૂકેલા લેખક/ કવિઅો હવે ફેસબુકમાં અાફરો ચઢાવીને ગેલ કરતા હોય તેમ દેખાય છે.  રેડિઅો પર વિવિધ ભારતીના પ્રોગ્રામમાં ફિલ્મી ગાયનની ફરમાઇશ કરનારી ટોળીનાં લોકોનાં નામો બોલાતાં. મને એ નામ કરતાં એ લોકો ક્યાંનાં છે તે સાંભળવાની ઉત્કંઠા વધારે રહેતી. એમાં એક ગામ વારંવાર બોલાય. તે નામ હતું ઝૂમરીતલૈયા. એવું યાદ છે એના એનાઉન્સર હતા કમલ શર્મા. અાજે હું નકલ કરીને શર્માજી જેવું બોલું છું, ઝૂમરીતલૈયાસે .. ત્યારે મારી જીભ તાળવે ચોંટે છે ને અોટોમેટિક ગુજરાતી ફેસબુકિયા લેખકોની ટોળીનાં નામો ફટોફટ અાવવા માંડે છે! અા તો  ક્યૂરિયસ ફિનોમીના કહેવાય. અાયોનેસ્કોના ‘રાઈનોસોરસ’ જેવું અૅબઝર્ડ કે એક માણસને સડનલી ઠંડી ચઢીને તાવ અાવે ને ત્રીજે દિવસે એ  સાંગોપાંગ ગેંડો બની જાય ! પછી તો ગામના અન્ય લોકો પણ ગેંડામાં કન્વર્ટ થતા જાય ! એબ્ઝર્ડ વાત. એવું થાય.

ફેસબુકના પત્તા ફેરવવા માંડો. જૂઅો. એક જૈફ મહાલેખક મૂછો રાખી પોતાના ફોટા અપલોડ કરે છે ને પછી ખુદ ચેક કરે છે કે એ ફોટાનો પ્રતિભાવ શું અાવે છે. ૨૦ જણાં ‘લાઈક’ કરે છે! અહોહો ! એકી સામટા ૨૦ના હાકોટા !  ફોટો બદલે છે તો બીજી ૧૦-૧૫ ક્લીક્સ. માય ગોડ ! અાવો તત્ક્ષણ અૅપ્લોઝ તો ચાર દાયકા પહેલાંના એમના સાહિત્યમાં ય નહોતો મળ્યો. લેખકનું હૈડું અતીતમાં ફેડ અાઉટ થઈને અાપોઅાપ પોતાની કોલેજ લાઇફનું ગાયન ફિણોટે છે, વો ભી ક્યા દિન થે, હમેં દિલમેં બિઠાયા થા કભી. અોર ‘હમ’ સ્ટેજ પર મસમોટા લંબચોરસ ટેબલની અધરસાઇડ પર ઠાવકાઈથી બેસતા’તા. હમારી પીછવાડે ઉમાશંકર, નર્મદ, બકઠા, મેઘાણી કે અવળાપગે ઘુંટણકૈંચી મારીને બેઠેલા મો.ક. ગાંધી ના ફોટા ભી હોતા’તા.

પણ રે રે !  એવી કવિ કલાપીની કણસ પછી તો કંબખ્ત એવું કશું લખાયું જ નહીં. હશે. રાઇટર્સ બ્લૉક કહી કહીને  નિસા:સો પણ નાંખી દીધો, ખેલ હી ખેલમેં ક્યોં જાનપે બન અાઇ હૈ ! પછી તો સ્વગત ડાયલોગ શરુ કરી દીધો કે ભાડમાં ગયું અા લખવા-બખવાનું. એક તો અામાં પૈસાની કમાણી નહીં ને કલ્લાકો સુધી બ્હૉચ જેવું સ્થિર નજરે ભીંત સામે તાકીને કાગળ ઉપર અક્ષરો પાડવાના! ઇમેજીન કરો અાપણે અકસાઈ ચીનની બોર્ડર પર સન્ત્રી તરીકે પહેરો ભરતા હોઈએ ને સામે બધુ સફેદ સફેદ બરફ ને બરફ. સો બોરિંગ. માટે કશું લખ્યા વગર જ જો અાવી પ્રસિદ્ધિ મળતી હોય તો અા શું ખોટું ? અાપણો ક્લોઝપ ફોટો જોઈને કોઈક તો ક્યારેક બસમાંથી ઊતરતા હોઇશું ત્યારે પૂછશે,

‘એક્સક્યૂઝ મી. તમને ક્યાંક જોયા છે. યોર ફેસ ઇઝ સો ફેમિલિયર .. ફલાણા ફંકશનમાં તમને શાલ બી અોઢાડેલી, રાઇટ? લેખક છો? તો પછી કવિ છો ? નો? તો એચ અાઈ વી ( એઈડ્સ) કેસ વર્કર ફ્રોમ ધારાવી? સર, તમે કેજરીવાલ વીથ મિસ્ટર ભાગવતની મૂંછ? નો? તો અાણ્ણા હઝારે વીથ ભાગવત મૂછ?

ફેસબુકપર તો જલસા છે જલસા. ફક્ત ‘લાઇક’ કરનાર જનાબેઅાલી ને પણ યશ-કલગીઅો મળે છે. એક જ જનાબેઅાલી માણસ અનેક એકાઉન્ટ્સમાં ટીક્કા મારતો જાય. ગઝલુંમાં, શેરશાયરીમાં, જનોઇમાં, લલ્લૂ-રબડીના જોક્સમાં, ગણપતિ વિસર્જનમાં, અજાણ્યાનાં બેબી શાવરમાં, ફ્યૂનરલમાં, બોલિવુડના નટનટીઅો ફોટા નીચે પણ અાવા પરદુ:ખભંજન ‘લાઇક’ કરનારાઅોની મોહર લાગેલી જ હોય. છાપાંના ચર્ચાચોરોમાં લખતા માણસોની જેમ અા લોકો પણ કેટેગોરિકલી તો સર્વકોટિ બહુરંગી લેખકો જ ગણાય એવો એમનો દાવો છે. ( પછી સિતાંશુ છો ફૂંફાડા મારે કે મા સરસ્વતિ સિંહાસન પરથી કેમ ઊતરતી નથી ને અા લોકોને પનિશ કરતી નથી. હૂ કેર્સ ?)

વુડી એલનના ‘ઝેલીગ’ મુવીમાં અાવો જ એક સર્વકોટિ નાયક બતાવ્યો છે, કાચિંડા જેવો બહુરૂપિયો. વાતાવરણ અનુસાર એનું સ્વરૂપ અાપોઅાપ બદલાઈ જાય. કોઇવાર જર્મન નાઝી સિપાઈ બનીને સભાની મેદનીમાં હીટલરના ખભાની પાછળ ડોક્યુમેન્ટરીમાં દેખાય, તો ક્યારેક અમેરિકન ગદ્યકાર સ્કોટ ફીટ્ઝરાલ્ડની પાર્ટીમાં પણ હાજર હોય. ફોરેન ભાષાના ઉચ્ચાર સાથે અન્ય મહેમાનો સાથે અાચારવિચાર પ્રદાન કરતો નજર અાવે. એને મહાલેખકની જેમ ચીપી ચીપીને બોલતા અાવડી ગયું’તું. પોતાનો ચહેરો બ્લેંક રાખીને સામા માણસની વાત કેમ સાંભળવી એ સર્વોચ્ચ વિદ્યાછટા ઉપર માસ્ટરી મેળવી દીધેલી. એ બહુરૂપિયો ઝેલીગ તે જ અાજના અાપણા ફેસબુકના ‘લાઇક’ની યશ-કલગીવાળા જનાબેઅાલી બંધુ. એ બધે જ પુજાય, અમર થાય અને બોનસમાં એમને છાશવારે જમણનાં અામંત્રણ પણ મળતા રહે. કેટલીયે વાર તો સા’લુ ના પાડવી પડે. જો કે કો’કવાર એ ‘લાઇકિયા’ને એવો વૈરાગ્ય પણ અાવી જાય કે અા શું રોજરોજ મફતમાં ખાવાનું, કોલેસ્ટીરોલની ગોળી લેવાની ને વારંવાર હાર્ટમાં સ્ટેન્ટ મુકાવાના ! ને અા બધાથી ત્રાસીને ઉપરથી વાઇફ નાસી જાય તે પાછું જુદું. બ્લડી દરેક વસ્તુની સાઇડ ઇફેક્ટ હોય છે. સાચુ કહું ? લાઇફ ઇઝ અનફેર.

અા બીજો ફોટો જૂઅો. અા ભાઈ એક સંસ્થાના પ્રમુખ છે. અાપણે ત્યાં દેશમાં સાઇઠના દાયકામાં ફોટો સ્ટુડીઅોવાળા દોરડું પકડીને એમના ઉપર જવાના દાદરની ભીંતપર અડધી છાતીવાળા બસ્ટ ફોટા સેંપલ તરીકે સસ્તી ફ્રેમમાં મઢીને લટકાવતા. યાદ છે ? બસ. અદ્દલ એવા ફોટા જેવા જ અા સાહેબ હસતા દેખાય છે. એમના ખભે અડીને બાજુમાં એમની ફર્સ્ટ લેડી પણ શાશ્ર્વત સુખથી હસતી દેખાય છે. પછીના એક ફોટામાં સાહેબ પોતે ડીનર ટેબલ બીછાવી સોલ્લો ભોજન લે છે. કેમેરાએ એમની સામે પડેલા સમોસાનો મેરૂ પર્વત અકસ્માતથી ઝડપી લીધો છે. બાજુમાં એક હાંડલું, તપેલી, કડછી, તવેથો એમ બધું સ્ટીલ લાઇફના મોટીફ તરીકે લેવાયું છે. અા ફોટાને ૧૦૦ ‘લાઇક’ મળે છે કારણ એમની સિગ્નેચરથી દેશમાંથી (યાને ભારતમાંથી) ગવૈયા વીથ સાઝીંદાઝ, નાટકિયા, ભજનિકો, કે સભારંજક સર્જકોને પરદેશ અાવવાનું તેડું અાવે છે ! ખાટલેથી પાટલેની ટ્રીટ, સ્પોન્સરશીપ ને ઉપરથી વાહ વાહ, દુબારા દુબારાના નારા લગાવનારું રેડઇમેડ સિનિયર અોડિયન્સ, પ્લસ અાને જાનેકા ભાડા ફૂકટમેં. ગોડફાધર ભાગ-૧ માં ગલોફું ફુલાવેલો મારલોન બ્રાંડો યાદ છે? વીટો કોરલિયોની ? એનાં કાંડે નતમસ્તકે હળવેથી હોઠ મુકી બચી કરવાની. પછી એક કદમ પાછું ખસવાનું. એવું બધું. પ્રોટોકોલ.

અોત્તારીની ! અા તો પેલા પ્રખ્યાત કવિનો ફોટો! અા કવિનાં ગીતો તો એક જમાનામાં હું મારી વાઇફને રીઝવવા ગાતો’તો. તેની અા દશા? મોટું કપાળ, ગોળમટોળ બ્રાઉન ચહેરો. પોતાના એવા એવા ક્લોઝપ મૂકે છે, શું કહું? મને તો પેલા ઉત્તરપ્રદેશના દૈનિક જાગરણ પેપરમાં ‘ખોવાયેલ છે’ જેવા વિભાગનો પુરુષ લાગે છે. અરે ભૂંડા અાદમી, અાટલો બધો ફીશ અાઈ જેટલો વાઇડ એંગલ તારા કેમેરામાં શું કામ વાપરે છે? જો. તારી શું વલે તેં કરી છે ! જરા મોઘમમાં રહે. અા શું તરેહ તરેહકા ફિલ્મી પોઝ મારવાના? તમે એમને હવે એમની મૌલિક કવિતા ફવિતાનાં સર્જનનું પૂછતા નહીં. ‘ભઇસા’બ અા ઈતર પ્રવૃત્તિમાંથી જ ટાઇમ મળતો નથી !‘  એઝ એ મેટર અોફ ફેક્ટ, અામે ય નર્મદને બાદ કરીએ તો એકલા શુષ્ક સાહિત્યથી કોનું ભલું થયું છે? લો. લખાવો. યાદી તૈયાર કરીએ. બાકી તો એક અાઇ-ફોન લેવો હોય તો એ કવિને મિનિમમ છ મહિના ઊપવાસ કરવા પડે. (સેકંડ હૅન્ડ અાઇ- ફોન, વર્ઝન ૫ /એસના બજાર ભાવના હિસાબ પ્રમાણે)

અહીં એક વાત યાદ અાવી. ૧૯૮૮માં મેં લાભશંકરનું નાટક ‘પીળું ગુલાબ અને હું’ પુસ્તક ખરીદેલું. તેમાંથી બે પંક્તિ ટાંકું છું ,એક સ્ત્રીનો મોનોલોગ છે:

‘તમારી ચામડી નીચે સુષુપ્ત થઈ ગયેલા લિબિડોને જરાક જરાક અડકું અને તમને ઉશ્કેરી મુકું.’

માય ગૉડ અા માણસે અૅબસ્ટ્રેકટ વસ્તુ લિબિડો ને ફિઝીકલી અડકવાની વાત કરેલી? અને તે પણ ‘૮૦ ના દાયકામાં ? ત્યારથી અા માણસનો ફોટો મારે જોવો હતો. બસ એમ જ. મારા દિમાગમાં લગની લાગી. સામસામે મળવાની તો શક્યતા જ નહતી કારણ હું ભારતમાં ન હતો. અાખરે  ત્રીસ વર્ષ પછી મેં એ લા.ઠા.ને રુબરુ જોયા. સારું થયું અા માણસ ઝૂમરીતલૈયાની એ ટોળકીનો નહોતો, નહીં તો ક્યારનો મારા મગજમાંથી ભૂંસાઈ ગયો હોત.

લો. સર્ફિંગ કરું જ છું તો મારા કર્સરના તીર નીચે અા છેલ્લો ફોટો જોઈ લેવા દો ! લાઇફ મેગેઝિનના સેંટરસ્પ્રેડ જેવો છે.  ફોટાબાજીમાં અા માણસ હૂકમનો એક્કો લાગે છે. પટિયાં પાડેલા વાળ ને સફેદ શેડેડ દાઢી મૂછ. કોઇ દેશનિકાલ થયેલા ન્યુકલિયર વૈજ્ઞાનિક જેવો દેખાય છે. એ નકકી કોઈ કમિટીમાં ભારે હોદ્દા પર હશે. કોઈને ક્યારેક અાડેતેડું કામ પડે તે માટે લોકો એમને ‘લાઇક’ કરતા હશે કારણ એ ‘લાઇક’ કરનારાઅોથી હું પરિચિત છું. સામાન્યત: દરેક કસીનોમાં જુગારીને લલચાવવા ફ્રીબીઝ અાપે. દાખલા તરીકે તમને એકાદ નાઇટ રૂમ-ફ્રીનું વાઉચર અાપે અથવા અાખો દિવસ તમે અોલ યુ કેન ઇટ બુફે ખાવ. ફ્રી. તેમ અા મહાશય ક્યારેક કોઇ ભગવી બંડીવાળા બાપુના ફોટા મૂકે અથવા શિવલિંગના મલ્ટીપલ રૂપો બતાવે, જેથી એટલો લાંબો સમય તમે એમના એકાઉન્ટમાં સ્તંભી રહો. કદાચ એવું પણ એ સાબિત કરતા હશે કે એ પોતે હેન્ડસમ છે, છતાં ધાર્મિક છે. ના. એ અનુરાગ કાશ્યપની ફિલ્મના સિરિયલ કીલર નથી. યેન કેન પ્રકારેણ પણ તમે એમના ફોટાને  ‘લાઇક’ કરો. બસ. હૂ નોઝ, કદાચ લા.ઠા.ના નાટકની પેલી સ્ત્રી એમના લિબિડોને ઉશ્કેરે ! અહીં બેકગ્રાઉન્ડમાં ફિલ્મી ગાયન મુકીએ. એમાં જરા સાંભળજો કે લિબિડો જોડે અંગ શબ્દ કેવો ફીટોફીટ જાય છે. વિરહ પછીના અાશ્લેષમાં સેલો પર રાગ મધુવંતંી વગાડતી કોઈ પોનીટેલવાળી જર્મનબાળા એક કાળી સિસમની ચેર પર બેઠી હોય તેવું ચિત્ર મનમાં ભાસે. ઇટ્સ પ્લેઇંગ : અાજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે ..

છે શું અા બધું ? ઊંમરની સાથે અાપણે ઈન્ફન્ટાઇલ થતા હોઇશું ? કોઈ ભડ માણસ કાથીના ખાટલે બેઠેલી માનાં ચરણોમાં અાશીર્વાદ લેતો પોઝ અાપે છે. એ ફોટો પણ જોવાઈ ગયો. અામ તો એ પોતે સાહિત્યમાં એવા ખડ્ડૂસ છે કે અાપણને પાનો ચઢાવે તેમ તમતમતા ક્વોટ્સ અાપે, વીર રસનાં પાન કરાવે, સફેદ રણમાં ચાંદની રાતે અાપણને દોટ મુકાવે તેવાં ગીતો ગાય. અને એ મરદ મૂચ્છો વાળો ફેસબુકમાં મેલડી માતાના ફોટા જોડે પોઝ અાપે ! શું અા માણસ ક્યાંક અાપણી પુંસકતાનો ધ્વંસ કરવા માંગે છે?

અરે હાં, અા બધા ફોટાધારીઅોએ સામૂહિક રીતે બીજો પણ એક પેંતરો રચ્યો છે. પોતાના અન્યત્ર છપાઈ ચૂકેલા લેખ રીપિટ અાઇટમ તરીકે  ફેસબુક પર પુન: મૂકીને આપણને ફરજિયાત અાપણું બાવડું પકડીને રિમાઇન્ડ કરે છે, ‘ચતુર શેઠ ! કાજુકરિયાં લીધા સિવાય બારોબાર જવાતું હશે?’ વાંચો. દુબારા વાંચો અાખે અાખો લેખ. અને જુઅો, ડાઉનલોડ કરજો તો અક્ષર પણ મોટા થશે.’

કદાચ એવું તો નથી ને કે હું રામરાજ્યની ભવ્ય ફેન્ટસીમાં જીવું છું ? મને તો એમ કે લિટરેચરના ખાં લોકો અાપણને અાસાનીથી બધી ખૂબીલિટીઝ સમજાવશે, અઘરી કવિતાના લલગાગાના કંચુકી બંધનો છોડી બતાવશે. અરે અન્ય સ્પર્ધા કરતા લેખકોની શૈલી પણ ઊકેલીને બતાવશે, પછી વિશ્ર્વસાહિત્યમાં અાપણો હાથ પકડીને ફેન્ટસી લેન્ડમાં લઈ જશે. અાપણે ક્યાં છીએ એનું કેન્દ્ર બતાવશે. અાપણે તો માત્ર એ ભોમિયાના લેસર પોઇન્ટરનું લાલ બિન્દુ જ માત્ર જોવાનું રહેશે. અાઇ ડોન્ટ વોન્ટ ધીસ ફોટાબાજીની બબાલ. ડિજીટલ યુગમાં હું  અત્યારે હાજર છું અને જીવતો છું, તો મને એવું બતાવો કે હજાર વર્ષ પહેલાં ગુજરાતી ભાષા હતી ખરી ? કેવી હતી? ત્યારે ય સૂર્ય તો અાવો જ ઊગતો હતો, ત્યારે ય મળસ્કે કોઈ ગાતું તો હશે જ. ઘંટીમાં દળણું પણ દળાતું હશે. શયનખંડમાં ઘૂસપૂસ સંવાદો પણ થતા હશે. એવાં ક્લિપ્સનાં ઇવન વર્ણન પણ જોવાં મળે? કોઈ એવાં ડૂગડૂગિયાં બજાવો તો તમારી સાથે સોદો કરું કે તમારો સેલ્ફીનો ફોટો હું અાંખો ફાડીફાડીને જોઇશ. ધેટસ એ ડીલ.

લંડનથી નીકળતા અોપિનિયનમાં વિપુલ કલ્યાણી એ સન ૧૯૦૦ની અાસપાસના દાયકાનું (મારી સ્મૃિત પ્રમાણે) કોઈ એક લોકગીત એક બ્રિટિશ ગોરાએ જાતે ગુજરાતમાં જઈને લાઇવ રેકોર્ડ કરેલું. તે મુકેલું. બ્રિટનની લાયબ્રેરીના અાર્કાઇવ્ઝમાંથી વીણીને અા તંત્રીએ ફેસબુકના વાચકોને એવો અદ્દભુત રસ પાયો. એને કહેવાય ચમત્કાર. મને તો એ ગોરા સંશોધકને ફેસબુકમાં જોવાનું મન થાય. બાકી અા બધા ઇર્દગિર્દ લોકો તો સ્લમડોગિયા અખાડામાં તેલ ચોળીને મલખમ ખેલતા હોય તેવા લાગે છે. ચેલેંજ તો એવી લેવાની કે કોઈ લવરમૂછિયો સાયબરના ટાઇમ મશીનને ચાવી ચઢાવી અવળું ફેરવી અાપે, અને અાપણને રીયલ ટાઇમ જેવું સાચુકલું મહાભારત દેખાડે અથવા પેલી નરસી મે’તાએ જોયેલી રાસલીલા થ્રી-ડીમાં બતાવે.

અસ્તુ.

***

(Revised Dec.10, 2015)

488 Old Courthouse Rd. Manhasset Hills. New York. U.S.A.

e-mail: rpshah37@hotmail.com

Loading

હિન્દુ ધર્મની સહિષ્ણુતા: એક મિથ

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2015

દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે અને એનું કારણ મોદી સરકારનો ‘કોમવાદી એજન્ડા’ છે એવી લાગણી પાછળ એક ઐતિહાસિક માન્યતા પણ સક્રિય છે કે હિન્દુઓ દુનિયાના સૌથી સહિષ્ણુ અને શાંતિપ્રિય લોકો છે. સ્વામી વિવેકાનંદે શિકાગો, અમેરિકામાં એમના પ્રવચન(1893)માં કહ્યું હતું, ‘મને એ ધર્મના અનુયાયી હોવાનો ગર્વ છે જેણે પૂરા વિશ્વને સહનશીલતા અને સાર્વભોમ સ્વીકૃતિનો સંદેશ આપ્યો છે.

’
પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને એવું લખ્યું હતું કે, ‘એક સાચો હિન્દુ કોઈપણ જગ્યાએ ચૂપચાપ કોઈપણ પ્રકારની પ્રાર્થનામાં ઇશ્વરની પૂજા કરી શકે છે. આ સહનશીલ દૃષ્ટિકોણના કારણે હિન્દુ ધર્મ તમામ ધાર્મિક આકાંક્ષાઓને જોડવાનું કામ કરે છે.’ ઇસાઈ અને ઇસ્લામ ધર્મ હિંસક છે અને હિન્દુ ધર્મ ઉદાર છે એવી માન્યતાએ તથ્ય-સત્યનું સ્વરૂપ લઈ લીધું છે. વિવેકાનંદે પણ કહેલું, ‘ઇસ્લામ અસહિષ્ણુ છે.’


જગતના તમામ ધર્મો શાંતિ અને ભાઈચારાની વાત કરે છે છતાં એક હકીકત એ પણ છે કે ધર્મોએ જ સૌથી વધુ યુદ્ધો અને સંઘર્ષ પેદા કર્યા છે. ઇસાઈ અને ઇસ્લામ ધર્મની સરખામણીમાં હિન્દુ ધર્મમાં અસહિષ્ણુતા અને હિંસા ઓછી રહી છે. એના બે કારણો છે. એક, હિન્દુ ધર્મ શરૂઆતથી પ્રકૃતિ (ઝાડ-પાન, નદી, પહાડ, પશુ-પક્ષી) સાથે જોડાયેલો રહ્યો છે. એથી એનામાં આંતરિક માનવીય સંઘર્ષ ઓછો રહ્યો છે. બીજું, એમાં આસ્તિક અને નાસ્તિક, બહુદેવવાદ અને ઇશ્વરવાદ, અધ્યાત્મ અને ભૌતિક ચિંતનધારા સમાંતર ચાલતી રહી છે.

અેનો મતલબ એવો નથી કે હિન્દુ ધર્મ હિંસાથી સંપૂર્ણપણે મુક્ત રહ્યો છે. અન્ય ધર્મોની જેમ જ, ધર્મની રક્ષા માટે હિન્દુઓએ પણ હિંસાનો સહારો લીધો છે. વેદ, રામાયણ, મહાભારત અને અન્ય પુરાણો સાક્ષી છે કે હિનદુ ધર્મમાં પ્રાચીન કાળથી લગાતાર હિંસાત્મક સંઘર્ષ થતા રહ્યા છે. શૈવ, વૈષ્ણવ અને શક્ત જેવા સાંપ્રદાયો પ્રત્યે અસહિષ્ણુતા પણ જોવા મળી છે. રામાનુજ અને રામાનંદી સંપ્રદાયે એક બીજાને નીચા પાડવાની કોઈ જ કસર છોડી ન હતી. વૈદિક અને બૌદ્ધ-જૈન વચ્ચેના સંઘર્ષથી ઇતિહાસ ભરેલો છે.


મર્યાદા પુરુષોત્તમ રામે શમ્બુકની હત્યા એટલા માટે કરી હતી કારણ કે દલિત વર્ગનો હોવા છતાં એણે તપસ્યા કરીને જીવતે જીવ સ્વર્ગ જવાની ઇચ્છા રાખી હતી. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદે કબીરને ‘નીચ’ કહ્યા હતા અને ગુરુ નાનકનું પણ અપમાન કર્યું હતું. ગાંધીજીએ એટલા માટે જ સ્વામી દયાનંદનું ‘સત્યાર્થ પ્રકાશ’ વાંચ્યા પછી આર્ય સમાજીઓને અસહિષ્ણુ અને ‘સત્યાર્થ પ્રકાશ’ને નિરાશાજનક પુસ્તક ગણાવ્યું હતું.


હિન્દુઓની આખી જાતિ વ્યવસ્થા ઊંચ-નીચ અને આભડછેટની અસહિષ્ણુતામાંથી આવી છે. ભીમરાવ આંબેડકર અને દલિતોએ જે વિદ્રોહ કર્યો તે હિન્દુઓની અસહિષ્ણુતાના કારણે જ. હિન્દુઓનો એ સ્વભાવ રહ્યો છે કે પોતાનાથી નીચા હોય તેના પ્રત્યે એ અસહિષ્ણુ રહ્યો છે અને એનાથી તાકાતવર હોય તેની સામે ઝૂકી ગયા છે. ચાહે આર્યો હોય, મુઘલો હોય કે અંગ્રેજો હોય, ભારતીયો હંમેશાં વિજેતાઓની પડખે રહ્યા છે. ભારતીયો ‘ગુલામ માનસિકતા’માં જીવે છે એવો એક આરોપ સતત થાય છે. ભાજપ અને સંઘ પરિવાર સહિત હિન્દુઓનો એક વર્ગ એવું માને છે કે હિન્દુઓની સહિષ્ણુતા એક પ્રકારની નપુંસકતા છે.


સહિષ્ણુતાનો આ અભીગમ ખાસ્સો નવો અને નજીકના ભૂતકાળનો જ છે. ભારતની અદ્દભુત સંત અને યોગ પરંપરાના કારણે જ હિન્દુ ધર્મનાં મૂલ્યો સહી પરિપેક્ષમાં પાછલાં અમુક વર્ષોથી જ સમજમાં અને વ્યવહારમાં આવ્યાં છે. એ પહેલાં તો અસહિષ્ણુતાનો આખો ઇતિહાસ ભરેલો પડેલો છે. વેદોમાં એક મોટો હિસ્સો યુદ્ધોની વાત કરે છે. ઋગ્વેદમાં આર્યો અને અનાર્યો વચ્ચે જબરદસ્ત યુદ્ધો થયાં છે. ઋગ્વેદમાં જ જે લોકો યજ્ઞ નથી કરતા તેમનો વિનાશ કરવાની વાત છે: અકર્મા દસ્યુરભિનો … દંભય. અર્થાત આપણી ચારે બાજુ યજ્ઞ ન કરનારા રાક્ષસો છે જેમની પ્રકૃતિ આસુરી છે. શત્રુનાશક ઇન્દ્ર આ દસ્યુ જાતિનો વિનાશ કરો.


ભાગવત પુરાણ મુજબ પરશુરામે ‘ધૃષ્ટ હૃદયી’ ક્ષત્રિયોનો પૃથ્વી પરથી 21 વાર સંહાર કર્યો હતો એ કહેતા હતા કે રાજાનો ધર્મ વૈદિક જીવનનો પ્રચાર કરવાનો છે નહીં કે પ્રજા પાસે આજ્ઞાનું પાલન કરાવવાનો. કહેવાય છે કે ભારતમાં વૈદિક સંસ્કૃિત પરશુરામને આભારી છે.


ભારતમાં ઇતિહાસને લઈને ખાસી ઉપેક્ષા રહી છે એટલી ઘણી બધી બાબતો યોગ્ય પરિપેક્ષમાં બહાર નથી આવી. બુદ્ધ પહેલાં આપણે ત્યાં ઇતિહાસ લેખન નહીંવત રહ્યું છે. બુદ્ધ પછી પણ ઘણા સમય સુધી દરબારી, ચારણ અને ભાટ લોકોએ જ ઇતિહાસની વાતો કરી હતી. એટલે હિન્દુઓની હિંસા અને અસહિષ્ણુતાની ઘણી વાતો દબાઈ ગઈ છે. આવી જ એક માન્યતા હિન્દુઓના શાકાહારી હોવાની છે. સ્વામી વિવેકાનંદ અને બીજા આધુનિક ગુરુઓના પરદેશાગમનથી પશ્ચિમમાં હિન્દુઓના શાકાહારીને લઈને ઘણા ખયાલો લોકપ્રિય થયા છે.


ઇતિહાસમાં એવા કોઈ પ્રમાણ નથી કે હિન્દુઓ માત્ર શાકાહાર જ કરતા હતા. હિન્દુઓનો એક વર્ગ શાકાહારને પસંદ કરતો હતો. એટલું જ, બાકી હિન્દુ પુરાણો માંસાહારના સંદર્ભોથી ભરેલાં પડ્યાં છે. આજે પણ દેશનો મોટો હિન્દુ વર્ગ માંસાહાર કરે છે. સહિષ્ણુતાને લઈને પણ આવી જ મિથ પ્રવર્તે છે. એનું કારણ એ છે કે ઇસાઈ અને ઇસ્લામથી વિપરીત હિન્દુ ધર્મના પ્રાચીન યુદ્ધોથી આમ જનતા પ્રભાવિત થઈ ન હતી. એ યુદ્ધો સૈનિકો અને સેનાપતિઓ સુધી મર્યાદિત રહ્યા હતા અને સામાન્ય જીવન યથાવત ચાલતું રહ્યું હતું. આના કારણે હિન્દુ ધર્મના ઘણા સંઘર્ષો અને જબરદસ્તીઓ બહાર નથી આવી.


એક એવો પણ સમય હતો જ્યારે ખેડૂતો ખેતી કરતા હતા અને યુદ્ધરત સેના બાજુમાંથી પસાર થઇ જતી હતી. પૌરાણિક કથાઓમાં મહાભારત જેવા યુદ્ધો એક વિશેષ સ્થાન પર થતા હતા જે આમ જનજીવનથી દૂર હતું. હિંસાથી કોઈ સમાજ મુક્ત રહ્યો નથી. છતાં ભારતનું નામ શાંતિ અને અહિંસાથી જોડાયેલું રહ્યું છે એનું કારણ એ છે કે ભારતનું સામાન્ય જનમાનસ હિંસાથી દૂર રહ્યું છે. બાકી, અશોકના કલિંગ નરસંહારથી લઈને મધ્યકાળની બર્બરતા અને આઝાદીના સમય સુધી અને એ પછી થયેલી તમામ ઘટનાઓમાં એટલી જ અસહિષ્ણુતા નજર આવે છે જેટલી સંસારના બીજા કોઈ સમાજમાં હોય છે.


હિન્દુઓની અસહિષ્ણુતાની મિથ પાછળ બીજું એક કારણ એ છે કે વિશ્વના અન્ય ધર્મોથી વિપરીત હિન્દુવાદની વ્યાખ્યા અને વ્યવસ્થા દરેક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહમાં જુદી જુદી છે. હિન્દુવાદ કોઈ એક સિંગલ ધાર્મિક વ્યવસ્થા કરતાં જીવનશૈલી વધુ છે. ઇસાઈઓના બાઇબલ કે મુસલમાનોના કુરાનની જેમ હિન્દુઓના કોઈ એક ગ્રંથ કે શાસ્ત્ર પણ નથી. રામાયણ, મહાભારત અને રામચરિતમાનસ ઉપરાંત હિન્દુઓની માર્ગદર્શિકા તરીકે વેદ, ઉપનિષદ અને ભાગવત ગીતા પણ છે એકથી વધુ વ્યાખ્યાઓ અને આખ્યાનો છે.


એ જ રીતે હિન્દુ હોવું અને નાસ્તિક હોવું એ પરસ્પર વિરોધી નથી. હકીકતમાં હિન્દુ હોવાને ઇશ્વર સાથે કોઈ સંબંધ નથી એક માત્ર બૌદ્ધ સંપ્રદાય જ છે જે આ સંદર્ભમાં ખાસો સમાન છે. હિન્દુ ધર્મના આ લચીલાપન, સર્વગ્રાહી અભિગમના કારણે જ એ ટકી રહ્યો છે બાકી એની પર બહારથી બીજા ધર્મોના આક્રમણ કરતાં અંદરથી વધુ હુમલા થયા છે.


હિન્દુ ધર્મની આ અંદરની અસહિષ્ણુતા એની બીજા, બહારના ધર્મો પ્રત્યેની સહિષ્ણુતાના કારણે ઢંકાયેલી રહી છે. પશ્ચિમના ઇતિહાસકારો અને અભ્યાસીઓને પણ હિન્દુ ધર્મના બીજા ધર્મ પ્રત્યેના વ્યવહારમાં રસ પડ્યો છે અને એના આધારે જ સહિષ્ણુતા અને સર્વ ધર્મ સમભાવનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. એની અંદરની સ્થિતિ, વિરોધીતા અને સંઘર્ષ મોટા ભાગે ધ્યાન બહાર જ રહ્યા છે. યહૂદીઓમાં જૈન્ટીલ (મૂર્તિપૂજક, ગૈર-યહૂદી), ઇસાઈઓમાં પગાન અને મુસ્લીમોમાં કાફીર છે તેમ હિન્દુઓમાં મ્લેચ્છ છે. ફર્ક એટલો છે કે યહૂદીઓએ, ઇસાઈઓએ અને મુસ્લીમોએ પર ધર્મના ‘નાસ્તિકો’ને નિશાન બનાવ્યા છે જ્યારે હિન્દુ ધર્મએ અંદરના ‘વિધર્મી’ઓને સતાવ્યા છે.


હિન્દુઓએ મુસ્લીમો સાથે દલિતો જેવો વ્યવહાર નથી કર્યો એનું કારણ સહિષ્ણુતા નહીં પણ મુસ્લીમ શાસકો, રાજાઓ અને યૌદ્ધાઓનો ડર છે એવું જ અંગ્રેજોનું હતું. દેશી ભારતીયો ગોરા લોકોને મ્લેચ્છ કહેતા હતા પણ આ ‘મ્લેચ્છ’ જ્યારે શાસક બનીને આવ્યા તો એ ‘ગોરા સાહેબ’ બની ગયા. એનાથી વિપરીત, અપર ક્લાસ હિન્દુઓએ મુસ્લીમ અને અંગ્રેજ શાસકો સાથે સંબંધો સુધારીને પોતાની સ્વાર્થ પૂર્તિ કરી લીધી હતી.


આજે મુસ્લીમ આક્રમકો કે અંગ્રેજ શાસકો આપણી વચ્ચે રહ્યો નથી અને છતાં ય સૌથી વધુ અસહિષ્ણુતાની ફરિયાદો અત્યારે જ થઈ રહી છે. અત્યારે હિન્દુઓનું રાજ છે, સો ટુ સ્પીક. 
એટલે , સહિષ્ણુતાની વ્યાખ્યા એ નથી કે તમે પર-ધર્મી સાથે કેવો વ્યવહાર કરો છો. સહિષ્ણુતા તમે એક શાસક તરીકે તમારી જનતા સાથે કેવું વર્તન કરો છો તેના પરથી નક્કી થાય છે. આમાં આપણો રેકોર્ડ બહુ સારો નથી.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 07 ડિસેમ્બર 2015

https://www.facebook.com/1379939932334062/photos/a.1383225085338880.1073741828.1379939932334062/1512810852380302/?type=3&theater

Loading

બાળકો પરના બળાત્કાર કેવી રીતે અટકાવી શકાય?

વિશાલ શાહ|Opinion - Opinion|11 December 2015

વર્ષ ૧૯૨૬માં અમદાવાદ ટેક્સ્ટાઈલ ઉદ્યોગના મહારથી અંબાલાલ સારાભાઈએ મિલોના કમ્પાઉન્ડમાં રખડતા ૬૦ જેટલા કૂતરાને મરાવી દીધા હતા. શેઠ અંબાલાલ જેવી વ્યક્તિ વગરવિચાર્યે આવું કૃત્ય તો કરે નહીં, એટલે તેમણે કૂતરા મારવાની મંજૂરી આપતા પહેલાં ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. આ કૂતરાઓનો ત્રાસ વધી ગયો હોવાથી ગાંધીજીએ જ તેમને આ કામની મંજૂરી આપી હતી. આમ છતાં, કૂતરા મરાવ્યા પછી અંબાલાલને સ્વાભાવિક રીતે જ જોરદાર પસ્તાવો થયો એટલે તેઓ ફરી એકવાર ગાંધીજીને મળવા ગયા. જો કે, 'અહિંસાના પૂજારી' એવા ગાંધીજી પછીયે પોતાની વાતને વળગી રહ્યા. એટલું જ નહીં, વર્ષ ૧૯૨૬માં 'યંગ ઈન્ડિયા'માં ગાંધીજીએ રખડતા કૂતરાના નાશને મંજૂરી આપતા અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનના કાયદાનું સમર્થન પણ કર્યું. જે ગાંધીજીના જન્મદિવસને દુનિયા 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે ઊજવે છે તેમણે શેઠ અંબાલાલને આપેલી મંજૂરી આજે ય એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ તરીકે ચર્ચા અને વિવાદનો મુદ્દો બની શકે છે. તો પણ આ વાત ગાંધીજીએ સમજી-વિચારીને જ કરી હશે એમાં કોઈ શંકા નથી.

***

નાઉ કટ ટુ ઓક્ટોબર ૨૦૧૫.

દિલ્હીમાં અઢી અને પાંચ વર્ષની બે બાળકી પર બળાત્કારો થયા. આ ઘટના પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાગ જોઈને તરત જ મોદી સરકાર સામે રાજકીય નિવેદનો ફટકારવાનું શરૂ કર્યું હતું. કેજરીવાલનું કહેવું હતું કે, દિલ્હી પોલીસનો કંટ્રોલ અમને સોંપો પછી જુઓ …  કેજરીવાલ એવું કહેવા માગતા હતા કે, મારી પાસે પોલીસ હશે તો બળાત્કારો જ નહીં થાય? ખરેખર એવું શક્ય જ નથી. શહેરના દરેકે દરેક બાળકને તો જ્યાં લૉ એન્ડ ઓર્ડર જડબેસલાક છે એવા દેશોમાં ય સુરક્ષા આપવી શક્ય નથી. એ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી લઈને કડકમાં કડક કાયદા-કાનૂન બનાવવા જ પડે. આ મુદ્દે કેજરીવાલ સરકાર રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત હતી ત્યાં જ બે બાળકીઓના બળાત્કારોના સમાચારો પર છોટા રાજન, બિહાર ચૂંટણીની બેલગામ નિવેદનબાજી અને લેખકોની એવોર્ડ વાપસીના 'હાઈ ન્યૂઝ વેલ્યૂ' ધરાવતા સમાચારોએ કબજો લઈ લીધો.

… પણ આ ચર્ચા બંધ થયાના થોડા જ દિવસમાં મદ્રાસ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ એન. કિરુબકરમે એક બ્રિટિશરના બાળક પરના જાતીય શોષણના કેસમાં 'બાળકોના બળાત્કારીઓ'ને નપુંસક બનાવી દેવાનું સૂચન કરતા ફરી એકવાર બાળકો પર થતા બળાત્કારોનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આ ચુકાદો આપતી વખતે કિરુબકરમે નોંધ્યું છે કે, ''બાળકો પરના બળાત્કારો અટકાવવા હું બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન કરું છું. આ પ્રકારના કાયદા 'જાદુઈ પરિણામો' આપી શકે છે. અત્યારના જૂના કાયદા આ દૂષણને અટકાવવા પૂરતા કડક નથી. રસાયણોની મદદથી આવા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાના કાયદા અમેરિકા સહિતના અનેક વિકસિત દેશોએ સ્વીકાર્યા છે. અત્યારે ય બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદા છે અને આપણે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-૨૦૧૨ પણ બનાવ્યો છે. તો પણ વર્ષ ૨૦૧૨માં ૩૮,૧૭૨ બાળકો સામે જાતીય હિંસા આચરાયાના કિસ્સા નોંધાયા હતા, જ્યારે ૨૦૧૪માં આ આંકડો વધીને ૮૯,૪૨૩એ પહોંચી ગયો છે …'' જસ્ટિસ એન. કિરુબકરમે ચુકાદો આપતી વખતે દિલ્હીની બે બાળકીઓના બળાત્કારની ઘટનાને પણ યાદ કરી હતી અને આ ઘટનાઓને 'લોહીથી લથબથ અને ભયાવહ' ગણાવી હતી.

બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન એન. કિરુબકરમે લાગણીમાં આવી જઈને નહીં પણ વિવિધ તર્કના આધારે જ કર્યું હતું. આમ છતાં, આ સૂચનને વિવાદાસ્પદ કહીને ભૂલાવી દેવાનો પ્રયાસ થયો હતો. જો ગાંધીજીએ ત્રાસ ફેલાવતા કૂતરા મારવાની મંજૂરી આપી હતી તો પછી બાળકો પર આટલું જઘન્ય, હલકું અને ક્રૂર કૃત્ય કરનારા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવામાં શું વાંધો હોવો જોઈએ? એવી કલ્પના નહીં કરતા કે, બળાત્કારી પર આરોપ સાબિત થાય એટલે તેને હિંસક રીતે નપુંસક બનાવી દેવાતો હશે! જે દેશોમાં આવા કાયદા છે ત્યાં બળાત્કારીને પીડા ના થાય એવી કેમિકલની મદદથી આ કામ પાર પડાય છે. આ ઓપરેશન પછી વ્યક્તિના મન પર સેક્સના વિચારો બળાત્કારો કરવા પ્રેરાય એટલા હાવી થઈ શકતા નથી. આ પ્રકારના 'અહિંસક' કાયદાનો વિરોધીઓનું કહેવું છે કે, શું આપણે 'આંખના બદલામાં આંખ' લે એવા સમાજની રચના કરવી છે?, આવી સજા કરવાથી બળાત્કારો ઓછા થઈ જશે?, શું આપણે આવા ગુના અટકાવવા સામાજિક શિક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ? આ દલીલો કરનારાને એટલું જ કહેવાનું કે, દિલ્હીના બહુચર્ચિત સામૂહિક બળાત્કાર કેસ પછી ઘણાં કાયદાકીય સુધારા થયા છે. શું આ સુધારાનો લાભ મહિલાઓને નથી મળ્યો? અને કાયદાથી ગુનાખોરી નહીં અટકે એ દલીલ પણ અર્ધસત્ય અને છેતરામણી છે. કાયદા હોવા છતાં વધતી જતી ગુનાખોરીના આંકડા આપી દેવાથી આ દલીલ સાચી નથી ઠરતી. એનો અર્થ એ નથી કે કાયદાકીય સુધારા જ નહીં કરવાના અથવા કડક કાયદા હોવા જ ના જોઈએ. લોકો જેવા હોય એવા કાયદા બનાવવા જ પડે.

રહી વાત શિક્ષણ અને સામાજિક જનજાગૃતિની – તો અમેરિકા, યુરોપિયન દેશો અને જાપાન, દક્ષિણ કોરિયા જેવા વિકસિત દેશોમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. ભારતમાં પણ સદીઓથી શિક્ષણ અપાય જ છે. આમ છતાં, આવા કિસ્સા વધી રહ્યા છે એટલે જ આ દેશોએ પણ બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદા સ્વીકાર્યા છે, સ્વીકારવા પડ્યા છે. ડેનમાર્ક, નોર્વે, સ્વિડન જેવા સ્કેિન્ડનેવિયન દેશો તેમ જ સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપોર અને જાપાન જેવા દેશોમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ ઓછું છે, તો ત્યાં કદાચ આવા કાયદાની જરૂર ના હોય. એનો અર્થ એ નથી કે, આપણે પણ એમની અક્કલ વિનાની નકલ કરવાની. વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાં સ્થાન ધરાવતો દક્ષિણ કોરિયા એશિયાનો પહેલો દેશ છે, જેણે વર્ષ ૨૦૧૧માં બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનો કાયદો બનાવ્યો છે. અમેરિકાના સાત રાજ્યમાં આવા કાયદા છે અને બીજા રાજ્યોમાં પણ આ કાયદાની માગ થઈ રહી છે. ઈન્ડોનેશિયામાં ટૂંક જ સમયમાં આવો કાયદો અમલી થવાનો છે. પોર્ટુગલમાં ખુદ બળાત્કારીને નપુંસક બની જવાનો વિકલ્પ અપાય છે. એટલે કે, તેની મરજી વિરુદ્ધ નહીં પણ જો તે ઈચ્છે તો તેને નપુંસક બનાવી દેવાય છે. ઈઝરાયેલ કે આર્જેન્ટિનામાં જે તે ગુનાની ક્રૂરતાને ધ્યાનમાં રાખીને નપુંસક બનાવવાની સજા અપાય છે.

બાળકો સાથે આવું કૃત્ય થાય ત્યારે ફરિયાદ કરશો તો ન્યાય ચોક્કસ મળશે અને બળાત્કારીનો ગુનો સાબિત થતા જ તેને આકરામાં આકરી સજા ફટકારાશે એવો સંદેશ આપવા પણ અત્યારના કાયદામાં ધરખમ સુધારા જરૂરી છે. નવી દિલ્હીમાં જ દર અઠવાડિયે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના સરેરાશ ચાર બાળક (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર થાય છે, જેમાં એક, બે અને ત્રણ વર્ષની બાળકીઓ પણ સામેલ હોય છે. વળી, આ તો પોલીસ ચોપડે નોંધાતા આંકડા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે બાળકી પર બળાત્કારના હોબાળા પછી અરવિંદ કેજરીવાલ સરકારે કેટલાક રાષ્ટ્રીય અખબારોમાં જાહેરખબર આપીને બાળકોના બળાત્કારીઓને સજા આપવા જનમત માગ્યો છે. આ જાહેરખબરમાં પહેલો જ સવાલ એ છે કે, શું બાળકો સાથે જઘન્ય અપરાધ કરનારાને ઓછામાં ઓછી 'આજીવન કારાવાસ' કે 'ફાંસી' થવી જોઈએ? આ જાહેરખબરમાં બળાત્કાર જેવા ગુનામાં બાળ-ગુનેગારની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૫ વર્ષ કરવા અંગે પણ સૂચન મંગાયું છે. જો ૧૨-૧૪ વર્ષનો સ્કૂલે જતો હટ્ટોકટ્ટો બચ્ચો કોઈ બાળકી સાથે આવું કૃત્ય કરે તો તેને બાળ-ગુનેગાર કેવી રીતે માની શકાય? દિલ્હી સરકારે આપેલી જાહેરખબર જ સાબિત કરે છે કે, અરવિંદ કેજરીવાલ સરકારને પણ કાયદાકાનૂન બદલવા 'જનસમર્થન' જોઈએ છે.

બળાત્કાર એ બળાત્કાર છે એની સરખામણી ના થઈ શકે પણ મહિલા અને બાળક પરના બળાત્કારના ગુનાના કેટલાક પાયાના તફાવત સમજવા જરૂરી છે. સ્ત્રીઓ પરના બળાત્કારમાં તે હિંમત દાખવીને પોલીસ-અદાલતમાં ન્યાય માટે જઈ શકે છે, જ્યારે દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર બળાત્કારના કિસ્સામાં તેઓ ફરિયાદ સુધ્ધાં નથી કરી શકતા. મોટા ભાગના કિસ્સામાં બાળકો ખૂબ જ ડરી ગયાં હોય છે. આ કારણોસર પોલીસ અને અદાલતે અપહરણ થયું હોય તો તેના પુરાવા, બાળક પર આચરાયેલી દેખીતી હિંસા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે બળાત્કારી સામે કેસ કરવો પડે છે. બળાત્કાર પછી સ્ત્રીને જીવનભર ઘોર અપમાન અને અન્યાયનો ડંખ રહી જાય છે. અનેક કિસ્સામાં બળાત્કાર માટે પણ યુવતી જ જવાબદાર હોય એમ પરિવારજનો 'યુવતી જ ગુનેગાર' હોય એવું વર્તન કરે છે. આ સ્થિતિમાં બળાત્કારીઓ (અને એસિડ ફેંકનારા) પુરાવાના અભાવે છૂટી જઈને કોર્ટ રૂમમાંથી હસતા હસતા બહાર આવે ત્યારે યુવતીની સ્થિતિ શું હોય એ સમજાવવા ગમે તેવા શબ્દો ઓછા પડે! એવી જ રીતે, બાળકે કોઈ વ્યક્તિ સામે આવી ફરિયાદ કરી હોય તો ખુદ માતાપિતા ‘એ તો મસ્તી’ કરતા હશે એવું કહીને બાળકને વાત ભૂલાવવાનો પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ બાળક સામે છૂટથી હરીફરી રહી હોય અને આ બાળક સિવાય કોઈ આ વાત જાણતું ના હોય એવું પણ હોઈ શકે છે. બળાત્કાર અને ક્યારેક તો ખૂબ લાંબા સમય સુધી થયેલાં જાતીય શોષણનાં કારણે બાળકના કુમળા માનસને ભયાનક માનસિક આઘાત લાગ્યો હોય છે.

આ મુશ્કેલીના મૂળમાં પણ કડક કાયદાનો અભાવ સૌથી મોટું પરિબળ છે. પોલીસ-અદાલતના શરણે જઈને પણ ન્યાય મળવાની શક્યતા નહીંવત હોવાથી જ માતા-પિતા ફરિયાદ કરતા ખચકાય છે. સમાજના ડરે અને બાળકનું ભવિષ્ય બગડશે એવું મન મનાવીને પણ ફરિયાદ નથી થતી. જો બળાત્કારીને સજા જ ના થઈ હોય તો બાળકની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ માનસિક આઘાતમાંથી બહાર આવવાના બદલે વધુને વધુ અન્યાય, અપમાન અને જબરદસ્ત આક્રોશની લાગણીથી પીડાય એવી શક્યતા અનેકગણી વધારે હોય છે. આ સ્થિતિ એક નવા 'ગુનેગાર'ને જન્મ આપે એવી શક્યતા વધી જાય છે. વર્ષ ૨૦૧૪માં ૮૯,૪૨૩ બાળકો જાતીય શોષણનો ભોગ બન્યાં પણ તેમાંથી ન્યાય કેટલાને મળ્યો કે મળશે? કદાચ એટલે જ જાતીય શોષણનો ભોગ બનેલાં બાળકો માટે કામ કરતી ગોવાની 'સ્ટોપ ચાઈલ્ડ એબ્યુસ નાઉ' જેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ જસ્ટિસ એન. કિરુબકરમના સૂચનને આવકાર્યું છે.

છેલ્લાં એક દાયકામાં બાળકો પરના બળાત્કારમાં ૩૩૬ ટકાનો વધારો થયો હોવા છતાં કડક કાયદા બનાવવા દિલ્હીના સામૂહિક બળાત્કાર જેવી કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી હોય એ હદે તંત્ર ઉદાસીન છે.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,7313,7323,7333,734...3,7403,7503,760...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved