Opinion Magazine
Number of visits: 9552588
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Farbas, Tamaara Jevo Gujarat Pratyeno pfrem kyaMthi Laavavo?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 August 2015

ફાર્બસ, તમારા જેવો ગુજરાત પ્રત્યેનો પ્રેમ ક્યાંથી લાવવો? 

ગુજરાત આજકાલ બહું અશાંત અને ઉચાટભરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. જાતિવાદી આંદોલનોમાં આખું રાજ્ય ફસાઈ ગયું છે. હિંસક ઘટનાઓએ 'શાંતિપૂર્ણ રાજ્ય'ની ઇમેજને ખરડી નાખી છે. જનતા ધુંધવાઈ રહી છે. ગુજરાતીઓને આવી હિંસા નથી શોભતી એવું ભાન એક દાયકા કરતાં લાંબા સમય પછી લોકોને થઈ રહ્યું છે. આજકાલ બધાના મોઢે ગુજરાતના વિકાસની, દિમાગમાં ચોંટી ગયેલી રેકોર્ડ સાંભળવા મળી રહી છે. જો કે, લોકો હવે વધારે નિખાલસતાથી વિચારતા અને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરતા થયા છે, એ આનંદની વાત છે. સામાજિક-રાજકીય ઊથલપાથલના આ દોરમાં ફરી ગુજરાતની અસ્મિતા વિશે ચર્ચાઓના દોર શરૂ થયા છે, ફરી ગુજરાતી સંસ્કૃિતની દુહાઈઓ દેવાનું શરૂ થયું છે.

આ સમયે ગુજરાતને દિલોજાનથી ચાહનારા એક વિદેશી અને એમાં ય બ્રિટિશર એવા એક સજ્જનની યાદ આવી જાય છે. યાદ આવવાનું એક નિમિત્ત એ પણ છે કે આવતી કાલે ૩૧મી ઓગસ્ટે આ માનવરત્નની ૧૫૦મી પુણ્યતિથિ છે. આ સજ્જન એટલે એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ.

ફાર્બસસાહેબ એક બ્રિટિશર હતા, પરંતુ જરા જુદી માટીના એ માનવી હતા. હા, આ ફાર્બસસાહેબે જ ગુજરાતને દિલોજાનથી ચાહ્યું હતું. દીપક મહેતા લિખિત પુસ્તક 'ફાર્બસ સમ સાધન વિના ન ઉધ્ધરત ગુજરાત (એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ – જીવન અને કાર્ય)'માં ફાર્બસસાહેબના ગુજરાત પ્રત્યેના પ્રેમ અને પ્રતિબદ્ધતાના અનેક કિસ્સા નોંધાયેલા છે. માત્ર ૪૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવનારા ફાર્બસસાહેબે જિંદગીનાં લગભગ ૧૩ વર્ષો ગુજરાતની ભૂમિ પર ગાળ્યાં હતાં. આ ૧૩ વર્ષોમાં ફાર્બસસાહેબે બ્રિટિશ સરકારની સેવા કરતાં તો ગુજરાત અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃિતની સેવા વધારે કરી હતી, એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. અમસ્તું કંઈ નર્મદ જેવો વીર સાહિત્યકાર તેમના પર ઓવારી ન જાય. ફાર્બસસાહેબનું નિધન પૂના ખાતે ૧૫મી ઓગસ્ટ, ૧૮૬૫ના રોજ થયા પછી નર્મદે પોતાના 'ડાંડિયો' સામયિકના ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૬૫ના અંકમાં તેમને અંજલિ આપતાં લખ્યું હતું, "ફક્ત એમણે સાહેબી ભોગવી જાણી નથી. એમણે તો ગુજરાત જ પોતાનું વતન જાણ્યું છે. ગુજરાતીઓને ઉત્તેજન આપવા પરિશ્રમ લેવામાં બાકી રાખી નથી … સ્વભાવે ઘણા મિલનસાર કહેવાતા હતા. મનમાં ફોંકિયત કે મોટાઈ નહોતી. બધ્ધા લોકોની પ્રીતિ સંપાદન કરવી એ જ એમનો પક્ષ હતો માટે એમનું નામ થાય જ એમાં નવાઈ નહીં. (દલપતરામને ટોણો મારતાં ઉમેરેલું) ગુજરાતી કેટલાએક ગ્રંથકારોને તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. (તે બિચાર અડવા થશે – તે પણ દિલગીરીની વાત છે.)"

ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેના પ્રેમનો એક બીજો દાખલો પણ છે. માર્ચ ૧૮૫૮માં ફાર્બસની બદલી ખાનદેશના જજ તરીકે થઈ, પણ પોતાની પ્રિય કર્મભૂમિ ગુજરાતથી દૂર જવું તેમને પસંદ નહોતું. તેમને ગુજરાતમાં વધારે રહેવું હતું કારણ કે તેમને લાગતું હતું કે હજુ કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ઘણું જાણવાનું બાકી રહી ગયું છે. એટલે તેમણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જગ્યાએ પોતાની બદલી કરવા માટે સરકારને વિનંતી કરી. એ વખતે પોલિટિકલ એજન્ટને જજ કરતાં ઓછો પગાર મળતો હતો, છતાં ફાર્બસસાહેબે ગુજરાત પ્રત્યેના પ્રેમને કારણે પૈસાની પરવા નહોતી કરી. જો કે, સરકારે તરત એ અરજી નહોતી માની પણ પછી થોડા સમય બાદ તેમને કાઠિયાવાડમાં પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવામાં આવ્યા હતા.

ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ફાર્બસસાહેબે ઊંડા અભ્યાસ અને વર્ષોની મહેનત થકી 'રાસમાળા' નામના બે ગ્રંથો લખ્યાં હતાં. આ પુસ્તક દેશ-દુનિયામાં બહુ વખણાયું હતું. આ ગ્રંથના અંગ્રેજી અનુવાદના પુસ્તકમાં એ.કે. નારીને નોંધ્યું છે, "ફાર્બસે જે લોકો વિશે લખ્યું છે, તે લોકોને તેઓ ખરેખર ચાહતા હતા. એ લોકોના પરાક્રમની ગાથા ગાતા કોઈ રાસની વાત કરતી વખતે તેમના મોઢા પર જે આનંદ છવાઈ જતો તેવો ભાગ્યે જ બીજા કોઈ વખતે જોવા મળતો." તો આવો હતો ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ!

ફાર્બસસાહેબના સીમાચિહ્નરૂપ પુસ્તક 'રાસમાળા'એ એ સમયના ગુજરાતના સાહિત્યકારો પર ખાસ્સો પ્રભાવ પાડયો હતો. ફાર્બસસાહેબે 'રત્નમાળા' અને 'પ્રબુદ્ધ ચિંતામણિ' જેવા ગુજરાતી ગ્રંથોનો અંગ્રેજી અનુવાદ કરવાનું મહાકાર્ય પણ કર્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાતી સભા જેવી સાહિત્યની સંસ્થાઓની સ્થાપનાથી માંડીને ગુજરાતમાં જાહેર પુસ્તકાલય, શાળા, અખબાર અને સામયિક શરૂ કરીને તેમણે મધ્યકાલીન ગુજરાતને અર્વાચીન ગુજરાતમાં પલટાવવામાં મહામૂલો ફાળો આપ્યો હતો.

ફાર્બસસાહેબના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગુજરાતી ભાષાના ગાઈડ એવા દલપતરામે તેમના નિધન પછી કોઈ સગો મર્યો હોય એમ સ્નાન કરેલું અને બાર મહિના શોક પણ પાળ્યો હતો. દલપતરામે તેમને અંજલિ આપતી લેખમાળામાં એક કિસ્સો વર્ણવ્યો છે કે ફાર્બસસાહેબ પોતાના નવ વર્ષના દીકરાને ઇંગ્લેંડ માટે વળાવવા સ્ટિમર પર તેમને સાથે લઈને ગયેલા. પાછા ફરતી વખતે ફાર્બસસાહેબે કહેલું, મને પણ સ્વદેશ પાછા જવાનું બહુ મન થાય છે, પણ પછી તરત ઉમેર્યું કે આ દેશમાંનું મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું આવો વિચાર પણ નહીં કરું."

કેવી પ્રતિબદ્ધતા! ફાર્બસસાહેબ જેવો ગુજરાત પ્રત્યે પ્રેમ અને પ્રતિબદ્ધતા આપણા સૌમાં આવશે ત્યારે ગુજરાત સળગશે નહીં પણ ઝળહળશે!

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 અૉગસ્ટ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3117533

Loading

Darshak : Sankraanti ane Parivartannaa Ragpaarkhu

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 August 2015

દર્શક : સંક્રાંતિ અને પરિવર્તનના રગપારખુ

દર્શક જેનું નામ એ ઇતિહાસમાં રમ્યા પણ કોઈ રાજસામન્તી સપનાં જોતું ઝોકું એમણે કદાપિ ન ખાધું

બરાબર ચૌદ વરસ થયાં એને. બાર વરસને એક તપ કહેવાનો ચાલ છે એ હિસાબે તપ ઉપર બે વરસ કહો કે પછી ચૌદ ચૌદ વરસ અસાંગરાનાં કે વીસારાનાં : 2001ની 29મી ઓગસ્ટે દર્શક ગયા. આ લખું છું ત્યારે સાંભરે છે કે તિથિ પ્રમાણે એ દિવસ પરિવર્તિની એકાદશીનો હતો. દર્શક જેનું નામ એ ઇતિહાસમાં રમ્યા પણ કોઈ રાજસામન્તી સપનાં જોતું ઝોકું એમણે કદાપિ ન ખાધું. સંક્રાન્તિ અને પરિવર્તનની રગ જેને પકડાતી હતી એવા એ એક સિપાહી હતા, સમાજનવરચનાના સિપાહી.

દર્શકને કેવી રીતે ઓળખીશું આપણે. વિદ્યારણ્યમાં અકુતોભય વિહરનારા એક મોટા શિક્ષક તરીકે તે હંમેશ એ વાતે નિ:સંશય હતા કે સ્વર્ગ જેવું કશુંકે હશે તો અમારા વિદ્યાર્થીઓના પહેરણની ચાળ પકડીને ય અમારો પ્રવેશ તો હોવાનો જ છે. અવિદ્યાથી મૃત્યુને જીતીને વિદ્યાથી અમૃત મેળવવાની ઉપનિષદ પરંપરા અને આપણા સમયની કોઈક જોડકડી એમને જડી હતી, જે અલાદીનના જાદુઈ ચિરાગ કરતાં કમ નહોતી. જો કે ઘણો મોટો વર્ગ એમને ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ એ મનહર અને મનભર નવલકથાના સર્જક તરીકે જ જાણતો હોવાનો. આ નવલકથા, એક રીતે એમણે ઈચ્છેલ નવરચના સારું એક નિરલસ સ્વતંત્રતા સૈનિકની ચહુદિશ મથામણનું કથારૂપ છે, આજમાં ઊભી આવતીકાલને તાકતું.

ગુજરાતી અક્ષરઆલમમાં, આ દિવસોમાં તરતમાં પસાર થયેલી શતાબ્દિઓ ઉપરાંત એક વિશેષ સંદર્ભમાં દર્શક અને ઉમાશંકરનાં નામો લેવાતાં રહ્યા છે. ઉમાશંકર, કર્મ લગોલગ પહોંચવા કરતા શબ્દના – કહો કે જાહેર જીવનના કવિ હતા. તો, દર્શક ગોવર્ધનરામના કલ્યાણગ્રામની જેમ ગોપાળબાપાની વાડીના સ્રષ્ટા અને દૃષ્ટા હતા. સમાજજીવનમાં ઓતપ્રોત થવાનું, જાહેર જીવનમાં સંડોવાવાનું આવ્યું એમાં ઉમાશંકર પોતાની કવિતાનું સંબલ જોતા. દર્શકે એક અર્પણપત્રિકામાં એવો હૃદયભાવ પ્રગટ કરેલો છે કે મને સેવાની લાહ્ય ન હોતે અને સંસ્થાવસ્તાર ન થતે તો કવિતારસઆસ્વાદ કરતે ઉમાશંકર કને. રચનાકર્મી દર્શકનું ખેંચાણ એક એવા રચનાધર્મી માટે છે જેને જાહેર બાબતોમાં સંડોવાયા વિના સોરવાતું નથી.

2015ના ઓગસ્ટમાં આ બધું લપસીંદર માંડવાનો શો અર્થ, કોઈ પૂછી તો શકે. ભાઈ, ગુજરાતમાં આજે જેમને સારુ આમ સોરવાવું અને સંડોવાવું એ ખુશીનો સોદો હોય એવા બૌદ્ધિકોની – બુદ્ધિજીવીઓની નહીં પણ બૌદ્ધિકોની – ખોટ અનુભવાય છે, એથી સ્તો. જાહેર જીવનમાં જરૂર જણાયે રંગેચંગે રજોટાવું એમને મન મુબારક જ મુબારક હતું. દેખીતી રીતે જ, તીવ્રપણે ચાલી આવતી આ સાંભરણની પૂંઠે તત્કાળ ધક્કો સાહિત્ય અકાદમી પ્રકરણનો છે. પણ એક બૌદ્ધિકની ભૂમિકા તે શું એ ચર્ચતી વેળાએ આ જ ફ્રિકવન્સી પરની એક બીજી ઘટના સાંભરે છે એની ય વાત કરી લઈએ. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદ માટે મગનભાઈ પ્ર. દેસાઈ ઉમેદવાર હતા.

(ઉપકુલપતિઓ જ્યારે ઉપકુલપતિ હોઈ શકતા હતા તે દિવસોની આ દાસ્તાં છે.) મગનભાઈની સજ્જતા અને સાધના બંને અસાધારણ હતાં. પણ એમની ઉમેદવારીને ગુજરાત કોંગ્રેસે પક્ષીય પાસ આપવા ચાહ્યું ત્યારે ઉમાશંકરે શિક્ષણસંસ્થામાં શીર્ષસ્થાને બિનપક્ષીય ભૂમિકાને ધોરણે એમને પડકારવાપણું જોયું હતું. સ્વતંત્રતા સંગ્રામના સહજ અનુસંધાનરૂપે, લોકશાહી સમાજવાદની ભૂમિકાએ દર્શક ત્યારે હજુ કોંગ્રેસમેન હશે. પણ એમણે આ મુદ્દે ઉમાશંકરની તરફેણમાં સક્રિય થવું પસંદ કર્યું હતું. સાંભરે છે કે કવિ-શિક્ષણકાર સ્નેહરશ્મિ (સ્વતંત્રતા સંગ્રામમાં ક્યારેક સુરત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેલા ઝીણાભાઈ ર. દેસાઈ) પણ ઉમાશંકરના એવા જ ઝુંબેશકાર તરીકે બહાર આવ્યા હતા. ગુજરાતમાં વાઈસ ચાન્સેલરો બાબતે પક્ષીય ગણતરીવશ હાલ જે મનમુરાદ નિમણૂક દોર ધોરણનિરપેક્ષપણે ચાલી રહ્યો છે એને અંગે આપણે ત્યાં વિદ્યાસમાજ અને બૌદ્ધિકોની સક્રિયતા જેવું કાંક પણ હોય તો, શું કરવાપણું છે એ કદાચ જુદેસર ચર્ચવાપણું રહેતું નથી.

યાદ આવે છે, નાગરિકજાગૃતિના એક ઉપક્રમમાં ઉમાશંકરે લગીરે-લાઉડ-લાગશે-ની દરકાર વગર, ભરીબંદૂક ને ચિત્રાત્મક, કંઈક દૃશ્ય ને કંઈક શ્રાવ્ય શૈલીએ કહેલું કે તેઓ (સત્તાકારણીઓ) આપણા ખેતરમાં ઘૂસી જઈ તબિયતથી હોંચી હોંચી કરતા મહાલે છે અને માળા પાછા એમ માને છે કે આપણે એમને ઓળખતા નથી! ખરું જોતાં, રવીન્દ્રનાથે ઉત્તરવર્ષોમાં જે ઉત્કટતાથી સિવિલ લિબર્ટિઝ યુનિયનનું દાયિત્ય સાહ્યું હતું એ જ તરજ પરની ચર્ચા અને ચર્યા ઉમાશંકર-દર્શક જેવાની જણાતી રહી છે. દર્શકનું કોઈક પ્રસંગે સન્માન થયું – નિધિ તો અલબત્ત જાહેર કામોમાં જ જવાનો હતો – ત્યારે પ્રતિભાવમાં એમણે કહેલું કે માગી માગીને હું કેટલું માગું, સિવાય કે હું ભૂખ્યો ન રહું અને સાધુ પણ ભૂખ્યો ન જાય. પણ પછી અંગત વાતચીતમાં એમણે જ્યારે કહ્યું કે આ તો સાધુ ભૂખ્યો ન જાય એની વાત છે, કોઈ ભળતોસળતો માણસ માંહ્ય ગરી જાય એવું તો શેનું ચાલવા દેવાય ત્યારે સમજાઈ રહ્યું હતું કે એક સતર્ક સન્નદ્ધ બૌદ્ધિક હોવું તે શી વસ છે.

કલ્યાણગ્રામથી ગોપાળબાપાની વાડી લગીની મનહર-મનભર સંક્રાન્તિમાં તમને આ પ્રકારની નવયુગી નાગરિક સભાનતા જોવા મળશે. પડતર જમીન નવસાધ્ય કરી એક તોલ્સતોયી ખેડુ જેવું જીવન જીવવા ઈચ્છતા (શાહુકાર તરીકે સુખે જીવ્યામર્યા હોત એવા) ગોપાળબાપાને સયાજીરાવ ગાયકવાડ જમીન આપતાં પૂછે છે કે અહીં જંગલી જનાવરનો ભો નહીં લાગે. ગોપાળબાપા ટાઢે કોઠે કહે છે : તમારી પડખેના દીપડા ન રંજાડે તો પણ બસ. (કોઈ પાટેશ્વર રાષ્ટ્રવાદીને માટે તો બાપાને રાજદ્રોહી ઠરાવવા વાસ્તે આટલાં વચનો પૂરતાં થઈ પડે.)

‘પડખેના દીપડા’ના પ્રતિકાર સારુ વાડ જોઈએ – ‘એન ઈંગ્લિશમેન્સ હોમ ઈઝ હિઝ કેસલ’ એવો સુવાંગ પોતીકો ઈલાકો જોઈએ. આવી જે ઈલાકેબંદી, એનું બંધારણીય નામ અને કાનૂની ઓળખ તે સ્વાયત્તતા. સરકારી અકાદમી, ઉમાશંકર-દર્શક પ્રતાપે સ્વાયત્ત બની શકી એ આપણી સ્વરાજસાધનાનું એક નાનું પણ નરવુંનક્કુર સોપાન. કમનસીબે, છેલ્લાં બાર વરસ એનાં ઉત્તરોત્તર ધોવાણ અને ખવાણનાં છે … એટલે સ્તો અસાંગરો!

સદ્દભાગ્યે, હમણાંના મહિનાઓમાં આ અનવસ્થા સામે એક અવાજ ઊઠ્યો છે, અને તે પણ એ હદે કે સ્વાયત્તતાને મુદ્દે તમે કઈ બાજુએ છો એ સવાલ ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખીય ચૂંટણીમાં પણ જળથાળ શો નિર્ણાયક બની ઉભર્યો છે. કાલચક્ર જાણે કે સાઠે વરસે પાછું પાપપુણ્યની બારી લઈને સામે આવ્યું છે. 1955ના ગોવર્ધન શતાબ્દી વરસમાં કનૈયાલાલ મુનશીની એકહથ્થુશાહી સામે અવાજ ઉઠાવવામાં ઉમાશંકર મોખરે હતા. હવે 2015માં ઉમાશંકર-દર્શકનાં શતાબ્દી વર્ષોની વાંસોવાંસ સરકારી મનમુરાદવાદ સામેનો અવાજ ગઠિત અને ઉદ્યુક્ત થઈ રહ્યો છે. બરાબર છ દાયકે આવી મળેલી આ સ્વાતિક્ષણ ગુજરાતના અક્ષરકર્મીઓ અને સાહિત્યસંસ્થાઓના વજૂદની રીતે, તેમ લોકશાહી સરકાર પાસે અપેક્ષિત સંસ્કારિતાની રીતે નિર્ણયકારી હોવાની છે.

તમે કઈ બાજુએ છો, પરિવર્તિની એકાદશી પૂછે છે.

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય :‘નવરચનાના સિપાહી’, “દિવ્ય ભાસ્કર”, 29 અૉગસ્ટ 2015

Loading

Narendra Modi maate Patidaaroni Magani Andhaaryo Tamaacho Chhe

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|28 August 2015

નરેન્દ્ર મોદી માટે પાટીદારોની માગણી અણધાર્યો તમાચો છે

જોકે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી : વિકાસ વાતોનાં વડાં છે અને મંડલ એક વાસ્તવિકતા છે

૧૯૮૦ અને ૧૯૮૫ એમ ઉપરાઉપરી બે વખત અનામતની પ્રથાનો સમૂળગો વિરોધ કરીને આંદોલન કરનારાઓ હવે અનામતની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે. ૧૯૮૦ અને ૧૯૮૫માં તેઓ એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે દલિતો અને આદિવાસીઓ પછાત છે અને તેમનો હાથ પકડવો જોઈએ, પરંતુ આજે પટેલોને લાગે છે કે તેઓ પોતે પછાત રહી ગયા છે અને સરકારે તેમનો હાથ પકડવો જોઈએ. આ સ્વાર્થનું તર્કશાસ્ત્ર છે અને સ્વાર્થનું આંદોલન છે. જો પટેલો પાછળ છે તો ભારતમાં આગળ કોણ છે એવો સવાલ પેદા થાય છે. જે માગતાં શરમ આવવી જોઈએ એની રસ્તા પર ઊતરી આવીને ધરાર માગણી કરવામાં આવી રહી છે અને એને માટે હિંસા પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૯ જણનાં મૃત્યુ થયાં છે અને અમદાવાદમાં લશ્કરને બોલાવવું પડ્યું છે.

પટેલોની માફક જ હરિયાણામાં અને પંજાબમાં જાટ કોમ સંપન્ન અને વગદાર છે, રાજસ્થાનમાં મીણાઓ અને ગુર્જરો સંપન્ન અને વગદાર છે અને મહારાષ્ટ્રમાં મરાઠાઓ સંપન્ન અને વગદાર છે છતાં આ કોમ (સંપન્ન અને વગદાર કોમ) પછાત હોવાનો દાવો કરી રહી છે અને અનામતની વિશેષ જોગવાઈ માગી રહી છે. આ બીમારી હજી અન્ય રાજ્યોમાં પણ વિસ્તરવાની છે. બેશરમ બનીને માગવાની હિંમત ભારતમાં એક પછી એક વગદાર કોમ કેળવી રહી છે. પાટીદારોએ તો આમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેમની ગુજરાતમાં કુલ ૧૪ ટકા વસ્તી છે અને વસ્તીના પ્રમાણમાં બેવડાં સ્થાનો અને વગ તેઓ ધરાવે છે. ગુજરાતમાં એક જમાનામાં ખામ (KHAM)નું ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું હતું. ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. આ ગઠબંધન પટેલોના પ્રભાવને ખાળવા માટેનું હતું જે બતાવે છે કે ગુજરાતમાં પાટીદારો કેટલા શક્તિશાળી છે.

કોણ જવાબદાર છે આને માટે? તમે જો એમ વિચારતા હો કે હાર્દિક પટેલ કે કિરોરી સિંહ બૈસલા (ગુર્જર નેતા) જેવા જ્ઞાતિઓના નેતાઓ આને માટે જવાબદાર છે તો તમે ભૂલ કરો છો. આને માટે પછાતપણાનું રાજકારણ જવાબદાર છે. ૧૯૯૦-’૯૧માં ભારતીય રાજકારણમાં ત્રણ નવા ચહેરા વિકસ્યા હતા અથવા જો જૂના હતા તો વધારે ખીલ્યા હતા. એક ચહેરો હિન્દુ કોમવાદી રાજકારણનો હતો. બીજો વિકાસના રાજકારણનો હતો અને ત્રીજો પછાતપણાના રાજકારણનો હતો. ૧૯૯૦ પહેલાં પણ ભારતના સંસદીય રાજકારણમાં તુક્ટીકરણ(અપીઝમેન્ટ)નું રાજકારણ થતું હતું જેનું સ્વરૂપ ૧૯૯૦ પછી ભારતીય રાજકારણનો ચહેરો બદલાતાં બદલાયું હતું.

૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ લાગુ કરી એ પછીથી સામાજિક પછાતપણાના રાજકારણે નવો મંડલચહેરો ધારણ કર્યો છે. એ પહેલાં દલિતો અને આદિવાસીઓ સિવાયની અન્ય પછાત કોમ માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી એટલે અનામતનું રાજકારણ મર્યાદિત હતું. ૧૯૯૦ પછીથી ભારતની સેંકડો જ્ઞાતિઓ સંભવિત લાભાર્થીની લાઇનમાં ઊભી રહી ગઈ. આમાં ઉત્તર પ્રદેશના પટેલો(જે ખરેખર દલિતોની સમકક્ષ પછાત જ્ઞાતિ છે)થી લઈને ગુજરાતના પટેલો (જે દેશમાં સૌથી વધુ સંપન્ન પ્રજા છે) સુધીનો સમાવેશ હતો.

બને ત્યાં સુધી વિકાસના નામે મતદાતાના મત માગવા, કારણ કે વિકાસની અપીલ સાર્વત્રિક છે; પરંતુ જો વિકાસના નામે મંઝિલે પહોંચવામાં મુશ્કેલી દેખાય તો હિન્દુ કોમવાદનું અને પછાતપણાનું એમ જે કાર્ડ માફક આવે એ ઊતરવું. સાધારણપણે જે પક્ષ સત્તામાં હોય એ વિકાસની વાત કરે છે અને વિરોધ પક્ષ પછાતપણાની વાત કરે છે, પરંતુ આમાં ક્યારેક ઊલટું પણ બને છે. વિરોધ પક્ષને જ્યારે નક્કર આશા હોય કે આ વખતે એ સત્તામાં આવે એમ છે અને શાસક પક્ષને જ્યારે ભય હોય કે આ વખતે એ ચૂંટણી હારે એમ છે ત્યારે સત્તાનો દાવેદાર વિકાસનું રાજકારણ કરે છે અને શાસક પક્ષ પછાતપણાનું રાજકારણ કરે છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વખતે B.J.P.એ વિકાસનું રાજકારણ કર્યું હતું અને કૉન્ગ્રેસે ૧૦ વર્ષથી સત્તામાં હોવા છતાં પછાતપણાનું રાજકારણ કર્યું હતું. આ એ જ કૉન્ગ્રેસ હતી જેણે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વિકાસનું રાજકારણ કર્યું હતું.

ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસે મરાઠાઓને અન્ય પછાત કોમ અંતર્ગત અનામતની જોગવાઈ આપી હતી. મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ રાજ કર્યા પછી અને પ્રજાને વિકાસનાં સપનાં બતાવ્યા પછી કૉન્ગ્રેસ-N.C.P.ની સરકારે અનામતના પછાતપણાના રાજકારણનો આશરો લેવો પડ્યો હતો. એ પહેલાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસ અને B.J.P.એ મીણાઓ અને ગુર્જરોને અનામતનું ગાજર બતાવ્યું હતું. ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીએ લોકસભાની ચૂંટણી જીતવા જાટોને અન્ય પછાત કોમની પંક્તિમાં મૂક્યા હતા અને રાજસ્થાનના કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ ઉપરાંત પંજાબની અને હરિયાણાની સરકારે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ જુદી વાત છે કે ગયા જુલાઈ મહિનામાં સર્વોચ્ચ અદાલતે મરાઠાઓ અને જાટોના પછાતપણાના દાવાને નકારી કાઢ્યો હતો.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ હિન્દુત્વનું અને વિકાસનું એવું એક મિશ્ર રસાયણ વિકસાવ્યું હતું. એ રસાયણ સફળ નીવડ્યું હતું અને એ જ રસાયણના આધારે તેઓ વડા પ્રધાન બનવા સુધી પહોંચી શક્યા છે. તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનું ગુજરાત અને એમાં પણ પાટીદારો મંડલનો આશરો લેશે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મોરલીએ ડોલનારા પાટીદારો, લોકસભાની ચૂંટણી માટે નાણાં આપનારા પાટીદારો, સાત સમુદ્રીય રાષ્ટ્રવાદ વિકસાવનારા પાટીદારો, પોતાનો આઇડિયા ઑફ ઇન્ડિયા ભારતમાં નિકાસ કરનારા પાટીદારો, અબજો રૂપિયા ખર્ચીને સ્વામિનારાયણનાં મંદિરો બંધાવનારા પાટીદારો, ગુજરાતમાં રાજ કરનારા પાટીદારો; ગુજરાતમાં અને એ પણ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં બીજા કોઈને નહીં ને મંડલને લઈ આવશે.

નરેન્દ્ર મોદી માટે આ અણધાર્યો તમાચો છે, પરંતુ એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. વિકાસ વાતોનાં વડાં છે જ્યારે મંડલ એક વાસ્તવિકતા છે. અમને વિકાસની વાતો ચટાડવામાં આવે અને અન્યત્ર જાટો, મરાઠાઓ, મીણાઓ, ગુર્જરો જેવી સામાજિક રીતે વિકસિત પ્રજાને પછાત ગણીને લાભ કરાવવામાં આવે તો અમે શું ગુનો કર્યો છે? નરેન્દ્ર મોદીની વિકાસની જાનમાં જાનૈયા બન્યા હતા એટલે શું અમારે આખી જિંદગી જાનૈયાનો સાફો બાંધી રાખવાનો? તમે જો હાર્દિક પટેલનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું હશે તો એમાં આવો સૂર પ્રગટ થતો હતો.

તો આનો ઉપાય શું? જો આ રીતે બધા મંડલના મંડપમાં ઘૂસવા માંડશે તો અરાજકતા પેદા થશે. સમાજવિગ્રહ થઈ શકે છે. ખોટા માણસો લાભ ખાટી જશે અને જરૂરિયાતમંદ રહી જશે. આ રીતે તો અનામત આપવાનો ઉદ્દેશ જ માર્યો જશે.

તો પછી આનો ઉપાય શું? હા, એક ઉપાય છે, જેની વાત આવતી કાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2015

Loading

...102030...3,6983,6993,7003,701...3,7103,7203,730...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved