Opinion Magazine
Number of visits: 9552591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શબ્દ જોડે બિરાદરી

કનુભાઈ જાની|Opinion - Literature|11 August 2015

આપણે ઘણીવાર એક એવો શબ્દ વાપરીએ છીએ જે અતિ પ્રાચીન હોય છે, એનો પ્રાચીન અર્થ (કે એના પ્રાચીન અર્થો) જાણ્યા વિના, ફટ લઈને એને અર્વાચીન અર્થમાં બેસાડી દેતાં હોઈએ છીએ, ત્યારે મોટી ગરબડ ઊભી થાય છે. દા.ત શબ્દ ‘અર્થ’. મહાભારતના એક પ્રસંગે એ વપરાયો, તેને નવા અર્થમાં બેસાડી દીધો, અને ભૂલમાં ભલે, પણ અનર્થ જ થઈ ગયો. પ્રસંગ મજાનો છે.

મહાભારત-યુદ્ધને અટકાવવા વિષ્ટિકાર તરીકે ખુદ કૃષ્ણ ગયા, કાંઈ ન વળ્યું ! કર્ણને એના જન્મની જાણ કરીને ‘ફોડવાનો’ પ્રયત્નેય નિષ્ફળ ગયો. કુંતા પણ એમાં નિષ્ફળ ગયાં ! યુદ્ધનાં દુંદુભી ગડગડ્યા. સૈન્યો સામસામે ગોઠવાયાં. ત્યારે વળી સ્વજનોની સામે લડવામાં અર્જુનનું મન માન્યું નહીં. એને ય કૃષ્ણે સમજાવી દીધો : ‘આ ધર્મ જ છે.’

તે પછી, યુદ્ધ શરૂ થવામાં છે ત્યાં યુદ્ધિષ્ઠિરને થયું કે આવડું મોટું કામ આરંભીએ છીએ, ત્યારે મોટેરાંને – વડીલોને પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા વિના તો કેમ ચાલે ? ને વડીલો તો હતા સામે પક્ષે ! છતાં ગયા ! આવું ભારતમાં જ બને ! જઈને દ્રોણ અને ભીષ્મને પગે પડ્યા ! એ આખો ય પ્રસંગ વિગતે વાંચવા જેવો છે; અહીં સ્થળ સંકોચ તો અત્યારથી અનુભવું છું ! મુખ્ય વાત પર આવું. વડીલોએ ય આશીર્વાદ આપ્યા ને ‘યુદ્ધમાં જય થાય’ એ સિવાયનું જે માગવું હોય તે માગવા પણ કહ્યું ! ને યુદ્ધિષ્ઠિરે માગ્યું ય એવું ! જાતે જાણજો ! − પણ આ પ્રસંગે આ મોટેરાં, પણ શિષ્યને પોતાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં કહે છે :

अर्थस्य पुरुषो दासो, दासस्त्वर्थान् न कदाचित।
इति सत्यं महाराज, बद्धौस्म्यर्थेन कौरवे:।।

અહીં ‘અર્થ’નો ઘણાખરાએ અર્થ કર્યો છે ‘પૈસો’, ‘ધન’ ! આ ભીષ્મ ને દ્રોણ, આજની જેમ રાજપુરુષોના પૈસાની, ધનની લાલચે વેચાઈ ગયેલા હોય ખરા ? તો પછી, ‘અર્થ’નો અહીં શો અર્થ હશે ? એ કાળે ચલણમાં નાણું હતું ખરું?

આ પ્રશ્ને કૃષ્ણપ્રેમી હરીન્દ્ર દવેને ય મૂંઝવ્યા છે. એમનું ‘શ્રીકૃષ્ણ અને માનવસંબંધો’ પુસ્તક વાંચવા જેવું છે. એમની માફક મને ય થયું ચાલો, કોશો જોઈએ. વત્તા, થયું કૌટિલ્યે ય ‘અર્થશાસ્ત્ર’ શબ્દ વાપર્યો છે ! મોંનિયેર, આપ્ટે વગેરે કોશો 25-30 અર્થો આપે છે; તો આપણા ‘ભગવદ્દગોમંડળ’માં 32 અર્થો છે. કૌટિલ્યે ‘જીવનવ્યવહાર’ (રાજ્યવ્યવહાર સહિત) એવા અર્થમાં ‘અર્થ’ શબ્દ વાપર્યો છે. ભારતીય જીવન વ્યવસ્થામાં ચાર ધ્યેયો કે વ્યવહાર ક્ષેત્રો ગણાવવામાં આવ્યા છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષ. ત્યાં પણ જીવનવ્યવહાર (માનવ – માનવ વચ્ચેનો વ્યવહાર) એવો અર્થ છે. કોશે આપેલ વિવિધ ને પચાસેક અર્થોમાં એક ‘અર્થ’ જે ‘પ્રાર્થના’ શબ્દમાં પણ છે તે – વિનંતી, અરજી, વચન ! કૌરવે આ બેયને વેણે બાંધી લીધા છે કે તમારે અમારી સાથે રહેવાનું છે. એ જ જાણે છે કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે; છતાં વેણે બંધાયા : પેલા શ્લોકનો આમ અર્થ થાય :

માનવી જ્યારે વચન કે વેણથી, અમુક વ્યવહાર માટે, બંધાય છે ત્યારે વેણ બાબતે તો જે થવાનું હોય તે જ થાય છે ! વેણ / વ્યવહાર કોઈના બાંધેલાં નથી ? દ્રોણ – ભીષ્મ (અને કર્ણાદિ પણ !) જાણતા જ હતા કે જ્યાં કૃષ્ણ હોય ને ‘ધર્મ’ હોય (સત્ય હોય) ત્યાં જ જીત હોય. કૃષ્ણ પાસે ય સહાય માગવા દુર્યોધન પહોંચ્યો હતો, ને કૃષ્ણે વિકલ્પ આપ્યો હતો કે શસ્ત્રવિહીન હું કે મારું સશસ્ત્ર મોટું સૈનિક − બેમાંથી એક માગ ! એ વ્યવહાર હતો. દ્રોણના શ્લોકનો હું પદ્યાનુવાદ આમ કરું.

“માનવી વેણનો દાસ, વેણ ન દાસ કોઈનું;
એ જ સત્ય મહારાજ ! બંધાયા વેણ – કૌરવે !”

સૌજન્ય : “બિરાદર”, જુલાઈ 2015, પૃ. 12

Loading

મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર ખાતે મળનારી બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ

વિપુલ કલ્યાણી|Opinion - Literature|10 August 2015

સુરેશ દલાલે, એક દા, કહેલું, ‘ગોવર્ધનરામ, મુનશી, પન્નાલાલ પટેલ પછી તરત જ કોઈનું નામ લેવાતું હોય તો તે નવલકથાકાર ‘દર્શક’નું. ‘દર્શક’ પાસે કાળવેધી ઇતિહાસદૃષ્ટિ છે. ગાંધીજીના આદર્શો તથા લોકભારતી જેવી શિક્ષણસંસ્થાના અનુભવે સર્જકને માતબર ભાથું જ હશે. ‘દર્શક’ નાટ્યકાર, ચિંતક અને વિચારક છે. એ જે કંઈ બોલે કે લખે તે અનુભવના નિચોડ રૂપે જ પ્રકટે. જીવનલક્ષી આ સાહિત્યકારનું ઉપનામ અત્યંત સૂચક છે. એમની કથા-કલાકૃતિમાં પ્રચારશૂન્ય ધન્યતાની સઘન અને ગહન અનુભૂિત થાય છે. … ‘દર્શક કવિતાના ચાહક છે અને લોકસાહિત્યના ભાવક છે.‘  

મનુભાઈ પંચોળી[15.10.1914 – 29.08.2001]ની 101મી જયંતીનું આ વરસ છે. િવશ્વ ફલકે વિસ્તરી ગયેલા આ પ્રજાપુરુષ સાહિત્યકારે પરદેશે વસી ગુજરાતી વસતીને મબલખ વહાલ કર્યું છે અને ફાંટું ભરીને સમજણવાળું માર્ગદર્શન આપ્યું છે. જગતભરમાં પથરાયેલી ગુજરાતી આલમની એક અદકેરી ટૂંક એટલે પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’. એ ટૂંકેથી ‘દર્શકે’ ગુજરાતી ડાયસ્પોરાને ઘડવાનું સુપેરે કામ કરેલું છે. વિલાયત માંહેના એમના વિવિધ પ્રવાસો વેળા ય, એમણે અહીંતહીં આપેલાં વ્યાખ્યાનો આની સબળ સાહેદી પૂરે છે. એમના આવાઆવા અનેક નરવા જગપ્રવાસો દરમિયાન, મનુભાઈ પંચોળીએ લોકકેળવણીનું પણ ચોમેર સુપેરે કામ કર્યું છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ તેની સભ્યગણની બિરાદરીને સારુ મનુભાઈ પંચોળી ‘દર્શક’ અજાણ્યું નામ નથી. આ મુલકે મનુભાઈ ચારેક વાર આવ્યા છે અને અકાદમીના નેજા હેઠળ એમને નિરાંતવા સાંભળ્યા ય છે.

મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પામવા માટે એમના વિરાટ વ્યક્તિત્વને સમજવું પડે. તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં તરફ નજર નાંખવી પડે. તેમના વિશાળ શબ્દસાગરમાં તરવું પડે. વિવિધ વિચારોની પગદંડી પર લાંબુ ચાલવું પડે. ઇતિહાસનાં અધ્યયનની ઊંડી ખીણમાં ઊતરવું પડે. ક્યારેક પ્રકાશભાઈ ન. શાહની, ક્યારેક રઘુવીરભાઈ ચૌધરીની, તો ક્યારેક રમેશ ર. દવેની, તો વળી, ક્યારેક મનસુખભાઈ સલ્લાની આંગળી પકડીને થાક લાગે તેટલું ચાલવું પડે. 'દર્શક'ની બધી વાતો સરળતાથી સમજાઈ જાય તેવું પણ નથી, તેથી આપણી સમજને દર્શકની સમજના સ્તરે લઈ જવા થોડું મથવું પણ પડે.

જાણીતા વિચારક, વક્તા, કર્મશીલ તેમ જ “નિરીક્ષક”કાર પ્રકાશ ન. શાહ આ અવસરે મુખ્ય મહેમાન છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ મનુભાઈ પંચોળીને સંભારી, બે દિવસીય ભાષા-સાહિત્ય પરિષદ યોજવાનું ઠેરવ્યું છે. આ નવમી પરિષદ શનિવાર, 29 અૉગસ્ટ – રવિવાર, 30 અૉગસ્ટ 2015ના દિવસોએ, વેમ્બલી ખાતે, ‘માન્ધાતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન’[20A Rosemead Avenue, Wembley HA9 7EE]ના હૉલમાં સવારે દશથી બેસશે.

આ દેશમાં વસતા ગુજરાતી ભાષા-સાહિત્યના એક વરિષ્ઠ સાહિત્યકાર અદમ ટંકારવી આ પરિષદના અધ્યક્ષસ્થાને વરાયા છે.

બે દિવસ પથરાઈ આ પરિષદની આછેરી વિગતો આ મુજબ છે :

શનિવાર સવારે મળનારી પહેલી બેઠક આરંભ – અભિવાદન – ઉદ્દબોધનની હશે. નવમી ભાષા-સાહિત્ય પરિષદના અધ્યક્ષ અદમ ટંકારવીનું ઉદ્દબોધન થશે. આ બેઠક વેળા ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રકાશભાઈ શાહને તેમ જ દીપકભાઈ બારડોલીકરને માનદ્દ અધ્યેતા (ફૅલૉ) પદથી સગૌરવ નવાજશે. અત્યાર પૂર્વે અધ્યેતા (ફૅલૉ) પદ એનાયત થયેલાની યાદી આમ છે : રઘુવીરભાઈ ચૌધરી, જગદીશભાઈ દવે, મનુભાઈ પંચોળી ‘દર્શક’ [દિવંગત], હસુભાઈ યાજ્ઞિક, જયન્તભાઈ મ. પંડ્યા [દિવંગત], મહેન્દ્રભાઈ મેઘાણી, પોપટલાલભાઈ જરીવાળા [દિવંગત] તેમ જ વિપુલભાઈ કલ્યાણી.

વળી, ચંપાબહેન પટેલનાં ચિત્રોનું એક પ્રદર્શન પણ વિધિવત્ સ્થળ પરે ઉદ્દઘાટિત કરાશે. વિચારપત્ર “ઓપિનિયન”ના તમામ અંકોની તૈયાર થયેલી ડી.વી.ડી.ને ય પ્રસંગ ટાંકણે લોક અર્પિત કરવામાં આવશે.

બપોરે મળનારી બીજી બેઠક : ‘રતિલાલ ચંદરિયા : દેણગી. ઈન્ટરનેટ જગત, ભાવિનો પથ તેમ જ દશા ને દિશા’. ભદ્રાબહેન વડગામાના સભાસંચાલન હેઠળ અશોક કરણિયા, નીરજ શાહ તેમ જ ધવલ સુધન્વા વ્યાસ વક્તવ્ય આપશે. રતિલાલભાઈનું આ પ્રદાન તે ગુજરાતી ડાયસ્પોરિક સમાજની મુખ્ય પ્રવાહને જબ્બર મોટી દેણગી છે.

સાંય ભોજન પછી મુશાયરો હશે અને તેનું સંચાલન અદમભાઈ કરશે. ‘ઝૈનાહ બિલાલ’ને નામ યોજાતી શાયરોની આ મજલિસના મેજબાન જાણીતા શાયર ઈબ્રાહિમભાઈ રાઠોડ ‘ખય્યામ’ હશે. જ્યારે આ મુલકે પ્રવાસે આવનારા આપણા જાણીતા સાહિત્યકાર ચિનુ મોદી મુશાયરા વેળા અતિથિ વિશેષ હશે.

રવિવારે સવારે મળતી ત્રીજી બેઠકનો વિષય ‘દર્શક’નું સાહિત્યવિશ્વ' હશે. પંચમ શુક્લના સભાપતિપદે આશાબહેન બૂચ, અનિલભાઈ વ્યાસ તથા ચિનુભાઈ મોદી વક્તા હશે. બપોરે મળતી ચોથી ને આખરી બેઠકનો વિષય : ‘મનુભાઈ પંચોળીની સમાજચર્યા’ છે. આ પરિષદના મુખ્ય મહેમાન પ્રકાશભાઈ ન. શાહ અતિથિ વક્તા હશે.

બન્ને દિવસોએ સવારે દશ વાગ્યાથી આ પરિષદનો આરંભ થશે. સવારસાંજ ચા-પાણી તેમ જ ભોજનની ગોઠવણ દરેકને સારુ કરી હશે.

Loading

સુતોમુની સ્ટોરી : રામ રાખે તેને કોણ ચાખે

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|9 August 2015

આજથી બરાબર ૭૦ વર્ષ પહેલાં જાપાનમાં જ્યારે એક પછી એક બે શહેરો પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવ જાતે જે વિનાશ જોયો હતો તે આજે પણ ભુલાયો નથી. આશરે ૨,૫૦,૦૦૦ને એક ક્ષણમાં મોતના મુખમાં ધકેલનારા આ બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી એક વ્યક્તિ બચી ગઈ હતી, જેનું નામ છે – સુતોમુ યામાગુચી.

સુતોમુને જાપાન સરકાર દ્વારા સત્તાવાર રીતે બે બે પરમાણુ હુમલામાંથી બચી જનારા એક માત્ર અસરગ્રસ્ત તરીકે જાહેર કરાયા હતા. ૨૦૧૦ની સાલમાં ૯૩ વર્ષની વયે લાંબું આયુષ્ય ભોગવીને સુતોમુનું નિધન થયું ત્યારે નાગાસાકીના મેયરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહેલું, એક મૂલ્યવાન વાર્તા કહેનાર અમે ગુમાવ્યા છે. દુનિયાના સર્વપ્રથમ પરમાણુ હુમલાને નજરે નિહાળનારા સુતોમુ પરમાણુ શસ્ત્રોની વિનાશકતાને એટલી સચોટ રીતે વર્ણવતા કે પરમાણુ શસ્ત્રો પર રીતસર નફરત થઈ જાય.

સુતોમુની આખી સ્ટોરી જોઈએ તો ૧૬ માર્ચ, ૧૯૧૬ના રોજ નાગાસાકીમાં જ તેમનો જન્મ થયો હતો. સુતોમુ ભણીગણીને એન્જિનિયર બનેલા. તેઓ પરમાણુ હુમલાનો ભોગ બન્યા ત્યારે મિત્સુિબશી હેવી ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે જ નોકરી કરતા હતા. નાગાસાકીના રહેવાસી એવા સુતોમુ કંપનીના કામસર જ હિરોશિમા ગયા હતા. હિરોશિમામાં તેઓ ત્રણ મહિના રોકાયા હતા અને બરાબર છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ તેઓ પોતાના બે સાથી કર્મચારી સાથે નાગાસાકી જવા નીકળ્યા હતા. તેઓ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ સુતોમુને યાદ આવ્યું કે તેઓ ઓળખ કાર્ડ તો કંપનીની ઓફિસમાં ભૂલી આવ્યા છે. સાથીઓને જવા દઈને પોતે પાછા ફર્યા અને બરાબર એ જ વખતે હિરોશિમા પર અમેરિકા દ્વારા ઝીંકાયો લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ અને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં જીવતું જાગતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું.

સુતોમુ નજરે નિહાળેલી પરમાણુ વિસ્ફોટની એ ઘટના વિશે કહેતા કે તેઓ પોતાના મિત્રોને રવાના કરીને ઓફિસ તરફ પાછા ફર્યા ત્યારે તેમણે શહેરના આકાશ પર એક વિમાન ઊડતું જોયું. બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિરોશિમા ઉપર યુદ્ધવિમાનોનું ઊડવું સ્વાભાવિક હતું. સુતોમુએ વિમાનમાંથી પેરાશૂટ નીચે આવતાં જોયાં અને આંખ મટકું મારે ત્યાં સુધીમાં તો તેમણે આંખો આંજી નાખે એવો ધડાકાભેર મોટો ભડકો જોયો અને પછી કાળા ધુમાડાનો મોટો ગોળો ઉછળ્યો. જાણે સળગતો સૂરજ ઉપરથી ધરતી પર પડયો હોય એવું લાગેલું. શહેરની વચ્ચોવચ્ચ ફેંકાયેલા બોમ્બના ત્રણેક કિલોમીટરના ઘેરાવામાં રહેલા સુતોમુનું ઉપરનું અરધું શરીર દાઝી ગયું. માથાના તમામ વાળ બળી ગયા હતા. પરમાણુ બોમ્બની જ્વાળા જોવાને કારણે તેમની આંખે થોડાક કલાકો માટે અંધાપો આવી ગયેલો અને ધડાકાના અવાજને કારણે એક કાનનો પડદો ફાટી ગયો હતો.

એ દિવસે હિરોશિમામાં ૮૦,૦૦૦ લોકો ઓન ધ સ્પોટ મરણને શરણ થયેલા અને રેડિયેશનની અસરને કારણે માત્ર એક મહિનાના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવેલો. ખરા અર્થમાં 'મરદ' એવા સુતોમુ ઘાયલ હોવા છતાં હિંમત નહોતા હાર્યા અને બીજા જ દિવસે પોતાના શહેર નાગાસાકી જવા નીકળી ગયેલા.

નાગાસાકી જઈને તેઓ ૯મી તારીખે તો કંપનીની ઓફિસે પણ પહોંચી ગયેલા. તેઓ ઓફિસમાં પોતાના ઉપરી અધિકારી સાથે હિરોશિમાના પરમાણુ હુમલા અને સર્જાયેલા વિનાશની વાત જ કરતા હતા કે નાગાસાકી પર અમેરિકા દ્વારા ફેટ મેન નામનો બીજો પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો. આ ઘટના અંગે સુતોમુ કહેતા કે મને તો લાગ્યું કે મશરૂમ આકારનો ગોળો હિરોશિમાથી છેક મારી પાછળ પાછળ અહીં પણ આવી પહોંચ્યો. હું જાણે કોઈ નરકમાંથી પસાર થઈ રહ્યો હોય એવો નાગાસાકીનો માહોલ હતો. નાગાસાકીમાં ૭૦,૦૦૦ લોકો માર્યા ગયેલા પણ સુતોમુ બીજી વખત પણ બચી ગયા.

સુતોમુએ પોતાના અનુભવ અંગે પુસ્તક લખેલું છે. પરમાણુ બોમ્બની પીડા અંગે તેમણે અનેક કાવ્યો પણ રચ્યાં હતાં. સુતોમુ આજીવન, પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે, મથતા રહેલા. સુતોમુ કહેતાં કે "બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી મારા ચમત્કારિક બચાવ પછી મારી જવાબદારી બને છે કે દુનિયાના લોકો સુધી સાચી વાત પહોંચાડું."

પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે તેઓ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી." સુતોમુને લકીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ગણવામાં આવે છે, જો કે તેઓ ખુદને જરા ય ભાગ્યશાળી માનતા નહોતા, કારણ કે તેમણે પોતાની નજરે લાખો લોકોને મોતના મુખમાં ધકેલાતા જોયા હતા. બુદ્ધ ધર્મ પાળતા સુતોમુનું સપનું હતું – પરમાણુ શસ્ત્રો-મુક્ત વિશ્વ. સુતોમુનું સપનું સાકાર નહીં થાય અને ફરી પરમાણુ શસ્ત્રો વપરાશે તો સુતોમુ જેવું ભાગ્ય કોની પાસે હશે?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’નામ લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 અૉગસ્ટ 2015

Loading

...102030...3,7103,7113,7123,713...3,7203,7303,740...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved