Opinion Magazine
Number of visits: 9552941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Sanat Mehta : Gujaratnun Vedfayelun Dhan

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|1 September 2015

સનત મહેતા : ગુજરાતનું વેડફાયેલું ધન

સનત મહેતા જેટલા ગુજરાતને સામાજિક રીતે અને આર્થિક રીતે ઓળખતા હતા એટલા સમાજશાસ્ત્રીઓ પણ નહોતા ઓળખતા. જગતમાં શું ચાલી રહ્યું છે એની પણ તેમની પાસે જાણકારી રહેતી. આખા ભૂમંડલ પર નજરે પડતી વિકાસની તરાહો ને આંદોલનો પર તેમની નજર રહેતી. આ અર્થમાં ભારતમાં ગ્લોબલાઇઝેશનનો યુગ શરૂ થયો એ પહેલાંથી સનતભાઈ ગ્લોબલાઇઝ્ડ હતા

ગયા અઠવાડિયે ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામેલા સનત મહેતાને ગુજરાતી અખબારોએ ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. નેતાઓને તેમણે ભોગવેલા સર્વોચ્ચ હોદ્દા દ્વારા ઓળખાવવાનો રિવાજ છે એટલે સનતભાઈને ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન તરીકે ઓળખાવવામાં આવે છે. ગુજરાત બહારનાં મોટા ભાગનાં અંગ્રજી અખબારોએ અને ટીવી-ચૅનલોએ તો સનતભાઈના જવાની ખાસ નોંધ પણ નહોતી લીધી. વાસ્તવમાં સનતભાઈનો સાચો પરિચય આપવો હોય તો એમ કહેવું જોઈએ કે તેઓ ગુજરાતનું વેડફાયેલું ધન હતું. સનત મહેતા જેટલા ગુજરાતને સામાજિક રીતે અને આર્થિક રીતે ઓળખતા હતા એટલા તો સમાજશાસ્ત્રીઓ પણ નહોતા ઓળખતા. સુરતના સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝમાં આઇ.પી. દેસાઈ શું કામ કરી રહ્યા છે કે કરાવી રહ્યા છે એની સનતભાઈને જાણ રહેતી. જગતભરના કામના હોય એવા વિકાસને લગતા અહેવાલો તેઓ જોતા રહેતા. આવા અનોખા રાજકારણીનો ગુજરાત ખાસ લાભ લઈ શક્યું નહોતું.

સનતભાઈ શું, આમ જુઓ તો ભારતમાં તમામ સમાજવાદીઓ વેડફાયા છે. કેટલાક કૉન્ગ્રેસમાં જોડાઈને વેડફાયા છે તો બીજા કેટલાક કૉન્ગ્રેસની બહાર રહીને વેડફાયા છે. ૧૮૫૭ના વિદ્રોહમાં અંગ્રેજો સામે કારમો પરાજય થયા પછી ભારતના હિન્દુ અને મુસ્લિમ નેતાઓ વિચારવા લાગ્યા હતા કે હવે અંગ્રેજો જ્યારે તાત્કાલિક નહીં મટનારી વાસ્તવિકતા છે ત્યારે અંગ્રેજો સાથે સહયોગ કરવો જોઈએ કે અંગ્રેજો સામે આપસમાં હિન્દુ અને મુસલમાનોએ સહયોગ કરવો જોઈએ? બસ, આવો જ યક્ષ પ્રશ્ન સો વર્ષે ૧૯૫૧ની પહેલી લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયા પછી સમાજવાદીઓ સામે ઉપસ્થિત થયો હતો. ૧૯૫૩ના બૈતુલના અધિવેશનમાં કૉન્ગ્રેસ નામની જલદી નહીં મટનારી વાસ્તવિકતા બાબતે કેવો અભિગમ અપનાવવો એ વિશે મતભેદ થયા હતા. ડૉ. અશોક મહેતાએ અવિકસિત દેશની રાજકીય મજબૂરીઓ નામની એક થીસિસ રજૂ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘પશ્ચિમના દેશોની માફક બે ધ્રુવ જેવું સંઘર્ષનું કે અથડામણનું રાજકારણ ભારતમાં આવકાર્ય નથી. આ દેશ એવો છે જેણે ભૌગોલિક અખંડતા ક્યારે ય જોઈ નથી. આ દેશ એવો છે જેણે સદીઓની ગુલામી વેઠી છે અને આ દેશ એવો છે જેના લોહીના પ્રત્યેક ટીપાનું સંસ્થાનવાદી અર્થવ્યવસ્થાએ શોષણ કર્યું છે. આ દેશ જ્યારે આગળ વધવા માટે શક્તિ એકઠી કરી રહ્યો છે ત્યારે સમાજવાદી પક્ષે શાસક પક્ષને સહયોગ કરવો જોઈએ.’

સામે પક્ષે ડૉ. રામ મનોહર લોહિયાનું કહેવું એવું હતું કે ‘સંસદીય રાજકારણમાં બે ધ્રુવ અનિવાર્ય છે. બીજો ધ્રુવ એ ધ્રુવ નથી પરંતુ લોકતાંત્રિક વિકલ્પ છે અને દેશને વિકલ્પ આપવા રણભૂમિમાં ઊભા રહેવું જરૂરી છે. જ્યારે વિરોધ કરવા જેવું લાગે ત્યારે વિરોધ કરવો જોઈએ, જ્યારે સંઘર્ષ કરવા જેવું લાગે ત્યારે સંઘર્ષ કરવો જોઈએ અને જ્યારે સીધી અથડામણ જરૂરી લાગે ત્યારે અથડામણ માટે પણ તૈયારી રાખવી જોઈએ. સમાજવાદી કાર્યકર્તા કોઈ મુદ્દો લઈને લોકોની વચ્ચે હોવો જોઈએ અથવા કોઈ મુદ્દે જેલમાં હોવો જોઈએ. સમાજવાદી નેતાઓએ પરાજયની ચિંતા કર્યા વિના ચૂંટણી લડવી જોઈએ, કારણ કે આંદોલન અને ચૂંટણી નાગરિકની રાજકીય કેળવણીનાં માધ્યમ છે.’

વીસમી સદીના બે દિગ્ગજ વિદ્વાન સામસામે અથડાયા હતા. ભારતીય રાજકારણમાં આટલી ઊંડી અને વિસ્તૃત ચર્ચા બૈતુલ પહેલાં અને પછી ક્યારે ય થઈ નથી. ખેર, થોડાં વર્ષ પછી સનત મહેતા અને જશુભાઈ મહેતા સહિતના ગુજરાતના સમાજવાદીઓ ડૉ. અશોક મહેતાની સાથે અવિકસિત દેશની રાજકીય મજબૂરીઓ ધ્યાનમાં રાખીને શાસક પક્ષ સાથે સહયોગ કરવા સમાજવાદી પક્ષમાંથી બહાર પડ્યા હતા. સમાજવાદી પક્ષમાં વિભાજન થયું હતું અને છેવટે અશોક મહેતા તેમના સમાજવાદી મિત્રો સાથે કૉન્ગ્રેસમાં જોડાયા હતા.

સૌરાષ્ટ્રમાં એક જમાનામાં સમાજવાદીઓનો મોટો પ્રભાવ હતો. સનત મહેતા, જશુભાઈ મહેતા, છબીલદાસ મહેતા, નવીનચન્દ્ર રવાણી, રસિકચન્દ્ર આચાર્ય વગેરે સૌરાષ્ટ્રના લાડકા હતા. જમીનદારી અને સામંતશાહીગ્રસ્ત ભૂમિ સમાજવાદને વધારે માફક આવે છે. એટલે તળ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં સમાજવાદીઓને વધારે સફળતા મળી હતી. તેમનો પ્રભાવ અને કરિશ્મા એવો હતો કે એને ખાળવા માટે કે પછી તેમને આકર્ષવા માટે જવાહરલાલ નેહરુએ ૧૯૬૧ના કૉન્ગ્રેસ મહાસમિતના અધિવેશન માટે ભાવનગર પસંદ કર્યું હોવાનું કહેવાય છે. નેહરુએ પોતાના ભાષણમાં ગુજરાતના સમાજવાદીઓની સરાહના પણ કરી હતી.

શું તેમનો પ્રભાવ હતો! શું તેમની સજ્જતા હતી! કેવી તેમની નિસબત હતી! સનતભાઈ, જશુભાઈ અને બીજા સમાજવાદીઓ ડૉ. અશોક મહેતાની સાથે અવિકસિત સમાજમાં શાસક પક્ષને સહયોગ કરવા કૉન્ગ્રેસમાં જોડાયા તો હતા; પરંતુ તેઓ ત્યાં ફાવ્યા નહોતા. ખુદ ડૉ. અશોક મહેતાને કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસને અશોક મહેતા માફક નહોતા આવ્યા. રાષ્ટ્રીય સ્તરે ચન્દ્રશેખર, રામધન, કૃષ્ણકાંત, મોહન ધારિયા વગેરે અશોક મહેતાની સાથે કૉન્ગ્રેસમાં ગયા હતા અને તેમને પણ કોઈ સફળતા મળી નહોતી. કૉન્ગ્રેસ હવે જવાહરલાલ નેહરુની કૉન્ગ્રેસ નહોતી રહી, ચાપલૂસોની કૉન્ગ્રેસ બની ગઈ હતી. કૉન્ગ્રેસ હવે રાજકીય પક્ષ મટીને ચૂંટણી લડવાની, જીતવાની અને સત્તા સુધી પહોંચવાની એક યંત્રણા (મશીનરી) બની ગઈ હતી. આવી કૉન્ગ્રેસમાં સમાજવાદીઓની નિસબત અને સજ્જતાની કોઈ કદર નહોતી.

આવી કૉન્ગ્રેસમાં જશુભાઈ મહેતા અને સનત મહેતા મિસફિટ હતા. સનતભાઈ વધારે મિસફિટ હતા, કારણ કે તેમના સ્વભાવમાં એક પ્રકારનું બૌદ્ધિક અણિયાળાપણું હતું. આ ઉપરાંત તેમનો પિંડ રાજકારણી કરતાં કર્મશીલનો વધારે હતો. છેવાડાના માણસ માટે સાવ સાચી નિસબત હતી. ન્યાયયુક્ત સંતુલિત વિકાસની બાબતમાં તેઓ અહર્નિશ વિચારતા રહેતા હતા. જગતમાં શું ચાલી રહ્યું છે એની તેમની પાસે જાણકારી રહેતી. આખા ભૂમંડલ પર નજરે પડતી વિકાસની તરાહો અને આંદોલનો પર તેમની નજર રહેતી. આ અર્થમાં ભારતમાં ગ્લોબલાઇઝેશનનો યુગ બેઠો એ પહેલાં સનતભાઈ ગ્લોબલાઇઝ્ડ હતા.

ઘણા સમાજવાદીઓ કૉન્ગ્રેસમાં જોડાયા પછી કૉન્ગ્રેસના રંગે રંગાઈ ગયા હતા. જેમ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર. વેન્કટરામન એક જમાનામાં સમાજવાદી હતા એમ કહેવામાં આવે તો મોઢામાંથી હેંનો ઉદ્દગાર નીકળી આવશે, પરંતુ જેઓ હૃદયથી સમાજવાદી હતા તેમને કૉન્ગ્રેસમાં ફાવ્યું નહોતું. પરિવારની ચાપલૂસી કરવી એ તેમના માટે અઘરું કામ હતું. અભણ ફૂવડની વાહ-વાહ કરવી એ તેમના માટે હિમાલય ચડવા જેવું અઘરું કામ હતું. ૧૯૭૨-’૭૪ એમ બે વર્ષ માટે સનતભાઈને શ્રમપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૧૯૮૦માં માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે સનતભાઈને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ સનતભાઈનો અને ગુજરાતના વિકાસનો શ્રેષ્ઠ કાળ હતો એમ કહી શકાય. જો કે એ દરમ્યાન મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન વચ્ચે મુષ્ટિયુદ્ધ સતત ચાલતું રહેતું હતું. સનતભાઈ ગુજરાતમાં વેડફાયા એમાં તેમના સ્વભાવનો દોષ હતો એ વાતનો પણ સ્વીકાર કરવો જોઈએ.

આજે ગુજરાતમાં પાટીદારોનું અનામતની માગણી માટે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઝીણાભાઈ દરજીએ આ લખનારને કહેલી વાત યાદ આવે છે. ઝીણાભાઈએ કહ્યું હતું કે ૧૯૮૦ના અનામતવિરોધી આંદોલન પછી ગુજરાતમાં ખામ(KHAM = ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ના ગઠબંધનની થિયરી સનત મહેતાએ વિકસાવી હતી. ૧૯૮૦ના અનામતવિરોધી આંદોલનમાં પાટીદારો અગ્રેસર હતા અને ગુજરાતના રાજકારણમાં તેમની મોટી વગ હતી. ઝીણાભાઈની આ વાત ગળે ઊતરે એવી નહોતી લાગતી તો બીજી બાજુ વધુ વિચારતાં એ ગળે ઊતરે એવી લાગતી પણ હતી. માધવસિંહ સોલંકી ક્ષત્રિય છે અને એ સમયે તેઓ મુખ્ય પ્રધાન હતા એટલે ખામની થિયરી તેમણે વિકસાવી હતી એમ માનવામાં આવે છે. સનત મહેતા ક્યારે ય મુખ્ય પ્રધાનપદના દાવેદાર નહોતા અને રાજકીય ચોકઠાં બેસાડવા માટે તેઓ જાણીતા નહોતા એટલે ખામ સાથે સનતભાઈનો સંબંધ હોય એ ગળે ઊતરે એવી વાત નથી. બીજી રીતે વિચારતા એ હોઈ પણ શકે છે, કારણ કે સનતભાઈની નિસબત સશક્તિકરણ માટેની હતી. સવર્ણો પછી પાટીદારો સત્તા પર કાબૂ જમાવે એ સનતભાઈને અસ્વસ્થ કરે એવી ઘટના છે. ૧૯૮૦ના અનામતવિરોધી આંદોલનમાં પાટીદારો અગ્રેસર હતા એટલે સનતભાઈને પાટીદારોની ઇજારાશાહી તોડવામાં અને સશક્તિકરણના રેંટને આગળ વધારવામાં રસ હોય એ શક્ય છે.

સનત મહેતાનું અમર યોગદાન નર્મદા યોજના છે. જાણીતા કૃષિ-અર્થશાસ્ત્રી યોગેન્દ્ર અલઘે તેમને સરદાર સરોવરના સરદાર તરીકે ઓળખાવ્યા છે. નર્મદા પર ડૅમ બાંધવામાં સૌથી મોટી અડચણ પૈસાની હતી. વિસ્થાપિતોના પુનર્વસન અને પર્યાવરણ વગેરે પ્રશ્નોના કારણે વિશ્વ બૅન્કની અને અન્ય વિદેશી સહાય મળી શકે એમ નહોતી. સનતભાઈએ સરદાર સરોવર નર્મદા નિગમ સ્થાપીને બૉન્ડ બહાર પાડ્યાં હતાં અને એ રીતે પ્રજા પાસેથી પૈસા એકઠા કર્યા હતા. આ ઉપરાંત ડૅમના વિરોધીઓની દલીલોને તોડી પાડવા માટે એટલો બૌદ્ધિક શ્રમ તેમણે લીધો હતો જેની કલ્પના ન થઈ શકે. આ બાબતમાં એકમાત્ર બાબુભાઈ જશભાઈ તેમની નજીક આવી શકે. છેવાડાના માણસની ચિંતા કરનારા અને જીવનભર કર્મશીલોના ભાઈબંધ રહેલા સનતભાઈ નર્મદાના પ્રશ્ને ડૅમની તરફેણમાં રહ્યા હતા. શા માટે નર્મદાનાં નીર ગુજરાતને જરૂરી છે એનો પહેલો સાર્વગ્રાહી અભ્યાસ તેમણે કર્યો હતો. આમ છતાં નર્મદાના વિસ્થાપિતોને ન્યાય મળે એ માટે આર્ચ-વહિનીના આંદોલનને તેમનો ટેકો હતો. વિકાસની કિંમત કોઈકે તો ચૂકવવી પડે એવી ભોંદુ ભૂમિકા સનતભાઈ લે એની તો કલ્પના જ ન થઈ શકે.

આ ઉપરાંત ભાવનગર નજીક અલંગ શિપબ્રેકિંગ યાર્ડ વિકસાવવાની કલ્પના સનતભાઈની હતી. મહુવામાં ડુંગળીનો અર્ક કાઢવાનો ઉદ્યોગ સનતભાઈની કલ્પનાનું પરિણામ છે. તેમણે અગરિયાઓની સહકારી મંડળી વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે તો પ્રારંભમાં કહ્યું છે એમ સનત મહેતા જેટલું ગુજરાતને જાણતા હતા એટલું ગુજરાતમાં બીજું કોઈ ગુજરાતને નહોતું જાણતું. છેલ્લે સુધી તેઓ અભ્યાસરત હતા. ખાસ કરીને ખેડૂતોના પ્રશ્ને તેઓ વધારે સક્રિય હતા.

ગયા એપ્રિલ મહિનામાં નારાયણભાઈ દેસાઈ માટેની મુંબઈમાં યોજાયેલી સ્મૃિતસભામાં હાજર રહેવા માટે મેં તેમને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હવે ટ્રેન કે વિમાન પકડવા વ્હીલચૅરમાં બેસવું પડે છે અને વ્હીલચૅરમાં બેસતાં જીવ કપાય છે એટલે હવે પ્રવાસ કરવાનું ઓછુ કરી નાખ્યું છે. એ પછી અચાનક તેમણે આવેગપૂર્વક કહ્યું હતું કે અત્યારે સાચા ગુજરાતનો, ગુજરાતના સાચા વારસાનો, સાચા ગુજરાતીઓનો અને ગુજરાતની નરવી અસ્મિતાનો ગુજરાતીઓને જ પરિચય કરાવવો પડે એવી સ્થિતિ છે. તેમના છેલ્લા દિવસોની મન:સ્થિતિ આમાં પ્રગટ થાય છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 30 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-30082015-14

Loading

Aajnaa Jaaher JeevanmaM Gandhimaarg ke Jheenamarg ?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|1 September 2015

આજના જાહેર જીવનમાં ગાંધીમાર્ગ કે ઝીણામાર્ગ ? 

મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા ઉત્તેજનને કારણે, ‘ગર્વ સે કહો, હમ અસલામત હૈ’ – નવા સમયનું સૂત્ર છે

વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના ધર્મઆધારિત આંકડા ગયા સપ્તાહે જાહેર થયા. સંકુચિત ઓળખ આગળ કરીને અસલામતી ફેલાવવનારાને તેમાં ગોળનું ગાડું મળી ગયું. તેમણે છાપરે ચઢીને પોકાર કર્યા કે કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ પહેલી વાર ૮૦ ટકા કરતાં ઘટ્યું (૭૯.૮ ટકા થયું) અને મુસ્લિમોના પ્રમાણમાં વધારો ચાલુ રહ્યો. વર્ષ ૨૦૦૧ માંદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૧૩.૪ ટકા હતું, જે વર્ષ ૨૦૧૧માં વધીને ૧૪.૨ ટકા થયું. આટલી વિગતોથી ‘જોયું? અમે કહેતા હતા ને? હિંદુઓ ખતરામાં છે … પચાસ વર્ષ પછી મુસ્લિમો દેશ પર રાજ કરતા હશે.’ એ પ્રકારની કાગારોળ મચી. છડેચોક ઉશ્કેરણી કરવામાં બહાદુરી સમજતા અને અગમ્ય કારણોસર સુઓ-મોટો (સ્વયંભૂ) અદાલતી પગલાંમાંથી બચી જતા શિવ સેના જેવા પક્ષે તેના મુખપત્રમાં જાહેર કરી દીધું કે ‘મુસ્લિમોના વસ્તીવધારા માટે ધર્મનું રાજકારણ જવાબદાર છે. કેટલાંક તત્ત્વો દેશના ઇસ્લામીકરણનો અને મોગલ શાસન પાછું આણવાનો ખ્યાલ સેવી રહ્યા છે.’ આ સિવાય પણ મુસ્લિમો વિશેની ચીલાચાલુ ઉશ્કેરણીજનક વાતો એ લેખમાં લખવામાં આવી હતી. 

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મુસ્લિમોની ‘વસ્તી જેહાદ’ના લીધે હિંદુઓ લુપ્ત થઈ શકે છે. (આવું ગમ્મતમાં નહીં, ગંભીરતાપૂર્વક કહેવામાં આવ્યું હતું.) હિંદુઓના ‘લુપ્ત’ થવાની ‘ગંભીર શક્યતા’ કયા આંકડાના આધારે વ્યક્ત કરવામાં આવી હતી? વિશ્વ હિંદુ પરિષદના ઉચ્ચ હોદ્દેદારે કહ્યું કે ‘૧૯૫૧થી ૨૦૧૧ દરમિયાન કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટીને ૮૪ ટકામાંથી ૮૦ ટકા નીચે આવી ગયું, જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમો ૧૦ ટકામાંથી વધીને ૧૪ ટકા થઈ ગયા … આપણે વેળાસર નહીં જાગીએ તો ભારત ઇસ્લામિક દેશ થઈ જશે.’ હિંદુઓના હિતચિંતક-હિંદુહિતરક્ષક હોવાનો ડોળ કરતા આ બન્નેએ સૂચવેલા ઉપાય જો કે સાવ સામસામા છેડાના હતા. વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારે બેથી વઘુ સંતાન પર અંકુશ મૂકવાની માગણી કરી, તો શિવ સેનાની ઉત્તર પ્રદેશ પાંખે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ વચ્ચે પાંચ કે વધુ બાળકો ધરાવતાં હિંદુ પરિવારોને રૂ.બે લાખ આપવાની જાહેરાત કરી. 

આવા હિતરક્ષકો હોય તો હિંદુઓને હિતશત્રુઓની શી જરૂર? આવો સવાલ થવાનું કારણ તેમણે નહીં ટાંકેલા વસ્તીગણતરીના આંકડામાંથી મળી રહે છે. સૌથી પહેલાં વાત વસ્તીવધારાની ધીમી પડી રહેલી ગતિની. ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ (વસ્તીના ફાયદા) લેવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્ર માટે વસ્તીવધારાના દરમાં થઈ રહેલો ઘટાડો સૌથી આનંદદાયક સમાચાર ન કહેવાય? વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા એવા સારા સમાચાર લઈને આવ્યા હતા, પરંતુ અસલામતીની ખેતી કરનારાને તેની સાથે શી લેવાદેવા? 

હકીકતમાં, દેશના હિંદુઓ અને મુસ્લિમો બન્ને ધર્મના લોકોમાં વસ્તીવધારાનો દર સતત ઘટી રહ્યો છે અને એ ઘટાડો વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીમાં પણ ચાલુ રહ્યો છે. હિંદુઓની વસ્તી ૧૯૮૧ સુધી સતત વધતી રહી. ૧૯૮૧માં હિંદુઓના વસ્તીવધારાનો દર ૨૪.૦૭ ટકા હતો. ત્યાર પછીની દરેક વસ્તીગણતરીમાં એ ઘટતો રહ્યો છે અને વર્ષ ૨૦૧૧માં એ ૧૬.૭૬ ટકા થયો છે. એટલે કે ત્રણ દાયકામાં હિંદુઓના વસ્તીવધારાનો દર આશરે ૭.૨૫ ટકા જેટલો ઘટ્યો છે, જેના કારણે ઉશ્કેરણીબાજો ખતરાના શંખ વગાડી રહ્યા છે. તેમની ઉશ્કેરણીમાં વજૂદ હોય,એટલે કે, તે ઉશ્કેરણી નહીં પણ ચેતવણી હોય, તો આ ગાળામાં ‘પોપ્યુલેશન જેહાદ’ને કારણે મુસ્લિમોનો વસ્તીદર મોટા પાયે વધવો જોઈએ. પરંતુ હકીકત જુદી છે. 

હિંદુઓનો વસ્તીવધારાનો દર ૧૯૮૧ સુધી, તો મુસ્લિમોનો વસ્તીવધારાનો દર ઘટી રહ્યો છે. ૧૯૯૧માં એ દર ૩૨.૮૮ ટકા હતો, જે ૨૦૧૧માં ૨૪.૬૦ થયો છે. એટલે કે ‘પોપ્યુલેશન જેહાદ’ના આરોપી તરીકે ચડાવી દેવાયેલા મુસ્લિમોના વસ્તીવધારાનો દર હિંદુઓના વસ્તીવધારાના દર કરતાં વધુ ઝડપથી ઘટી રહ્યો છે : હિંદુઓની વસ્તીવૃદ્ધિનો દર ત્રણ દાયકામાં ૭.૨૫ ટકા ઘટ્યો, ને મુસ્લિમોનો બે દાયકામાં ૮.૨૫ ટકા. ૧૯૯૧થી ૨૦૦૧ દરમિયાન દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં ૧.૭૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન દેશની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૦.૮ ટકા (અગાઉના દાયકા કરતાં અડધું) વધ્યું. 

સવાલ સાચા અર્થઘટનનો અને સાચી રીતે રાષ્ટ્રહિત અંગે વિચારવાનો છે. ગુજરાતમાં અનામતના મુદ્દે ફેલાયેલી અશાંતિ કરતાં એક સ્ત્રીનાં એકાધિક લગ્નો અને ઓરમાન સંતાનની હત્યાના ચોપડા ચૂંથવા હડી કાઢતાં ઘણાંખરાં ટીઆરપી-ક્લિકભૂખ્યાં પ્રસાર માધ્યમો વિશે તો શું કહેવાનું? વસ્તીગણતરીના આંકડાને ધાર્મિક ઉશ્કેરણીનું નિમિત્ત બનાવતાં તેમને કોણ રોકી શકે? ‘હિંદુ ખતરેમેં’ પ્રકારની અસલામતીને પોતાના રાજકીય અસ્તિત્ત્વનો આધાર બનાવનાર સૌએ પટેલોના અનામત આંદોલન જેવી તેની આડપેદાશો વિશે પણ વિચારવું જોઇએ. ૧૪.૨ ટકા મુસ્લિમોથી ૭૯.૮ ટકા હિંદુઓને ખતરો છે, એવા હથોડા મારનારા આડકતરી રીતે એવું સ્થાપિત કરી આપે છે કે તમે ગમે તેટલું સંખ્યાત્મક કે અન્ય પ્રકારનું વર્ચસ્વ ધરાવતા હો, છતાં તમે અસલામત છો. તમે હિંદુ હો તો મુસ્લિમો સામે અસલામત છો, મરાઠી હો તો બિહારીઓ સામે અસલામત છો, તમે વગદાર-વર્ચસ્વદાર હો તો વંચિતો સામે અસલામત છો, તમે એન્કાઉન્ટરબાજ હો તો કાનૂની કાર્યવાહી ને અદાલતો સામે અસલામત છો … ટૂંકમાં, તમે અસલામત હો, તો જ અમે સલામત છીએ. કારણ કે તમે અસલામત હશો તો જ તમારા હિતરક્ષકની – ‘હૃદયસમ્રાટ’ની જગ્યા ખાલી હશે અને એ જગ્યાને અમે ભરી શકીશું. 

મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા આ પ્રકારના ઉત્તેજનને કારણે ‘ગર્વ સે કહો, હમ અસલામત હૈ’ એ નવા સમયનું સૂત્ર બની ગયું છે. મહદ્દ અંશે કાલ્પનિક એવી અસલામતીનું સૌથી મોટું સુખ એ છે કે તેને આગળ ધરીને મનમાં રહેલા ધીક્કારને – દ્વેષને તર્ક અને વાજબીપણાના વાઘા પહેરાવી શકાય છે. ‘મને તો કોઇના માટે કશું નથી, પણ તમે જ કહો. અમારી આવી દશા થાય એ કેવી રીતે સાંખી લેવાય?’ આવા વખતે જરૂર હોય છે અસલામતીના વિષચક્રને તોડનારની — નહીં કે એની ભીંસને ઓર જડબેસલાક બનાવનારની. ગાંધી-સરદાર જેવા નેતાઓએ આમજનતાના મનમાં અસલામતી ઊભી કરીને પોતાનું નેતાપદું ઊભું કર્યું ન હતું.

તેમનો ઇરાદો એક યા બીજા ધર્મના, એક યા બીજા સમુદાયના નાગરિકોને મજબૂત કે નબળા પાડવાનો નહીં, દરેકને ભારતના નાગરિક તરીકે સ્થાપવાનો – મજબૂત બનાવવાનો હતો. ભારતના ભાગલા વખતે થયેલી ઐતિહાસિક હિંસાખોરી વખતે પણ આ નેતાઓ અસલામતીનું સંકુચિત રાજકારણ રમવામાં ન પડ્યા. સામે પક્ષે ઝીણાએ (મુસ્લિમોમાં) સતત અસલામતી ઊભી કરવાનો વ્યૂહ અપનાવ્યો. ઘણા સમયથી આપણા રાજનેતાઓ ઝીણામાર્ગે ઘણા આગળ નીકળી ગયા છે, પરંતુ સામાજિક આંદોલનોની નેતાગીરી લેનારાએ ગાંધી-સરદારમાર્ગે ચાલવું કે ઝીણામાર્ગે, એ વિચારવાનું છે.

સૌજન્ય : ‘બીવાની મઝા’, “દિવ્ય ભાસ્કર”, 01 સપ્ટેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-the-encouragement-of-politics-proudly-say-were-unsafe-new-formula-5100073-NOR.html

Loading

29 August : Darshak Samvatsari

'કૃષ્ણાદિત્ય'|Opinion - Literature|1 September 2015

૨૯ ઑગસ્ટ : દર્શક સંવત્સરી

દર્શકે ગુજરાત સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સંભાળ્યું એના પછીના વર્ષની વાત છે. ત્રણેક દાયકાના વ્યાપ ઉપર પથરાયેલાં દર્શક સાથેનાં સ્મરણોમાં આ પ્રસંગ જાણે હજુ ગઈ કાલે જ બન્યો હોય એમ જુદો તરી આવે છે.

સવારનાં ચાપાણી પતાવી અમે નિરાંતે બેઠા હતા. બીજો કાર્યક્રમ છેક સાંજે હતો. સામાજિક, શૈક્ષણિક, ઐતિહાસિક એમ ઘણાં બધાં ક્ષેત્રોની વાતોના દોર ગૂંથાતા જતા હતા અને વાતચીતનું પોત ઘટ્ટ થતું જતું હતું. ત્યાં અચાનક દર્શક તરફથી વાતમાં થોડીક ક્ષણોનો વિરામ આવ્યો અને એમણે વાતનો એક નવો જ દોર શરૂ કર્યો.

એમણે કહ્યું કે ગયા વરસ દરમિયાન મારે હાથે એક મોટું કામ સિદ્ધ થયું છે અને એ કામ હતું ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવાનું. એમણે ફોડ પાડીને સમજાવ્યું કે આ કામ પોતે મોટું એટલા માટે માને છે કે બંધારણ ઘડવામાં ખાસ કાળજી લેવામાં આવી છે. આજ પછી શાસક કોઈ પણ આવે અને શાસનતંત્ર કોઈ પણ પ્રકારનું આવે તો પણ બંધારણમાં એટલી ચોકસાઈપૂર્વકની ગોઠવણી છે, જેને અનુસરતાં ભવિષ્યમાં કોઈ પણ સરકાર અકાદમીની સ્વાયત્તતા ઉપર પોતાનો પંજો પાડી શકશે નહીં. એમણે કહ્યું કે પોતે પોતાના આ કાર્યથી ખૂબ સંતોષ અનુભવે છે. વધુમાં, ગુજરાત સાહિત્ય અકાદમીનું આ બંધારણ દેશની અન્ય ભાષાઓના પ્રદેશોને પણ દાખલો પૂરો પાડી શકશે અને ગુજરાતમાં સાહિત્યેતેર સંસ્થાઓ સાથે શાસનતંત્રના સંબંધો માટે એક નૈતિક ભૂમિકા બાંધી આપી શકશે.

એમનું આ કથન પૂરું કરવામાં એમણે સમય ઝાઝો લીધો નહોતો. પરંતુ એમની દૃષ્ટિએ આ કાર્ય અત્યંત મહત્ત્વનું હતું, તેવી દૃઢ છાપ મારા મન ઉપર પડી હતી. તેનાં કારણોમાં તત્કાલીન મારા ધ્યાન ઉપર જે મુદ્દા આવેલા, અને મને આજે ય જે સ્પષ્ટ રીતે યાદ છે, તે આ પ્રમાણે છે.

દર્શક સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં એમના હાથે હાંસલ થયેલી સિદ્ધિઓ વિશે તથા એમની સાહિત્યકૃતિઓ વિશે એમના વિચારો સાંભળવાના અને એના અનુસંધાનમાં એમની સાથે ચર્ચા કરવાના સંજોગો મને મળ્યા છે. ગાંધીચિંધ્યા માર્ગે સ્વાતંત્ર્યસંગ્રામ વિશેનાં એમનાં સ્મરણોનું અનુશીલન કરવાની તક મળી છે. આવા અન્ય કોઈ પ્રસંગે ન જોયો હોય એવો આત્મસંતોષનો અને આત્મગૌરવનો ભાવ એમના મુખ ઉપર આ પ્રસંગે મેં જોયો હતો, એમની વાણીમાં મેં સાંભળ્યો હતો. આ કારણને લીધે મારી યાદમાં આ પ્રસંગ હજુ ય તાજો છે. મેં ત્યારે વિચાર કર્યો હતો કે સ્વાતંત્ર્યની લડત વિશે, સાહિત્યના સર્જન વિશે, શિક્ષણના પ્રણેતા તરીકે ‘પોતે જાતે’ કશુંક હાંસલ કર્યાનો દાવો કરતા મેં જેમને કદી સાંભળ્યા નથી, તેમણે સામે ચાલીને અકાદમીના બંધારણના ઘડતરમાં પોતાના પ્રદાન વિશે આટલા આત્મગૌરવપૂર્વક કેમ વાત કરી હશે! આ વાતચીત થઈ તે સમયે મારી સૂઝસમજ મુજબ મને જે ઉત્તર સાંપડ્યો હતો, અને જે ઉત્તર આજે ય મને ખરો લાગે છે, આ મુજબ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ નામની વ્યક્તિએ સ્વાતંત્ર્યસૈનિક યુવાન મનુભાઈ, શિક્ષણવિદ્દ મનુભાઈ પંચોળી અને સાહિત્યસર્જક દર્શક, એ સૌના જીવનઅનુભવની સમૃદ્ધિનો, જીવંત અનુભવની સામગ્રીનો, વિનિયોગ કર્યો હતો. અર્થાત્‌ એક જાગરૂક નાગરિકની મનસા વાચા કર્મણા થકી મેળવેલી સમ્યક્‌જ્ઞાનની એક ઉપલબ્ધિ એટલે એ સંવિધાનનું ઘડતર, એવી છાપ મારા માનસપટ પર છે.

એક સાહિત્યસંસ્થાની સ્વાયત્તતાનું રક્ષણ કરતું બંધારણ ઘડવાનું  યશપ્રદ કાર્ય દર્શક તથા અન્ય વિધાયકોએ કર્યું હતું. પરંતુ કોઈ પણ બંધારણની રક્ષાનું ઉત્તરદાયિત્વ હંમેશાં અનુજોને માથે હોય છે.

બૉસ્ટન

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 01

Loading

...102030...3,6973,6983,6993,700...3,7103,7203,730...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved