Opinion Magazine
Number of visits: 9456618
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રખડપટ્ટી, પ્રવાસ કે યાત્રા ?

રમજાન હસણિયા|Opinion - Opinion|1 November 2024

અમે બધા પરીક્ષાઓની તૈયારીઓમાં ગળાડૂબ હતા ત્યાં સરકરનો આદેશ આવ્યો કે  જે તે પ્રદેશના બે આઈકોનીક પ્લેસની મુલાકાત વિદ્યાર્થીઓ લે એવું ફરજિયાત ગોઠવવું. ગીગાભાઈ ભમ્મર અને સંજયભાઈ ચાવડા એના સંયોજક. આ બે જગ્યાઓ જુદે જુદે દિવસે જોવાની એવો પણ આદેશ. એક દિવસ માંડવીનું પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ક્રાંતિતીર્થ અને બીજા દિવસે ભુજનું સ્મૃતિવન જોવું એવો સરકારી આદેશ. બાકીના કાર્યક્રમો ને માહિતીની જફા આગળ જે સાહેબોના નામ નોંધ્યા એમણે કરી ને આપણા રામ આ ગમતા પ્રવાસમાં ગોઠવાઈ ગયા. રાવલસાહેબે પચાસેક વિદ્યાર્થીઓને લઈ જવાની છૂટ આપી ને સાથે બસ ભાડે કરી જવાની છૂટ આપી. કોને લઈ જવા ને કોને નહિ એમ વિચારતાં સંજયભાઈએ સૂચન કર્યું કે છેલ્લાં વર્ષના મિત્રોને જ લઈ જઈએ. તેઓ પોતે તો એક તાલીમમાં જોડાયા એટલે પ્રવાસમાં ન જોડાઈ શક્યા પણ ભમ્મરસાહેબે નાદુરસ્ત તબિયત હોવા છતાં બધી વ્યવસ્થા સંભાળી ને પ્રવાસમાં પણ જોડાયા. 

ચૌદમી ઓક્ટોબરની સવારે સાડા પાંચે બધા દેનાબેન્ક ચોકમાં ભેગા થયા. પારસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની નવી ચમચમતી બસમાં બેસી દેવ-ગુરુના જયકાર સાથે અમારી ગાડી ભમવા નીકળી પડી. બધા યુવાનોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ હતો. અમે નિયત બે સ્થાનોના રસ્તે આવતા બીજા ઉત્તમ સ્થળો પ્રવાસમાં જોડી દીધેલા. અંધારામાં પ્રકાશ પાથરતી અમારી બસ આગળ વધી રહી હતી ને એની અંદર આનંદલોકમાં ગરકાવ અમે સૌ નાચી-ગાઈ રહ્યા હતા. ગાવા નાચવાનો કાર્યક્રમ પ્રવાસ પૂરો થયો એ રાત સુધી ચાલુ જ રહ્યો.

અજવાળાના દેશનો રાજા અમારી પાછળ પાછળ ક્યાંકથી લપાતો છુપાતો આવી ગયો ને અમારી ગાડી સાથે જ દોડવા લાગ્યો. ક્યાંક એ આગળ ને ક્યાંક અમે; એમ રમતાં રમતાં ભૂખ લાગી એટલે એક હોટેલે ચા-નાસ્તો કરવા રોકાયા. થોડો સમય વધુ લીધો પણ જે મસ્ત પૌઆ બનાવ્યા કે દિલ ખુશ થઈ ગયું. અમે જલસા કરતા આગળ બસમાં બેઠા ને અર્થભાર ઉપાડીને ચાલતા ભમ્મરસાહેબ તથા સંદીપભાઈ પાછળ હિસાબ-કિતાબમાં પડ્યા. એમ કરતાં અમારી શાહી સવારી પહોંચી અમારા પહેલા લક્ષ્યાંક પર. મુન્દ્રા ભુજ હાઈવે ને ગાંધીધામ માંડવી હાઈવેને જોડતી પ્રાગપર ચોકડી પર આવેલું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર – ‘અહિંસાધામ’ અમારી રાહ જોતું ઊભેલું જાણે ! આંગણે પહોંચતાં જ મીઠો આવકાર મળ્યો. સ્નેહી ગિરીશભાઈ ને મહેન્દ્રભાઈ સાથે વાત થયેલી એટલે એમણે બધું તૈયાર જ રાખેલું. એક કાર્યકર ભાઈએ સંસ્થાનું દર્શન કરાવ્યું. બીમાર, અશક્ત, ને જાતજાતની તકલીફોથી ગ્રસ્ત પશુઓનું બહુ મોટું આશ્રયસ્થાન અમે આંખોમાં ભરી રહ્યાં હતાં ને સાથોસાથ આંખોમાં ભરાઈ રહ્યું હતું કુતૂહલ ને પછી કરુણા પણ. કેવા કેવા પશુઓ ને એમના માટે આઈ.સી.યુ., ઓપરેશન થિયેટર, રેગ્યુલર ડૉક્ટર ને કેટકેટલી વ્યવસ્થાઓ. માણસને પણ દુર્લભ હોય એવી સારવાર પશુઓને આપતી આ સંસ્થા માટે અહોભાવ સૌને ચહેરે છલકાતો અનુભવાતો હતો. અશક્ત પશુને પડખું ફેરવવાની પણ વ્યવસ્થા કરે. અંધ પશુઓ માટે અલાયદી વ્યવસ્થા, બીમાર હોય તે આઈ.સી.યુ.માં હોય ને સાજા થઈને જનરલ વોર્ડમાં આવે, અનાથ બાળ પશુઓ માટે જુદું માતૃઆલય, પક્ષીઓ વગેરે માટે જુદું ઘર – આ બધું જોઈને નાચતાં ગાતા યુવાનોના ચહેરા પર જીવનના આ વાસ્તવનો બીજો રંગ પણ અનુભવાઈ રહ્યો હતો, જે એમને જીવનના વિરાટરૂપનું  એક જુદું રૂપ દેખાડી રહ્યો હતો. એક તરફ પશુઓ માટે કરુણા ને બીજી તરફ એમની આટલી કાળજી લેતી સંસ્થા ને એના સંવાહકો માટે આદર – બંનેનો સરવાળો આજે એમના હૈયામાં થયો હતો. ગોપાલ નામના વલ્ડ રેકોર્ડ બનાવનાર મોટા શિંગડાવાળા નંદીનાં મંદિરના દર્શન કરી સૌએ પ્રદર્શન હોલમાં રાખેલા એના સાચા શિંગડા પણ જોયા. માંસાહારથી બચવાની વાત પણ શીખ્યા ને પોતે વાપરતા કોસ્મેટિક્સ વગેરેમાં કેવા કેવા પશુઓની બલી ચડે છે એ જોઈ બહેનોએ એવું  કશું ન વાપરવા નિશ્ચય કર્યો. ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, પ્રેમપ્રસાદ રૂપે શેરડીનો રસ પીને અમે ભીતરની ભોંય ભીંની કરી આગળ વધ્યા …

વચ્ચે અમારું ગામ મોટીખાખર આવે. હવામાડી હમણાં ગામડે છે એટલે એનું મોં જોવાનો લોભ તો થાય જ, પણ ઘરે જાઉં તો બધાનો સમય બગડે એટલે એને જ રોડ પર બોલાવી લીધી. ગામના નાકે મા દીકરાનું ભાવસભર મિલન બધાની આંખ ભીની કરી ગયું. માએ બધાને નાની નાની ઠંડી ઠંડી પેપ્સી પીવડાવી. અમે માનો પ્રેમ પીતાં પીતાં આગળ વધ્યા.

નાનીખાખરથી જોડાયા જ્યોતિબહેન મોતા. ભોજનનો સમય થઈ ગયેલો એટલે અમે પહેલા પહોંચ્યા બીદડાથી ફરાદી જતાં રસ્તા પર આવેલા લીમડાંવનમાં વસેલી એક જુદી દુનિયામાં. આ નોખી દુનિયાનું નામ છે ‘માનસી’. માનસિક રીતે સામાન્ય બાળકથી વિશિષ્ટ એવી બાળાઓનું આ પ્રેમાળ ઘર. લીલાધરભાઈ ગડા ‘અધા’ની પ્રેરણા ને માર્ગદર્શનથી સર્જાયેલી ને ગીતાબહેન જેવાં પ્રાણરૂપ વ્યક્તિત્વથી ધબકતી માનસી પણ એક ઉર્જાધામ છે. 

ગીતાબહેન અમારા સ્વાગત માટે હાજર હતાં. જુદા જ પ્રકારનો અનુભવ કરાવતા પરિસરમાં પ્રવેશ્યા ને સામે જ અધા અમને હૈયાસરીખા ચાંપવા બહાર દોડી આવ્યા. જેના હૈયે હરિ બેઠેલા હોય એ હૈયાસરીખા ચાંપે ત્યારે હરિના સ્પર્શસુખનો લાભ મળે ! અધા ભેટ્યા ત્યારે મેં એ સુખ અનુભવ્યું ! ભાવથી ભર્યા ભર્યા એક કલાત્મક ઓરડામાં અમે અધાની શરણમાં બેઠા ને અધાનો ધીમા ધીમા સ્વરમાં પ્રેમપ્રવાહ વહેતો થયો. થોડી ખાસ દીકરીઓ માટે કામ કરતી એ સંસ્થાની, એ બાળકીઓને આપવામાં આવતી વિશિષ્ટ તાલીમની વાત ને એમને સામાન્ય પ્રવાહથી જોડવાની વાત અધા ને ગીતાબહેને કરી. એમનો શબ્દે શબ્દ હૈયે ને મોબાઈલદેવની સ્મૃતિમાં સંગ્રહી લીધો. ભોજનનો સમય થઈ ગયેલો એટલે ગીતાબહેન સૌને રસોડે દોરી ગયાં. એક એક ભવન એવું દિલથી ને કલાત્મક રીતે બનાવેલું છે કે આંખો એમાં જ બંધાઈ જાય ! બધાએ ભરપેટ સ્વાદિષ્ટ ભોજન લીધું. અધા સાથે વાતો કરતાં કરતાં અમે જમ્યા. ભોજન ઓછું ને અધાને વધુ ખાઈ ગયો હું ! ભોજન પછી ગીતાબહેને માનસીની દીકરીઓના વિશિષ્ટ વર્ગખંડ અને એમના રહેઠાણ દેખાડ્યાં. અમે એ દીકરીઓને મળ્યા ને એમની સાથે થોડી વાતો પણ કરી. અહીં કોઈ એમને દયાની નજરથી જોતું નથી ને માનસિક વિકલાંગ પણ ગણતું નથી. અહીં એ જેવાં છે તેવાં તેમને ચાહવામાં આવે છે, થોડી કડક તાલીમ પણ અપાય છે. કૉલેજના મોટાભાગના યુવાન મિત્રો માટે આ બધું નવું હતું. કેટલાંક મિત્રો સરસ મકાન જોઈ ફોટા પાડવાની તક ઝડપી લેતા હતા પણ તેમછતાં આ ભાવપ્રવાહને ઝીલવાની એમની તત્પરતા પણ દેખાઈ આવતી હતી. ફરી અધાને મળ્યા, એમની પાસેથી આ દીકરીઓને લાગુ પડતી એક સરસ કવિતા એમના જ અવાજમાં સાંભળી એમની ઉર્જાને ભીતર સંકેલી અમે નાનીખાખર ભણી રવાના થયા.

એક સમયે કચ્છનું પેરિસ ગણાતું નાનકડું પણ મજાનું ગામડું નાનીખાખર. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે અહીં બહુ જ દુર્લભ ગ્રંથો ને હસ્તપ્રતોને સાચવીને બેઠેલું એક જ્ઞાનમંદિર બનાવડાવ્યું છે. હવે તો એમાં એટલું બધું પ્રદર્શનમાં મુકાયું છે કે એક સારા મ્યુઝિયમની ગરજ સારે છે. અમે નાનીખાખરની મોટી શેરીઓમાંથી પસાર થતાં ઉપાશ્રય પાસે પહોંચ્યા ને જ્ઞાનમંદિરની વિશેષ મુલાકાત લીધી. આરોગ્યધામ, માનસધામ પછી આ વિદ્યાધામ. ધમાલ કરતા મિત્રો સરસ્વતીના આ અભિનવ મંદિરમાં આપોઆપ શાંત થઈ ગયા. પ્રદર્શન નિહાળતાં આપણી જૂની પરંપરાઓ, લેખનપદ્ધતિ, કળાના ઉત્તમ નમૂના આદિની ઝાંખી મળી. ભાષાના મિત્રો માટે તો આ અભ્યાસનો જ એક ભાગ. વર્ગમાં હસ્તપ્રતોની જાળવણી કેમ થાય એની વાત કરેલી તે પ્રત્યક્ષ જોઈને વિદ્યાર્થીઓને વધુ સમજાણી હશે, કદાચ ! આ જ્ઞાનમંદિર જેમના થકી નિર્માણ પામ્યું ને આટલું સમૃદ્ધ થયું, એવા ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજના દર્શન પણ થયા. શાળાના પગથિયાં ન ચડનાર ને છતાં તેર જેટલી ભાષાઓના જાણકાર, પ્રકાંડ પંડિત છતાં સાવ સહજ સુલભ એવા ઉપાધ્યાય ભગવંતના દર્શન કરી સૌ ધન્ય બન્યા. સાહેબજીએ વિદ્યાર્થીભોગ્ય શૈલીમાં જીવનની સરસ વાતો કરી. એ જ ગામના રહેવાસી ને ગુજરાતી તેમ જ કચ્છી ભાષાના જાણીતા કવિ, નિબંધકાર ગુલાબભાઈ દેઢિયા પણ ત્યાં હાજર હતા. વિદ્યાર્થીઓને આ પ્રકારે ધડાતા જોઈ એમણે રાજીપો વ્યક્ત કર્યો. સંઘ તરફથી મહેતાજીએ તૈયાર કરાવી રાખેલ ઠંડું ઠંડું લીંબુપાણી સૌને પાયું ને ફરી અમારી ગાડી આગળ ચાલી. 

અમને ગમતી ત્રણેક જગ્યા જોયા પછી યુવાનોને ગમતી જગ્યાએ એટલે કે દરિયે ગીત ગાતાં ગાતાં પહોંચ્યા. વચ્ચે વર્ષારાણી પણ અમને મળવા ધોધમાર પ્રવાહમાં આવી ગયા. દરિયો એટલે મસ્તીનો પર્યાય. યુવાનો ને દરિયો ભેગા થાય પછી તો જમાવટ ન થાય તો જ નવાઈ. બધાએ ખૂબ ધમાલ કરી, નાચ્યાં, કુદ્યા, ફોટા પાડ્યા, ગરબા રમ્યા, બ્લોગ બનાવ્યા, ચટપટી ખાધી ને એવું તો કાંઈ કેટલીયે મોજ કીધી. હવે સમય થતો હતો ક્રાંતિતીર્થ પહોંચવાનો. ત્યાં મેમોરિયલની સાથોસાથ લાઈટ શૉ જોઈ શકાય એટલા એમના જ ગાઈડ ભાઈએ સાંજે આવવા સુચવેલું. માંડવીમાંથી પસાર થઈ અમે પહોંચ્યા ક્રાંતિતીર્થ. અત્યંત ભવ્ય સ્મૃતિતીર્થ બનાવ્યું છે. હાલ કોઈ ટિકિટ પણ નથી. અંધારું ઉતરી આવે એ પહેલાં અમે નિરાંતે મેમોરિયલની મુલાકાત લીધી. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મૂળે માંડવી કચ્છના. દેશની આઝાદીમાં એમનું યોગદાન જરા ય ઓછું ન આંકી શકાય. વિદેશની ભૂમિ પર રહીને મા ભોમને આઝાદ કરવા મથનાર કેટલાંક વીરલાઓમાં એક આગળ પડતું નામ છે શ્યામજી કૃષ્ણવર્માજીનું. એમના જીવનની ઝાંખી કરાવતું ને ભવ્ય ભૂતકાળને તાજું કરતું મેમોરિયલ જોઈ ઇન્ડિયા હાઉસની આબેહૂબ પ્રતિકૃતિ જોઈ. પંડિતજી વિશેનો અહોભાવ હતો એથીયે વધી ગયો. એમના અસ્થિ જે તે સમયે મોદીસાહેબે વિદેશથી લાવીને એમની ઈચ્છા મુજબ માતૃભૂમિમાં પહોંચાડેલા. એ કુંભના દર્શન કરી ભાવવિભોર બન્યા. પંડિતજીના જીવન અને કાર્યને દર્શાવતો લાઈટ શૉ સ્પેશિયલ અમારા માટે ત્યાંના ગાઈડ શંકરભાઈએ ગોઠવી આપ્યો. બહુ જ પ્રભાવક એ શૉ જોઈ અમે ત્યાંથી રાત્રિનિવાસ ભણી આગળ ચાલ્યા. કોડાયપુલ પાસે સ્નેહી સોમભાઈ ધરમશી અને લતાબહેનના સ્વાદ ફાસ્ટ ફૂડમાં સૌએ ભેલ, મિશળપાંઉનું ભોજન લીધું. એમને બીલનું પૂછ્યું તો કહે, ‘તમે જે દઈ શક્તા હો તે દે, નહિ આપો તોયે ચાલશે, તમારા બાળકો અમારા પણ બાળકો જ છે ! ભાવથી ભર્યા ભર્યા આ યુગલનો પ્રેમ આરોગી અમે રાત્રિનિવાસ માટે ૭૨ જિનાલય પહોંચ્યા. ભમ્મરસાહેબ અને સંદીપભાઈએ ફરી બધી વ્યવસ્થા સંભાળી સૌને ગાદલાભેગા કર્યા. અખંડ ધમાલ તો હજુ ચાલુ જ હતી. સલીમસાહેબ ખાસ મળવા આવ્યા ને આનંદમાં ભળ્યા. એક દિવસમાં કેટકેટલું જોયું, કેવાં કેવાં મનેખને મળ્યાં, કેવી મજા કરી આ બધું વાગોળતાં વાગોળતાં અમે નિદ્રાધીન થયા. 

વહેલા ઊઠવાની સૂચના આપેલી. એમાં વહેલા એટલે છ વાગે એવું અભિપ્રેત હતું, પણ રવિ, રોહિત ને અન્ય હોંશી મહાત્માઓ બે ત્રણ વાગે ઊઠી ગયા. એક પછી એક ગાદલું સળવળ્યાં કર્યું ને સવાર પહેલા સવાર પડી ગઈ ! કુદરતી અનુકૂળતા હોવાથી મેં પૂજાના કપડાં સાથે લીધેલા. હું ૭૨ જિનાલય દર્શન અને પૂજા માટે જતો હતો. સહજ કોઈને સાથે આવવું હોય તો આવવા કહ્યું. કેટલાંક મિત્રો સ્વેચ્છાએ સાથે આવ્યા. ત્યાં રસ્તામાં સાધ્વીજી ભગવંતના દર્શન થયા. મૂળનાયકના દર્શન કરી ધૂપ, દીપ, ચામર, દર્પણ આદિથી પૂજા કરી. બધા મિત્રો માટે જૈન વિધિ નવી હતી એટલે કુતુહલમિશ્રિત આનંદ એમના ચહેરે છલકાતો હતો. મૂળ મંદિરની ફરતે આવેલા ગત, વર્તમાન ને આવનાર ચોવીસીના તીર્થંકરના ૭૨ દેવાલય છે. પ્રદક્ષિણા કરતાં કરતાં અમે એ સઘળાં દેરામાં દર્શન કર્યાં. મજા એ વાતની આવી કે પ્રભાત હોવાને લીધે દ્વારઉદ્ઘાટનનો લાભ અમારા યુવાન મિત્રોએ લીધો. મોટા મોટા ચડાવા લઈને જે લાભ મળે એ લાભ સૌને સહજ મળી ગયો. બધાએ ભાવભેર દ્વારઉદ્ઘાટન કર્યું. પછી મેં ચંદન પૂજા કરી ચૈત્યવંદન કર્યું એમાં પણ કેટલાંક મિત્રો જોડાયા ને મને પ્રક્ષાલનો પણ લાભ મળ્યો. ખબર પડી કે ત્યાં અનંતગુણાશ્રીજી મહારાજ બિરાજમાન છે એટલે અમે ઉપાશ્રયમાં દર્શન અર્થે પહોંચ્યા. સાધ્વીજી મહારાજના દર્શન વંદન સૌએ કર્યાં ને એમના આશિષ મેળવ્યાં. સાધ્વીજી ભગવંત બહુ જ રાજી થયાં. ધરાઈને ચા-નાસ્તો કરી અમે ભુજ ભણી ચાલ્યા. 

રસ્તામાં સંદીપભાઈએ કહ્યું કે ભુજ સુધી રસ્તામાં બીજું કાંઈ જોવા જેવું નથી ? મેં કહ્યું, ‘એમ તો ઘણું છે પણ જવું હોય તો નવજીવન નેચર ક્યોર સેન્ટર જવાય. અમે તરત સેન્ટર પર ફોન કર્યો ને એમણે તાત્કાલિક પરવાનવી આપી. અમારી બસ ધમધમતી પહોંચી કુદરતી ઉપચાર કેન્દ્ર પર. આ વળી નવું મુકામ. એક જુદી શાખાનો પરિચય. કુદરતી ઉપચારની મહત્તા સમજી અમે સૌએ આખું સેન્ટર જોયું. અત્યંત સુંદર પરિસર, પરમ શાંતિ ને એની વચ્ચે મળતો ઉપચાર જોઈ રહેવાનું મન થઈ ગયું.  આગળની યાત્રા રાહ જોઈ રહી હતી એટલે મોહ છોડી આગળ વધ્યા.

ડુંગરના રસ્તા પર દોડતી અમારી બસ ભુજ પહોંચી. પહેલા આઈનામહેલ અને પરાગમહેલ જોવાના હતા. હમીરસર તળાવની પાછળ બસ ઊભી રાખી અમે ભુજની ગલીઓમાં ચાલતા ચાલતા આઈનામહેલ પહોંચ્યા. ભુજના ભવ્ય ઇતિહાસની ઝાંખી  કરાવતું આ મ્યુઝિયમ જોઈ સૌ પરાગ મહેલ પાસે આવ્યા. ત્યાં ભમ્મરસાહેબને વચ્ચે બેસાડી ભમ્મરિયા ગીત ગાયું. વિદેશીઓ સાથે યુવાનોએ ફોટા પડાવ્યા ને ગરબા તો ખરા જ. ત્યાં જ કામ કરતા અભ્યાસી  દલપતભાઈ દાણીધારિયાને બધા મળ્યા. એમણે ટૂંકમાં કચ્છના રજવાડાનો ઇતિહાસ સમજાવ્યો. ફરી એ જ ગલીઓમાં ભમતાં ભમતાં મા આશાપુરાના દર્શન કરી બસ તરફ આગળ ચાલ્યા. બધાની ચાલ ધીમી પડી ગયેલી. ભૂખનું સામ્રાજ્ય વધી રહ્યું હતું. અમે તરત એક મસ્ત મજાની જગ્યાએ ભરપેટ ભોજન લીધું ને ચાલ્યા અમારા બીજા આઈકોનીક પ્લેસ સ્મૃતિવન ભણી ..

ભુજ માધાપર હાઈવે પર ભુજિયા ડુંગર પર વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલા કચ્છવાસીઓની પુનિત યાદમાં સરકાર તરફથી આ સ્મૃતિવન બન્યું છે. બહુ જ વિશાળ પરિસર. ભવ્ય અને અત્યાધુનિક ઈમારત જોઈને જ આંખમાં ઘર કરી જાય એવી. ટિકિટ લઈ અમે અંદર પ્રવેશ્યા. ગરમીથી બચવા અહીં અમે બપોરનો સમય પસંદ કરેલો. એક પછી બીજા ગ્રુપને જવાનું હોઈ અમે ત્યાં આવેલા પુસ્તક વેંચાણ કેન્દ્રની મુલાકાત લીધી ને ગમતાં પુસ્તક, ધૂપ આદિ ખરીદ્યું. એક પછી એક એમ જુદા જુદા અગિયાર જેટલા પ્રદર્શન હોલમાં જુદી જુદી રીતે ભૂકંપ અને અન્ય કુદરતી આપદાની વાત વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી છે. કુદરતના ચક્રમાં આવતા પરિવર્તનની વાત અત્યાધુનિક સાધનોની મદદથી પ્રતીતિકર રીતે સમજાવવામાં આવી છે. ઓરડે ઓરડે બદલતા ગાઈડ ને ઓડિયો વીડિયો દ્વારા થતી પ્રસ્તુતિથી વધારે અસરકારક રીતે આખી વાત ઉપસી છે. ભૂકંપ અને પછીના પુનર્વસનની તાદૃશ કથા જોવાની અનુભૂતિ અહીં થાય છે ને કચ્છની તાસીર પણ પરખાય છે. છેલ્લે તો ભૂકંપની અનુભૂતિ કરાવતી ક્ષણો ખરેખર જ અવિસ્મરણીય રહી. અંતે સદ્દગત સૌને ભાવાંજલિ આપી અમે નીચે ઉતર્યા. આ યાત્રામાં વિજયભાઈ ઝાટિયા ને દેવેન્દ્રસિંહ પણ ભળેલા. નીચે રાહુલસાહેબ અમારી રાહ જોઈ રહ્યા હતા. સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો હતો. કેસરિયાળા સૂરજની સાંખે ચોકીદાર ભાઈની રજા લઈને અમે બસની ટેપ વગાડી ગરબા રમી લીધા. હવે ઘરે પાછા ફરવાનું હતું. બસમાં ત્રણેક કલાકનો સથવારો હતો. બે દિવસની ધમાલ પછી પણ ઉત્સાહ મંદ ન્હોતો પડ્યો. એક જગ્યાએ ચા નાસ્તો કરવા ઊભા રહ્યા બાકી ટેપમાં વાગતાં ધમાકેદાર ગીતો પર સૌ નાચતા રહ્યા. ધીરે ધીરે અંધારા ઉતરતા ગયા ને અમે ગંતવ્ય ભણી સરકતા ગયા. છેલ્લે સરકારનો, આચાર્ય રાવલસાહેબનો, કૉઓર્ડીનેટર સંજયભાઈ ચાવડા ને ગીગાભાઈ ભમ્મરસાહેબનો જય બોલાવીને અમે રાપર પહોંચ્યા. વિદ્યાર્થીની સાથોસાથ અમારા સૌ માટે પણ આ પ્રવાસ અનેક રીતે અનોખો બની રહ્યો.

નાનીખાખરમાં ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે રખડપટ્ટી, પ્રવાસ અને યાત્રા વચ્ચેનો ભેદ સમજાવી પૂછેલું કે, તમે જે કર્યું એને શું કહેવાય રખડપટ્ટી, પ્રવાસ કે યાત્રા ?’ જવાબ તમે આપજો …

સૌજન્ય રમજાન હસણિયાની ફેઇસબુક દીવાલેથી સાદર

Loading

દીપોત્સવ અને નૂતન વર્ષ : હર્ષ કે સંઘર્ષ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 November 2024

રવીન્દ્ર પારેખ

સૌ પ્રથમ તો દિવાળી અને નૂતન વર્ષનાં સૌને અઢળક અભિનંદનો. આવનારું વર્ષ સૌને શાંતિ અર્પે તેવી શુભેચ્છાઓ, કારણ બધું છતાં, મનની શાંતિ નથી, તે સૌ કોઈ અનુભવે છે. અભિનંદનો ને શુભેચ્છાઓમાં કેટલી સચ્ચાઈ છે તે પણ આપણે જાણીએ છીએ. કેટલું બધું કહેવા ખાતર કહીએ છીએ ને કરવા ખાતર કરીએ છીએ. એમાં આપણે નથી. હકીકત એ છે કે હવે શબ્દોનું ઉધાર ઉછીનું જ આપણને ખપે છે. સામેવાળાને આપણે ઉત્તમ મેસેજ મોકલીએ છીએ, પણ તે આપણો નથી. આપણે તો ઘણુંખરું ફોરવર્ડ જ કરીએ છીએ. એ આપણી લાગણી નથી, બીજાની, બીજાને મોકલીએ છીએ. આપણું ઘણું બધું નકલી છે ને એ અસલી હોય તેમ માનીએ છીએ. આટલી સગવડો, આટલી ટેકનોલોજી પછી આપણે વધુ ક્રિએટિવ બનવા જોઈતા હતા, પણ વધુ પરોપજીવી બન્યા હોઈએ એવું લાગે છે. એવું નથી કે બધું જ નબળું કે ખરાબ છે. સારું પણ છે જ !

વડા પ્રધાન પ્રોજેક્ટ્સ પર પ્રોજેક્ટ્સ અર્પણ કરતા જ રહે છે. 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ અપાય એ નાની વાત નથી. બેટી પઢાઓ, બેટી બચાઓ-નું સૂત્ર પોકારાતું રહે છે, 70+ વૃદ્ધોને આયુષ્યમાન યોજનાનો લાભ આપવો શરૂ થઈ રહ્યો છે, પણ ઉચાટ અને બફાટ ઘટતા નથી. રાજકીય પક્ષોને સત્તા સિવાય બીજી કોઈ પ્રાયોરિટી નથી. પક્ષોમાં આંતરિક અશાંતિ જનહિતને છેલ્લે પણ ન રહેવા દે એ સ્થિતિ છે.

એ ખરું કે સમયમાં પાછળ જોઈ શકાય છે, પણ જઈ શકાતું નથી, છતાં પાછળ જોવાનું ગમે છે. મહોલ્લાઓની જુદી જ રોનક દિવાળીમાં હતી. રંગોળી ત્યારે રસ્તા પર, ઓટલા પર, રૂમમાં થતી. રૂમ ભરાઈ જાય એટલો મોટો સાથિયો કરોઠી ને રંગોથી થતો. રંગોળી સ્પર્ધાઓ થતી. ઇનામો મળતાં. હવે તૈયાર સ્ટિકર્સ જ રંગોળીની ગરજ સારે છે. ઘરની સામગ્રી બેકરીમાં આપીને નાનખટાઈ પડાવવાનો ને માથે નાનખટાઈનો ડબ્બો મૂકી ઘરે આવવાનો રોમાંચ હવે આઉટડેટેડ થઈ ગયો છે. આમ તો ઘરની બહાર લાઇટ ભાગ્યે જ થતી, પણ દિવાળી વખતે રંગીન રોશની બહાર કઢાતી. મહોલ્લાઓ સાથિયા જોવા બહાર પડતા. મોડી રાત સુધી શેરીઓ ઝગમગતી રહેતી. હવે તૈયાર ઇલેક્ટ્રિક તોરણોથી ઘર ઝગમગે છે. ઘારી-ઘૂઘરા-થાપડા ઘરોમાં બનતાં. તળાતી ઘારીની મીઠાશથી નાક ગળ્યું થઈ જતું. હવે શોપિંગ મોલ એ બધું પૂરું પાડે છે. ખાવાનું હોટેલોમાં થયું એટલે ઘણાં રસોડાં ટાઢાં પડી ગયાં છે. કલાકો પછી હોટેલોમાં નંબર લાગે છે ને ઢોસા-પિઝા-પંજાબી-કોન્ટિનેન્ટલ ઝાપટીને ઘરો ફરી મોબાઇલમાં વ્યસ્ત થઈ જાય છે.

કોણ જાણે કેમ પણ કારણ વગર બિઝી રહેવાની એટલી સ્પર્ધાઓ આપણે ઊભી કરી છે કે વ્યસ્તતા જ સહજતા હોય એમ લાગે. કામ કૈં નથી, પણ વ્યસ્ત બધાં જ છે, એ જાણવું હોય તો મોબાઈલની પ્રવૃત્તિઓ ચકાસી લેવા જેવી છે. મેસેજમાં પ્રગટેલા દીવાઓ અજવાળું નથી આપતા, તો ય ફોરવર્ડ કરતાં રહીએ છીએ. આપણે પ્રાસંગિક થઈ ગયા છીએ. ઉત્સાહ-ઉમંગ હોય, એમાં જીવ હોય તો આપણો અભાવ પણ સામેવાળાને પહોંચશે ને એવું નહીં હોય તો બધું પહોંચાડવા છતાં આપણો કોઈ ભાવ સામે નહીં પહોંચે તે નક્કી છે. આપણે કોઈને હોલવાયેલા દીવા મોકલીએ છીએ? નથી મોકલતા. કારણ, અજવાળું પહોંચે, અંધકાર પહોંચાડી શકાતો નથી. તે તો ઈશ્વરની જેમ અપ્રગટ જ રહે છે. સાચું એ છે કે આપણે દીવા પ્રગટ કરીને અંધકાર ઢાંકતા રહીએ છીએ.

ભગવાન રામચંદ્ર અયોધ્યામાં બાળ સ્વરૂપે બિરાજ્યા એનો પહેલો દીપોત્સવ આનંદદાયી જ હોય, પણ એનું સૌમ્ય તેજ આપણને કેમ નથી સ્પર્શતું તેનું આશ્ચર્ય છે. ભગવાન કદી લાખો દીવડાના તેજે ન ઓળખાય. એમનું પોતાનું તેજ ઓછું છે કે 25 લાખ દીવડાના તેજમાં ઓળખાવવા પડે? પણ આપણને ભક્તિ કરતાં રેકોર્ડ કરવામાં રસ વધારે છે. મીડિયા પણ 25 લાખ દીવા કે 28 લાખ દીવામાં અટવાય છે. દીવા પ્રગટવાથી રેકોર્ડ થતો હોય તેનો તો શો વાંધો હોય, પણ રેકોર્ડ માટેના દીવાથી ભગવાન પ્રસન્ન થાય એવું લાગે છે?

અગ્નિની શોધ થઈ ને દીવા-આરતી પ્રગટાવવાનું મુહૂર્ત નીકળ્યું, પણ અગ્નિ ઉજાળે છે, તેમ બાળે પણ છે. અગ્નિ વગર પણ અજવાળું તો હતું જ. રાત્રિના સઘન અંધકારમાં પણ માણસ સાવ અંધારામાં નથી રહ્યો. ચંદ્ર, તારાઓએ પણ મનુષ્યને ઠંડું તેજ આપ્યું જ છે. સમય જતાં આપણને તીવ્ર અજવાળાંનો લોભ જાગ્યો. ઇલેક્ટ્રિસિટીએ આપણા એ અભરખા પણ પૂરા કર્યા. આજે તો રોશની પાછળ આપણે બેફામ ખર્ચ કરીએ છીએ. લગ્નો, ઉત્સવોમાં એટલી વીજળી આપણે ખર્ચીએ છીએ કે છેવટે અંધારું જ હાથમાં આવે છે. એ અંધકાર કેટલો કીમતી છે તે આપણી ઊંઘ નક્કી કરી આપે છે. એવું ન હોત તો ઊંઘવા માટે ઘરોએ બત્તી બંધ કરી ન હોત !

આજે તો ઘણાં પૂજા અને અનુષ્ઠાનોમાં વ્યસ્ત હશે, ત્યારે થોડું આપણે વિષે પણ વિચારીએ. બન્યું છે એવું કે હવે આપણે વિષે માધ્યમો વિચારે છે ને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. શું પહેરવું, શું ખાવું, શું ન ખાવું, કયો ઉપવાસ કરવો કે કોની માળા ફેરવવી કે કયા પ્રવાસે જવું, જેવું ઘણું મીડિયા નક્કી કરી આપે છે. ક્યારેક તો આપણું પૂરું કરતાં હોય તેમ માધ્યમો ધમકાવતાં પણ રહે છે – પૂજા કેમ કરવી તે જાણી લો, આમ નહીં કરો તો તેમ થશે, અમુક તો ખવાય જ નહીં – જેવું મીડિયા બોલતું જ રહે છે. એમાં ચિંતા કરતાં ચેતવણી વધારે છે. આપણે બદલે હવે AI જીવવાનું હોય તેમ તેની સૂચનાઓ સર્વોપરી થવા લાગી છે. AI ઉપયોગી છે, એની ના નથી, પણ માણસને બાજુ પર મૂકીને, AIનું વર્ચસ્વ સ્વીકારવાનું જરૂરી કેટલું તે વિચારવાનું રહે. કોઈ પણ ટેકનોલોજી માણસની મદદમાં હોય, માણસ ટેકનોલોજીની મદદમાં હોય તો તેનો અર્થ ખરો? છતાં, ટેકનોલોજી સાથે પાનાં પાડવાનું પણ માણસે શીખી લેવાનું રહે. બધું જ માણસ જાતની ભલાઈ માટે છે, પણ માણસ જ તેનો કેવી રીતે ગેરલાભ લેવો તે બરાબર જાણે છે.

એ ટેકનોલોજીના દુરુપયોગનું જ પરિણામ છે કે ડિજિટલ ઇન્ડિયામાં ઓનલાઈન એરેસ્ટથી એક વર્ગ ભયંકર રીતે ત્રસ્ત છે. 10 મહિનામાં ડિજિટલ આતંકની 6 હજાર ફરિયાદ મળી છે. ફરિયાદો થાય છે, કેસ ચાલે છે, સજા થાય છે, પણ ગેંગ રેપ, દુષ્કર્મ, છેડતીનો છેડો આવતો નથી. સ્ત્રી સશક્તીકરણ અપવાદ રૂપે થતું હશે, પણ પરિણામો અનેક પ્રકારનાં શોષણમાં આવે છે. લગ્નેતર સંબંધો વધ્યા છે ને તેમાં ય વાત હત્યા, આત્મહત્યા સુધી પહોંચી છે.

અણુની શોધ માણસ જાતનાં હિતમાં થઈ, પણ અણુબોમ્બ તેનાં અહિત માટે પણ વપરાયો. આપણે બબ્બે વિશ્વયુદ્ધો જોયાં, વેઠ્યાં છે. એટલું ઓછું હોય તેમ વિશ્વ, યુદ્ધથી હજી પરવારતું નથી. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ઈરાન સામસામે આવી ગયાં છે. યુદ્ધથી કોઈનું કલ્યાણ નથી, પણ યુદ્ધમાં જ કલ્યાણ હોવાનું યુદ્ધખોર દેશો માની રહ્યા છે. અહીં અજવાળું છે, તે દિવાળીનું નથી, હોળીનું છે. અહીં ઊઠતા ભડકા શસ્ત્રોના છે, આક્રમણના છે.

આમ તો બે દેશો વચ્ચે ચાલતું યુદ્ધ બંને દેશોની પ્રજા વચ્ચેનું પણ છે, પણ મોટે ભાગની પ્રજા યુદ્ધનાં પરિણામોથી બેખબર હોય છે. ખરેખર તો બે દેશના નેતાઓની મહત્ત્વાકાંક્ષા યુદ્ધને નિમંત્રણ આપે છે ને બંને દેશ એકબીજાના શત્રુ થઈને લડે છે. કોઈ એક દેશ કદાચ જીતે તો પણ, થોડું થોડું હારે તો છે – બંને દેશો. જીતે તે દેશના સૈનિકો પણ મરે છે. એ એવા જીવો છે જે કદી ફરી એ વેશે ધરતી પર આવતા નથી. હવેનાં યુદ્ધની વિશેષતા એ છે કે તેમાં માત્ર સૈનિકો જ નથી મરતા, નાગરિકો પણ ભડકો થઈ જાય છે. બંને દેશના નાગરિકો કોઈ વાંક વગર ભડકો થતા રહે છે ને પારાવાર પીડા તો એ બાળકો માટે થાય છે, જેને ખબર જ નથી, યુદ્ધ શું છે ને કોણ કોની સામે લડે છે? પોતે, પોતાની જાણ બહાર કોનો શત્રુ થઈ ઊઠે છે, એની કશી જ સમજ વગર બાળકો લાશ થઈ જાય છે. જેણે જીવન શરૂ પણ કર્યું નથી તેને મોતનો એવો પરિચય મળી જાય છે કે બીજા કશાનો કોઈ પરિચય પછી રહેતો નથી. આ બધું કોની મહત્ત્વાકાંક્ષા સંતોષવા થાય છે, એની પણ એ કુમળા જીવોને ખબર હોતી નથી. ખરેખર તો કોઈ દેશને યુદ્ધ પરવડવું જ ન જોઈએ, પણ આદમખોર સત્તાધીશો હજારો જીવોને પોતાની ઈચ્છા પર બલિ ચડાવે છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલતું નથી, પણ સીધો સામનો કરવાની તાકાત નથી એવું પાકિસ્તાન, આતંકી હુમલાઓ વડે ભારતના સૈનિકોનો ભોગ લેતું રહે ને સરકાર લાચારીથી જોઈ રહે એ પણ કેવું? આ સૈનિકો પણ ભારતના જ નાગરિકો છે. તેમને આતંકવાદીઓ, જીવનની પરેજી પળાવે એ કોઈ રીતે ચલાવી ન શકાય. ચીન સાથે વાત સુલેહ પર આવી છે, તે ખરું, પણ વો દિન કહાં કિ …

આવી સ્થિતિમાં થોડો પણ આનંદ ક્યાંક મળે તો તેની રાહ જોવાની રહે, કારણ સુખ તો મળે, મુશ્કેલી જ આનંદની છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 નવેમ્બર 2024

Loading

दो में से क्या तुम्हें चाहिए मोहब्बत, या खौफ और नफरत

राम पुनियानी|Opinion - Opinion|1 November 2024

राम पुनियानी

भारत के औपनिवेशिक विरोधी संघर्ष के दौरान कई तरह के सकारात्मक सामाजिक बदलाव आए. इनमें से एक था ‘हिन्दू-मुस्लिम एकता’ और सभी धर्मों के लोगों की भारतीय के रूप में एक समग्र पहचान का उदय. औपनिवेशिकता-विरोधी राष्ट्रवादी विचारधारा ने इसे प्रोत्साहित किया और इसके सर्वोत्तम प्रतीक थे महात्मा गांधी, जिन्होंने इसकी खातिर अपने खुले सीने पर तीन गोलियों का वार झेला. उन्होंने लिखा था, “हमें केवल समझौता नहीं चाहिए, हमें चाहिए दिलों का मेल जो इस असंदिग्ध  सोच पर आधारित हो कि भारत के हिन्दुओं और मुसलमानों के बीच अटूट एकता के बिना स्वराज कभी न हासिल हो सकने वाला एक सपना बना रहेगा. हिन्दुओं और मुसलमानों में केवल युद्धविराम से काम चलने वाला नहीं है. दोनों के बीच शांति, पस्रासपर भय पर आधारित नहीं होनी चाहिए. यह एक बराबर लोगों के बीच भागीदारी होनी चाहिए, जिसमें दोनों एक दूसरे के धर्मों का सम्मान करें.”

इसके ठीक विपरीत, धर्म के मुखौटा पहने राष्ट्रवादी होने का दावा करने वाली शक्तियां न केवल उपनिवेश विरोधी संघर्ष में शामिल नहीं हुईं वरन् उन्होंने घृणा और विभाजन के बीज बोए और उन्हें खाद-पानी दिया. आरएसएस के द्वितीय सरसंघचालक गोलवलकर ने लिखा, “जर्मन नस्ल का गौरव आजकल चर्चा का विषय है. अपनी नस्ल की शुद्धता और संस्कृति कायम रखने के लिए जर्मनी ने दुनिया को चौंकाते हुए देश से यहूदियों का सफाया कर दिया. यहां अपनी नस्ल का आत्मगौरव की सर्वोच्च भावना प्रदर्शित की गई. जर्मनी ने हमें यह भी दिखाया कि कैसे मूलभूत मतभेदों वाली नस्लों और संस्कृतियों का मिलन लगभग असंभव होता है, यह हिंदुस्तान के लिए एक समझने वाली और इससे लाभान्वित होने वाली बात है” (व्ही, ऑर अवर नेशनहुड डिफाइंड, भारत पब्लिकेशन, नागपुर,1939). इसी सोच के चलते आरएसएस ने भारत में मुसलमानों और ईसाईयों के विरूद्ध घृणा फैलाने का अभियान चलाया.

यह अभियान कई दशकों तक अधिक जोर नहीं पकड़ सका लेकिन वर्तमान समय में यह आम सामाजिक सोच का अहम् हिस्सा  बनकर उभरा है, जिसके नतीजे में मुस्लिम-विरोधी हिंसा, उन्हें डराने,उनकी लिंचिंग करने और कई अन्य तरीकों से उन्हें सताने और नुकसान पहुंचाने का अंतहीन सिलसिला जारी है. इसके चलते समाज में वे अलग-थलग होकर सीमित दायरों में सिमट गए हैं और उनके दूसरे दर्जे का नागरिक बन जाने के हालात उत्पन्न हो गए हैं. यह प्रक्रिया अभी भी जारी है और भाजपा-आरएसएस के कई नेता नए-नए तरीक खोज कर घृणा को और गहरा करने में जुटे हुए हैं. वे जुबान पर आसानी से चढ़ने वाले नारों का इस्तेमाल कर मुसलमानों का दानवीकरण कर रहे हैं. “उन्हें उनके कपड़ों से पहचाना जा सकता है, श्मशान-कब्रिस्तान और विभिन्न प्रकार के जिहादों की बात –  वोट जिहाद जिनमें सबसे ताजा है – आदि-आदि के एक लंबी सूची है. ऊपर से उसके दो शीर्षस्थ नेताओं ने वर्तमान दौर में इस प्रक्रिया को शिखर पर पहुंचा दिया है.

इनमें से एक हैं गिरिराज सिंह, जो नफरत फैलाने वाले गिरोह के प्रमुख नेताओं में से एक हैं. हाल में उन्होंने कहा, “यदि एक मुस्लिम/घुसपैठिया तुम्हें एक तमाचा मारे, तो सबको मिलकर उसे 100 तमाचे मारने चाहिए…घर में एक तलवार, एक भाला और एक त्रिशूल रखो, उसकी पूजा करो, और यदि कोई आए, तो उससे अपनी रक्षा के लिए इनका इस्तेमाल करो….”

प्रसंगवश हमें राष्ट्रपिता याद आते हैं, जिन्होंने कहा था कि यदि कोई तुम्हें एक गाल पर तमाचा मारे तो तुम दूसरा गाल सामने कर दो. मैत्री और प्रेम गांधीजी की भारतीय राष्ट्रवाद की विचारधारा के दो अहम् भाग थे लेकिन हिंदू राष्ट्रवाद हिंसा और नफरत भड़काकर इसके ठीक विपरीत दिशा में काम कर रहा है. मैत्री में कमी और नफरत में बढ़ोत्तरी की यह प्रक्रिया साम्प्रदायिक राष्ट्रवाद की राजनीति के समानांतर चलती रही है, विशेषकर बाबरी मस्जिद के ढहाए जाने और उसके बाद चलाए गए कई विभाजक अभियानों के दौरान. केन्द्र में भाजपा के सत्ता में आने के बाद से आरएसएस से जुड़े विभिन्न संगठनों और विभाजक राष्ट्रवाद के मैदानी कार्यकताओं को यह लगने लगा कि वे बिना किसी डर के मनमानी कर सकते हैं.

लगभग इसी समय समाज को विभाजित करने वाले एक और नेता योगी आदित्यनाथ, जो बुलडोजर (अ)न्याय के प्रणेता हैं, ने भी ‘बटेंगे तो कटेंगे’ का नारा बुलंद किया है जिसका अर्थ है कि यदि हिंदू बंटे तो उनका कत्लेआम कर दिया जाएगा. इस नारे के कई आयाम हैं और हिंदू राष्ट्रवाद के शीर्षस्थ संगठन ने इसे अनुमोदित कर दिया है. “राष्ट्रीय स्वयंसेवक संघ ने शनिवार (26 अक्टूबर, 2024) को उत्तरप्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ की विवादस्पद टिप्पणी – “बटेंगे तो कटेंगे” जिसके जरिए उन्होंने दावा किया कि यदि हिंदू बंटे तो मारे जाएंगे,  का समर्थन कर दिया. आरएसएस के महासचिव दत्तात्रेय होसबोले ने कहा कि हिंदुओं की एकता का आव्हान करने वाला यह नारा हमेशा से संघ का संकल्प रहा है.”

इसके कई पहलू हैं. पहला यह कि आरएसएस के रणनीतिकार यह मानते हैं कि पिछले लोकसभा चुनाव में भाजपा के कमजोर प्रदर्शन की वजह यह थी कि दलित मतदाताओें का झुकाव इंडिया गठबंधन की ओर हो गया था जो सामाजिक न्याय की अवधारणा के पक्ष में दृढ़ता से खड़ा था और जिसने जाति आधारित जनगणना का समर्थन किया था. लेकिन यदि दलित और अन्य पिछड़े वर्ग इंडिया गठबंधन के साथ हो लेते हैं तो हिंदुओं का कत्लेआम किसके द्वारा किया जाएगा? इस नारे के अनुसार ऐसा मुसलमान करेंगे. लेकिन, इसके विपरीत पिछले 75 सालों से तो उन्हें उनके हाल पर छोड़ दिया गया है. संघ परिवार यहां 2024 में हुए जनांदोलन के बाद बांग्लादेश में हुई हिंदुओं की दुदर्शा का अप्रासंगिक मुद्दा भी उठा सकता है. पाकिस्तान तो हिंदुओं की दुर्दशा का ढोल पीटने के लिए हमेशा  से एक सदाबहार उदाहरण रहा ही है.

सभी भारतीयों का एक होना स्वतंत्रता आंदोलन का मुख्य बिंदु था. उपनिवेश विरोधी संघर्ष में भारतीयता हमारी एकता का प्रमुख आधार थी जो हमारे संविधान में भी प्रतिबिंबित होता है. 20वीं सदी के महानतम हिंदू, गांधी ने कभी हिंदुओं की एकता की बात नहीं कही. न ही मौलाना आजाद और खान अब्दुल गफ्फार खान ने कभी मुसलमानों की एकता का आव्हान किया.

भाजपा को ‘कतार में सबसे पीछे खड़े व्यक्ति’ के भले की कोई चिंता नहीं है. उसकी विचारधारा, क्रियाकलाप और बातें सभी एकताबद्ध भारत के विपरीत हैं. वह राहुल गांधी (आरजी) की ‘मोहब्बत की दुकान’ वाली बात का मखौल बनाती है और राहुल गांधी के आरएसएस के नेताओं से मुलाकात न करने पर सवाल उठाती है. पलटकर यह सवाल किया जा सकता है कि आरएसएस क्यों आरजी से मिलना चाहती है? आरएसएस जानता है कि उसकी राजनीति नफरत (मुसलमानों, ईसाईयों और हिंदू राष्ट्रवाद के विरोधियों के प्रति) पर आधारित है, वहीं आरजी भारत के प्रेम और मैत्री के राष्ट्रीय चरित्र में प्राण फूंकने का प्रयास कर रहे हैं, जिन पर हमारे संविधान में जोर दिया गया है. आखिर राहुल गांधी की उन विचारकों से मुलाकात करने में दिलचस्पी क्यों होगी जिनके विचारों के खिलाफ वे अपनी आवाज बुलंद कर रहे हैं?

यदि आरएसएस चाहता है कि राहुल गांधी उनसे मिलें, तो उसे अपनी विभाजक विचारधारा में आमूल बदलाव करना पड़ेगा और भारतीय संविधान के मूल्यों को अपनाना पड़ेगा, जिसके केन्द्रीय मूल्य हैं भारतीय के रूप में हमारी आपसी एकता और धर्म की सीमाओं के परे आपसी भाईचारा. ठीक इसी वजह से गांधी के शिष्य नेहरू ने कभी आरएसएस को तरजीह नहीं दी. इसी वजह से इंदिरा गांधी ने आरएसएस प्रमुख बालासाहब देवरस के मुलाकात के अनुरोध को अस्वीकार कर दिया था. आरएसएस का चरित्र ऐसा है कि वह अपने राजनीतिक विरोधियों के माध्यम से भी वैधता हासिल करना चाहता है.

30 अक्टूबर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...369370371372...380390400...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved