Opinion Magazine
Number of visits: 9552950
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોડણી માતાનો જય હો !

અશ્વિનકુમાર|Opinion - Literature|7 July 2015



ઈસવી સન ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં દશમા ધોરણમાં ગુજરાતી ભાષાનું ધોરણ વધારે કથળી ગયું. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં કુલ ૮,૫૧,૨૮૫ પરીક્ષાર્થીઓમાંથી ૬,૨૪,૬૨૨ સફળ થયા અને ૨,૨૬,૬૬૩ નિષ્ફળ ગયા. આમ, માતૃભાષા ગુજરાતીમાં ૨૭ ટકા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય એ શરમજનક છે. નરસિંહ-નર્મદ, ગોવર્ધનરામ-રણજીતરામ, ગાંધી-સરદાર, મેઘાણી-મુનશી, ગૌરીશંકર-ઉમાશંકર, પન્નાલાલ-મનુભાઈની દૂધભાષા તેમ જ કાકા (આચાર્ય કાલેલકર) અને બાપા(ફાધર વાલેસ)ની નવનીતભાષા એવી ગુજરાતી નીચી ભયજનક સપાટીએ વહી રહી છે. જે રાજ્યનાં મુખ્યમંત્રી આચાર્ય રહી ચૂક્યાં હોય, જે દેશના વડા પ્રધાનને ગુજરાતીમાં સપનાં આવતાં હોય, ત્યારે પણ માતૃભાષાના આવા હાલહવાલ થાય તો એની ફરિયાદ 'સંયુક્ત રાષ્ટ્ર'(યુ.એન.)માં ન કરાય !



ગુજરાતી વિષયમાં નિરાશાજનક પરિણામ માટે એ કારણ સૌથી આગળ ધરવામાં આવે છે કે, 'વિદ્યાર્થીઓનાં જોડણી અને વ્યાકરણ નબળાં છે.' વ્યાકરણની વાત થોડી દૂરની છે, પણ શિશુશાળામાં બાળક જે શબ્દ શીખે એની સાથે જ જોડણીનું 'ભૂત' ધૂણવા માંડે છે. અનુસ્નાતક કક્ષાએ ભણતાં વિદ્યાર્થીઓ પણ ‘િ’ ન ઓળખાય એટલે 'આગળથી લખો' એવું કહે, ‘ી’ ન ઓળખાય એટલે 'પાછળથી લખો' એવું કહે. ‘ુ’ ન સમજાય એટલે 'સાતડો' કરો એવું કહે, ‘ૂ’ ન સમજાય એટલે 'પૂંછડી' કરો એવું કહે! આ સમસ્યાના ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં જોડણી ભવન બનાવવું જોઈએ. પણ એ ઇમારત ઉપર 'જીલ્લા જોડણિ ભુવન' એવું ન લખાય તે ખાસ જોવું પડે! આપણે પણ 'વિધ્યાર્થિઓની ગૂઝરાટિ ભાસા નબરી સે.' એવું કહેવાં કરતાં જોડણીની ગુણવત્તા સુધારવા નક્કરાત્મક પગલાં ભરવાની જરૂર છે.



'જય શ્રી કૃષ્ણ'ની જગ્યાએ 'જે સી ક્રસ્ણ'નો પ્રયોગ કરતાં નવયુવકોને મળ્યા પછી અમને મંદિર બનાવવાનાં સ્વપ્નાં આવે છે. મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-દેવળ-દેરાસર-અગિયારી સહિતનાં તમામ ધર્મસ્થળોને બજારનાં જોખમી પરિબળો નડતાં નથી. અમે ધાર્મિક છીએ, તાર્કિક છીએ, માણસ છીએ, ગુજરાતી છીએ. ઓછા રોકાણ અને ઓછી મોકાણના વ્યવસાયને શોધતાં રહીએ છીએ. અમે સલામતી અને સન્માન ઝંખીએ છીએ. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતા છે. સ્વર્ગમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ નહીં જ હોય, અને દેવતાલોકમાં બાળકીઓની ભ્રૂણહત્યા નહીં જ થતી હોય. એટલે, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી સાડા સોળ કરોડ દેવો અને સાડા સોળ કરોડ દેવીઓ હશે એવું માની લઈએ. રાષ્ટ્ર-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં માતાજીનાં ઘણાં મંદિરો છે, ઘણાં માતાજીનાં મંદિરો છે. જેમાં વૈભવ લક્ષ્મીથી માંડીને અંબાજી માતા, મહાકાળી માતાથી માંડીને સિકોતેર માતા, દશા માતાથી માંડીને સુનામી વહાણવટી માતા, મેલડી માતાથી માંડીને જોગણી માતાનું મંદિર છે, પણ ક્યાંય જોડણી માતાનું મંદિર નથી. શરમાતાં-શરમાતાં પણ કહેવું છે કે, અમને જોડણી માતાનું મંદિર બનાવવાનો નૂતન વિચાર આવ્યો છે! 


માતાજીને ઓછામાં ઓછા ચાર હાથ હોય તો જ આપણા ઉપર એમની કૃપા વરસે. એવી ઉદાત્ત કલ્પના કરો કે, જોડણી માતાને પણ ચાર હાથ છે. એમણે ચાર હાથમાં શસ્ત્રો તરીકે શું ધારણ કર્યું હશે, એવી જિજ્ઞાસા થવી જોઈએ. જોડણી માતાએ ડાબી બાજુના એક હાથમાં ‘ઇ’ અને બીજા હાથમાં ‘ઈ’, જમણી બાજુના એક હાથમાં ‘ઉ’ અને બીજા હાથમાં ‘ઊ’ ધારણ કરેલાં હશે. એમના લલાટ ઉપર અનુસ્વારરૂપી નાનકડો શ્યામ ચાંદલો શોભતો હશે. જોડણી માતાના ગાળામાં ઉદ્દગારચિહ્નની માળા શોભતી હશે. તેમણે પ્રશ્નચિહ્નનાં ઝાંઝર પહેર્યાં હશે.



જોડણી માતાનું વાહન પુસ્તક જ હોય. ‘સાર્થ જોડણીકોશ’ નામનું પુસ્તકપક્ષી પોતાની પાંખો ફફડાવતું હોય અને તે દિવ્ય વાહન ઉપર સવાર થઈને જોડણી દેવી વિહાર કરતાં હોય ત્યારે તેઓ કેવાં ભવ્ય લાગતાં હશે! જોકે, મૂર્તિ ઘડનારે એ ખાસ ધ્યાન રાખવાનું કે, જોડણી માતાનો ચહેરો પ્રસન્ન નહીં, પણ ખિન્ન રાખવાનો છે. કારણ કે, ગુજરાતી જોડણીનો મામલો કાયમ ગંભીર રહેવા માટે સર્જાયેલો છે! ખોટી ગુજરાતી લખનારને ખોટું પણ લાગતું નથી. એક દંતકથા નહીં તો ચોકઠાકથા મુજબ, અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી, સત્તરમી સદીના આખ્યાનકાર પ્રેમાનંદે પાઘડી નહીં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રશ્ન કેવળ પ્રેમાનંદને જ નહીં, આપણને પણ સતાવતો હોવો જોઈએ.

વગર વરસાદે પણ સૌનાં મનમાં એ સવાલ ઊગે કે, જોડણી માતાનું મંદિર ક્યાં બનાવવું? પ્રદેશમાં પ્રત્યેક શાળા-મહાશાળા, વિશ્વવિદ્યાલય-શિક્ષણસંકુલ, સાહિત્યસંસ્થા-ભાષાઅકાદમીના દાખલ-દરવાજા પાસેના જમણા ખૂણામાં જોડણી માતાનું મંદિર બનાવી શકાય. જે તે સંસ્થાના વડાના હસ્તે આ મંદિરનું ઉદ્દઘાટન કરાવવું જોઈએ. સામાન્ય સંજોગોમાં મુખ્ય દેવમંદિરની ડાબી અને જમણી બાજુએ હનુમાનદાદા અને ગણપતિદાદાના ગોખલાની રચના કરવામાં આવે છે. આ જ ધોરણે જોડણી માતાના મંદિરની ડાબી બાજુએ પવિત્ર સધી માતા જેવાં સંધિ માતાનું અને જમણી બાજુએ સમર્થ કાલિકા માતા જેવાં કહેવત માતાનો ગોખલો હોવો જોઈએ. મંદિરનાં પગથિયાં પાસે આ સૂચના ખાસ લખાવવી : 'તમે ભાષાના ખેરખાં હો તો પણ પગરખાં અને અભિમાન બહાર ઉતારીને આવો.'

જોડણી માતાના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગાંધીજીનું આ વાક્ય મુકાવવું : "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી." આમ કરવાથી, ગાંધીજીની સાથેસાથે આપણી પણ પ્રસ્તુતતા વધી જશે. મંદિરના ગર્ભગૃહમાં આરસની તકતી ઉપર 'જોડણીની જોડ સખી નહીં જડે રે લોલ' જેવી પંક્તિ ટંકાવવાથી સમગ્ર વાતાવરણ કાવ્યાત્મક અને ભાવનાત્મક બની જશે.



ગુજરાતી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી ધરાવતા હોય અને નેટ-સ્લેટની પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય તેવા જ ઉમેદવારો જોડણી માતાના મંદિરમાં પૂજારી તરીકે લાયક ગણાશે. તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુ.જી.સી.ના માન્ય ધારા-ધોરણ પ્રમાણે પગાર અને અન્ય લાભ મળવા જોઈએ. જો કે, રાજ્ય સરકાર આ માટે નિર્ધારિત અને નિમ્ન પગાર ધરાવતા જોડણી-સહાયકની નિમણૂક કરી શકશે નહીં.


આ મંદિરમાં પ્રસાદ તરીકે િ, ી, ુ, ૂ આકારનાં સાકરિયાં વહેંચવાં. આવાં 'રમકડાં'ના કારણે બાળ-શ્રદ્ધાળુઓને ગમ્મત સાથે જ્ઞાન પણ મળશે. વળી, કેટલાક વાલીઓ પોતાનાં 'નબળાં' બાળકો માટે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જોડણી માતાની બાધા-આખડી રાખી શકે. જો તેમના પાલ્ય દશમા ધોરણમાં ગુજરાતી વિષયમાં હેમખેમ પાર ઊતરી જાય તો તેમણે મંદિરના પરિસરમાં 'સાર્થ જોડણીકોશ'ની અમુક-તમુક નકલો વહેંચવી જોઈએ. જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેઓ ઓછી કિંમત ધરાવતો 'ખિસ્સાકોશ' પણ વહેંચી શકે છે.



જોડણી માતાના મંદિરમાં આખો દિવસ ગુજરાતી ભાષાની વ્યાકરણ-સામગ્રી અને સાહિત્યની સર્વોત્તમ કૃતિઓ સંભળાતી-જોવાતી રહે તેવી ઉત્તમ વીજાણુ-વ્યવસ્થા કરવી જ રહી. જેથી કરીને, નવી પેઢી 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' પૂરેપૂરું સાંભળ્યા પછી 'પરસ્ત્રી'ની જગ્યાએ 'બાવન સ્ત્રી' જેવો શબ્દપ્રયોગ નહીં કરે.

જો કે નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું સાંભળ્યા પછી, ગુજરાતીમાં વિચારતો અને અંગ્રેજીમાં બોલતો ભડનો દીકરો એમ પણ કહે કે, 'મિસ્ટર મહેતાએ બનિયા મેન વિશે કેવું ઓસમ મોર્નિંગિયું ગાયું છે!'


e.mail : ashwinkumar.phd@gmail.com

સૌજન્ય : જોડણી માતાનો જય હો! 'હળવે હૈયે', “દિવ્ય ભાસ્કર”, ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Blog Address : http://ashwinningstroke.blogspot.in/

Loading

સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી

અશ્વિનકુમાર|Gandhiana|7 July 2015

દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કર્યા બાદ, કર્મવીર ગાંધીભાઈ ૦૯-૦૧-૧૯૧૫ના રોજ સ્વદેશ પરત થયા. તેઓ રાજકીય માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસર્યા. આથી, તેમણે ભાષણને નહીં, પણ ભ્રમણને મહત્ત્વ આપ્યું. વિદેશી શાસન ઉપર ફરી વળતાં પહેલાં, ગાંધીજી સ્વદેશની જમીન ઉપર ફરી વળ્યા હતા. સ્વામી શ્રદ્ધાનંદજીની માગણી હતી કે ગાંધી હરદ્વારમાં વસે. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ હતી કે ગાંધી વૈદ્યનાથધામમાં વસે. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ હતો કે ગાંધી રાજકોટમાં વસે. પણ જ્યારે તેઓ અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધી ‘સત્યના પ્રયોગો’(પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ ૩૭૮)માં ‘આશ્રમની સ્થાપના’ શીર્ષક તળે લખે છે : “અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.”



‘દિનવારી’નાં પાનાંમાંથી હળવેથી પસાર થઈએ તો ગાંધીજીનાં પોત અને પ્રતિભાનો પાકો પરિચય મળી રહે. કાઠિયાવાડી પહેરવેશના એ દિવસોમાં, ગાં.મો.ક.ને અમદાવાદે કેવો આવકાર અને આદર આપ્યો હશે એની ઝીણી જાણકારી ઝડપથી મેળવી લઈએ. મુંબઈમાં નવથી પંદર જાન્યુઆરી, ૧૯૧૫નું એ પ્રથમ અઠવાડિયું વ્યસ્ત કાર્યક્રમોમાં ગાળ્યા બાદ, મુંબઈથી રાજકોટ જવા નીકળેલા ગાંધીનું સોળ જાન્યુઆરીની સવારે અમદાવાદના રેલમથકે સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ સાથે પ્રથમ મેળાપ થયો. રાજકોટથી ધોરાજી, પોરબંદર, ગોંડળ, અને ત્યાંથી રાજકોટ થઈને પહેલી ફેબ્રુઆરી, ૧૯૧૫ની સાંજે અમદાવાદ આવેલા ગાંધીનો સત્કાર થયો અને સરઘસ નીકળ્યું. હરખઘેલા માણસો તો ગાંધી જે મોટરમાં બેઠા હતા તેને ખેંચવા માગતા હતા. પણ વાહનમાં જ બેસી રહે એ મોહન શેના?! આથી, ગાંધીએ ચાલવા માંડ્યું એટલે પછી હરખવીરોએ તેમને મોટરમાં બેસવા દીધા. તેમનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં હતો.



બીજી ફેબ્રુઆરીએ અમદાવાદમાં તેમનાં સન્માનમાં સરઘસ-સભા-સમારોહ યોજાયાં હતાં. સ્ત્રીઓ તરફથી હાટકેશ્વર મહાદેવ મુકામે કસ્તૂરબાને અને સર ચીનુભાઈના પ્રમુખપદે મનસુખભાઈની વાડીમાં મોહનદાસને માનપત્ર આપવામાં આવ્યું હતું. એ દિવસે તેમણે દક્ષિણ આફ્રિકાની લડતના સાથી સુરેન્દ્ર મેઢને ત્યાં ભોજન લીધું હતું અને અમદાવાદમાં સ્થાયી થવા સારુ શહેરના અગ્રેસરો સાથે વાતચીત પણ કરી હતી. ત્રીજી ફેબ્રુઆરીના દિવસે શહેરમાં ગાંધીના માનમાં ચા-પાણીનો જાહેર મેળાવડો હતો. તેમણે એક ટંકનું ભોજન શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં અને બીજા ટંકનું ભોજન સર ચીનુભાઈને ત્યાં લીધું હતું. શેઠ મંગળદાસના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં, ગાંધીને મોઢ જ્ઞાતિ તરફથી માનપત્ર એનાયત થયું હતું. એ દિવસે ગાંધીએ અમદાવાદમાં મહીપતરામ અનાથાશ્રમ અને વનિતા વિશ્રામ, સ્વદેશી સ્ટોર અને આયુર્વેદિક ફાર્મસી, શાહઆલમના રોજા અને દાદાભાઈ વાચનાલય વગેરેની મુલાકાત પણ લીધી હતી. તેઓ આશારામ દલીચંદ શાહ તથા સ્વામી અખંડાનંદને મળવા ગયા હતા. ગાંધીજી આશ્રમ માટે જમીન જોવા પણ ગયા હતા.



ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સારુ મકાનની શોધ આદરી. ગાંધીને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર બારિસ્ટર જી.વ્ર.દેસાઈ હતા. ગાંધી ૧૧ મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ વ્રજરાય દેસાઈ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. આ એ જ મકાન હતું જેને ભાડે લઈને ગાંધીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. મોહનદાસે ખરચ વગેરેનો તારીજો કરીને શેઠ મંગળદાસને આપ્યો. ધર્મવીર ગાંધીએ ૧૯૧૫માં મે મહિનાની વીસમીએ નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં ટોપી પહેરીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસમીએ ત્યાં રહેવા ગયા. તેમણે પચીસમીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. ‘ગાંધીજીની દિનવારી’(સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૧૩)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલ પચીસમી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના અંગે પાદનોંધ કરે છે કે, “આને માટે કોઈમાં ૨૦મી તારીખ છે, કોઈમાં ૨૨મી છે અને કોઈમાં ૨૩મી છે. પરંતુ ઘણાખરા આધારોમાં તા. ૨૫મી છે. તેથી એ માન્ય રાખી છે.”



ઘર હોય કે બાળક, સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી યોજના હોય – આપણે ત્યાં નામ પાડવા અંગેની મૂંઝવણ મીઠી પણ મોટી હોય છે! વળી, અહીં તો કર્તા તરીકે ગાંધી અને કર્મ તરીકે આશ્રમ છે! આશ્રમને અપાયેલા અજોડ નામ અંગે સજ્જડ કારણ આપતાં ગાંધી ‘આત્મકથા’(પૃ. ૩૭૯)માં લખે છે : “આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયાં હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જો કે તપશ્ચર્યા પ્રિય હતી છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો."

ઈ.સ. ૧૯૧૫ના એ નિર્ણાયક સમયખંડમાં, ગાંધીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગીરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચીનુભાઈ થકી આવકાર-આતિથ્ય-અનુકૂલન સાંપડ્યાં હતાં. આપણા મહાજનોની ઉદાત્ત સખાવત આજે તો કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (મહાધનગૃહ સામાજિક જવાબદારી) ઉર્ફે સી.એસ.આર. જેવા શબ્દપ્રયોગમાં જ સીમિત થઈ ગઈ છે. પ્રવર્તમાન સમયમાં પણ – મુખ્યમંત્રી હોય કે વડા પ્રધાન, ગાંધીનગર હોય કે નવી દિલ્હી, શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ – મહાત્મા ગાંધીનું નામ આગળ ધર્યા વગર કોઈને ચાલે એમ નથી. જો કે ગાંધીજીનું નામ વટાવીને વળતર મેળવવાની મોટા ભાગની યોજના પહેલી નજરે તો આકર્ષક જણાતી હોય છે.

ધર્મ, રાજ્ય, અને બજારની ત્રિપુટીને ‘મહાત્મા મંદિર’ ભલે વધારે અનુફૂળ આવતું હોય, પરંતુ સામાન્ય માણસ માટે તો ‘સત્યાગ્રહાશ્રમ’ જ સાચું આસ્થાઠેકાણું છે. સત્યાગ્રહાશ્રમની શતાબ્દીના સ્મરણટાણે, હે મારા ભારત, તું ગાંધીજીના રસ્તે કોશિયાનો વિકાસ કરીશ ને?!

વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

અક્ષર-આકાશિકાનું ઠેકાણું : http://ashwinningstroke.blogspot.in 

સૌજન્ય : 'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17

પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04

Loading

સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ, ખાઈ કેટલી ઊંડી છે ને કેટલી પહોળી છે એની જાણ થઈ ગઈ હવે જોઈએ એને

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|6 July 2015

રૂઢ અર્થમાં આ જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી.

ગયા અઠવાડિયે આ કૉલમમાં મેં લખ્યું હતું કે જે લોકો વંચિત છે એ વિકાસમાં ભાગીદારી માગી રહ્યા છે જેને પરિણામે વિકાસની દિશામાં આગળ વધવામાં મડાગાંઠ સર્જા‍ઈ છે. આ એવી મડાગાંઠ છે જેવી સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગવાના પ્રશ્ને સર્જા‍ઈ હતી. સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગનારાઓએ સંગઠિત થઈને કૉન્ગ્રેસના નેતાઓને સંભળાવી દીધું હતું કે જ્યાં સુધી અમને (બહુજન સમાજ અને દલિતોને) સત્તામાં ભાગીદારી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે રસ્તામાંથી હટવાના નથી.

સો વરસ પહેલાં બહુજન સમાજ જે રીતે સંગઠિત હતો એમ આજે વંચિતો સંગઠિત નથી. સો વરસ પહેલાં બહુજન સમાજે જે રીતે કૉન્ગ્રેસના નેતાઓનો રસ્તો આંતર્યો હતો એમ આજે વંચિતો શાસકોનો રસ્તો આંતરવાની સ્થિતિમાં નથી. સો વરસ પહેલાં બહુજન સમાજ વાચા મેળવવા લાગ્યો હતો, જ્યારે આજે એનાથી ઊલટું વંચિતો વાચા વિનાના છે. કોઈ ધરણાં, કોઈ દેખાવો, કોઈ સત્યાગ્રહ, કોઈ રસ્તા રોકો આંદોલન કે કોઈ ઘેરાવ ક્યાં ય જોવા મળતાં નથી. ચાર વર્ષ પહેલાં દિલ્હીમાં રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેના નેતૃત્વમાં જે આંદોલન થયું હતું એ વિકાસાભિમુખ મધ્યમ વર્ગનું આંદોલન હતું, વિકાસવંચિતોનું નહોતું. જો કોઈ વર્ગ બોલકો છે તો એ મધ્યમ વર્ગ છે અને જો કોઈ મૂંગો છે તો એ વંચિતો છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થશે કે મૂંગાની ઉપેક્ષા તો સહેજે થઈ શકે છે તો પછી સરકાર વિકાસના માર્ગે આગળ કેમ નથી વધતી? મડાગાંઠ તો ત્યારે સર્જા‍ય જ્યારે સામેથી દબાણ આવતું હોય. શાસકો માટે ઢાળ જેવી સ્થિતિ છે તો મડાગાંઠ ક્યાં આવી?

આ પ્રશ્નોનો ઉત્તર કેન્દ્ર સરકારે બહાર પાડેલા જ્ઞાતિ આધારિત સામાજિક-રાજકીય વસ્તીગણતરી સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ(SECC)ના આંકડાઓમાંથી મળે છે. ભારતમાં વિકાસથી વંચિત રહી ગયેલો વર્ગ ધારવા કરતાં ખાસ્સો મોટો છે અને એની ઉપેક્ષા કરવામાં જોખમ છે એ ભારતના શાસકો જાણે છે. એ કેટલો મોટો છે એ SECCના આંકડાઓએ બતાવી આપ્યું છે એટલું જ નહીં, એ ધારણા કરતાં ઘણો મોટો છે. એ વર્ગ ભલે સંગઠિત નથી, પરંતુ એની પાસે વોટ નામનું હથિયાર છે અને એ ગમે ત્યારે લોહીલુહાણ કરી શકે છે એનો શાસકોને ડર છે.

ભારતમાં વસ્તીગણતરી કરવાની શરૂઆત ૧૩૦ વર્ષ પહેલાં ૧૮૮૧માં અંગ્રેજોએ કરી હતી. વસ્તીગણતરીના જે કેટલાક માપદંડો હતા એમાં એક માપદંડ જ્ઞાતિનો હતો. ભારતમાં જ્ઞાતિ એ પ્રમુખ સામાજિક એકમ અને પરિબળ છે એટલે એની ઉપેક્ષા કરીને જો વસ્તીગણતરી કરવામાં આવે તો એ અધૂરી ગણાય એ એની પાછળનું એક કારણ હતું તો બીજું કારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું. પછાત જ્ઞાતિઓને જાણ થવી જોઈએ કે એમની સંખ્યા કેવડી મોટી છે અને એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે એમને સેંકડો વર્ષથી દબાવી રહ્યા છે એ સવર્ણોની સંખ્યા કેટલી ઓછી છે. આ સિવાય એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે આર્થિક, શૈક્ષણિક અને સર્વાંગીણ વિકાસને સામાજિક પછાતપણા સાથે સીધો સંબંધ છે. સામાજિક રીતે વિકસિત ઉજળિયાત સવર્ણ જેટલી ઝડપથી વિકાસના લાભ ઝીલી લેશે, કહો કે આંચકી જશે એટલી ઝડપથી પછાત કોમનો માણસ વિકાસના લાભ નહીં મેળવી શકે.

ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની જે રાજકીય ગણતરી હતી એ સો વરસ પહેલાં સફળ થઈ હતી, પરંતુ જે બીજું પાસું હતું એ વધારે મહત્ત્વનું હતું. એક, ભારતમાં જ્ઞાતિ એ પ્રબળ સામાજિક-રાજકીય પરિબળ છે અને બે, સામાજિક પછાતપણાને અને વિકાસને સીધો સંબંધ છે. આનો અર્થ એ થયો કે ભારતના સામાજિક-આર્થિક વાસ્તવને સમજવું હોય તો જ્ઞાતિની ઉપેક્ષા ન થઈ શકે. ઘણાં વર્ષોથી સમાજશાસ્ત્રીઓ આનો અભ્યાસ કરતા હતા, પરંતુ આઝાદી પછીથી જ્ઞાતિના સત્તાવાર આંકડા મળતા બંધ થઈ ગયા હતા. સમાજશાસ્ત્રીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા સૅમ્પલ સર્વે દ્વારા કે આયોજન પંચ દ્વારા કરાવવામાં આવતાં રેન્ડમ સર્વે દ્વારા કામ ચલાવવું પડતું હતું. જે આંકડા મળતા હતા એ આખા દેશના નહોતા, સર્વાંગીણ નહોતા અને આધારભૂત તો જરા ય નહોતા.

બન્યું એવું કે આઝાદી પછી ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનું અને જ્ઞાતિકીય વિકાસના માપદંડોના આધારે સર્વેક્ષણ કરવાનું બંધ કરી દીધું હતું. વિવિધતામાં એકતા ખરી, પરંતુ જ્ઞાતિ નામની વિવિધતા ભારત સરકારને માન્ય નહોતી. જ્ઞાતિને જ્યારે ખતમ કરવાની છે ત્યારે એના સ્થાન વિશે આકલન કરવું એમાં સરકારને વિરોધાભાસ દેખાતો હતો. આમાં જ્ઞાતિ નામની પરંપરાગત દુક્ટ સંસ્થા અને જ્ઞાતિવાદ ખતમ થવાની જગ્યાએ મજબૂત થવાનો ડર લાગતો હતો. બીજું, જ્ઞાતિગત અસંતોષ અને જ્ઞાતિવાદ વકરે તો દેશમાં એકતાની પ્રક્રિયા અને જાહેર શાંતિ બન્ને ખોરવાય એવો ભય હતો. ત્રીજું, જ્ઞાતિગત પછાતપણાના આંકડા બહાર આવે તો અનામત માટે કે અનામતના વિરોધમાં આંદોલનો થવાનો ભય હતો. કોમી રમખાણોથી ગ્રસ્ત દેશ જ્ઞાતિરમખાણોથી પણ ગ્રસ્ત બને એ સ્થિતિ સરકાર ટાળવા માગતી હતી.

ભારતમાં જ્ઞાતિગત છેલ્લી વસ્તીગણતરી ૧૯૩૧માં થઈ હતી. એ પછીથી જ્ઞાતિના ધોરણે વસ્તીગણતરી ન કરવી એવી લગભગ બધા જ પક્ષોમાં સમજૂતી હતી. દેશહિતમાં સમજૂતી તો થઈ હતી, પરંતુ જ્ઞાતિ નામના વાસ્તવની ઉપેક્ષા શક્ય નહોતી. ખાસ કરીને વિકાસની નિસરણી પર દેશ ક્યાં ઊભો છે એના જો વાસ્તવિક આંકડા જોઈતા હોય, ભ્રમમાં ન જીવવું હોય અને આવતી કાલે થઈ શકનારા સંભવિત વિદ્રોહથી બચવું હોય તો કોણ ક્યાં છે એ સમજી લેવું જોઈએ. છેલ્લાં ઘણાં વર્ષોથી કેટલાક સમાજશાસ્ત્રીઓ માગણી કરતા હતા કે વસ્તીગણતરીમાં જ્ઞાતિનો પાછો સમાવેશ કરવો જોઈએ. બહાર પડનારા આંકડાઓને કારણે જે રાજકીય પ્રશ્નો સર્જા‍શે એને રાજકીય રીતે ઉકેલી શકાશે, પરંતુ સાવ અંધારામાં રહેવામાં જોખમ છે. જ્ઞાતિનું રાજકારણ કરનારા રાજકીય પક્ષોએ પણ જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાની માગણી કરવા માંડી હતી.

૧૯૯૦ના દાયકામાં ભારતના રાજકારણે, સમાજકારણે અને અર્થકારણે એમ ત્રણેએ એકસાથે નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આર્થિક સુધારાઓ કર્યા, સાડાત્રણ ટકાનો વિકાસદર સાડાસાત ટકાએ પહોંચ્યો, મધ્યમવર્ગ વિશાળ અને પ્રભાવી બનવા લાગ્યો, ગામડાં અને ગ્રામીણ અર્થતંત્ર વધારે ઝડપથી તૂટવા લાગ્યાં. ખેતીનો વિકાસદર ત્યાં ને ત્યાં જ રહ્યો; પરંતુ ખેતીની જમીન પર શહેરી રોકાણકારોની ભીંસ વધવા લાગી. આ અઢી દાયકા દરમ્યાન સરકારે બે મોટી ભૂલ કરી. એક તો એ કે આર્થિક સુધારાઓની સાથે-સાથે કરવા જોઈતા રાજકીય, ન્યાયતાંત્રિક અને અન્ય પ્રકારના સુધારાઓ કરવામાં ન આવ્યા જેને કારણે મૂડીવાદી અર્થતંત્રમાં નવી પેદા થયેલી સંપત્તિ થોડા હાથમાં જમા થઈ ગઈ અને બીજી ભૂલ એ કરી કે ગ્રામીણ રોજગાર માટે સરકારે ખાસ કોઈ પ્રયત્નો ન કર્યા. આ બે ભૂલને કારણે શ્રીમંત અને ગરીબ વચ્ચે તેમ જ શહેરી ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેની ખાઈ વધવા લાગી. એ ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એ સમજવું જરૂરી લાગવા માંડ્યું.

અજાણ્યા પાણીમાં કૂદવું નહીં એમ કહેવામાં આવે છે. ૧૯૩૧ પછીના સામાજિક આંકડાઓના અભાવમાં અને ૧૯૯૧ પછી કોણ કેટલું પામ્યા એના વાસ્તવિક આંકડાના અભાવમાં ભારતીય સમાજ અજાણ્યા પાણી જેવો થવા માંડ્યો હતો. ૨૧મી સદીમાં જ્યારે પ્રત્યાયનનાં આટલાં આધુનિક માધ્યમો વિકસ્યાં છે ત્યારે ભારતીય સમાજ અજાણ્યો ભાસવા લાગ્યો હતો. ૨૦૦૮ પછીથી ભારતનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું તે હજી આજ સુધી સ્થગિત છે. આ સ્થગિતતાનું મુખ્ય કારણ અજાણ્યા પાણી જેવા ભારતીય સમાજનો ભય છે. આ સ્થિતિમાં ૨૦૧૧માં ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય ગણતરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.

અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? જેમ કે ભારતમાં ૩૧ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે એ શોધી કાઢવું પૂરતું છે પછી એ કઈ જ્ઞાતિનો છે એ શોધવાની શી જરૂર છે? આવી જ રીતે ભારતમાં આટલા ટકા નિરક્ષરતા છે કે આટલા ટકા બાળમરણ થાય છે કે આટલા ટકા સ્ત્રીઓનાં સુવાવડ વખતે મરણ થાય છે એના આંકડા ઉપલબ્ધ હોય એ પૂરતું છે. એને જ્ઞાતિ સાથે શા માટે જોડવા જોઈએ? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી. હજી છેલ્લા એક દાયકામાં આપણે ત્યાં તેન્ડુલકર સમિતિ અને રંગરાજન સમિતિએ ગરીબી વિશે સર્વેક્ષણ અને અભ્યાસ કર્યા છે અને બન્નેના ગરીબીની રેખા નીચે જીવતા લોકોના આંકડામાં ખાસું મોટું અંતર છે. આ સિવાય બીજાં કળશીએક સર્વેક્ષણો થયાં છે. જ્યારે જ્ઞાતિનિરપેક્ષ સર્વેક્ષણો દ્વારા આંકડા મળતા રહે છે ત્યારે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરાવવાની શી જરૂર છે? જ્ઞાતિકીય વસ્તીગણતરી ફરી શરૂ કરવાની દરખાસ્ત આવી ત્યારે આ બધી જ દલીલો કરવામાં આવી હતી અને એ છતાં જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આનું કારણ એ છે કે ભારતની ૩૧ ટકા પ્રજા ગરીબીની રેખા નીચે જીવે છે એવા એક નિવેદન કરતાં ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં દલિતોનું પ્રમાણ રાષ્ટ્રીય પ્રમાણ કરતાં બમણું કે દોઢું છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એ નિવેદનના સૂચિતાર્થો બદલાઈ જતા હોય છે. વ્યક્તિની અંગત આપદા જ્યારે સામાજિક ઓળખ ધરાવનારા સમૂહની સાર્વત્રિક બની જાય ત્યારે એનાં મોટાં રાજકીય પરિણામો આવતાં હોય છે અને કેટલીક વાર અણધાર્યા પણ આવતાં હોય છે. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ રૂઢ અર્થમાં જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મૂળ ઉદ્દેશ વાસ્તવિકતા સમજવાનો છે અને વાસ્તવિકતા ધારવા કરતાં પણ વરવી છે. આ મારા શબ્દો નથી, દેશના નાણાપ્રધાન અરુણ જેટલીના છે.

ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એની જાણ તો થઈ ગઈ. હવે જોઈએ એને કઈ રીતે પૂરવામાં આવે છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 જુલાઈ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-05072015-16

Loading

...102030...3,7303,7313,7323,733...3,7403,7503,760...

Search by

Opinion

  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved