Opinion Magazine
Number of visits: 9692026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૈનં છિન્દતિ શસ્ત્રાણી નૈનં દહતિ પાવક:

આશા બૂચ|Opinion - Opinion|27 November 2015

ભગવત્ ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ શસ્ત્રાસ્ત્રો હેઠાં મુકીને યુદ્ધ પ્રારંભ કરવામાં પાછા પગલાં ભરતા અર્જુનને કહે છે:

નૈનં છિન્દતિ શસ્ત્રાણી નૈનં દહતિ પાવક:
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત:

આત્માને ન શસ્ત્રો છેદી શકે, ન આગ બાળી શકે, તે ન પાણીથી પલળી જાય કે ન તો હવા તેને સુકવી શકે. તો આત્મા એવો અમર છે જ્યારે શરીર નાશવંત છે અને એવા શરીરનો ધર્મને ખાતર નાશ કરવા તારે ફરજ બજાવતાં શોકાતુર થવું યોગ્ય નથી. આ અને આવા અનેક આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર શ્લોકો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને તેનો ધર્મ (અહીં ધર્મ ફરજના અર્થમાં લેવાયો છે નહીં કે મંદિરોમાં મૂર્તિની પૂજા અર્ચના કરવામાં સીમિત થયો છે) સમજાવ્યો ત્યાર બાદ એ મહાભારતના યુદ્ધના મંડાણ કરવા તૈયાર થયો, એ આપણે સહુ જાણીએ છીએ.

હવે આત્માના અમરત્વ માટેનો ઉપરોક્ત શ્લોક જાણે કે IS (ઇસ્લામિક સ્ટેટ) જેવાં આતંકવાદી સંગઠનો માટે લાગુ પડતો જણાય છે. એવાં સંગઠનોને નથી શસ્ત્રો ખત્મ કરી શકતાં, નથી આગથી પ્રજ્લાવી શકાતો, નથી પાણીમાં ડુબાડી શકાતો કે નથી ગમે તેવા ભીષણ વા વંટોળથી બીજા ગ્રહ પર મોકલી શકાતો. એથી જ તો યુરોપના મોટા ભાગના દેશો ધનુષ ટંકાર કરીને વિમાની દળો દ્વારા ઈસ્લામિક સ્ટેટના કોઠાનો નાશ કરવા તત્પર થઈ રહ્યા છે, તેવે વખતે એક સવાલ જરૂર થાય કે આ ખરેખર ધર્મ યુદ્ધ છે ખરું? બીજું, કૌરવોની હાર થયા બાદ પાંડવોએ ન્યાયી અનુશાસન આપ્યું, તેવું રાજ્ય આ યુરોપના બાંધવ દેશોમાંથી કોણ આપશે?

છેલ્લાં ચાલીસેક વર્ષનો ઇતિહાસ તપાસતાં એક હકીકત સ્પષ્ટપણે આગળ તરી આવે છે કે અત્યાધુનિક શસ્ત્રોના છુટ્ટે હાથે કરેલ ઉપયોગ પછી પણ આતંકવાદ લગીરે ઓછો થયો નથી. દુનિયાની મહાસત્તાઓની આવી નાલેશી ભરી નિષ્ફળતાથી છંછેડાઈને તેઓ ચાર ગણા જોરથી ફૂંફાડો ભલે ને મારે, આતંકવાદનો એ ભોરીંગણ દરમાં સંતાઈ જવાને બદલે સહસ્ર ફેણ ઊંચી કરીને વધુ ઝેર ઓકતો અનેક નિર્દોષોના જાન લેતો રહે છે. એથી જ તો ભૂતકાળની ભૂલો પરથી શીખીને સાચો માર્ગ અજમાવવો રહ્યો.

જિસસ ક્રાઈસ્ટનો ઉપદેશ પોતાની રાજકીય અને ધાર્મિક સત્તાને પડકાર રૂપ લાગ્યો તેથી તત્કાલીન રાજા અને ધર્મ સત્તાધિકારીઓએ મળીને તેમને શૂળી પર ચડાવ્યા, પણ તેથી તેમની વિચારધારા નાશ ન પામી, કેમ કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તેમ શરીર નાશવંત છે, પણ આત્માની માફક વિચારધારા અમર છે. આથી જ તો એક નવા ધર્મનો પ્રાદુર્ભાવ થયો અને વિશ્વ આખામાં ફેલાઈ ગયો. એવી જ રીતે મહાત્મા ગાંધી, માર્ટીન લ્યુથર કિંગ જુનિયર જેવાઓના જાન લેવાયા, નેલ્સન માંડેલા અને આંગ સાન સુ કી જેવાને કારાગારમાં બંધ કરાયા છતાં તેમના આદર્શોને કે વિચારોને ન તો ચિતા ભસ્મરૂપ કરી શક્યાં કે ન તો ચાર દીવાલોમાં સંગ્રહી શક્યાં. ઉલટાના એ લાખો-કરોડો લોકના દિલ દિમાગમાં ઘર કરી ગયાં અને કાળની મર્યાદા પાર કરીને જીવી રહ્યાં છે. જેમ આવા ઉમદા સિદ્ધાંતો અને વિચારધારાઓને બંદૂકની ગોળી, ફાંસીનો માંચડો ઘાયલ ન કરી શક્યો તેમ હાલની ઘાતક અને વિનાશકારી વિચારધારાને આધુનિક શસ્ત્રો મહાત કરી શકશે એમ સાંપ્રત રાજનેતાઓને કેમ લાગે છે?

આજે કેટલાક લોકો ગુમરાહ થયા છે, પણ મોટા ભાગની પ્રજાની સાન તો ઠેકાણે છે ને? જરા સબૂરી કરીને વિચારીએ તો ખ્યાલ આવશે કે તમારા જ ધર્મ બંધુઓ પોતાના ધર્મ પુસ્તકમાં અપાયેલ ઉપદેશનો આવો અવળો અર્થ કરીને પોતાના જ ધર્મના બે પંથો વચ્ચે અને અન્ય ધર્મીઓ સાથે અનાચારને પંથે પળે તો તમે એમને તરછોડી દેશો કે સમજાવીને સન્માર્ગે વાળશો? અને જો તમે જ તમારા કહેવાતા સહધર્મચારીઓને રાહ નહીં બતાવો તો એ કામ બીજા લોકો ગન અને બોમ્બથી કરશે એ તમને માન્ય રહેશે ને? આતંકવાદ આચરનારા અને તેનો પ્રસાર-પ્રચાર કરનારા કેવા માર્ગ ભૂલેલા બની ગયા છે, એવા મારા વિધાન પર વિશ્વાસ ન બેસતો હોય તો ચેનલ 4 પર 23 નવેમ્બરને દિવસે બતાવાયેલ કાર્યક્રમ ISIS: British Women Supporters Unvailed જોશો તો પુરાવા મળી રહેશે.

એવું આધારભૂત માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે બ્રિટનની કેટલીક નર્સરીમાં Old McDonald had a farm એ બાળગીત ગાવાની મનાઈ ફરમાવવામાં આવે છે કેમ કે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય છે. હવે એ ગીતમાં જુદા જુદા પાલતુ પ્રાણીઓ કેવા અવાજ કરે તે ગવાય છે. ગાય મૂ મૂ કરીને ભાંભરે એમ ગાય તો હિંદુ બાળકના મોઢામાં થોડું ગાયનું માંસ પહોંચી જવાનું છે? જો એ લોકો નથી ડરતા તો ડુક્કર ઓઇંક ઓઇંક કરે તેમ ગાવાથી એ પણ કોઈના ઉદરમાં નહીં પધરાવી દેવાય એમ સમજવું જોઈએ ને? હવે આવા ભયથી ત્રસ્ત પ્રજાને હકીકતની સમજણ આપીને અભય વરદાન આપવાની જરૂર છે કે ગનથી તેમનો નાશ કરવાની? જો કે એમ તો ઈંગ્લેન્ડનું શિક્ષણ ખાતું પણ સલામતીને નામે ભયથી દોરવાઈને દરેકને એક લાકડીએ હાંકવામાં અને શંકા ઉઠાવી તેના પર તહોમત મુકવામાં પાછા પડે તેમ નથી. તત્કાલીન સ્ફોટક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળાના શિક્ષકોને સૂચના આપવામાં આવી છે શંકાસ્પદ વાણી-વર્તન જણાય તેવા વિદ્યાર્થીને તરત જ ‘રિપોર્ટ’ કરવો. એટલે નવમાં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ લંચ સમયે નમાઝ પઢવા થોડી જગ્યા અને સમયની માંગણી કરી તો તરત ‘રેડીકાલાઇઝ થવાની શક્યતા ધરાવનાર વ્યક્તિ’ તરીકે રિપોર્ટની યાદીમાં આવી ગયો ! છેને બિન આતંકવાદીઓના સલામતીના નિયમોની કમાલ?

વાત એમ છે કે કેટલાક મહત્ત્વાકાંક્ષી વિરલાઓ તેમની માન્યતા પ્રમાણે અલ્લાહે ઘડેલા કાયદાઓને અનુસરે એવા શારીયા કાયદાઓ પ્રમાણેનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. આમ જુઓ તો સમયે સમયે દુનિયાના ઘણા દેશોમાં રાજ્ય પદ્ધતિઓમાં પરિવર્તન આવતાં રહ્યાં છે. રશિયામાં ઝારશાહીનો અંત આવ્યો અને સામ્યવાદ છવાયો ત્યારે શું એ લોહીયાળ ક્રાંતિ નહોતી? રાજાશાહી પ્રચલિત હતી ત્યારે પ્રજાના હાલ કેવા હતા તે આપણે ક્યાં ભૂલ્યાં છીએ? તેનું સ્થાન લોકશાહીએ લીધું તે ઉત્તમ છે, પણ એ જ લોકશાહી પદ્ધતિનો પોતાના દેશમાં આનંદે લાભ લેનાર શાસકોએ અન્ય દેશોમાં પણ એ જ રાજ્ય પદ્ધતિ હોવી જોઈએ એવા પોતાના આગ્રહને વશ થઈ યેન કેન પ્રકારેણ યાતો એ દેશોમાં શાસન કરીને કે બહાર ઊભા રહીને બે દેશો વચ્ચે ફાટફૂટ પડાવી સંઘર્ષો કરાવવામાં જે ઉત્સાહ બતાવ્યો છે તેનાથી ક્યાં ઓછી જાનહાનિ થઈ છે? ફેર એટલો છે કે ઇસ્લામિક સ્ટેટની વિચારસરણી ધરાવનારાઓ પાસે પોતાનો કહી શકાય તેવો ભૂ ભાગ-દેશ એક્કેય નથી. સંભવ છે કે જમીનનો એક ભાગ જુદો ફાળવી તેમના જેવી વિચારસરણી ધરાવતા લોકોને એ ઇસ્લામિક સ્ટેટમાં રહેવાની સગવડ કરી આપીએ તો આ સંઘર્ષનો અંત આવી શકે. જો કે એ ‘નૂતન રાષ્ટ્ર’ની એક પવિત્ર ફરજ એ બની રહેશે કે તેમણે દુનિયાના બીજા દેશો પોતપોતાની રીતે રાજ્ય કરે, ધર્મ પાળે કે જે પ્રકારની જીવન પદ્ધતિ અપનાવે તેને ‘ભલે તેઓ પોતાની રાહે જીવે’ એવી સમજણ ભરી સહિષ્ણુતા સાથે શાંતિથી જીવે અને જીવવા દેવાનું પ્રણ લે અને પાળે. એમ કરવાથી પશ્ચિમના લોકશાહી દેશોમાં ઉછરીને ભણીને સ્વતંત્રતાનો લાભ મેળવીને હવે લોકશાહી અને વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂલ્યોથી તદ્દન વિરુદ્ધ દિશામાં વિચારનારાઓને સમાન વિચારસરણીવાળા લોકો સાથે રહેવાનો વિકલ્પ મળશે. પણ ભય એ રહે છે કે યુરોપ અને અમેરિકા સાથે મળીને જો આવું કોઈ પગલું ભરશે તો ઇઝરાયેલ જેવી કાયમી સંઘર્ષ વાળી રાજ્ય રચના નહીં થાય તેની કોઈ ખાતરી નથી.

લોકને એમ કહેતા સાંભળીએ છીએ કે આ આતંકવાદીઓ ક્યાં કોઈનું સાંભળે તેવા છે? હું પૂછું છું કે એમની સાથે બોલે છે જ કોણ? બોમ્બ નાખવા કે લશ્કર મોકલી તેમના થાણાંઓનો નાશ કરવો તે કઈ ભાષા છે? વાત એમ છે કે એકલ દોકલ આત્મઘાતી હુમલાઓ કે પાંચ-સાત ખુન્નસે ભરાયેલા યુવાનો નિર્દોષ લોકોના જાન લે તેમને ‘આતંકવાદી’નું બિરુદ મળે પણ બદલો લેવાની કે પાઠ ભણાવવાની મુરાદથી કોઈ દેશની સરકાર હુમલા કરે તેને ‘યુદ્ધ’ તરીકે ઓળખાવાય. પરિણામ તો બંનેનું સરખું આવે છે. બંને બાજુના આત્મઘાતી હુમલાખોર અને સૈનિકો ઉપરાંત સેંકડોની સંખ્યામાં નિર્દોષ સ્ત્રી-પુરુષ-બાળકોની જાનહાનિ થાય અને તેમ કરવા છતાં નથી તો આતંકવાદીઓને જે જોઈએ છે તે મળતું કે નથી ખુદ આતંકવાદને ડામી શકાતો. ફાયદો માત્ર શસ્ત્રો બનાવનાર અને વેંચનાર કંપનીઓને થાય છે. જો કે તેમ કરવામાં ખુદ યુ.એન.ના સભ્ય દેશોની સરકારના હાથ પણ લોહીથી ખરડાયેલા જોવા મળે છે. જુઓને, ISIS અને તેના જેવા બીજા આતંકી સંગઠનો પોતાનો નિભાવ કરવા તેલ રીફાનરીઓનો કબજો જમાવી બેઠા છે. પ્રશ્ન જરૂર થાય કે તે ખનીજ તેલ કોણ ખરીદતું હશે? તેમની પાસે વિવિધ પ્રકારના આધુનિક શસ્ત્રો છે તે એ બધા પર made inમાં કયા દેશનું નામ હશે? ક્યાંક એના સગડ જે દેશો અત્યારે વેર લેવા વિમાની હુમલાઓ કરવા સજ્જ થયા છે ત્યાં તો નહીં નીકળે? આખર ‘80ના દાયકામાં મુજાહાદ્દીનોને કોને પંપાળેલા એ આપણે ક્યાં નથી જાણતા? આમ તો એક દા ઓટોમન એમ્પાયર ભાંગેલું તેના અણિયાળા ટુકડા અત્યારે એ ભાંગનારની છાતીમાં ભોંકાય છે, કદાચ તેમને ખ્યાલ નહીં હોય કે તેમના કર્તુત્વના આટલા લાંબા સમય સુધી પ્રત્યાઘાત આવશે.

અત્યાર સુધી શિયા-સુન્ની અંદરો અંદર લડતા રહ્યા તો દેડકાનો જીવ જાય ને છોકરાં તાળી પાડે એવો ખેલ થતો આવ્યો છે એટલું જ નહીં, પોતાના પાંચ-સાત પથ્થરો – અલબત્ત શસ્ત્રોના રૂપમાં જ તો – પણ આપેલા છે એ કબૂલ કોઈ ન કરે પણ જાણે છે બધા ભાગીદારો. આ તો હવે યુરોપ-અમેરિકાના સપૂતો હણાય છે તેથી આવાં ઘાતકી વિચારો ધરાવનાર અને તેનો પ્રચાર કરનાર જૂથોનો સત્યાનાશ કરવો જોઈએ, તેવું સર્વાનુમતે નક્કી થયું છે. હા, આ હિંસાના વિષચક્રનો અંત આવવો જ જોઈએ તેમ શાંતિ પ્રિય પ્રજા પણ માને છે, ઈચ્છે છે અને કશુંક તાત્કાલિક કરવા પણ માગે છે, પણ હાલના યુરોપ-અમેરિકાના લશ્કરી પગલાં વિષે તેમને વિશ્વાસ નથી. સરકારી મંત્રીઓથી માંડીને ધર્મ ગુરુઓ અને વિદેશનીતિના તજ્જ્ઞો સહુ કહે છે કે માત્ર વિમાની હુમલાઓ આવા વેર વિખેર પડેલા આત્મઘાતીઓને શમાવવા પૂરતા અસરકારક નહીં નીવડે, તે માટે તેની સાથે લશ્કરી કુમક મોકલવી જરૂરી બનશે. અને સહુ એ પણ સ્વીકારે છે કે તેનાથી ય જે આમ જનતાની જાનહાનિ થશે તેના ઘા નહીં રૂઝાય એટલે બચેલા લોકોના દિલ-દિમાગને જીતવા વિજયી સરકારે ભરચક પ્રયત્નો કરવા પડશે. ઈરાકમાં દિલ-દિમાગ જીતવા રોકાયેલા સૈનિકો થકી શું પરિણામ આવ્યું? જિસસ, મોહમ્મદ, બુદ્ધ, મહાવીર કે ગાંધીએ લોકોના દિલ-દિમાગ શસ્ત્રોથી જીતેલા? શસ્ત્રો તો માણસને મારી શકે, દિલ તલવારની અણીએ જીતાય ખરું?   

ઇસ્લામિક સ્ટેટ બનાવવાની ઈચ્છા રાખનારા અને તેમને સાથ આપનારા ચપટીક લોકો સિવાય દુનિયાના તમામે તમામ લોકો (રાજકીય નેતાઓ બાદ કરતાં) આવી વિનાશક પરિસ્થિતિનો તત્કાલ અંત આવે અને કાયમી શાંતિ સ્થપાય તેમ ઈચ્છે છે, માત્ર સદીઓથી સંઘર્ષોનો નિવેડો શસ્ત્રોથી જ લાવનારાઓ એક એવા વિષચક્રમાં ફસાયેલા છે કે તેમને અન્ય કોઈ માર્ગ નથી સૂજતો. ગમે તેટલો જોખમી જણાય તો પણ રાજકીય વાટાઘાટો અને સામાજિક-આર્થિક નવ રચનાત્મક કાર્યક્રમો જ આવી ગૂંચવાડા ભરી પરિસ્થિતિનો ઉકેલ લાવશે એવી પૂર્ણ શ્રદ્ધા છે.

આખરમાં ક્રિશ્ચિયન hymnનું ટાગોરે બંગાળીમાં અને નરસિંહરાવ દીવેટિયાએ ગુજરાતીમાં અનુવાદિત કરેલું ભજન ટાંકું:

‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ …..’

e.mail : 71abuch@gmail.com

Loading

બુકર ટી. વોશિંગ્ટન (આત્મકથા) – એક અનુવાદ

હરનિશ જાની|Opinion - Opinion|27 November 2015

હાલમાં વિચારવલોણું પરિવાર પ્રકાશનની પુસ્તિકા "બુકર. ટી. વોશિંગ્ટન"ની આત્મકથા, સંક્ષેપ્તમાં – ગુજરાતીમાં વાંચવામાં આવી. બુકર. ટી.ના નામથી બહુ ઓછા ગુજરાતીઓ પરિચિત હશે. તેમણે અમેરિકાના ગુલામોના ઇતિહાસ સંબંધક ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રેસિડન્ટ લિંકને ગુલામોને આઝાદી તો અપાવી, પણ તેમાંના એક ગુલામ બુકર ટી. વોશિન્ગ્ટને ગુલામોને તેમના ગુલામ વિચારોમાંથી મુક્તિ અપાવી હતી. બુકર ટી. વોશિંગ્ટન ગુલામીમાં ૧૮૫૬માં જન્મ્યા હતા. ત્યારે હજુ કાળા લોકોને ગુલામીમાંથી મુક્તિ નહોતી મળી. તે એક ગોરા અમેરિકન અને કાળી ગુલામ માતાના સંતાન હતા. તે સમયના ગુલામોની સ્થિતિ એક ઢોર કરતાં પણ બદતર હતી. માલિક કંતાનનાં કપડાં પહેરાવતા. જે શરીર પર ઘસાતાં. ખાવામાં મકાઈ અને ડુક્કરનું માંસ અને રહેવા માટે ભીંતો વિનાના છાપરાં. અને ભૂલ થાય તો માલિકો ચાબખા મારતા.

પ્રેસિડન્ટ લિંકનના પ્રયત્નોથી, સિવિલ વોરના અંતે, ૧૮૬૩માં ગુલામોને મુક્તિ મળી. ત્યારે બુકર. ટી, સાત વરસના હતા. તેમને  વાંચવા, લખવાની ખૂબ તમન્ના હતી. એ જ શિક્ષણની તીવ્ર ઈચ્છાએ એમને શિક્ષક, કેળવણીકાર અને અવ્વલ નંબરના ભાષણકર્તા બનાવ્યા. કાળા લોકોના લિડર બનાવ્યા, એટલી હદે કે એમના સમયના અમેરિકન પ્રેસિડન્ટ કાળા લોકોના પ્રશ્નોની ચર્ચા માટે બુકર ટી.ની સલાહ લેતા. હાર્વર્ડ યુનિવર્સિટીએ ૧૮૯૬ ડોક્ટરેટની માનદ્દ ડિગ્રી પણ એનાયત કરી. અને પ્રોફેસર વોશિન્ગટને, પત્ની  સાથે યુરોપની લેકચર ટુર પણ કરી.

"બુકર ટી વોશિંગ્ટન" ની આત્મકથાનો અનુવાદ ઈંગ્લિશ પરથી કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અનુવાદ કોણે કર્યો છે. એ બહુ અગત્યનું હોય છે. અનુવાદક મૂળ કૃતિને કેટલા વફાદાર રહી શકે છે, તે પણ જોવું પડે. અને તે માટે મૂળ કૃતિની ભાષા અને અનુવાદની ભાષાનું જ્ઞાન જરૂરી છે. જ્યારે બુકર ટી.ની આત્મકથાનો ગુજરાતી અનુવાદ તો  વાંચ્યો પણ અનુવાદકે ગુજરાતી શબ્દનો પ્રયોગ કયા અંગ્રેજી  શબ્દ પરથી લીધો હશે. તેની  રમત પણ મગજમાં ચાલતી હતી.

આ પુસ્તકમાં અનુવાદકને બે ચેલેન્જ હતી. એક તો મૂળ આત્મકથનનું સંક્ષિપ્તીકરણ કરવાનું અને તેનું ભાવાનુવાદ કરી ગુજરાતી વાચકના મનમાં પ્રવેશવાનું હતું. આ પુસ્તકનો ભાવાનુવાદ અશોક વિદ્વાંસે કર્યો છે. અશોકભાઈ ગોપાલરાવ વિદ્વાંસના સુપુત્ર થાય. ગોપાલરાવે મારા જેવા લાખો ગુજરાતીઓને મરાઠી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. વિ.સ.ખાંડેકરનાં પુસ્તકો ગામની લાયબ્રેરીમાંથી મેળવી, વાંચી, અમે મોટા થયા. મારા માટે ગોપાલરાવ નામ તો પુણ્યશ્લોક છે.

હું વિવેચક નથી. પણ ધ્યાનપૂર્વક વાંચતો વાચક જરૂર છું. પુસ્તક જે રીતે સમજ્યો છું. તેની વાત કરીશ. મારે કહેવું પડશે કે અશોક વિદ્વાંસે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરી આ મહાન વ્યક્તિનો પરિચય ગુજરાતી વાચકોને કરાવી બહુ મોટું કામ કર્યું છે. ખાસ કરીને જેઓને અમેરિકન ગુલામોનો ઇતિહાસ જાણવો હોય તેને માટે પુસ્તક ખૂબ અગત્યનું છે. અમેરિકાના ઇતિહાસમાં કાળા લોકોની પ્રગતિ કેવી રીતે થઈ તે સમજવા માટે આ પુસ્તક વાંચવું રહ્યું. અને આ અદ્દભુત વ્યક્તિને ઓળખવી બહુ જરૂરી છે. એકદમ જ આઝાદ થયેલા ગુલામોને આઝાદીના પહેલા દિવસે શું કરવું, તેની જ ખબર નહોતી એટલે "ઈક્વલ રાઈટસ્ – સમાન હકો"ની તો વાત જ ક્યાંથી હોય? આઝાદ થયા. હવે શું કરવાનું? એની કેટલી દ્વિધા થઈ હશે!

આ આઝાદી પહેલાં જુદા જુદા માલિકને ત્યાં ગુલામી કરતાં તેમના માતા અને ગુલામ ઓરમાન પિતા હવે ભેગા થયા અને તે લોકોએ ૩૦૦ માઈલ પગપાળા માલ્ડેન, વેસ્ટ વર્જિનિયા જવાનું નક્કી કર્યું. નાના બુકર ટી.ને જો એક માત્ર ધૂન ભરાઈ હોય તો તે ભણતરની. કોઈપણ હિસાબે આંકડા અને અક્ષર શીખવા હતા. પરંતુ પિતાએ માલ્ડેન ગામમાં તેમને કોલસાની ખાણમાં નોકરીએ લગાડ્યા બપોરે સ્કૂલ પતાવી સાંજે સ્કૂલમાં જતા, ત્યાં નાના બુકર કોલસાના પીપડાં પર લખેલા આંકડાઓ પરથી આંકડા શીખ્યા. માતાએ તેમને એક ડિક્ષનરી લાવી આપી. જેનાથી તે વાંચતા લખતા થયા.  સ્કૂલમાં ભણતા  ભણતા તેમણે ‘બુકર ટેલિફાનો વોશિંગ્ટન" નામ અપનાવ્યું. માલ્ડેન, વેસ્ટ વર્જિનિયાથી ૫૦૦ માઈલ પૂર્વમાં દૂર વર્જિનિયા સ્ટેટના હેમ્પટન ગામમાં ભણવા ગયા. ત્યાં જનરાલ આર્મસ્ટ્રોંગની દેખભાળ હેઠળ તેમણે હાઈસ્કૂલ પૂરી કરી. આ જનરલે સિવિલ વોર વખતે કાળા લોકોની બ્રિગેડની આગેવાની લીધી હતી. એ બુકર ટી.ના જીવનભરના હિતેચ્છુ રહ્યા. જ્યારે ટસ્કેજી, અલાબામાના ગોરા લોકોએ કાળા ગુલામો માટે સ્કૂલ ચાલુ કરી, ત્યારે જનરલ આર્મસ્ટ્રોન્ગના સૂચનથી બુકર ટી.ને સ્કૂલ ચાલાવવા નિયુક્ત કર્યા.

હવે બુકર ટીએ નક્કી કર્યું કે સ્કૂલનું બિલ્ડીંગ વિદ્યાર્થીઓ બનાવશે. તેમની પાસે ૩૦ વિદ્યાર્થીઓ હતા. આખો દિવસ તેઓ સ્કૂલ બાંધવાની ઈંટો બનાવવાથી માંડીને સુથારી કામ પણ જાતે કરતા. અને રાતે બુકર ટી ભણાવતા.

તેઓ માનતા કે દરેક વિદ્યાર્થીએ ભણ્યા પછી ગોરા લોકો સાથે ભળવું હોય તો કોઈ હુન્નર શીખવો જોઈએ. એ જ સાચું ભણતર હતું. તેમની સ્કૂલમાં લુહારીકામ કડિયાકામ, સુથારીકામ શીખવાડવામાં આવતું. તે માનતા કે ગોરી પ્રજાની સામે બળવો કરવા કરતાં તેમને "મોટા ભા" કરીને ઈકોનોમિક સ્ટેટસ વધારવું જોઈએ. તેમણે આખી જિંદગી સ્કૂલ ચલાવવા ગોરા લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો છે.

તેમણે ગોરા લોકોનો સહકાર  સહેલાઈથી મળતો. તે માનતા કે જો કાળી પ્રજા ભણેલી ગણેલી હશે તો પૈસે ટકે સુખી થશે. પછી બીજા પ્રશ્નો હલ કરતાં વાર નહીં લાગે.

આત્મકથામાં ક્યાં ય લખ્યું નથી. પરંતુ મારા અમેરિકન અનુભવથી કહું તો બુકર ટી. વોશિંગ્ટનને ગોરા પિતા તરફથી વારસામાં સફેદ ચામડી અને માંજરી આંખો મળી હતી. તેથી સ્કૂલ ચલાવવા માટે ફાળો ઉઘરાવવામાં તે વાત મદદ રૂપ રહેતી હશે. એમને આખી જિંદગી ગોરા લોકોએ પુષ્કળ પ્રેમ અને સહકાર આપ્યા છે. એટલી હદે કે એગ્રીકલચર મેળામાં ૧૮૯૫માં આપેલા પ્રવચનથી પ્રભાવિત થઈને પ્રમુખ ગ્રોવર ક્લિવલેન્ડે એમને મુલાકાત પણ આપી. એ પ્રવચનમાં તેમણે કાળા લોકોને ગોરાઓને મદદ કરવાની અને ભાઈભાઈ બની રહેવાની શીખામણ આપી હતી.

ટસ્કેજીમાં એક ઓરડાના બિલ્ડીંગવાળી સ્કૂલમાં ત્રીસ વિદ્યાર્થી સાથે ચાલુ કરેલી સ્કૂલમાં એમના મૃત્યુ ટાણે, તેની ૨,૩૦૦ એકર જમીન પર ૬૦થી વધુ બિલ્ડીંગોવાળી જાત જાતના વિષયો શીખવતી ૧૧૦ ના સ્ટાફવાળી યુનિવર્સિટી બની ગઈ હતી. ૧૦૦૦ એકર પર વિદ્યાર્થીઓ ખેતી કરતા અને જે આવક થાય તેમાંથી યુનિવર્સિટીનો ખર્ચો કાઢતા.

આત્મકથા લખવામાં મોટામાં મોટું ભયસ્થાન એ છે કે વ્યક્તિને પોતાના વખાણ કરવા હોય તો ન કરાય. અને ન કરે તો એ આત્મકથા અધૂરી ગણાય. તો બુકર ટી.ની એક વાત મને ગમી કે તેમણે પોતે આપેલું પ્રવચન કેટલું સરસ હતું અને લોકોએ કેવી રીતે વધાવ્યું. તે માટે તેમણે બીજા દિવસના સમાચાર પત્રોમાં તેમના વિષે કેવું અને શું લખાયું હતું. એ જણાવીને પોતાના વિષેની સારી વાતો જણાવી  છે. મને એ ગમ્યું.

બીજી એમની મર્યાદા મને સમજાઈ નહીં. તેમણે પોતાના વિરોધીઓ વિષે એકે શબ્દ નથી લખ્યો. તે સમયમાં W.E.B. Du Bois નામના બીજા કાળા લિડર હતા. એ પહેલી કાળી વ્યક્તિ હતી, કે જેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ૧૮૯૫માં ડોકટરેટ ડિગ્રી મેળવી હતી. તે માનતા કે જ્યાં સુધી કાળા લોકોને "સમાન હક્કો" અને "મતાધિકાર" ન મળે ત્યાં સુધી બધું નકામું. તેમણે બીજા લિડરોને મળીને કાળા લોકો માટે ૧૯૦૯માં'NAACP'  National Association  for  the Advancement of  Colored People. જે આજ સુધી કાર્યરત છે.

જ્યારે બુકર ટી. કાળા લોકો માટે એજ્યુકેશન અને ઈકોનોમી પર ભાર મુકતા.

અશોક વિદ્વાંસને ખૂબ ખૂબ અભિનંદન. ઇતિહાસમાં છુપાયેલા રત્ન ઉપર પ્રકાશ ફેંકવા બદલ. અને સીધી અને સરળ ભાષાના સામાન્ય વાચક સમજી શકે એવા આ ગુજરાતી અનુવાદ બદલ ધન્યવાદ.

10th June 2015.

E mail-  harnishjani5@gmail.com

Loading

ઝેરનાં વાવેતર ક્યાં સુધી ?

હિમાંશી શેલત|Opinion - Opinion|27 November 2015

સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન-સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી

વિદેશમાં કે દેશમાં આપણે ભૂંડા ન દેખાઈએ એ માટે એક હાથવગો બચાવ આપણી પાસે છે. ‘આપણું’ બંધારણ સહુને સમાન અધિકાર આપે છે, અને આપણી પહેલી પ્રતિબદ્ધતા આ બંધારણ માટે છે’ એવું વખતોવખત, જરૂર પ્રમાણે બોલાતું રહે છે. આમ છતાં ઘરઆંગણે બંધારણનું બંધન આ દેશના નિવાસીઓને કેટલું સ્વીકાર્ય છે, અને એને કેવોક આદર મળે છે, એ બહુ જાહેર કરવા જેવું નથી.

કર્ણાટકના કોલાર જિલ્લાની એક શાળામાં મધ્યાહ્ન ભોજનયોજના અંતર્ગત રસોઈ માટે એક દલિત મહિલા રાધામ્માને રોકવામાં આવી. આ હકીકતને પગલે છોકરાંઓએ રાંધેલી ચીજોને ખાવાનો વિરોધ કર્યો. સ્પષ્ટ છે કે બાળકોનાં ચિત્તમાં આ ભેદભાવનાં બીજ વડીલોએ, કે અન્ય શિક્ષકો, કે પછી ગામ લોકોએ વાવ્યાં. અખબારી અહેવાલને પહલે શિક્ષણતંત્ર જાગ્યું અને કાર્યરત થયું. જ્ઞાતિભેદની આ ઘટનાનાં માઠાં પરિણામ આવે એ પહેલાં સંબંધિત અગ્રેસરોની યોગ્ય દરમિયાનગીરી પછી છોકરાંઓએ મધ્યાહ્નન ભોજનને સ્વીકાર્યું અને બહિષ્કારનો અન્યાય અટકાવી શકાયો.

શાળામાં વર્ગભેદને પ્રોત્સાહન આપવાનો અપરાધ હજી સુધી બેરોકટોક આચરવામાં આવે છે એ બાબતથી આશ્ચર્ય થવું જોઈએ, છતાં થતું નથી. પોતે કઈ જ્ઞાતિના છે એ દેખાડવા કાંડે અમુક તમુક રંગના દોરા બાંધવા, શાળાના પૂજા અથવા પ્રાર્થના જેવા કાર્યક્રમોમાંથી દલિત વર્ગનાં બાળકોને બાકાત રાખવાં, કેટલાક ખાસ પ્રસંગો વખતે એમને સામેલ ન કરવાં ઇત્યાદિ ઘટનાઓ આ વિશાળ દેશને ખૂણેખાંચરે બનતી રહે છે, અને ઘણીવાર તો એ નોંધાતી પણ નથી. ભેદભાવની ઘટનાનાં કેન્દ્રો જ્યારે નિશાળ ખાતે હોય ત્યારે ચોંકવું જોઈએ. મોટેરાંઓની સંકુચિત મનોદશા અને પ્રતિષ્ઠા કે મોભાવિષયક વાહિયાત ખ્યાલો ઉછરતાં બાળકોને લેશ પણ ન અડે એટલું સ્વચ્છ વાતાવરણ હજી સુધી તો આ સમાજમાં સર્જાયું નથી. પુરાવાઓ મળતા રહે છે, એમાંનો એક તે કર્ણાટકના ગામે રાધામ્માનું રસોડું. જે વિચાર બાળકોના મનમાં પ્રવેશી ન શકે એને એમના પર લાદવા માટે, ઠોકી બેસાડવા માટે, જવાબદાર લોકોને અટકાવવા માટે છે આપણી પાસે કશી કાયદાકીય વ્યવસ્થા? વર્ગભેદનો સડેલો કચરો બાળકોનાં ચિત્તમાં ઠાંસી દેવાનું હીન કૃત્ય કરનારને આપણે કઈ શિક્ષા કરીશું? સામે બેસાડીને બંધારણે આપેલા સમાન અધિકારની માહિતી આપીશું?

એક અન્ય ઘટના તો આથીયે ભયાનક છે. તમિલનાડુનાં મહિલા ડીએસપી વિષ્ણુિપ્રયાને ભાગે ગોકુલરાજ નામના દલિત યુવકની હત્યાની તપાસનું કામ આવ્યું. ગોકુલરાજની હત્યાને આત્મહત્યામાં ખપાવી દીધેલી, પણ પ્રાથમિક તપાસમાં જ સાફ થઈ ગયેલું કે આ ખૂનનો કિસ્સો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલે પણ આ હકીકતને સમર્થન આપ્યું. એક તો દલિતવર્ગની મહિલા ને વળી પોલિસ અધિકારી. વિષ્ણુિપ્રયાની કનડગતમાં કશું બાકી ન રહ્યું. ઉપરથી વકરેલા જાતિવાદના રાજકારણે પણ આ ઘટનામાં વરવો ભાગ ભજવ્યો. વિષ્ણુિપ્રયાના પરિવારની રજૂઆત મુજબ એ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતી સ્ત્રી હતી, ત્રાસીને મોત વહાલું કરે એ એના સ્વભાવમાં નહીં. છતાં એ સાચું કે એ ફાંસો ખાઈને મરી ગઈ. આ પણ આત્મહત્યા કે કશીક મેલી રમત, તપાસમાં જે બહાર આવે તે, અને એયે વળી તપાસ સરખી, એટલે કે તટસ્થ થાય તો.

વિદ્યાર્થીકાળથી જ સમાનતાનાં મૂલ્યો દૃઢ થવા જોઈએ. કોઈ એક સમયે, જ્યારે સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન અને સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી. ઉદાહરણ તરીકે વિનોબાજીની ભૂદાનયાત્રા વખતે એ જ્યાં રોકાણ કરતાં ત્યાંની શાળાઓનાં વિદ્યાર્થીઓની સભામાં એ વિદ્યાર્થીઓ પાસે વ્રત લેવડાવતા. કોઈ દુરાગ્રહ નહીં, દબાણ નહીં, માત્ર સદ્દવર્તન અને માનવીય ગુણોને પ્રેરી શકે એવાં વ્રત. સરળતાથી આચરણમાં મૂકી શકાય તેવાં. એ વ્રત યાદીમાં એક ‘ભેદભાવરહિત મન કર્મ અને વાણીને જાળવવાનું’ પણ હતું. યાદ છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ હોંશેહોંશે વ્રત લેતાં, અને એનો મહિમા કરતાં. વિનોબાજી સામે વ્રત ગ્રહણ કર્યું હોય, એમણે માથે હાથ મૂકીને વ્રત લેવડાવ્યું હોય તો એને જીવનભર સાચવવાનું વિદ્યાર્થીઓના કોરા અને દૂષણમુક્ત મનમાં આલેખાઈ જાય એમાં નવાઈ નહીં. એ દિવસોમાં આવું બધું થતું, થઈ શકતું, શિક્ષણ સાથે સંકળાયેલાં લોકો આવા ઉત્તમ વિચારો પણ આવતા. સદાચારની આવી સામાન્ય બાબતો જીવનમાં વણાઈ જાય તો આસપાસની માઠી અસરો વ્યક્તિને લેશ પણ પલટી શકતી નથી. સજાગ રહેવું એને માટે સહજ બની જાય છે, શ્વાસ લેવા જેટલું સહજ.

શિક્ષિત વ્યક્તિઓને પણ આપણે ન્યાતજાતમાં ભારે ભરોસો રાખતી જોઈ છે. આપણા અનેક ગમા અણગમા અને નિરીક્ષણો જ્ઞાતિ અધારિત નથી હોતા? આ પ્રકારની વૃત્તિ સર્વથા છોડવાનું અથવા એનાથી સંપૂર્ણપણે મુક્ત રહેવાનું બહુ ઓછાને ફાવે છે. ક્યારેક ભેદભાવયુક્ત અભિગમ સૂક્ષ્મ અને નિર્દોષ રીતે, સાવ અજાણતાંમાં જ પ્રગટ થઈ જાય છે. કોઈ મહાનુભાવ જ્ઞાતિબંધુ કે જ્ઞાતિભાગિની છે, એમ જાહેર કરતી વખતે અવાજમાં પારખતાં મુશ્કેલી પડે એવો અહંકાર પેસી જાય છે. આ બારીક અહંકાર ચડતી ઊતરતી પાયરીની આપણી સમજ સાથે સીધો સંબંધ ધરાવે છે, ભલે એ કબૂલ કરવામાં આપણને આપણું કદ બે ઈંચ ઘટી જતું લાગે!

શોષણ અને અત્યાચારના ચક્રમાંથી બહાર આવવા માટે જ્ઞાતિવાદનાં વલણો મૂળસોતાં ખેંચવા પડે. આ પ્રયાસો પ્રાથમિક શિક્ષણ, પરિવારના વાતાવરણથી અને સામાજિક નેતૃત્વથી થઈ જ શકે, પણ એને માટે સમય અને ધીરજ જોઈએ. મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ જોઈએ, પ્રયત્નો ઠરે એવું સાનુકુળ વાતાવરણ જોઈએ. આમાનું કશુંયે આપણા ભંડોળમાં ન હોય તો કાયદાનો કડક અમલ-બંધારણ મુજબ એ એકમાત્ર ઉપાય. હૃદયપરિવર્તન કરવાની આપણી તાકાત નથી, યા હોમ કરીને પડે એવાં ભેખધારી વ્યક્તિત્વો ઓછાં છે એટલે કાયદાના શાસન પર જ આધાર રાખવો પડે. પરંતુ દલિતો માટે આ પણ સહેલું નથી. એમનો આર્થિક અને સામાજિક બહિષ્કાર થાય ત્યારે જીવન દુષ્કર બની જાય છે. જ્ઞાતિપ્રથા અને વર્ગભેદની દારુણ અવદશામાંથી બહાર આવવા માટે શિક્ષણ અને કાયદાએ ભેગાં થવું જોઈએ. પોલીસતંત્રને માત્ર ઉપર ઉપરથી નહીં, પાયાથી અને ઊંડાણપૂર્વક સંવેદનશીલ બનાવવું જોઈએ. દલિતવર્ગ કે લઘુમતિ સમુદાય એનાથી ડરીને અવળો ભાગે એવી સ્થિતિને બદલે એ વિશ્વાસપૂર્વક એની પાસે જઈ શકે એમ બનવું જોઈએ. શિક્ષણ સાથે સંકળાયેલાં, વર્ગભેદ અને જાતિભેદ સદંતર ભૂલી શકેલાં તમામને સંવેદનશીલતાની સઘન તાલીમ આપવા માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. પલટો ત્વરિત નથી આવવા, ભેદભાવના જડત્વને નાથવામાં સમય, શ્રમ અને ઇચ્છાશક્તિની જરૂર પડવાની. એ સાથે સવર્ણો માટેનો અકારણ અણગમો પણ નકારવો પડશે. ઉજળિયાત એ શોષકનો પર્યાય નથી. એને પણ પોતાનો જન્મ પસંદગીથી નથી મળ્યો. અને ઝેર તો ઝેર જ છે, એ જે વર્ગનું હોય એ ઝેરનાં વાવેતર અટકાવવાં જ પડે, તાકીદે પોતપોતાની રીતે.

સૌજન્ય : ‘પ્રેરક સ્મૃિત’, “દિવ્ય ભાસ્કર”, 20 નવેમ્બર 2015

Loading

...102030...3,7103,7113,7123,713...3,7203,7303,740...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved