Opinion Magazine
Number of visits: 9692020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુબહેન : ગાંધીજીનું ભુલાયેલું ધન

લલિત ખંભાયતા|Gandhiana|21 December 2015

ગાંધીજીના ઘણાખરા સાથીદારો ગાંધીજીના મૃત્યુ પછી પણ ઊંચા રાજકીય હોદ્દા પર કે જાહેર જીવનમાં સક્રિય રહ્યાં હતાં. પરંતુ ગાંધીજીની મૃત્યુ સુધી સાથે રહેનારાં મનુબહેન ગાંધી મૃત્યુ પછી સાવ ભુલાઈ ગયાં છે અને આજે ય ભુલાયેલાં જ છે. ગાંધીજી વિનાની જિંદગી તેમણે મહુવામાં ગુજારી હતી ..

‘આજે સવારે દસ વાગ્યે ભાવનગરથી નીકળી સાંજે ૫ઃ૩૦ વાગ્યે મહુવા પહોંચી. મહુવાથી કઈ આશાએ નોઆખલી ગઈ હતી? બાપુએ મને લખેલું કે, 'કરવા કે મરવાનો સંકલ્પ કરીને આવજે.' પણ આખરે બાપુ બાપુ હતા – દાદા હતા, મા હતા .. દીકરીને – પોતાની બાળકીને મરવા શાના દે? પોતે જ પોતાનો મંત્ર સિદ્ધ કર્યો, અને પછી જ મને મહુવામાં આવવા દીધી! અહીં આવ્યા પછી આજે પહેલી જ વાર એવો ભાસ થાય છે કે હવે આ જગતમાં બાપુ નથી મળવાના. સવા વરસ પહેલાં ૧૯૪૬ના ડિસેમ્બરમાં હું મહુવાથી કલકત્તા ગયેલી, અને ૧૯૪૮ના માર્ચના આ પહેલા અઠવાડિયામાં જગતની એક વિશ્વવંદ્ય વિભૂતિની જીવનલીલાને સંકેલીને પાછી ય ફરી! કાળની કેવી અકળ ગતિ!’

૧૯૪૮ની પાંચમી માર્ચે મનુબહેને પોતાની ડાયરીમાં આ નોંધ કરી છે. 'દિલ્હીમાં ગાંધીજી' નામે પ્રગટ થયેલી ડાયરીના બીજા ભાગમાં ૪૬૧માં પાને આ નોંધ છે, જે હકીકતે ડાયરીનો છેલ્લો પેરેગ્રાફ છે. ગાંધીજી ભુલાયા નથી અને ભૂલી શકાય એમ નથી .. પણ, પછી મનુબહેનનું શું થયું હતું?

ગાંધીહત્યા વખતે મનુબહેન ૧૯ વર્ષના જ હતાં. પાછલાં વર્ષો તેમણે કઈ રીતે કાઢ્યાં હતાં?

મનુબહેન કેટલું જીવ્યાં હતાં?

ક્યાં જીવ્યાં હતાં?

સવાલોના સરળતાથી જવાબ મળે એમ નથી. ગાંધીજી સાથે હતાં ત્યાં સુધીની મનુબહેનની બધી પ્રવૃત્તિઓ ડાયરીમાં નોંધાઈ છે. પણ પછી તેઓ મહુવા આવતા રહ્યાં હતાં અને મહુવાને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમનાં જુવાનીનાં વર્ષો મહુવામાં જ ભારે ભગ્નતા સાથે પસાર થયાં હતાં..

* * *

મૃદુલા એટલે કે મનુ ગાંધી, ગાંધીજીના ભત્રીજા જયસુખલાલનાં દીકરી. ગાંધીજીના પિતા કરમચંદના સૌથી મોટા ભાઈ તુલસીદાસ (ચકન) ગાંધી. તેમના સૌથી મોટા પુત્ર અમૃતલાલ જે ગાંધીજીના પિતરાઈ થાય. અમૃતલાલના સાતમા દીકરા જયસુખલાલ અને એમની દીકરી એટલે મનુ ગાંધી. મનુ જયસુખલાલની સૌથી નાની, ચોથી પુત્રી હતી. જયસુખલાલ સિંધિયા સ્ટીમ નેવિગેશનમાં કામ કરતા હતા. માટે તેમની નોકરીનાં સ્થાનકો પણ બદલાતાં રહેતાં હતાં. બાળકી મનુનો જન્મ સંભવત કરાંચીમાં થયો હોવો જોઈએ. કેમ કે એ વખતે તેમના પિતાની નોકરી ત્યાં હતી. મનુબહેન ૧૯૨૯માં જનમ્યાં હતાં, એટલી નોંધ મળે છે. પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ પણ મનુબહેને કરાંચીમાં જ પૂરો કર્યો હતો. નાનકડી મનુ બાર વર્ષની થઈ ત્યાં જ તેમના માતાનું અવસાન થયુ હતું.

મનુબહેન બાર વર્ષનાં હતાં ત્યારે જ તેમના માતા અવસાન પામ્યાં હતાં. એ સમયગાળામાં જ કસ્તૂરબાને કોઈ વિશ્વાસુ મદદગારની જરૂર હતી. મનુબહેનને પૂનાના આખાગાન મહેલ ખાતે કસ્તૂરબા પાસે મોકલી દઈ નવી ફરજ સોંપી દેવાઈ. કસ્તૂરબાની સૂચનાથી અહીંથી જ મનુબહેને ડાયરી લખવાની શરૂઆત કરી દીધી હતી. કસ્તૂરબાના અંતિમ શ્વાસ સુધીના ૧૩ મહિના મનુબહેન તેમની સાથે હતાં. એ પછી ગાંધીજીએ નાનકડી મનુની સંભાળ લેવાની શરૂઆત કરી હતી. બાપુએ મનુને કહ્યું હતું, 'આખા જગત માટે તો હું બાપુ હોઈશ, પણ તારા માટે તો મા છું.' માટે જ તો બાપુ સાથેના પોતાનાં સંસ્મરણોને મનુબહેને 'બાપુ મારી મા' એવા નામથી લખ્યાં છે. મનુબહેને પોતાની ત્રણ માતાઓ ગણાવી હતી, એક જેમણે જન્મ આપ્યો, બીજા કસ્તૂરબા અને ત્રીજા બાપુ.

* * *

બંગાળની દિશામાં કોમી આગ ભડકી ઊઠી હતી. બાપુ બંગાળ પહોંચ્યા ત્યારે મનુબહેન મહુવા હતાં. તેમના નિવૃત્ત થયેલા પિતા મહુવા રહેવા આવતા રહ્યાં હતાં. ડિસેમ્બર ૧૯૪૬માં મહુવાથી મનુબહેન ગાંધીજી પાસે પહોંચ્યાં ત્યારે મહાત્મા નોઆખલીના શ્રીરામપુર ખાતે હતા.  મનુ પહોંચી ત્યારે ગાંધીજી કોઈની સાથે વાતચીતમાં રોકાયેલા હતાં. પણ મનુ દોડીને તેમને પગે લાગી એટલે ગાંધીજીએ તેની પીઠ પર ધબ્બો માર્યો, કાન ખેંચ્યો અને ગાલ પર ટપલી પણ મારી અને કહ્યું, 'કેમ આવી પહોંચીને?' મનુબહેને આવીને ગાંધીજીનાં કેટલાંક અંગત કામોની જવાબદારી સંભાળી લીધી હતી, તેથી ગાંધીજી પરનો થોડો બોજો હળવો થયો હતો. ગાંધીજીએ તેમને પણ બંગાળી શીખવાનો આદેશ કર્યો હતો. મનુ ગાંધી રોજ ડાયરી લખતી અને તેના પર ગાંધીજીની સહી કરાવતી. એ રીતે ડાયરી સત્તાવાર દસ્તાવેજ બનતો જતો હતો.

એ વખતે મનુબહેનની ઊંમર ઓગણીસ વર્ષ હતી. મનુબહેન સંબોધન તો આજે વર્ષો પછી થાય છે, પરંતુ ત્યારે એ કોઈ રીતે બહેન કહેવાં પડે એવડી ઊંમરના ન હતાં. ગાંધીજી તો તેમને મનુડી કહીને જ બોલાવતાં હતાં. ગાંધી હત્યા થઈ ત્યાં સુધીના ૪૦૮ દિવસ સુધી મનુબહેને સતત તેમની તમામ પ્રવૃત્તિની નોંધ રાખી હતી.

* * *

મનુબહેનનું નામ ગાંધીજી સાથે અતૂટ રીતે જોડાયેલું છે. ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામે ગોળી મારી ત્યારે ગાંધીજીનો ડાબો હાથ મનુ ગાંધીના ખભે અને જમણો આભા ગાંધીના ખભે હતો. મનુએ નથુરામને ગાંધીજી પાસે આવતા અટકાવ્યા ત્યારે નથુરામે એટલા જોરથી ધક્કો માર્યો હતો કે મનુના હાથમાંથી માળા, થૂંકદાની વગેરે તો પડી જ ગયું હતું, પણ મનુબહેન પોતે પણ ગડથોલિયું ખાઈ ગયાં.

ગાંધીજીની અંતિમયાત્રામાં કાંધ આપવા સુધીની જવાબદારીઓ મનુબહેને નિભાવી હતી. ગાંધીજીના મૃત્યુ પછી મનુબહેને પોતાની પાસે રહેલી ગાંધીજીની તમામ ચીજો દેવદાસકાકાને સોંપી દીધી હતી. થોડા દિવસો સુધી ગાંધીજી પ્રાર્થના કરતાં હતાં એ પ્રમાણે સવારે ઊઠીને બીરલા હાઉસમાં પ્રાર્થના પણ થતી હતી. પરંતુ હવે કોઈનું મન લાગતુ ન હતું. ગાંધીજીના અસ્થિ દેશના વિવિધ ભાગોમાં વહેંચવાના હતાં. મુખ્ય અસ્થિકુંભ અલાહાબાદ લઈ જવાયો હતો. જવાહરલાલ એ દરેક કાર્યમાં મનુબહેનને આગળ કરતાં હતાં. અસ્થિ વિસર્જન વખતે પણ તેમને સાથે રાખ્યાં હતાં.

એ પછી દિલ્હીમાં સત્તાના કેન્દ્રમાં રહેવાની તેમની કોઈ ઈચ્છા ન હતી. દરમિયાન મનુબહેન પર પણ ધમકીભર્યા પત્રો આવતાં હતાં કે, 'ગાંધી હત્યા વિશે કોઈ જુબાની આપી છે, તો તમારી પણ ખેર નથી!' ત્યાં સુધીમાં મનુબહેને પણ દિલ્હી છોડવાનું નક્કી કરી લીધું હતું.

'પેશાવર એક્સપ્રેસ'માં ૨૩મી ફેબ્રુઆરી(૧૯૪૮)ના દિવસે મનુબહેન મુંબઈ આવવા રવાનાં થયાં. સાથે તેમના પિતા, કનુ ગાંધી, આભા ગાંધી, વગેરે અને રક્ષણ માટે એક જમાદાર હતો. ડબ્બા પર 'ગાંધી કેમ્પ' એમ લખેલું હોવાથી દરેક સ્ટેશને ડબ્બામાં કોણ છે? શું છે? એ જોવાં લોકોનાં ટોળાં ઉમટતાં હતાં. મુંબઈ થોડા દિવસ રોકાઈને મનુબહેન ૧લી માર્ચે વિમાન મારફતે ભાવનગર આવવા રવાના થયાં. મુંબઈના શાંતિકુમારભાઈએ ધરાર વિમાનની ટિકિટ કઢાવી આપી હતી.

અહીંથી શરૂ થઈ હતી તેમની ગુમનામ જિંદગી.

* * *

ભાવનગર પહેલી વખત આવ્યાં ત્યારે બાપુની વિદાયને હજુ બે મહિના પણ નહોતા થયા. લેખની શરૂઆતમાં જે ડાયરીની નોંધ મૂકી છે, એ અહીં આવીને જ લખાઈ હતી. હવે તેમના પિતા મહુવામાં નિવૃત્ત જીવન ગાળતા હતા. કોઈ કારણોસર મનુબહેને લગ્ન ન કરવાનું નક્કી કર્યુ હતું. સંભવ છે, ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોની તેમના માનસ પર વિપરિત અસર થઈ હોય! સમાજસેવા એ એકમાત્ર કામગીરી તેમની પાસે બાકી રહી હતી.

અહીંના રાજકારણમાં પડવા જેવુ ન હોવાની મનુબહેનને પહેલેથી જાણ હતી. બાપુના જીવતા જે કાર્યકરો હતાં એ બધાના સત્તા હાથમાં આવતાંની સાથે જ શાહી ઠાઠ વધી ગયા હોવાની વ્યથિત હૈયે નોંધ મનુબહેને ડાયરીમાં કરી જ છે. બદલાતા સંજોગોને ધ્યાનમાં રાખીને મનુબહેન કહેવાતા સામાજિક આગેવાનોથી અંતર રાખીને મહિલા-બાળકોને મદદરૂપ થાય એ પ્રકારનું બાલવાડીનું કામ હાથમાં લઈ ચૂક્યાં હતાં.

એ ગાળામાં જ મુંબઈની ન્યુ ઈરા સ્કૂલના પ્રિન્સિપાલ વ્યાસ સાહેબે 'બાપુ જીવનદર્શન' વ્યાખ્યનામાળા કરવા જવાહરલાલને સૂચન કર્યું. જવાહરલાલે સૂચન સ્વીકાર્યુ અને કામ મનુબહેનને સોંપ્યું. પરિણામે મનુબહેન દેશના ઘણા રાજ્યોમાં ફર્યાં અને વિદ્યાર્થીઓ સાથે ગાંધીજી અંગે પરામર્શન પણ કર્યું. ગાંધીજી વિશે વિદ્યાર્થીઓ પૂછે એ સવાલના જવાબો પણ મનુબહેન આપતાં. જવાહરલાલ આ કામથી બહુ પ્રભાવિત હતા અને એટલે જ ડાયરીઓ જોવા તથા મનુબહેનને મળવા ૧૯૬૩માં છેક મહુવા સુધી ધક્કો ખાધો હતો.

ગોહિલવાડના કેટલાક રાજકીય આગેવાનો મનુબહેનથી વિરુધ્ધ હતાં. મનુબહેન પોતાનું કામ કરી ન શકે એવી અડચણો ઊભી કરતાં રહેતા હતા. અલબત્ત, મનુબહેન માત્ર સેવા કાર્યોમાં જ જોતરાયેલા હતાં. કોઈ પ્રકારના સત્તાસ્થાને રહેવાની તેમની મહાત્ત્વાકાંક્ષા હતી નહીં. અહીં રહીને તેમણે મહિલાઓનો 'ભગીની સમાજ' સ્થાપ્યો હતો, જેનું મુખ્ય કામ પાસેના ગામોમાં જઈ બાલવાડીઓ ચલાવાનું હતું. બાળકો અને મોટેરાંઓ અહીં શિક્ષણ લેતાં થાય એ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. એ માટે તેઓ આસપાસના અનેક ગામોમાં પણ ફરતાં રહેતાં હતાં. ૨૦-૨૨ બહેનોને એકઠી કરીને તેઓ મહિલા કલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. બગદાણા, ભાદ્રોડ વગેરે અનેક ગામોમાં તેમની બાલવાડીઓ ચાલતી હતી.

સદ્દનસીબે મનુબહેન સાથે કામ કરી ચૂકેલાં બહેનો પૈકી કેટલાંક હજુએ જીવે છે. મહુવાનાં ભાનુબહેન લહેરી તેમાંનાં એક છે. ૯૦ વર્ષની વય વટાવી ચૂકેલાં ભાનુબહેનની યાદશક્તિ હજુએ સાબૂત છે. હજુએ ખાદી પહેરતાં ભાનુબહેન મનુ ગાંધીનું નામ આવતાં જ ઉત્સાહમાં આવી કહે છે, 'મેં વીસેક વર્ષ તેમની સાથે કાઢ્યાં છે. પાછલાં વર્ષોમાં મનુબહેને ગાંધી ચિંધ્યા માર્ગે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. સ્વભાવના તો એ ઉગ્ર હતાં, પણ અમારી સાથે પ્રેમથી વર્તતા હતાં. આજે મનુબહેન જીવતાં હોત તો ૮૫-૮૬ વર્ષનાં હોત.'

એક રસપ્રદ પ્રસંગ યાદ કરતાં ભાનુબા ઉમેરે છે, 'એક વખત એવુ થયું કે અમે બધી કાર્યકર બહેનો બજરંગ બાપા સાથે દ્વારકા-હર્ષદ-જામનગર તરફના પ્રવાસે ગયાં હતાં. જામનગરમાં બહેનોની ઈચ્છા બાંધણી લેવાની હતી. બાંધણી તો લઈ લીધી પણ દુકાનદાર તો કંઈ મનુબહેનને ઓળખે નહીં! માટે તેણે બાપા(બજંરગદાસ)ને પૂછ્યું કે બાપુ પૈસા કોની પાસેથી લેવાના? એટલે બાપાએ ગુસ્સે થઈને કહ્યું કે તારે પૈસા જોઈએ છે? એમ? લે .. એમ કરીને તેમણે બંડીના ખિસ્સામાં હાથ નાખી નીકળ્યા એટલા પૈસા આપી દીધા હતા.'

ગાંધીજી સાથેના અનુભવોમાંથી મનુબેહેને દસ્તાવેજ સ્વરૂપ ૨૧ પુસ્તકો કે પછી ડાયરીઓ દેશને આપી છે. ગાંધી  સાહિત્યના એ બધા અત્યંત મહત્ત્વના દસ્તાવેજો ગણવા રહ્યા. મનુબહેન લખે એ ડાયરીમાં બાપુ રોજ સહી કરી આપતા હતા. સહી કરવાના આગ્રહનું મહત્ત્વ પાછળથી મનુબહેનને સમજાયું હતું. કેટલાક લોકોએ બાપુના મૃત્યુ પછી એવો આક્ષેપ કર્યો હતો કે (મનુની) આવડી નાની ઊંમરમાં આવું લખાણ લખવાની સમજ હોઈ જ ન શકે. એ બધાં લખાણોમાં બાપુની સહી હોવાથી તેની સત્યતા અંગેની શંકા-કુશંકા પર કોઈએ ધ્યાન આપ્યું નહીં.

* * *

દિલ્હીથી મનુબહેનને વારંવાર આમંત્રણ આવતા રહેતા હતાં. ૧૯૬૯માં એવા જ એક આમંત્રણથી તેઓ રેડિયો કાર્યક્રમ આપવા ગયા હતાં. ત્યાં તેઓ બીમાર પડયાં, દવાખાને દાખલ થયાં અને થોડી વારમાં જ મૃત્યુ પણ પામ્યાં … માત્ર ૪૦ વર્ષની ઊંમરે .. મનુબહેન ક્યાં અને કઈ હાલતમાં મૃત્યુ પામ્યાં તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ હવે મળતો નથી. ભાવનગર મહારાજ હોય કે રાષ્ટૃીય નેતાઓ .. ગાંધીજીના અંતિમ દિવસોમાં તેમને મળવા આવનારા સૌ કોઈ મહાનુભાવો મનુબહેનની નજર તળેથી અચૂક પસાર થતા હતા. બીજી તરફ એ મનુબહેન મૃત્યુ પામ્યાં ત્યારે તેમના પર કોઈની નજર પડી ન હતી.

* * *

મનુબહેન સંચાલન કરતાં હતાં એ સંસ્થાનાં મકાનો હજુએ ખંડેર હાલતમાં ઊભાં છે. અહીં તેમની સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ પડયા છે, પણ કોઈ તેની કદર કરનાર છે નહીં. તો વળી તેમનું કાર્યક્ષેત્ર હતું એ કમ્પાઉન્ડ પર ગેરકાયદેસર દબાણ થઈ ચૂક્યુ છે. બંધ મકાનમાં મનુબહેનનો આત્મા કદાચ આજે ય ક્યાંક ભમતો હશે.

સૌજન્ય : ‘સમયાંતર’ નામક લેખકની કોલમ, ‘રવિ પૂર્તિ’, “ગુજરાત સમાચાર”, 01 ફેબ્રુઆરી 2015

Loading

ચુનીકાકા: ગુજરાતના આંદોલનપુરુષ, આજે એમને ગયે બરાબર એક વરસ થશે

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Gandhiana|19 December 2015

વ્યાપક અસહકાર કે વિરાટ લોકઆંદોલન શક્ય બને તો સશસ્ત્ર ઉઠાવને કારણ નથી એવી શ્યામજીની સમજ હતી

શરૂઆત આમ તો ચુનીભાઈ વૈદ્ય – ચુનીકાકાથી કરવાનો ખયાલ હતો. આજે એમને ગયે બરાબર એક વરસ થશે. છેલ્લાં વીસપચીસ વરસમાં ગુજરાતમાં સ્થાપિત રાજકીય પક્ષોથી ઉફરા આપણા એકના એક આંદોલનપુરુષ જેવા એ કદાચ હતા. એમનો એ સ્લોટ આજની તારીખે તો વણપુરાયા જેવો છે. અલબત્ત, આંદોલનપુરુષ કહેતાં સ્વતંત્ર ભારતમાં ગુજરાત સ્તરે હજુ સુધી પ્રતિમાનરૂપ રહેલું નામ ઈન્દુલાલ યાજ્ઞિકનું છે, અને એમના ગયા પછી અક્ષરશ: અણપુરાયેલું, એ જુદી વાત છે.

પણ કાકાને સમરવા કરું ન કરું ત્યાં તો ચિત્તનો કબજો એક નારીએ લીધો. એટલે પહેલાં એ બે નિમિત્તે એકબે મુદ્દા કરીશ. 16મી ડિસેમ્બરે નિર્ભયાને ગયે ત્રણ વરસ થયાં. એને સંભારી આતમઆતશને જલતો રાખવાના એક ઉપક્રમમાં આશાદેવીએ કહ્યું કે નિર્ભયા મારી પુત્રી હતી. એણે એવું કશું નથી કર્યું કે એનું નામ છુપાવવું પડે. આજે અહીંથી હું નિ:સંકોચ, સગૌરવ એનું નામ લઉં છું – જ્યોતિ. આપણે ત્યાં સામાજિક લાજશરમવશ (અને બટ્ટો ન લાગે એ ભયે) રિપોર્ટિંગમાં બલાત્કૃતાનું નામ છુપાવવાનો ચાલ છે. પણ આશાદેવીએ પુત્રીનું નામ લેવું પસંદ કર્યું એમાં વસ્તુત: એક મૂલ્યસ્થાપન રહેલું છે. અને તે મૂલ્ય આ છે: જે બળાત્કારનો ભોગ બને છે તે અપરાધી નથી. અપરાધી, એની સાથે દુષ્કર્મ આચરનાર અને છતાં આબરૂને હંમેશાં બાઈમાણસ જોડે જોડનાર સામાજિક પર્યાવરણ છે.

આ મૂલ્યસ્થાપન (અને પડકાર) પોતાને સ્થાને છે. પણ નિર્ભયા, સૉરી જ્યોતિ ઉદ્યુક્તિ (મોબિલાઇઝેશન)માં એક બીજી વાતે સવિશેષ ખેંચાણ રહેલું છે. ચાલુ દસકો બેસતે દિલ્લીએ અને દેશે બે મોટાં આંદોલનો જોયાં જે કોઈ સ્થાપિત રાજકીય પક્ષના વશની વાત મુદ્દલ નહોતી. એક જો જ્યોતિ ઉદ્યુક્તિનું હતું તો બીજું અણ્ણા આંદોલનનું હતું. વખતોવખત આપણને ભલે એમ લાગતું રહ્યુ હોય કે આવાં આંદોલનો અંતે અફળ રહે છે. પણ તમે જુઓ કે આ તરેહની નાગરિક જાગૃતિ કશીક એવી ભોંય જરૂર તૈયાર કરે છે જેના પર વૈકલ્પિક રાજનીતિ અગર તો રાજકીય વિકલ્પ ભણી જતો દાવ લઈ શકાય. આ પ્રકારની ઉદ્યુક્તિઓ વગર આપ ઘટના (એની સઘળી મર્યાદાઓ છતાં) સરખો અસાધારણ સર્જક ઉદ્રેક કલ્પી શકતો નથી.

જ્યોતિ ઉદ્યુક્તિની સાથે હજુ હમણાં નવમી ડિસેમ્બરે જ જેનું જન્મપર્વ ગયું એ બાંગલાદેશી લેખિકા રુકૈયા સખાવત હુસેનનુંયે સ્મરણ આ દિવસોમાં સતત થતું રહ્યું છે. 1905માં રુકૈયા ‘સુલતાના’ઝ ડ્રીમ’ એ વારતા લઈને આવ્યાં. એમાં એક ભરીબંદૂક કલ્પના છે કે સુલતાનાએ સ્વપ્નમાં જે રાજ્ય જોયું એમાં કદાપિ અશાંતિ નહોતી; કેમ કે પુરુષો માટે મર્દાનખાનાની મર્યાદા નક્કી હતી. એક રીતે, આવડ્યો એવો એ નવ્ય નારીવાદી વિમર્શ હતો અને તે પણ ભારતીય ઉપખંડની એક લેખિકા, તે ય તે પાછી મુસ્લિમ લેખિકા થકી!

જર્મનીમાં ગ્રીન મુવમેન્ટ(અને પાર્ટી)નો જે વિકાસ થયો એ જો તપાસીએ તો એની પાછળ આ પ્રકારની વૈકલ્પિક મથામણો અને વૈકલ્પિક જમાવટોનું એકત્ર આવવું તરત સમજાઈ રહેશે. આપણે ત્યાં મહિલા અભિક્રમથી ચાલેલું ચિપકો આંદોલન પણ રિયોડીજાનેરોથી માંડીને પૅરિસ મથામણ લગીની પર્યાવરણચિંતામાં કશોક ધક્કો નથી આપી ગયું એમ તમે કહી શકતા નથી.

આ જ દિવસોમાં બલકે કલાકોમાં, કાકા લગી પહોંચું તે પૂર્વે જોઉં છું કે શ્યામજી કૃષ્ણવર્માની કાયદાની સનદ રદ થયેલી તે ફેરતાજી કરીને લંડન બારે પોતાની ભૂલ સુધારી લીધી છે, અને એ સનદ માંડીના ક્રાંતિ તીર્થે પહોંચવામાં છે. શરૂમાં જ જેમને યાદ કર્યા, આપણા એકના એક ઈન્દુચાચા, એમણે સરદારસિંહ રાણા પાસેથી આખું દફતર મેળવી શ્યામજીનું અધિકૃત ચરિત્ર આપ્યું અને આપણી ઇતિહાસસ્મૃિત અક્ષત જળવાઈ રહી. આ શ્યામજીને વર્તમાન સત્તાપ્રતિષ્ઠાન સવિશેષ ઉછાળવા ચાહે એમાં નવાઈ નથી, કેમ કે એની પાસે કમનસીબે પોતાના ગાંધીનેહરુપટેલના પ્રાણવાન અને પૂરા કદના પેરેલલ નથી. જો કે, યૌન પ્રશ્નો વિશે દિલખુલાસ ચર્ચા કરતા હેવલોક એલિસના સાહિત્ય પર લંડનમાં સેન્સરસોટી ચાલી ત્યારે વિરોધ સરઘસમાં શ્યામજી પણ સામેલ હતા, એ ઘૂંટડો હાલના સત્તાપ્રતિષ્ઠાનની ચહેતી મૉરલ પોલીસના ગળે ઊતરી નહીં શકે એ એક જુદો મુદ્દો થયો!

આ સત્તાપ્રતિષ્ઠાની શ્યામજીને ક્રાંતિગુરુ તરીકે આગળ ધરે છે અને સશસ્ત્ર ઉઠાવની હિમાયતરૂપે એનું મહિમાગાન કરે છે. પણ એને એ વાતની સુધબુધ નથી કે જો વ્યાપક અસહકાર કે વિરાટ લોકઆંદોલન શક્ય બને તો સશસ્ત્ર ઉઠાવને કારણ નથી એવી શ્યામજીની સમજ હતી. બને કે દક્ષિણ આફ્રિકાના ગાંધીપ્રયોગથી એમને પૂરો સધિયારો ન મળ્યો હોય પણ 1920-21 અને 1930ના આપણે ત્યાંના ગાંધીઘટનાક્રમ પછી કદાચ બોલવાપણું રહેતું નથી. 1930માં શ્યામજી માટે ‘આ જ દેહે, આ જ નૈત્રે’ દાંડી કૂચે જગવેલ અભૂતપૂર્વ ઉદ્યુક્તિ જોવું શક્ય નહોતું.

‘અયોધ્યા’ જેવી કોઈ વિરાટ ચળવળ થઈ નથી એવી ભૂરકીવશ વિચારણાને એ અંદાજ નથી કે નાતજાતકોમથી ઉફરા એવા નજીકના મુદ્દાએ સૌને જોડ્યા હતા અને વિભાજક અયોધ્યાજવર તે એનો કોઈ વિકલ્પ નથી. જેપી પૂર્વે સ્વતંત્ર ભારતમાં જે મોટું આંદોલન આવ્યું, વિનોબાના નેતૃત્વમાં ભૂદાનનું, એ પણ એમાંથી ફોરતી સમતાલક્ષી ને બિનસાંપ્રદાયિક માનવતાએ કરીને ન્યારું હતું. આર્થિક-સામાજિક ન્યાયની આ નવ્ય લડતને, સ્વરાજસંગ્રામના અનુસંધાનમાં, જેપી આંદોલને નવો વળાંક આપ્યો અને એમાંથી બીજું સ્વરાજ આવ્યું.

ભૂદાન આંદોલનને દેશમાં પહેલા જીવનદાની જો જયપ્રકાશ અને બીજા વિનોબા મળ્યા તો ગુજરાતના પ્રથમ જીવનદાની જોગાનુજોગ ચુનીકાકા હતા. પણ ગુજરાતને એમનો પ્રથમ પરિચય (કે પરચો) ત્યારે મળ્યો જ્યારે એમણે કટોકટીરાજ સામે ‘ભૂમિપુત્ર’નો પ્રગટ મોરચો સંભાળ્યો. એ કામગીરી કીર્તિદા રહી – કટોકટી ઊઠ્યા પછી વડોદરામાં એક સામાન્ય ગલીખૂણો શોધતા કુલદીપ નાયર ‘ભૂમિપુત્ર’ની યાત્રાએ આવ્યા હતા. પણ લડાકુ પ્રકૃતિના કાકાએ પત્રકારત્વમાં બંધાઈ રહેવું પસંદ ન કર્યું અને લોકશક્તિ સંગઠનના, લોકસમિતિના કામને અગ્રતા આપી. એમનાં છેલ્લાં વરસોમાં ભૂમિ મુદ્દે એ ખાસું ઝૂઝ્યા ને ઝળક્યા. ગુજરાતમાં ભૂદાન ક્ષેત્રે પ્રથમ જીવનદાની, બીજા સ્વરાજમાં આર્થિક-સામાજિક ન્યાયની દૃષ્ટિએ ‘ગામની જમીન ગામની’ એ સૂત્ર સાથે સરકાર-કોર્પોરેટ સાંઠગાંઠ સામે અવાજ ઉઠાવવામાં ધર્મ જુએ એમાં ઇતિહાસક્રમનું ઔચિત્ય પણ હતું.

કલસરીઆનું મહુવા આંદોલન, લાલજી દેસાઈનું ‘સર’ આંદોલન, આ બધાં નાનાંમોટાં પણ તળ આંદોલનો (માઇક્રો સ્ટરિંગ્ઝ)ને વ્યાપક ધોરણે બાંધતાસાહતાં તો કોક ગાંધી, કોક જેપી આવતાં આવશે. સરસ કહ્યું’તું વિનોબાએ કે મને ચંદ્રે ખંડી લીધેલી ચાંદની રાત કરતાં અમાસનું આકાશ ઝાઝું ખેંચે છે, કેમ કે એમાં તારાઓનું ગણરાજ્ય છે.

સૌજન્ય : ‘ઇતિહાસબોધ’, “દિવ્ય ભાસ્કર”, 19 ડિસેમ્બર 2015

 

Loading

નિષ્ફળતા પચાવવાનું ભણતર

હિમાંશી શેલત|Opinion - Opinion|18 December 2015

માબાપને સતત સરખામણી કરવાની કુટેવ હોય છે. બાળકો મોટે ભોગે એમના અહંકારનું વિસ્તરણ બની જાય છે.

આઠમા કે નવમા ધોરણમાં ભણતો કોઈ વિદ્યાર્થી ફાંસો ખાઈ મોતને વળગે ત્યારે આપણે સફળતાના જે માપદંડો સ્વીકારી લીધા છે એ અંગે નવેસરથી વિચારવું જોઈએ. ખાસ તો એટલા માટે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. છેલ્લા એક વર્ષમાં આવા અનેક બનાવો નોંધાયા છે જેમાં કાચી વયના કોઈ વિદ્યાર્થીએ અથવા કોલેજમાં ભણતાં કોઈકે આપઘાત કર્યો હોય. જે સમાજમાં ભણતરનો આરંભ હજી હમણાં થયો છે એવાં ગામડાંમાં પણ વિદ્યાર્થીઓએ મોત વહાલું કર્યું હોય એવાં બનાવો અખબારે ચડ્યા છે. ખરેખરો પડકાર આવે એ પહેલાં જ મેદાન છોડી દેવાની આ વૃત્તિ ખતરનાક છે, ખાસ તો એટલા માટે કે જેને સમાજ કે શાળા ‘નિષ્ફળતા’ માને છે એને સમજપૂર્વક સ્વીકારી લેવાની તાલીમ આ બાળકોને મળી જ નથી.

આપણા ભણતરમાં કેટલાક મુદ્દાઓ સ્પર્શવામાં નથી આવતા અને એમાંનો એક તે સફળતા વિનાનું, કે નોંધપાત્ર સિદ્ધિ વિનાનું જીવન પણ ઉત્તમ હોઈ શકે એનો હકીકત લેખે સ્વીકાર અને મહિમા. ટોચ પર રહેવાના કે ઝળહળતા રહેવાના વાહિયાત ખ્યાલોને એ રીતે બહલાવવામાં આવ્યા છે કે સહુને છવાઈ જવાની મહત્ત્વાકાંક્ષા પજવતી રહે છે. કોચિંગ-ક્લાસ હોય કે સ્કૂલ, આગલી હરોળનાં વિદ્યાર્થીઓના ફોટા અને નામ, જ્ઞાતિ સંસ્થાઓના કાર્યક્રમોમાં મળતાં સન્માન અને સ્કોલરશિપ, પરિવારમાં લેવાતી નોંધ અને મળતી ભેટસોગાદ – આ બધું જ નિષ્ફળતાને વરેલાં કાચી ઉંમરનાં છોકરાંઓને પચાવવાનું ફાવતું નથી. એ સતત સરખામણી કરતાં રહે છે. કારણ કે એમને સરખામણીની તાલીમ જ મળી છે. પરીક્ષામાં ઓછા ટકા આવ્યા તેથી પોતે કોઈ મહાઅપરાધ કર્યો હોય, મા બાપને હતાશ કરવાનું પાતક વહોરી લીધું હોય, એમની કાળજીનો દુરુપયોગ કર્યો હોય, જીવન બદલાઈ ગયું હોય એવી લાગણીથી પીડાતી ઊગતી પેઢીનો એકાદ સભ્ય આત્મહત્યા કરી લે, તે ભયાનક છે. સમાજ અને શિક્ષણ પદ્ધતિ માટે એણે આપેલો આ ચુકાદો ગંભીરતાથી લેવાવો જોઈએ. એમની હતાશા માટે અને એમણે ભરેલાં આત્યંતિક પગલાં માટે આપણે ઊભા કરેલા આભાસી માપદંડો જવાબદાર છે, અને એટલો દોષ આપણે માથે ય ખરો.

કેવા છે આ સફળતાના વિષયક આભાસી માપદંડ? એક સમજદાર, સંવેદનશીલ અને ઉત્તમ નાગરિક બનવા માટે કેટલા ટકા માર્ક જોઈએ? છે કોઈ માપદંડ કે ગાઇડલાઇન? એક ડોક્ટર, એક ઇજનેર કે એક સી.એ. થવા માટે આટલા કે તેટલા ટકા ઓછામાં ઓછા જોઈએ એમ કહી શકાશે, પણ એક માનવતાવાદી ડોક્ટર, એક પ્રામાણિક ઇજનેર કે સી.એ. થવા માટે કેટલા ટકા જરૂરી, છે કોઈ નિયમ? પરીક્ષાનાં પરિણામોને આધારે સમાજનો વિકાસ થતો હોત અને એની તંદુરસ્તી જળવાતી હોત તો આજે ચિત્ર ઘણું અલગ હોત. સારા અને સાચા માણસ થવા માટે એંસી કે નેવું ટકા ખપમાં આવે જ આવે, એમ માનવા જેટલાં કાચાં આપણે નથી. જીવનની વિશાળતા અને એનું વૈવિધ્ય અભ્યાસક્રમથી મપાતું નથી, અને પમાતુંયે નથી.

ભણવામાં સાવ સામાન્ય રહેલો વિદ્યાર્થી પણ કોઈ બાબતમાં, કોઈ અભિગમમાં, કોઈ લાગણીમાં જુદો અને અસામાન્ય હોઈ શકે. એની વિશેષતા એણે પ્રાપ્ત કરેલા માર્ક દ્વારા પ્રગટ નથી થવાની. એ પરગજુ હોઈ શકે, એ અત્યંત સંવેદનશીલ હોઈ શકે, એ ફરજપરસ્ત હોઈ શકે, એ સાચાબોલો હોઈ શકે, એની પાસે બીજું ઘણું એવુંયે હોય જે એંસી કે નેવુ ટકાવાળાંઓ પાસે ન હોય, તો એને ભાગે લઘુતાગ્રંથિથી પીડાવું પડે એવી સ્થિતિ કેમ? ઝળહળતી ફતેહ મળે તો જ ભણ્યાં કહેવાઈએ, ટોચની સંસ્થાઓમાં દાખલ થવા જેટલા માર્ક આવે તો જ જીવન લેખે લાગે, જે કામ કરીએ એમાં ટંકશાળ પાડીએ એનું નામ સફળતા — ઈત્યાદિની ભચડાકચડીમાં શ્રેષ્ઠ હૃદયદ્રવ્ય ધરાવતાં કેટલાંયે વિદ્યાર્થીઓ ગુંગળાઈ જતાં હશે! દોડમાં પાછળ રહી ગયાંની પીડા એમનો પીછો છોડવાની નહીં, કારણ કે એવું વાતાવરણ તો સમાજે એમને આપ્યું જ નથી!

પરીક્ષા દરમિયાન અને તે પછી ભણનારાંઓનું માનસિક સંતુલન જળવાઈ રહે, એમને નકારાત્મક વિચારો ન આવે એ માટે વિવિધ પ્રકારનાં કેન્દ્રો સહાય માટે સ્થપાયાં છે. છતાં એક ખાસ પહેલ શિક્ષણ-સંસ્થાઓએ કરવા જેવી છે. વ્યક્તિત્ત્વવિકાસ એટલે કેવળ પરીક્ષાના ગુણાંક નહીં, સફળતા એટલે પંચાણુ ટકા મેળવી ઈચ્છેલી વિદ્યાશાખામાં પ્રવેશ એટલું જ નહીં, સફળતાનાં કેટલાક અણદીઠા અને સાવ નવાં પરિણામોયે હોય છે, જેનો મહિમા હજુ સુધી નથી થયો. નિષ્ફળ હોવાની શરમ શા માટે? પાછળ રહી જવું, સ્પર્ધા ટાળવી, સામાન્ય કક્ષાના રહેવું, ઝળહળવાના ચીલાચાલુ અર્થોને ફગાવી દેવા, અને પોતાની જે કંઈ વિશેષતા કે વિકસાવવા જેવી લાક્ષણિકતા હોય તેના પર ધ્યાન આપી જીવતરને સ્વચ્છ અને ઉપયોગી બનાવવું એ કેવડી મોટી વાત છે! એની યશગાથા શા માટે નહીં?

નિષ્ફળ હોવાની કે સામાન્ય રહી જવાની શરમ અને સંકોચ અનુભવતાં સહુને શોધીને એમના આત્મવિશ્વાસને મજબૂત બનાવવાનું કામ શાળા અને શિક્ષકો જેટલું સારી રીતે કરી શકે, તેટલું માબાપથી નહીં થાય. માબાપને સતત સરખામણી કર્યા કરવાની કુટેવ હોય છે, જે  સહેલાઈથી છૂટતી નથી. બાળકો મોટેભોગે એમના અહંકારનું વિસ્તરણ બની જાય છે, અને પોતે જે ન કરી શક્યાં હોય એ બધું બાળકો કરી દેખાડે એવી અભિલાષા સેવવામાંથી એ બહાર નથી નીકળી શકતાં. એક એવી શાળા સંસ્થાની કલ્પના કરીએ, જ્યાં ભણનારાં કોઈને સફળતાનો નશો નથી, અને નિષ્ફળતાની શરમ નથી.

આ બંને શબ્દોના અર્થ અહીં ખાસ મહત્ત્વ રાખે છે. સફળ થનારાં અહીં પોતાના પરિશ્રમને સાનુકૂળ પ્રતિભાવ મળ્યો છે એમ સમજે છે, પણ એ કારણે અન્ય સહુ એમના કરતાં નીચલી પાયરીએ છે એવી સરખામણીમાં પડતાં નથી. જે કેવળ પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યાં છે, અને માત્ર પરિણામની દૃષ્ટિએ ધાર્યું નિશાન ચૂકી ગયાં છે, એ પણ વ્યક્તિ તરીકે સફળ થવાની તમામ શક્યતાઓ ધરાવે છે. એમનામાં ઉત્તમ માનવીય ગુણો હોવાની સંભાવના છે જે પરીક્ષાના પરિણામમાં ક્યારે ય જોઈ શકાશે નહીં. સતત સફળતાની અપેક્ષાનો અભિષેક બાળકને માથે થયા કરતો હોય ત્યારે સાવ નજીવી નિષ્ફળતા પણ એને વેરવિખેર કરી નાખે છે. જાતને પુરવાર કરવાના આગ્રહમાં અને અન્ય દબાણોમાં એ આમે ય તૂટી ગયો હોય છે, અને વધારામાં નિષ્ફળતાનો થપ્પો લાગી જાય તો એને છેવટના વિચારો આવવા માંડે છે. વળી મીડિયાને કારણે એને એવી અનેક ઘટનાઓની જાણ છે જેમાં એની જેવી સ્થિતિમાં મુકાયેલા, એની જ વયના કોઈ બાળકે આત્મહત્યા કરી લીધી હોય.

વિદ્યાર્થીઓમાં જે કોઈ આછીપાતળી શક્તિ કે સંભાવના હોય એને સંકોરવાનું કામ શાળાએ કરવાનું હોય, એને કાયમ સ્પર્ધામાં દોડવા માટે સિસોટી વગાડી વગાડીને સાવધાનની મુદ્રામાં રાખવાનું સહેજ પણ જરૂરી નથી. સફળતાની વ્યાખ્યા બદલવાની જરૂર છે. એક સારો, સહુને મદદરૂપ થવા ઈચ્છતો, પ્રામાણિક નાગરિક બધી રીતે નિષ્ફળ હોય તોયે એનું આગવું મૂલ્ય છે એની નોંધ લેવાવી જોઈએ. એના આત્મવિશ્વાસને પણ સાચવી લેવો જોઈએ. આવું થશે ત્યારે કોઈએ ‘સૉરી પાપા-મમ્મા, તમારી ઈચ્છા પ્રમાણે નથી ભણી શકાયું’ એવી ચિઠ્ઠી લખીને આપઘાત કરવો નહીં પડે.

સૌજન્ય : ‘અપેક્ષાનું ઝેર’, “દિવ્ય ભાસ્કર”,18 ડિસેમ્બર 2015

Loading

...102030...3,6973,6983,6993,700...3,7103,7203,730...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved