Opinion Magazine
Number of visits: 9691583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિષ્ફળતા પચાવવાનું ભણતર

હિમાંશી શેલત|Opinion - Opinion|18 December 2015

માબાપને સતત સરખામણી કરવાની કુટેવ હોય છે. બાળકો મોટે ભોગે એમના અહંકારનું વિસ્તરણ બની જાય છે.

આઠમા કે નવમા ધોરણમાં ભણતો કોઈ વિદ્યાર્થી ફાંસો ખાઈ મોતને વળગે ત્યારે આપણે સફળતાના જે માપદંડો સ્વીકારી લીધા છે એ અંગે નવેસરથી વિચારવું જોઈએ. ખાસ તો એટલા માટે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. છેલ્લા એક વર્ષમાં આવા અનેક બનાવો નોંધાયા છે જેમાં કાચી વયના કોઈ વિદ્યાર્થીએ અથવા કોલેજમાં ભણતાં કોઈકે આપઘાત કર્યો હોય. જે સમાજમાં ભણતરનો આરંભ હજી હમણાં થયો છે એવાં ગામડાંમાં પણ વિદ્યાર્થીઓએ મોત વહાલું કર્યું હોય એવાં બનાવો અખબારે ચડ્યા છે. ખરેખરો પડકાર આવે એ પહેલાં જ મેદાન છોડી દેવાની આ વૃત્તિ ખતરનાક છે, ખાસ તો એટલા માટે કે જેને સમાજ કે શાળા ‘નિષ્ફળતા’ માને છે એને સમજપૂર્વક સ્વીકારી લેવાની તાલીમ આ બાળકોને મળી જ નથી.

આપણા ભણતરમાં કેટલાક મુદ્દાઓ સ્પર્શવામાં નથી આવતા અને એમાંનો એક તે સફળતા વિનાનું, કે નોંધપાત્ર સિદ્ધિ વિનાનું જીવન પણ ઉત્તમ હોઈ શકે એનો હકીકત લેખે સ્વીકાર અને મહિમા. ટોચ પર રહેવાના કે ઝળહળતા રહેવાના વાહિયાત ખ્યાલોને એ રીતે બહલાવવામાં આવ્યા છે કે સહુને છવાઈ જવાની મહત્ત્વાકાંક્ષા પજવતી રહે છે. કોચિંગ-ક્લાસ હોય કે સ્કૂલ, આગલી હરોળનાં વિદ્યાર્થીઓના ફોટા અને નામ, જ્ઞાતિ સંસ્થાઓના કાર્યક્રમોમાં મળતાં સન્માન અને સ્કોલરશિપ, પરિવારમાં લેવાતી નોંધ અને મળતી ભેટસોગાદ – આ બધું જ નિષ્ફળતાને વરેલાં કાચી ઉંમરનાં છોકરાંઓને પચાવવાનું ફાવતું નથી. એ સતત સરખામણી કરતાં રહે છે. કારણ કે એમને સરખામણીની તાલીમ જ મળી છે. પરીક્ષામાં ઓછા ટકા આવ્યા તેથી પોતે કોઈ મહાઅપરાધ કર્યો હોય, મા બાપને હતાશ કરવાનું પાતક વહોરી લીધું હોય, એમની કાળજીનો દુરુપયોગ કર્યો હોય, જીવન બદલાઈ ગયું હોય એવી લાગણીથી પીડાતી ઊગતી પેઢીનો એકાદ સભ્ય આત્મહત્યા કરી લે, તે ભયાનક છે. સમાજ અને શિક્ષણ પદ્ધતિ માટે એણે આપેલો આ ચુકાદો ગંભીરતાથી લેવાવો જોઈએ. એમની હતાશા માટે અને એમણે ભરેલાં આત્યંતિક પગલાં માટે આપણે ઊભા કરેલા આભાસી માપદંડો જવાબદાર છે, અને એટલો દોષ આપણે માથે ય ખરો.

કેવા છે આ સફળતાના વિષયક આભાસી માપદંડ? એક સમજદાર, સંવેદનશીલ અને ઉત્તમ નાગરિક બનવા માટે કેટલા ટકા માર્ક જોઈએ? છે કોઈ માપદંડ કે ગાઇડલાઇન? એક ડોક્ટર, એક ઇજનેર કે એક સી.એ. થવા માટે આટલા કે તેટલા ટકા ઓછામાં ઓછા જોઈએ એમ કહી શકાશે, પણ એક માનવતાવાદી ડોક્ટર, એક પ્રામાણિક ઇજનેર કે સી.એ. થવા માટે કેટલા ટકા જરૂરી, છે કોઈ નિયમ? પરીક્ષાનાં પરિણામોને આધારે સમાજનો વિકાસ થતો હોત અને એની તંદુરસ્તી જળવાતી હોત તો આજે ચિત્ર ઘણું અલગ હોત. સારા અને સાચા માણસ થવા માટે એંસી કે નેવું ટકા ખપમાં આવે જ આવે, એમ માનવા જેટલાં કાચાં આપણે નથી. જીવનની વિશાળતા અને એનું વૈવિધ્ય અભ્યાસક્રમથી મપાતું નથી, અને પમાતુંયે નથી.

ભણવામાં સાવ સામાન્ય રહેલો વિદ્યાર્થી પણ કોઈ બાબતમાં, કોઈ અભિગમમાં, કોઈ લાગણીમાં જુદો અને અસામાન્ય હોઈ શકે. એની વિશેષતા એણે પ્રાપ્ત કરેલા માર્ક દ્વારા પ્રગટ નથી થવાની. એ પરગજુ હોઈ શકે, એ અત્યંત સંવેદનશીલ હોઈ શકે, એ ફરજપરસ્ત હોઈ શકે, એ સાચાબોલો હોઈ શકે, એની પાસે બીજું ઘણું એવુંયે હોય જે એંસી કે નેવુ ટકાવાળાંઓ પાસે ન હોય, તો એને ભાગે લઘુતાગ્રંથિથી પીડાવું પડે એવી સ્થિતિ કેમ? ઝળહળતી ફતેહ મળે તો જ ભણ્યાં કહેવાઈએ, ટોચની સંસ્થાઓમાં દાખલ થવા જેટલા માર્ક આવે તો જ જીવન લેખે લાગે, જે કામ કરીએ એમાં ટંકશાળ પાડીએ એનું નામ સફળતા — ઈત્યાદિની ભચડાકચડીમાં શ્રેષ્ઠ હૃદયદ્રવ્ય ધરાવતાં કેટલાંયે વિદ્યાર્થીઓ ગુંગળાઈ જતાં હશે! દોડમાં પાછળ રહી ગયાંની પીડા એમનો પીછો છોડવાની નહીં, કારણ કે એવું વાતાવરણ તો સમાજે એમને આપ્યું જ નથી!

પરીક્ષા દરમિયાન અને તે પછી ભણનારાંઓનું માનસિક સંતુલન જળવાઈ રહે, એમને નકારાત્મક વિચારો ન આવે એ માટે વિવિધ પ્રકારનાં કેન્દ્રો સહાય માટે સ્થપાયાં છે. છતાં એક ખાસ પહેલ શિક્ષણ-સંસ્થાઓએ કરવા જેવી છે. વ્યક્તિત્ત્વવિકાસ એટલે કેવળ પરીક્ષાના ગુણાંક નહીં, સફળતા એટલે પંચાણુ ટકા મેળવી ઈચ્છેલી વિદ્યાશાખામાં પ્રવેશ એટલું જ નહીં, સફળતાનાં કેટલાક અણદીઠા અને સાવ નવાં પરિણામોયે હોય છે, જેનો મહિમા હજુ સુધી નથી થયો. નિષ્ફળ હોવાની શરમ શા માટે? પાછળ રહી જવું, સ્પર્ધા ટાળવી, સામાન્ય કક્ષાના રહેવું, ઝળહળવાના ચીલાચાલુ અર્થોને ફગાવી દેવા, અને પોતાની જે કંઈ વિશેષતા કે વિકસાવવા જેવી લાક્ષણિકતા હોય તેના પર ધ્યાન આપી જીવતરને સ્વચ્છ અને ઉપયોગી બનાવવું એ કેવડી મોટી વાત છે! એની યશગાથા શા માટે નહીં?

નિષ્ફળ હોવાની કે સામાન્ય રહી જવાની શરમ અને સંકોચ અનુભવતાં સહુને શોધીને એમના આત્મવિશ્વાસને મજબૂત બનાવવાનું કામ શાળા અને શિક્ષકો જેટલું સારી રીતે કરી શકે, તેટલું માબાપથી નહીં થાય. માબાપને સતત સરખામણી કર્યા કરવાની કુટેવ હોય છે, જે  સહેલાઈથી છૂટતી નથી. બાળકો મોટેભોગે એમના અહંકારનું વિસ્તરણ બની જાય છે, અને પોતે જે ન કરી શક્યાં હોય એ બધું બાળકો કરી દેખાડે એવી અભિલાષા સેવવામાંથી એ બહાર નથી નીકળી શકતાં. એક એવી શાળા સંસ્થાની કલ્પના કરીએ, જ્યાં ભણનારાં કોઈને સફળતાનો નશો નથી, અને નિષ્ફળતાની શરમ નથી.

આ બંને શબ્દોના અર્થ અહીં ખાસ મહત્ત્વ રાખે છે. સફળ થનારાં અહીં પોતાના પરિશ્રમને સાનુકૂળ પ્રતિભાવ મળ્યો છે એમ સમજે છે, પણ એ કારણે અન્ય સહુ એમના કરતાં નીચલી પાયરીએ છે એવી સરખામણીમાં પડતાં નથી. જે કેવળ પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યાં છે, અને માત્ર પરિણામની દૃષ્ટિએ ધાર્યું નિશાન ચૂકી ગયાં છે, એ પણ વ્યક્તિ તરીકે સફળ થવાની તમામ શક્યતાઓ ધરાવે છે. એમનામાં ઉત્તમ માનવીય ગુણો હોવાની સંભાવના છે જે પરીક્ષાના પરિણામમાં ક્યારે ય જોઈ શકાશે નહીં. સતત સફળતાની અપેક્ષાનો અભિષેક બાળકને માથે થયા કરતો હોય ત્યારે સાવ નજીવી નિષ્ફળતા પણ એને વેરવિખેર કરી નાખે છે. જાતને પુરવાર કરવાના આગ્રહમાં અને અન્ય દબાણોમાં એ આમે ય તૂટી ગયો હોય છે, અને વધારામાં નિષ્ફળતાનો થપ્પો લાગી જાય તો એને છેવટના વિચારો આવવા માંડે છે. વળી મીડિયાને કારણે એને એવી અનેક ઘટનાઓની જાણ છે જેમાં એની જેવી સ્થિતિમાં મુકાયેલા, એની જ વયના કોઈ બાળકે આત્મહત્યા કરી લીધી હોય.

વિદ્યાર્થીઓમાં જે કોઈ આછીપાતળી શક્તિ કે સંભાવના હોય એને સંકોરવાનું કામ શાળાએ કરવાનું હોય, એને કાયમ સ્પર્ધામાં દોડવા માટે સિસોટી વગાડી વગાડીને સાવધાનની મુદ્રામાં રાખવાનું સહેજ પણ જરૂરી નથી. સફળતાની વ્યાખ્યા બદલવાની જરૂર છે. એક સારો, સહુને મદદરૂપ થવા ઈચ્છતો, પ્રામાણિક નાગરિક બધી રીતે નિષ્ફળ હોય તોયે એનું આગવું મૂલ્ય છે એની નોંધ લેવાવી જોઈએ. એના આત્મવિશ્વાસને પણ સાચવી લેવો જોઈએ. આવું થશે ત્યારે કોઈએ ‘સૉરી પાપા-મમ્મા, તમારી ઈચ્છા પ્રમાણે નથી ભણી શકાયું’ એવી ચિઠ્ઠી લખીને આપઘાત કરવો નહીં પડે.

સૌજન્ય : ‘અપેક્ષાનું ઝેર’, “દિવ્ય ભાસ્કર”,18 ડિસેમ્બર 2015

Loading

નેવુંમે વર્ષે

દીપક બારડોલીકર|Poetry|18 December 2015

એક કાવ્યનું નવ-સંસ્કરણ :


નેવુંમે વર્ષે                      • દીપક બારડોલીકર


નેવું થયાં
હા, નેવું થયાં છે.
અને
આ જીવનસેતુ તળેથી
વહી ગયાં છે પુષ્કળ પાણી.
ઊછળતાં પાણી
કાંઠા ફલંગતાં પાણી.


પાણી અખૂટ પદારથ
અનન્ય, અમૂલ પદારથ
‘પાણી જીવન
જીવન પાણી’
હું પણ પાણી, તું પણ પાણી
વેલી-વેલા, તરુવર પાણી
પાણીનો છે ખેલ આ દુનિયા
વન-વગડે ને ઘર ઘર પાણી
પાણીને મેં ચાહ્યાં છે
જાણ્યાં છે
માણ્યાં છે
પાણી નરદમ, હરદમ વહેણ
પાણી છે એક ગેબી કહેણ !


પાણી તો એક અદ્દભુત શક્તિ
પાણી મસ્તી
પાણી ભક્તિ
પાણી રંગ – સુગંધની છોળ
કલરવ ને કેકા તરબોળ
પાણી બાગ – બગીચા
મનમાં વસતા, રગ રગ ધસતા
મખમલિયા ગાલીચા
પાણી સૃષ્ટિનો શણગાર !
પાણી કણ કણનો આધાર !


પાણી મોતી
જાણે જ્યોતિ, અદ્દભુત દ્યૂતિ


પાણી અંદર, પાણી બાહર
પાણી સ્વર, શ્રુતિનો સંગમ
પાણી નિર્ઝર, પાણી સમદર
પાણીને ના પહોંચે કોઈ
પાણી સૌ પ્રશ્નોનો ઉત્તર !


પાણીને સહયોગે માણસ
બની જતો ઝળહળતું ફાનસ
ખેંચે અંધકારની ખાલ
ખોલે નવ્ય જગતનાં દ્વાર !
સાહસ એના ચરણને ચૂમે
સિદ્ધિ એની અપેક્ષા પૂછે


પાણીનો સહયોગ હતો કે
જીવનભર મેં કરી કવિતા
છલકાવી છે શબ્દસરિતા
ઊથલપાથલ પણ કરી મેં
સિંહો-શા સંજોગો સાથે બાથ ભરી મેં


ચઢ્યો તો હું પછડાયો પણ
ને લોહીમાં ખરડાયો પણ
તો ય, વળી કળ ને હું પાછો
સિંહની સામે સિંહ થયો છું
આકરી એવી ભીંસ થયો છું


પણ હવે તો થયાં છે નેવું
અને કહ્યું છે કોકે એવું
કે ચઢે નહીં −
નેવનાં પાણી પાછાં મોભે !


તો વળી આ
ભીતર કોઈ કહે છે આમ
હામ પકડ, ભૈ, હામ
હું પણ પાણી, તું પણ પાણી
પાણી તો આકાશે ઊડે
પૂરવ ને પચ્છમમાં ઘૂમે
કાળી ઘટાઓના જંગલમાં નાખે ત્રાડ
જાણે કો વીફરેલો વાઘ !


પાણી ઝબક – ઝબૂકતો સાદ
સુખનો સ્વાદ
નભપરસાદ
ઝીલો ઝીલો રે વરસાદ
મીઠો મીઠો રે વરસાદ
પાણી બંબાકાર !
પાણી અપરંપાર !


પાણી ધસમસ પૂર
જાણે રણમાં કોઈ શૂર
ધરતીના કણ કણને ઢૂંઢે
પાણી તો પાતાળે પૂગે
પાણી માટીની મગદૂર
જાણે ચેતનઘટ ભરપૂર
ના, પાણી રોકાય નહીં
ના, પાણી ખોવાય નહીં
પછી ભલે ને
થાય એ નેવું કે નવ્વાણું !

[નવેમ્બર 2015]

Loading

માહિતી અધિકાર : કાયદો પૂરતો નથી

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|17 December 2015

દંડની જોગવાઈ છતાં ન તો દંડિત અધિકારીઓની સંખ્યા વધી છે કે ન તો કાયદાનો ડર ઊભો થયો છે.

અમલના એક દાયકાને વળોટી ચૂકેલો માહિતીના અધિકારનો કાનૂન લોકશાહીને સાર્થક કરતું કદમ કે બીજી આઝાદી તરીકે બિરદાવાઈ રહ્યો છે. ભારતના બંધારણે તો નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા, પણ વહીવટીતંત્રની લાલફીતાશાહી લોકોને સામાન્ય માહિતી પણ આપતી નહોતી. શાયદ એટલે જ ભારતમાં રાજસ્થાનથી માહિતી અધિકારનું સશક્ત આંદોલન ઉપાડનાર અરૂણા રોય 2005ના માહિતી અધિકારના કાયદાને ‘જીવવાનો અને જાણવાનો હક’ ગણાવે છે. માહિતીના અધિકારનો દેશ અને દુનિયામાં દીર્ઘ ઇતિહાસ છે. આજથી અઢીસો વરસ પૂર્વે ઈ.સ. 1766માં પ્રથમવાર સ્વીડને માહિતી અધિકારનો કાયદો ઘડ્યો હતો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેંડ, દક્ષિણ આફ્રિકા, નેપાળ, શ્રીલંકા, ક્વીન્સલેન્ડ સહિતના 100 જેટલા દેશોમાં એના નાગરિકોને માહિતીનો અધિકાર મળેલો છે. ભારતનો માહિતી અધિકાર કાયદો દક્ષિણ એશિયાના દેશોમાં સહુથી બહેતર છે. ભારતમાં 1952માં પહેલી પ્રેસ પરિષદે વહીવટમાં પારદર્શિતા માટે સૂચન કર્યું હતું. 1977માં કટોકટી પછી સત્તામાં આવેલા  જનતા પક્ષે માહિતી અધિકાર કાયદાનું વચન આપ્યું હતું પણ તેના અસ્થિર અને ટૂંકા સત્તાકાળમાં કાયદો બનાવી શકાયો નહીં. ભારતમાં માહિતી અધિકાર માટેના સહુથી નિષ્ઠાવાન પ્રયત્નો 1989માં વી.પી. સિંઘે એમના પ્રધાનમંત્રીત્વકાળમાં કર્યા હતા. 2005ના કેન્દ્રીય માહિતી અધિકાર કાયદા પૂર્વે દેશમાં તમિલનાડુ, ગોવા, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, અસમ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કશ્મીર એ રાજ્યોમાં  માહિતી અધિકારના કાયદા કે નિયમો અમલમાં હતા.

અંગ્રેજોના જમાનાનો 1923નો ઓફિશ્યલ સિક્રેટ એક્ટ આઝાદ ભારતમાં પણ અમલમાં હતો અને તે માહિતીના અધિકાર માટે સહુથી મોટો અવરોધ હતો. આ ગોપનીયતા કાનૂન મારફતે સરકારો માહિતી છૂપાવતી રહેતી હોય છે અને લોકોને ગુમરાહ કરે છે. વહીવટની પારદર્શિતા અને ખૂલ્લાપણાનો લોકોને અહેસાસ થાય તે માટે લાંબા સંઘર્ષો બાદ 12મી ઓક્ટોબર 2005થી અમલી બનેલા રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટનો ઉદ્દેશ, ‘સરકારી તંત્રની કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાનો’ ગણાવાયો છે. આ કાયદા થકી ‘ભ્રષ્ટ્રાચારને નિયંત્રણમાં રાખવાનો, સરકારોનું કાર્યક્ષમ સંચાલન થાય છે કે નહીં તે જોવાનો અને સરકાર તથા પ્રજા વચ્ચે માહિતીની આપલે કરી સંવાદિતા સાધવાનો’ પણ હેતુ છે. આર.ટી.આઈનો કાયદો 12મી ઓકટોબર 2005ના રોજ સંસદે પસાર કર્યો હતો. અધિનિયમની કલમ-4(1) મુજબ 120 દિવસમાં તમામ સરકારી તંત્રોએ વગર માગ્યે પોતાના વિભાગની મહત્ત્વની માહિતીઓ જાહેર કરવાની જોગવાઈ હોવાથી,  તેનો વાસ્તવિક અમલ ત્રણ મહિના પછી  થયો હતો અને વહીવટી તંત્રોએ આ કામગીરી કરવાની હતી. આજે દસ વરસો પછી માહિતી અધિકાર આંદોલન સાથે સંકળાયેલા કર્મશીલો અને સંસ્થાઓને એ વાતે ફરિયાદ છે કે કાયદાની જોગવાઈ મુજબ સરકારે જાહેર કરવાની માહિતીનો અમલ થયો હોત, તો સરકારની જવાબદેહી અને પારદર્શિતા સાબિત થઈ હોત અને લોકોની એ માહિતી માંગતી અરજીઓ ઘટી શકી હોત.

નાગરિકો દ્વારા આ કાયદા થકી જે માહિતી માંગવામાં આવે છે તેમાં સરકારી તંત્રની ઠાગાઠૈયાની નીતિ સ્પષ્ટપણે જોવા મળે છે. માહિતી ન આપવાની તથા અધૂરી, અસ્પષ્ટ, અને ભળતીસળતી માહિતીઓ આપવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો છે. વળી જે જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી માંગવામાં આવે છે તે આ માહિતી તેમની પાસેથી મળી શકે તેમ હોવા છતાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને મૂળ અરજીઓ અન્ય કચેરીઓને તબદિલ કરે છે. તેને કારણે બિનજરૂરી વિલંબ થાય છે અને વહીવટી પ્રક્રિયા બેવડાય છે. તેને લીધે વધુમાં વધુ  30 દિવસની નિશ્ચિત મુદતમાં માહિતી આપવાની કાયદાકીય જોગવાઈઓનો અમલ થતો નથી. જો માહિતી ન મળે કે તેનાથી અરજદારને  સંતોષ ના થાય તો કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોમાં અપીલ કરવાની જોગવાઈ છે. સરકારી ખાતાં કાયદાનો યોગ્ય અમલ ન કરતાં હોવાથી પડતર અપીલો વધતી રહે છે. માહિતી કમિશનરોની ઓછી સંખ્યા અને અપૂરતી સગવડોને લીધે પણ અપીલોનો સમયસર નિકાલ થતો નથી. એક વરસથી કેન્દ્રીય માહિતી કમિશનરની જગ્યા ખાલી છે, અનેક રાજ્યોમાં પૂરતાં માહિતી કમિશનરો નથી. તેને કારણે કેન્દ્રીય માહિતી આયોગમાં પડતર અરજીઓના નિકાલમાં 5 વરસ, મધ્યપ્રદેશમાં 60 વરસ અને બંગાળમાં 18 વરસ થાય તેમ છે. 30 દિવસમાં માહિતી ન આપનારને રોજના રૂ.250 અને વધુમાં વધુ રૂ.25000 દંડની જોગવાઈ છતાં ન તો દંડિત અધિકારીઓની સંખ્યા વધી છે કે ન તો તેનો ડર ઊભો થયો છે.

છેલ્લા 10 વરસોમાં દેશમાં આર.ટી.આઈ. આંદોલન મજબૂત બની રહ્યું છે અને તેને કેટલાક સક્ષમ નેતાઓ અને કાર્યકરો મળ્યા છે. આ કાયદાને કારણે જ દેશવ્યાપી કોલસા, મધ્યપ્રદેશનું વ્યાપમ , મહારાષ્ટ્રનું આદર્શ કોભાંડ અને રોબર્ટ વાડરાના જમીન સોદાઓની ગરબડો પ્રકાશમાં આવી છે. આ કાયદાને લીધે ભ્રષ્ટ તંત્રમાં એક ફડક જરૂર ઊભી થઈ છે, તો બીજી તરફ તેને લીધે જ આર.ટી.આઈ. કાર્યકરોની હત્યાઓ અને જીવલેણ હુમલાના બનાવો બન્યા છે. દેશમાં આર.ટી.આઈ. અરજીઓના નિકાલના વિલંબમાં ઉત્તરપ્રદેશ મોખરે છે, પણ કાર્યકરોની સહુથી વધુ હત્યાઓ મહારાષ્ટ્રમાં થઈ છે. જ્યાં માહિતી અધિકાર અંગે વ્યાપક જાગૃતિ છે તે ગુજરાત હત્યાઓમાં બીજા ક્રમે છે. દર વરસે આ કાયદા હેઠળ 8 લાખ અરજીઓ થાય છે. આ કાયદાની અસરકારકતાથી રાજકીય પક્ષો ભયભીત બન્યા છે. કેન્દ્રીય માહિતી પંચે 2013માં તમામ રાજકીય પક્ષોને માહિતી અધિકારનો કાયદો લાગુ પડે છે તેવો ચુકાદો આપ્યા છતાં તેનો અમલ એકેય પક્ષ કરતો નથી. આ કાયદો ઘડવાનો યશ લેનાર યુ.પી.એ. સરકારે પણ કાયદામાં સુધારા અને સમીક્ષાના પ્રયત્નો કર્યા હતા. 2006માં ફાઈલ નોટિંગને કાયદાના દાયરામાંથી બહાર કાઢવા, 2009માં માહિતી અધિકાર અરજીની ગંભીરતા નક્કી કરવા અને તે પછી આ કાયદાની સમીક્ષા કરવાના પ્રયાસો થયા છે.

આ કાયદો માત્ર ભ્રષ્ટાચારને ઉજાગર કરવા કે રાજકારણીઓ-અફસરો વિશેની સનસનાટી ભરેલી માહિતી પ્રગટ કરવા પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. આ માહિતી દ્વારા કેટલા નીતિવિષયક બદલાવ લાવી શકાય તે દિશામાં વિચારવું પડશે. વળી આજે જે કેટલીક વિગતો બિનાઅધિકૃત રીતે ચર્ચાય છે તેને કાયદા દ્વારા સમર્થન મળે તો પણ ભ્રષ્ટાચારીઓ સામે જંગ છેડવા માટેનું સંગઠન અને આંદોલન લોકો પાસે છે ખરું? જે પ્રકારની સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા દેશમાં ઊભી થઈ છે તેમાં ભૂમિમાફિયા, બિલ્ડરો, નોકરશાહો અને રાજકારણીઓના ભ્રષ્ટાચારની માહિતી મળ્યા પછી તેને અંતિમ અંજામ સુધી લઈ જવાય એવા સંગઠનો આપણી પાસે છે ખરાં? માત્ર માહિતી મળવાથી નહીં તેના સમુચિત ઉપયોગથી, સમાજ-શાસનમાં નીતિ બદલાય તે માટેના પ્રયત્નોથી જ આ અધિકાર વધુ સાર્થક થશે.  

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય :’દાંત-નહોર વગરનોઅમલ’, “દિવ્ય ભાસ્કર”, 17 ડિસેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-right-to-information-the-law-is-not-enough-5197048-NOR.html

Loading

...102030...3,6983,6993,7003,701...3,7103,7203,730...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved