Opinion Magazine
Number of visits: 9554506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Greeceni Behaali : Aarthik-Rajkiya SammishranonuM Du:swapna

રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

ગ્રીસની બેહાલી : આર્થિક-રાજકીય સંમિશ્રણોનું દુઃસ્વપ્ન

——————————————————————————

પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, સિકંદર વગેરે જેવાં કેટકેટલાં ભવ્ય નામો, વિચારો અને કર્મો ગ્રીસ સાથે સંકળાયેલા છે! ઈ.સ. પૂર્વે ચારેક હજાર વર્ષના કાળથી એથેન્સ, જગતના પ્રવાહોને ઓળખી અને નાણી રહ્યું છે. આ દેશના પાટનગર એથેન્સમાં ઈ.સ. પૂર્વે પાંચમા સૈકાનાં સ્થાપત્યો આજે પણ ઊભાં છે. ભારતની જેમ ગ્રીસમાં પણ અનેક દેવી-દેવતાને પૂજવામાં આવતા અને તેમનાં ચમત્કારોથી ભરપૂર અનેક કહાનીઓ છે. પરંતુ આ ગ્રીસ અકલ્પ્ય એવી આર્થિક તાણમાંથી ગુજરી રહ્યું છે. જ્યાં આર્થિક તાણ હોય ત્યાં રાજકીય અને સામાજિક પ્રતિભાવો જન્મે એ સાવ સ્વાભાવિક જ ગણાય.

૧૯૭૪માં ગ્રીસ લશ્કરી શાસનમાંથી મુક્ત બન્યું તે પછી તેનો આર્થિક વૃદ્ધિનો દર સારો એવો ઊંચો રહ્યો. ૧૯૯૯માં તે યુરોપિય સંઘનું સભ્ય બન્યું. તે પછી લગભગ એક દાયકા સુધી તેનો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો જ રહ્યો.  છેક ૨૦૦૯ સુધી તે લગભગ ૪.૨ ટકાના દરે વધતું રહ્યું. યુરોઝોનના અન્ય સાથી દેશોની વૃદ્ધિ આટલી ઊંચી ન હતી.

આવા ગ્રીસમાં આજે અકલ્પ્ય હાલાકી પ્રવર્તે છે. તેના યુવાધનના લગભગ ૬૦ ટકા લોકો બેકાર છે. એથેન્સ જેવા ભવ્ય અને પૌરાણિક શહેરમાં દર અગિયારે એક વ્યક્તિ સદાવ્રત ઉપર નભે છે. બે લાખ લોકોના માથે છાપરું નથી. ૨૦૦૯થી ૨૦૧૫ સુધીમાં એઈડ્‌ઝના દરદીઓની સંખ્યામાં બસો ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ લગભગ ભાંગી પડી છે. ગ્રીસ જેવા યુરોપના એક વિકસિત દેશની આવી હાલત કેમ થઈ ? ૨૦૦૯ સુધી ઝડપથી વધતું અર્થતંત્ર આટલું બધું અને આટલી ઝડપથી કેમ કથળી ગયું તે પ્રશ્ન વિચારવાનો થાય છે.

છેક ૧૯૮૯માં મિલ્ટન ફ્રીડમેન અને પોલ ક્રુગમાન જેવા અર્થશાસ્ત્રીઓએ યુરોઝોનની રચના સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિવિધતા ધરાવતા યુરોપીય દેશોને યુરો જેવા એક જ ચલણમાં, સાંકળવાની નીતિ ભૂલભરેલી છે. મિલ્ટન ફ્રિડમેન તો તેમની શિકાગો સ્કૂલ દ્વારા નવ્ય મૂડીવાદના મુખ્ય મઠાધીશ તરીકે જાણીતા હતા. આમ છતાં, યુરોપમાં ઉભરેલા નવ્ય મૂડીવાદમાં પણ એક જ ચલણના વિચારનો તેમણે વિરોધ કર્યો હતો.

તાજેતરનાં કેટલાક બનાવો અંગે ઉપર ટપકે વિચાર કરવા જઈએ તો ગ્રીસની આ કમનસીબી નવ્યમૂડીવાદ – ખાસ કરીને વૈશ્વિકીકરણ સંદર્ભમાં એક જ ચલણ લાગુ કરવાના સંમિશ્રણનો એક બનાવ જણાય છે. આ બનાવને કારણે મૂડીવાદની ભવ્યતા ઝાંખી પડતી નથી એમ દલીલ થઈ શકે. પરંતુ આ તાત્ત્વિક ચર્ચા ઉપર આવતા પહેલા ગ્રીસમાં કટોકટી ઊભી કરનારા કેટલાક બનાવો ભણી નજર નાંખીએ :

ગોલ્ડનમેન સાખ્સ અમેરિકાના નાણાં વર્તુળોનું એક પ્રચંડ નામ છે. ૨૦૦૮ની અમેરિકન મંદીમાં આ કંપની તો ડૂબી જ પણ તેણે અન્ય અનેકને ડૂબાડ્યા પણ ખરા. પણ ગ્રીસ અને યુરોપના અન્ય કેટલાક દેશો જેવા કે સ્પેન, ઈટાલી, લેટીવિયા વગેરેમાં આ નામ એક જુદા જ કારણસર કુખ્યાત બન્યું છે. ગ્રીસને તેણે ખોટા હિસાબો કેવી રીતે રજૂ કરાય તે શીખવ્યું. (અન્ય કેટલા દેશોને આવું શીખવ્યું છે તે હજુ બહાર આવ્યું નથી.) આવા ખોટા હિસાબોને કારણે નાણાવર્તુળોમાં શરૂઆતમાં ગ્રીસની શાખ જળવાયેલી રહી. આ શાખને કારણે તે ઓછા વ્યાજે ધિરાણ પણ મેળવતું રહ્યું. યુરોપના અન્ય દેશોની તુલનાએ ગ્રીસમાં વ્યાજ વધારે હોવાથી યુરોપની અનેક નાણાં સંસ્થાઓએ ગ્રીસમાં પૈસા રોક્યા.

બીજી તરફ ગ્રીસમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક છે, જેને કારણે સરકારને કરવેરા દ્વારા જે આવક થવી જોઈતી હતી તે થતી નથી. ગ્રીસના ધનવાનોના સ્વીસ બૅંકોના ખાતાઓમાં કદાચ ૮૦ અબજ યુરો કે તેથી વધુ રકમ ધરબાયેલી પડી છે. (જો આ રકમ પાછી આવે તો દરેકના ખાતામાં પંદર લાખ યુરો જમા થાય કે નહીં તેની કોઈ ચર્ચા ત્યાં, ચૂંટણીઓમાં પણ થતી નથી. ગ્રીસની ‘બ્લેક ઇકોનામી’ – કાળાંનાણાંનું સમાંતર અર્થકારણ તેની જી.ડી.પી.ના ૨૪.૩ ટકા હોવાનો અંદાજ છે.) સરકારને કરવેરા દ્વારા પૂરતી આવક થતી ન હોવાથી બજેટમાં ખાધ રહે છે. આ ખાધનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. ૧૯૯૯માં ગ્રીસની બજેટ ખાધ તેની જી.ડી.પી.ના પાંચ ટકા હતી તે ૨૦૦૮-૦૯માં વધીને પંદર ટકા થઈ.

ત્રીજી બાબત એ બની કે યુરો જર્મની કે ફ્રાંસ જેવા દેશો માટે કદાચ ઉચિત આંતરરાષ્ટ્રીય મૂલ્ય ધરાવનારું ચલણ હશે પણ ગ્રીસ માટે તે અધિમૂલ્યિત છે. અર્થશાસ્ત્રના નિયમાનુસાર જ્યારે ચલણનું અવમૂલ્યન થાય ત્યારે નિકાસો વધતી હોય છે અને આયાતો ઘટતી હોય છે. ચીન જાણી જોઈને પોતાના ચલણનું મૂલ્ય નીચું રાખે છે જેથી તે વિદેશોમાં સસ્તા ભાવે વધુ નિકાસ કરી શકે. પણ ગ્રીસ માટે યુરો અધિમૂલ્યિત હોવાથી તેની નિકાસો ઓછી અને આયાતો વધુ રહેતી. આ વેપાર ખાધને પહોંચી વળવા વાસ્તે પણ ગ્રીસે દેવું કરવું પડ્યું. વિદેશી બૅંકોએ શરૂમાં આ નાણાં ધીર્યા.

ચોથું, ૨૦૦૭-૦૯ દરમિયાન અમેરિકામાં અને તેને પગલે યુરોપમાં પણ મંદી પ્રસરી. આ સંજોગોમાં ગ્રીસની નિકાસો વધે નહીં અને વેપારના ચાલુ ખાતાની ખાધ વધે તેવી સ્થિતિ સર્જાઈ. જો ગ્રીસ યુરો ચલણ સાથે સંકળાયેલું ન હોત તો તેની પાસે પોતાના ચલણના અવમૂલ્યનનો રસ્તો હતો. ગ્રીસે અવમૂલ્યન કર્યું હોય તો તેની નિકાસો વધી હોત અને એટલા પ્રમાણમાં દેવું ઘટ્યું હોત.

૨૦૦૯માં ગ્રીસના હિસાબોના ગોટાળા બહાર પડ્યા તેની સાથે જ તેની શાખ ઘટી ગઈ. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ગ્રીસના બોન્ડના રેટીંગનું ‘જન્ક’ – કચરો નામ પાડ્યું. આની સાથે જ લોકો બોન્ડ વેચવા દોડ્યા. ૨૦૦૭માં બોન્ડ ઉપરનું વ્યાજ ૪.૫૩ ટકા હતું તે ૨૦૦૯ સુધીમાં ૧.૭૮ ટકા થયું હતું. પરંતુ તે પછી શાખ ગુમાવવાને કારણે જાન્યુઆરી ૨૦૧૨માં ૧૨૯.૯૭ ટકા અને જુલાઈ, ૨૦૧૨માં ૧૭૭.૩૭ ટકાએ પહોંચ્યું. બોન્ડની કિંમત જેમ ઘટે તેમ વ્યાજનો દર વધારે થતો જાય છે. બોન્ડ એક કાગળ છે. દા.ત. ભારતમાં સો રૂપિયાનો બોન્ડ વર્ષે છ રૂપિયા વ્યાજ આપે તો તે છ ટકા વ્યાજ થયું. હવે જો આ જ કાગળિયું રૂ. ૧૦૦ને બદલે માત્ર રૂ. ૧૦માં મળતું થાય તો હવે દસ રૂપિયા ઉપર છ રૂપિયા એટલે કે સાઠ ટકા વ્યાજ બેસશે.

યુરોઝોનના આર્થિક ક્ષેમકુશળની ચિંતા કરનારી ત્રણ ત્રણ સંસ્થાઓ છે. તે છે યુરોપિયન સહિયારી બૅંક (ઈ.સી.બી.), યુરોપિયન કમિશન (ઈ.સી.) અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈ.એમ.એફ.). આ ત્રણે – ટ્રોઈકા કે ત્રેખડ – ગ્રીસની વહારે દોડી આવ્યા. તેમણે બેઈલ આઉટ પેકેજ જાહેર કર્યા. મે, ૨૦૧૦માં આ ત્રેખડે ૧૧૦ અબજ યુરોની લોન આપી. જો કે આ માટેનો વ્યાજનો દર, યુરોપના પ્રવર્તમાન દરોના પ્રમાણમાં ઘણો ઊંચો-સાડા પાંચ ટકા-રખાયો. આ ધિરાણની સાથે આ ત્રેખડે શરત મૂકી કે ગ્રીસે હવે કસર કરવી. આ કસરનો અર્થ પેન્શનમાં કાપ, વેતનમાં કાપ, સરકારી ખર્ચામાં કાપ ઉપરાંત જાહેર સંપત્તિનું ખાનગીકરણ કરવું એવો થતો હતો. આ તમામ પગલાં લોકવિરોધ હતા અને તેની સામે સમગ્ર દેશમાં વ્યાપક અને સજ્જડ હડતાળો પડી.

આ કરકસરના સખત પગલાંને લીધે વેતનોમાં ૨૦ ટકા સુધીનો કાપ આવ્યો. બજેટ ખાધ, જે ૨૦૦૯માં જી.ડી.પી.ના ૧૧ ટકાએ પહોંચી હતી તે ૨૦૧૧માં ઘટીને માત્ર ૨.૪ ટકાએ આવી ગઈ. પણ આટલી ઝડપથી આટલાં કડક પગલાં ભરાયાં તેથી મંદી ફરી વળી. ૨૦૧૧માં જી.ડી.પી. ૭.૧ ટકા ઘટી ગઈ. બે લાખ કારખાના બંધ થઈ ગયા. ૨૦૦૫ની તુલનાએ ઔદ્યોગિક ઉત્પાદન ૨૮.૪ ટકા ઘટી ગયું. ૧,૧૧,૦૦૦ કંપનીઓ નાદાર થઈ ગઈ. જે ૨૦૧૦ની તુલનાએ ૨૭ ટકા વધુ હતી.

આ મંદીમાં બેકારી પણ વધે જ. ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં બેકારીનો દર ૭.૫ ટકા હતો; તે મે, ૨૦૧૨માં ૨૩.૧ ટકા થયો. યુવા બેકારીનો દર ૫૪.૯ ટકા થયો. ૨૦૧૫માં એકંદર બેકારીનો દર ૨૫ ટકાથી વધુ છે. અમેરિકામાં ૧૯૨૯માં શરૂ થયેલી વિશ્વમંદી વખતે પણ આવી જ બેકારી હતી. આજે એથેન્સ જેવાં શહેરોમાં ૨૦ ટકા દુકાનો ખાલી છે. બૅંકો બંધ છે અને એ.ટી.એમ.માંથી પણ માત્ર પેન્શનધારકોને દૈનિક ૬૦ યુરો જેટલી જ રકમ ઉપાડવાની છૂટ છે.

આ સ્થિતિમાં લોકજુવાળ ફાટી ન નીકળે તો જ નવાઈ કહેવાય. પરિણામે ૨૦૧૪ની આખરે ફરીથી ચૂંટણીઓ થઈ. ૨૦૧૫ના જાન્યુઆરીમાં ત્યાં સીરીઝા નામનો સામ્યવાદી પક્ષ સારી એવી બેઠકો મેળવી ગયો. તેના નેજા હેઠળની સંવિદ સરકાર હાલ ત્યાં સત્તા ઉપર છે.

આ ગાળા દરમિયાન પેલા ત્રેખડે ગ્રીસને બીજી ત્રણ વાર મોટી મોટી રકમોની લોનો આપી. આનું પરિણામ એ આવ્યું કે ગ્રીસની કથળતી હાલત જોઈ ચૂકેલી યુરોપિયન બૅંકોએ પોતાનાં ધિરાણો પાછાં મેળવી લીધાં. આમ ત્રેખડની લોન જાણે કે આ બૅંકો તથા અન્ય માલેતુજારોને બચાવી લેવા વાસ્તે અપાઈ હોય તેવું બન્યું. ત્યાંના સામાન્ય માણસના ભાગે તો બેકારી, વેતનકાપ, ભૂખમરો અને એઈડ્‌ઝ જ આવ્યા. બે લાખ લોકો ઘરવિહોણાં બન્યા અને માત્ર એથેન્સ શહેરમાં જ દસ ટકા વસતી અન્નક્ષેત્રો ઉપર ગુજારો કરનારી બની. આર્થિક નીતિની અસરો કોઈક યુદ્ધ કરતાં ઓછી ભયાનક નથી. આ પગલાંને લીધે ગ્રીસની જી.ડી.પી. ૨૫ ટકા ઘટી ગઈ છે.

૨૫મી જૂને જે હપતો પાકતો હતો તે ગ્રીસ ભરી શક્યું નહીં. પણ સામે તેણે એક રાજકીય પગલું ભર્યું. તેણે લોકો સમક્ષ આ મુદ્દો એક જનમત – રેફરન્ડમ – તરીકે રજૂ કર્યો. ગ્રીસની ૨૦૧૪ની આખરની ચૂંટણી પછી વડા પ્રધાન બનેલા સામ્યવાદી પક્ષના સિપ્રાઝ કહે છે કે યુરોપીય સંઘ અમને વારેવારે હલકા પાડે છે અને બ્લેકમેલ કરે છે. તે અમને વારેવારે ‘હજુ કસર કરો – હજુ કસર કરો’ એમ કહ્યા કરે છે. અમે જાણે કે યુરોપનું કોઈ ગુલામ રાજ્ય હોઈએ તેવો વર્તાવ કરે છે. આ યુરોપિય સંઘ કહે છે, હજુ વધુ કસર કરો તો વધુ ધિરાણ આપીએ. જનમત સંગ્રહમાં ૬૧ ટકા લોકોએ યુરોપિયન સંઘની આ માંગણીઓ વિરુદ્ધ મત આપ્યો. આટલા મોટા પ્રમાણમાં જનમત વિરુદ્ધમાં જશે તેવું  યુરોપે ધાર્યું ન હતું.

સવાલ એ છે કે હવે શું ? ૩૦મી જૂન ૨૦૧૫ સુધીમાં ગ્રીસનું દેવું ૩૨૩ અબજ યુરોએ પહોંચ્યું છે. ૨૦૦૮માં દેવા : જી.ડી.પી. ગુણોત્તર ૧૦૯ હતો તે ૨૦૧૦માં ૧૪૬ થયો છે. અત્યાર સુધી લીધેલા ધિરાણના વ્યાજ સહિતના હપતા પણ નજીકના ભવિષ્યમાં ભરતા જવાનું છે.

સમસ્યા એ પણ છે કે ગ્રીસના ભારે જનમતે વધુ કરકસરને જાકારો તો આપ્યો પણ હવે બધો વ્યવહાર ચાલશે કઈ રીતે? ભારત સહિતના અનેક દેશો નવું દેવું કરીને જૂનું ચૂકવતા હોય છે. પણ ગ્રીસ માટે આ માર્ગ હવે બંધ થાય છે. હપતા ભરી ન શકવાને કારણે તે નાદાર પણ જાહેર થશે. સંભવ છે કે તેને યુરોપીય સંઘમાંથી હાંકી પણ કઢાય. આમે ય તે નવ્ય મૂડીવાદના ગઢ સમાન યુરોપમાં ઉગ્ર ડાબેરી એવા સીરીઝા પક્ષનો ઉદય વેઠાતો નથી. આમ છતાં ગ્રીસે ત્રેખડની શરતો સ્વીકારી હજુ વધુ કરકસર કરવાનું કબુલ્યું છે. સિપ્રાઝને પોતાના સામ્યવાદી સાંસદોનો પણ પૂરતો ટેકો ન મળતા વિપક્ષોનો ટેકો મેળવ્યો. ગ્રીસને લગભગ ૯૮ અબજ ડોલરની સહાય ત્રણ હપ્તામાં આપવાનું નક્કી થયું. આ રકમનો પ્રથમ હપ્તો ૧૩ બિલિયન યુરોનો આપવામાં આવ્યો છે. તેમાંથી ૩.૨ અબજ યુરો તો ઈ.સી.બી.એ દેવા પેટે મેળવી લીધા છે. બાકીની રકમો પણ લેણદારો લઈ જશે અને નવા રોકાણ વાસ્તે કશું જ બચશે નહીં!

સિપ્રોઝે નવેસરથી ચૂંટણીની માગ કરી છે. એક મૂડીવાદી રચનાએ દેશના આમ આદમીનું જીવન તોફાનોથી ભરી દીધું છે.

• ગ્રીસની આ ટ્રેજડીમાંથી જગત માટે કોઈ બોધપાઠ ખરા ?

• ગ્રીસના જ્યારે ‘અચ્છે દિન’ હતા ત્યારે આ જ ફ્રાંસે તેને લલચાવીને શસ્ત્રો વેચ્યાં. (ભારતના વડાપ્રધાનશ્રીએ પણ તાજેતરના ફ્રાંસ પ્રવાસ દરમિયાન લડાકુ વિમાનોની ફોજ ખરીદીને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો છે.) જર્મનીએ બિનજરૂરી સબમરિનો પધરાવી ગ્રીસ પાસેથી નાણાં ખંખેરી લીધા.

• નવ્ય મૂડીવાદને દેશોની અંદરના ‘નાના’ ભ્રષ્ટાચાર નહીં પણ ગોલ્ડમેન શાખ્સ જેવા દેશાંતરી ભ્રષ્ટાચારો ચાલે તેની ખબર રહેતી નથી.

• ગ્રીસને જો પોતાનું અલગ ચલણ મળે તો તે અવમૂલ્યન કરીને નિકાસો વધારવા પ્રયાસ કરશે.

• ગ્રીસની યુરોપીય સંઘમાંથી હાંકી કઢાયા બાદ અન્ય નબળાં અને દેવાદાર દેશો, જેવા કે ઇટલી, આયર્લૅન્ડ, પોર્તુગાલ, લેતવિયા વગેરે પણ ભાગ્યે જ ટકી શકે.

• ગ્રીસ આખરે અસ્થિર બનશે અને તેનું ભાવિ ધૂંધળું છે તેવો મત ઈકોનોમિસ્ટે વ્યક્ત કર્યો છે.

ભારતે આ ટ્રેજડીમાંથી ઘણું શીખવાનું છે. ફ્રાંસ, જર્મની વગેરે દેશો શસ્ત્ર સરંજામ, વિમાનો વગેરેની નિકાસ કરીને આપણા જેવા ગરીબ દેશોમાંથી અબજો ડૉલર પડાવી જવા આતુર છે. ફ્રાંસ પાસેથી લેવાયેલા વિમાનો તેનું તાજું ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે ભારતના એન્જિનિયરિંગ સામાન અને સોફ્ટવેરની નિકાસો ઉપર અસર પડશે. અલબત્ત ગ્રીસનું પતન અન્યત્ર કેટલું ફેલાય છે તેની ઉપર તેનો આધાર છે.

નવ્ય મૂડીવાદના વિમર્શમાં ઊતરીએ તો જણાય છે કે આ વિચાર કોઈક સૈદ્ધાંતિક અને પાઠ્યપુસ્તકો પ્રમાણે ચાલનારો નથી. મુક્ત વેપાર અને બજારવાદ કે હરીફાઈ અને કાર્યક્ષમતા જેવા શબ્દોને પૂરી શંકા સાથે એને ગ્રીસ જેવા દેશોના અનુભવોના સંદર્ભે જોવા જોઈએ. નવ્ય મૂડીવાદના પાઠ્ય પુસ્તકોમાં વર્ણવાએલી આ સ્પર્ધાત્મકતામાં તમામ દેશો એક સમાન શક્તિથી ભાગ ન લઈ શકે. રમતના બધા ખેલાડીઓને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ મળતું નથી. આથી દરેક દેશે પોતાના હિત સમજીને મેદાનમાં ઉતરવું રહ્યું. આ મુદ્દો જ બતાવે છે કે ‘બજાર’ની કામગીરી નિર્દોષ હોતી નથી. તેની અસરો કેવી વિઘાતક હોઈ શકે તેનો એક નમૂનો ગ્રીસે રજૂ કર્યો છે.

ગ્રીસના આ અનુભવથી વૈચારિક જગતમાં ખાસ કરીને નવ્ય મૂડીવાદની આગેકૂચ ઉપર કેવી અસરો પડશે તે વિચારવું રહ્યું :

• યુરોપિયન સંઘ વિવિધ દેશોમાં વડા પ્રધાનો અને ચૂંટાયેલી સરકારોના મતોને લક્ષમાં લીધા વગર સૈદ્ધાંતિક મૂડીવાદમાં શ્રદ્ધા ધરાવતા બાબુઓ દ્વારા ચાલે છે તે સાબિત થયું છે. મૂડીવાદ લોકશાહીથી વિખૂટો પડી ચૂક્યો છે.

• ગ્રીસના બનાવમાં જગતના માલેતુજારો, જેમ કે ગોલ્ડમેન સાખ્સ, લેહમાન બ્રધર્સ વગેરેના પણ મોટા કારસા ચાલ્યા છે. આ ગઠિયા મૂડીવાદને કારણે અતિ ધનિકો તથા ભ્રષ્ટાચારીઓ સિવાયનો સમગ્ર સમાજ ભારે હાલાકીમાં મુકાઈ ગયો છે.

• વૈશ્વિકીકરણને બદલે દેશના આંતરિક અર્થકારણનું અને તેમાં ય નાના અને લઘુ ઉદ્યોગો તથા ખેતીનું મહત્ત્વ વિશેષ છે. નિકાસો પાછળ દોડનારા દેશો પાયમાલી નોંતરી રહ્યાં છે.

નયા માર્ગ’, ૧૬-૭-૨૦૧૫

Loading

Navi Sarkaar : Navaa Raajkiya-Aarthik Pravaaho


રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

નવી સરકાર : નવા રાજકીય-આર્થિક પ્રવાહો

——————————————————————————

૨૬મી મે ૨૦૧૪ના દિવસે નવી સરકારે એક વર્ષ પૂરું કર્યું. દરેક બાબતને પોતાની ‘સિદ્ધિ’ ગણાવવા આતુર એવી આ સરકારે પોતાની દૃષ્ટિએ પોતે જે મહાન કાર્યો કર્યાં છે તેને વર્ણવતી અગિયાર કરોડ પુસ્તિકાઓ છપાવી છે. વળી ૨૬-૩૧ મે દરમિયાન સંખ્યાબંધ પ્રધાનો તથા અન્ય નેતાઓની ફોજ ઠેર ઠેર મોકલી પોતાની સિદ્ધિઓના વારંવાર વખાણ કરવા માટે ઘણી પત્રકાર પરિષદો પણ યોજી. પોતાના જ સમર્થકો એવા મીડિયા અને પ્રચારતંત્રના ભૂંગળ અને બુંગિયા વચ્ચે નાનકડા પણ મહત્ત્વના સત્યને પણ બહાર લાવવું એક કપરું અને પડકારરૂપ કામ છે. આ અંગે ૨૮-૨૯ મેનો, આઈ.આઈ.ટી. મદ્રાસનો બનાવ દાખલારૂપ છે.

દેશની આઈ.આઈ.ટી.માં પ્રવેશતા વિદ્યાર્થીઓ અત્યંત તેજસ્વી હોય છે. આ વિદ્યાર્થીઓ પૈકી દલિત વિદ્યાર્થીઓ એક મંડળ ચલાવે છે, જેનું નામ ‘આંબેડકર પેરીઆર સ્ટુડન્ટ્‌સ સર્કલ’ (એ.પી.એસ.સી.) છે. આ વિદ્યાર્થીઓ ચર્ચાઓ અને ગોષ્ઠિઓ દ્વારા દેશના પ્રવાહો વિશે જરૂરી ચિંતન કરતા રહે છે. તાજેતરની આવી એક ચર્ચામાં ગૌમાંસ બાબતની તથા દક્ષિણ ભારતમાં પણ હિંદી ભાષા ઉપર વધુ ભાર મૂકવાની નીતિઓની ટીકા કરાઈ. આ વિગતોનો આધાર લઈને કોઈકે એક નનામો પત્ર કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ વિભાગને લખ્યો. કહેવામાં આવ્યું કે આ મંડળ તિરસ્કાર ફેલાવી રહ્યું છે. પરિણામે આઈ.આઈ.ટી.ના ડીને આ પ્રવૃત્તિ જ બંધ કરાવી દીધી. દેખીતી રીતે વાણી સ્વાતંત્ર્યની આ ઘટનામાં સરકારને કાંઈક અજુગતું જણાયું હોય તો સામે તે મંડળનો ખુલાસો માંગી શકાયો હોત. આ સરકાર, વિરોધી મતને સહન કરી શકતી નથી તેનું આ એક ઑર ઉદાહરણ એ છે તેણે જાણીતા નાટ્યકાર ગિરીશ કર્નાર્ડનાં નાટકોનું મંચન પણ રોક્યું છે.

સરકાર ગૌમાંસના મુદ્દે ઘણી સંવેદનશીલ હોય તેમ જણાય છે. એક બાજુ ૨૦૧૪ની ચૂંટણીની પ્રચારવેળાએ યુ.પી.એ. સરકારના ‘પીન્ક ટ્રેડ’(ગૌમાંસના વેપાર)ની વાતો ચલાવીને હિન્દુત્વને આગળ કરાતું રહ્યું. હવે વર્ષાન્તે પણ આ વેપાર બંધ થયો નથી. સરકારની કામગીરીની વિચિત્રતા જુઓ : મુખ્તાર અબ્બાસ નકવીએ એટલે સુધી કહી નાંખ્યું કે જે ગૌમાંસ ખાય તે પાકિસ્તાન ચાલ્યા જાય ! અને વિદેશ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાને કહ્યું, ‘હા, હું ગૌમાંસ ખાઉં છું, મને કોણ રોકવા માગે છે ?’

ગૌમાંસનો મુદ્દો ભા.જ.પ. સાથેના હિંદુત્વવાદીઓ માટે મહત્ત્વનો ખરો પણ બંધારણ, માનવ અધિકારો, જીવન જીવવાની વિવિધતા વગેરે મુદ્દાઓ પણ છે જ. પેલા વિદ્યાર્થીઓની વિચાર અભિવ્યક્તિની, નકવીનું વિધાન અને સરકારી ઔપચારિક કક્ષાએ ચૂપકીદી – આ બધું આ સરકારની કાર્યશૈલી અને શાસનની તરેહ વિશે ઘણું કહી જાય છે. ઘર વાપસી, વધુ બાળકો પેદા કરવા, બહુ લાવો – બેટી બચાવો વગેરે પ્રકારનાં ઉચ્ચારણો ભા.જ.પ.ના નેતાઓ કે ભગિની સંસ્થાઓના નેતાઓ કરે જાય છે અને સરકાર તે પૈકી કોઈનીય સામે નમૂનારૂપ પગલાં ભરતી નથી.

સરકારના સરવૈયાનો હિસાબ વિદેશી પત્રોએ પણ મૂક્યો છે. ૨૩મી મેના (લંડન) ઇકોનોમિસ્ટના જેકેટ ઉપર વડા પ્રધાનનું એક કાર્ટૂન ચિતરવામાં આવ્યું છે. તેનું મથાળું છે ‘વન મેન બેન્ડ.’ એક જ માણસ – સીતાર, બેન્ગો, ડ્ર્‌મ, તબલાં, ફલ્યૂટ વગેરે તમામ વાજીંત્રો વગાડે છે. ઇકોનોમિસ્ટે બે લેખ દ્વારા આ ઢબની પણ ખાસી વિગતવાર ચર્ચા કરી છે. (પરદેશી સામયિકો જો વખાણ કરે તો પોરસાઈ જતા ભા.જ.પ.ના નેતાઓના કોઈ પ્રત્યાઘાત આ અંકના લેખો બાબતે સાંપડ્યા નથી.) તેના કેટલાક મુખ્ય મુદ્દા નોંધીએ :

(૧) ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના પ્રયાસોમાં મુખ્યત્વે ઇવેન્ટ મેનેજમેન્ટ હતું. આવા પ્રયાસો, નીતિઓ કે અભિગમ વડે આવડા મોટા દેશનું ટ્રાન્સફર્મેશન રૂપાંતરણ થઈ જ ન શકે. (સરકારે આયોજન પંચ બંધ કરીને ‘નીતિ આયોગ’ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ભારતના રૂપાંતરણનો છે તે નોંધીએ.)

(૨) સરકારે સત્તા લેતાની સાથે જ ગૃહ, નાણાં વગેરે જેવા મહત્ત્વના વિભાગોના અનુભવી અધિકારીઓને તાત્કાલિક બદલી કાઢ્યા. આ અધિકારીઓના હાથમાં દેશના અત્યંત મહત્ત્વના ખાતા હતા. તેમના કારણે દેશનો વહીવટા સારી રીતે ચાલતો હતો. આવી જ રીતે યુ.પી.એ. સરકાર દ્વારા નિયુક્ત સંખ્યાબંધ ગવર્નરોને પણ હટાવાયા. આ દાખલામાં કમલા બેનીવાલ જેવાને પાઠ ભણાવવાનો અને અન્યોને કાઢીને પોતાના માણસોને ગોઠવવાનો ઉપક્રમ હતો.

વિરોધી તો ઠીક પણ સાવચેતીના સુરને પણ કાને નહીં ધરવાની આ ઢબને કારણે ગુજરાતમાં ‘ગુજટીકોક’ જેવો ધારો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયો છે.

(૩) લંડન ઇકોનોમિસ્ટના આ લેખોમાં તટસ્થભાવે કહેવાયું છે કે ભારતના વિકાસની ક્ષમતા છે પરંતુ તે માટે યોગ્ય વાતાવરણ અને ભૂમિકા ઊભા કરવા પડે. હાલની સરકારના આ એક વર્ષમાં આવા કોઈ પ્રયાસો થયા નથી.

શાસનની આ ઢબ અંગે તાજેતરમાં ઇકોનોમિક ટાઇમ્સે એક આગવી ઢબે લેખ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ તા. ૨૬-૫-૧૫ના દિવસે મથુરાના ભાષણમાં જે કહ્યું તેમાંથી તથ્યો તારવવાનું કામ તેણે કર્યું છે. આ અંગેની વિગતો ટૂંકમાં આ પ્રકારે છે.

વિધાન (૧) : આ એક વર્ષના શાસનમાં મોટા ભ્રષ્ટાચારી કૌભાંડનો એક પણ બનાવ બન્યો નથી.

પ્રતિભાવ : સાચું. આમ છતાં એન.ડી.એ.ના કેટલાક પ્રધાનો સામે આપેક્ષો તો થયા જ છે. તાજેતરમાં નીતિન ગડકરીના ‘પૂર્તિ ગોટાળા’ બાબતે કેગે ટીકા કરી જ છે. વળી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને અચાનક કેમ હટાવાયા તે બાબતે પણ પૂરતી વિગતો બહાર આવી નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના ખર્ચા, ટોળા ભેગાં કરવા, તેમને જમાડવા, હેલિકોપ્ટરો અને વિમાનોનો ઉપયોગ કરવો વગેરે જેવી અનેક બાબતો વિષે હજુ દેશ પૂરતી સફાઈની રાહ જોઈ રહ્યો છે.

વિધાન (૨) : મનરેગાના મહેનતાણાનું ડાયરેક્ટ પેમેન્ટ અમે શરૂ કર્યું.

પ્રતિભાવ : આ વિધાન સાચું નથી. મનમોહનસિંગે તા. ૨૧મી ઑક્ટોબર, ૨૦૧૨ના દિવસે રાજસ્થાનના ડુડુ (DUDU)થી આ રીતના ચુકવણાનો પ્રારંભ કરેલો. મનરેગા ઉપરાંત પેન્શન અને સ્વાસ્થ્ય વીમા યોજનાના ચૂકવણાં પણ આ રીતે શરૂ કરાયેલા.

વિધાન (૩) : યુરિયા ખાતરમાં થતી કાળાબજારી રોકવા વાસ્તે તેની ઉપર લીમડાનો પુટ ચઢાવવાનું અમે શરૂ કર્યું.

પ્રતિભાવ : આ બાબત સાચી નથી. આગલી સરકારે ૨૦૧૧-૧૨થી આ કામ આરંભેલું અને ૩૬.૩૩ લાખ ટન ખાતર વેચેલું. તે પછીના વર્ષ ૨૦૧૩-૧૪માં ૬૩.૪૧ લાખ ટન ખાતર આ રીતે વેચેલું.

વિધાન ૪ : આગલી સરકારના ગેરવહીવટના કારણે લોકોના રૂ. ૨૭,૦૦૦ કરોડ પી.એફ.ના ખાતાઓમાં પડી રહ્યા હતા, જેને અમે બહાર લાવ્યા.

પ્રતિભાવ : આ સાચું નથી. આગલી સરકારે યુનિક આઇડેન્ટરી નંબરની યોજના દાખલ કરી ત્યારથી આ વ્યવસ્થા સુધરવા લાગી હતી.

એક અલગ દૃષ્ટિકોણથી ઇન્ડિયન એક્સપ્રેસના તવલીન સિંઘ, ‘ફીફ્થ કોલમ’માં જણાવે છે કે આ સરકારની મોટામાં મોટી નિષ્ફળતા શિક્ષણ અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રોની છે. આપણે ગુજરાતના અનુભવ દ્વારા પણ જાણીએ છીએ કે શિક્ષણની એટલી બધી અવનતિ થઈ છે કે રાજ્યની એક આખી યુવા પેઢી નાસીપાસ થઈ ગઈ છે. શિક્ષક-અધ્યાપકોની ભરતી કરાતી નથી, તેમને પૂરતા પગાર અપાતાં નથી, ખાનગી નફાખોરો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી અને આ બધાને હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મોડલના નામે પહોંચાડાશે !

તવલીન સિંઘ જણાવે છે કે સરકાર હજુ નોકરશાહી ઉપર કાબૂ મેળવી શકી નથી અને તેથી વિદેશી રોકાણકારો અહીં આવતા ખચકાય છે. આ બાબતનો એક આધાર એ છે કે ડૉલર સામે ૫૮ રૂપિયાથી ગગડતો ગગડતો રૂપિયો હવે ૬૩ રૂપિયે પહોંચ્યો છે. યાદ કરીએ : ૨૦૧૪ની ચૂંટણીની ગરમીમાં વડા પ્રધાનપદના દાવેદાર તરફથી એક વિધાન થયેલું. ‘મનમોહનસિંઘ ડૉક્ટર છે પણ રૂપિયો બીમાર થઈ ગયો છે’. ઠીક, હવે ડૉક્ટરની ગેરહાજરીમાં પણ રૂપિયો બીમાર છે!

તવલીન સિંઘ તો સરકારના કાળા નાણાં અંગેના પગલાંની પણ ટીકા કરે છે. તે કહે છે આ કાયદાથી કરવેરાનું ખાતું, જે સૌથી ભ્રષ્ટ છે તેની પાસે વધારે સત્તાઓ પહોંચશે.

સરકારે આ વર્ષને ‘ઉજવવાનું’ ઠરાવ્યું તો છે પણ તેને ‘સંવાદ’ એવું નામ આપ્યું છે. આ સંવાદનો ખાસ અર્થ છે, તે કેટલાક અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરોમાંથી નીપજે છે. ‘સેલ્ફ એસેસમેન્ટ ઓફ મોદી ગવર્નમેન્ટ ઓન વેરિયસ ડિલિવરેબલ્સ’ – SAMVAD – દ્વારા આ શબ્દ રચાયો છે. પણ સરકાર ખરેખર પોતાનું સ્વ-મૂલ્યાંકન કરવા જેટલી અગ્રતા અને ખુલ્લાપણું ધરાવે છે ખરી ? કેટલાક લોકો એટલા ‘સ્વાશ્રયી’ સ્વભાવના હોય છે કે પોતાના વખાણ જાતે જ કરી લેવાનું રાખતા હોય છે!

પેલી અગિયાર કરોડ પુસ્તિકાઓના વજન હેઠળ પિલાઈ જતી બાબતો ઘણી છે. જમીન સંપાદન, ખેડૂતોની આત્મહત્યા, વ્યાપક બેકારી, ક્રૂડ ઓઈલના ભાવઘટાડાનો પૂરતો લાભ ઉઠાવવાની અસમર્થતા વગેરેની એક ખૂબ લાંબી યાદી છે. હવે તેમાં આઈ.આઈ.ટી. મદ્રાસના કિસ્સામાં બન્યું તેમ અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ, ગુજટીકોકમાં સૂચવાયું છે તેમ વ્યક્તિસ્વાતંત્ર્ય સામે જોખમ, લંડન ઇકોનોમિસ્ટ સૂચવે છે તેમ સત્તાનું કેન્દ્રીકરણ, જુદા જુદા નેતાઓના હિન્દુત્વવાદી વિધાનો અને કામગીરીઓ વગેરે જેવી અનેક બાબતો દેશ માટે એક વિમાસણ પેદા કરે છે.

એક વર્ષ દરમિયાન સાચી દિશાનું ખાસ કશું થયું નહીં અને ઉપરથી સમાજના વિવિધ ધર્મો-સંપ્રદાયો વચ્ચેના સૌહાર્દને હાનિ પણ પહોંચી.

આર્થિક ક્ષેત્રે પણ ૧લી જૂનથી અમલમાં આવેલા વેટના નવા દરોથી ‘अच्छे दिन’ તો ઠીક, ગઈકાલને આજ કરતાં વધુ સારી ગણવી પડશે. મોબાઈલ ફોનનો વપરાશ, રેસ્ટોરાનું જમણ, મુસાફરી સહિતની અનેક સેવાઓ મોંઘી થઈ છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે સરકારે ધનવાનો ઉપરના સંપત્તિવેરાને નાબૂદ કરી ગરીબ અને મધ્યમ વર્ગ ઉપરના વેરા વધાર્યા છે.

ચૂંટણી સમયના કાશ્મીર, ચીન, પાકિસ્તાન વગેરે અંગેનાં વિધાનો અને વલણોને, સત્તા પામ્યા પછીની કામગીરી સાથે પણ સરખાવવાં જોઈએ.

આમ એક વર્ષ તો સરકારની કામગીરીના મૂલ્યાંકન માટે ખૂબ નાનો ગાળો જ ગણાય પણ જ્યારે સરકાર પોતાની પીઠ જાતે જ થાબડવાનો સ્વાશ્રય કરવા માંગતી હોય ત્યારે તેને ધ્યાનથી નીરખવાનો મોકો પણ આપોઆપ જ ઊભો થાય છે.

“નયા માર્ગ” ૧-૭-૨૦૧૫

Loading

Patidaro, Jato, Gurjaro, Meenao ane Maratthaonum Samajshartra ane Manasshashtra

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|23 August 2015

પાટીદારો, જાટો, ગુર્જરો, મીણાઓ અને મરાઠાઓનું સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર

જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે અને જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. આ નર્યો સ્વાર્થ છે ને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નલીન કોટડિયાએ કહ્યું છે કે ગુજરાતમાં પાટીદારોને અનામતની જોગવાઈ મળવી જોઈએ અને એ જો સ્વીકાર્ય ન હોય તો કોઈ પણ કોમ માટે અનામતની જોગવાઈ ન હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપો તો અમને પણ આપો અને કાં કોઈને ન આપો. મુખ્ય મુદ્દો આ છે. આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ પામી જાય અને અમે રહી જઈએ એ ન ચાલે. એટલે તો ગુજરાતના પાટીદારો અનામતની જોગવાઈ મેળવવા રણે ચડ્યા છે. ભારતનો દેશપ્રેમ આવો છે. જ્ઞાતિ, ભાષા, ધર્મ, પ્રાદેશિક અસ્મિતા વગેરે સંકુચિત ઓળખો રાષ્ટ્રવાદનો છેદ ઉડાડે છે. મહારાષ્ટ્રમાં એક કહેવત છે કે કુણબી માઝલા કિ મરાઠા ઝાલા. એટલે કે કણબી જ્યારે બે પાંદડે થાય ત્યારે તે જાણે કે મરાઠા હોય એ રીતે વર્તવા માંડે છે. આનો ગર્ભિત અર્થ એ છે કે કણબીને એની જગ્યા બતાવતાં રહેવું જોઈએ. જ્ઞાતિ હિન્દુ-એકતાનો છેદ ઉડાડે છે એ જોઈને તો ૧૯૮૯માં ભારતીય જનતા પાર્ટીના હિન્દુ રાષ્ટ્રવાદી આંદોલનનો છેદ ઉડાડવા એ સમયના વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમને અનામત આપનારું મંડલનું કાર્ડ ઊતાર્યું હતું.

નલીન કોટડિયાના કથનથી જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. ભારતમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં પાંચ વર્ષના અંતરમાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી હિંસક આંદોલનો થયાં હતાં. પહેલું આંદોલન ૧૯૮૦માં થયું હતું અને બીજું ૧૯૮૫માં થયું હતું. પહેલા આંદોલન કરતાં બીજું આંદોલન વધારે વ્યાપક અને હિંસક હતું. ગુજરાતમાં આટલા ટૂંકા ગાળામાં બે વખત આંદોલનો થયાં એટલે પહેલાં ઇન્દિરા ગાંધીની અને પછી રાજીવ ગાંધીની સરકારે અન્ય પછાત કોમને અનામતની જોગવાઈ આપવાની ભલામણ લાગુ કરી નહોતી. ત્યારની કેન્દ્ર સરકારોને એમ લાગ્યું હતું કે ગુજરાત જેવી જ સ્થિતિ અન્ય રાજ્યોમાં પેદા થઈ શકે છે. આમ વીંછીનો દાબડો ખોલવાની સરકાર હિંમત કરતી નહોતી.

વાસ્તવિકતા એ છે કે ગુજરાતને અને ગુજરાતનાં ૧૯૮૦ના દસકાનાં બે અનામતવિરોધી આંદોલનોને સમજવામાં કેન્દ્ર સરકાર અને ભારતના કેટલાક સામાજિક-રાજકીય સમીક્ષકો ભૂલ કરી બેઠાં હતાં. એ આંદોલન અસ્સલમાં અનામતવિરોધી ઓછું હતું, પરંતુ દલિતો અને આદિવાસીઓવિરોધી વધુ હતું. મુખ્યત્વે દલિતવિરોધી હતું. બીજું, એના કર્ણધારો બ્રાહ્મણો, નાગરો, વણિકો કે રૂઢ અર્થમાં સવર્ણો નહોતા પરંતુ વચલી જ્ઞાતિઓના ઉચ્ચવર્ણીય સંપન્ન લોકો હતા. આજે જે લોકો પોતે પછાત હોવાની દલીલ કરી રહ્યા છે એ પાટીદારો એમાં મોખરે હતા. જી હા, ૧૯૮૦ અને ૧૯૮૫માં આ જ પાટીદારો અનામતની પ્રથાનો વિરોધ કરતા હતા અને વિરોધ કરવામાં મોખરે હતા. આની પાછળની માનસિકતા નલીન કોટડિયાના શબ્દોમાં વ્યક્ત થાય છે : આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ આગળ નીકળી ન જવું જોઈએ.

એ સમયે ગુજરાતનાં અખબારોએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. આગમાં તેલ રેડવાનું કામ ગુજરાતનાં અખબારોએ કર્યું હતું. આનું લૉજિક પણ સમજવા જેવું છે. ગુજરાતી અખબારોના વાચકો તરીકે ઉચ્ચ શિક્ષિત સવર્ણોની સંખ્યામાં ઘટાડો નહોતો થતો તો વધારો પણ નહોતો થતો. વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો શિક્ષિત થતા જતા હતા અને નવશિક્ષિત વાચકો તરીકે ઉમેરાતા હતા. ૧૯૮૫ સુધીમાં ગુજરાતી અખબારોમાં ૮૦ ટકા વાચકો વચલી જ્ઞાતિઓના ઉપલા થરના નવશિક્ષિતો હતા. ગુજરાતી અખબારો હવે તેમના પર નિર્ભર હતાં. અનામતવિરોધી આંદોલનને અખબારોનો ટેકો હોવાથી આંદોલન વકર્યું હતું. દલિતો બિચારા લાચાર અવસ્થામાં હતા.

બીજું, ભારતના અન્ય કોઈ પણ પ્રાંત કરતાં ગુજરાતમાં વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ બહુ મોટા પ્રમાણમાં અને ઝડપથી અસ્તિત્વમાં આવ્યો હતો. એ મધ્યમ વર્ગમાં પાટીદારો અને કણબીઓ અગ્રસ્થાને હતા અને આજે તો બહોળા પ્રમાણમાં છે. ખેતીવાડી, વેપારધંધા, ઉદ્યોગો અને રાજકારણ એમ દરેક ક્ષેત્રમાં આ પાટીદારોએ બ્રાહ્મણો અને વણિકોને પાછળ ધકેલી દીધા હતા. પાટીદારો અને કણબીઓ, એમાં પણ ખાસ કરીને પાટીદારો આજે ગુજરાતની શાસક પ્રજા છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહીં ગણાય. વેપાર કરનારી ગુજરાતી પ્રજા વ્યવહારુ છે માટે શાંત અને સહિષ્ણુ છે એ એક ભ્રમ છે. ભારતમાં સૌથી વધુ કોમવાદી હુલ્લડો ગુજરાતમાં થયાં છે અને ભારતમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી જ્ઞાતિવાદી આંદોલનો થયાં છે. ગુજરાત જેવાં અનામતવિરોધી આંદોલનો બીજા કોઈ રાજ્યમાં નથી થયાં. ગુજરાતના મધ્યમ વર્ગના આવા બેવડા ચહેરાને ઓળખવામાં સમાજશાસ્ત્રીઓ થાપ ખાઈ ગયા હતા. ગુજરાતનો મધ્યમ વર્ગ એક જ સમયે કોમવાદી પણ છે અને જ્ઞાતિવાદી પણ છે. બન્ને ચહેરા પ્રસંગોપાત્ત પ્રગટ થતા રહે છે.

ત્રીજું, જાણીતા સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસની થિયરી મુજબ ભારતમાં વચલી જ્ઞાતિઓમાં બહુ મોટા પ્રમાણમાં સંસ્કૃિતકરણ (સંસ્ક્રીટાઇઝેશન) થઈ રહ્યું છે. એમ. એન. શ્રીનિવાસની થિયરી એવી છે કે આઝાદી પછી વચલી જ્ઞાતિઓની પ્રજા જેમ-જેમ શિક્ષિત અને સુખી થતી ગઈ એમ-એમ એણે પોતાની જાતે જ પોતાનું જ્ઞાતિકીય સામાજિક સ્તર ઉપરનું હોવાનું એકપક્ષીય રીતે ઠરાવવાનું શરૂ કર્યું હતું. આવા એકલદોકલ પ્રસંગો ૧૯મી સદીમાં પણ જોવા મળતા હતા, પરંતુ આઝાદી પછી આ એક ફૅશન બની ગઈ છે. ૧૯મી સદીમાં જગન્નાથ શંકરશેટ મુંબઈમાં મોટા શ્રીમંતોમાંના એક હતા. તેઓ સોનાર (સોની) જ્ઞાતિના હતા અને તેમણે પોતાની જ્ઞાતિને દેવજ્ઞ બ્રાહ્મણ સોનાર જ્ઞાતિ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. તેમની વગ એટલી મોટી હતી અને સોનાર જ્ઞાતિ પ્રમાણમાં સંપન્ન હતી એટલે કોઈએ એકપક્ષીય રીતે જ્ઞાતિકીય સ્તર ઉપર ઉઠાવવાના જગન્નાથ શંકરશેટના પ્રયાસનો વિરોધ કર્યો નહોતો.

આઝાદી પછી વચલી જ્ઞાતિઓએ એકપક્ષીય રીતે પોતાને ઉપર ઉઠાવવાનું શરૂ કર્યું હતું. મહારાષ્ટ્રમાં અનેક જ્ઞાતિઓ પોતાને મરાઠા તરીકે ઓળખાવે છે તો ગુજરાતમાં તેઓ પાટીદાર કે કણબી તરીકે ઓળખાવે છે. ગુજરાતની વ્યાવસાયિક કોમ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. ગુજરાતના અસ્સલ, મધ્યકાલીન યુગમાં રિયાસતોને કારણે ક્ષત્રિય બનેલા કે પછી આજના યુગમાં શ્રીનિવાસની થિયરી મુજબ પોતાની જાતે પોતાને ક્ષત્રિય ગણાવતા નવક્ષત્રિયો પોતાને કાં સૂર્યવંશી ગણાવે છે કાં ચન્દ્રવંશી. પોતાની જાતે જ પોતાની જ્ઞાતિનું સ્તર ઉપરનું હોવાનું જાહેર કરવાની અને એને સિદ્ધ કરવાની પ્રવૃત્તિ દેશભરમાં ચાલી રહી છે.

અહીં એક હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે આ પ્રવૃત્તિ માત્ર વચલી જ્ઞાતિઓમાં જ ચાલે છે. જ્ઞાતિની નિસરણી પર સૌથી ઉપલા પગથિયે રહેલા બ્રાહ્મણોને હજી ઉપર ચડવા માટે જગ્યા નથી અને સાવ નીચે છેલ્લે પગથિયે રહેલા દલિતોને એની છૂટ નથી. આદિવાસીઓ નિસરણીની બહાર છે. ભારતની જ્ઞાતિઓમાં પહેલાનો અને છેલ્લાનો ક્રમ નિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ નિશ્ચિત છે, જ્યારે બીજી વચલી જ્ઞાતિઓનો ક્રમ અનિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ અનિશ્ચિત છે.

ચોથું, ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષમાં બ્રાહ્મણોનું હવે કોઈ સ્થાપિત હિત રહ્યું નહોતું. મોટા ભાગના બ્રાહ્મણો અને વણિકો ગામડાં છોડીને શહેરમાં જતા રહ્યા છે. ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષ વચલી જ્ઞાતિઓમાં આપસમાં અને દલિતો સાથેનો સંયુક્ત રીતે છે. પાટીદારને કણબીનું મોઢું જોવું ગમે નહીં અને બન્નેને મળીને દલિતનું મોઢું જોવું તો જરા ય ગમે નહીં. મુખ્યત્વે આર્થિક સ્વાર્થો જ્ઞાતિકીય પૂર્વગ્રહોનો ચહેરો ધારણ કરીને પ્રગટ થતા રહે છે. ૧૯૮૦માં અને ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલનો થયાં ત્યારે અનામતની જોગવાઈ માત્ર દલિતો અને આદિવાસીઓ માટેની હતી એટલે વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ અનામતની વિરુદ્ધ હતો અને તેમણે સંયુક્તપણે એ લડાઈ લડી હતી.

૧૯૮૦ના પહેલા આંદોલન વખતે હજી મંડલ પંચની ભલામણો આવી નહોતી એટલે અન્ય પછાત કોમ કહેતાં વચલી જ્ઞાતિઓને અનામતની જોગવાઈ મળશે એવી કોઈ સંભાવના દેખાતી નહોતી. બીજી વખત ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલન થયું ત્યારે મંડલ પંચનો અહેવાલ આવી તો ગયો હતો, પરંતુ સરકારે લાગુ કર્યો નહોતો. સર્વસાધારણ ધારણા ત્યારે એવી હતી કે વધારાની અનામતની જોગવાઈ સાવ પછાત જ્ઞાતિ માટેની હોવી જોઈએ અને એમાં આપણી જ્ઞાતિનો સમાવેશ થાય એવી સંભાવના દેખાતી નહોતી. એમાં વળી દરેકે પોતાની જ્ઞાતિનું સ્તર પોતાની મેળે જ ઉપર ઉઠાવ્યું હતું અને તેઓ પોતાની જાતે પોતાને ઉજળિયાત સમજવા લાગ્યા હતા એ સ્થિતિમાં આપણે અનામતને લાયક હોઈ શકીએ એવી કોઈ સંભાવના તેમને સપનામાં પણ નજરે પડતી નહોતી.

આપણે તો ઉજળિયાત છીએ અને વધારાની અનામતની જોગવાઈ જે લોકો ઉજળિયાત નથી એવા પછાત લોકો માટે હશે એમ સમજીને વચલી જ્ઞાતિઓના ઉપલા થરના મધ્યમ વર્ગના લોકોએ મેરિટના નામે અનામતનો સમૂળગો વિરોધ કર્યો હતો. ત્યારે તેઓ કહેવાતી સમાનતામાં અને ગુણવત્તામાં માનનારા મેરિટોક્રેટ હતા. અનામત હોવી જ ન જોઈએ, અનામતના કારણે ગુણવત્તાનું ધોરણ કથળે છે, વીતેલા યુગના લોકોએ કરેલી ભૂલની સજા આજના યુગમાં અમારાં બાળકોને કરવામાં આવે એ અન્યાય છે જેવી બ્રાહ્મણો જે દલીલ કરતા આવ્યા છે એવી દલીલ પાટીદારો કરતા હતા.

૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈનો અમલ કર્યો અને દલીલો બદલાઈ ગઈ. અવદીચોની નાતના જમણવારમાં અમે બી ડીચ કહીને બીજી કોમના લોકો ઘૂસી જતા એમ હવે વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો પોતાને પછાત ગણાવીને ઘૂસવા માગે છે. પછાત કોને ગણવા એના માપદંડો કાચા અને અધૂરા છે એનો તેઓ લાભ લેવા માગે છે. શ્રીનિવાસ કહેતા એમ જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે. જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ, ઉત્તર ભારતમાં જાટો અને મીણાઓ અને ગુજરાતમાં પાટીદારોનું તર્કશાસ્ત્ર બદલાઈ ગયું છે. આ નર્યો સ્વાર્થ છે અને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 23 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-23082015-14

Loading

...102030...3,7043,7053,7063,707...3,7103,7203,730...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved