Opinion Magazine
Number of visits: 9554583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણસંસ્થાઓને અભડાવવાનું ૧૯૬૦થી શરૂ થયું હતું અને અત્યારે એને વિકૃત કરાઈ રહી છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2015

પ્રાદેશિક, ભાષાકીય અને વાંશિક અસ્મિતાઓએ શિક્ષણસંસ્થાઓને જેટલા પ્રમાણમાં અભડાવી છે એનાથી વધુ નુકસાન શિક્ષણનું તેમ જ શિક્ષણસંસ્થાઓનું હિન્દુકરણ કરશે. આનો પ્રતિકાર કરવો જ જોઈએ. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે જે ભાઈની નિયુક્તિ કરવામાં આવી છે એ સંજય દેશમુખની સૌથી મોટી અને મહત્ત્વની લાયકાત એ છે કે તેઓ RSSના સ્વયંસેવક છે

આ લખનારે ૧૯૮૦ના ડિસેમ્બર મહિનામાં વીસ દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. કારણ એવું હતું કે ઔરંગાબાદની મરાઠવાડા યુનિવર્સિટીને ડૉ. ભીમરાવ આંબેડકરનું નામ આપવા માટે ત્યારે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં અમે ભાગ લીધો હતો. મૂળમાં દલિતોએ આવી કોઈ માગણી નહોતી કરી. એ સમયની મહારાષ્ટ્ર સરકારે સામેથી મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલીને બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી કરવાનો ઠરાવ કર્યો હતો. સરકારના ઠરાવનો મરાઠવાડાના કેટલાક નેતાઓ, સ્વાતંત્ર્યસૈનિકો, વિચારકો, પ્રાધ્યાપકો અને સાહિત્યકારોએ વિરોધ કર્યો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે નામાંતરનો વિરોધ કરનારા લોકોમાં એવા આદરણીય લોકો હતા જેમને કોઈ અર્થમાં દલિતદ્વેષી ન કહી શકાય. જેમની પાસેથી સમાનતાના અને ઉદારમતવાદી વિચારધારાના સંસ્કાર મળ્યા હતા એવા લોકોએ યુનિવર્સિટીને ડૉ. આંબેડકરનું નામ આપવામાં આવે એનો વિરોધ કર્યો હતો. આદરણીય અને પ્રતિષ્ઠિત લોકોએ વિરોધ કર્યો એટલે સરકારે પીછેહઠ કરી જેની સામે સત્યાગ્રહ કરવો પડ્યો હતો.

આ વાત આટલાં વર્ષે અહીં એટલા માટે યાદ કરી છે કે હવે એમ લાગે છે કે વડીલો સાચા હતા. શિક્ષણસંસ્થાઓને જેમાં લાંબા ગાળે સંકુચિતતાની સંભાવના હોય એવા રાજકારણથી મુક્ત રાખવી જોઈએ, પછી ભલે વર્તમાનમાં આ ક્ષણે એમાં પ્રગતિશીલતા નજરે પડતી હોય. એ સમયે સામાજિક સમાનતાનું ભૂત અમારા પર સવાર હતું. હવે સમજાય છે કે સામાજિક સમાનતા આવાં નામકરણોનાં પ્રતીકો દ્વારા આવતી નથી. સાચી સમાનતાની જગ્યાએ આવાં પ્રતીકો શિક્ષણસંસ્થાઓને રાજકારણનો અખાડો બનાવી મૂકે છે. એ આંદોલનના પરિણામે દલિતોને જેટલો ફાયદો થયો છે એના કરતાં વધુ દલિતોને અને દેશને નુકસાન થયું છે. સાચી સમાનતાની જગ્યાએ સમાનતાનાં પ્રતીકોના રાજકારણે આક્રમક અને એકાંગી દલિત રાજકારણને જન્મ આપ્યો છે. એ સમયે નામાંતરનો વિરોધ કરનારા પ્રસિદ્ધ મરાઠી ચિંતક નરહર કુરુંદકરે કહ્યું હતું કે ડૉ. આંબેડકર પરમ આદરણીય છે, પરંતુ ડૉ. આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવા હશે તો મુક્ત શિક્ષણસંસ્થાઓ જરૂરી છે. જો શિક્ષણસંસ્થાઓ મુક્ત નહીં હોય તો ગાંધીને, મહાત્મા ફૂલેને, આંબેડકરને કે જવાહરલાલ નેહરુને એમ દરેકને ચોક્કસ રંગે રંગવામાં આવશે. એક દિવસ એવો આવશે જ્યારે કેટલાક લોકોનાં વસ્તુિનષ્ઠ મૂલ્યાંકનો પણ શક્ય નહીં બને.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રતાપ ભાનુ મહેતાએ યોગ્ય જ કહ્યું છે કે ઉચ્ચ કેળવણી સાથે ચેડાં કરવાનું કામ ૧૯૬૦ પછી શરૂ થયું હતું. ત્યારે ભાષાવાર પ્રાંતરચનાઓ થઈ હતી અને પ્રાદેશિક અને ભાષાકીય અસ્મિતાઓને યુનિવર્સિટીઓમાં ઝૂકતું માપ આપવાનું શરૂ થયું હતું. વાસ્તવમાં પરંપરા દ્વારા શોષિતોને, દલિતોને, આદિવાસીઓને, સ્ત્રીઓને, પ્રાદેશિક અસ્મિતાઓને, ભાષાઓને ન્યાય આપવાના નામે શિક્ષણસંસ્થાઓમાં પ્રતીકોનું રાજકારણ શરૂ થયું હતું. કેળવણી વ્યાપકતા ગુમાવવા લાગી હતી અને પ્રતીકોનો શિકાર બનવા લાગી હતી. મુંબઈ યુનિવર્સિટીમાં કોઈ બંગાળી કે દક્ષિણ ભારતીય ઉપકુલપતિ હોય એની કલ્પના કરવી મુશ્કેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા વિદ્વાનો પ્રાદેશિક, ભાષાકીય કે એવા બીજા નાના ગજમાં સમાતા નથી એટલે તેમને શિક્ષણસંસ્થાઓમાંથી બહાર રાખવામાં આવે છે. ડૉ. અમર્ત્ય સેન, જગદીશ ભગવતી, હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચન્દ્રશેખર, વેન્કટરમણ રામક્રિષ્ણન જેવા ભારતીય વિદ્વાનો વિદેશોની યુનિવર્સિટીઓમાં ટોચના સ્થાને પહોંચી શકે, નોબેલ પારિતોષિક પણ મેળવી શકે; પરંતુ તેઓમાંનું કોઈ મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ ન બની શકે. શું મહારાષ્ટ્ર વાંઝિયું છે એવો ટોણો મારવામાં આવશે?

આમાં તો પરંપરાગત સમાજે જેમને સેંકડો વર્ષથી હાંસિયામાં રાખ્યા હતા તેમના પડખે ઊભા રહેવાનો ઇરાદો હતો. ઇરાદો ભલે નેક હતો, પરંતુ શિક્ષણની ગુણવત્તા અને અધ્યયનની મોકળાશને તો એમાં નુકસાન જ પહોંચ્યું છે. આની સામે કલ્પના કરો કે જ્યાં ઇરાદો જ વિદ્યાર્થીઓના માનસને ચોક્કસ રંગે રંગવાનો હોય ત્યાં શું નહીં થાય? પાકિસ્તાન વિદ્યાર્થીઓના માનસને ચોક્કસ રંગે રંગવાની કિંમત ચૂકવી રહ્યું છે. જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝે કહ્યું હતું કે જે દિવસે પાકિસ્તાને સિંધુ સભ્યતા માટે ગર્વ લેવાનું ટાળ્યું એ દિવસે પાકિસ્તાન માટે સંકટનાં બીજ રોપાયાં હતાં અને જે દિવસે બૌદ્ધોની તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પરાઈ સભ્યતાના પ્રતીક ગણાવાઈ હતી એ દિવસે પાકિસ્તાનના વિનાશનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું.

એમ લાગે છે કે ભારતના વર્તમાન શાસકો પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેવા માગતા નથી. એટલે તો અમર્ત્ય સેને ભારત આવીને જાહેરમાં ઊહાપોહ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર ઇરાદાપૂર્વક ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને તાબામાં લઈ રહી છે જેથી એનું ભગવાકરણ કરી શકાય. જેમ પાકિસ્તાને શિક્ષણસંસ્થાઓને ઇસ્લામિક રંગે રંગી હતી એવી યોજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની છે અને નરેન્દ્ર મોદીની સરકાર એમાં સહયોગ કરી રહી છે. નાગપુરથી આવનારી દરખાસ્તોને બુદ્ધિ ચલાવ્યા વિના સ્વીકારી લે એવી અલ્પમતી ધરાવતી વ્યક્તિની શાસ્ત્રીભવનમાં જરૂર હતી જે તેમને સ્મૃિત ઈરાનીના સ્વરૂપમાં મળી ગઈ છે. અન્યથા સ્મૃિત ઈરાની જેવી વ્યક્તિ શિક્ષણપ્રધાન હોય? જે વ્યક્તિ પોતે જ પોતાની લાયકાત ખોળી રહી હોય તે ભારત જેવા દેશનાં શિક્ષણપ્રધાન હોય એને તો બલિહારી જ કહેવી પડે.

એમાં કોઈ શંકા નથી કે પ્રાદેશિક, ભાષાકીય અને વાંશિક અસ્મિતાઓએ શિક્ષણસંસ્થાઓને જેટલા પ્રમાણમાં અભડાવી છે એનાથી વધુ નુકસાન શિક્ષણનું તેમ જ શિક્ષણસંસ્થાઓનું હિન્દુકરણ કરશે. આનો પ્રતિકાર કરવો જ જોઈએ. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે જે ભાઈની નિયુક્તિ કરવામાં આવી છે એ કોઈક સંજય દેશમુખ નામના માણસનું હજી સુધી કોઈએ નામ નહોતું સાંભળ્યું. તેમના બાયોડેટામાં તેમની સિદ્ધિઓ વાંચશો તો માન ઊપજવાની જગ્યાએ દયા આવશે. તેમની સૌથી મોટી અને મહત્ત્વની લાયકાત એ છે કે તેઓ RSSના સ્વયંસેવક છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કૉલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-07-20-07-08-33

Loading

ના! હું સાધુ થઈશ (ના, હું તો ગાઈશ ! એમ ના વાંચવું)

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|19 July 2015

ના ! હું સાધુ થઈશ

(ના, હું તો ગાઈશ ! એમ ના વાંચવું)

ગુરુ : આવો, આવો! આત્મન્!

શિષ્ય : આજે, ઘણા વખતથી હું વિચારતો હતો, તે મારો સંકલ્પ જાહેર કરવા અને આપશ્રીની સંમતિ લેવા આવ્યો છું.

ગુરુ : જેને પોતાને સમજાયું તેને કોઈની પણ સંમતિની જરૂર ના હોય. શુભ હશે તો પ્રગતિ થશે, નહીં તો ફેરવિચારણા કરવા માટે અનુભવ પ્રાપ્ત થશે.

શિષ્ય : મહારાજ ! આપ સમાન જેવાના સાથથી જ હું આગળ વધી શકીશ.

ગુરુ : સદ્વિચારને ભગવાનના આશીર્વાદ હોય જ છે.

       માનવજીવન સત્ય સમજવા માટે સતત આત્મખોજ, સ્વમૂલ્યાંકન માટે છે. આગળ કે પાછળ વધવાના ભ્રમોમાંથી મુક્ત થવામાં જ શ્રેય છે.

       સાંભળ ત્યારે : એક સાદોસીધો માણસ હતો. કદી એનો અહમ્ પ્રગટ્યો ન હતો. ભલુભલી સમસ્યાઓના ઉકેલો એને સૂઝતા હતા, કારણકે સ્વાર્થથી મુક્ત હતો.

શિષ્ય : એવો વળી કોણ હતો એ?

ગુરુ : રાષ્ટ્રના પ્રધાનપદે હતો. છતાં સાદા ધોતિયામાં રહેતો. વિદેશમાં, રાષ્ટ્રસમૂહની બેઠકમાં પણ ભોળા ભાવે જાય, ત્યારે પણ પહેરવેશ તો એનો એ જ. એનું ખરું બળ નિષ્ઠા અને કર્તવ્ય!

શિષ્ય : ભલભલી સમસ્યા ઉકેલી? તે કઈ ?

ગુરુ : એના ધ્યાન ઉપર મૂક્યું કે ‘રાષ્ટ્રને ભારે અન્નની તંગી ઊભી થઈ છે અને ભૂખમરો કરોડોને આવી પડવાનો છે.’

      તુરંત સરળ ઉકેલ આપ્યો. ‘ચાલો અઠવાડિયામાં એક ટંક ભોજન છોડી દઈએ ! દરેક વ્યક્તિ સોમવારે સાંજે જમવામાં અનાજ નહીં લે.’

      ને રાષ્ટ્રે તે વાત માથે ચઢાવી. શાસ્ત્રીજીનો સોમવાર ! વર્ષો સુધી શાસ્ત્રીજીનો સોમવાર પળાતો રહ્યો.

શિષ્ય : હા, એ સાચું જ! મેં જાતે પણ ફળો ઉપર રહેવાનું ગોઠવેલું.

ગુરુ : ૧૯૬૫ની સાલમાં સેનાપતિ મૂંઝવણ લઈને આવ્યા. કહે ‘જો પશ્ચિમ દિશામાં પાકિસ્તાન સાથે લડવાને બધી તાકાત લગાડીએ, ને જો પૂર્વમાંથી ચીન ડખો કરે તો શું ?’

      ‘તમારું કામ બે ય મોરચે લડવાનું છે. અમારું કામ તમને સંપૂર્ણ ટેકો કરવાનું છે.’ રાષ્ટ્રને ‘જય જવાન ! જય કિસાન’નો મંત્ર પઢાવ્યો. એવો એ નિર્મળ હૃદયના માનવને સાધુ થવાની જરૂર જ નહીં. યુદ્ધ હોય કે દુકાળ!

       શી એની લીલા! સૌમ્ય તેમ જ શાલીન! કેવી રીતે તને સમજાવું? એના અવસાન પછી જણાયું કે લોનથી જે કાર લીધેલી તેનું દેવું હતું! બૅંકમાં બૅલેન્સ પણ નહોતું!!

      તારી આંખોમાં તો કાંઈ કાંઈ અનોખું કરવાનું જોશ પડ્યું છે. ભરપૂર આવેગ છે!

શિષ્ય : ના! ના! હું સાધુ થઈશ જ.

ગુરુ : (સહજ સ્મિત કર્યું. મૌન જ રહ્યા!)

શિષ્ય : આજ્ઞા આપો મહારાજ! સાધુ થવાથી મને સંપૂર્ણતા પ્રાપ્ત થશે. મેં લગ્ન થતાં જ પત્નીને કહી દીધું, મને સંસારમાં નહીં, રાષ્ટ્રસેવામાં જ રસ છે. તેથી જ સાધુ થવા માટે આપ મહારાજની સંમતિ માંગી રહ્યો છું.

ગુરુ : (મૌન)

શિષ્ય : મને બેચેન ના કરો. સંમતિ આપો ગુરુદેવ! હું સાધુ થઈશ! થઈશ! થઈશ જ.

ગુરુ : તારે સાધુ દેખાવું છે કે મુક્ત થવું છે?

      દર બે કલાકે નવા પહેરવેશનો તારો શોખ, સભાઓ ગજવીગજવીને તાળીઓ, જયજયકાર સાંભળવાની મહત્ત્વાકાંક્ષાઓ ભલભલાં તારાં સ્વપ્નાંઓ …

*  *  *

Breaking News      

પ્રધાનમંત્રી સાધુ થઈ ગયા!

એક વર્ષ પૂરું થઈ ગયું!!  

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 19

 

Loading

મંગલ પાંડેની શહીદી Vs ટેલિગ્રાફની શક્તિ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|19 July 2015

ડિજિટલ ઇન્ડિયાની વાતો આજકાલ બહુ સાંભળવા મળી રહી છે. આપણે હવે એવા સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ, જેમાં કોઈ પણ દેશ માટે ડિજિટલના રંગે રંગાયા વિના છૂટકો જ નથી. ઇન્ફર્મેશન ટેક્નોલોજીના યુગમાં માહિતી અને માધ્યમ જ સાચી મૂડી અને તાકાત પુરવાર થઈ રહ્યાં છે. જો કે, માધ્યમોનો પ્રભાવ એ કંઈ આજકાલની વાત નથી, પણ જૂના જમાનામાં ટેક્નોલોજી આટલી વિકસી ન હોવાથી તેનો પ્રભાવ અન્ય પરિબળોમાં ઢંકાઈ જતો હતો. આજે ઇતિહાસ તરફ નજર કરવામાં આવે છે ત્યારે એવા કેટલાક પુરાવા સાંપડે છે, જેના આધારે માધ્યમોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પુરવાર થાય છે.

ભારતનો જ દાખલો લઈએ. શું કોઈ માની શકે કે બ્રિટિશરો સામેનો પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્યસંગ્રામ સફળ રહ્યો નહોતો, કારણ કે બ્રિટિશર્સ પાસે ટેલિગ્રાફની સેવા હતી?! હા, આ હકીકત છે. ટેલિગ્રાફનાં દોરડાંઓએ જ દેશના પહેલા આઝાદી આંદોલનને ગૂંગળાવી નાખ્યું હતું. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી બ્રિટિશ ઇન્ડિયાના એડમિનિસ્ટ્રેટર સર રોબર્ટ મોન્ટગોમેરીએ નોંધેલું, 'ધ ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ હેઝ સેવ્ડ ઇન્ડિયા' મતલબ કે ટેલિગ્રાફને કારણે જ બ્રિટિશરો ભારત પરનો કબજો જાળવી શક્યા હતા. કદાચ ટેલિગ્રાફ ન હોત તો ૧૮૫૭ની સશસ્ત્ર લડતને કારણે અંગ્રેજોએ મુઠ્ઠીઓ વાળીને ભાગી જવું પડયું હોત. આ વાત માન્યામાં ન આવતી હોય તો જૂની દિલ્હીમાં આવેલા કાશ્મીરી ગેટની ટેલિગ્રાફ ઓફિસમાં લાગેલા ૨૦ ફૂટ ઊંચા ચોરસ સ્તંભ પરનું લખાણ વાંચી લેવું. આ લખાણમાં લશ્કરી બળવાને ડામવામાં ટેલિગ્રાફ ઓફિસના બ્રિટિશ કાર્યકરોની ભૂમિકાની વિસ્તૃત વાત રજૂ કરવામાં આવી છે. દિલ્હી એ સમયે મોગલ સામ્રાજ્યની રાજધાની હતી અને છેલ્લા મોગલ સમ્રાટ બહાદુરશાહ ઝફરના શાસનનો અસ્ત થવામાં હતો, કારણ કે દિલ્હીમાં પણ અંગ્રેજોનો પ્રભાવ વધતો જતો હતો. એ વખતે ૧૮૫૭માં અંગ્રેજોના લશ્કરમાં જોડાયેલા ભારતીય સૈનિકો અને નાનાં-મોટાં રજવાડાંઓ રાજવીઓએ અંગ્રેજો સામે લડતનું બ્યુગલ વગાડયું હતું. મેરઠ અને દિલ્હીના સૈનિકોએ અંગ્રેજો સામે બળવો કરીને દિલ્હી પર કબજો જમાવી દીધો હતો. એ વખતે દિલ્હીમાં બાવન બ્રિટિશરોની હત્યા થયેલી. એ વખતે સમગ્ર દેશમાં ફેલાયેલાં બ્રિટિશ થાણાંઓ અને કચેરીઓને તાત્કાલિક જાણ કરીને સાવધ કરવામાં ટેલિગ્રાફે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. લશ્કરી તાકાત કરતાં પણ સંદેશાવ્યવહારની આ તાકાતે બ્રિટિશરોને સ્થિતિ પર કાબૂ મેળવવામાં બહુ મદદ કરી હતી.

આજે ૧૮૫૭ના દેશના સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મદિવસ છે. મંગલ પાંડેની શહીદીએ જ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ છેડવાનો જુસ્સો પૂરો પાડયો હતો. આઝાદી આંદોલનના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામે ૧૯ જુલાઈ, ૧૮૨૭ના રોજ થયો હતો. મંગલ પાંડે માત્ર ૨૨ વર્ષની વયે ૧૮૪૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયો હતો અને બેંગાલ નેટિવ ઇન્ફન્ટ્રીનો સૈનિક બન્યો હતો. ગાય અને સૂવરની ચરબીવાળી રાઇફલનો ઉપયોગ કરવાની ના પાડીને તેણે અંગ્રેજ અફસરનો સામી છાતીએ વિરોધ કર્યો હતો અને તેના પર હુમલો પણ કર્યો હતો. આ માટે મંગલ પાંડેને ફાંસીની સજા કરવામાં આવી અને ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ તેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો. ૨૯ વર્ષના યુવાન મંગલ પાંડેની શહીદી એળે નહોતી ગઈ, તેણે દેશવાસીઓને અંગ્રેજોનો બહાદુરીપૂર્વક વિરોધ-સામનો કરવા માટે પ્રેર્યા હતા.

જો કે, ૧૮૫૭માં ટેલિગ્રાફની ભૂમિકાએ માધ્યમની તાકાતનો પરચો આપ્યો હતો. આજનો યુગ જ જ્યારે માહિતી યુગ ગણાય છે ત્યારે માધ્યમો અને માહિતીની બોલબાલા છે. દેશના પ્રથમ વડાપ્રધાન અને વિઝનરી નેતા જવાહરલાલે સાચું જ કહ્યું હતું, "કોઈ પણ રાજ્ય કે લોકશાહી દેશમાં જો આ (પ્રસાર માધ્યમો) વિકસિત હોય કે જનકલ્યાણકારી વિકાસકાર્યો તરફ અગ્રેસર હોય તો લોકો વચ્ચે તમામ અવરોધ સમાપ્ત થઈ જવા જોઈએ અને આ કાર્ય માત્ર જનસંપર્ક-પ્રચારપ્રસાર દ્વારા જ શક્ય છે." આશા રાખીએ ડિજિટલ ઇન્ડિયામાં સામાન્ય નાગરિકો સુધી વધારે સુવિધાઓ પહોંચશે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : સમય સંકેત’ નામે લેખકની કૉલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જુલાઈ 2015

Loading

...102030...3,7253,7263,7273,728...3,7403,7503,760...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved