Opinion Magazine
Number of visits: 9552942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Patidaro, Jato, Gurjaro, Meenao ane Maratthaonum Samajshartra ane Manasshashtra

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|23 August 2015

પાટીદારો, જાટો, ગુર્જરો, મીણાઓ અને મરાઠાઓનું સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર

જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે અને જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. આ નર્યો સ્વાર્થ છે ને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નલીન કોટડિયાએ કહ્યું છે કે ગુજરાતમાં પાટીદારોને અનામતની જોગવાઈ મળવી જોઈએ અને એ જો સ્વીકાર્ય ન હોય તો કોઈ પણ કોમ માટે અનામતની જોગવાઈ ન હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપો તો અમને પણ આપો અને કાં કોઈને ન આપો. મુખ્ય મુદ્દો આ છે. આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ પામી જાય અને અમે રહી જઈએ એ ન ચાલે. એટલે તો ગુજરાતના પાટીદારો અનામતની જોગવાઈ મેળવવા રણે ચડ્યા છે. ભારતનો દેશપ્રેમ આવો છે. જ્ઞાતિ, ભાષા, ધર્મ, પ્રાદેશિક અસ્મિતા વગેરે સંકુચિત ઓળખો રાષ્ટ્રવાદનો છેદ ઉડાડે છે. મહારાષ્ટ્રમાં એક કહેવત છે કે કુણબી માઝલા કિ મરાઠા ઝાલા. એટલે કે કણબી જ્યારે બે પાંદડે થાય ત્યારે તે જાણે કે મરાઠા હોય એ રીતે વર્તવા માંડે છે. આનો ગર્ભિત અર્થ એ છે કે કણબીને એની જગ્યા બતાવતાં રહેવું જોઈએ. જ્ઞાતિ હિન્દુ-એકતાનો છેદ ઉડાડે છે એ જોઈને તો ૧૯૮૯માં ભારતીય જનતા પાર્ટીના હિન્દુ રાષ્ટ્રવાદી આંદોલનનો છેદ ઉડાડવા એ સમયના વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમને અનામત આપનારું મંડલનું કાર્ડ ઊતાર્યું હતું.

નલીન કોટડિયાના કથનથી જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. ભારતમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં પાંચ વર્ષના અંતરમાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી હિંસક આંદોલનો થયાં હતાં. પહેલું આંદોલન ૧૯૮૦માં થયું હતું અને બીજું ૧૯૮૫માં થયું હતું. પહેલા આંદોલન કરતાં બીજું આંદોલન વધારે વ્યાપક અને હિંસક હતું. ગુજરાતમાં આટલા ટૂંકા ગાળામાં બે વખત આંદોલનો થયાં એટલે પહેલાં ઇન્દિરા ગાંધીની અને પછી રાજીવ ગાંધીની સરકારે અન્ય પછાત કોમને અનામતની જોગવાઈ આપવાની ભલામણ લાગુ કરી નહોતી. ત્યારની કેન્દ્ર સરકારોને એમ લાગ્યું હતું કે ગુજરાત જેવી જ સ્થિતિ અન્ય રાજ્યોમાં પેદા થઈ શકે છે. આમ વીંછીનો દાબડો ખોલવાની સરકાર હિંમત કરતી નહોતી.

વાસ્તવિકતા એ છે કે ગુજરાતને અને ગુજરાતનાં ૧૯૮૦ના દસકાનાં બે અનામતવિરોધી આંદોલનોને સમજવામાં કેન્દ્ર સરકાર અને ભારતના કેટલાક સામાજિક-રાજકીય સમીક્ષકો ભૂલ કરી બેઠાં હતાં. એ આંદોલન અસ્સલમાં અનામતવિરોધી ઓછું હતું, પરંતુ દલિતો અને આદિવાસીઓવિરોધી વધુ હતું. મુખ્યત્વે દલિતવિરોધી હતું. બીજું, એના કર્ણધારો બ્રાહ્મણો, નાગરો, વણિકો કે રૂઢ અર્થમાં સવર્ણો નહોતા પરંતુ વચલી જ્ઞાતિઓના ઉચ્ચવર્ણીય સંપન્ન લોકો હતા. આજે જે લોકો પોતે પછાત હોવાની દલીલ કરી રહ્યા છે એ પાટીદારો એમાં મોખરે હતા. જી હા, ૧૯૮૦ અને ૧૯૮૫માં આ જ પાટીદારો અનામતની પ્રથાનો વિરોધ કરતા હતા અને વિરોધ કરવામાં મોખરે હતા. આની પાછળની માનસિકતા નલીન કોટડિયાના શબ્દોમાં વ્યક્ત થાય છે : આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ આગળ નીકળી ન જવું જોઈએ.

એ સમયે ગુજરાતનાં અખબારોએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. આગમાં તેલ રેડવાનું કામ ગુજરાતનાં અખબારોએ કર્યું હતું. આનું લૉજિક પણ સમજવા જેવું છે. ગુજરાતી અખબારોના વાચકો તરીકે ઉચ્ચ શિક્ષિત સવર્ણોની સંખ્યામાં ઘટાડો નહોતો થતો તો વધારો પણ નહોતો થતો. વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો શિક્ષિત થતા જતા હતા અને નવશિક્ષિત વાચકો તરીકે ઉમેરાતા હતા. ૧૯૮૫ સુધીમાં ગુજરાતી અખબારોમાં ૮૦ ટકા વાચકો વચલી જ્ઞાતિઓના ઉપલા થરના નવશિક્ષિતો હતા. ગુજરાતી અખબારો હવે તેમના પર નિર્ભર હતાં. અનામતવિરોધી આંદોલનને અખબારોનો ટેકો હોવાથી આંદોલન વકર્યું હતું. દલિતો બિચારા લાચાર અવસ્થામાં હતા.

બીજું, ભારતના અન્ય કોઈ પણ પ્રાંત કરતાં ગુજરાતમાં વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ બહુ મોટા પ્રમાણમાં અને ઝડપથી અસ્તિત્વમાં આવ્યો હતો. એ મધ્યમ વર્ગમાં પાટીદારો અને કણબીઓ અગ્રસ્થાને હતા અને આજે તો બહોળા પ્રમાણમાં છે. ખેતીવાડી, વેપારધંધા, ઉદ્યોગો અને રાજકારણ એમ દરેક ક્ષેત્રમાં આ પાટીદારોએ બ્રાહ્મણો અને વણિકોને પાછળ ધકેલી દીધા હતા. પાટીદારો અને કણબીઓ, એમાં પણ ખાસ કરીને પાટીદારો આજે ગુજરાતની શાસક પ્રજા છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહીં ગણાય. વેપાર કરનારી ગુજરાતી પ્રજા વ્યવહારુ છે માટે શાંત અને સહિષ્ણુ છે એ એક ભ્રમ છે. ભારતમાં સૌથી વધુ કોમવાદી હુલ્લડો ગુજરાતમાં થયાં છે અને ભારતમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી જ્ઞાતિવાદી આંદોલનો થયાં છે. ગુજરાત જેવાં અનામતવિરોધી આંદોલનો બીજા કોઈ રાજ્યમાં નથી થયાં. ગુજરાતના મધ્યમ વર્ગના આવા બેવડા ચહેરાને ઓળખવામાં સમાજશાસ્ત્રીઓ થાપ ખાઈ ગયા હતા. ગુજરાતનો મધ્યમ વર્ગ એક જ સમયે કોમવાદી પણ છે અને જ્ઞાતિવાદી પણ છે. બન્ને ચહેરા પ્રસંગોપાત્ત પ્રગટ થતા રહે છે.

ત્રીજું, જાણીતા સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસની થિયરી મુજબ ભારતમાં વચલી જ્ઞાતિઓમાં બહુ મોટા પ્રમાણમાં સંસ્કૃિતકરણ (સંસ્ક્રીટાઇઝેશન) થઈ રહ્યું છે. એમ. એન. શ્રીનિવાસની થિયરી એવી છે કે આઝાદી પછી વચલી જ્ઞાતિઓની પ્રજા જેમ-જેમ શિક્ષિત અને સુખી થતી ગઈ એમ-એમ એણે પોતાની જાતે જ પોતાનું જ્ઞાતિકીય સામાજિક સ્તર ઉપરનું હોવાનું એકપક્ષીય રીતે ઠરાવવાનું શરૂ કર્યું હતું. આવા એકલદોકલ પ્રસંગો ૧૯મી સદીમાં પણ જોવા મળતા હતા, પરંતુ આઝાદી પછી આ એક ફૅશન બની ગઈ છે. ૧૯મી સદીમાં જગન્નાથ શંકરશેટ મુંબઈમાં મોટા શ્રીમંતોમાંના એક હતા. તેઓ સોનાર (સોની) જ્ઞાતિના હતા અને તેમણે પોતાની જ્ઞાતિને દેવજ્ઞ બ્રાહ્મણ સોનાર જ્ઞાતિ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. તેમની વગ એટલી મોટી હતી અને સોનાર જ્ઞાતિ પ્રમાણમાં સંપન્ન હતી એટલે કોઈએ એકપક્ષીય રીતે જ્ઞાતિકીય સ્તર ઉપર ઉઠાવવાના જગન્નાથ શંકરશેટના પ્રયાસનો વિરોધ કર્યો નહોતો.

આઝાદી પછી વચલી જ્ઞાતિઓએ એકપક્ષીય રીતે પોતાને ઉપર ઉઠાવવાનું શરૂ કર્યું હતું. મહારાષ્ટ્રમાં અનેક જ્ઞાતિઓ પોતાને મરાઠા તરીકે ઓળખાવે છે તો ગુજરાતમાં તેઓ પાટીદાર કે કણબી તરીકે ઓળખાવે છે. ગુજરાતની વ્યાવસાયિક કોમ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. ગુજરાતના અસ્સલ, મધ્યકાલીન યુગમાં રિયાસતોને કારણે ક્ષત્રિય બનેલા કે પછી આજના યુગમાં શ્રીનિવાસની થિયરી મુજબ પોતાની જાતે પોતાને ક્ષત્રિય ગણાવતા નવક્ષત્રિયો પોતાને કાં સૂર્યવંશી ગણાવે છે કાં ચન્દ્રવંશી. પોતાની જાતે જ પોતાની જ્ઞાતિનું સ્તર ઉપરનું હોવાનું જાહેર કરવાની અને એને સિદ્ધ કરવાની પ્રવૃત્તિ દેશભરમાં ચાલી રહી છે.

અહીં એક હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે આ પ્રવૃત્તિ માત્ર વચલી જ્ઞાતિઓમાં જ ચાલે છે. જ્ઞાતિની નિસરણી પર સૌથી ઉપલા પગથિયે રહેલા બ્રાહ્મણોને હજી ઉપર ચડવા માટે જગ્યા નથી અને સાવ નીચે છેલ્લે પગથિયે રહેલા દલિતોને એની છૂટ નથી. આદિવાસીઓ નિસરણીની બહાર છે. ભારતની જ્ઞાતિઓમાં પહેલાનો અને છેલ્લાનો ક્રમ નિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ નિશ્ચિત છે, જ્યારે બીજી વચલી જ્ઞાતિઓનો ક્રમ અનિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ અનિશ્ચિત છે.

ચોથું, ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષમાં બ્રાહ્મણોનું હવે કોઈ સ્થાપિત હિત રહ્યું નહોતું. મોટા ભાગના બ્રાહ્મણો અને વણિકો ગામડાં છોડીને શહેરમાં જતા રહ્યા છે. ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષ વચલી જ્ઞાતિઓમાં આપસમાં અને દલિતો સાથેનો સંયુક્ત રીતે છે. પાટીદારને કણબીનું મોઢું જોવું ગમે નહીં અને બન્નેને મળીને દલિતનું મોઢું જોવું તો જરા ય ગમે નહીં. મુખ્યત્વે આર્થિક સ્વાર્થો જ્ઞાતિકીય પૂર્વગ્રહોનો ચહેરો ધારણ કરીને પ્રગટ થતા રહે છે. ૧૯૮૦માં અને ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલનો થયાં ત્યારે અનામતની જોગવાઈ માત્ર દલિતો અને આદિવાસીઓ માટેની હતી એટલે વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ અનામતની વિરુદ્ધ હતો અને તેમણે સંયુક્તપણે એ લડાઈ લડી હતી.

૧૯૮૦ના પહેલા આંદોલન વખતે હજી મંડલ પંચની ભલામણો આવી નહોતી એટલે અન્ય પછાત કોમ કહેતાં વચલી જ્ઞાતિઓને અનામતની જોગવાઈ મળશે એવી કોઈ સંભાવના દેખાતી નહોતી. બીજી વખત ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલન થયું ત્યારે મંડલ પંચનો અહેવાલ આવી તો ગયો હતો, પરંતુ સરકારે લાગુ કર્યો નહોતો. સર્વસાધારણ ધારણા ત્યારે એવી હતી કે વધારાની અનામતની જોગવાઈ સાવ પછાત જ્ઞાતિ માટેની હોવી જોઈએ અને એમાં આપણી જ્ઞાતિનો સમાવેશ થાય એવી સંભાવના દેખાતી નહોતી. એમાં વળી દરેકે પોતાની જ્ઞાતિનું સ્તર પોતાની મેળે જ ઉપર ઉઠાવ્યું હતું અને તેઓ પોતાની જાતે પોતાને ઉજળિયાત સમજવા લાગ્યા હતા એ સ્થિતિમાં આપણે અનામતને લાયક હોઈ શકીએ એવી કોઈ સંભાવના તેમને સપનામાં પણ નજરે પડતી નહોતી.

આપણે તો ઉજળિયાત છીએ અને વધારાની અનામતની જોગવાઈ જે લોકો ઉજળિયાત નથી એવા પછાત લોકો માટે હશે એમ સમજીને વચલી જ્ઞાતિઓના ઉપલા થરના મધ્યમ વર્ગના લોકોએ મેરિટના નામે અનામતનો સમૂળગો વિરોધ કર્યો હતો. ત્યારે તેઓ કહેવાતી સમાનતામાં અને ગુણવત્તામાં માનનારા મેરિટોક્રેટ હતા. અનામત હોવી જ ન જોઈએ, અનામતના કારણે ગુણવત્તાનું ધોરણ કથળે છે, વીતેલા યુગના લોકોએ કરેલી ભૂલની સજા આજના યુગમાં અમારાં બાળકોને કરવામાં આવે એ અન્યાય છે જેવી બ્રાહ્મણો જે દલીલ કરતા આવ્યા છે એવી દલીલ પાટીદારો કરતા હતા.

૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈનો અમલ કર્યો અને દલીલો બદલાઈ ગઈ. અવદીચોની નાતના જમણવારમાં અમે બી ડીચ કહીને બીજી કોમના લોકો ઘૂસી જતા એમ હવે વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો પોતાને પછાત ગણાવીને ઘૂસવા માગે છે. પછાત કોને ગણવા એના માપદંડો કાચા અને અધૂરા છે એનો તેઓ લાભ લેવા માગે છે. શ્રીનિવાસ કહેતા એમ જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે. જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ, ઉત્તર ભારતમાં જાટો અને મીણાઓ અને ગુજરાતમાં પાટીદારોનું તર્કશાસ્ત્ર બદલાઈ ગયું છે. આ નર્યો સ્વાર્થ છે અને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 23 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-23082015-14

Loading

રાજપથ-જનપથ ભૂલેલા રોકસ્ટાર

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|22 August 2015

રાજપથ-જનપથ ભૂલેલા ‘રોકસ્ટાર’

એમને એ ઠીક કોઠે પડી ગયું છે. બલકે, સદી ગયું છે એમ જ કહોને … એ ય એક આંટો ઓર મારી આવ્યા! ધ્વજ ફરકાવ્યો ન ફરકાવ્યો, તકરીર ફટકારી ન ફટકારી, અને સંયુક્ત અરબ અમીરાતે સંચર્યા. વળી પાછી એક મેડીસન (કે મોદી‘સન’) મોમેન્ટ અંકે કર્યાનો બિલ્લો ટિંગાડી આવ્યા. અને હવે, સપ્ટેમ્બર ઊતરતે સાન હોઝે (કેલિફોર્નિયા), નવેમ્બરમાં વહેલું આવજો લંડન. ઈવેન્ટ મેનેજમેન્ટ તો કોઈ એમની કને શીખે. હશે ભાઈ, પ્રવાસી ભારતીયો સાથે દેશદેશનાં રમણીહૃદયો જીતતા ફરતા કોઈ પ્રાચીનકાળના વીર જેવો નમોનો એક વિશેષ નાતો છે તો છે. કદી કદી ભારતની મુલાકાતે આવતા રહો તો હાઉં, એ મતલબની કોઈ એક પંક્તિકા રાહુલ ગાંધીની તરજ પર ફટકારીએ તો પણ ઠીક, ન ફટકારીએ તો પણ ઠીક.

રહો, હમણાં મેં કહ્યું કે તકરીર ફટકારી, પણ 15 ઓગસ્ટ 2014 અને 15 ઓગસ્ટ 2015 વચ્ચે ફરક ખસૂસ હતો : ત્યારે માથે લાલચટક પાઘ હતી. આ વખતે એને ઠેકાણે પાઘના રંગમાં નારંગી નરમાશ વરતાતી હતી. ત્યારે કોરી પાટ હતી અને વૈખરીવશ એને મેજિક સ્લેટમાં ફેરવી શકાઈ હતી. એક આખું આભ હાથવગું (અને મોંવગું) હતું. ચાહે તે ચાંદતારા ટિંગાડવાની સહજ સોઈ હતી. વરસ વીત્યે? છતી વૈખરીએ અસ્ખલિત ધારાપ્રવાહે પણ કશીક હાંફ હતી, કેમ કે પેલા આકાશે અને ચાંદતારાએ હવે વર્ચ્યુઅલ અને રિયલ વચ્ચેનું અંતર અંશત: પણ કાપવાનું હતું. વક્તૃત્વકળા વાસ્તવનો અવેજ તો નથી હોઈ શકતી. પરિણામે, સાધારણપણે નમોનાં ભાષણો જેને માટે જાણીતાં નથી એવાં ટીકાવચનો આ વખતે ક્યાંક ક્યાંક સાંભળવા મળ્યા -ડિસઅપોઈન્ટિંગ, લાંબુલચક, ઘોર બોરિંગ.

નહીં કે એ નેવું મિનિટમાં મુદ્દા કે વિગતો ન હતી. હતું, ભાઈ હતું. બિહાર વાસ્તે ખાસંખાસ પેકેજ પણ હતું, કેમ કે સપ્ટેમ્બરમાં અમેરિકા અને નવેમ્બરમાં ઇંગ્લંડ બેઉ વચ્ચે ઓક્ટોબરમાં પટણાક્ષેત્રે કુરુક્ષેત્રે ઓ.બી.સી. ઓળખ અને વિકાસવેશનો કોઠો જે ભેદવાનો છે. એક વાત સોજ્જી કીધી નીતીશકુમારે કે તમે ચાલુ ફાળવણીઓનો ઘટાટોપ કરી એક-બે નવી (ખરું જોતાં નવા જેવી) જાહેરાતોથી એને ફુગાવીને ‘પેકેજ’, ‘પેકેજ’નો ચીપિયો ખખડાવો મા. જો કે નીતીશને પક્ષે માર્કાની વાત તો એ હતી કે અમને ‘બિમારુ’ ચીતરો મા. (સુજ્ઞ વાચકને ખયાલ હોવો કે ગુજરાતની પોતાની લાંબી પરંપરા સામે એવા કોઈ પરંપરાદાવા વિના નીતીશે વિકાસનો રસ્તો પકડી બતાવ્યો. તેને પરિણામે આજથી ત્રણ-ચાર વરસ પર એન.ડી.એ.ના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદી સિવાય એક નામ તરીકે એમનો ય સિક્કો પડવા માંડ્યો હતો.)

અલબત્ત, વચનેષુ કિં દરિદ્રતા. તમે જુઓ કે બિહાર પેકેજમાં ગ્રામીણ રસ્તાઓ માટે ખાસા 13,820 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરાઈ છે. દેશ આખાના ગ્રામીણ રસ્તાઓ માટેની બજેટ જોગવાઈ રૂપિયા 14,291 કરોડ છે. એન.ડી.ટીવી. હિંદી ખ્યાત રવીશકુમાર તો બચાડા પ્રમાણિક જીવ રહ્યા. એટલે પોતાને આ બે આંકડાનો (અને એવા જ બીજા આંકડાઓનો) મેળ પડતો નથી એવું એમણે બોલીયે બતાવ્યું. પણ લોકો તો વીરનાયકને સાંભળીને મોહમૂર્છાને વર્યા જ ને.  પણ અમીરાતમાં પણ જુઓ. 2013માં અક્ષરધામ, અબુધાબી માટે જમીન ફાળવાયેલી હશે તો હશે, પણ ‘ચમત્કાર’ કે ‘લબ્ધિ’, એ તો નવે નામે જ જમે થાય ને. ભલા ભાઈ, ત્યાં શ્રીનાથજીની હવેલી, શિવાલય અને ગુરુદ્વારા પણ કે’દીના છે. ત્યાંના પ્રવાસી ભારતીયોનું દુબાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં એકત્ર થવું અને ‘મોદી’ ‘મોદી’એ ગામ ગજવવું, એ મારા વડાપ્રધાન માટે એક ભારતીય તરીકે મને કેમ ન ગમે? જરૂર ગમે. પણ એક ભારતીય તરીકે હું એમની રાજકીય મૃગયાની આરપાર જોવાની કોશિશ કરું ત્યારે મને એમ પણ થાય કે પ્રવાસી ભારતીયો આ સહજ ગૌરવક્ષણને ગૌરવમૂર્છામાં ન ફેરવવા દે અને ભારતની વાસ્તવિકતાને પણ સમજવાની કોશિશ કરે. વસ્તુત: આ વૈખરીચર્ચાને એક અલગ છેડેથી જોવાની જરૂર છે. વીતેલા ગાળામાં મોદી મૌનમોહનસિંહને ટપી જતા ‘ચૂપેન્દ્ર’નો ઉપાલંભ રળી ચૂક્યા છે. ચૂંટણીમાં ‘હા’, ‘ના’ એમ શ્રોતાઓ પાસેથી બોલાવવાનો નહીં જેવો અપવાદ બાદ કરો તો મોદીની વક્તૃત્વમોહિની એકમાર્ગી અને એ અર્થમાં બિનલોકશાહી છે. એ છવાઈ જઈ શકે ભૂરકી છાંટી શકે, રંગ રંગ અફીણિયાં ઘોળી શકે, પણ સાર્થક સંવાદ? એ ક્યાંથી પ્રેરી શકે. 

આ સંદર્ભમાં એક ચર્ચા તરફ આપણે ત્યાં ખાસ ધ્યાન કદાચ નથી ગયું. આ ચર્ચા, જયપુર લિટરરી ફેસ્ટિવલની શૃંખલામાં ત્રણેક મહિના પર લંડનમાં યોજાયેલ સંગોષ્ઠીમાં લેન્સ પ્રાઈસે કરી હતી. પ્રાઇસ, એ મોદીની ચહેતી પસંદગી છે. એક કાળના બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરના આ સલાહકારને મોદીએ ખાસ બરકી એમની પાસે પોતાની ચૂંટણીઝુંબેશ પરની કિતાબ લખાવી છે – ‘મોદી ઈફ્કેટ : ઈનસાઇડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટૂ ટ્રાન્સફોર્મ ઈન્ડિયા.’ અલબત્ત વાત આપણે મોદીની વાગ્મિતા સબબ કરીએ છીએ. લંડન સંગોષ્ઠીમાં ‘ઈન્ડિપેન્ડન્ટ’ના જોન એલિયટે લેન્સ પ્રાઈસને પૂછ્યું હતું કે ધારો કે 2019ના સંસદીય જંગ માટે મોદી તમારી સલાહ લે તો તમે શું કહો. પ્રાઈસે એ મતલબનો પ્રતિભાવ આપ્યો હતો કે અત્યારની એકમાર્ગી પદ્ધતિએ મોદીનું ભાવિ 2014 જેવું ઊજળું નયે હોય. આ ગાળામાં એમણે એક પણ ધોરણસરની, પૂરા કદની પ્રેસ કોન્ફરન્સ કરી નથી, જે ખરેખર તો વખતો વખત કરવી જોઈએ. ‘હું માનું છું કે લોકશાહીનો એ એક મૂળભૂત સિદ્ધાંત છે કે તમે ચુંટાયેલ વડા પ્રધાનને મીડિયા થકી પહોંચી શકો, મળી શકો.

બીજા શબ્દોમાં, પત્રકારો તરફથી મુક્તપણે પૂછાતા વાજબી પ્રશ્નોના ઉત્તર મળતા રહે એવી એક નિયમિત પ્રણાલિ સ્થપાવી જોઈએ.’ ‘મોદી ઇફેક્ટ’ના અભ્યાસી પ્રાઈસે તો માનો કે પ્રેસ કોન્ફરન્સ રૂપે એક ઇંગિત આપ્યું. મુદ્દાની વાત એ છે કે દેશ બહાર રોકસ્ટાર તરીકે ઓળખાવું કે એવી સરખામણીના ધણી થવું અગર સ્ટાર પરફોર્મર તરીકે મંચ પર છવાઈ જવું એની એક ભૂમિકા હોઈ શકે છે. એક હદ સુધી લોકોને તમે ખેંચી રાખી શકો છો. પણ લોકશાહી નેતૃત્વ આમ એકમાર્ગી રાહે યશસ્વી ન થઈ શકે. (‘મનકી બાત’ પણ, એમ તો, નિતાન્ત એકમાર્ગી જેવો જ ઉપક્રમ છે ને?) આરંભે 2014 અને 2015ની 15મી ઓગસ્ટો વચ્ચે આંશિક સરખામણી કરી 2015માં કંઈક ઊતરતી કળા માલૂમ પડી હોય તો એનો અર્થ એ નથી કે હવેનાં બાકી વરસોમાં એમ જ થશે. સરખો દાવ લઈ પણ શકે. પણ એકમાર્ગી વાકવિહાર એ લોકશાહીમાં ન તો રાજપથ છે, ન તો જનપથ છે.

સૌજન્ય :”દિવ્ય ભાસ્કર”, 22 અૉગસ્ટ 2015

કાર્ટૂન સૌજન્ય : "ધ હિન્દુ", 15 અૉગસ્ટ 2015

Loading

જર્મનીમાં સંસ્કૃત ભાષા શિક્ષણનું લાગેલું ઘેલું

આશા બૂચ|Opinion - Opinion|22 August 2015

એક સમાચાર મુજબ જર્મનીમાં 14 વિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ અપાઈ રહ્યું છે. વધુને વધુ વિદ્યાર્થીઓ એ વિષય શીખવા તત્પર હોવાને કારણે તેમની માગને તેઓ પહોંચી વળતા નથી.

આ સમાચારથી બહુ ખુશી થઈ એ કબૂલ કરું. સંસ્કૃત ભારતની પુરાણી ભાષા, જેને વેદ, ઉપનિષદ અને હિંદુ ધર્મ તથા તમામ ધાર્મિક વિધિ વિધાનો, પ્રાર્થનાઓ સાથે ગાઢ સંબંધ છે એટલું જ નહીં પણ ભારતની મોટા ભાગની પ્રાંતીય ભાષાઓની એ જનની છે જે હાલમાં ભારતમાં તો મૃતપ્રાય: થઈ ગઈ હોય તેમ ભાસે છે.

જર્મનીમાં સંસ્કૃત અને Sinology coursesની આટલી માગ હોય તો શું ભવિષ્યમાં તેઓ સંસ્કૃત ભાષાના રખેવાળ થઈ જશે? અત્યારે તો એવું લાગે છે. હાઈડલબર્ગ યુનિવર્સિટીની સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટને સંસ્કૃત બોલ-ચાલના વર્ગો માટેની માગને પહોંચી વળવા સ્વીત્ઝર્લેન્ડ, ઇટલી અને ભારતમાં ગ્રિષ્મ વર્ગો શરૂ કરવાની ફરજ પડી છે. ભારતને આયાત કરેલી ચીજો ગમે છે તેનો આ એક વધુ પુરાવો. Classical Indologyના પ્રોફેસર આક્સેલ માઈક્લ્સ કહે છે, “અમે પંદર વર્ષ પહેલાં જયારે આ કોર્સ શરૂ કર્યો ત્યારે બે એક વર્ષમાં બંધ કરી દેવાની વેળા આવી ગયેલી, જયારે આજે યુરોપના બીજા દેશોમાં એ કોર્સ શીખવવા જેટલા અમે સબળ બની ગયા તે માન્યામાં નથી આવતું.”

યુનાઇટેડ કિંગ્ડમમાં ચાર યુનિવર્સિટીમાં સંસ્કૃત શીખવાય છે જયારે જર્મનીમાં 14 યુનિવર્સિટી સંસ્કૃત શીખવે છે. 43 દેશોમાંથી આવેલ 254 જ્ઞાન પિપાસુઓએ તેનો લાભ લીધો છે અને દર વર્ષે કેટલાકને નિરાશ કરવા પડે છે. આની સામે એક અભ્યાસ પ્રમાણે ભારતમાં લગભગ 15 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત શીખવાય છે એ હકીકત નોંધવા જેવી ખરી.

પ્રોફેસર આક્સેલ માઈક્લ્સના મંતવ્યો પર મારું ધ્યાન ગયું. તેઓ કહે છે, “સંસ્કૃતને ધર્મ અને કોઈ એક રાજકીય વિચારધારા સાથે જોડવી તે મૂર્ખામીભર્યું છે અને તેના સમૃદ્ધ વારસાની જાળવણી માટે જોખમભર્યું છે. બુદ્ધ ધર્મના મૂળભૂત સંદેશ સંસ્કૃતમાં અપાયેલ. પૂર્વના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ભાષાઓ, વિજ્ઞાન અને સંસ્કૃિતના ઉદ્દભવસ્થાનને સમજવા મૂળ સંસ્કૃત ગ્રંથો વાંચવા અનિવાર્ય છે કેમ કે તેમાં જ સહુથી પુરાણી શોધ ખોળ અને વિચારોનાં બીજ પડેલાં છે.”

Francesca Lunari હાઈડલબર્ગ યુનિવર્સિટીની મેડિકલની વિદ્યાર્થિની છે જે સંસ્કૃતનો અભ્યાસ કરે છે અને બંગાળી ભાષા શીખવા ધારે છે, કેમ કે મનોવિજ્ઞાનમાં પાયાનું કામ કરનાર ગિરીન્દ્ર શેખરના લખાણો એ સમજવા માગે છે. હવે પહેલી વાત તો એ કે ભારતમાં કેટલા લોકો ગિરીન્દ્ર શેખરના નામ અને કામથી પરિચિત હશે તે જાણવાનું રસપ્રદ થઈ પડશે, અને બીજું કોઈ મેડિકલ કોલેજમાં ભણતી વ્યક્તિ સંસ્કૃત ભણે અને ખાસ બંગાળી ભાષા શીખે, તેવું તો કલ્પનામાં પણ ન માની શકાય. ભારતીય યુવાન/યુવતી માટે મેડિકલ સાયન્સ=ઇંગ્લિશ એવું જ સમીકરણ માન્ય છે. હાઈડલબર્ગ યુનિવર્સિટીના સાઉથ એશિયન ભાષાઓના વડા ડો. હાન્સ હાર્ડ્રને ચિંતા છે કે ભારતમાં ઇંગ્લિશ ભાષાના મારાને કારણે સંસ્કૃતની જેમ બંગાળી ભાષા પર પણ ખતરો ઊભો થયો છે. તેમનું કહેવું છે કે, “દુનિયાની મહત્ત્વની સાંસ્કૃિતક સંપત્તિ વિનાશને આરે આવીને ઊભી છે કેમ કે અતિ વિકસિત એવી હિન્દી અને બંગાળી જેવી ભાષાઓ ભારતીય ઇંગ્લિશનો શિકાર બનવા લાગી છે. એમ થતાં ત્યાં ન માત્ર મૂળ ભાષાઓ પરંતુ ઇંગ્લિશ પણ નબળી થવા લાગી છે.” તેમણે કહેવાતા પ્રગતિવાદી અને ઉચ્ચ માધ્યમ વર્ગના લોકો પોતાની ભાષા પોતાનાં બાળકોને શીખવવાનું બંધ કરી દે છે એ સામે લાલ બત્તી ધરી છે. તેમની આ ચેતવણી ન સમજીએ તેવા અણસમજુ આપણે નથી; તો કરીશું શું?

ડો. માઈક્લ્સ દ્રઢપણે માને છે કે ભારતની સંસ્કૃિત સમજવા તેની ભાષાઓ જાણવાથી જે તે વિષય સાથે અનુબંધ જોડી શકાય, જેમ કે ભારતની રાજકીય અને આર્થિક ઉત્ક્રાંતિ ચાણક્યના અર્થશાસ્ત્રને મૂળ ભાષામાં વાંચવાથી સારી રીતે સમજી શકાય. આ સત્ય ભારતના શિક્ષિત વર્ગને કેટલી સમજાય છે તે ન કહી શકાય. સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટમાં ‘ઉપનિષદમાં શરીર વિજ્ઞાન અને માનસ શાસ્ત્ર’ એ વિષય શીખવવામાં આવશે. એ શીખવનાર આનંદ મિશ્રાને પાણિનીના સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે એ વ્યાકરણ કમ્પ્યુટરની ભાષા માટે એક ઉત્તમ સાધન પુરવાર થઈ શકે તેમ છે. એટલે સંસ્કૃત માત્ર એક જૂની પુરાણી ભુલાઈ ગયેલી પુરોહિતોએ વાપરવાની ભાષા છે એ ગેરસમજ દૂર કરવાનો સમય પાકી ગયો છે તેમ લાગે છે.

ડો. માઈક્લ્સનું સૂચન માનીને ભારતના લોકોએ સંસ્કૃત અંગે રાજકીય અને ધાર્મિક વિવાદમાંથી બહાર નીકળીને પોતાની સાંસ્કૃિતક ધરોહર સાચવવાનો પ્રયત્ન કરવો કોઈએ. તેમના કહેવા પ્રમાણે આપણે જેમ કોઈ અલભ્ય ચિત્ર કે શિલ્પની રક્ષા કરીએ છીએ તેમ આ તો જીવંત ભાષા છે જે હામ્પી સંસ્કૃિત, અજંતાની ગુફાઓ કે કોણાર્કના મંદિરની માફક વિસ્મૃિતની ગર્તામાં ધકેલાઈ જશે. બ્રિટિશ લોકોએ આ કલાધામો શોધીને સાચવ્યાં. તો શું સંસ્કૃત ભાષાને પુનર્જિવિત કરવાનું પણ આપણને જર્મની જેવા દેશો શીખવશે? સંસ્કૃત ભાષા તેની સાથે સંકળાયેલી સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન સાથે મૃતપ્રાય: થઈ જવા સંભવ છે એવો એમને ભય છે. એમને એમ પણ લાગે છે કે સંસ્કૃત દ્વારા હજુ તો સિંધુ સંસ્કૃિત વિષે પણ ઘણું શોધવાનું બાકી છે.  

જર્મનીમાં સંસ્કૃતના જ્ઞાતાઓ છે. એટલું જ નહીં પણ હાર્વર્ડ, કેલીફોર્નિયા બર્કલી કે યુનાઇટેડ કિંગ્ડમની યુનિવર્સિટી હોય, પણ ત્યાંના સંસ્કૃતના સ્કોલર જર્મન હોવાના. આ શું સૂચવે છે? ડો. માઈક્લ્સનું માનવું છે કે કદાચ જર્મનીએ ભારત પર કદી રાજ નથી કર્યું તેથી તેની સાથેનો રોમાંચક સંબંધ કાયમ રહ્યો એ કારણ હોઈ શકે.

આ સમાચાર વાંચતાં વિચાર આવ્યો કે ભારતમાં છેલ્લા છ દાયકા દરમ્યાન નાનાં મોટાં શહેરોમાં તો શું, નાનાં નાનાં ગામડાંઓમાં ઇંગ્લિશ માધ્યમની શાળાઓનો રાફડો ફાટ્યો છે. કેટલીક નર્સરી અને પ્રાથમિક શાળાઓમાંતો ઘરમાં બોલાતી ગુજરાતી કે હિન્દી બોલવાની ‘સખત મનાઈ’ ફરમાવવામાં આવે છે. સવાલ થાય કે કોણ સાચે રસ્તે જઈ રહ્યું છે, ભારતની પ્રજા કે જર્મનીના લોકો? આપણામાં કહેવત છે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ − એ ન્યાયે સ્વભાષા હોય, પુરાણા વૈદકીય શાસ્ત્ર હોય, શિલ્પ સ્થાપત્યના નમૂના હોય કે સાહિત્ય હોય, તેની સંભાળ રાખવી, તેનું સંગોપન કરવું, ઉપયોગ કરી જીવિત રાખવા એ જાણે ભરતીય લોકોના લોહીમાં નથી. કદાચ એવી દલીલ કરી શકાય કે જેમ જર્મની અને અન્ય દેશના લોકોને સંસ્કૃતનો અભ્યાસ કરવાનો મોહ છે તેમ જ ભારતના લોકોને ઇંગ્લિશ ભણવાનો ચસરકો કેમ ન હોઈ શકે? એ માટે વધુ વિચાર કરતાં માલુમ પડશે કે ઉપર કહેલા તમામ દેશોમાં શિક્ષણનું માધ્યમ માત્ર જે તે દેશની માતૃભાષા જ છે. તે પછી પાડોશી દેશોની ભાષા શીખવાય છે. તેમાંના કોઈ દેશે સ્વભાષાને ભોગે સંસ્કૃત કે બીજી વિદેશી ભાષાને શિક્ષણના માધ્યમના તખ્ત પર નથી બેસાડી. એક બીજી હકીકત પણ ઇંગ્લિશના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાના હિમાયતીઓએ ધ્યાન પર લેવા જેવી છે કે સંસ્કૃત તો બરાબર, માતૃભાષા અને રાષ્ટ્રભાષાને પણ શાળામાં વૈકલ્પિક વિષયનું સ્થાન આપીશું તો ડો. માઈક્લ્સ કહે છે તેમ તેની સાથે સંકળાયેલી ભારતીય સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને ખુદની ભારતીય તરીકેની અસ્મિતા જ લોપાઈ જશે. પછી Make in India કે ઘરવાપસીથી વધારેલા હિંદુ લોકોની સંખ્યાથી કશો ફાયદો થવાનો નથી કેમ કે એ બધાને પણ ઇંગ્લિશ શીખીને વિદેશ ભણી મોઢું રાખવાનું જ શીખવવામાં આવશે.

ભારતને ચીન સાથે ઘણી બધી બાબતોમાં હરીફાઈ કરવી ગમે છે. જો જર્મનીની જેમ ચીનમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ શાળા અને વિશ્વવિદ્યાલયના સ્તર સુધી પ્રચલિત થાય તો અબઘડી હાલની સરકાર નિશાળોમાં સરસ્વતી પૂજનની માફક સંસ્કૃતનો અભ્યાસ પણ ફરજિયાત દાખલ કરશે. તો આ સમાચાર પરથી આપણે શો પદાર્થપાઠ લેવો રહ્યો? સહુ પ્રથમ તો પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી કક્ષાનું ભણતર દરેક બાળકની માતૃભાષા-કે જે તેની પ્રાંતીય ભાષા પણ હશે તેમાં જ અપાય, બીજી ભાષા તરીકે હિન્દી, ત્રીજી ભાષા તરીકે સંસ્કૃત અને ચોથી ભાષા ઇંગ્લિશ એક વૈકલ્પિક ભાષા તરીકે શીખવાય તો ન માત્ર સ્વભાષા જળવાઈ રહેશે પરંતુ આપણાં બાળકો બીજા બધા વિષયોમાં માત્ર પોપટિયું નહીં પણ ઊંડી સમજ સાથેનું ‘જ્ઞાન’ (આજે અપાય છે તે તો માત્ર માહિતી છે) મેળવતાં થઈ જશે. પશ્ચિમના દેશોની શિક્ષણ પદ્ધતિ આ નિયમ પ્રમાણે જ ગોઠવાઈ છે અને તેથી જ તો એ દેશોના નાગરિકો જરૂર પડ્યે દુનિયાની કોઈ પણ ભાષામાં પ્રભુત્વ મેળવી શકે છે. અહીં દુનિયા સાથે કદમ મિલાવી શકે તેવા વેપારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય વ્યાવસાયિકો પેદા કરવા માટે ઇંગ્લિશ શિક્ષણ અને ઇંગ્લિશ માધ્યમની શાળાની ભલામણ કરતા સમુદાયને ધરપત આપી શકાય કે જે વિદ્યાર્થીઓ માતૃભાષા અને રાષ્ટ્રભાષામાં પારંગત થયા હશે તેઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ઇંગ્લિશ પર અત્યારે મેળવે છે તેના કરતાં અનેક ગણું સારું પ્રભુત્વ હાંસલ કરીને દુનિયામાં પોત પોતાના ક્ષેત્રમાં નામના કાઢશે તે નિ:શંક છે. વધારામાં પોતાની સંસ્કૃિત, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનથી વેગળા નહીં થઈ ગયા હોવાને કારણે જગતને પણ તેની લ્હાણી કરી શકશે.

શિક્ષણના ખરા માધ્યમની પસંદગી અને ભારતની સંસ્કૃત સહિતની તમામ ભાષાઓના શિક્ષણ તેમ જ તમામ સ્તરે તેનો ઉપયોગ કરવાના નિર્ણયને ખરી ઘરવાપસી કહી શકાય તેમ મારું નમ્ર પણે માનવું છે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,7023,7033,7043,705...3,7103,7203,730...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved