લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવક્તા પણ નથી
ગુજરાત જોગ ચોથા જ્ઞાનપીઠ પુરસ્કારના સમાચાર સાંભળ્યા કે તત્ક્ષણ ધસી આવેલો દુર્વિચાર અગર સુવિચાર એ હતો કે માણસા પંથકને રાષ્ટ્રીય સ્તરે અમિત શાહથી ઉફરી ઓળખનાં દ્વાર ઠીક ખૂલ્યાં: તે સાથે એક પડકાર પણ મીઠી વલૂરની પેઠે ખણુંખણું થવા લાગ્યો કે સહરાની ભવ્યતા સરખા સાહિત્યિક ઊંચાઈ ને ગહરાઈ ધરાવતાં વ્યક્તિચિત્રોના તેમ જ તિલકશ્રેણીના ઉમદા પીઆર પરિચયોના લેખકને જ્ઞાનપીઠ તિલકની આ ક્ષણે એમના બરનો ચરિત્રકાર મળશે તો ક્યારે મળશે.
ના, આ લખનારની નથી એ માટે ઉમેદવારી કે નથી તૈયારી, કેમ કે ‘અમૃતા’ અને ’વાસત્રયીના સર્જકને શોભીતાં હુન્નર ને કલાકારીગરીને કસબ ક્યાંથી લાવું. જો કે એમના લ-ગ-ભ-ગ હમઉમ્ર, ભાષાસાહિત્યપ્રેમે કંઈક હમજુલ્ફ અને જોગસંજોગે સાથી-કટારચીને નાતે સમસામયિક સંદર્ભમાં નિસબતની બેત્રણ વાતો એમને મિષે કહેવા જરૂર ઈચ્છું છું. હજુ હમણે લગીનાં ઘણાં વરસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પર્યાયપુરુષ જેવી એમની છવિ બની છે. મુનશીની આજ્ઞાંકિતા મટી પરિષદે ઉમાશંકરનું સખીકૃત્ય સ્વીકાર્યું એ આજે છ દાયકાને છેડે કેમ જાણે વીસરું વીસરું ઈતિહાસવસ્તુ છે. સંસ્થાપુરુષ રઘુવીરની છવિ પાછી કવિતામાં અને કવિતાની બહાર ફૂટપાથનો થાક શેઢે ઉતારનાર તરીકે તો ગ્રામભારતી જેવા નઈ તાલીમ શિક્ષણ સંસ્થાનના મોભી તરીકેની પણ છે. સરવાળે નર્યાનકરા અક્ષરકર્મી નહીં, અક્કરમી નહીં પણ કર્મઠ કલમીની એમની આબરૂ છે.
પેરેલલ દોરવાની મર્યાદા અને ભયસ્થાનો જાણું સમજું છું પણ એક વાત આ ક્ષણે અચૂક સંભારવા ઈચ્છું છું કે દુરારાધ્ય બ.ક.ઠા.એ એક તબક્કે ઉમાશંકર જોશી વિશે એ મતલબનું કહ્યું હતું કે તે હવે ‘ઈત્યાદિ પ્રકારના’ નથી. એ પણ દોડ્યો’તો એવી હમભી ડીચ ઓળખ એમની નથી. જેને અભિપ્રાય આપવાનો અધિકાર છે અને આપણે જેનો અભિપ્રાય સાંભળવા ઈચ્છીએ એવું એક કેરેક્ટર આ છે. જ્ઞાનપીઠ તિલક રઘુવીરના આ તરેહના આભામંડળની શક્યતાને જરી ઓર અધોરેખિતપણે ચાચરચોકમાં આણે છે.
ગમે તમે પણ, રઘુવીરનો પ્રભાવ અને પકડ, એમનાં વગ અને વર્ચસ ઉત્તરોત્તર (બને કે કેટલાક કિસ્સામાં વાસ્તવિક કરતાં વધુ તો મનોવૈજ્ઞાનિક) એટલાં વિસ્તર્યા છે કે ચોક્કસ સંજોગોમાં સ્વીકૃતિ માટે એમનો હવાલો જરૂરી લેખાય છે. એનો હમણેહમણેનો ક્લાસિક દાખલો અકાદમી પ્રકરણનો છે. સ્વાયત્ત બંધારણને નષ્ટભ્રષ્ટ કરી પેરાશુટ પ્રમુખ સાથે અસ્તિત્વમાં આવેલી સરકારી અકાકમીમાં જોડાયેલા કોઈ કોઈ મિત્રો તમને રઘુવીરભાઈની શુભેચ્છાઓ કે આશીર્વચનોનો હવાલો આપશે. અકાદમી પ્રમુખને બે’ક વરસનો સમય આપો, એવું બોલતા રઘુવીર ક્યાંક ટંકાતા જણાશે. બીજી પાસ, રઘુવીર એમના ખુદના શબ્દોમાં સ્વાયત્તતાથી બંધાયેલા છે. અલબત્ત, આમ કહેવા સાથે એમણે સરળતાથી ઉમેર્યું છે કે સંવાદથી ઉકેલ શક્ય છે.
આટલું ઓછું હોય એમ ઉકેલ ભણીનો રોડમેપ પણ એમણે ચીંધી બતાવ્યો છે. પ્રમુખ ચૂંટાયેલા હોય કે સરકારે નીમેલા એ વૈચારિક મતભેદનો મુદ્દો છે. (આનંદો, નિયુક્તિ અને ચૂંટણી એકમેકના વિકલ્પ હોઈ શકે છે…અને સ્વાયત્તતા બરકરાર છે.) સરવાળે, ઉમાશંકર સંક્રાન્તિમાં અપેક્ષિત લોકશાહી ય રખાવટ હાલ કેવી પરિસ્થિતિમાં મુકાઈ છે એનું ચિત્ર ભૂજ અધિવેશનની પૂર્વસંધ્યાએ ચંદ્રકાન્ત ટોપીવાળાએ આપેલી મુલાકાતમાંથી ટાંકીએ તો ‘ગુજરાત સાહિત્ય અકાદમી સામે અસહકારની સંમતિ આપી સરકારને સહકાર આપ્યા કરવાનું જે ચાલ્યું છે એમાં સાહિત્યકારોને સ્વાયત્તતાના મૂલ્યની ખબર નથી એવું તો નથી, પણ બીજાં અનેક મૂલ્ય-અમૂલ્યનાં લેખાંજોખાં એમની સાથે રહ્યાં છે.’
રહો, જ્ઞાનપીઠ તિલક સરખી અખિલ ભારતીય મહત્ત્વ ઘડીને ગુજરાતમાં જ શા સારુ ગોટવી દઉં, એવું પણ આ ચર્ચતી વેળાએ થઈ આવે છે. પણ આ સન્માન એક એવી વ્યાસપીઠની સંભાવના રચી આપે છે જેના પરથી કિંચિત્ માર્ગદર્શનની અપેક્ષા રહે જ રહે. મીડિયાએ જ્ઞાનપીઠ પ્રતિભાને પૂછ્યું અને બારતેર વરસ પર આવા જ અવસરે રાજેન્દ્ર શાહે જગવ્યો હતો એવો વિવાદ જગવ્યા વગર એ હેમખેમ સોંસરા નીકળીયે ગયા. પણ વ્યાપક હિતમાં આ સવાલજવાબ થોડીએક ચર્ચા માગી લે છે.
લેખક, રઘુવીરભાઈના મતે લેખક છે એટલે કે વિરોધપક્ષનો નેતા નથી. એવોર્ડ વાપસીના અસાધારણ ઘટનાક્રમ સબબ એમની આ ટિપ્પણી આવી પડી છે. ગુજરાતના સ્વાયત્તતા વિવાદમાં હો કે દેશના અસહિષ્ણુતા વિવાદમાં, સરકાર અને રાજ્ય બાબતે લોકશાહીમાં શાસનતંત્રના સહજ સ્વીકાર કરતાં કંઈક સવિશેષ સ્વીકાર તરફ જાણે જતા ન હોય! એવોર્ડ પાછા વાળવાનું એમને મતે ગ્રાહ્ય નથી પણ પાછા વાળનારાઓનો ટીકામુદ્દો (એની રજૂઆતમાં, વિરોધપક્ષ જેવી તીવ્રતા બાદ કરતાં) સાચો હોઈ શકે છે એવું તો એમણે કહ્યું છે. જો કે, સરવાળે સરકાર અને રાજ્યને તે ‘સેફ પેસેજ પણ આપી શકે, કેમ કે આજે કોઈ ‘ઇમરજન્સી’ નથી જેનો વિરોધ કરવામાં પોતે પણ હતા. અસહિષ્ણુતા વિવાદનો છેદ એમણે એમ કહીને ઉડાડ્યો છે કે એ તો ભાગલા વખતે હતી તે હતી, આજે એને મુકાબલે ક્યાં છે.
જ્ઞાનપીઠ પ્રતિભાની મીડિયા સાથેની વાતચીતમાં આ બધાં વિધાનો એકસાથે મૂકીને તપાસતાં શું સમજાય છે? સરકાર અને રાજ્ય માત્રની પ્રકૃતિ જોતાં એને અંગે એક આલોચનાત્મક દૃષ્ટિબિંદુ હર શાસનમાં જરૂરી છે. ઈંદિરા ગાંધીના ‘અનુશાસન પર્વ’માં અને અન્યથા આપણને એ ઉત્કટપણે સમજાતું રહ્યું છે. એવોર્ડવાપસીનો સ્વયંભૂ ઉદ્રેક પણ આ જ આલોચનાત્મક દૃષ્ટિબિંદુનો એક દાખલો છે. ક્યારેક કૉંગ્રેસ સરકાર વિશે લાગ્યું હશે તેમ આજે ભાજપ સરકાર વિશે લાગે છે. કારણ, લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવકત્તા પણ નથી. બંધારણીય સુધારા છતાં કટોકટી પાછી નહીં જ આવે એ બાબતે પોતે આશ્વસ્ત નથી એવી અડવાણીની કેફિયતમાં વ્યક્તિગત સમીકરણના શક્ય અંશો ગાળ્યા પછી પણ દમ છે તે છે.
જો કે, અડવાણી આ પરિસ્થિતિમાં એમની અને નમો બેઉની ગોત્રગળથૂથીગત વિચારધારાકીય ભૂમિકાનો જે હિસ્સો હોઈ શકે છે તે કેટલું સમજ્યા હશે એ આપણે જાણતા નથી. એમના અવલોકનમાં મુખ્ય હિસ્સો કદાચ નમોના રાજકીય ચરિત્રમાં રહેલ એકાધિકારવાદનો હશે. સરકાર અને રાજ્યમાત્રની પ્રકૃતિગત વાસ્તવિકતા વત્તા વિચારધારાકીય માંજો એ નવા શાસનની ઓળખ છે. ભાગલા વખતની અસહિષ્ણુતા અને આજની સરખામણી સ્થૂલ રીતે કરવા જેવી નથી. જે પણ બન્યું એને સ્વરાજ સરકારનું સૅન્કશન નહોતું. બિનસાંપ્રદાયિકતા ભણી લૂલીલંગડી પણ ગતિ હતી. આજે નાના નાના જે અસહિષ્ણુતાના બનાવો જારી છે એની પાછળ વિચારધારાકીય સમર્થન અને વૈકલ્પિક વિમર્શદાવો પડેલા છે. અસહિષ્ણુતાની ટીકા પરત્વે દાખવાતી અસહિષ્ણુતા, એ આપણા સમયની બલિહારી છે. સત્તાપક્ષના પ્રવકત્તા કે વિરોધપક્ષના નેતા કરતાં વધુ સારી રીતે આ કોણ કહી શકે, સિવાય કે કલમશીલ.
જ્યારે સમાજ અને સાહિત્ય વચ્ચેના જુવારાની એક આખી ફિલસૂફિયાણી ચાલતી હતી ત્યારે પ્રજાપરક લેખક તરીકે કલમ સાહનાર રઘુવીરના ઉજાસમાં આ થોડુંકેક જ્ઞાનપીઠ મંથન.
સોજન્ય : ‘કલમશીલનો ધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 02 જાન્યુઆરી 2016
![]()


એક મહિનાની અંદર આ બીજી એવી સભા છે જેમાં મેં સામેથી બોલવાનું માગી લીધું હોય. જુગતરામકાકાના જન્મદિવસ ‘સેવાદિન’ પર પણ મેં સામેથી કહ્યું હતું કે હું બોલીશ અને આ ‘જયપ્રકાશ વ્યાખ્યાનમાળા’ માટે પણ ઉમાને કહ્યું કે, આ વખતે હું બોલીશ. ઉમાએ મને પૂછ્યું, શેના પર બોલશો ? તો મેં તરત જ કહી દીધું કે ‘જયપ્રકાશ’ પર. મેં સામેથી બોલવાનું શા માટે માગી લીધું ? થોડા સમય પહેલાં – ખાસું ભણેલી – ગણેલી, વિદેશથી આવેલી અને સંભ્રાત વ્યક્તિએ વાતવાતમાં પૂછ્યું કે, આ જયપ્રકાશ એટલે કોણ ? આ સવાલ મારા માટે ખૂબ આઘાતજનક હતો. એટલે મને લાગ્યું કે – જયપ્રકાશને – જેમને અંધારામાં દાટી લેવામાં આવ્યા છે તેમને બહાર પ્રકાશમાં લાવવા છે અને આ મારું કર્તવ્ય છે.


એ વખતે જે અધ્યાપકો જયપ્રકાશજીની નિકટ હતા તેમાં કેટલાક કોમ્યુિનસ્ટો પણ હતા. તેમની સાથી દ્વંદ્વાત્મક ભૌતિકવાદની ચર્ચા ચાલતી. અમેરિકા ગયા એ પહેલાં પ્રભાવતીજી સાથે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. અમેરિકા જતી વખતે પ્રભાવતીજીએ જયપ્રકાશજીને ભેટ તરીકે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ આપી અને જયપ્રકાશજીએ પ્રભાવતીજીને ‘રામચરિત માનસ’ આપ્યું. અમેરિકામાં જયપ્રકાશજીએ અઠવાડિયામાં તો ‘ભગવદ્ ગીતા’ વાંચી નાખી અને પ્રભાવતીજીને પત્ર લખ્યો કે “પહેલાં તો મેં એ વાંચી હતી પણ તેં આપી હતી એટલે બીજી વાર વાંચી ગયો. પણ એ પુસ્તકમાં કોઈ દમ નથી.” આ જ જયપ્રકાશજીને પાછળથી કહેતા સાંભળ્યા છે કે એમ લખીને મેં પ્રભાને કેટલું દુ:ખ આપ્યું હશે ? અને આ જ જયપ્રકાશજીએ પ્રભાવતીજીના મૃત્યુ પછી સ્મશાનેથી ઘેર આવ્યા પછી (પુત્રીવત) જાનકીને કહ્યું કે, “દીદી વાંચતી હતી તે ‘રામચરિત માનસ’ આપ. એ તો હવે નથી, એની આપેલી ગીતાની તો કોઈ કિંમત ન કરી પણ હવે ‘રામ ચરિત માનસ’ રોજ વાંચીશ.” આ એક ગુણ હતો આ માણસનો.
આપણા દેશના ઇતિહાસમાં આવું બન્યું નથી. પુરુષે પ્રતિજ્ઞા લીધી હોય તો સ્ત્રી એને અનુસરી છે પણ સ્ત્રીએ પ્રતિજ્ઞા લીધી હોય અને પુરુષ અનુસર્યો હોય એવો આ કદાચ પહેલો જ બનાવ છે. સ્ત્રી સ્વતંત્ર છે, અને તેણે પ્રતિજ્ઞા લીધી છે તો સ્ત્રીના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. અને તેમણે આજીવન પ્રતિજ્ઞાનું પાલન માત્ર પત્નીની પ્રતિજ્ઞાને માન આપવા માટે જ કર્યું. આ હતું જયપ્રકાશનું સંતત્વ.
બિહારના આંદોલનમાં પણ માંદગીને કારણે સામેલ નહોતા થયા પણ પોલીસ ગોળીબારમાં એક મૃત્યુ થયું અને ‘આ મૃત્યુ માટે તપાસ થવી જોઈએ’ એટલી માંગ સરકારે પૂરી ન કરી, સરકારે તપાસ ન આપી – એટલે કહ્યું કે, હું આ યુવાનોની સાથે છું. બીમારી તે વખતે છૂ થઈ ગઈ. જયપ્રકાશજીનું બ્યુગલ વાગ્યું ને દેશની તરુણાઈ જાગી ઊઠી હતી. બાકીનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ.
અને તે પછીનું પરિણામ તો આપણે જોયું. ચૂંટણી પછી જનતા પાર્ટીનું રાજ થયું. એટલ જેલમાં જયપ્રકાશજી સાથે જે વ્યવહાર થયો તે શંકાસ્પદ હતો કે નહિ તે માટે એક વ્યક્તિની કમિટિ રચાઈ. કર્ણાટકના ડૉ. આલ્વાની એ કમિટિ હતી. એ વખતે જયપ્રકાશજી ડાયાલીસીસ પર હતા. આંતરે દિવસે થતા ડાયાલીસીસ પછી બીજે દિવસે એ સ્ફૂિર્તમાં રહેતા. ડૉ. આલ્વા એમના પરિચિત હતા. તેઓ જયપ્રકાશજીને બીજા કેટલાકની જેમ જે.પી. કહેતા. તેમણે પૂછ્યું, ‘જે.પી., તમારી છાતી પર હાથ મૂકીને કહો કે તમારી સાથે જે વ્યવહાર થયો તેને માટે તમને સંદેહ છે કે નહિં ?’ ત્યારે જયપ્રકાશજીએ કહ્યું કે, “ડૉ. આલ્વા તમે ઘણો અટપટો પ્રશ્ન પૂછ્યો છે. કેમ ? કારણ કે તમે જે છાતી પર હાથ મૂકીને કહેવાનું કહો છો તો મારે કબૂલ કરવું પડશે કે મને સંદેહ છે. કારણ કે જેલમાં ગયો ત્યારે મને કિડનીમાં કોઈ રોગ નહોતો. બ્લડપ્રેશર અને ડાયાબીટીસ હતાં. એ માટેની દવાઓ લઈને ફરતો હતો. મારી ધરપકડ થઈ એ જ દિવસે મારી બધી દવાઓ લઈ લેવામાં આવી અને મને કંઈક બીજી જ દવાઓ આપવામાં આવી હતી. અને એક દિવસ મને કહેવામાં આવ્યું કે તમારી બંને કિડની ફેલ છે. એટલે મને સંદેહ છે.” તો ડૉ. આલ્વાએ કહ્યું કે હું મારા રિપોર્ટમાં આ લખી શકું ? ‘No, Please, Please એ ન લખો.’ ‘શા માટે ન લખું ? સત્યની શોધ માટે તો મેં આ કામ લીધું છે ? તમે સત્યની શોધ થઈ છે એની ના પાડશો !’ ‘ના, ડૉ. આલ્વા, હું તમને વારંવાર કહું છું કે આ ન લખશો.’ પછી એમણે જે જવાબ આપ્યો તે સમજવા જેવો છે. ‘ડૉ. આલ્વા, કાલે તમે મારી પાસે આવ્યા ત્યારે હું ડાયાલિસીસના ટેબલ ઉપર હતો. કાલે તમને નહોતો મળી શક્યો, આજે મળી શક્યો. કાલે પાછો એ જ ટેબલ ઉપર જઈશ. મારો એક પગ આ દુનિયામાં છે, બીજો પગ પેલી દુનિયામાં છે. મારો કોઈ ભરોસો નથી. અને ઇંદુ (ઇંદિરાને તેઓ ઇંદુ કહેતા હતા) તો યુવાન છે. એને હજુ ઘણું જીવવાનું છે. મરતાં પહેલાં એને કલંકિત કરીને મરવા ઇચ્છતો નથી.’ આ સંતત્વ છે. આ મનુષ્ય જાતિ પરનો વિશ્વાસ છે. કયો મહાપુરુષ પોતાની જિંદગીમાં સફળ થયો છે ? ગાંધીને દેશના વિભાજનના સાક્ષી બનવું પડ્યું, પોતાના નિકટના સાથીઓ પણ તેમની સાથે ના રહ્યા. ભૂદાન આંદોલન જોરશોરથી ચાલતું હતું ત્યારે સ્વાસ્થ્યને કારણે વિનોબાજીને આંદોલન છોડીને, સૂક્ષ્મમાં પ્રવેશ કરવો પડ્યો. આંદોલન સફળ થયું કે નિષ્ફળ એ કસોટી નથી. માણસ પોતાના પ્રત્યે કેટલો ઇમાનદાર છે એ કસોટી છે.
દીક્ષાએ રામકૃષ્ણમાર્ગી સાઘુ, વૃત્તિએ ગાંધીવાદી સેવક અને શૈલીએ સવાયા સાહિત્યકાર એવા સ્વામી આનંદે લખાણો ઉપરાંત એકમેક વિશિષ્ટ પુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાની અનોખી સેવા કરી. ‘સ્વામી આનંદ એટલે ગુજરાતી ગઢની અલાયદી ઈજ્જત. એમને ગઢના ઘડતરની પાછળ જીવનનો એક વિરાટ અને વ્યાપક, ઊંડો અને અખિલાઈભર્યો અનુભવ છે. એમણે તો સહેજ અનાયાસે કલમ ઊઠાવી અને આપણી પાસે એમનું સાહિત્ય, તણખાને સ્પર્શે ઘાસની ગંજી પ્રજ્વલી ઊઠે એમ, પ્રગટ્યું.’
