Opinion Magazine
Number of visits: 9692024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રઘુવીરને જ્ઞાનપીઠ તિલક, થોડું મંથન

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Opinion - Literature|2 January 2016

લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવક્તા પણ નથી

ગુજરાત જોગ ચોથા જ્ઞાનપીઠ પુરસ્કારના સમાચાર સાંભળ્યા કે તત્ક્ષણ ધસી આવેલો દુર્વિચાર અગર સુવિચાર એ હતો કે માણસા પંથકને રાષ્ટ્રીય સ્તરે અમિત શાહથી ઉફરી ઓળખનાં દ્વાર ઠીક ખૂલ્યાં: તે સાથે એક પડકાર પણ મીઠી વલૂરની પેઠે ખણુંખણું થવા લાગ્યો કે સહરાની ભવ્યતા સરખા સાહિત્યિક ઊંચાઈ ને ગહરાઈ ધરાવતાં વ્યક્તિચિત્રોના તેમ જ તિલકશ્રેણીના ઉમદા પીઆર પરિચયોના લેખકને જ્ઞાનપીઠ તિલકની આ ક્ષણે એમના બરનો ચરિત્રકાર મળશે તો ક્યારે મળશે.

ના, આ લખનારની નથી એ માટે ઉમેદવારી કે નથી તૈયારી, કેમ કે ‘અમૃતા’ અને ’વાસત્રયીના સર્જકને શોભીતાં હુન્નર ને કલાકારીગરીને કસબ ક્યાંથી લાવું. જો કે એમના લ-ગ-ભ-ગ હમઉમ્ર, ભાષાસાહિત્યપ્રેમે કંઈક હમજુલ્ફ અને જોગસંજોગે સાથી-કટારચીને નાતે સમસામયિક સંદર્ભમાં નિસબતની બેત્રણ વાતો એમને મિષે કહેવા જરૂર ઈચ્છું છું. હજુ હમણે લગીનાં ઘણાં વરસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પર્યાયપુરુષ જેવી એમની છવિ બની છે. મુનશીની આજ્ઞાંકિતા મટી પરિષદે ઉમાશંકરનું સખીકૃત્ય સ્વીકાર્યું એ આજે છ દાયકાને છેડે કેમ જાણે વીસરું વીસરું ઈતિહાસવસ્તુ છે. સંસ્થાપુરુષ રઘુવીરની છવિ પાછી કવિતામાં અને કવિતાની બહાર ફૂટપાથનો થાક શેઢે ઉતારનાર તરીકે તો ગ્રામભારતી જેવા નઈ તાલીમ શિક્ષણ સંસ્થાનના મોભી તરીકેની પણ છે. સરવાળે નર્યાનકરા અક્ષરકર્મી નહીં, અક્કરમી નહીં પણ કર્મઠ કલમીની એમની આબરૂ છે.

પેરેલલ દોરવાની મર્યાદા અને ભયસ્થાનો જાણું સમજું છું પણ એક વાત આ ક્ષણે અચૂક સંભારવા ઈચ્છું છું કે દુરારાધ્ય બ.ક.ઠા.એ એક તબક્કે ઉમાશંકર જોશી વિશે એ મતલબનું કહ્યું હતું કે તે હવે ‘ઈત્યાદિ પ્રકારના’ નથી. એ પણ દોડ્યો’તો એવી હમભી ડીચ ઓળખ એમની નથી. જેને અભિપ્રાય આપવાનો અધિકાર છે અને આપણે જેનો અભિપ્રાય સાંભળવા ઈચ્છીએ એવું એક કેરેક્ટર આ છે. જ્ઞાનપીઠ તિલક રઘુવીરના આ તરેહના આભામંડળની શક્યતાને જરી ઓર અધોરેખિતપણે ચાચરચોકમાં આણે છે.

ગમે તમે પણ, રઘુવીરનો પ્રભાવ અને પકડ, એમનાં વગ અને વર્ચસ ઉત્તરોત્તર (બને કે કેટલાક કિસ્સામાં વાસ્તવિક કરતાં વધુ તો મનોવૈજ્ઞાનિક) એટલાં વિસ્તર્યા છે કે ચોક્કસ સંજોગોમાં સ્વીકૃતિ માટે એમનો હવાલો જરૂરી લેખાય છે. એનો હમણેહમણેનો ક્લાસિક દાખલો અકાદમી પ્રકરણનો છે. સ્વાયત્ત બંધારણને નષ્ટભ્રષ્ટ કરી પેરાશુટ પ્રમુખ સાથે અસ્તિત્વમાં આવેલી સરકારી અકાકમીમાં જોડાયેલા કોઈ કોઈ મિત્રો તમને રઘુવીરભાઈની શુભેચ્છાઓ કે આશીર્વચનોનો હવાલો આપશે. અકાદમી પ્રમુખને બે’ક વરસનો સમય આપો, એવું બોલતા રઘુવીર ક્યાંક ટંકાતા જણાશે. બીજી પાસ, રઘુવીર એમના ખુદના શબ્દોમાં સ્વાયત્તતાથી બંધાયેલા છે. અલબત્ત, આમ કહેવા સાથે એમણે સરળતાથી ઉમેર્યું છે કે સંવાદથી ઉકેલ શક્ય છે.

આટલું ઓછું હોય એમ ઉકેલ ભણીનો રોડમેપ પણ એમણે ચીંધી બતાવ્યો છે. પ્રમુખ ચૂંટાયેલા હોય કે સરકારે નીમેલા એ વૈચારિક મતભેદનો મુદ્દો છે. (આનંદો, નિયુક્તિ અને ચૂંટણી એકમેકના વિકલ્પ હોઈ શકે છે…અને સ્વાયત્તતા બરકરાર છે.) સરવાળે, ઉમાશંકર સંક્રાન્તિમાં અપેક્ષિત લોકશાહી ય રખાવટ હાલ કેવી પરિસ્થિતિમાં મુકાઈ છે એનું ચિત્ર ભૂજ અધિવેશનની પૂર્વસંધ્યાએ ચંદ્રકાન્ત ટોપીવાળાએ આપેલી મુલાકાતમાંથી ટાંકીએ તો ‘ગુજરાત સાહિત્ય અકાદમી સામે અસહકારની સંમતિ આપી સરકારને સહકાર આપ્યા કરવાનું જે ચાલ્યું છે એમાં સાહિત્યકારોને સ્વાયત્તતાના મૂલ્યની ખબર નથી એવું તો નથી, પણ બીજાં અનેક મૂલ્ય-અમૂલ્યનાં લેખાંજોખાં એમની સાથે રહ્યાં છે.’

રહો, જ્ઞાનપીઠ તિલક સરખી અખિલ ભારતીય મહત્ત્વ ઘડીને ગુજરાતમાં જ શા સારુ ગોટવી દઉં, એવું પણ આ ચર્ચતી વેળાએ થઈ આવે છે. પણ આ સન્માન એક એવી વ્યાસપીઠની સંભાવના રચી આપે છે જેના પરથી કિંચિત્ માર્ગદર્શનની અપેક્ષા રહે જ રહે. મીડિયાએ જ્ઞાનપીઠ પ્રતિભાને પૂછ્યું અને બારતેર વરસ પર આવા જ અવસરે રાજેન્દ્ર શાહે જગવ્યો હતો એવો વિવાદ જગવ્યા વગર એ હેમખેમ સોંસરા નીકળીયે ગયા. પણ વ્યાપક હિતમાં આ સવાલજવાબ થોડીએક ચર્ચા માગી લે છે.

લેખક, રઘુવીરભાઈના મતે લેખક છે એટલે કે વિરોધપક્ષનો નેતા નથી. એવોર્ડ વાપસીના અસાધારણ ઘટનાક્રમ સબબ એમની આ ટિપ્પણી આવી પડી છે. ગુજરાતના સ્વાયત્તતા વિવાદમાં હો કે દેશના અસહિષ્ણુતા વિવાદમાં, સરકાર અને રાજ્ય બાબતે લોકશાહીમાં શાસનતંત્રના સહજ સ્વીકાર કરતાં કંઈક સવિશેષ સ્વીકાર તરફ જાણે જતા ન હોય! એવોર્ડ પાછા વાળવાનું એમને મતે ગ્રાહ્ય નથી પણ પાછા વાળનારાઓનો ટીકામુદ્દો (એની રજૂઆતમાં, વિરોધપક્ષ જેવી તીવ્રતા બાદ કરતાં) સાચો હોઈ શકે છે એવું તો એમણે કહ્યું છે. જો કે, સરવાળે સરકાર અને રાજ્યને તે ‘સેફ પેસેજ પણ આપી શકે, કેમ કે આજે કોઈ ‘ઇમરજન્સી’ નથી જેનો વિરોધ કરવામાં પોતે પણ હતા. અસહિષ્ણુતા વિવાદનો છેદ એમણે એમ કહીને ઉડાડ્યો છે કે એ તો ભાગલા વખતે હતી તે હતી, આજે એને મુકાબલે ક્યાં છે.

જ્ઞાનપીઠ પ્રતિભાની મીડિયા સાથેની વાતચીતમાં આ બધાં વિધાનો એકસાથે મૂકીને તપાસતાં શું સમજાય છે? સરકાર અને રાજ્ય માત્રની પ્રકૃતિ જોતાં એને અંગે એક આલોચનાત્મક દૃષ્ટિબિંદુ હર શાસનમાં જરૂરી છે. ઈંદિરા ગાંધીના ‘અનુશાસન પર્વ’માં અને અન્યથા આપણને એ ઉત્કટપણે સમજાતું રહ્યું છે. એવોર્ડવાપસીનો સ્વયંભૂ ઉદ્રેક પણ આ જ આલોચનાત્મક દૃષ્ટિબિંદુનો એક દાખલો છે. ક્યારેક કૉંગ્રેસ સરકાર વિશે લાગ્યું હશે તેમ આજે ભાજપ સરકાર વિશે લાગે છે. કારણ, લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવકત્તા પણ નથી. બંધારણીય સુધારા છતાં કટોકટી પાછી નહીં જ આવે એ બાબતે પોતે આશ્વસ્ત નથી એવી અડવાણીની કેફિયતમાં વ્યક્તિગત સમીકરણના શક્ય અંશો ગાળ્યા પછી પણ દમ છે તે છે.

જો કે, અડવાણી આ પરિસ્થિતિમાં એમની અને નમો બેઉની ગોત્રગળથૂથીગત વિચારધારાકીય ભૂમિકાનો જે હિસ્સો હોઈ શકે છે તે કેટલું સમજ્યા હશે એ આપણે જાણતા નથી. એમના અવલોકનમાં મુખ્ય હિસ્સો કદાચ નમોના રાજકીય ચરિત્રમાં રહેલ એકાધિકારવાદનો હશે. સરકાર અને રાજ્યમાત્રની પ્રકૃતિગત વાસ્તવિકતા વત્તા વિચારધારાકીય માંજો એ નવા શાસનની ઓળખ છે. ભાગલા વખતની અસહિષ્ણુતા અને આજની સરખામણી સ્થૂલ રીતે કરવા જેવી નથી. જે પણ બન્યું એને સ્વરાજ સરકારનું સૅન્કશન નહોતું. બિનસાંપ્રદાયિકતા ભણી લૂલીલંગડી પણ ગતિ હતી. આજે નાના નાના જે અસહિષ્ણુતાના બનાવો જારી છે એની પાછળ વિચારધારાકીય સમર્થન અને વૈકલ્પિક વિમર્શદાવો પડેલા છે. અસહિષ્ણુતાની ટીકા પરત્વે દાખવાતી અસહિષ્ણુતા, એ આપણા સમયની બલિહારી છે. સત્તાપક્ષના પ્રવકત્તા કે વિરોધપક્ષના નેતા કરતાં વધુ સારી રીતે આ કોણ કહી શકે, સિવાય કે કલમશીલ.

જ્યારે સમાજ અને સાહિત્ય વચ્ચેના જુવારાની એક આખી ફિલસૂફિયાણી ચાલતી હતી ત્યારે પ્રજાપરક લેખક તરીકે કલમ સાહનાર રઘુવીરના ઉજાસમાં આ થોડુંકેક જ્ઞાનપીઠ મંથન.  

સોજન્ય : ‘કલમશીલનો ધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 02 જાન્યુઆરી 2016

Loading

જયપ્રકાશ – બે પેઢીના યુવાનોના હૃદય સમ્રાટ

નારાયણ દેસાઈ|Gandhiana|31 December 2015

એક મહિનાની અંદર આ બીજી એવી સભા છે જેમાં મેં સામેથી બોલવાનું માગી લીધું હોય. જુગતરામકાકાના જન્મદિવસ ‘સેવાદિન’ પર પણ મેં સામેથી કહ્યું હતું કે હું બોલીશ અને આ ‘જયપ્રકાશ વ્યાખ્યાનમાળા’ માટે પણ ઉમાને કહ્યું કે, આ વખતે હું બોલીશ. ઉમાએ મને પૂછ્યું, શેના પર બોલશો ? તો મેં તરત જ કહી દીધું કે ‘જયપ્રકાશ’ પર. મેં સામેથી બોલવાનું શા માટે માગી લીધું ? થોડા સમય પહેલાં – ખાસું ભણેલી – ગણેલી, વિદેશથી આવેલી અને સંભ્રાત વ્યક્તિએ વાતવાતમાં પૂછ્યું કે, આ જયપ્રકાશ એટલે કોણ ? આ સવાલ મારા માટે ખૂબ આઘાતજનક હતો. એટલે મને લાગ્યું કે – જયપ્રકાશને – જેમને અંધારામાં દાટી લેવામાં આવ્યા છે તેમને બહાર પ્રકાશમાં લાવવા છે અને આ મારું કર્તવ્ય છે.

આ આઘાત કેમ લાગ્યો ? જે વ્યક્તિએ દેશની સેવા માટે, લોકોની સેવા માટે દેશના સર્વોચ્ય પદનો – વડાપ્રધાન પદનો અને રાષ્ટ્રપતિ પદનો –  એમ કહીને ત્યાગ કર્યો કે મને એમાં રુચિ નથી, મને તો લોકોમાં સેવા કરવાની રુચિ છે; જેણે દેશને (કટોકટીમાંથી) બીજી આઝાદી આપવી એમને માટે પ્રશ્ન થાય કે આ જયપ્રકાશ કોણ ? એમને વિશે આવું ઘોર અજ્ઞાન અને અંધારું !

આ આઘાતનું બીજું એક કારણ એ પણ હતું કે આ જયપ્રકાશ બે વાર – બે પેઢીના યુવાનોના હૃદયસમ્રાટ બન્યા હતા. એક વાર જ્યારે હું 18-19 વર્ષનો હતો ત્યારે 1942ના આંદોલનમાં હજારીબાગની જેલની તોતિંગ દીવાલ કૂદીને ભાગી ગયા હતા ત્યારે અને બીજી વાર હું એમનો સાથી હતો પણ મારાં બાળકો મારી ઉંમરનાં થયાં ત્યારે એમની પેઢીનાં યુવાનો જયપ્રકાશ ઉપર લટ્ટુ હતાં. આ જયપ્રકાશ વિશે આપણે ન જાણીએ તો એ આપણો જ દોષ માનવો જોઈએ.

તેમની ( જે.પી.ની) અડધી જિંદગી સ્વરાજ પહેલાં અને અડધી જિંદગી સ્વરાજ પછી વીતી. સ્વરાજ પહેલાં અને પછી પણ લોકો એમને એક વીરપુરુષ અને શૂરપુરુષ તરીકે ઓળખતા હતા. એક માણસની એક જિંદગીમાં વર્ષો પછી પણ એ જ રીતની ભૂમિકા બીજી વાર હોઈ શકે એ ઇતિહાસમાં બહુ થોડું બને છે. આવાં નામ દાટી દેવામાં આવે છે. અને આ પ્રકારનું માત્ર આપણા દેશમાં જ નથી બન્યું, બીજા દેશોમાં પણ બન્યું છે. કારણ એ છે કે જે ઇતિહાસ રચી શકતા નથી તે પ્રયત્નપૂર્વક ઇતિહાસને બદલવાની કોશિશ કરે છે. અને એમ કરીને પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયત્નમાં હોય છે. અને મને ખ્યાલ છે કે જયપ્રકાશ સાથે પણ લગભગ આવું જ થયું છે.

હવે હું એમના વિશે બોલું તો કયા સંબંધે બોલું ? મિત્રના, સાથીના, ગુરુના કે આપણા લોકનાયક્ના સંબંધે બોલું ? …. પ્રભાવતીજી સેવાગ્રામ આશ્રમમાં રહેતાં હતાં અને એ (અમારા) સૌનાં દીદી હતાં અને જયપ્રકાશજી એમના પતિ, એટલે એ સંબંધે જયપ્રકાશજી મારા જીજાજી પણ હતા.

વિનોબાજીની ભૂદાનયાત્રા ચાલતી હતી તે દિવસોમાં મેં તેમને ગુજરાતમાં બોલાવવાનો વિચાર કર્યો અને તેમને એક પત્ર લખ્યો. (વિનોબાજીની પ્રેરણાથી ભૂદાન-ગ્રામદાન-સંપત્તિદાન-શ્રમદાન પછી જીવનદાનની વાત આવી. અને બોધગયા સંમેલનમાં જે.પી.એ વિનોબાની હાજરીમાં જીવનદાનનો સંકલ્પ જાહેર કરેલો.) તેમનો જવાબ આવ્યો કે, તું બોલાવે છે તો આવીશ તો ખરો પણ હવે જો પૂ. જયપ્રકાશજી લખીશ તો તારી સાથે પત્રવ્યવહાર નહીં કરું. એમનો પહેલો જ પત્ર. પણ એમાં લખ્યું, પૂજ્ય નહીં પ્રિય લખજે. એટલે મેં કહ્યું કે હું કયા સંબંધે બોલું ? આ માણસે હંમેશાં બરાબરીનો વ્યવહાર કર્યો છે. ઉંમરમાં, પ્રતિષ્ઠામાં અંતર હતું. પણ જ્યારે મૈત્રીનો સંબંધ આવે છે ત્યારે આ બધું દૂર થઈ જાય છે. જયપ્રકાશનો તો પોતાના નાનામાં નાના સાથી સાથે પણ મૈત્રીનો સંબંધ હતો અને આ સંબંધ મને સૌથી વધારે કિંમતી સંબંધ લાગે છે.

પ્રેમ બે પ્રકારના હોય છે. એક પર્સનલ અને બીજો ઇમ્પર્સનલ. એક વૈયક્તિક, બીજો વ્યક્તિ નિરપેક્ષ. વિનોબાના Impersonal પ્રેમનો અનુભવ થયો છે. Impersonal પ્રેમ પ્રકાશ આપે છે, ઉષ્મા ભલે આપે કે ન આપે. Personal પ્રેમ ઉષ્મા આપે છે. થોડો ઘણો પ્રકાશ પણ આપે છે. જયપ્રકાશ પાસેથી પર્સનલ પ્રેમ મળ્યો, વિનોબા પાસેથી Impersonal મળ્યો, ગાંધી પાસેથી બંને મળ્યો.

એક વાર પવનારમાં કુસુમ દેશપાંડે અને અમે સૌ બેઠાં હતાં ત્યાં મેં કહ્યું કે, આપણા સર્વોદય આંદોલનમાં એક સંત છે અને એક પોલિટિશિયન છે. અને આગળ કહ્યું કે, જયપ્રકાશજી સંત છે અને …. મારું વાક્ય પૂરું થાય તે પહેલાં તો કુસુમ વિનોબાજીના ઓરડા તરફ દોડી. હું એમની પાછળ પાછળ ગયો. એણે વિનોબાજીને કહ્યું, “બાબા, આ નારાયણ શું કહે છે?” “શું કહે છે?” “એ કહે છે, આપણા આંદોલનમાં એક સંત છે અને એક રાજનીતિજ્ઞ છે. અને જયપ્રકાશજી સંત છે.” વિનોબાજીએ ટેવ પ્રમાણે પોતાની બેઠક પરથી ઊભા થઈને તાળીઓ પાડતાં પાડતાં કહ્યું, “સાચી વાત છે. આપણા આંદોલનમાં સંત છે એ જયપ્રકાશ છે ને હું રાજનીતિજ્ઞ છું.” મેં જયપ્રકાશના સંતત્વ તરફ ધ્યાન આકર્ષિત કરવા આ વાત કરી હતી, પણ વિનોબાએ તો એની પૂર્તિ કરી અને એ પછી કેટલી ય સભાઓમાં આ વાત ચલાવી.

આ ત્રણે ય (ગાંધી, વિનોબા, જયપ્રકાશ) એવા હતા જે પોતાને માટે મહાપુરુષ શબ્દનો ઉપયોગ પસંદ કરતા નહોતા. પણ હું કોને મહાપુરુષ માનું છું ? જેમનું અંતર એટલું જ નિર્મળ હોય છે જેટલો એમનો બહિરંગ ઉજ્જવળ હોય છે. બહિરંગ ઉજ્જવળ, અંતરંગ નિર્મળ એ મહાપુરુષ કહેવાય છે. જે પોતાના જીવન દ્વારા દુનિયાને જેવી જોતા આવ્યા હતા તેનાથી કંઈક સુધરેલી સ્થિતિમાં મૂકીને જાય છે, તે મહાપુરુષ છે, એમ હું માનું છું. જયપ્રકાશજી પોતાના દેશને સુધરેલી અવસ્થામાં મૂકીને ગયા હતા. લોકોમાં એવો વિશ્વાસ દૃઢ કરતા ગયા કે ગમે તેવી સરમુખત્યારશાહી હોય પણ સામાન્ય માણસો એનો જવાબ આપી શકે છે.

જયપ્રકાશજી દિલમાં હંગેરીમાં ઘટનાઓ ઘટી રહી હતી તેની ચિંતા હતી. જયપ્રકાશજીના પહેલાં દુનિયાના કોઈ દેશને, કોઈ માણસને હંગેરીની ઘટનાઓ વિષે ચિંતા નહોતી, આ દેશમાં પણ એના વિષે કોઈને ચિંતા નહોતી. ઝેકોસ્લોવેકિયા વિષે ચર્ચા તો ઘણી થઈ. બીજા લોકોએ પણ કરી પણ એ વિષે જાગ્રત હતા જયપ્રકાશ. મને એને વિષે લખવાનું પણ કહ્યું કારણ કે તેઓ માનતા હતા કે સર્વોદય કાર્યકર્તાઓને આ વિષે જ્ઞાન હોવું જોઈએ. સર્વોદય કાર્યકર્તાની સેવામાં ભક્તિ હોય છે પણ તે સેવા ભક્તિપૂર્ણની સાથે જ્ઞાનપૂર્ણ હોવી જોઈએ.

આ ત્રણેય (ગાંધી, વિનોબા અને જે.પી.) અલગ અલગ સ્વભાવના હતા પરંતુ આ ત્રણેયની ચિંતાઓ અને ચિંતનનો વિષય હતો દરિદ્રનારાયણ. જેને પોતાનું ધ્યેય મળી જાય છે અને એ ધ્યેય પાછળ જિંદગી ખરચી નાખે છે તે મહાન હોય છે. જયપ્રકાશજીને ઘણી નાની ઉંમરમાં પોતાનું ધ્યેય મળી ગયું હતું. અને તે ધ્યેય હતું, મુક્તિનું. Freedom, સ્વતંત્રતાનું. એક દિવસ એમની કૉલેજમાં મૌલાના આઝાદ ભાષણ કરવા આવ્યા. એ વખતે ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કરી દીધું હતું. મૌલાનાએ બહુ જ સુંદર ભાષણ કર્યું. જયપ્રકાશજી અને એમના મિત્રોને થયું કે આપણે પણ કંઈક કરવું જોઈએ. એ વખતે આંદોલન માટે ‘શાળા-કૉલેજ છોડો’નો નારો ચાલતો હતો. જયપ્રકાશજી અને મિત્રોએ કૉલેજ છોડવાનો વિચાર કર્યો પણ અગિયાર દિવસ પછી પરીક્ષા હતી ! એટલે કેટલાકે કહ્યું કે પરીક્ષા પછી કૉલેજ છોડી દઈશું. જયપ્રકાશજીએ કહ્યું કે સારા કામ માટે રાહ જોવાની ન હોય, છોડવી હોય તો આજે જ છોડવી જોઈએ અને એમણે પરીક્ષાના અગિયાર દિવસ જ બાકી હતા તે પહેલાં જ કૉલેજ છોડી દીધી. હવે આંદોલનમાં તો ઉતાર-ચઢાવ હોય. આંદોલન ઠંડું પડવા માંડ્યું તો જે વિદ્યાર્થીઓએ કૉલેજ છોડી હતી તેઓ ફરીથી કૉલેજમાંજોડાઈ ગયા. જયપ્રકાશજીએ વિચાર્યું કે ભણવું તો છે પણ જે કૉલેજમાં ગુલામીનું શિક્ષણ અપાય છે ત્યાં તો નથી જ જવું. તો શું કર્યું ? પિતા પર આર્થિક બોજ ન પડે તે માટે અમેરિકા ભણવા ગયા. ત્રણ મહિના મજૂરી, ત્રણ મહિના અભ્યાસ. આઝાદીની તાલીમ લેવી હતી અને વિશેષ તો અધ્યયનશીલતાની તાલીમ.

અમેરિકાની યુનિવર્સિટીમાં રાતે પણ લાયબ્રેરી ચાલુ હોય. જયપ્રકાશજી આ લાયબ્રેરીમાં જતા અને અધ્યયનમાં એવા ખૂંપી જતા કે આસપાસ શું ચાલે છે તેની પણ ખબર પડતી નહીં. અભ્યાસમાં વિજ્ઞાનના અલગ અલગ વિષયો લીધા તો બીજી બાજુ સફરજનના બગીચામાં સફરજન ઉતારતા મજૂરો સાથે સંબંધ કેળવતા. એવી જ રીતે હોટેલમાં ડીશો ધોતી વખતે પણ મજૂરો સાથે દોસ્તી કરી લેતા.

એ વખતે જે અધ્યાપકો જયપ્રકાશજીની નિકટ હતા તેમાં કેટલાક કોમ્યુિનસ્ટો પણ હતા. તેમની સાથી દ્વંદ્વાત્મક ભૌતિકવાદની ચર્ચા ચાલતી. અમેરિકા ગયા એ પહેલાં પ્રભાવતીજી સાથે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. અમેરિકા જતી વખતે પ્રભાવતીજીએ જયપ્રકાશજીને ભેટ તરીકે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ આપી અને જયપ્રકાશજીએ પ્રભાવતીજીને ‘રામચરિત માનસ’ આપ્યું. અમેરિકામાં જયપ્રકાશજીએ અઠવાડિયામાં તો ‘ભગવદ્ ગીતા’ વાંચી નાખી અને પ્રભાવતીજીને પત્ર લખ્યો કે “પહેલાં તો મેં એ વાંચી હતી પણ તેં આપી હતી એટલે બીજી વાર વાંચી ગયો. પણ એ પુસ્તકમાં કોઈ દમ નથી.” આ જ જયપ્રકાશજીને પાછળથી કહેતા સાંભળ્યા છે કે એમ લખીને મેં પ્રભાને કેટલું દુ:ખ આપ્યું હશે ? અને આ જ જયપ્રકાશજીએ પ્રભાવતીજીના મૃત્યુ પછી સ્મશાનેથી ઘેર આવ્યા પછી (પુત્રીવત) જાનકીને કહ્યું કે, “દીદી વાંચતી હતી તે ‘રામચરિત માનસ’ આપ. એ તો હવે નથી, એની આપેલી ગીતાની તો કોઈ કિંમત ન કરી પણ હવે ‘રામ ચરિત માનસ’ રોજ વાંચીશ.” આ એક ગુણ હતો આ માણસનો.

અમેરિકાથી આવ્યા તો કોમ્યુિનસ્ટ વિચારના હતા. પણ આવીને જોયું કે ભારતના કોમ્યુિનસ્ટોનું મોં તો રશિયા તરફ છે. ત્યાંની સૂચના પ્રમાણે કામ કરે છે. લોકજાગૃતિનું ખરું કામ તો ગાંધી કરે છે. ત્યારે હું એમની સાથે કામ કરીશ; એમ કરીને કૉંગ્રેસમાં ગયા. પણ ત્યાં પણ સામાન્ય જનતાનું કામ નહોતું થતું તો કૉંગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીની રચના કરી, એ પછી સોશ્યાલિસ્ટ પાર્ટી બનાવી. એમ એક પછી એક પાર્ટી બદલતા ગયા. પણ કોઈએ એમને આયારામ-ગયારામ ન કહ્યા. દરેકને દુ:ખ થતું હતું કે આ માણસ અમને છોડીને ચાલ્યો ગયો ! પાર્ટી બદલી પણ દરેકની સાથે પ્રેમ તો એવો ને એવો જ હતો. પ્રેમ ઓછો નહોતો થયો.

બીજું, તેઓ બહુ જલદી લોકો પર વિશ્વાસ કરી લેતા હતા. એકદમ ‘ભોળા શંભુ’ જેવા હતા. કોઈએ કંઈ કહ્યું તો તરત માની લીધું. એમને કલ્પનામાં જ નહોતું આવતું કે માણસ જે કરે છે એ ખોટું હોઈ શકે. એટલે જે કરે તેના પર વિશ્વાસ રાખે. કોમ્યુિનસ્ટો સાથેનો સંબંધ ઓછો કરવામાં સૌથી વધારે સમય જયપ્રકાશજીને લાગ્યો. શા માટે ? કારણ કે માણસમાં વિશ્વાસ. આ એમનો સહજ સ્વભાવ હતો. સંતનું એક લક્ષણ સામેના માણસ પર વિશ્વાસ રાખવો એ છે અને આ માણસને દરેક માણસ પર વિશ્વાસ હતો. કેટલી ય વાર ઠગાયા હશે પણ કોઈને ઠગવાનું તો તેઓ જાણતા જ નહોતા.

સમજતા નહોતા એમ નહીં પણ મૂળ વૃત્તિ હતી માણસ પરના વિશ્વાસની. અને એને કારણે એમનું વ્યક્તિત્વ ઘડાતું હતું. મારો જ માણસ છે એ ભાવ કદી ય મટતો નહોતો. અને આ ભાવ ન મટે એ સંતનું લક્ષણ છે.

જયપ્રકાશજી અમેરિકા ભણવા ગયા ત્યારે એમના સસરાએ પ્રભાવતીજીને ગાંધીજીના આશ્રમમાં મોકલી દીધાં. ગાંધીના આશ્રમમાં સવાર-સાંજ પ્રાર્થના થાય અને એમાં અગિયાર વ્રત બોલાય. તેમાં એક વ્રત બ્રહ્મચર્ય હતું. એક દિવસ પ્રભાવતીજીએ ગાંધીજીને કહ્યું કે, તેઓ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા માંગે છે. પહેલાં તો ગાંધીજીએ ‘તેઓ નાનાં છે’ – એમ કહીને ના પાડી. પણ પ્રભાવતીજીનો આગ્રહ રહ્યો એટલે કહ્યું કે, તે માટે જયપ્રકાશની અનુમતિ લેવી પડે, તો એમને કાગળ લખ. પ્રભાવતીજીએ જયપ્રકાશજીને લખ્યું કે, ગાંધીજી કહે છે કે તમારી અનુમતિ લેવી પડે એટલે લખું છું. જયપ્રકાશજીનો જવાબ આપ્યો કે, હું આવું છું પછી બંને મળીને વિચાર કરીશું. પણ તે દરમિયાન તો પ્ર્ભાવતીજીએ પ્રતિજ્ઞા લઈ લીધી.

પ્રભાવતીજી કહે છે કે – ગાંધીના આશ્રમમાં આવી એટલે નહીં પરંતુ મારા મનમાં પહેલેથી જ એ ભાવ હતો. અને જોયું કે વિવાહિત જીવનમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ શકાય છે એટલે અનુમતિની અપેક્ષાએ પ્રતિજ્ઞા લીધી. તે પછી જયપ્રકાશજીની અને પ્રભાવતીજી વચ્ચે ખૂબ ચર્ચા થઈ. ગાંધીજી કહે છે કે, ‘પ્રતિજ્ઞા તોડાવવાનું કામ તો હું નહીં કરી શકું પણ જયપ્રકાશજીને આ વિચાર પસંદ નથી તો તેના પર જબરદસ્તી તો નહીં થાય. તેથી તેનો એક જ ઉપાય છે. જયપ્રકાશ, તમે બીજાં લગ્ન કરી લો. પ્રભાવતીને છૂટી કરી દો.’ ગાંધીજી બોલવાનું પૂરું કરે એ પહેલાં તો જયપ્રકાશની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યા અને પૂછ્યું, “બાપુ ! તમે મને આવો માન્યો ? હું મારી પત્નીની પ્રતિજ્ઞાને માન નહીં આપી શકું ? અમે આખી જિંદગી સાથે રહેવાનો નિશ્ચય કર્યો છે. એણે પ્રતિજ્ઞા લીધી છે અને એના વિચાર સાથે સંમત નહીં હોવા છતાં હું એની પ્રતિજ્ઞાનું પાલન કરીશ.”

આપણા દેશના ઇતિહાસમાં આવું બન્યું નથી. પુરુષે પ્રતિજ્ઞા લીધી હોય તો સ્ત્રી એને અનુસરી છે પણ સ્ત્રીએ પ્રતિજ્ઞા લીધી હોય અને પુરુષ અનુસર્યો હોય એવો આ કદાચ પહેલો જ બનાવ છે. સ્ત્રી સ્વતંત્ર છે, અને તેણે પ્રતિજ્ઞા લીધી છે તો સ્ત્રીના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. અને તેમણે આજીવન પ્રતિજ્ઞાનું પાલન માત્ર પત્નીની પ્રતિજ્ઞાને માન આપવા માટે જ કર્યું. આ હતું જયપ્રકાશનું સંતત્વ.

ગાંધીની કેટલીક વાતોમાં તેમને મતભેદ હતો પણ ગાંધીની એક વાતે તેઓ ખૂબ આકર્ષાયા હતા, કે આ માણસ જેટલો લોકોને જાગૃત કરી શકે છે, એટલા બીજા કોઈ કરી શકતા નથી. એટલે એમની સાથે રહેવું છે. એમણે ગાંધીના આંદોલનને મંદ થતું અને ઊભું થતું જોયું હતું. એટલે કહેતા હતા કે આ ગાંધી લોકોને સાથે લઈને મંદ થયેલું આંદોલન ઊભું પણ કરી દે છે. જ્યારે આ બાજુ ગાંધી વારંવાર એમ કહેતા હતા કે, મારા મૃત્યુ પછી આ જયપ્રકાશ મારી ભાષામાં બોલશે. ‘મારા મર્યા પછી આ આદમી મારી ભાષામાં બોલશે’ – એમ શા માટે કહ્યું ? હવે આ ગાંધીની કસોટી જુઓ. ‘એમનું દિલ સાફ છે.’ જયપ્રકાશજીનો મહત્ત્વનો ગુણ જે ગાંધીએ ‘દિલ સાફ છે’ – કહીને બતાવ્યો. જેને માટે વિનોબાજી ઋજુતા, સરળતા કહેતા – એ ઋજુતા અર્જુનનો ગુણ મનાયો છે. ટ્રાન્સપરન્સી-પારદર્શકતા-એ જયપ્રકાશનો મોટો ગુણ હતો. અર્જુનની જેમ જિજ્ઞાસા પણ તેમનો એક ગુણ હતો. જયપ્રકાશજીની ‘જિજ્ઞાસા’ નાનામાં નાના માણસ પાસે પણ શીખવા માટે તૈયાર થતી હતી. તેમની ‘જિજ્ઞાસા’ – જે ક્ષેત્રમાંથી (જ્ઞાન) મળે ત્યાંથી લેવા માટે તત્પર રહેતી હતી. એને કારણે જ તેઓ બદલાવા માટે પણ તૈયાર રહેતા. રાજનૈતિક પાર્ટીઓ બદલી તેમાં પણ પહેલાં પોતે બદલાયા પછી પાર્ટી બદલતા. સમાજવાદીઓની સભામાં જતા તો કહેતા કે મને (ભૂદાનમાં) જમીન મળી, તમે પણ આ કામ કરો. આ કામ કરવું જોઈએ. એમના મનમાં જે બેચેની હતી તે ભૂમિહીનો માટે હતી.

ક્રાંતિકારીનો સૌથી મોટો ગુણ એ છે કે સામાન્યમાં સામાન્ય લોકો સાથે તેના હૃદયનો તાર જોડાયેલો હોવો જોઈએ. એવો આ માણસનો ભાવ હતો. અરુણાચલ પ્રદેશમાં આપાતાની લોકોના એક ગ્રુપ સાથે ચર્ચા ચાલતી હતી. આ લોકો મહિનાઓ સુધી પણ નહાતા નહીં. એક આપાતાની એમને ચીન સાથેની લડાઈ માટે તૈયારી કરવાની સલાહ આપતો હતો. બધું સાંભળ્યા પછી  જયપ્રકાશજી એને કહે છે, “તમારી વાત સાચી છે પણ મને તમારો ચહેરો ગંદો દેખાય છે.” આ માણસની નિષ્કપટતા કેટલી કે દેશની નીતિવિષયક ચર્ચા ચાલતી હતી ત્યારે પેલાને કહે છે કે, ‘તમારો ચહેરો ગંદો દેખાય છે. હજામત નથી કરતા ?’ પોતાના ભાઈને પૂછતા હોય એમ પૂછી લીધું. કહેવાનું એ છે કે તેમને પોતાનું દિલ ખુલ્લું કરી દેવામાં કોઈ સંકોચ થતો નહોતો.

‘ચંબલઘાટીના ઘણા ડાકુઓ સમર્પણ કરવા તૈયાર છે, તો તમે ચંબલ ઘાટીમાં આવો’. – એમ કહેવા પ્રખ્યાત ડાકુ માધોસિંહ તેમની પાસે ગયા હતા. પણ માધોસિંહે પોતાની ઓળખાણ એવી આપી કે તેઓ જંગલના કોન્ટ્રાક્ટર છે અને માધોસિંહ વતી સંદેશો લઈને આવ્યા છે. એટલે જયપ્રકાશજીએ કહ્યું, કે, મને તમે કહો છો એનો વિશ્વાસ નથી પડતો. માધોસિંહે બહુ જ સમજાવ્યા પણ તેઓ તો કહેતા જ રહ્યા કે, તમે વિનોબાજી પાસે જાવ. આ કામ માટે તેઓ જ યોગ્ય છે. માધોસિંહે કહ્યું કે વિનોબાજીએ જ તેમને જયપ્રકાશ પાસે આવવાનું કહ્યું હતું. તેમ છતાં તેઓ ન માન્યા ત્યારે માધોસિંહે પોતાની સાચી ઓળખાણ આપી દીધી તો એમણે તરત જ પ્રભાવતીને બોલાવીને કહ્યું કે – આમને આપણા સોખોદેવરાના આશ્રમમાં પહોંચાડવાની વ્યવસ્થા કરો અને કોઈને ખબર ન પડવી જોઈએ કે માધોસિંહ અહીં છે. કારણ કે એમના માથે દોઢ લાખનું ઇનામ હતું. આમ માધોસિંહના આગ્રહ પછી બાગી સમર્પણનું કામ હાથમાં લીધું. સમર્પણ માટે જે કેટલા ય બાગીઓ તૈયાર થયા તેમાં એક ખૂબ જાણીતા ડાકુ મોહરસિંહની ખૂબ ઇચ્છા હતી જયપ્રકાશને રૂબરૂ મળવાની. તેથી એક જંગલમાં આ મુલાકાત ગોઠવાઈ. પણ મોહરસિંહ જયપ્રકાશ સાથે વાત કરવામાં ખૂબ જ સંકોચ અનુભવતા હતા. જયપ્રકાશજીએ એમને બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે પૂછ્યું કે, અમે સમર્પણ કરીએ તો અમને ફાંસી થશે ? એટલે જયપ્રકાશજીએ કહ્યું કે, ‘તમે સમર્પણ કરો તો તમને ફાંસી થશે કે નહીં એ હું ન કહી શકું. એ તો કાયદાનું કામ છે. કાયદો એનું કામ કરશે. વળી કોઈપણ માણસને સંદેહ થાય કે એને ફાંસીની સજા થવાની છે તો એ કેમ કરીને સમર્પણ કરે? પણ હું વ્યક્તિગત રીતે મારા વતી એટલું કહી શકું કે તમારામાંથી કોઈને પણ ફાંસી થશે તો તે જોવા હું જીવતો નહીં હોઉં.’ તેમના આ જવાબથી સંતોષ પામીને બધા બાગીઓ સમર્પણ માટે તૈયાર થયેલા.

બાગીઓ સમર્પણ કરવાના હતા તેના આગલા દિવસની રાત્રે જયપ્રકાશ બેચેનીમાં આંટા મારી રહ્યા હતા. પૂછ્યું, ‘કેમ?’ તો કહે કે, ‘બાપુનો, વિનોબાનો ફોટો અહીં જંગલમાં અત્યારે ક્યાંથી લાવવો ? સમર્પણ તો એમની સમક્ષ જ થવું જોઈએ.’ પોતે કોઈ શ્રેય લેવા તૈયાર નહીં. એટલે પછી ગાંધી-વિનોબાના પોસ્ટકાર્ડ સાઇઝના ફોટાને મોટા પૂંઠા પર ચોંટાડીને એ ફોટા સમક્ષ સમર્પણ થયું.

ગાંધીજીના મૃત્યુ પછી એક સ્ટેટમેન્ટ આપ્યું કે ગાંધીજી હવે નથી રહ્યા તો આધ્યાત્મિક અવાજ આ દેશમાંથી નીકળવો જોઈએ અને તે માટે આધ્યાત્મિક લોકોએ બહાર આવવું જોઈએ. થોડા દિવસ પછી સાંભળવા મળ્યું કે, જયપ્રકાશજી પૂનામાં 21 દિવસના ઉપવાસ કરી રહ્યા છે. કિડવાઈજી અને તેમની વચ્ચેની વાતચીતમાં કંઈક ગેરસમજ થઈ. લોકો સમજ્યા કે આ ભૂલને કારણે જયપ્રકાશજી ઉપવાસ કરે છે. વિનોબાજીને આ ઉપવાસ માટે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, દોષ તો છે. પણ દોષની બહુ મોટી સજા ભોગવી રહ્યા છે. પણ તેઓ એ દોષને માટે ઉપવાસ નહોતા કરી રહ્યા. અગાઉ એક વાર તો 21 દિવસના ઉપવાસ કર્યા હતા. બીજી વારના આ ઉપવાસ ભલાઈનું મૂળ શોધવા માટે કર્યા. ભલાઈનું મૂળ કોઈ ભૌતિક વસ્તુ (મટીરિયલ) ન હોઈ શકે, તે આધ્યાત્મિક (સ્પીરિચ્યુઅલ) જ હોવું જોઈએ.

તે પછી તેઓ વિનોબાજી પાસે પવનાર જાય છે. વિનોબાજી તે વખતે કૂવા પર રહેંટ ચલાવી રહ્યા હતા. વિનોબાજીએ રહેંટ ચલાવતાં, ચલાવતાં વાતચીત કરવાનું કહ્યું, અને તેમની વાતચીત ચાલી. વિનોબાજીએ આ વિશે ‘સર્વોદય’ પત્રિકામાં લખ્યું કે, ‘અમારી વચ્ચે કલાકો સુધી ચર્ચા થઈ. અનેક વિષયોમાં મતભેદ હતો. અનેક વિષયમાં સામ્ય હતું. પણ એક વિષયમાં પૂરેપૂરું સામ્ય હતું કે અમે બંનેએ સાથે મળીને રહેંટ ચલાવ્યો અને પાણી નીકળ્યું. તેથી સિદ્ધ થાય છે કે દેશના ભિન્ન-ભિન્ન મતવાળા પણ સાથે મળીને રહેંટ ચલાવે તો પાણી નીકળવાનું જ છે. મારું કામ તો માત્ર તેલ ઊંજવાનું છે.’ પત્રકારોએ આ વિશે જયપ્રકાશજીને પૂછ્યું કે, ‘તમે પવનાર ગયા તો શું થયું ?’ તેમનો જવાબ હતો – ‘I see some light here – અહીં પ્રકાશનું એક કિરણ દેખાય છે.’ બસ, એક વાક્ય. અને એમાંથી એક પરિવર્તન થયું તે એમને અહીં સુધી લઈ આવ્યું.  

હું કહેવા એ માંગું છું કે એમને ક્રાંતિ કરવી હતી પણ એ ક્રાંતિ ગરીબ માણસ માટે કરવી હતી. દરેક માણસને સ્વતંત્રતા મળવી જોઈએ. પણ તે માત્ર રાજનૈતિક સ્વતંત્રતા નહીં. દરેકને આર્થિક અને સામાજિક સ્વતંત્રતા મળવી જોઈએ. આમ એક તરફ આ કલ્પના અને બીજી બાજુથી એમની પારદર્શકતા કહી રહી હતી કે આધ્યાત્મિક નેતૃત્વ મળવું જોઈએ. અને એ આધ્યાત્મિક નેતૃત્વ એમની અંદર વિકસી રહ્યું હતું તે આપણે જોઈ શકીએ છીએ.

1964-65થી 1975 સુધી પૂરા અગિયાર વર્ષ દુનિયના હજારો યુવાનોએ ક્રાંતિ કરી. 30 દેશના યુવાનો એમાં સામેલ હતા, જેના વિષે ‘વિશ્વ કી તરુણાઈ’ નામે એક પુસ્તક મેં હિંદીમાં લખ્યું છે. જયપ્રકાશજી આ આંદોલનનો બરાબર અભ્યાસ કરી રહ્યા હતા.

બિહારમાં દુકાળ હતો. તે વખતે કેનેડાથી આવેલ થોડા યુવાનો એક જગ્યાએ કૂવો ખોદવાનું કામ કરી રહ્યા હતા. જયપ્રકાશજીએ વાતચીતમાં એમને કહ્યું કે બે મહિના પછીના ગરમીના દિવસો તમે સહન નહીં કરી શકો એટલે નેપાળ ચાલ્યા જજો. તો એ યુવાનોએ કહ્યું કે ત્યારે અમે સવારે ત્રણ વાગે ઊઠીને કામ કરીશું. ત્યારે જયપ્રકાશજીને થયું કે આપણા યુવાનો આવું કામ ન કરે ? અને તેમાંથી ‘દુષ્કાળ સામે તરુણ’ની શિબિરો થઈ. દેશભરમાંથી 65 હજાર જેટલાં તરુણ-તરુણીઓએ તેમાં કામ કર્યું – ભળ્યાં.

આમ દેશના યુવાનોમાં પડેલ શક્તિ માટે એમને ઘણી આશા હતી. તેથી પવનારથી વિનોબાજીની હાજરીમાં ‘યુથ ફોર ડેમોક્રસી’ નામે અપીલ બહાર પાડી. ત્યાં સુધીમાં ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન શરૂ થઈ ગયું હતું. જયપ્રકાશજીએ મને નિરીક્ષણ માટે મોકલ્યો. હું ગયો તો મને શું કહેવામાં આવ્યું ? ‘જયપ્રકાશજીને લઈ આવો’. જયપ્રકાશજીએ કહ્યું કે, તબિયત સારી નથી તો નહીં આવી શકાય. ‘તો હાઈજેક કરીને લઈ આવો’ એમ માંગ આવી. એ સાંભળીને જયપ્રકાશ કહે, ‘હેં ! હાઈજેક કરવાની વાત કરે છે ? તો હું આવીશ.’ અને ગુજરાત આવીને શું કહ્યું ? “માત્ર પોતાની માગણી માટે આંદોલન ન કરો. રાષ્ટ્રના આંદોલન સાથે એને જોડો, અને સાધન-શુદ્ધિનો આગ્રહ રાખો.”

બિહારના આંદોલનમાં પણ માંદગીને કારણે સામેલ નહોતા થયા પણ પોલીસ ગોળીબારમાં એક મૃત્યુ થયું અને ‘આ મૃત્યુ માટે તપાસ થવી જોઈએ’ એટલી માંગ સરકારે પૂરી ન કરી, સરકારે તપાસ ન આપી – એટલે કહ્યું કે, હું આ યુવાનોની સાથે છું. બીમારી તે વખતે છૂ થઈ ગઈ. જયપ્રકાશજીનું બ્યુગલ વાગ્યું ને દેશની તરુણાઈ જાગી ઊઠી હતી. બાકીનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ.

કટોકટી પહેલાં ઇંદિરાજીને મળ્યા તો ઇંદિરાજીએ પડકાર કર્યો કે તરુણોને સડકો પર ઉતારવાને બદલે ચૂંટણીના મેદાનમાં આવો અને જયપ્રકાશજીએ કહ્યું, ‘આ ચેલેન્જ તો સ્વીકારવી પડશે.’ મેં કહ્યું કે, તમે ચેલેન્જનો અસ્વીકાર તો નહીં જ કરી શકો. પણ અત્યારે ચૂંટણીમાં પડવાનો અર્થ નથી. પણ ત્યાં સુધીમાં તો કટોકટી આવી ગઈ. રાતોરાત જયપ્રકાશજી સાથે બીજા હજારો લોકોને જેલમાં પૂર્યા. ત્યાં એમની તબિયત લથડતાં એમને ચંદીગઢની હૉસ્પિટલમાં ખસેડ્યા. એ હૉસ્પિટલ પણ હતી તો જેલ જ. હૉસ્પિટલમાંથી અડધા હોશમાં અડધા બેહોશીમાં બહાર આવ્યા તે વખતે એક પત્રકારે પૂછ્યું, ‘જયપ્રકાશજી, આ પરિસ્થિતિમાં તમારું શું સોલ્યુશન છે ?’ ત્યારે એવી હાલતમાં પણ એમણે કહ્યું, ‘Free and Fair Election’. ત્યાંથી જશલોક હૉસ્પિટલમાં ખસેડ્યા ત્યારે ઇંદિરાજીના સાથી મળવા આવ્યા. તેમને પણ એ જ કહ્યું કે, ‘હમણાં તો એ (ઇંદિરાજી) બહુ પરેશાનીમાં છે એટલે શું કહું ? પણ ફ્રી અને ફેર ઈલેક્શન થવું જોઈએ.’ ત્યારે એમણે કહ્યું કે, ‘પણ આપણા લોકો તો ચૂંટણીમાં કંઈ સમજતા નથી. એમને તો રોટલાની ચિંતા હોય છે.’ ત્યારે જયપ્રકાશજી કહે છે – ‘હું માનું છું કે આપણા દેશના લોકો પોતાની આઝાદીને રોટલા માટે નહીં વેચે.’ દેશના લોકો માટે, માણસજાત માટે આ એમની શ્રદ્ધા હતી.

અને તે પછીનું પરિણામ તો આપણે જોયું. ચૂંટણી પછી જનતા પાર્ટીનું રાજ થયું. એટલ જેલમાં જયપ્રકાશજી સાથે જે વ્યવહાર થયો તે શંકાસ્પદ હતો કે નહિ તે માટે એક વ્યક્તિની કમિટિ રચાઈ. કર્ણાટકના ડૉ. આલ્વાની એ કમિટિ હતી. એ વખતે જયપ્રકાશજી ડાયાલીસીસ પર હતા. આંતરે દિવસે થતા ડાયાલીસીસ પછી બીજે દિવસે એ સ્ફૂિર્તમાં રહેતા. ડૉ. આલ્વા એમના પરિચિત હતા. તેઓ જયપ્રકાશજીને બીજા કેટલાકની જેમ જે.પી. કહેતા. તેમણે પૂછ્યું, ‘જે.પી., તમારી છાતી પર હાથ મૂકીને કહો કે તમારી સાથે જે વ્યવહાર થયો તેને માટે તમને સંદેહ છે કે નહિં ?’ ત્યારે જયપ્રકાશજીએ કહ્યું કે, “ડૉ. આલ્વા તમે ઘણો અટપટો પ્રશ્ન પૂછ્યો છે. કેમ ? કારણ કે તમે જે છાતી પર હાથ મૂકીને કહેવાનું કહો છો તો મારે કબૂલ કરવું પડશે કે મને સંદેહ છે. કારણ કે જેલમાં ગયો ત્યારે મને કિડનીમાં કોઈ રોગ નહોતો. બ્લડપ્રેશર અને ડાયાબીટીસ હતાં. એ માટેની દવાઓ લઈને ફરતો હતો. મારી ધરપકડ થઈ એ જ દિવસે મારી બધી દવાઓ લઈ લેવામાં આવી અને મને કંઈક બીજી જ દવાઓ આપવામાં આવી હતી. અને એક દિવસ મને કહેવામાં આવ્યું કે તમારી બંને કિડની ફેલ છે. એટલે મને સંદેહ છે.” તો ડૉ. આલ્વાએ કહ્યું કે હું મારા રિપોર્ટમાં આ લખી શકું ? ‘No, Please, Please એ ન લખો.’ ‘શા માટે ન લખું ? સત્યની શોધ માટે તો મેં આ કામ લીધું છે ? તમે સત્યની શોધ થઈ છે એની ના પાડશો !’ ‘ના, ડૉ. આલ્વા, હું તમને વારંવાર કહું છું કે આ ન લખશો.’ પછી એમણે જે જવાબ આપ્યો તે સમજવા જેવો છે. ‘ડૉ. આલ્વા, કાલે તમે મારી પાસે આવ્યા ત્યારે હું ડાયાલિસીસના ટેબલ ઉપર હતો. કાલે તમને નહોતો મળી શક્યો, આજે મળી શક્યો. કાલે પાછો એ જ ટેબલ ઉપર જઈશ. મારો એક પગ આ દુનિયામાં છે, બીજો પગ પેલી દુનિયામાં છે. મારો કોઈ ભરોસો નથી. અને ઇંદુ (ઇંદિરાને તેઓ ઇંદુ કહેતા હતા) તો યુવાન છે. એને હજુ ઘણું જીવવાનું છે. મરતાં પહેલાં એને કલંકિત કરીને મરવા ઇચ્છતો નથી.’ આ સંતત્વ છે. આ મનુષ્ય જાતિ પરનો વિશ્વાસ છે. કયો મહાપુરુષ પોતાની જિંદગીમાં સફળ થયો છે ? ગાંધીને દેશના વિભાજનના સાક્ષી બનવું પડ્યું, પોતાના નિકટના સાથીઓ પણ તેમની સાથે ના રહ્યા. ભૂદાન આંદોલન જોરશોરથી ચાલતું હતું ત્યારે સ્વાસ્થ્યને કારણે વિનોબાજીને આંદોલન છોડીને, સૂક્ષ્મમાં પ્રવેશ કરવો પડ્યો. આંદોલન સફળ થયું કે નિષ્ફળ એ કસોટી નથી. માણસ પોતાના પ્રત્યે કેટલો ઇમાનદાર છે એ કસોટી છે.

રોજ સાંજે જયપ્રકાશજી જાનકીને કહેતા – ‘ભજન ગા.’ સમાજવાદી આદમી ભજન ગાય છે. એમનું પ્રિય ભજન હતું – ‘તું દયાલુ દિન હૌં, તું દાની હૌં ભિખારી. હૌં પ્રસિદ્ધ પાતકી, તું પાપ પુંજહારી.’ ભૂદાન સમયમાં રોજ અમને કહેતા કે આ પછી પણ એક જીવન છે, તેનો તો કંઈ વિચાર કરીએ !

તે વખતે અમને શંકા થઈ કે આ સમાજવાદી માણસ દેશની, જીવનની વાત કરીને, લોકોને એમની ભાષામાં સમજાવીને જમીન માંગે છે તો ખરેખર એમને વિશ્વાસ છે ? ત્યારે એમણે જવાબ આપ્યો કે, ‘નારાયણ, તને એમ લાગે છે કે મને એક વાત પર વિશ્વાસ હોય અને હું બીજી વાત કરું ? તને ખબર છે, કે જ્યારે હું કોમ્યુિનસ્ટ પાર્ટીનો સભ્ય હતો ત્યારે પણ આસ્તિક હતો !’ એ પછી મેં ક્યારે ય તેમના પર સંદેહ નથી કર્યો. એ સમયે પણ એમની ઈશ્વર ઉપર શ્રદ્ધા હતી. એમની શ્રદ્ધા મનુષ્ય જાતિ પર હતી, એમની શ્રદ્ધા તેમના સાથીઓ પર હતી, તેમને શ્રદ્ધા પોતે લીધેલા રસ્તા પર હતી અને એમને શ્રદ્ધા એમનું જે લક્ષ્ય હતું તેના પર હતી. આ પાંચે ય પ્રકારની શ્રદ્ધા સાથે હોવી તેનો અર્થ જ એ કે ઈશ્વરમાં શ્રદ્ધા છે.

સંકલન : શશીબહેન મિસ્ત્રી                                        

અનુવાદ/સંપાદન : પદ્મા ભાવસાર

(સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી દ્વારા આયોજિત જે.પી. વ્યાખ્યાનમાળા અંતર્ગત તા. 3-10-2014 (દશેરા)ના રોજ આપેલ વ્યાખ્યાન)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 અૉગસ્ટ 2015; પૃ. 12-15 & 23

Loading

ધરતીનું લૂણ સ્વામી આનંદ

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|31 December 2015

સ્વામી આનંદ, ચક્રવર્તી રાજગોપાલાચારી, વલ્લભભાઈ પટેલ અને મહાદેવભાઈ દેસાઈ. પાછળ ઊભેલામાં રાજાજીના પુત્ર તેમ જ દેવદાસ ગાંધી હોવાના સંભવ છે.

ભારતના ઈશાન ખૂણે ચીનનું આક્રમણ થયાના તે દિવસો હતા. વિનોબાજીની અનુપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના વેડછીમાં સર્વોદય આંદોલનનું ચૌદમું સમ્મેલન મળેલું. 22-24 નવેમ્બર 1962ના તે દિવસો. જાણીતા કેળવણીકાર, ’આનંદ નિકેતન’ કેળવણીના ઉદ્દગાતા અને પાયાની કેળવણીના એક મુખ્ય છડીદાર ઈ.ડબલ્યૂ. આરિયાનાયકમ સમ્મેલન પ્રમુખ હતા. આંધ્રપ્રદેશમાં અગાઉ મળેલા સમ્મેલન પ્રમુખ જયપ્રકાશ નારાયણ પાસેથી એ હવાલો મેળવતા હતા. સ્વાગત પ્રમુખ હતા વૈકુંઠલાલ લ. મહેતા. અને જુગતરામ દવેની નિગરાની હેઠળ આ સમ્મેલનની ગોઠવણ થઈ હતી. દાદા ધર્માધિકારી, ધીરેન મજમુદાર, રવિશંકર મહારાજ સમેતના દેશ ભરના ગાંધીવાદી સર્વોદયી આગેવાનો ય હાજરાહજૂર. વળી, સ્વામી આનંદ પણ ખરા. ચીની આક્રમણથી વ્યથિત થયેલાં વાતાવરણમાં મળવાનું બનતું હતું. સર્વોદય કાર્યકરોએ અહિંસક સમાજ ઊભો કરવાનો અહીં નિર્ણય કર્યો હતો. આવા સમાજની રચના સારુ કાર્યકરો સરહદી વિસ્તારમાં જાય અને રચનાત્મક કાર્યક્રમ વાટે આમ જનતામાં અહિંસક લોકશક્તિ નિર્માણ કરે તેમ નક્કી કરાયું હતું.

આ દિવસોમાં મુંબઈ રહી અભ્યાસ કરતો. ગામદેવીના લેબરનમ રોડ પર, મણિભવન ખાતે, પ્રયોગશાળા જોરશોરથી ધમધમે. વસવાટ તે જ વિસ્તારમાં. તેથી સમયાનુકૂળે મણિભવનની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જતો. મુંબઈમાંના ગાંધીવાદી, સર્વોદયી મિત્રો જોડાજોડ હું ય આ સમ્મેલનમાં હાજર. કુડીબંધ પ્રાત:સ્મરણીય આગેવાનો તેમ જ અસંખ્ય વિચારકો, કર્મઠ કાર્યકરો વચ્ચે રહેવાનું થયું. યુવાનીનું જોમ, જાણવામળવાની કુતૂહલતા, કશુંક કરવાની ઊર્જાશક્તિ. અને પરિણામે અનેકોને મળતો, હળતો અને મેળવતો. એમાં એક દા, વિશ્રાન્તિ સમયે વ્યાસપીઠે સ્વામી આનંદને દીઠા. લાગલો મળવા દોડ્યો. મળવા સમય આપવા વિનંતી કરી જોઈ. પણ નિષ્ફળ. સ્વામીદાદા કહે : હવે નવા પરિચય કેળવવા નથી. … બહુ થયું !

ભારે નાસીપાસ થયેલો, અને તેનો રંજ બહુ લાંબા સમયે ખાળી શકેલો.

ખેર ! … સન પંચોતેરથી વિલાયતવાસ આરંભાયેલો. તેમાં આઠમા દાયકાના આરંભે, રાંઝણ(સાયૅટિકૅ)ની ભારે અસરમાં પટકાયો, પથારી આવી. ભોંયપથારીએ ચાળીસેક દહાડા કાઢવાના થયા. તે વેળા ભારતથી આણેલાં સ્વામી આનંદનાં પુસ્તકોમાં ખોવાઈ જતો. તે દિવસોમાં સ્વામી આનંદનાં સાહિત્ય બાબત, કોઈક મહાનિબંધ કરી, પીએચ.ડી. કરવાની ઘેલછા ય થઈ આવેલી. લાંબા અરસા સુધી આ તોર રહ્યો. પરંતુ આ તોરની ઘેલછા ટકી ન શકી તે નક્કી. આમ તો, સ્વામીદાદાનાં લખાણે મારા પર જબ્બર ભૂરકી લગાવેલી. આજે ય આ ‘ખમીરવંતા ને ઓજસ્વી ગદ્યકારનું’ લખાણ, એમનું ‘નજરાણું’ મને તરબતર રાખે છે.

દીક્ષાએ રામકૃષ્ણમાર્ગી સાઘુ, વૃત્તિએ ગાંધીવાદી સેવક અને શૈલીએ સવાયા સાહિત્યકાર એવા સ્વામી આનંદે લખાણો ઉપરાંત એકમેક વિશિષ્ટ પુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાની અનોખી સેવા કરી. ‘સ્વામી આનંદ એટલે ગુજરાતી ગઢની અલાયદી ઈજ્જત. એમને ગઢના ઘડતરની પાછળ જીવનનો એક વિરાટ અને વ્યાપક, ઊંડો અને અખિલાઈભર્યો અનુભવ છે. એમણે તો સહેજ અનાયાસે કલમ ઊઠાવી અને આપણી પાસે એમનું સાહિત્ય, તણખાને સ્પર્શે ઘાસની ગંજી પ્રજ્વલી ઊઠે એમ, પ્રગટ્યું.’

સ્વામી આનંદે, પોતાના 'અનંતકળા' નામના પુસ્તકના પ્રારંભમાં, 'મારી કૅફિયત' શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં, 30 જાન્યુઆરી 1967ના દિવસે, આમ લખ્યું છે :

‘ઉંમર આખી મેં કંઈ ને કંઈ આછુંપાતળું લખ્યું. પણ કશું ગ્રંથસ્થ કરવા ન દીધું. મારો વૅપલો વગર મૂડીનો. મૂળે હું અભણ. બચપણથી જ ઘેરથી ભાગી સારાનરસા સાધુબાવાઓની દુનિયામાં ખોવાઈ ગયેલો. એ જમાતની સ્લોગન ‘પોથી પઢપઢ પંડત મૂએ’વાળી.

એણે મારું નુકસાન કર્યું, તેમ બે નરવા સંસ્કાર પણ આપ્યા. એક એ, કે વિદ્યા વેચાય નહિ; હવાઉજાસ અન્નજળની જેમ જ જ્ઞાન-સમજણ રૂપિયા-આનામાં કદી મૂલવાય નહીં. એમ કરવું એને સ્વ. સ્વામી તપોવનજી ‘a little vulgar’ (એ લિટલ વલ્ગર) કહેતા.

બીજો સંસ્કાર મળ્યો તે એ, કે સાધુ ‘દો રોટી, એક લંગોટી’નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફેડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્ત્રનો. સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી; દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશેકાઈ.

આ બે સંસ્કારને હું, અથવા બાબાકંબલ ન્યાયે કહો કે એ સંસ્કાર મને, જિંદગીભર ચીટકી રહ્યા. સમજણ વધતી ગઈ તેમ તેમ એમાં વજૂદ પણ મેં જોયું. ‘પ્રેમ કે બસ અરજુન રથ હાંક્યો’વાળી ઘટના, કે અજંતા-દેલવાડાનાં શિલ્પ જે પ્રેમભક્તિની પેદાશ હશે તેની પાછળના પરિશ્રમનાં મૂળ મજૂરીને દરે કેમ કરીને મૂલવાય ?

આ કૅફિયતના બે આખરી ફકરાઓ ખાસ વાગોળવા જેવા છે :

વરસો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જીવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો અૉદ્ધાર કરવાના લહાવાઅૉરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું. પણ મારી ગાડી જ કમબખત આવતી નથી. મિત્રો અકળાય છે. એમને હદથી જાદે વાટ જોવડાવ્યાનો અફસોસ મને પીડે છે.

આમ હું હાર્યો. મૂળેય મારાં લખાણો દુનિયાનો અૉદ્ધાર કરવાના અભખરામાં પડીને કોઈ છાપે-પ્રચારે તે સામે સિદ્ધાંતની રૂએ તો મારે કશી તીખી અદાવત નહોતી. હવે પ્રસ્તુત મુદ્રક-પ્રકાશકોએ મને મરણને ફાટકે દુ:ખ ન દેવાની બાંહેધરી આપી છે. એટલે રામભરોસે રહીને, અને મારે રવાડે ચડવામાં રહેલાં જોખમ પ્રકાશકને ત્રણ ત્રણ વાર સમજાવ્યા પછી, મારાં લખાણો પુસ્તક રૂપે પ્રગટ કરવાનું સાહસ એમને ખેડવા દેવાનું મેં કબૂલ્યું છે. એ બધાંમાંથી અમને સૌને પાર ઊતારો.

હાશ ! … અને આપણને સ્વામી આનંદનું માતબર સાહિત્ય, પ્રકાશિત સાહિત્ય, મળે છે. અને સ્વામીદાદાની મુદ્રક-પ્રકાશક વિશેની ઝાઝાવિધ શરતોની લાંબી પેરે માહિતી કાન્તિભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠ માંહેના એક અવસરે, ભોજન લેતાં લેતાં એક અંગત બેઠકમાં, પ્રકાશભાઈ શાહને તથા મને આપેલી. સ્વામીદાદાએ જ લખ્યું છે, ‘દળદરી નઘરોળ દેદારવાળાં અને છાપભૂલોવાળાં નીકળે, એ મારાથી ખમાય નહીં’. અને પછી ગાંધીજીનો દાખલો ય આપે છે : ‘ગાંધીજીએ નબળા અનુવાદ અને છાપભૂલોવાળી છપાઈને તૈયાર થઈ ચૂકેલી ચોપડી સ્વ. નરહરિભાઈ પાસે બાળી મુકાવેલી !’

પરિણામે, ‘બાલગોવિંદ પ્રકાશન’ સંસ્થાના ભાઈદાસભાઈ પરીખ તથા વ્રજલાલભાઈ પરીખ, એક તરફ, અને બીજી તરફ, ‘યજ્ઞ પ્રકાશન’ના કાન્તિભાઈ શાહ, ચૂનીભાઈ વૈદ્ય, વગેરે અને ‘સુરુચિ છાપશાળા ટૃસ્ટ’ના મોહનભાઈ પરીખ જેવા જેવાઓની ભારે જહેમતે ચીવટપૂર્વક પુસ્તકો પ્રગટ થવાં આરંભાયાં. તેમાં મૂળશંકરભાઈ મો. ભટ્ટનું સોજ્જું સંપાદન કેન્દ્રસ્થ રહેલું. બાલગોવિંદ દ્વારા બાર પુસ્તકોની શ્રેણી પ્રગટ કરવાની યોજના થયેલી. સ્વામીદાદાની હયાતીમાં જ આઠ પુસ્તકો પ્રગટ થયેલાં; 1976માં બીજાં બે એમના અવસાન કેડે પ્રસિદ્ધ થયાં. પછી તો મુંબઈની એન.એમ. ત્રિપાઠીની પ્રકાશન પેઢીએ કેટલુંક સાહિત્ય આપેલું. અને તે પછી, નવભારત સાહિત્ય મંદિર દ્વારા છપાયું. તે વચ્ચે, 1977માં ‘લોકમિલાપ’ દ્વારા ‘ધરતીની આરતી’ પ્રકાશિત કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ગ્રંથના પણ સંપાદક હતા મૂળશંકરભાઈ મો. ભટ્ટ. એ લખતા હતા, ‘આમાં સંગ્રહિત થયેલ લખાણોમાંનું કોઈ પણ લખાણ સામાન્ય ભણેલોગણેલો વાચક માણી શકે અને તે દ્વારા જીવનનાં ઉત્તમ તત્ત્વો જાણ્યે અજાણ્યે તેના અંતરમાં ઉતરી જાય, એવું છે. વળી આજ પછીની અનેક પેઢીઓ સુધી આમાંનું કોઈ પણ લખાણ વાસી થઈ જાય તેવું નથી.’

‘અનંતકળા’, ‘ઈશુ ભાગવત’, ‘કુળકથાઓ’, ‘જૂની મૂડી’, ‘ધરતીનું લૂણ’, ‘નઘરોળ’, ‘સંતોના અનુજ’, ‘ધરતીની આરતી’ જેવાં પુસ્તકો મારે માટે ચિરંજીવ રહ્યાં છે. તેમાં ય ‘મૉનજી રૂદર’, ‘મહાદેવથી મોટેરા’, ‘ધનીમા’, ‘ટીંબાનો ઉપદેશ’, ‘ઈની કૂખેં પરથમી પાકી’, ’શુક્રતારક સમા’, ‘મારા પિતરાઈઓ’ ‘લોકગીતા’ સરીખાં અનેક લખાણો મનમંદિરિયે જડબેસલાખ છે.

સન 1970ના અરસામાં રવિભાઈને લખેલા એક પત્રનો ઉલ્લેખ ‘બાહ્યાન્તર યાત્રા’માં મુકાયો છે. સ્વામીદાદા કોસબાડ હિલથી લખતા હતા :

1915ના જાનેવારીમાં ગાંધીજી હિંદ આવ્યા તેને બીજે-ત્રીજે દિવસે જ હું એમને એમના ભાણેજ અને મારા મિત્ર સ્વ. મથુરાદાસ ત્રિકમજીને ઘેર મળ્યો. અને ત્યારથી જ ચાલુ સંપર્ક રહેલો, કોચરબ આશ્રમ સ્થપાયો તેવો જ ત્યાં પણ જતો આવતો,, કામ કરતો ને રહેતો. 1915થી 17 અઢીત્રણ વરસ મુંબઈ, પૂના અને પાછળથી વડોદરા રહેતો. ત્યાંથી કોચરબ જોડે મારી સતત આવજાવ ચાલુ રહેતી. દૂધાભાઈ, દાનીબહેન વાલજીભાઈ 1915માં અને વિનોબા, મશરુવાળા, મહાદેવભાઈ, નરહરિભાઈ 16-17માં આવ્યાં અને જોડાયાં. હું ફોર્મલી કદી ન જોડાયો પણ આશ્રમના નિયમો પાળીને નિષ્ઠાપૂર્વક રહેતો.

કાકા 1915માં શાંતિનિકેતન ગયા ત્યારે ત્યાં સૌ પ્રથમ એમના સંપર્કમાં આવેલા, પણ 1917 સુધી વડોદરે હતા, પછી વિધિપૂર્વક ગાંધીજીના કામમાં જોડાયા. મારે અંગે કશાં વિધિ માગણી ન થયેલાં. હું તો મારી જ ખણસનો માર્યો શરૂથી જ એમની પાસે પહોંચી ગયેલો પણ મારા સાધુઉછેરને કારણે સંસ્થાસંઘ એવું કશું મારી પ્રકૃતિને ન સદે એ વહેલી વયેથી સમજેલો, તેથી આદર્શનિષ્ઠ છતાં જિંદગીભર આગ્રહપૂર્વક આઝાદ રહ્યો, ને ગાંધીજીએ મને નભાવ્યો. વિનોબાજી, કૃપલાની પણ તેવા જ રહ્યા. કિશોરલાલભાઈ અમને ત્રણેને આશ્રમ, ગાંધી સેવાસંઘ બધાં મંડળોના ‘અસત્ય સભ્ય’ કહેતા ! …

મીરાંબહેન ભટ્ટે ‘ગાંધી યુગની આકાશગંગા’ નામે એક મજેદાર પુસ્તક આપ્યું છે. તે સંચયમાં 84 જેટલાં મહાન વ્યક્તિત્વોની આછેરી ઝલક અપાઈ છે. તેમાંથી સ્વામી આનંદ વિશેના આ ફકરાઓનો આનંદ લઈએ :

ભારતીય સંસ્કૃિતમાં સંતોનું સ્થાન અનોખું છે. બલકે કોઈ પૂછે કે ભારતનો અસલી પિંડ કોણે બાંધ્યો, તો કહેવું પડે કે વિશાળ ભારતના આ ખૂણેથી પેલા ખૂણા સુધી સતત વિચરનારા સાધુસંતોએ ભારતની સંસ્કૃિત ઘડી છે. જો કે આ સાધુ-સંતોના પણ અનેક પ્રકાર છે. છતાં ય જે સંતો ભારતીય સંસ્કૃિતની હાલતી ચાલતી વિદ્યાપીઠો બનીને જીવન જીવી ગયા, તેમનો આછો-પાતળો પરિચય કરાવનાર ‘સ્વામી આનંદ’ એક વિશિષ્ટ સંન્યાસી સાધુ પુરુષ હતા, જેમણે સંન્યાસની સ્વરાજ્ય-સાધના સાથે સુંદર યુતિ બતાવી.

મૂળ નામ એમનું હિંમતલાલ રામચંદ્ર દવે. સૌરાષ્ટ્રના ઝાલાવાડનાં શિયાણી ગામે 1887માં જન્મ. મોટાભાઈ મહાશંકર ડૉક્ટરને ત્યાં ભણવા ગયા ત્યારે, પરસ્પર રૂપિયો બદલાવી નાની ઉંમરે વેવિશાળ નક્કી કરી નંખાયેલું. પરંતુ આ હિંમતલાલના રૂપિયાનો રણકાર તો કાંઈક જુદો જ હતો. મોટાભાઈનું ઘર છોડી મુંબઈ મામાને ત્યાં રહેવા ગયા, ત્યારે દશેક વર્ષની ઉંમરે, માધવબાગના એક સાધુ સાથે ભગવાનને મેળવવા નીકળી પડ્યા. પરંતુ સાધુબાબાની આ જમાતમાં તો ગાંજો-ચલમ ચાલે, ભલે પોતે ન પીએ, પણ ગુરુજીને તો ચલમ ભરી આપવી પડે. પણ આવાં કામ કરવા પોતે સાધુ થોડો થયો છે, એ વાતે કપાળમાં ચલમનો એવો ઘા ખાધો કે મોતને અને પોતાને અણીભર છેટું રહી ગયું. જેઠીસ્વામી જેવા સાધુમહારાજને તો બદામ-પીસ્તાવાળો બંગાળી માપનો દોઢ શેર લોટો દૂધ ઊભા ઊભા ગટગટાવવા જોઈએ. આવા તો કાંઈ કેટલા ય અનુભવો થયા, જે એમની વિશિષ્ઠ રોચક શૈલીમાં ‘મારા પિતરાઈ ભાઈઓ’માં આલેખાયા છે.

આખરે 1901માં રામકૃષ્ણ મિશનમાં સંન્યાસની દીક્ષા લઈને ‘સ્વામી આનંદ’ બન્યા. તપોધનજી પાસે ઘણું પામ્યા, સંન્યાસીઓની જમાત વચ્ચે રહીને ભારતીય સંસ્કૃિતની સમસ્ત સંતસૃષ્ટિને તેમણે ખૂબ ઊંડાણથી જોઈ-જાણી, મૂલવી પણ ખરી. ચમત્કારોમાં એમને શ્રદ્ધા નહોતી. એ તો કહેતા કે ‘જિંદગી ઊઘાડી ચોપડી છે. તેને વાંચવા-સમજવા સારુ કોઈ ગૂઢવાદને વચ્ચે લાવવાની જરૂર નથી.’ માનવતાના મૂળભૂત તંતુને પકડી રાખી, સ્વામી આનંદે ભારતભરના તમામ સંતોને પોતાની કસોટીની એરણે ચઢાવ્યા છે. તેમને ભગવાન ઈસુમાં અને ઈસુપંથીઓમાં પણ એટલો જ રસ. વળી મુસ્લિમ ફકીરો પણ એમના જાતભાઈ ! સહજ રીતે સર્વધર્મ-ઉપાસના એમના સંન્યસ્ત જીવનનું એક ઊજળું પાસું બની ગયું. ’સાધુ તો ચલતા ભલા’ એ ન્યાયે ભારતભરમાં ફરતા રહ્યા. તે દરમિયાન, બંગાળના ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યા. લોકમાન્ય તિલક સાથે પણ ગાઢ સંપર્ક થયો. વીસમી સદીના આરંભકાળમાં ભારત દેશ સામે ‘સ્વરાજ્યનો મંત્ર’ તિલક દ્વારા એવો પ્રચંડ રીતે ઘોષિત થયેલો કે અનેક સાધુ-સંન્યાસીઓને પણ એણે નવી કર્તવ્યદિશા ચીંધી. દરમિયાન, કાકાસાહેબ કાલેલકરના પરિચયમાં આવવાનું થયું, તો તેમની સાથે હિમાલયયાત્રા પગપાળા કરી. ‘બરફ રસ્તે બદરીનાથ’ના પુસ્તકના રસપ્રદ અનુભવોનું રોચક વર્ણન કોઈ પણ યુવા-પગને થનગનાવી દે તેવું રોમહર્ષક છે !

પરંતુ આ બધો સૂર્યોદય થતાં પહેલાંનો ઉષઃકાળ હતો. હજુ જીવનમાં ‘ગાંધી’ નામનો સૂર્યોદય થવાનો બાકી હતો, તે દરમિયાન હિમાલયના અલમોડા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું. હિમાલય તેમના અસ્તિત્વ સાથે અભિન્નપણે જોડાયેલી જીવતી-જાગતી હસ્તિ હતી. કાકાસાહેબ સાથે હિમાલયના ખૂણેખૂણા ખૂંદીને હૈયામાં હિમાદ્રિની શુભ શુભ્રતા સંઘરતા રહ્યા. બાપુ ભારત આવ્યા, તે પહેલાં એની બેસન્ટ સ્થાપિત અલમોડાની પહાડી શાળામાં શિક્ષણ-કાર્ય કર્યું. 1917માં બાપુ સાથે સંપર્કમાં આવ્યા અને આશ્રમમાં પહોંચી જઈ 1919માં નવજીવન પ્રેસના સંચાલકની જવાબદારી ઊઠાવી લીધી. ‘યંગ-ઈન્ડિયા’ના મુદ્રક તરીકે જેલવાસ પણ થયો. એમની યોગ્યતા જોઈ, પત્રિકાઓના સંપાદક રૂપે જવાબદારી સ્વીકારવા બાપુએ આગ્રહપૂર્વક કહ્યું, પરંતુ પોતાની સંન્યાસીની ભૂમિકાના સ્વધર્મ રૂપે એ બધાથી નિર્લિપ્ત રહ્યા. એમની સ્વધર્મનિષ્ઠા એટલી બધી સુદઢ હતી કે એમને કોઈ પુરસ્કાર જાહેર થયો, ત્યારે પણ એમણે એમ કહીને નકાર્યો કે સંન્યસ્ત ભૂમિકામાં આવો પુરસ્કાર બંધબેસતો નથી. સ્પષ્ટ વાણીમાં તેઓ સાફ-સાફ વાત કહી દેતાં કદી અચકાતા નહીં, આ જ કારણસર ઘણા એમને ‘તીખા સંત’ કહેતા.

1927ની ગુજરાતની રેલ વખતે અને બારડોલી સત્યાગ્રહ વખતે પણ પૂરી નિષ્ઠાપૂર્વક તેમણે કામ કર્યું અને સરદારશ્રીના નિકટના સ્વજન બની ગયા. બિહારમાં ભયંકર ધરતીકંપ થયો ત્યારે પણ રાજેન્દ્રબાબુના ડાબા હાથ બનીને કામ પાર પાડ્યું. આમ સ્વરાજ્યના અનુસંધાને જે-જે કામો સામે આવતાં ગયાં તેમાં સર્વસ્વ હોડમાં મૂકીને જવાબદારી નોંધાવી. મીઠાના સત્યાગ્રહ વખતે જેલવાસ ભોગવ્યો. 1947માં દેશના ભાગલા પછીની કરુણ પરિસ્થિતિમાં પંજાબ, દહેરાદુન તથા હરદ્વારના નિરાશ્રિતોની છાગણીઓમાં રાહત કાર્ય કર્યું. સ્વરાજ્ય બાદ દહાણુ પાસે કોસબાડ આશ્રમમાં રચનાત્મક કાર્ય તથા લેખનકાર્યની એવી જુગલબંધી ચલાવી કે ગુજરાતને એમની પાસેથી અનન્ય લાભ મળ્યો. સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિન્દી, બંગાળી તથા ઉર્દૂ ભાષાના સારા જાણકાર, અને વળી પાછા અઠંગ અભ્યાસી ! તેમાં ય એમની આગવી શૈલી ! આ બધાને કારણે ગુજરાતી ભાષાને એમનું પ્રદાન અદ્વિતીય અને અજોડ રહ્યું. પોતે મુદ્રણકળાના નિષ્ણાત એટલે જોડણી તથા પ્રકાશન વિષે એટલા બધા આગ્રહી કે કાચા-પોચા પ્રકાશકનું તો કામ જ નહીં કે એમનું સાહિત્ય છાપે. એમની પોતાની આગવી શૈલી અને આગવો શબ્દકોશ હતો. સહેજ પણ આઘાપાછી ચલાવી લેવાની એમની તૈયારી નહીં, એટલે ‘સુરુચિ મુદ્રણાલય’ કે ‘યજ્ઞ પ્રકાશન’ જ એમનાં પુસ્તકો છાપવાની હિંમત કરી શકે. ગુજરાતી ભાષામાં એમણે કેટલીક ધીંગી વ્યક્તિઓનાં જે રેખાચિત્રો આપ્યાં છે, તે અનુપમ છે !  

જેવા પોતે આગવા નિરાળા અને અલગારી, એવું આગવું એમનું અંતિમ વસિયતનામું – ‘મારી પાછળ મારા નામે કોઈ પણ જાતનું દાનપુણ્ય, સ્મારક કે સ્મરણ ચિહ્ન કરવું નહીં, અગર તો મારી છબીને પૂજવી કે ફૂલમાળા ચઢાવવાં નહીં. આમ કરનારે મારી જિંદગીભરની શ્રદ્ધા, આસ્થા, શીખવેલું ઉથાપ્યું – એમ સમજવું.’ 1976ની 25મી જાન્યુઆરીએ મુંબઈમાં હૃદયરોગથી દેહાંત થયો. સ્વરાજ્યયાત્રામાં એક સંન્યાસીનું પ્રદાન કેવું હોઈ શકે, એનું ઉજ્જવળ દષ્ટાંત સ્વામીદાદામાં જોવા મળે છે.

પાનબીડું :

Swami Anand                  • Sujata Bhatt

In Kosbad during the monsoons
there are so many shades of green
your mind forgets other colours.

At that time
I am seventeen, and have just started                    5
to wear a sari every day.
Swami Anand is eighty-nine
and almost blind.
His thick glasses don’t seem to work,
they only magnify his cloudy eyes.                        10

Mornings he summons me
from the kitchen
and I read to him until lunch time.

One day he tells me
‘you can read your poems now’                            15
I read a few, he is silent.
Thinking he’s asleep, I stop.
But he says, ‘continue’.
I begin a long one
in which the Himalayas rise                                  20
as a metaphor.
Suddenly I am ashamed
to have used the Himalayas like this,
ashamed to speak of my imaginary mountains
to a man who walked through                              25
the ice and snow of Gangotri
barefoot
a man who lived close to Kangchenjanga
and Everest clad only in summer cotton.
I pause to apologize                                             30
but he says ‘just continue’.
Later, climbing through
the slippery green hills of Kosbad,
Swami Anand does not need to lean
on my shoulder or his umbrella.                           35
I prod him for suggestions,
ways to improve my poems.
He is silent a long while,
then, he says
‘there is nothing I can tell you                              40
except continue.’

© UCLES 2009                             8695/92/O/N/09

[Point No Point]

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

હૅરો, 30 ડિસેમ્બર 2015

Loading

...102030...3,6933,6943,6953,696...3,7003,7103,720...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved