Opinion Magazine
Number of visits: 9552576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેવુંમે વર્ષે

દીપક બારડોલીકર|Poetry|18 December 2015

એક કાવ્યનું નવ-સંસ્કરણ :


નેવુંમે વર્ષે                      • દીપક બારડોલીકર


નેવું થયાં
હા, નેવું થયાં છે.
અને
આ જીવનસેતુ તળેથી
વહી ગયાં છે પુષ્કળ પાણી.
ઊછળતાં પાણી
કાંઠા ફલંગતાં પાણી.


પાણી અખૂટ પદારથ
અનન્ય, અમૂલ પદારથ
‘પાણી જીવન
જીવન પાણી’
હું પણ પાણી, તું પણ પાણી
વેલી-વેલા, તરુવર પાણી
પાણીનો છે ખેલ આ દુનિયા
વન-વગડે ને ઘર ઘર પાણી
પાણીને મેં ચાહ્યાં છે
જાણ્યાં છે
માણ્યાં છે
પાણી નરદમ, હરદમ વહેણ
પાણી છે એક ગેબી કહેણ !


પાણી તો એક અદ્દભુત શક્તિ
પાણી મસ્તી
પાણી ભક્તિ
પાણી રંગ – સુગંધની છોળ
કલરવ ને કેકા તરબોળ
પાણી બાગ – બગીચા
મનમાં વસતા, રગ રગ ધસતા
મખમલિયા ગાલીચા
પાણી સૃષ્ટિનો શણગાર !
પાણી કણ કણનો આધાર !


પાણી મોતી
જાણે જ્યોતિ, અદ્દભુત દ્યૂતિ


પાણી અંદર, પાણી બાહર
પાણી સ્વર, શ્રુતિનો સંગમ
પાણી નિર્ઝર, પાણી સમદર
પાણીને ના પહોંચે કોઈ
પાણી સૌ પ્રશ્નોનો ઉત્તર !


પાણીને સહયોગે માણસ
બની જતો ઝળહળતું ફાનસ
ખેંચે અંધકારની ખાલ
ખોલે નવ્ય જગતનાં દ્વાર !
સાહસ એના ચરણને ચૂમે
સિદ્ધિ એની અપેક્ષા પૂછે


પાણીનો સહયોગ હતો કે
જીવનભર મેં કરી કવિતા
છલકાવી છે શબ્દસરિતા
ઊથલપાથલ પણ કરી મેં
સિંહો-શા સંજોગો સાથે બાથ ભરી મેં


ચઢ્યો તો હું પછડાયો પણ
ને લોહીમાં ખરડાયો પણ
તો ય, વળી કળ ને હું પાછો
સિંહની સામે સિંહ થયો છું
આકરી એવી ભીંસ થયો છું


પણ હવે તો થયાં છે નેવું
અને કહ્યું છે કોકે એવું
કે ચઢે નહીં −
નેવનાં પાણી પાછાં મોભે !


તો વળી આ
ભીતર કોઈ કહે છે આમ
હામ પકડ, ભૈ, હામ
હું પણ પાણી, તું પણ પાણી
પાણી તો આકાશે ઊડે
પૂરવ ને પચ્છમમાં ઘૂમે
કાળી ઘટાઓના જંગલમાં નાખે ત્રાડ
જાણે કો વીફરેલો વાઘ !


પાણી ઝબક – ઝબૂકતો સાદ
સુખનો સ્વાદ
નભપરસાદ
ઝીલો ઝીલો રે વરસાદ
મીઠો મીઠો રે વરસાદ
પાણી બંબાકાર !
પાણી અપરંપાર !


પાણી ધસમસ પૂર
જાણે રણમાં કોઈ શૂર
ધરતીના કણ કણને ઢૂંઢે
પાણી તો પાતાળે પૂગે
પાણી માટીની મગદૂર
જાણે ચેતનઘટ ભરપૂર
ના, પાણી રોકાય નહીં
ના, પાણી ખોવાય નહીં
પછી ભલે ને
થાય એ નેવું કે નવ્વાણું !

[નવેમ્બર 2015]

Loading

માહિતી અધિકાર : કાયદો પૂરતો નથી

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|17 December 2015

દંડની જોગવાઈ છતાં ન તો દંડિત અધિકારીઓની સંખ્યા વધી છે કે ન તો કાયદાનો ડર ઊભો થયો છે.

અમલના એક દાયકાને વળોટી ચૂકેલો માહિતીના અધિકારનો કાનૂન લોકશાહીને સાર્થક કરતું કદમ કે બીજી આઝાદી તરીકે બિરદાવાઈ રહ્યો છે. ભારતના બંધારણે તો નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા, પણ વહીવટીતંત્રની લાલફીતાશાહી લોકોને સામાન્ય માહિતી પણ આપતી નહોતી. શાયદ એટલે જ ભારતમાં રાજસ્થાનથી માહિતી અધિકારનું સશક્ત આંદોલન ઉપાડનાર અરૂણા રોય 2005ના માહિતી અધિકારના કાયદાને ‘જીવવાનો અને જાણવાનો હક’ ગણાવે છે. માહિતીના અધિકારનો દેશ અને દુનિયામાં દીર્ઘ ઇતિહાસ છે. આજથી અઢીસો વરસ પૂર્વે ઈ.સ. 1766માં પ્રથમવાર સ્વીડને માહિતી અધિકારનો કાયદો ઘડ્યો હતો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેંડ, દક્ષિણ આફ્રિકા, નેપાળ, શ્રીલંકા, ક્વીન્સલેન્ડ સહિતના 100 જેટલા દેશોમાં એના નાગરિકોને માહિતીનો અધિકાર મળેલો છે. ભારતનો માહિતી અધિકાર કાયદો દક્ષિણ એશિયાના દેશોમાં સહુથી બહેતર છે. ભારતમાં 1952માં પહેલી પ્રેસ પરિષદે વહીવટમાં પારદર્શિતા માટે સૂચન કર્યું હતું. 1977માં કટોકટી પછી સત્તામાં આવેલા  જનતા પક્ષે માહિતી અધિકાર કાયદાનું વચન આપ્યું હતું પણ તેના અસ્થિર અને ટૂંકા સત્તાકાળમાં કાયદો બનાવી શકાયો નહીં. ભારતમાં માહિતી અધિકાર માટેના સહુથી નિષ્ઠાવાન પ્રયત્નો 1989માં વી.પી. સિંઘે એમના પ્રધાનમંત્રીત્વકાળમાં કર્યા હતા. 2005ના કેન્દ્રીય માહિતી અધિકાર કાયદા પૂર્વે દેશમાં તમિલનાડુ, ગોવા, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, અસમ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કશ્મીર એ રાજ્યોમાં  માહિતી અધિકારના કાયદા કે નિયમો અમલમાં હતા.

અંગ્રેજોના જમાનાનો 1923નો ઓફિશ્યલ સિક્રેટ એક્ટ આઝાદ ભારતમાં પણ અમલમાં હતો અને તે માહિતીના અધિકાર માટે સહુથી મોટો અવરોધ હતો. આ ગોપનીયતા કાનૂન મારફતે સરકારો માહિતી છૂપાવતી રહેતી હોય છે અને લોકોને ગુમરાહ કરે છે. વહીવટની પારદર્શિતા અને ખૂલ્લાપણાનો લોકોને અહેસાસ થાય તે માટે લાંબા સંઘર્ષો બાદ 12મી ઓક્ટોબર 2005થી અમલી બનેલા રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટનો ઉદ્દેશ, ‘સરકારી તંત્રની કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાનો’ ગણાવાયો છે. આ કાયદા થકી ‘ભ્રષ્ટ્રાચારને નિયંત્રણમાં રાખવાનો, સરકારોનું કાર્યક્ષમ સંચાલન થાય છે કે નહીં તે જોવાનો અને સરકાર તથા પ્રજા વચ્ચે માહિતીની આપલે કરી સંવાદિતા સાધવાનો’ પણ હેતુ છે. આર.ટી.આઈનો કાયદો 12મી ઓકટોબર 2005ના રોજ સંસદે પસાર કર્યો હતો. અધિનિયમની કલમ-4(1) મુજબ 120 દિવસમાં તમામ સરકારી તંત્રોએ વગર માગ્યે પોતાના વિભાગની મહત્ત્વની માહિતીઓ જાહેર કરવાની જોગવાઈ હોવાથી,  તેનો વાસ્તવિક અમલ ત્રણ મહિના પછી  થયો હતો અને વહીવટી તંત્રોએ આ કામગીરી કરવાની હતી. આજે દસ વરસો પછી માહિતી અધિકાર આંદોલન સાથે સંકળાયેલા કર્મશીલો અને સંસ્થાઓને એ વાતે ફરિયાદ છે કે કાયદાની જોગવાઈ મુજબ સરકારે જાહેર કરવાની માહિતીનો અમલ થયો હોત, તો સરકારની જવાબદેહી અને પારદર્શિતા સાબિત થઈ હોત અને લોકોની એ માહિતી માંગતી અરજીઓ ઘટી શકી હોત.

નાગરિકો દ્વારા આ કાયદા થકી જે માહિતી માંગવામાં આવે છે તેમાં સરકારી તંત્રની ઠાગાઠૈયાની નીતિ સ્પષ્ટપણે જોવા મળે છે. માહિતી ન આપવાની તથા અધૂરી, અસ્પષ્ટ, અને ભળતીસળતી માહિતીઓ આપવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો છે. વળી જે જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી માંગવામાં આવે છે તે આ માહિતી તેમની પાસેથી મળી શકે તેમ હોવા છતાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને મૂળ અરજીઓ અન્ય કચેરીઓને તબદિલ કરે છે. તેને કારણે બિનજરૂરી વિલંબ થાય છે અને વહીવટી પ્રક્રિયા બેવડાય છે. તેને લીધે વધુમાં વધુ  30 દિવસની નિશ્ચિત મુદતમાં માહિતી આપવાની કાયદાકીય જોગવાઈઓનો અમલ થતો નથી. જો માહિતી ન મળે કે તેનાથી અરજદારને  સંતોષ ના થાય તો કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોમાં અપીલ કરવાની જોગવાઈ છે. સરકારી ખાતાં કાયદાનો યોગ્ય અમલ ન કરતાં હોવાથી પડતર અપીલો વધતી રહે છે. માહિતી કમિશનરોની ઓછી સંખ્યા અને અપૂરતી સગવડોને લીધે પણ અપીલોનો સમયસર નિકાલ થતો નથી. એક વરસથી કેન્દ્રીય માહિતી કમિશનરની જગ્યા ખાલી છે, અનેક રાજ્યોમાં પૂરતાં માહિતી કમિશનરો નથી. તેને કારણે કેન્દ્રીય માહિતી આયોગમાં પડતર અરજીઓના નિકાલમાં 5 વરસ, મધ્યપ્રદેશમાં 60 વરસ અને બંગાળમાં 18 વરસ થાય તેમ છે. 30 દિવસમાં માહિતી ન આપનારને રોજના રૂ.250 અને વધુમાં વધુ રૂ.25000 દંડની જોગવાઈ છતાં ન તો દંડિત અધિકારીઓની સંખ્યા વધી છે કે ન તો તેનો ડર ઊભો થયો છે.

છેલ્લા 10 વરસોમાં દેશમાં આર.ટી.આઈ. આંદોલન મજબૂત બની રહ્યું છે અને તેને કેટલાક સક્ષમ નેતાઓ અને કાર્યકરો મળ્યા છે. આ કાયદાને કારણે જ દેશવ્યાપી કોલસા, મધ્યપ્રદેશનું વ્યાપમ , મહારાષ્ટ્રનું આદર્શ કોભાંડ અને રોબર્ટ વાડરાના જમીન સોદાઓની ગરબડો પ્રકાશમાં આવી છે. આ કાયદાને લીધે ભ્રષ્ટ તંત્રમાં એક ફડક જરૂર ઊભી થઈ છે, તો બીજી તરફ તેને લીધે જ આર.ટી.આઈ. કાર્યકરોની હત્યાઓ અને જીવલેણ હુમલાના બનાવો બન્યા છે. દેશમાં આર.ટી.આઈ. અરજીઓના નિકાલના વિલંબમાં ઉત્તરપ્રદેશ મોખરે છે, પણ કાર્યકરોની સહુથી વધુ હત્યાઓ મહારાષ્ટ્રમાં થઈ છે. જ્યાં માહિતી અધિકાર અંગે વ્યાપક જાગૃતિ છે તે ગુજરાત હત્યાઓમાં બીજા ક્રમે છે. દર વરસે આ કાયદા હેઠળ 8 લાખ અરજીઓ થાય છે. આ કાયદાની અસરકારકતાથી રાજકીય પક્ષો ભયભીત બન્યા છે. કેન્દ્રીય માહિતી પંચે 2013માં તમામ રાજકીય પક્ષોને માહિતી અધિકારનો કાયદો લાગુ પડે છે તેવો ચુકાદો આપ્યા છતાં તેનો અમલ એકેય પક્ષ કરતો નથી. આ કાયદો ઘડવાનો યશ લેનાર યુ.પી.એ. સરકારે પણ કાયદામાં સુધારા અને સમીક્ષાના પ્રયત્નો કર્યા હતા. 2006માં ફાઈલ નોટિંગને કાયદાના દાયરામાંથી બહાર કાઢવા, 2009માં માહિતી અધિકાર અરજીની ગંભીરતા નક્કી કરવા અને તે પછી આ કાયદાની સમીક્ષા કરવાના પ્રયાસો થયા છે.

આ કાયદો માત્ર ભ્રષ્ટાચારને ઉજાગર કરવા કે રાજકારણીઓ-અફસરો વિશેની સનસનાટી ભરેલી માહિતી પ્રગટ કરવા પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. આ માહિતી દ્વારા કેટલા નીતિવિષયક બદલાવ લાવી શકાય તે દિશામાં વિચારવું પડશે. વળી આજે જે કેટલીક વિગતો બિનાઅધિકૃત રીતે ચર્ચાય છે તેને કાયદા દ્વારા સમર્થન મળે તો પણ ભ્રષ્ટાચારીઓ સામે જંગ છેડવા માટેનું સંગઠન અને આંદોલન લોકો પાસે છે ખરું? જે પ્રકારની સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા દેશમાં ઊભી થઈ છે તેમાં ભૂમિમાફિયા, બિલ્ડરો, નોકરશાહો અને રાજકારણીઓના ભ્રષ્ટાચારની માહિતી મળ્યા પછી તેને અંતિમ અંજામ સુધી લઈ જવાય એવા સંગઠનો આપણી પાસે છે ખરાં? માત્ર માહિતી મળવાથી નહીં તેના સમુચિત ઉપયોગથી, સમાજ-શાસનમાં નીતિ બદલાય તે માટેના પ્રયત્નોથી જ આ અધિકાર વધુ સાર્થક થશે.  

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય :’દાંત-નહોર વગરનોઅમલ’, “દિવ્ય ભાસ્કર”, 17 ડિસેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-right-to-information-the-law-is-not-enough-5197048-NOR.html

Loading

‘સ્વાયત્તતા’ને પગલે પગલે

મીરાં ભટ્ટ|Opinion - Literature|16 December 2015

હમણાં ‘નિરીક્ષક’માં સાહિત્ય-જગતની સ્વાયત્તતા વિષે મંથન ચાલી રહ્યું છે, ત્યારે મને પણ બે વાત લખવાનું મન થઈ આવ્યું છે.

‘શબ્દ’નું ઉગમસ્થાન અંતરતર છે. આ અંતરતરના આકાશપટ પર કદાચ બાહ્ય સ્તરે રહેતાં મન-બુદ્ધિનો પડછાયો પણ નહીં પડતો હોય. ‘શબ્દ’ સ્વાયત્ત છે, પોતાની-અંતરતરની કમાણી છે, એના પર કોઈ પણ બાહ્ય સત્તાનું શાસન ન ચાલી શકે.

એટલે સ્વાયત્તતા આપણને શાસનમુક્તિની દિશામાં લઈ જનારું પરિબળ છે અને જ્યારે માણસ ઇચ્છે કે કોઈની પણ સત્તા એના પર ન ચાલે, ત્યારે એમાંથી સહેજે નિષ્પન્ન થતી સંહિતા આ છે કે પોતાની સત્તા પણ કોઈના પર ન ચાલે, એવી વૃત્તિ. આમ સ્વાયત્તતા આપણને સત્તામુક્તિ ભણી દોરી જતું પરિબળ છે.

પરંતુ જ્યારે આપણે ‘સંસ્થા’ દ્વારા સંગઠિત થવા ઇચ્છીએ છીએ, ત્યારે એમાં વ્યવસ્થા-વહીવટ આવે છે. સંગઠનમાં ગાંઠ છોડવાની નથી હોતી, ગાંઠ બાંધવાની હોય છે. ‘શબ્દ’ને ગ્રંથના બે પૂઠાં વચ્ચે સીમિત થવું હોય તો સુગ્રથિત થવું પડે છે. બોલાયેલા શબ્દને હવામાં વહેતો મૂકી શકાય, પરંતુ લખાયેલા શબ્દને ગ્રંથસ્થ થવું પડે. એટલે આપણે વ્યવસ્થા માટે ‘ઓછામાં ઓછી સત્તા’ ભણી વળીએ છીએ. પરંતુ સત્તાનો સ્વભાવ જ પગ પહોળા કરવાનો. આમાંથી છૂટવું કેમ, એ આપણો કોયડો છે.

ગાંધીએ ઉપાય બતાવ્યો છે – સત્તાના વિકેન્દ્રીકરણનો સત્તાને વહેંચી લેવાથી સત્તાનું જોર નરમ પડે છે. કદાચ સત્તાનો ડંખ તૂટી જતો હશે. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે સામંતશાહી નહીં, પણ સૌનું પ્રતિનિધિત્વ પ્રતિબિંબિત કરતી શાસન-વ્યવસ્થા.

કામ અઘરું છે. સારું પ્રતિબિંબ પડે તે માટે સામેનું દર્પણ તો સ્વચ્છ જોઈએ જ, પણ તેથી વધુ ‘બિંબ’ પોતે જ દેખાવડું હોવું જોઈએ અને કમબખ્તી આ છે કે સારો દેખાવ કરવા માટે સારા થવું પડે છે. સ્વાયત્તતામાં સારા થવું એટલે સત્તાની શૂન્યતા સાધી, કોઈક નવા વિકલ્પની ખોજ કરવી. સત્તાને જ્યારે કોઈક સમૂહમાં વિકેન્દ્રિત કરવા જોઈએ છીએ ત્યારે સમૂહની પારસ્પરિકતાને કોઈ નવા તખ્તા પર લઈ જવી પડે છે.

વર્તમાન સાહિત્ય સંગઠનોમાં ધીરે ધીરે સાહિત્ય ગૌણ બનીને પુરસ્કારો-પારિતોષિકો-પ્રમુખ મંત્રીપદ પ્રધાન બનતાં રહ્યાં છે. વર્ષાન્તે, પરિષદના સભ્યોને કોઈ નવા શબ્દ-ધ્વનિની પ્રાપ્તિને બદલે પારિતોષિકોની જાહેરાત અને પ્રમુખની ચૂંટણીમાં વધારે રસ પડે છે. સાહિત્ય પરિષદ પાસે વર્ષો જૂના પ્રમુખ-મંત્રીની યાદી તૈયાર મળી શકે, પરંતુ દર વર્ષ ધરતીમાંથી ફૂટેલા કોઈ કુંવારા શબ્દની ભાળ મેળવવી અઘરી થઈ પડે છે. સાહિત્યની સ્વાયત્તતા માટે સાહિત્યકારોની ગણશક્તિ પ્રગટ થાય તે જરૂરી છે. આ ‘શક્તિ’ સત્તાની નહીં, ‘શાસન’ની નહીં, સમૂહના આંતરિક ચેતનાપટ પરથી ઉઠેલી શક્તિ હશે.

આ ‘આંતરિક ચેતનાપટ’ એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગતિ. એ માટે કીર્તિ, પદ, પારિતોષિક, ચંદ્રકોને વિદાય આપવી પડશે. મકરંદભાઈએ ગાયું તેમ ચંદ્રક તો ચાર દી’ના આપે ઘણાં ય, કોઈ ‘સૂર્યક’ આપે તો વાત જામે.

આ સ્વાયત્તતા એટલે સૂર્યકની ઉપાસના છે. એમાં પરપ્રકાશે ઝળહળવાનું નથી, સ્વયં પ્રકાશ પ્રગટ કરવાનો છે. એટલે જ સૂર્ય ‘સ્વરાટ્‌’ બન્યો. સ્વયંની સત્તા સિદ્ધ કરી શક્યો. સાહિત્ય જગતને સ્વરાટ્‌બનવું પડશે. એની પાસે પદ-પારિતોષિક ‘ગૌણ’ નહીં, શૂન્ય બનાવવા પડશે. તેમાંય આ તો સાહિત્યિક ગણની સ્વાયત્તતા, એટલે ‘આકાશમાં પૂનમની રાતે આકાશને પ્રકાશથી ભરી દેતા પૂર્ણિમાના ચંદ્રનું સામ્રાજ્ય નહીં, આ તો અભ્યાસની રાતે સમગ્ર આકાશને ઝબૂક-ઝબૂક અજવાળે ભરી દેતા અસંખ્ય તારલાઓનું રાજ! હવે કોઈ ‘એક’ને ભૂલી જવાનો. ‘સર્વ’ની ઉપાસના આદરવાની.

આપણા આર્ષ દૃષ્ટાઓએ આ શૂન્ય થવાની સર્વોપાસના સિદ્ધ કરી બતાવી છે. વેદ-ઉપનિષદ કોઈ એક ઋષિના નામે નથી ચઢ્યાં. એ અનેક ઋષિઓનાં મંત્રગાન છે. ‘નામના’નો મોહ ન છૂટે ત્યાં સુધી પૂર્ણ શાસનમુક્તિ શક્ય ન બની શકે. પણ આ જ ‘સાહિત્ય’નો, ‘શબ્દ’નો લય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 12

Loading

...102030...3,6403,6413,6423,643...3,6503,6603,670...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved